આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છેએટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે.”  

કહેવાય છે કે રાજા ભગીરથના પ્રયાસોથી ગંગા મૈયા ધરતી ઉપર ઉતર્યા અને તેને પ્રવાહમાંથી શાંત બનાવવાનું કામ ભગવાન શ્રી શંકરની જટાએ  કર્યું અને એટલા માટે એને ભાગીરથી ગંગા પણ કહેવાય છે.  જે શ્રેય ભગીરથજીને મળ્યું તેવું અને કદાચ તેનાથી બમણું શ્રેય  રાજકોટના વિજય ડોબરીયા નામના એક સહજ યુવાનની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ને ફાળે જાય છે.  કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું કહેવાનું પસંદ કરીશ કે,  વિજય અને સદભાવના દ્વારા  બે ગંગા ને પૃથ્વી ઉપર ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે,  પહેલી છે  વૃક્ષ ગંગા અને બીજી છે  વૃદ્ધ ગંગા..!  કદાચ રાજકોટનો આ યુવાન ભારત વર્ષ માટે બે મૂંઝવતી  ભગીરથ સમસ્યાઓના સમાધાન માટે ખરેખર બે ગંગા ને ભારતની ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ બન્યો છે એમ કહેવામાં કોઇ જ નાનપ  અનુભવવાની જરૂર નથી.

એક સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની..  આજે ભૂગોળની દ્રષ્ટિએ રાજકોટ ગુજરાતનું એક સતત પ્રગતિ કરતું શહેર છે અને આ રાજકોટ ગુજરાતના ચાર મેટ્રો માહીનું  એક મેટ્રો નગર છે.  મેટ્રો નગર નો અર્થ માત્ર તેની ભૌગોલિક વ્યાપકતા અને વસ્તીને ધ્યાનમાં લઈને કરવો એ ખોટનો સોદો  છે.  રાજકોટ ખેતીમાં,  ઉદ્યોગમાં,  સંસ્કૃતિમાં,  સાહિત્યમાં અને સંત દાતારીમાં સમગ્ર ગુજરાતમાં નોખી ભાત પાડનાર એક રંગીલુ નગર રાજકોટ છે, માટે એમ કહેવાય છે કે,  તેમાં એક દિવસમાં બે દિવસ ઉગે છે કારણ કે રાજકોટવાસીઓ બપોરના એક દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરી ઊંઘવાનું પસંદ કરે છે અને ચાર વાગ્યાથી રાજકોટ વાસીઓનો બીજો દિવસ શરૂ થાય છે.  આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો,  એક દિવસમાં રાજકોટ બમણું થાય છે,  બમણું ખાય છે અને બમણું ખવડાવે અને બમણી મોજ મજા પણ કરે છે.

જયારે  રાષ્ટ્રને કે રાજ્યને કોઈ પ્રકારની મદદ કરવાની હોય ત્યારે આ શાંતિ પ્રિય નગર પરમ શાંતિથી પોતાના હજારો હાથ લંબાવે છે અને વિપત્તિ કાળમાં સહાયની સરવાણી ગંગા નદીની વિશાળતા થી વહેતી  કરે છે.  આ રાજકોટ છેલ્લા દસેક વર્ષથી એવા પ્રકારનો એક સંકલ્પ લઈ બેઠું છે કે,  11માં વર્ષે તો રાજકોટનું કણ કણ અને જણ જણ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જાણે કે રાત દિવસ લાગી પડ્યા છે.  સમજી શકાય એવી વાત છે કે,  નિરાધાર,  નિઃસંતાન,  અસાધ્ય બીમારીમાં પડેલા વૃદ્ધોને કોણ સાચવે એવો રામ પ્રશ્ન છે.. આ પ્રશ્નનો જવાબ રાજકોટમાં શ્રી વિજય ડોબરીયા નામના એક યુવાને આજથી દસ વર્ષ પહેલાં શોધી કાઢીને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને તેમાં 600 થી વધુ નિરાધાર નિઃસંતાન અસાધ્ય બીમારી વાળા અને જેમની પાછળ વધતી ઉંમરમાં સેવા કરનારું કોઈ નથી એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ ઊભું થયું છે. વિજયભાઈએ  તેની 10 વર્ષમાં ત્રણથી ચાર જગ્યાએ મકાનો ભાડે રાખીને 600 થી વધુ વૃદ્ધોને પોતાને આંગણે આધાર આપ્યો છે.  આ 600 વૃદ્ધોમાંથી લગભગ  200 પથારીવશ  છે,  ડાયપરવશ  છે અને કોઈકના ટેકાવશ  છે.  આ બધું જ કામ સદભાવના વૃદ્ધાશ્રમની પરિશ્રમનો પરસેવો પાડતી ટીમ માટે હવે સહજ થઈ ગયું છે.

વૃદ્ધાશ્રમ ચલાવવું એમાં કસોટી તો છે પણ તેમ છતાં ઈશ્વરે જેનું કોઈ રાખ્યું નથી તેવા વૃદ્ધો માટે એક પણ પૈસો લીધા વગર કરુણાભરી સેવા કરવાનો વિચાર પોતે જ ભગીરથ વિચાર છે.  એમાં પણ એવું નક્કી થયું કે ભારત વર્ષ માંથી આવા વૃદ્ધો આપણે આંગણે આવે તો આપણે કોઈને ના ન પાડવી પડે તેથી અંદાજે 5,000 વૃદ્ધો  રહી શકે તેવું 1,400 રૂમ વાળું અને આને માટે આનુસંગિક બધી જ સેવાઓ કરી શકાય તેવી સગવડતા વાળુ ભવ્ય સદભાવના વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવું.  આ સંકલ્પ લઈને વિજયભાઈ ડોબરીયા જેવો યુવાન રાજકોટની ધરતી ઉપર એટલે મક્કમતાથી ચાલી રહ્યો છે કે,  આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર ગુજરાત નહીં કદાચ ભારત પણ નહીં વિશ્વજન અવશ્ય નોંધ લેશે કે તેવું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે,  જે 30 એકર જમીનમાં 300 કરોડના ખર્ચે સમાજના લોકોના દાનથી ઊભું થઈ રહ્યું છે અને તેમાં પોતાના સત્ય, પ્રેમ અને કરુણાને સાથે જોડવા ત્રિભુવનીય  રામકથાના ગાયક સંતવર્ય  શ્રી મોરારીબાપુએ એક રામ કથા ‘માનસ સદભાવના’  રાજકોટની ધરતી ઉપર ગાવા માટે સંકલ્પ કર્યો અને તે સંકલ્પ એકદમ ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે લોકોના ઉછળતા હૃદય સાથે અને દાનની વહેતી ગંગા સાથે પૂર્ણ થયો.  અંદાજે બસો  કરોડ જેવું દાન સદભાવના વૃદ્ધાશ્રમને પ્રાપ્ત થઈ ગયું છે અને હજુ વધુ દાન માટેની પોતાની મનોકામના દાતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

વૃદ્ધાશ્રમમાં  વૃદ્ધો પછી બીજું ઉત્તમ કાર્ય સદભાવના હાથમાં લઈને સતત પ્રગતિ કરી રહ્યું છે અને તે કાર્ય છે ધરતીના પટ ઉપર લીલી છમ ચાદર ઓઢાડવા માટે વૃક્ષોનું રોપણ કરવું,  તેને પાણીનું સિંચન કરવું અને ત્રણ વર્ષની અંદર 20 ફૂટ જેટલા વૃક્ષો ઉગાડી આપવાનો સંકલ્પ વિજય ડોબરીયાએ કર્યો છે.  આ જુવાન નો ઉત્સાહ  જોતા એમ લાગે છે કે,  તેમણે સમગ્ર ભારત વર્ષમાં 150 કરોડ વૃક્ષો આ રીતે મોટા કરી આપવાનો જે સંકલ્પ કર્યો છે તેને પાર ઉતરતા પણ ખાસ્સો સમય નહીં લાગે.  વિજયભાઈ તો ઈચ્છે છે કે,  આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે,  એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે. આપણે વિચાર કરીએ કે કેટલો મોટો વિચાર છે,  કેવો ભગીરથ વિચાર છે,  આવો વિચાર આ જુવાનને આવ્યો ક્યાંથી?

એવું લાગે છે કે, જ્યાં આપણી  વિચારવાની શક્તિ પૂરી થાય છે ત્યાંથી વિજય ડોબરિયાના બે સંકલ્પો શરૂ થયા છે.  આપણે આપણા ઘરમાં આપણા સગા મા-બાપને પથારીવશ થાય ત્યારે તેમના ડાયપર બદલવા,  તેમને સ્નાન કરાવવા કેર ટેકર રાખતા હોઈએ છીએ,  આપણી પાસે સમય નથી અને કાં  એટલી આપણી તૈયારી નથી. કારણ ગમે તે હોય પણ આપણી સગી  મા માટે પણ માણસ રાખીએ છીએ કે  જે એને બેસાડે,  એને નવરાવે,  જેના ડાયપર બદલી આપે,  જે એને ચમચી ભરીને મોઢામાં આપે. આ બધું આપણે આપણા માવતર માટે જ નથી કરી શકતા તે સદભાવના વૃદ્ધાશ્રમ અન્ય ના માવતરો માટે કરવાની ટહેલ  નાખ્યા કરે છે.  ગુજરાતના બધા શહેરોમાં વીજળીના થાંભલા ઉપર સદભાવનાના નામથી બોર્ડ લટકે છે અને એમાં લખ્યું છે કે,  ‘અમારે માવતર જોઈએ છે’,  હું અને તમે કલ્પના ન કરી શકીએ એવો આ વિચાર છે પણ દસ વર્ષથી આ બંને સંકલ્પોને પાળી પોષીને  તરુણાવસ્થા સુધી પહોંચાડનાર વિજય ડોબરિયાને  પાકો ભરોસો છે કે, આપણે બંને ભાગીરથી ગંગાને ધરતી ઉપર ઉતારીશું.

સદભાવના વૃદ્ધાશ્રમનાનવા ભવન માં લગભગ 700 વૃદ્ધો  માટેની વ્યવસ્થા સાથેનો 11 માળનો એક ટાવર ઉભો થઈ ચૂક્યો છે અને એ ટાવરમાં અતિ આધુનિક ગણી શકાય તેવી સુવિધાઓ છે.  હવા અને ઉજાસ સતત આ વૃદ્ધોને મળતા રહે તેની કાળજી સાથેનું રાજકોટ અને ગુજરાતના વિશ્વકક્ષાએ નામ ધરાવતા સ્થપતિ  શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ કર્યું છે.  કિશોરભાઈ આ પ્રકારના યુનિક ભવનો બનાવવા માટે નામાંકિત છે.  આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું બાંધકામ રાજકોટ,  સૌરાષ્ટ્ર,  ગુજરાત અને ભારતના  એક સમર્થ કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહ્યું છે. વળી આ બધા માટે  ચિંતન અને મનન કરવા માટેની  એક સક્ષમ ટીમ વિજય ડોબરીયા પાસે છે અને એમનો સ્વભાવ એટલો સારો છે કે,  સાચા કામ માટે તે  સાચી વ્યક્તિને શોધી  શકે છે અને પછી તેના ઉપર પૂર્ણપણે વિશ્વાસ મૂકે છે.  રાજકોટમાં પૂર્ણ થવા જઈ રહેલી શ્રી રામ કથા એમનું સાદર ઉદાહરણ છે.  જે માણસના સંકલ્પો ઉપર આવી વિશાળકાય  કથા થતી હોય તે માણસને ઉદ્વેગ ન હોય, ઉત્પાત ન  હોય એવું તો ભાગ્ય જ બને છ..

નવા ભવન ના એક ટાવર ની અંદર નિરાંતે પૂરો સમય આપીને સ્વૈરવિહાર કર્યા પછી અને એટલું કહેવામાં અતિ ગૌરવ છે કે,  આ ભવનમાં જે વૃદ્ધો આવીને વસસે તેઓ  વૃદ્ધાશ્રમમાં નહીં હોય,  પણ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોટેલ જેટલી સુંદર અને આધુનિક સુવિધાઓની વચ્ચે પોતાનું બાકીનું જીવન વિતાવશે.  ઝીણી ઝીણી બાબતો અને નાની નાની કાળજી ચિંતા ઉપજાવે તેવા પ્રશ્નોને અગાઉથી વિચારીને  તેને પૂર્ણ કરવાની માવજત અને કોઈ વૃદ્ધ આપણે આંગણે આવ્યો છે તોય આપણું માવતર છે અને એને શું શું જોઈશે એ  ખૂબ લાંબુ વિચાર્યા પછી આખું આયોજન થઈ રહ્યું છે.  તેમાં ભોજનાલય,  બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે તેવી હોસ્પિટલ,  રીક્રીએશન માટે પણ સુંદર મજાના વિચારોથી ભરપૂર બહુ પરિમાણીય સંકુલ પણ અહીં છે. હાલ બે થી ત્રણ મકાનો ભાડે અને એક મકાન દાતાશ્રી તરફથી બક્ષીશમાં મળેલું છે, એમાં જે વૃદ્ધો અગવડતા વચ્ચે રહી ગયા છે,  ત્યારે ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમના જામનગર રોડ વાળા રામપર ગામમાં ઉભા થઇ રહેલા ભવનમાં જાણે નવી જિંદગીઓનો વિહાર એપ્રિલ 2025થી શરૂ થશે, ત્યારે રાજકોટના કપાળમાં એક કાયમી યશ કલગીનું તિલક થશે.