
‘બ્રહ્મના પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
સ્વામી વિવેકાનંદજીએ એકવાર વાતચીતના પ્રસંગમાં કહ્યું હતું:
“હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણને જેટલા સમજ્યા છે, તેટલા જ માત્ર તેઓ નથી. તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતા. બ્રહ્મજ્ઞાનીની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો; પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહીં! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય!”
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
બ્રહ્મનાં બે સ્વરૂપ છે — પર (Transcendental) બ્રહ્મ
અને અપર (Immanent) બ્રહ્મ.
પરબ્રહ્મ ‘વાક્યમનાતીત’ છે, પરંતુ અપર બ્રહ્મ દરેક જીવમાં અવસ્થિત છે. મન અને વાણીનો આધાર તે જ છે — ‘મનોવચનૈકાધાર’:
श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद्
वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः
प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥
(केन उपनिषद् १/२)
“જે મનનો મન છે, પ્રાણનો પ્રાણ છે, વાક્ ઇન્દ્રિયનો વાક્ છે, શ્રોત્રેન્દ્રિયનો શ્રોત્ર છે, ચક્ષુ ઇન્દ્રિયનો ચક્ષુ છે — એવા એ બ્રહ્મને જાણીને ધીર લોકો જીવનમુક્ત બની, મૃત્યુ પછી અમર થઈ જાય છે.”
આ બ્રહ્મ (પરમાત્મા) વિશે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યોતિનાં જ્યોતિ’ — તે પ્રકાશને પણ પ્રકાશ દેવાવાળો છે. ચંદ્ર પ્રકાશિત થતો દેખાય છે, પરંતુ તેનો પોતાનો કોઈ પ્રકાશ નથી. એ તો સૂર્ય પાસેથી ઉછીનો લીધેલો પ્રકાશ છે. તો પછી સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવ્યો?
ઉપનિષદના કથન પ્રમાણે દરેક પ્રકાશનો પ્રકાશક તે જ બ્રહ્મ (પરમાત્મા) છે.
કઠોપનિષદમાં આ વિશે સુંદર શ્લોક છે :
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ॥
(कठ उपनिषद् २/२/१५)
‘ત્યાં ન તો સૂર્ય પ્રકાશિત થાય છે, ન તો ચંદ્રમા અથવા તારાઓ પ્રકાશિત થાય છે, ન વીજળી પ્રકાશિત થાય છે; તો પછી અગ્નિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે? તેના (બ્રહ્મના) પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
આવો પ્રજ્જવલિત આત્મા, અથવા બ્રહ્મ, દરેક જીવની હૃદયરૂપી ગુફામાં અવસ્થિત છે. તેમ છતાં આપણને દેખાતો નથી, કારણ કે તે છુપાઈને બેઠેલો છે. તો પછી તેનો પુરાવો શો? કેટલાક લોકોએ તેનાં દર્શન કર્યા છે, એ જ તેનો પુરાવો છે. કોણ તેનાં દર્શન કરી શકે? જેઓની બુદ્ધિ અત્યંત એકાગ્ર અને શુદ્ધ છે, જેઓ સૂક્ષ્મદર્શી છે, તેઓ જ તેનાં દર્શન કરી શકે.
હવે આ અજ્ઞાનનો અંધકાર દૂર કેવી રીતે થાય?
જવાબ એક જ ,,,ઈશ્વરને પ્રાર્થના કરવાથી. તેઓ માત્ર ‘જ્યોતિનાં જ્યોતિ’ જ નથી, પરંતુ ‘તમોભંજનહાર’ (અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર) પણ છે. માટે સ્વામી વિવેકાનંદજી આ આરતી સ્તવનમાં કહે છે: ‘ઉજ્જ્વલ હૃદિકંદર, તુમિ તમોભંજનહાર।’ ‘હે પ્રભુ! તમે અમારા હૃદયની ગુફામાં પ્રજ્જવલિત થાઓ, અમારો અજ્ઞાનાંધકાર દૂર થાય.’
તૈત્તિરીયોપનિષદમાં બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું છે :
“सत्यं ज्ञानमनन्तं ब्रह्म” — ‘બ્રહ્મ સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત છે.’
એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સગુણ સાકાર થાય છે, પૃથ્વી પર અવતરિત થાય છે, જીવો પર દયા કરવા માટે. આ વખતે તેમણે શ્રીરામકૃષ્ણરૂપ ધારણ કર્યું છે. આપણા અંતરમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે. એટલા જ માટે શુદ્ધ સાત્વિક ગુણનું ઐશ્વર્ય લઈને તેઓ આવ્યા છે.
‘ભવબંધન’નું ખંડન કરનાર એ ‘જ્યોતિનાં જ્યોતિ’ સ્વરૂપ શ્રીરામકૃષ્ણદેવની આરતી આપણે આંતરિકતાથી નિત્ય કરીશું, તો અવશ્ય આપણા અંતરમાં રહેલો અજ્ઞાનાંધકાર દૂર થશે, આપણે દરેક પ્રકારનાં બંધનથી, દરેક પ્રકારનાં દુઃખોથી મુક્ત થઈ જઈશું. બસ, પછી તો કેવળ આનંદ જ આનંદ!
સ્વામી વિવેકાનંદજી કેવળ પોતાની વ્યક્તિગત મુક્તિથી સંતુષ્ટ નથી. તેઓ તો ચાહે છે , ‘સમષ્ટિ મુક્તિ’ — આ વિશ્વના દરેક જીવની મુક્તિ. વિશ્વના દરેક જીવનો અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય તો!
આપણે તો એટલું જ સતત પ્રાર્થીએ કે, ‘હે પ્રભુ, તમારી આરતી થાઓ, તમારી જય હો, તમારી આરતી થાઓ હર હર. (પીડાહરણ કરવાવાળા) તમારી આરતી થાઓ, શિવ શિવ (મંગલકારી) તમારી આરતી થાઓ.’
(લેખમાળાના સમાપને પૂર્ણાદર સાથે પ્રણામ કરી ઋણ સ્વીકાર એ ગ્રંથો અને ગ્રન્થકારોનો જેમાંથી આ વીસ લેખોને ભાથું મળ્યું અને આપણે સૌ સ્વામીશ્રી રામકૃષ્ણ દેવની આરતી સ્તવનને થોડી ઘણી સમજી શક્યા: (1)શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ …સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ (2) સ્વામી વિવેકાનંદ્દ : ગ્રંથમાલા સંચયન…શ્રી રામકૃષ્ણ આશરામ, રાજકોટ. (3) શ્રી રામકૃષ્ણ કથામૃત (સંપૂર્ણ)…શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.(4) શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ગ્રંથ: 1, 2, 3 …સ્વામી સારદાનંદ
IIૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણેI
અવતારવરિષ્ઠાય શ્રી રામકૃષ્ણાય તે નમઃII
