
તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે.
સ્વામીશ્રી વિવેકાનંદજી રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના આઠમા પદ સુધી આપણી યાત્રા આવી પહોંચી છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના હાલના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં બહુ વિગતે આધાર સાથે વિહંગાવલોકન કરે છે.
સ્વામી વિવેકાનંદજી કહે છે, संपद तव श्री पद भव गौश्पद वरियथाय प्रेमार्पण समदर्शन जगजन दुखजाय. એટલે કે, મારા ચરણો જેઓની સંપદા છે તેઓ માટે ભવસાગર ગૌશપદનાં જળતુલ્ય થઈ જાય છે. હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોના દુઃખ દૂર થઈ જાય છે. શ્રી ના પતિ હોવાને કારણે ભગવાન વિષ્ણુના ચરણો શ્રીપદ કહેવાય છે. અને વિષ્ણુના અવતાર હોવાને કારણે શ્રી રામકૃષ્ણ દેવના ચરણો પણ શ્રીપદ છે. જે ભક્તો સાધારણ સંપદાની પરવાહ નથી કરતા શ્રી રામકૃષ્ણ દેવના શ્રીપદને જ પોતાની સંપદા ગણે છે તેમના શ્રી ચરણોમાં શરણ લે છે. તેમના માટે ભવસાગર તરવું એટલું જ સરળ બની જાય છે કે જેટલું ગૌશપદ એટલે કે ગાયના પગલાંમાંથી બનેલા ખાબોચિયાનું જળ પાર કરવું બને છે.
ભગવાન શ્રી રામે શરણાગત થયેલા વિભીષણનો સ્વીકાર કરતી વખતે કહ્યું, ‘कोटि विप्र लागहि जाहु आये शरण तजहु नाइ ताहू सन्मुख होइ जिव मोहि जबहि जनमकॉपी अद ना सही तबहु’. રામચરિત માનસમાંથી આ જે વિગત લીધી છે એનો અર્થ એવો થાય છે કે કરોડો બ્રાહ્મણોની હત્યા કર્યા પછી જો કોઈ મારે શરણે આવે તો પણ હું તેનો ત્યાગ નથી કરતો. મારી પાસે આવતા જ જીવના કરોડો જન્મોના પાપનો નાશ થઈ જાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લક્ષ્ય કરી સમસ્ત માનવજાતને કહે છે, ‘सर्व धर्मान परित्यज्य मामेकं शरणं व्रजः अहं त्वाम सर्व पापेभ्य मोक्ष ईष्यामि मासूच.’ 18 માં અધ્યાયના 66માં શ્લોકમાં આવું કહ્યું છે. અર્થ એટલો છે કે, બધા ધર્મોનો ત્યાગ કરી તું માત્ર મારા એટલે કે સર્વ શક્તિમાન ઈશ્વરના શરણે આવી જા. હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક છોડી દે. શ્રી મા શારદાદેવીએ અનેક વખત એવું આશ્વાસન આપ્યું હતું કે મને ઠાકુર કહેતા કે જેઓ મારી પ્રાર્થના કરે છે તેમના મૃત્યુ સમયે મારે તેમની પડખે ઊભું રહેવું પડશે. એ તેમના પોતાના શ્રીમુખના શબ્દો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે, ‘જે વ્યક્તિ અંતકાળે મારું સ્મરણ કરતાં-કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં કોઈ સંદેહ નથી.’
એકવાર રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજને એક ભક્તે આ વિશે સંદેહ વ્યક્ત કરતાં પૂછ્યું કે તેમનામાં તો હજી ઘણી કામનાઓ બાકી છે, તો તેઓ કેવી રીતે મુક્ત થઈ શકશે? પૂજ્ય મહારાજે સમજાવતા કહ્યું, માની લો અંતિમકાળે શ્રી રામકૃષ્ણ દેવ તમારી સમક્ષ હાજર થઈ ગયા તો તમે શું માંગશો? તેમના ચરણ કમળમાં ભક્તિ જ નહીં, તેમના દર્શન માત્રથી તમારી બધી કામનાઓ પોતાની મેળે દૂર થઈ જશે અને તમે મુક્ત થઈ જશો.
શ્રી રામકૃષ્ણ દેવના ભક્તોનો મૃત્યુના સમયનો અનુભવ અદભુત હતો. શ્રી રામકૃષ્ણ દેવના ગૃહસ્થ ભક્ત શ્રી નવગોપાલ ઘોષના પત્ની નિષ્કારીની ઘોષ પણ રામકૃષ્ણ દેવના પરમ ભક્ત. તેમણે એકવાર કહ્યું હતું, તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે. તેમના પોતાના જીવનમાં તેમણે આ પુરવાર કર્યું. 20મી માર્ચ 1932 ના રોજ તેમણે શ્રી રામકૃષ્ણ દેવ ના ફોટા ને છાતી સરસો ચાંપીને તેમનું નામ લેતા-લેતા ગાઢ ધ્યાનાવસ્થામાં દેહ ત્યાગ કર્યો.
હાજરા મહાશય શ્રી રામકૃષ્ણ દેવની દિવ્ય લીલાના ખંડનાયકની ભૂમિકા ભજવતા. મિથ્યાચાર અને મિથ્યાભાષણ જાણે તેની રગરગમાં હતા. ક્યારેક તો શ્રી રામકૃષ્ણદેવને શિખામણ પણ આપતા. છ વર્ષો સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાની સામેના વરંડામાં જપની માળ લઈને બેસી રહેતા અને શ્રી રામકૃષ્ણ દેવ પાસે જતા ભક્તોને પકડીને ધરાર પોતાના ઉપદેશ સંભળાવતા. એકવાર તો શ્રી રામકૃષ્ણ દેવ તેમને કપટ લીલાથી એટલા કંટાળી ગયા કે જગન માતાને પ્રાર્થના કરી. હે મા, જો હાજરા ઢોંગી હોય તો એને અહીંથી કાઢી મૂકો. થોડા દિવસ પછી હાજરા મહાશયને આ વાતની ખબર પડી અને તેઓ શ્રી ઠાકુરની પાસે આવીને કહેવા લાગ્યા.. જુઓ, હું તો અહીં જ છું, પણ હાજરા મહાશયને નરેન્દ્ર એટલે કે આપણા સ્વામી વિવેકાનંદની સાથે સારું બનતું. શ્રી રામકૃષ્ણ દેવ મજાકમાં પોતાની ગામઠી ભાષામાં કહેતા, હાજરા તો નરેન્દ્ર નો ફ્રેન્ડ છે. 1લી જુલાઈ 1986 ના રોજ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણ દેવે જાણે કે કલ્પતરુ બની ભક્તો ઉપર આશીર્વાદ વરસાવ્યા. હાજરા મહાશય ત્યારે ગેરહાજર હતા. પાછળથી તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ ગયા. અને તેમણે નરેન્દ્રનો સહારો લીધો. નરેન્દ્ર તરત જ તેમને રામકૃષ્ણ દેવના ઓરડામાં લઈ ગયા અને તેમના પર કૃપા વરસાવા કહ્યું. રામકૃષ્ણદેવ રાજી ન હતા. પણ નરેન્દ્રના દબાણથી તેમણે કરુણાવશ થઈને કહ્યું, ‘તેનો સમય હજુ પાક્યો નથી. મૃત્યુ સમયે તેને આશીર્વાદ મળશે.’ અને ખરેખર એ જ બન્યું. હાજરા મહાશય પોતાના ગામમાં રહેતા ત્યારે મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેમને સાધારણ તાવ આવ્યો. આ સિવાય એમને કોઈ રોગ નહોતો. ત્રીજા દિવસના અંતે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જો આવતીકાલે સવારે 9:00 વાગ્યે હું મરવાનો છું માટે ગામના લોકોને બોલાવી લે જે.’ તેમની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી નહિ. બીજે દિવસે સવારે ફરી હાજરા મહાશયે પોતાના મૃત્યુ વિશે ગામના લોકોને જણાવવા માટે કહ્યું. લોકોને જાણ થઈ, પણ કોઈએ આ વાત ગંભીરતાથી ન લીધી. થોડા લોકો હાજરા મહાશયના નવા ખેલની મજા જોવા ભેગા થયા. સવારે 8:30 વાગ્યે હાજરા મહાશયે જપમાળા પોતાના હાથમાં લીધી અને જપ કરવા મંડયા. અચાનક લોકોએ હાજરા મહાશયના ચહેરા પર કંઈક પરિવર્તન જોયું. જાણે તેઓ કોઈને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. થોડીવારમાં હાજરા મહાશય બોલી ઉઠ્યા આવો… પધારો… હે ગુરુદેવ, આટલા વખત પછી મને યાદ કર્યો. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, જલ્દીથી એક આસન લાવ, જોતી નથી પરમહંસ દેવ આવ્યા છે. તેમના પત્ની તો કંઈ સમજી ન શક્યા. વારંવાર કહેવાથી ના છૂટકે એક આસન લાવીને પાથર્યું. થોડીવાર પછી હાજરા મહાશયે શ્રી રામકૃષ્ણદેવને સંબોધી હાથ જોડીને કહ્યું, ‘ગુરુદેવ તમારી મારા પર આટલી બધી કૃપા છે, હવે થોડી વધુ કૃપા કરો. મારી સાથે આંગણામાં તુલસીનાં ક્યારા સુધી આવો. હું ત્યાં જ મારો દેહ છોડવા માંગુ છું.’ શ્રી રામકૃષ્ણ દેવની સંમતિ મેળવી તેમણે પોતાની પત્નીને આસન તુલસીના ક્યારા સુધી લઈ જવા કહ્યું. તેઓ પોતે પણ ત્યાં પથારીમાં સુતા-સુતા જપ કરવા લાગ્યા. થોડીવાર પછી હરિ… હરિ… હરિ… એમ ત્રણ વાર બોલીને તેમણે છેલ્લો શ્વાસ લીધો. ગામનાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક મહાત્માને છાજે તેવી રીતે તેઓએ તેમના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી હાજરા મહાશય ખલનાયકમાંથી મહાત્મા બની ગયા.
