
સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.
૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રી રામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી. ભક્તો ઊંડા શોકમાં ડૂબી ગયા. શ્રીમા શારદાદેવીનો શોક કેમેય જતો નહોતો. કાશી, વૃંદાવન વગેરે તીર્થસ્થળોની તેમણે યાત્રા કરી. પંચતપાની તપસ્યા કરી; પણ તેમને પોતાના શરીર ધારણ કરવાનો ઉદ્દેશ હજુ સમજાયો નહોતો. એક અપૂર્વ દર્શનથી તેમને આ વિશે સ્પષ્ટતા મળી.
શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિના ચાર-પાંચ વર્ષ પછીની વાત છે. શ્રીમા શારદાદેવી બેલુરમઠમાં નીલાંબર મુખર્જીના મકાનમાં નિવાસ કરી રહ્યા હતા, જે હાલ બેલુરમઠ સાથે સંલગ્ન છે. તે દિવસે પૂનમની રાત હતી. બગીચામાંથી ઉતરી ઘાટના પગથિયા પર બેસી માતાજી મુગ્ધ નયને ગંગાની અપૂર્વ શોભા નિહાળી રહ્યા હતા. મન નિશ્ચિંત હતું.
એકાએક તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ ઉતાવળે પગે પાછળથી આવીને ગંગામાં ઉતર્યા અને સાથોસાથ તેમનો ચિન્મય દેહ ભાગીરથીના પવિત્ર જળમાં ભળી ગયો.
એવામાં ક્યાંકથી સ્વામી વિવેકાનંદજી આવ્યા અને “જય રામકૃષ્ણ!” કહેતા કહેતા બે હાથની અંજલિઓમાં એ બ્રહ્મવારિ લઈને આજુબાજુના અગણિત સ્ત્રી-પુરુષો ઉપર છાંટવા માંડ્યા. માતાજીએ જોયું કે અસંખ્ય લોકો આ પાણીના સ્પર્શથી સદ્યોમુક્તિ પામ્યા.
આ દર્શન એટલી સ્પષ્ટ રીતે એમણે જોયું હતું કે કેટલાક દિવસો સુધી એમની આંખો સામે એ દૃશ્ય તરવર્યા કરતું રહ્યું. તેથી રખેને શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય દેહને પગ અડી જશે, તે બીકે તેઓ કેટલાક દિવસો સુધી ગંગામાં ઉતરીને નાહી શક્યા નહીં.
આ અલૌકિક દર્શનથી માતાજીને આ યોગાવતારની લીલા પૂરેપૂરી સમજાઈ અને તેમને વિશ્વાસ બેઠો કે આ લીલાની પુષ્ટિ માટે તેમનો મનુષ્યદેહ ધારણ કરવામાં પણ સાર્થકતા છે.
જગતના દુઃખોથી વિચલિત થઈને સ્વામી વિવેકાનંદજી કર્મયોગમાં સમજાવે છે કે ખરેખર તો આવું નથી. સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.
સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં, “સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે, તેણે દુઃખને પણ આવકારવું જ પડે છે.”
આ સંબંધમાં એક મજાની વાર્તા છે.
એકવાર સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “તમારા રાજ્યમાં કોઈ પણ ગરીબ ન હોવા જોઈએ. કોઈ પણ દુઃખી ન હોવા જોઈએ. તમારી પાસે અઢળક ખજાનો છે, બધાને પૂરતું ધન આપી દો.”
રામચંદ્રજીએ કહ્યું, “તથાસ્તુ.”
બીજે દિવસે રાજ્યનો ખજાનો સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યો. બધા લોકો માલામાલ થઈ ગયા. બધા પોતપોતાનો કામધંધો છોડીને આનંદ-પ્રમોદમાં મગ્ન થઈ ગયા.
વરસાદના દિવસો આવ્યા. લોકોના મકાનોની છતોમાંથી પાણી આવવા માંડ્યું. પણ મરામત કેવી રીતે કરવી? કડીયા તો બધા ધનવાન બની ગયા હતા. કોઈને કડીયા ન જડ્યા. રાજમહેલમાં પણ આજ સમસ્યા ઊભી થઈ. કડીયા જડતા નહોતા.
છેવટે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “પહેલાં જે હતું તેવું કરી દો. આમ તો કેવી રીતે જીવાશે?” રામચંદ્રજીએ હસતાં હસતાં કહ્યું, “તથાસ્તુ.” ફરી જેમ હતું તેમ થઈ ગયું.
વાર્તાનો મર્મ એ છે કે માયાના સાપેક્ષ જગતમાં, સ્થળ, કાળ અને કારણની સીમાની અંદર આ દ્વંદ્વો — સુખ અને દુઃખ, દિવસ અને રાત, સારું અને નરસું — તો રહેવાના જ.
કર્મયોગમાં સ્વામી વિવેકાનંદજી કૂતરાની વાંકી પૂંછડી અને ભૂત વિશેની વાર્તા દ્વારા સમજાવતા કહે છે કે આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વર્ષ થયા, લોકો એને સીધી કરવાની મથામણ કરી રહ્યા છે; પણ જ્યારે એને છૂટું મૂકે છે, ત્યારે પાછી વાંકી થઈ જાય છે.
તો શું જગતના દુઃખો દૂર કરવાના પ્રયત્નો છોડી દેવાના? આ પ્રશ્નના જવાબમાં સ્વામીજી કહે છે કે, “ના, આપણે પ્રયત્નો તો ચાલુ જ રાખવાના; કારણ કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે. પણ નિઃસ્વાર્થ સેવા કરવા જતાં આપણો અહંકાર નિર્મૂળ થાય છે. આપણે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા હોઈએ છીએ. એટલે સેવા આપણો ધર્મ છે.”
“સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ-વારિ યથાય |
(તમારાં ચરણો જેઓની સંપદા છે, તેઓ માટે ભવસાગર ગોષ્પદના જળ તુલ્ય થઇ જાય છે.)
પ્રેમાર્પણ, સમદરશન, જગજન-દુઃખ જાય ||…08
હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોનાં દુઃખ દૂર થઇ જાય છે.”…આ આઠમી પંક્તિનો પૂર્ણાર્થ અહીં ઈંગિત છે.
સર્વજનોના દુઃખો હંમેશા માટે દૂર થાય, તે માટે સર્વજનોની મુક્તિ — સર્વમુક્તિ માટે સ્વામી વિવેકાનંદજી કેટલા પ્રયત્નશીલ હતા, તે તેમના પત્રો અને વાર્તાલાપો વાંચવાથી ખ્યાલ આવે છે.
એકવાર પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “જે આધ્યાત્મિક અભ્યાસ કે અનુભવ બીજાને લાભદાયી નથી થતો, અજ્ઞાન અને બ્રહ્મમાં ડૂબેલા લોકોનું કલ્યાણ નથી કરતો, કામ અને કાંચનની જાળમાંથી તેમને મુક્ત કરવામાં મદદરૂપ નથી બની શકતો, તે વળી શું કામનો?”
“શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બદ્ધ છે, ત્યાં સુધી તમને મુક્તિ મળશે? જ્યાં સુધી તે મુક્ત ન થઈ જાય, પછી તેને ભલે ઘણા જન્મો લાગે, ત્યાં સુધી તારે તેને મદદ કરવા અને બ્રહ્મસાક્ષાત્કાર કરાવવા જન્મ લેવો પડશે.”
સ્વામીજીના આ શબ્દો સાંભળી શરદચંદ્ર ચક્રવર્તી અચરજથી બોલી ઊઠ્યા, “સ્વામીજી! બધાની મુક્તિ વિના એકેય વ્યક્તિની મુક્તિ ન થઈ શકે — એ એક અતિ જબરદસ્ત વિધાન છે.”
સ્વામીજીએ જવાબમાં કહ્યું, “થિઓસોફિસ્ટોનો એક વર્ગ આ મત ધરાવે છે. તેઓ એમ કહે છે કે વ્યક્તિની મુક્તિ તે સાચો અને સંપૂર્ણ મોક્ષ નથી; પણ સર્વવ્યાપી અને સામુદાયિક મોક્ષ તે જ મુક્તિ છે. બેશક, એ મતમાં ગુણ અને દોષ બંને બતાવી શકાય; પરંતુ જે એમ માને છે કે પોતે આખા વિશ્વને પોતાની સાથે મુક્તિમાં લઈ જશે, તેના હૃદયની મહત્તા કેવી હશે તેનો જરા ખ્યાલ કરજો.”
