અસ્મિતા વિશેષ સંવાદ :(38) :: શ્રી સતીશ વ્યાસ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ભાષા ભવનના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થનાર શ્રી સતીશ વ્યાસ કેવળ ગુજરાતીના પ્રાધ્યાપક રહીને નિવૃત્ત નથી થયા. તેઓએ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે અને સઘળા ક્ષેત્રો વિદ્યાર્થીઓની અભિવ્યક્તિને સ્પર્શતા. વિદ્યાર્થીઓ અને તે પણ યૌવનથી છલકતા !! તેઓને ગમતીલી પ્રવૃત્તિમાંથી અભિવ્યક્તિની ઉત્તક કળા નાટક તરફ સતિષભાઈ ક્યારે  વાળી દે તે કોઈને ન સમજાય. પોતે મૃદુ છતાં મક્કમ અને સસ્મિત સંવાદ કરીને તમને ખેંચી રાખી શકે તેવું તેમનું વ્યક્તિત્વ. ગુજરાતીમાં માતબર પ્રદાન કરનાર સતિષભાઈ સાથે અસ્મિતા સંવાદમાં વાતચીત નો દોર બહુ આનંદથી ચાલ્યો. આપણે થોડો રસ ચાખીએ..

“એક વાર આજોલમાં એક શિબિર થઇ. અનેક પ્રવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કવિતા વાળા થોડા, વક્તૃત્વ વાળા ઝાઝા. મને અને મણિલાલ પટેલને વક્તૃત્વની તાલીમ માટે આજોલ મોકલવામાં આવ્યા. થયું એવું કે ત્યાં વક્તૃત્વની  તાલીમ લેવા માટે તો બે જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય તાલીમના અનેક વિદ્યાર્થીઓ હતા. અને આગળના દિવસોમાં એ સૈદ્ધાંતિક ચર્ચાઓથી બહુ કંટાળેલા હતા. અમે ચોથા કે પાંચમા દિવસે ગયા, શિબિર ૯ કે ૧૦ દિવસની હતી ત્યારે. એ વિદ્યાર્થીઓએ કહ્યું કે,  સાહેબ સૈદ્ધાંતિક વાતો અમે એટલી બધી સાંભળી છે (કેટલાક કલાકારો મને ઓળખતા પણ હતા ત્યારે)  કે આમાંથી અમારે નીકળવું છે. કહે આમાંથી કંઈક માર્ગ કાઢો. મેં કીધું અમારી તો આ ભૂમિકા નથી, અમે  તો વક્તૃત્વ માટે આવ્યા છીએ,  અમે તો આ ના કરી શકીએ.  પછી કહે કે, ના ના પણ તો પણ થોડો સમય સાંજે આવો, તમે વક્તૃત્વની તાલીમ ભલે બે ત્રણ વિદ્યાર્થીઓ છે, એને આપો સાંજના એકાદ કલાક દરમિયાન અમારી સાથે થોડી નાટકની વાત કરો અને કશુંક અમારી પાસે કરાવડાવો તો વધારે સારું..

રીસેસમાં અમને એવું કહેવામાં આવ્યું અને પછી મેં મણિભાઈને કહ્યું, આપણે ચાલો ને બેસીએ જરા, મોડા જઈશું. મણિભાઈ તો એ રીતે બહુ ઉદાર છે અને સારી મૈત્રી પણ ખરી અમારી. તો પછી ત્યાં એક વસ્તુ આપી વિદ્યાર્થીઓને કહ્યું, ચાલો, તમે  એક ઈમ્પ્રોવાઈઝ કરો.  કશુંક તમારી આગળ વસ્તુ રજુ  કરીએ અને તમે એમાંથી નાટક વિકસાવો. મજા પડી ગઈ બાળકોને અને કંઈક એ વખતે સૂઝ્યું એવું કે  ચલોને આપણી જૂની બધી વાર્તાઓ ઘણી છે. સાહિત્યમાં ભણાવેલી જ હોય આપણે તેવી એક વાર્તામાં એવું આવતું કે, એની નાયિકા નાયકને બળદ બનાવી દે છે. એક વાર્તામાં એવું આવે છે, પછી ઘાણીએ લગાડે છે અને એવું બધું… આવી બધી ઘણી વાર્તાઓ આપણે ત્યાં પડેલી છે અને પછી એક બળદ પાસે અમાનુષી રીતે કામ લેવામાં આવે. અમાનુષ જ હોય ને પછી બળદ છે એટલે… એનું શોષણ કરવામાં આવે.. આવી પરિસ્થિતિ આવી હોય તો વિચાર કરતા કરતા એવું લાગ્યું કે, આપણે બળદને બળદ રાખવો છે, નાયિકા ને પણ સામાન્ય નાયિકા રાખવી છે અને કંઈક એવું કરીએ કે લગ્ન થયું છે અને પહેલી જ રાત્રે પુરુષનું બળદમાં કે આખલામાં રૂપાંતરણ  થઇ જાય. મણિભાઈની સાથે વાત કરીને આવું એક થીમ બાળકોને આપીએ. જોઈએ શું કરે છે. અને કહ્યું કે, ચાલો આનું નાટક કરો.

અને પેલા ગામડાના વિદ્યાર્થીઓ હતા, એ કહે કે, સાહેબ લગ્નથી શરૂ કરીએ તો ? પહેલી રાત્રિની વાત પર એકદમ નથી આવવું. લગ્નના ગીતો શરૂ કરી દીધા. અને આ બાળકોનું એટલું ઇન્વોલ્વમેન્ટ થયું કે એમાંથી એ એક કલાક દરમિયાન એક આખા નાટકનું માળખું  તૈયાર થઇ ગયું. પારિવારિક થયું આખું. એમાં સાસુ પણ આવે, સસરા પણ આવે પછી પત્ની ફરિયાદ કરે કે આ તો આખલો છે, તમે મને ક્યાં આની સાથે પરણાવી ? શયનગૃહમાંથી બહાર આવે ત્યારે એ  આખલો હોય જ નહીં. એટલે સાસુ સસરા કહે છે કે,  તું તો બદનામ કરે છે અમારા દીકરાને,, આમ કરીને કે આખું સરસ વ્યવહારિક નાટક ઉભું થયું. અને એમાંથી પછી મેં પહેલું પૂર્ણ કદનું નાટક લખ્યું ફૂલ લેન્થ. મણિભાઈ સાથે ચર્ચા કરીને ‘પશુપતિ’ એવું નાટકનું શીર્ષક આપ્યું. ત્યાર  પછીથી હું  ફૂલ લેન્થ નાટક તરફ વળ્યો. આ એક મોટો ચેન્જ અમદાવાદમાં આવ્યા પછીનો. ભણાવવાનું તો ચાલુ હો,  એમાં બિલકુલ બાંધછોડ નહીં, એ રીતે નાટક તરફ આગળ વધાયું …”