મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેને  હું પ્રાપ્ત થાઉં છું.’

ભદ્રાયુ વછરાજાની                        (45)            bhadrayu2@gmail.com  

શ્રીમદ ભગવદ ગીતાનો અગિયારમોં  અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન. તેના ચાલીસમાં શ્લોક સુધીમાં વિરાટરૂપ દર્શન કર્યા પછી અર્જુન પોતે પામી જાય છે કે જેને હું મારો બાળસખા ગણું છું તે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને તે દિવ્ય અનંતરૂપધારી છે, જેનું રૂપ વધતા વધતા એ કક્ષાએ પહોંચે છે કે હું અને ઋષિઓ અને સૌ માનવો ભયભીત થઇ જઈએ છીએ. ચાલીસમાં શ્લોકમાં તે ભગવાનને સર્વ દિશાઓમાંથી પોતાના નમસ્કાર પાઠવે છે. 

શ્લોક ૪૧ અને ૪૨ એ બે શ્લોક વડે અર્જુન ભગવાનના મહાત્મ્યના અજ્ઞાનથી કરેલા અપરાધોની ક્ષમા માંગે છે અને કહે છે, “આપના વિરાટ સ્વરૂપ મહિમાને હું જાણતો ન હતો. આપને હું મારા સખા જ માનતો હતો. ચિત્તની ચંચળતાથી કે સ્નેહથી પણ હું તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું કહ્યા કરતો હતો, એ અનુચિત હતું એ મને હવે સમજાય છે એટલે તે સર્વ બાબતો માટે આપ મને ક્ષમા કરો. વળી હે અચ્યુત, આપણે વિનોદ કરતા હતા , રમતા હતા, સુતા હતા, બેસતા કે ખાતા હતા ત્યારે એકલા અથવા મિત્રોની સમક્ષ મારાથી આપનો જે અસત્કાર થયો હોય તેને માટે અચિંત પ્રભાવવાળા આપની હું ક્ષમા માંગુ છું.” આ જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે છે કે જે વ્યક્તિને આપણે  ઓળખતા હોઈએ તેની ઓળખ કરતાં  તે અનેક ગણો મહાન નીકળે ત્યારે આપણે ક્ષમાભાવમાં આવી જતા હોઈએ છીએ. આગળના શ્લોકમાં હવે ભક્ત અર્જુન ભગવાનના અચિંત્ય પ્રભાવનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરે છે. એ કહે છે કે, ‘હે અપ્રતિમ પ્રભાવવાળા ભગવાન, આ સ્થાવર જંગમ લોકના આપ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો, સર્વ પ્રકારે અધિક ગૌરવવાળા છો. આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. ત્યારે આપના કરતા અધિક તો બીજો ક્યાંથી હોય ? તેથી નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું અને સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને એ પ્રસન્ન થાઓ એવી હું પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતાને પુત્રના અપરાધની, મિત્રને મિત્રના અપરાધની અને પતિને પત્નીના અપરાધની ક્ષમા આપવી  યોગ્ય છે તેમ આપને મારા અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેવું મને લાગે છે આપ મને ક્ષમા આપો.” 

શ્લોક ૪૫ અને ૪૬ વડે ભક્ત અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનો ઉપસંહાર કરી સમેટી લઇ પૂર્વવત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ  થવા માટે હવે પ્રાર્થના કરે છે. એક સમયે જે ઉત્ક્ટતા હતી વિશ્વરૂપી જોવાની એનાથી પુરેપુરો સંતૃપ્ત થઈને અર્જુન હવે કહે છે કે, ‘પૂર્વે ન જોયેલા આ વિરાટ સ્વરૂપને જોઈને હું હર્ષ પામ્યો છું. તથા ભયથી મારું મન વ્યાકુળ થયું છે.’  બંને મિશ્રિત ભાવ એના મનમાં છે, એ હર્ષ પણ પામ્યો છે કે ઓહો હો હો આ વિરાટ સ્વરૂપ ! અને બીજી રીતે એને ભય પણ થાય છે કે શું વાત છે આ હા….હા.. આવું ભયભીત કરે એવું વિરાટ સ્વરૂપ ! એટલે પોતે સ્વીકારે છે કે બંને હું પામ્યો છું. મારું મન ભયથી વ્યાકુળ થયું છે માટે હે દેવ મારા પ્રાણના કરતા પણ પ્રિય આપનું પૂર્વનું સૌમ્યરૂપ હવે મને દેખાડો. ‘હે દેવેશ, હે જગન્નિવાસ, આપ હવે પ્રસન્ન થાઓ.. મને આપનું  પૂર્વનું  સૌમ્યરૂપ દેખાડવા યોગ્ય કૃપા કરો તો સારું’,  એવું અર્જુન વિનવે છે. ‘હું આપને પહેલાની જેમ મુકુટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું, માટે હે સહસ્ત્ર બાહુ, હે વિશ્વમૂર્તિ આપ ચતુર્ભુજ  રૂપ ધારણ કરો.’ આથી એ અર્થ સૂચિત કર્યો છે કે, ભક્ત અર્જુન સર્વ કાળે ભગવાનનું ચતુર્ભુજાદિસ્વરૂપ જોતો હતો એટલે એ સ્વરૂપ પાછું લઇ આવવાની તેણે વિનંતી કરી. ભક્ત અર્જુનને ભય પામેલો જોઈ હવે ભગવાન વિરાટ સ્વરૂપ સમેટી લઇ રહ્યા છે અને તેને  આશ્વાસન આપતા ભગવાન કહે છે, ‘હે અર્જુન, હું પ્રસન્ન થયો છું. મારા અસાધારણ યોગ સામર્થ્યથી તને આ મારું તેજોમય, વિશ્વવ્યાપી , અનંત અને અનાદિ શ્રેષ્ઠ રૂપ મેં દેખાડ્યું છે જે મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વ જોયું નથી. તું પણ મને અત્યંત પ્રિય છે, તેથી તું આ વિશ્વરૂપ દર્શન રૂપી પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયો છે. મારી બાલ્યાવસ્થામાં યશોદા માતાએ, ગોકુળમાં અક્રૂરે તથા કૌરવ સભામાં ભીષ્મપિતા વગેરેએ મારા અનુગ્રહથી મારું જે સ્વરૂપ જોયું હતું તે તને બતાવેલા આ વિશ્વરૂપનું એક અવાંતર રૂપ જ હતું. તે મારું ઉત્તમ સ્વરૂપ ન હતું.  જે આ સર્વોત્તમ સ્વરૂપ મેં તને બતાવ્યું છે તે તને તારા ભાગ્યથી  એટલે કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. મારા વિશ્વરૂપ દર્શનથી તું કૃતાર્થ થયો છે.’  હવે ભગવાન વિશ્વરૂપ દર્શનથી દુર્લભતાનું પ્રતિપાદન કરે છે અને કહે છે કે,  ‘હે કુળશ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય લોકમાં મારા વિરાટ સ્વરૂપને જોવા તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. મારા વિરાટ સ્વરૂપના દર્શન વેદાભ્યાસથી, યજ્ઞોથી, તુલાપુરુષ વગેરે દાનોથી, અગ્નિહોત્રી વગેરે સ્ત્રોત કર્મોથી કે ચાંદ્રાયણ વગેરે ઉગ્ર તપોથી કે બીજા સાધનોથી આ મનુષ્યલોકમાં શક્ય નથી. તું તો કેવળ મારા અનુગ્રહથી જ આ મારું વિરાટ સ્વરૂપ જોવા સમર્થ બન્યો છે.’ 

હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધીમે ધીમે સમેટી લઇ રહ્યા છે. અને એ કહે છે કે, ‘આ મારા ઘોર  વિરાટ સ્વરૂપને જોઈને તને વ્યથા કે વ્યાકુળતા ન થાઓ અને તું ભયરહિત તથા પ્રસન્ન ચિત્તવાળો થા.  મારા તે આ પૂર્વના રૂપને તું જોઈ શકે એટલે હવે હું મૂળ રૂપ પ્રાપ્ત કરી રહ્યો છું.’  હવે ભગવાને ભક્ત અર્જુનને પોતાનું પૂર્વ સ્વરૂપ દેખાડ્યું. એ સમયે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા કહે છે કે, ભગવાને ભક્ત અર્જુનને પુનઃ પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવ્યું અને પુનઃ સૌમ્ય શરીર ધારણ કરી મહાત્મા ભગવાને ભય પામેલ ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ભક્ત અર્જુન નિર્ભય થઇ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે, હે જનાર્દન, આપના આ સૌમ્ય માનુષી સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારી પ્રકૃતિને એટલે કે મૂળ સ્વભાવને હું પામ્યો છું. 

હવે ચાર શ્લોકો વડે વિરાટ સ્વરૂપના દર્શનરૂપ અનુગ્રહની દુર્લભતાનું વર્ણન થઇ રહ્યું છે. ભગવાન બોલ્યા છે, ‘મારું જે વિરાટ રૂપ તે હમણાં જોયું તેનું દર્શન અત્યંત દુર્લભ છે. દેવ પણ એ જોવા નિરંતર ઈચ્છા કરે છે. મેં તને જે સ્વરૂપવાળો જોયો તે સ્વરૂપવાળો હું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોવાને શક્ય નથી. હે અર્જુન, જેમ અગ્નિ કાષ્ટ ને બાળીને ભસ્મ કરે છે તેમ મારી ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિ મને જે પ્રકારે વશ કરે છે તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ, કે ત્યાગ પણ મને વશ કરવા સમર્થ થતા નથી. હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું. મારે વિષે નિષ્ઠા પામેલી ભક્તિ ચાંડાળોને પણ જાતી દોષથી પવિત્ર કરે છે. આ સંસારમાં મારી ભક્તિ અત્યંત દુર્લભ છે કારણકે જો અંતઃકરણ વિષે મારી ભક્તિ ઉત્પ્ન્ન થાય તો તે અવશ્ય મુક્તિ આપનારી છે. આ અધ્યાયના  સમાપનમાં સુંદર વાત કહી ને સમાપન તરફ જઈ રહ્યા છીએ.. ‘હે પાંડવ, મારે અર્થે કર્મ કરનારો મન જ પ્રાપ્ત માનનારો મારો ભક્ત જેણે સંગનો ત્યાગ કર્યો છે તે તથા સર્વભૂતોમાં જે વેર રહિત છે તે મને પામે છે. હું પ્રાર્થના કરું છું કે મારે  અર્થે જે કર્મ કરે છે, મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેનું હું પ્રાપ્ત થાઉં છું.’ 

અર્જુનની વિનંતી ઉપરથી પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને ફરી અર્જુનની વિનંતી  ઉપરથી મૂળ પોતા ચતુર્ભુજધારી રૂપને પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે આપણને ઉત્તમ સંદેશ આપે છે કે, ‘તમે મારી ભક્તિમાં રત રહો.’