અસ્મિતા વિશેષ સંવાદ : (37)

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

એક બહુ પરિમાણીય વ્યક્તિત્વ એટલે શ્રી વસંત એસ. ગઢવી. મૂળ સરકારી વહીવટમાં અવ્વલ દરજ્જે ફરજ બજાવી અને શ્રેયકર કાર્ય કરીને નિવૃત્તિ પછી પણ ઉચ્ચ પદ પર નિયુક્તિ મેળવતા રહ્યા. પણ શ્રી ગઢવીસાહેબની જિહવા પર અને કલમ પર મા સરસ્વતીનો ઉપકાર કાયમ રહેલ છે. તેઓ સાહિત્યના ઉપાસક છે અને લોકસાહિત્યના મર્મી છે. તેઓ ભણતા હતા એ દરમ્યાન જ ભગત બાપુ  સાથે બેસવાનું મળ્યું તે મોટો લ્હાવો. ખુબ સરળ અને શાંત પ્રકૃતિના ગઢવીસાહેબ સાથે આત્મીય સંવાદ ધીર ગંભીર પ્રવાહ જેવો ગહેરો રહ્યો. આવો તેઓની વાત સાંભળીએ :: 

“કોલેજનો અભ્યાસ થયો એ ભાવનગર અમારી બોર્ડિંગ હોવાથી ભાવનગરમાં થયો. આને પણ હું જીવનનો એક મોટો લ્હાવો ગણું છું. કારણ કે ભાવનગરમાં ગયા પછી થોડા સમયમાં જ એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અહીંયા કંઈક સાંભળવા જેવા આયોજનો થાય છે. જયેન્દ્ર ત્રિવેદી જેવાને બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આને જ તો નોલેજ કહેવાય. પહોંચવું હોય તો આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બોર્ડિંગમાં ભગતબાપુ પણ નિયમિત રીતે આવે અને રોકાઈ પણ ખરા. ભગતબાપુને  મળવા જે લોકો આવે એમને નજીકથી જોવા એ પણ લ્હાવો હતો. હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ આવે પછી ત્યાંના સાંસદ અને આપણા નાણા પ્રધાન પણ રહી ચૂકેલા જસવંત મહેતા એક વૈદ્ય મોટાભાઈ ગઢડાવાળા જે  સાહિત્યકાર પણ પ્રખર હતા, જયમલભાઈ વગેરે આવે, મેરૂભા આવે, જયહિન્દના તંત્રી બાબુભાઇ શાહ આવે તો આ બધા લોકોને નજીકથી જોવાની તક મળે.

માણસ સાથે કઈ રીતે વાત થવી જોઈએ એ બાબતમાં ભગતબાપુની હું ક્ષમતા ઘણી જોઉં છું. અમે હિતેન્દ્રભાઈને લઈને અંદર ગયા. હિતેન્દ્રભાઇ એ વખતે સત્તા પરથી દૂર થઇ ગયેલા હતા, એટલે હિતેન્દ્રભાઈએ કહ્યું કે,  બાપુ અમે લોકોની થાય એટલી સેવા કરી અને જે લોકોએ નક્કી કર્યું એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ આટલા વર્ષો સુધી આપ ચોક્ક્સ માનશો કે અમે સારી સેવા તો કરી છે. એટલા તો આપના આશીર્વાદ અમારા ઉપર હશે. આપનું  માનવું પણ હશે. હિતેન્દ્રભાઈએ ભગતબાપુને ઠાવકાઈથી જવાબ આપ્યો કે,  તમે ઘણું સારું કામ કર્યું એમાં કોઈ બેમત નથી પણ કનૈયાલાલ દેસાઈ (હિતેન્દ્રભાઈના પિતા)ની સમકક્ષ ન પહોંચાયું. હિતેન્દ્રભાઈએ સ્વીકાર્યું  કે, બાપુજી જેટલું તો ના થઇ શકે.

 ઘણા વર્ષો પછી હું  સુરત કલેકટર તરીકે ગયો એટલે ઓલપાડના ગામડાઓમાં ગયો. એમાં જોગાનુજોગ કનૈયાલાલની ઓલપાડના ઘણા બધા ગામોમાં મોટી જમીનદારી હતી. એમના મેં ફોટા કોઈ જગ્યાએ જોયા. કોઈ સરપંચના  ચા પીવા ગયો ત્યાં ફોટા જોયા.  તો મને થયું હિતેન્દ્રભાઇ જેવો ફેસ કોનો છે ? તો કહે,  કનૈયાલાલ દેસાઈનો ફોટો છે. પછી મેં કીધું કનૈયાયાલ દેસાઈ વિષે મેં કઈ સાંભળ્યું નથી. જુના જે  આગેવાનો હતા એક બે એણે  કહ્યું કે,  સાહેબ એ એક અદભુત વ્યક્તિ હતા. આટલી બધી એમની જમીનદારી હતી પણ સરળતા ઘણી ને ખેડૂતો સાથે વ્યવહાર બહુ સારો. પણ એક દિવસ એમના ઉપર વિનોબા ભાવેનો પત્ર આવ્યો. ત્યારે તો પોસ્ટકાર્ડ લખતા હતા કે હું ભૂદાનયાત્રામાં ગુજરાતમાં લગભગ આ ગાળામાં આવીશ. તો તે વખતે સુરત જિલ્લામાં આ તારીખો લગભગ આવશે અને બારડોલી આ તારીખે જાહેરસભા મારી કરીશ. એ બારડોલી જાહેર સભામાં ટેન્ટેટિવ તારીખ આ છે,  પણ તમને હું અત્યારથી કહી રાખું છું. તમારે એ સભાનું પ્રમુખ સ્થાન લેવાનું છે. ભૂદાનની આ  સભાનું તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે. એ કાગળ વાંચીને એક બે દિવસ પછી એમણે એમના કેટલાક ખેડૂત ખાતેદારો હતા એમને બોલાવ્યા ને  બધાને કહ્યું કે, આ  જમીન છે એ હું તમને તમારા નામે કરી દેવા માંગુ છું. (પોતાની જમીન સ્વેચ્છાએ એમના નામે કરી દેવા માંગે છે.) એમના કાગળો તો મારા માણસો કરી આપશે. પણ તમારી સંમતિ જોઈએ છે મારે… એમણે હાથ જોડીને કહ્યું. લોકોએ કહ્યું,  ‘ભાઈ અમે ક્યાં માંગી છે ? આ જમીનની અમે ક્યાં તમારી પાસે માંગણી કરી છે ? અમે કોઈ ફરિયાદ કરી છે ?’ એણે કહ્યું કે,  ફરિયાદ કે માંગણીની તો આ વાત જ નથી, તમે કરો પણ નહીં. પણ વિનોબાની ભૂદાનની સભાનું જો પ્રમુખ સ્થાન મારે લેવાનું હોય તો એ પહેલા મારે આ વિધિ કરવી પડે. આ વાત કરવાનો એમના માટે કોઈ TRP મેળવવાનું  તો કારણ જ નથી, નથી મારા માટે TRP મેળવવાનું કારણ એટલે આ વાત  જે બનેલી છે એ હું કહું છું,  છતાં ઘણી ઓછી જગ્યાએ કહું છું, કારણ કે હવે લોકો આ સ્વીકારવા તૈયાર નથી.

હું કલેકટર હતો ને હિતેન્દ્રભાઈના મોટાભાઈને જયારે પણ મળ્યો, તેઓ બેંકમાં પ્રમુખ હતા એટલે કોઈપણ પબ્લિક બોર્ડ માટે એમની પાસે જઉં તો પહેલા એ એવું કહે કે,  તમારે મને બોલાવી લેવો જોઈએ. કલેકટરો બહુ કામમાં હોય, અમે આવી જઈએ, અમારે કાર્યકરોને શું કામ ? એટલે પેલા વિવેક અને પછી તમે જે પણ કામ લઈને ગયા હો તમે એમને કહો કે, ધારો કે ૫૦ લાખ રૂપિયા રોકવાના છે તો એ ૪૯ લાખની વાત ન કરે. તમારે ત્યાં આવી, તમારી ઓફિસમાં તમે જેનું નામ આપો એને  બીજે દિવસે ચેક આપી જાય. તકલીફો તો ઘણી પડી હશે, સંઘર્ષ ઘણા કરવા પડ્યા હશે ત્યારે આપણને એમ થાય કે આમના પ્રમાણમાં તો આપણે કોઈ સંઘર્ષો કર્યા જ નથી.”