
“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.”
ઈશ્વરના ચરણોમાં શરણ લેવાથી મુક્તિનો માર્ગ વધુ સરળ બને છે. સ્વામી વિવેકાનંદજી સમસ્ત જગતના લોકોને ઈશ્વરના ચરણોમાં શરણ લેવાનું જાણે કે આહ્વાન આપતા રામકૃષ્ણ આરતીની આઠમી કડીમાં કહે છે,
“સંપદ તવ શ્રીપદ, ભવગોષ્પદ વારી યથાય।
પ્રેમાર્પણ સમદર્શન, જગજન દુઃખ જાય॥”
એટલે કે, તમારા શ્રીચરણ અમારી સંપદા છે. તેથી ભવસાગર ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો, જેથી જગતના લોકોના દુઃખ દૂર થાય છે.
પોતાની રીતે શ્રી રામકૃષ્ણદેવના જીવનસંદેશમાંથી પ્રેરણા લઈ સમસ્ત જગતના સૌ લોકો, સર્વ ધર્મોના અનુયાયીઓ, પોતપોતાના ધર્મનું પાલન કરે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે, મુક્તિ મેળવે તથા શાશ્વત સુખ અને શાંતિ મેળવે — એવો આ આરતીનો બૃહદ્ સમન્વય કરતો સૂર છે.
એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં પોતાના ગુરુભાઈઓને સ્વામી વિવેકાનંદજીએ લખ્યું હતું કે, “શ્રી રામકૃષ્ણનું સાચું સંતાન એ છે કે જે બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વ્હોરીને પણ જે તેમના માટે શ્રમ કરે છે.”
આવું વિશાળ હૃદય ધરાવતા સ્વામી વિવેકાનંદજીએ ભાવનાના આવેગમાં ચિરકાળ સુધી જગત માટે પ્રેરણારૂપ બની રહે તેવી રીતે કહ્યું હતું, “એવું કદાચ બની શકે કે આ દેહને હું જૂના વસ્ત્રની માફક ત્યાગી દઉં; પણ હું અવિરત કાર્ય કરતો રહીશ. જ્યાં સુધી સમસ્ત માનવજાત દિવ્યતાને પામે નહીં, ત્યાં સુધી સૌને પ્રેરણા આપતો રહીશ.”
૨૨મી ફેબ્રુઆરી, ૧૮૯૮. પાવન સલીલા ગંગાના કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવિરત મઠમાં શ્રી રામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી.
આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે તાજેતરમાં પોતે રચેલું રામકૃષ્ણદેવનું આરતી સ્તવન — “ખંડન ભવબંધન” ગાવાનું શરૂ કર્યું. સ્વામીજી પોતે જ મૃદંગ વગાડવા લાગ્યા. કેવું અદભુત હશે એ વાતાવરણ!
ત્યારે આ સ્તવનની પહેલી અને છેલ્લી કડી જ ગવાતી. બાકીની કડીઓ સ્વામીજીએ પાછળથી ઉમેરી છે. “સંપદ તવ શ્રીપદ…” આ કડી પૂરી થયા પછી બધા આનંદમાં ભાવવિભોર થઈ નૃત્ય કરતાં કરતાં ગાવા લાગ્યા—
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
જ્યોતિર જ્યોતિ, ઉજ્લ હૃદિકંદર, તુમિ તમો ભંજનહાર॥
પ્રભુ, તુમી તમો ભંજનહાર॥
ઘે ઘે ઘે લંગ, રંગ ભંગ, બાજે અંગ સંગ મૃદંગ।
ગાઈ છે છંદ, ભક્તિવૃંદ, આરતી તોમાર।
જય જય આરતી તોમાર।
હર હર આરતી તોમાર।
શિવ શિવ આરતી તોમાર॥”
અર્થ તો એકદમ ઉત્સાહ પ્રેરનારો છે.
“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે જ્યોતિના પણ જ્યોતિ છો, પ્રકાશ આપનાર છો. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.
ભક્તો છંદ સાથે તમારી આરતી ગાય છે. સાથે સાથે “ઘે ઘે ઘે લંગ,” એવા અવાજથી મૃદંગ અને બીજા વાદ્યો વાગે છે. તમારી આરતીનો જય હો! હે હર! હે શિવ! તમારી આરતી થઈ રહી છે.”
આ એક સાર્વભૌમિક પ્રાર્થના છે; કારણ કે સંપૂર્ણ સ્તવનમાં ક્યાંય પણ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ કર્યો નથી. સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતપોતાના ઈષ્ટની આરતી કરી શકે.
બંગાળીમાં રચાયેલ હોવા છતાં, બંગાળી ભાષા ન જાણનારા પણ સરળતાથી સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ આ સ્તવનમાં સ્વામીજીએ કર્યો છે.
અનંત ભાવોથી ભરપૂર આ સ્તવન પર ગહન ચિંતન કરતાં કરતાં દર વખતે નવા અર્થો સાધકોના મનમાં પ્રગટ થાય છે. માટે જ આ સ્તવનની વ્યાખ્યા કરવી કે સમજવી અત્યંત દુષ્કર છે અને સાધના સાપેક્ષ છે.
શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એક સુંદર પ્રસંગ આવે છે.
૫મી ઓગસ્ટ, ૧૮૮૨ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા ગયા હતા. વાતચીતના પ્રસંગમાં રામકૃષ્ણદેવે કહ્યું, “બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહીં. બધું, બધી વસ્તુ એઠી થઈ ગઈ છે. વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન — એ બધાં એઠાં થઈ ગયા છે. મોઢેથી બોલવામાં આવ્યા છે, મોઢેથી ઉચ્ચાર થયા છે; એટલે જાણે કે એઠાં થઈ ગયા છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી નથી થઈ શકતી. એ વસ્તુ છે બ્રહ્મ. બ્રહ્મ શું, તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.”
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ વાતથી એવા પ્રભાવિત થઈ ગયા કે બોલી ઊઠ્યા, “વાહ! આ તો બહુ સરસ વાત. આજે એક નવી વાત શીખ્યો છું.”
શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગમાં સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે અનેક પ્રયત્નો કરવા છતાં શ્રી રામકૃષ્ણદેવ પોતાના બ્રહ્મદર્શન વિશે કંઈ બોલી નહોતા શકતા; કારણ કે, તેઓ લખે છે તેમ, બ્રહ્મ તો વાક્ય-મનાતીત છે.
એક દિવસ રામકૃષ્ણદેવે કહ્યું કે, “આજે તો તમને બધી વાત કહી દઈશ. જરા પણ છુપાવીશ નહીં.”
એમ કહીને શરૂઆત કરી. હૃદય અને કંઠ સુધીના તમામ ચક્રો વિશે સારી રીતે સમજાવ્યું. પછી ભ્રૂમધ્યસ્થળ દેખાડીને કહ્યું, “આ સ્થળે મન ચડતાં જ પરમાત્માના દર્શન થાય છે અને જીવને સમાધિ થાય છે. ત્યારે પરમાત્મા અને જીવાત્મા વચ્ચે કેવળ એક સ્વચ્છ, પાતળા પડદાની આડશ બાકી રહે છે. ત્યારે તે એમ જુએ કે…”
એમ કહીને જેવા પરમાત્મદર્શનની આ વાત વિગતે વર્ણવવા લાગ્યા, ત્યાં તેઓ સમાધિમાં લીન થઈ ગયા.
સમાધિ તૂટતાં ફરીવાર કહેવાનો પ્રયત્ન કર્યો અને ફરીવાર સમાધિમાં તલ્લીન થઈ ગયા. એ પ્રમાણે અનેક વાર પ્રયત્ન કર્યા છતાં સજળ નયને ઉપસ્થિત ભક્તોને કહ્યું, “અરે! મન તો હતું કે બધી વાત કહી દઈશ. લગીરે તમારાથી છાનું નહીં રાખું; પણ માએ કેમે કરીને કહેવા દીધું નથી. મોઢું જ દબાવી દીધું.”
સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે તેઓ વિચારવા લાગ્યા, “આ એક એવી વાત નજરે જોઈએ છીએ કે વાત કહેવા માટે તેઓ આટલી કોશિશ કરે છે અને કહી ન શકવાથી એમને કષ્ટ થાય છે, તે સમજી શકીએ છીએ; પણ કેમે કરીને તેઓ કહેવા પામતા નથી? આ મા પણ કેવી છે!”
પાછળથી એમને સમજાયું કે જેની મદદથી બોલવા-ચાલવાનું બને છે, તે મન-બુદ્ધિની દોડ બહુ લાંબે નથી પહોંચતી; અને જેટલી હદ સુધી તે દોડી શકે છે, તે હદની બહાર ગયા વગર પરમાત્માના પૂર્ણ દર્શન થતા નથી.
ભક્તોના સ્નેહને વશ થઈ શ્રી રામકૃષ્ણદેવ અસંભવિતને સંભવિત કરવાનો પ્રયત્ન સતત કરતા રહ્યા છે.
