‘મારો આ દેહ મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે.’

ગણિકા પિંગળા, કુંવારી કન્યા, કરોળિયો અને ભમરી પણ ગુરુઓ છે.

ભદ્રાયુ વછરાજાની                      bhadrayu2@gmail.com 

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

કુંવારી કન્યાનું ઉદાહરણ લઈને તેને ગુરુ ગણવા પાછળનું કારણ રાજન કહી રહ્યા છે. એક વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા,તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્યસત્કાર કર્યો. ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં  ડાંગર ખાંડવા લાગી.  તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખુબ અવાજ આવ્યા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે ઘર ગરીબ છે અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે છે ? અને તેણે માત્ર બે બે કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા. કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે બે કંકણ પણ ખખડવા લાગ્યા ત્યારે તેણે એક એક કંકણ કાઢી નાખ્યું.  જયારે બંને હાથમાં માત્ર એક જ કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં. એ કન્યા પાસેથી એવો બોધ મળ્યો કે જયારે ઘણા લોકો એકસાથે રહે છે ત્યારે કલહ થાય છે અને જયારે બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે. તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા વિચરવું જોઈએ.

કરોળિયો આપણને શીખવે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ અંતમાં પોતાની કાળશક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. કરોળિયો આપણને એવું શીખવે છે કે ગમે તેટલા પ્રલોભનો આપણે લઈને નિર્માણ કરીએ પણ અંતે તો પરમાત્મા એક માત્ર સર્જક છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે તેમાં જ વિહાર કરે છે અને છેવટે ગળી જાય છે તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્ત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. 

ભમરી પાસેથી બોધ ગ્રહણ કરવામાં આવ્યો કે ભમરી કોઈ કીડાને લઇ જઈને દીવાલ પર બંધ કરી દે છે. બહારથી વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ પોતાનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યાં વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.

અંતમાં ગુરુ શ્રી દત્તાત્રેયજી દ્વારા કહેવાયું કે આ પ્રમાણે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે.  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. (સમાપન) 

મધમાખી અને મધને લૂંટનાર લાલચુ બંને આપણા ગુરુઓ છે

કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં…પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરવું.  

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ગુરુઓની શૃંખલાને આપણે જાણી રહ્યા છીએ ત્યારે, આજે ગુરુ દત્તાત્રેયજી કોનો પરિચય કરાવે છે તેની પ્રતીક્ષા કરીએ.  

સમુદ્રને પોતાના ગુરુ માનવા  પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું. 

નાનકડા દેખાતા પતંગિયાને પણ ગુરુ માનવું  રહે છે. જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી જાય છે તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવ માયારૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ઘોર લપમાં પડે છે. કંચન, કામિની, આભૂષણ, વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે. મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનું વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયા ની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે.

ભમરો અથવા ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે એ જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી થોડું થોડું અન્ન અનેક ઘરેથી લાવે છે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઇ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ થતો નથી, જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે કુશળ મનુષ્યએ નાના મોટા શાસ્ત્રોનું સારતત્ત્વ  ગ્રહણ કરવું અને વિવાદ ન કરવો.

આપણે જેને મધમાખી કહીએ છીએ એ મધુમક્ષિકા પણ આપણી ગુરુ છે. સાધુએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખવું પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું કારણકે ઉદરપોષણથી અતિ સંગ્રહ કરનાર મધમાખીની જેમ સાધુનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં.

હવે હાથીનું ઉદાહરણ સમજાવવા માટે બે શ્લોકને શરણે ભગવાન દત્તાત્રેય જાય છે. હાથી પાસેથી જ સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લેવો જોઈએ. સન્યાસીએ સાવધાન રહી લાકડાંથી બનાવેલી સ્ત્રીની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો. અન્યથા હાથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય તેમ બંધનમાં બંધાઈ જવાય છે. એક જગ્યાએ હાથીને પકડવા માટે ઘાસના તણખલાથી ઢંકાયેલા ખાડા ઉપર કાગળની હાથણી ઉભી રાખવામાં આવે છે, તેને જોઈને હાથી ત્યાં જાય છે અને હાથણીને પામવા જતા ખાડામા પડીને ફસાઈ જાય છે.

મધમાખીની વાત કરી તો મધ લૂંટી લેનારા લાલચુ પણ આપણા ગુરુ છે. લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે, ન ઉપભોગ પણ કરે છે. જેની સંપત્તિને બીજો જ કોઈ ભોગવે છે. જેમકે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતા તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઇ લેવામાં આવે છે, તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે. મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલા જ લૂંટનારો મધ લઇ જાય છે. તે જ પ્રમાણે ગુરહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને તેમનાથી પહેલા સન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે કારણકે ગુરહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે.

હરણ પાસેથી બોધ મળે છે કે જંગલમાં રહેતા સન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયના ગીત ન સાંભળવા. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. હરણીના ગર્ભથી ઉતપન્ન થયેલા ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીઓના નાચ ગાન વગેરે સાંભળીને  તેમનામાં આસક્ત થઈ ગયેલા અને તે સ્ત્રીઓના હાથની કઠપુતળી બની ગયા હતા આ વાત સર્વવિદિત છે.

જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે તે જ પ્રમાણે સ્વાદઘેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરી જાય છે, કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઈંદ્રિયો ઉપર તો ખુબ ત્વરાથી વિજય મેળવી લે છે. પરંતુ તેનાથી તેની રસનેન્દ્રિય વશમાં આવતી નથી તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બને છે.

એક ટીટોડી નું દ્રષ્ટાંત આપતા કહેવાયું કે ટીંટોડી  પણ આપણો  ગુરુ છે એ ટીટોડી ને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના પર તૂટી પડયા. ટીટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ. આનાથી સાર એવો નીકળ્યો કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ આપવા બરાબર છે. જે રીતે બાળક પોતાનામાં જ રમે છે તેને કોઈ ચિંતા થતી નથી એમ આપણે પણ માત્ર આત્મ આનંદમાં  મગ્ન રહેવાનું છે. સંસારમાં બે વ્યક્તિ જ ચિંતામુક્ત છે,  એક તો જે અણસમજુ બાળક છે તે અને બીજો જે ગુણાતીત છે તે. આ બંને પરમ આનંદના માર્ગીઓ છે. અહીં બાળક પણ આપણા માટે  ગુરુસ્થાન પ્રાપ્ત કરે છે.

બાણ બનાવનાર પાસેથી પણ બોધ લઇ શકાય. આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખુબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવી દેવું. જયારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં  મન સ્થિર થઈ જાય છે ત્યારે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે રજોગુણ, તમોગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ હોય છે તેમ. સર્પ માંથી એવો બોધ મળે છે કે કોઈ પણ સાધુ વ્યક્તિએ સર્પની જેમ એકલા જ રહેવું, મંડળ ન બનાવવું, રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું. પોતાના આહકાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો અને મિતભાષી રહેવું. હવે અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી શકે છે. (ક્રમશઃ)

અહો આશ્ચર્યમ !! કબૂતર અને અજગર પણ આપણા ગુરુ??

કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે.

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ગુરુપૂર્ણિમા પર્વનું સ્વાગત કરવા માટે આપણે શાસ્ત્રસિદ્ધ ગુરુઓનો મહિમા કરી રહ્યા છીએ. ગુરુ દત્તાત્રેયજીએ ચોવીસ ગુરુઓ કરેલા એ વાતથી તો આપણે વિદિત છીએ પણ આપણને પ્રશ્ન છે કે ચોવીસ ગુરુઓ અને એ પણ પાછા રોજબરોજના જીવનમાં આપણને સામે મળતા જીવો આપણા ગુરુ ?? હા, આપણી આ મૂંઝવણને સ્પષ્ટ કરવા આપણે ચાર લેખોની આ લેખમાળામાં એ ગુરુઓ અને તે કેમ ગુરુઓ ?? તે જાણી રહ્યા છીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગેની  વાત દત્તાત્રેયજી કરી રહયા છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં, અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. 

કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

અજગરનું દ્રષ્ટાંત ત્રણ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. યોગીની જેમ આપમેળે જે ભોજન મળે તે ખાઈને સંતુષ્ટ રહેવું. તે ભોજન ચાહે મધુર હોય, રસહીન હોય, ઓછું હોય કે વધારે હોય. અજગરની જેમ જીવનનિર્વાહ કરી લેવો અને ઉદાસીન રહેવું. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે પ્રયત્ન ન કરવો. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડયા રહેવું. મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિકબળ આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે તે અજગર છે. (ક્રમશઃ)

ગુરુ મહિમાના માસમાં આવો, ચોવીસ ગુરુઓને ઓળખીએ

ગુરુ દત્તાત્રેયજીના ચોવીસ ગુરુઓને  આપણે  પણ ગુરુ બનાવવા જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

સામાન્ય રીતે જુલાઈ મહિનામાં   ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ ઉજવાતું હોય છે. ‘ગુરુ જ પૂર્ણ છે’ તેની પ્રતીતિ રૂપે પણ આ ગુરુ-પૂર્ણિમા આપણને હૈયે વસેલી છે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં અનેક ગુરુઓએ આપણો  માર્ગ ચીંધ્યો છે. પણ આપણે તો  શાસ્ત્ર ઇંગિત ગુરુઓની અહીં ઓળખ મેળવવી છે. આપણે ચાર લેખમાં એ પરિચય-વિહાર કરીશું. 

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણી  લેખમાળાનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા તેમણે કહ્યું કે અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ આવા જ પરોપકારની ભાવના શીખી શકાય છે.

વાયુના સંબંધમાં એમ કહેવાયું કે વાયુ જે રીતે સર્વત્ર જાય છે. પરંતુ જે ક્યાંય આસક્ત થતો નથી. ગંધ લે છે અને છોડી દે છે. ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણદોષથી તે અસંગ જ રહે છે તે જ પ્રમાણે યોગીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણદોષથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ એટલે કે તેનામાં આસક્ત ન થવું જોઈએ. ક્યાંય પણ ગુણદોષમાં લપેટાવું જોઈએ નહીં. 

આકાશને ગુરુ તરીકે સ્થાપિત કરવા અંગે  દત્તાત્રેયજી બે શ્લોકનો આધાર લે છે. જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વ વ્યાપક છે તે જ પ્રમાણે આકાશ બ્રહ્મ સ્થાવર જંગમ બધા જ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વ વ્યાપક છે. અર્થાત અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે પરંતુ આકાશ તેમાંથી નિર્લિપ્ત છે. 

જળ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ છે તેથી મનુષ્યોને પવિત્ર કરે છે, આ પ્રમાણે જ કોઈ પણ મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે તે સર્વને પ્રિય હોય છે. 

અગ્નિનું ઉદાહરણ આપતા કહે છે કે પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઇ જાય છે તે જ પ્રમાણે જે જિતેન્દ્રિય કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે ક્યાંક અપ્રગટ હોય છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે. અગ્નિ બધા જ લાકડામાં વ્યાપ્ત છે. જે આકારનું લાકડું હોય તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અને અસત બધા જ પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે તે રૂપમાં દેખાય છે.

હવે ચંદ્રમાને ગુરુ શા માટે ગણે છે ? કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે અને વધે છે તે જ પ્રમાણે શરીરની ઉત્પતિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે. જેનો આત્મા સાથે કોઈ સબંધ હોતો નથી. આમ તમારે કાળની કળા પ્રમાણે તમારી કળાને ગોઠવવી પડે છે.

સૂર્યના દ્રષ્ટાંત  માટે બે શ્લોકમાં વાત કરવામાં આવી છે. જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે. પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી. તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. સૂર્ય તો એક જ છે પરંતુ ચલ, અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય. સૂર્યના દ્રષ્ટાંત દ્વારા તૂટસ્થ આત્માને અખંડ સમજવાની જરૂર છે.

 અજગરનું દ્રષ્ટાંત ત્રણ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. યોગીની જેમ આપમેળે જે ભોજન મળે તે ખાઈને સંતુષ્ટ રહેવું. તે ભોજન ચાહે મધુર હોય, રસહીન હોય, ઓછું હોય કે વધારે હોય. અજગરની જેમ જીવનનિર્વાહ કરી લેવો અને ઉદાસીન રહેવું. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે પ્રયત્ન ન કરવો. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડયા રહેવું. મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિકબળ આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે તે અજગર છે.

સમુદ્રને પોતાના ગુરુ માનવા  પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું. (ક્રમશઃ)

દિવ્યાંગની તારુણ્યની તાસીર પારખી લેવી પડે

આપણા દિવ્યાંગ સંતાનને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે  નાના નાના શબ્દોમાં, મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ. 

ભદ્રાયુ  વછરાજાની                                bhadrayu2@gmail.com 

દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ  તો  એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.

પહેલી વાત એ આવીને ઊભી રહે કે આપણે આપણા દિવ્યાંગ તરુણ કે તરુણીને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે  નાના નાના શબ્દોમાં, નાના નાના મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ. એને મારી વાત પહોંચશે કે નહીં તેની ચિંતા કર્યા વગર આપણે એને કહેતા રહીએ કે આવું બનશે શરીરમાં જે  જીવવૈજ્ઞાનિક ઘટના હોય છે. આ સમયે આપણે એને ઉદાહરણ આપીએ. ઘરમાં કોઈ બીજું બાળક હોય તો એ કેવી રીતે મોટું થયું અથવા આપણા સંતાનનો કોઈ મિત્ર હોય તો આપણે એના તરફ અંગુલી નિર્દેશ કરીને કહી શકીએ કે,  “જો આ હિતેશ, તેં  જોયું  ને કેટલો નાનો હતો અને હિતેશ ધીમે ધીમે મોટો થતો જાય છે. હિતેશનો અવાજ તીણો હતો ને હવે ઘોઘરો થતો જાય છે. હિતેષના ચહેરા ઉપર નાના નાના મૂછના વાળ ફૂટતા જાય છે. આ બધી બાબતની તું નોંધ લે તો તને ખ્યાલ આવશે કે હવે તું પણ મોટો થઈ ગયો છો. અને તું મોટો થયો છો એટલે તારા શરીરમાં અંદરથી આવા ફેરફાર થવાના છે,  થઈ રહ્યા છે. આ ફેરફારથી ડરવાની જરૂર નથી. બધામાં થાય, મમ્મીમાં થયા છે, પપ્પામાં થયા છે, દાદામાં થયા છે. દાદા દાદી આજે કેમ વૃદ્ધ બન્યા ? એના શરીરમાં ફેરફાર થયો એટલે .. તું પણ એમાંથી પસાર થવાનો છો. બેટા, આ તો આનંદનો વિષય છે હો…!” 

બીજી વાત..આપણે એના બદલાતા સંવેગો વિશે પણ થોડા સતર્ક બનીએ. અત્યાર સુધી એ આપણી આંગણી પકડીને ચાલનાર અથવા આપણે જ્યાં લઈ જવા ઈચ્છીએ ત્યાં સાથે જોડાઈ જનારું સંતાન હતું. પણ હવે એમને ક્યાંક નથી આવવું. હવે એમને પોતાની પસંદગીની જગ્યાએ જ જવું છે. હવે એને તમારી આંગળી પકડવી ગમતી નથી. આ બાબતની આપણે નોંધ લેવી પડે અને એનો આપણે હકારાત્મક સ્વીકાર કરવો પડે. ‘તું બગડી ગયો છે’ અથવા ‘તું હવે ધ્યાન નથી આપતો, તને બેટા હવે મમ્મી ગમતી નથી, તને અમે લોકો હવે સારા નથી લાગતા..’ આવા વ્યંગાત્મ્ક વિધાનો માતાપિતા કરતા હોય છે, જે ન જ કરવાં જોઈએ. આવા વિધાનો તો સંતાનને દુઃખી કરશે અને તે તમારાથી વધુ દૂર થતું જશે. ખાસ ખ્યાલ રાખજો કે આ પ્રકારના સંવેગોના બદલાવને હકારાત્મક રીતે સ્વીકારીને એને ટૂંકા શબ્દોમાં મુદ્દાસર કહેતા પણ રહેવું. એને તમારી સાથે ન આવું હોય તો તમે એના માટે દુરાગ્રહ ન કરશો. એમને હવે પૂછવું પડશે તમારે કે,… ‘તો તારે હવે શું કરવું છે ?’  જુઓ કિશોરાવસ્થા સુધીનું બાળક  આપણે જ કાંઈ કરતા હોઈએ તેનું  હંમેશા નિરીક્ષણ કર્યા કરે છે અને તેને જે સૂચના આપીએ તેનું તે અનુસરણ કરે છે. પણ કિશોરાવસ્થા પછીનો જે ગાળો છે તરુણાવસ્થાનો, એ ગાળામાં એ અત્યાર સુધી કરેલા નિરીક્ષણોમાંથી પોતાનું એનાલિસિસ શરૂ કરે છે, પોતાનું પૃથ્થકરણ શરૂ કરે છે. એમાંથી મને શું ગમ્યું અને શું ન ગમ્યું એ નક્કી કરવાનો સમય તે  આ તરુણાવસ્થા છે. જુઓ, શારીરિક ફેરફાર થાય છે, સાંવેગિક ફેરફાર થાય છે, લાગણીના ફેરફારો થાય છે,  અનુકૂલનના ફેરફારો થાય છે. આ બધું એ અનુભવી રહેલ  છે પણ સમજતો નથી કારણકે આપણા સંતાનને આ આખી જીવવૈજ્ઞાનિક ઘટના કોઈ સમજાવતું જ નથી એટલે એને તો પોતાના શરીર સાથે કોઈ જાદુ થઈ રહ્યું હોય એવું લાગે છે અને પરિણામે તે હવે ડિસ્ટર્બ રહે છે. આપણને થોડું એમ લાગ્યા કરે છે કે હવે એ પોતે એરોગન્ટ બની ગયો છે, હવે એ મોટો થઈ ગયો એવું દેખાય છે, આપણું કહ્યું માનતો નથી. વાત સાચી તમારી,  પણ એવું નથી,  એ મૂંઝાય છે. એને અંદર જે ફેરફાર થઈ રહ્યા છે તે  ફેરફારના આધારે એને બહાર કશુંક ગમે છે તો કશુંક નથી ગમતું, એને હવે આ ખાવું છે અને પેલું નથી ખાવું, અત્યાર સુધી એ ચોઈસ વગર તમે જે આપો તે ખાતો… આવા જે બદલાવ છે એ બદલાવ પ્રત્યે તિરસ્કાર આપણાથી ન જ થાય તેની કાળજી રાખીએ. આ બદલાવનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ, એને શાબાશી આપીએ.. ‘વાહ બેટા,  તું તો મોટો થઈ રહ્યો છે,’ ‘મારી દીકરી છે તો  હવે મોટી થવાની છે,બહુ જ સુંદર..’  આટલું કહીને એ સંતાન તમારી પાસે જે  ઈચ્છા પ્રગટ કરી રહ્યું છે એના હકારાત્મક અને નકારાત્મક પાસાં  બંને  એમની સામે મૂકી દો, સમજાવી દો, “ચોક્કસ તું કહે છે એમ કરીએ,  પણ તને ખબર છે ને કે એમાં તને આમ થશે,” પહેલા હકારાત્મક પાસા મુકજો,  બહુ મજા આવશે તે ને…’બધા સાથે હળવા મળવાનું થશે.. તું કેટલાયને નથી ઓળખતો એને તું ઓળખી શકીશ’ .. “તારે એકલા જવાનું થાય તો તો મમ્મી પપ્પા ખુબ રાજી થશે. બેટા સાથોસાથ તારે બહુ કાળજી રાખવી પડશે. અમે નહીં હોઈએ તો તારે તારા વર્તનમાં અને બધા જ પ્રકારના જે તોફાનો તું કરે છે ને એમાં તારે બરાબર ધ્યાન રાખવું પડશે. તું તારી  કાળજી રાખીશ ને ? હા, એમ કરવાથી કદાચ તું પડી જા, તને વાગી જાય એવું પણ બને. પણ કાંઈ વાંધો નહીં, વાગે એ તો…, વાગે.” 

જો આપણે એમને હકારાત્મકતા તરફ ફેરવવાનાં જ  હોય તો આપણા દિવ્યાંગ તરુણને અને તરુણીને પહેલા આપણે સ્વીકારીએ. હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું  સ્વાગત કરીએ. અને પછી આપણે ધીમેક રહીને એને જે બંને પાસા કહેવા છે એ કહીએ અને પછીની ચોઈસ શું નક્કી કરવું તે તેની ઉપર છોડીએ. પછી એને થોડે અંશે એ નક્કી કરે તે કરવા દઈએ. કરવા દઈએ તો પછી એને અનુભવ થશે અને તો એ નક્કી કરશે કે મેં આ કર્યું હતું એ સાચું હતું કે ખોટું હતું ??. ફરીવાર હું આવું કરું કે ન કરું??, મમ્મી પપ્પા જે કહેતા હતા એ સાચું હતું કે ના મેં નક્કી કર્યું હતું તે સાચું?? . Let him decide આ બહુ મહત્વની વાત છે. 

હું માનું છું કે તરુણાવસ્થાના ઘણા પ્રશ્નો એ પ્રશ્નો નથી, પણ  એની અંદર થઈ રહેલા ફેરફારોની અસર છે. જેમ મને ને તમને ખ્યાલ છે કે બહેનો છે એ મેનાપોઝમાંથી જયારે પસાર થાય છે ત્યારે એના શરીરમાં ફેરફાર થાય છે, એના સ્વભાવમાં ફેરફાર થાય છે, એનો સ્વભાવ થોડો ચીડિયો બને છે. એવા જ આ ફેરફારો છે. જેમ પેલા ફેરફારોનું સ્વાગત તેમ આ ફેરફારોનું પણ આપણે પૂરા હૃદયથી સ્વાગત કરતા શીખીએ.

જે સંતાનને ઈશ્વરે “વિશિષ્ઠ બાળક” તરીકે જન્મ આપ્યો તે દિવ્યાંગ

આપણે તેને આવકારીએ, હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું સ્વાગત કરીએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

‘દિવ્યાંગ’ કેટલો સુંદર શબ્દ છે આ…. વર્ષો પહેલા આપણે ‘ખોડખાપણ’ એવો શબ્દ વાપરતા પછી આપણે ‘વિકલાંગ’ એવો શબ્દ વાપરવા લાગ્યા અને હમણાં હમણાં છેલ્લા દશકથી આપણે ‘દિવ્યાંગ’ એવા શબ્દનો આવિષ્કાર કર્યો છે. બહુ જ ઉત્તમ શબ્દ છે આ અને એનો અર્થ બહુ સીધો છે :  જેમના અંગ વાંકાચૂકા નથી, જેમની માનસિકતા અલ્પ વિકસિત નથી, જેમની પ્રવૃતિઓ મુશ્કેલ લાગે તેવી નથી પરંતુ જેમના અંગો, જેમનું મન અને મનની પ્રક્રિયાઓ અને જેમની પ્રવૃતિઓ દિવ્ય અંગ દ્વારા થઈ રહેલ  છે એને દિવ્યાંગ કહેવાય. 

ઈશ્વરે વિશિષ્ઠ બાળક તરીકે મારા અને તમારા સંતાનને જન્મ આપ્યો હોય ત્યારે દિવ્યાંગ કહેવાય છે. આ તો બહુ સીધી વાત છે.  જેમ માણસનું ઘડતર થાય ત્યારે પરમાત્મા એકસરખી ક્ષમતા બધામાં મૂકે. પછી આપણામાંથી કોઈ એ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરે અને વિકાસ કરે અને કોઈ ક્ષમતાનો ડબ્બો ખોલે જ નહીં અને જેવા આવ્યા હતા એવા ને એવા પાછા જાય.  આ બે શક્યતાઓ છે. એવી જ રીતે ઈશ્વરે જે દિવ્યાંગ સર્જ્યા છે તેને પોતાના ખાસ આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ શા માટે ? ઈશ્વરે કહ્યું બીજા લોકોને તો મેં  બધું આપ્યું છે અને એ બધું કરવાના છે, કરી રહ્યા છે પણ લે મેં તને દિવ્ય અંગો આપ્યા અને દિવ્યાંગોની હાજરીથી હું તારી ભેગો રહીશ. હવે તું જગતને જીતી બતાવ. ચાલ, મારી આંગળી પકડ…. આ દિવ્યાંગ છે.

 

વિચારવાનું એ છે કે જો ઈશ્વરે આ પ્રકારનું સર્જન કર્યું તો આ દિવ્યાંગ સંતાનો મુશ્કેલી કેમ અનુભવે છે ? જે વસ્તુ આપણે લોકો નોર્મલી કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પ્રવૃત થઈ શકીએ છીએ તે આ દિવ્યાંગ કેમ નથી કરી શકતા ? કેમ નથી સમજી શકતા ? એ આપણને મૂંઝવતા  પ્રશ્નો  છે. સમજવા જેવી સરસ વાત એ પણ છે કે આપણા ઘરમાં દિવ્યાંગ બાળક આપીને ઈશ્વરે આપણને પણ એમના ઉત્તમ સર્જન સાથે જોડી આપ્યું છે. અને પરિણામે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે દિવસમાં ઘણી વખત ઈશ્વરને યાદ કરીએ છીએ,,,જયારે આપણા દિવ્યાંગ સંતાન સામે આપણી નજર પડે છે !!  કેવું વિચક્ષણ સર્જન છે ! જેને બધું આપ્યું છે છતાં બધા માટે એણે ખાસ મહેનત કરવાની છે. એને કોઈ વસ્તુ સરળ નથી, એને કોઈ વસ્તુ સામે નથી, સામે હોય તે તેના હાથમાં નથી, હાથમાં હોય તે તેના મોઢામાં નથી પરંતુ એ દરેક સ્થાને પહોંચાડવા માટે આ બાળકે  ખુબ મહેનત કરવાની છે. એ મહેનત કરાવનાર એના સાથીદાર તરીકે,  એના સારથી તરીકે ઈશ્વરે આપણને મૂક્યાં છે. બરાબર સમજી લઈએ.   માત્ર શારીરિક દિવ્યાંગ હોવું એ દિવ્યાંગતા નથી.  આપણા રોજબરોજના જીવનમાં આપણે  ભણેલા ગણેલા ને મોટું સ્થાન ધરાવતા હોય માનસિક દિવ્યાંગોને  જોયા છે. શક્તિ હોય તેનો અર્થ એવો નથી કે તે જોઈએ ત્યારે કામ લાગે. મહાન ધનુષવિધ અને મહાભારતનું કેન્દ્રનું પાત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણના શિષ્ય  અર્જુનને પણ જો માનસિક હતાશા શરીરના અંગોને લુલા બનાવી દે, પાંગળા બનાવી દે એવી સ્થિતિમાં મુકતા હોય તો મારું અને તમારું સંતાન અર્જુન છે એમ માનીને એનો આપણે સ્વીકાર કરવો પડે.

ત્રણ મુદ્દા આપણા દિવ્યાંગ સંતાન માટે આપણે બરાબર માનસપટ ઉપર કોતરી રાખવા જોઈએ. 

પહેલો મુદ્દો એ ઈશ્વરે આપેલી ભેટ છે. કહોને ઈશ્વરના એ ઓટોગ્રાફ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે,  ‘દરેક બાળક જન્મે છે એ એની સાબિતી આપે છે કે હજુ ઈશ્વરને આપણાંમાં શ્રદ્ધા છે પરિણામે એ પોતાનું સર્જન આપણા હાથમાં સોંપી દે છે.’ એટલે આપણે એનો સ્વીકાર કરવાનો છે. 

બીજો મુદ્દો એ એનો જેવો છે તેવો સ્વીકાર કરવાનો… અર્થ જ એ કે તેનું પુરા હૃદયના ઉમળકાથી સ્વાગત કરવાનું છે. દરેક પળે એ જયારે જયારે ઠેસ ખાય ત્યારે, એને જયારે જયારે ઠોકર વાગે ત્યારે, એ જયારે જયારે પ્રવૃત થઈને પ્રવુતિ ન કરી શકે ત્યારે શબ્દથી, લાગણીથી, હાવભાવથી, બોડીલેંગ્વેજથી આપણે એનું કાયમ સ્વાગત કરવાનું છે. એ એક ક્ષણ પણ હલે છે, ચલે છે કે આગળ વધે છે એ ઈશ્વર તરફનું એવું ડગલું છે એમ માનીને એનું સ્વાગત કરવાનું છે. 

અને ત્રીજો મુદ્દો ઈશ્વરે આ સંતાન આપણા ઘરમાં આપ્યું છે એટલે એણે પોતાના સભાગૃહના સદસ્ય તરીકે આપણને પસંદ કર્યા છે. એમ કહોને કે લોકસભામાં ૫૦૦ થી વધુ મેમ્બર બેઠા હોય એમાંથી વડાપ્રધાન આપણને કોઈ મંત્રીપદ આપે તો એણે વિશિષ્ઠ કેટેગરીમાં આપણને પસંદ કર્યા કહેવાય…એમ ઈશ્વરે પોતાના દરબારમાં આપણને વિશિષ્ઠ સ્થાન આપવા માટે આ બાળકને આપણે ત્યાં મોકલ્યું છે.  એટલે આપણે ત્યાં કાયમ માટે એનો સત્કાર કરવાનો છે. સત્કાર એટલે આવકાર માત્ર નહીં, એમના જીવનની એક દિશા પ્રાપ્ત થતી જાય એવી રીતે એની સાથે ને સાથે રહેવાનું છે.

દિવ્યાંગ બાળકોને ઉછેરવા સહેલાં  છે એવું હું કહેવા નથી લાગતો, કહી શકું પણ નહીં. પણ ઈશ્વરે આપણા માટે અઘરું પેપર કાઢ્યું છે.  એને  ખબર છે કે આ ઉકેલી શકે એવા મા-બાપ છે. ગણિતના અઘરા દાખલ ઉકેલવા માટે ટેવાયેલ મા બાપ છે એટલે અઘરું પેપર કાઢ્યું છે. એમાં પણ આ બાળક જયારે મોટું થતું જાય અને તારુણ્યની તાસીર અનુભવતું જાય ત્યારે આપણી સામે બહુ મોટો પડકાર આવે છે. આ પડકાર આપણને મૂંઝવે છે. આ પડકાર આપણને નિરાશ કરે છે, આ પડકાર આપણી સામે મોટો પ્રશ્નાર્થ રજૂ કરે છે કારણ આપણા એ દિવ્યાંગ તરુણ કે તરુણીને શું જોઈએ છીએ તે એ અભિવ્યક્ત નથી કરી શકતા. બીજું,  અભિવ્યક્ત કરે તો એને સમજી આપણે નથી શકતા,.ત્રીજું,  આપણે સમજી શકીએ તો એના જવાબરૂપે આપણે કશું નક્કર પરત નથી કરી શકતા. આ ત્રણ જે સ્પીડબ્રેકર્સ છે એ આપણા તરુણ કે તરુણી દિવ્યાંગ સામેના બહુ મોટા પ્રશ્નાર્થો છે, આપણી મૂંઝવણ છે, આપણી ચિંતા છે.

પણ મૂંઝવણને મૂંઝવણ તરીકે જોવાથી એ હલ નહીં થઈ જાય. આપણે ઘડાવું પડે, આપણે આપણી માનસિકતા, આપણી સાંવેગિકતા અને આપણી ચપળતા ત્રણ  વાતોને ભેગી જોડવી પડે. કેવી રીતે જોડી શકાય એ તમે સૌએ અનુભવ્યું પણ હશે. હું વિશેષ વાત કહીશ એવું કંઈ નથી પણ હું અને તમે જે કરી રહ્યા છીએ એની તરફ જોવાની આપણી એક દ્રષ્ટિને હું ચોખ્ખી કરવા માંગુ છું. શક્યતા છે કે આપણી આંખમાં ધીમે ધીમે મોતિયો આવ્યો હોય અને મોતિયાને લઈને આપણે  દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ  તો  એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.

 

‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં

રોહીન્ટન નરીમન કેરાવાલાએ નવ વર્ષ લડત આપી પણ સાવ સહજ ભાવે,,જાણે કાંઈ બન્યું જ નથી !!
******************************************************************
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
==========================================================

અસહાય પરિસ્થિતિમાં માણસ આનંદીત રહી શકે ખરો ? લગભગ ૯ વર્ષ હાથ-પગ ચલાવી ન શકાય, ૫૦ વર્ષની ઉંમરથી ૫૯ વર્ષની ઉંમર સુધી નર્સીગ સ્ટાફની મદદથી બધા જ સંદેશ વ્યવહાર કરવાના , અરે, આજે શું ખાવું છે તે ઘર આખા માટે નક્કી કરવાનું તેમજ બધા સાથે ફોન ઉપર વાત કરવાની અને આ પાછો નિયમિત ક્રમ !! શક્ય છે ?? નહીં ને,, પણ રોહીન્ટન માટે આ બધું સહજ હતું. આવૈ લાગશે પણ, દિવસમાં બે થી ત્રણ સારા પિક્ચર જોવા અને અગત્યની સિરીયલો જોવી એ પણ એનો નિત્યક્રમ હતો.

નાની ઉંમરમાં બે’ક વર્ષની ઉંમરે તેને મેનેન્ઝાઈટીસ થયો અને પરિણામે અભ્યાસમાં વિઘ્ન આવ્યું , છતાં તે મહેનત કરીને એસ.એસ.સી. પસાર થયો. આ શક્ય બન્યું કારણ કે એમના માતુશ્રી વ્યવસાયે શિક્ષક હતા અને તેથી એમને મૂળભૂત વાંચવા, લખવા અને સમજવાની જરૂરીયાત તો મારા પાસે જ પુરી થાય. ડાબા પગમાં ચાલવાની થોડી તકલીફ રહી ગયેલી. અમદાવાદના અંધજન મંડળમાં સેવાભાવ કર્યો અને થોડો હુન્નર શીખ્યો ત્યારે આનંદ અને ઉલ્લાસ સાથે એવા પ્રજ્ઞાચક્ષુઓ સાથે તેણે મૈત્રીના સંબંધ કેળવ્યા. તે પરગજુ એટલો કે પોતાની પાસેથી કોઈ નાની વસ્તુ કોઈને ગમે તો તુર્ત જ તે આપી દેતો.

લગભગ ૪૮ – ૪૯ વર્ષની ઉંમરે તેના પગમાં અને હાથમાં તાકાત ઓછી થવા માંડી. તપાસ કરતાં માલુમ પડયું કે મેનેન્ઝાઈટીસની પગને જે અસર થયેલી અને કરોડરજ્જુનો જે સ્તંભ હોય તે ધીમે ધીમે ખવાઈ ગયો. હવે ધીમે ધીમે હલનચલન મુશ્કેલ થવા માંડયું. સ્વાભાવિક રીતે તેમના માતુશ્રી અને બહેનને ચિંતા થવા લાગી અને ભારતના નિષ્ણાંત ડોક્ટરને પણ આ અંગે પુછવામાં આવ્યું તો એમ.આર.આઈ. દ્વારા જાણવા મળ્યું કે આનું ઓપરેશન તો લગભગ અસંભવ છે અને તે બધું ખોલવા જતાં બાકીની ચેતનાઓ પણ ગુમાવી દેવાય એવું બને અને ભય રહે કે વ્યકિત જીવીત ન રહે.

ભગવાને આપણા શરીરની એવી સુંદર રચના કરી છે કે કરોડરજ્જુ અને મગજ દ્વારા આપણા શરીરના દરેક અંગોને સૂચના મળતી હોય છે. રોહીન્ટનની હાથપગ ચલાવવાની શકિત ક્ષીણ થવા માંડી અને એક તબક્કે એવી પરિસ્થિતિ આવી કે અમદાવાદની સ્ટર્લીગ હોસ્પીટલમાં શ્વાસ લેવાની તકલીફ માટે ઈમરજન્સી રૂમમાં તેને દાખલ કરવામાં આવ્યો. ઈમરજન્સી ટીમના વડા ડૉ.પ્રતિભા દિલીપ અને તેમની ટીમે ત્રણ-ચાર દિવસ પછી કુટુંબને કહ્યું કે તેના ગળામાં એક સાધન બેસાડવું પડશે કે જેના દ્વારા એ વાત કરી શકે. ધીમે ધીમે ઓક્સીજન દ્વારા ફેફસાંમાં સતત શ્વસનતંત્રને ધબકતું કરવાનું શક્ય બન્યું. આ પધ્ધતિને મેડીકલ ભાષામાં ટ્રેકીયોસ્ટોમી કહેવામાં આવે છે અને એક બાયપેપ મશીન દ્વારા શરીરમાં ઓક્સીજન જાય અને તેને પરિણામે વ્યકિત શ્વસનતંત્ર ચાલુ રાખી શકે. તેમના માતુશ્રી અને બહેન દ્વારા ૨૪ કલાકનો વારાફરતી નર્સીગ સ્ટાફ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે ઓક્સીજનની જરૂર ઓછી થતી ગઈ અને બોલવાનું પણ વધવા માંડ્યું. જો કે, ડોક્ટર્સ એવું માનતા હતા કે એક ફેફસાંમાં અસર થઈ હોવાથી અને હાથપગ ન ચાલતા હોય લાંબો સમય આ દર્દી કાઢી શકશે નહીં.

રોહીન્ટનની જવામર્દીની વાત હવે શરૂ થાય છે. એમણે આનંદથી અસહાય પરિસ્થિતિમાં પોતાની રીતે દુઃખમાં મોજ માણી અને જીવન પસાર કર્યું. આ નવ વર્ષમાં કોઈપણ દિવસ એમણે કોઈ કાગારોળ મચાવી નહી અને કોઈ નિરાશા કે અફસોસ કર્યો નહીં. તેમનાથી પથારીમાં પણ હલનચલન થઈ શકાતું ન હતું. કોઈને કોઈ ફિઝીયોથેરાપીસ્ટ નિયમીત રીતે એમને હાથપગની કસરત કરાવવા આવતા હતા તેની સાથે પણ હસતાં હસતાં એ બધું કરતા. દરરોજ તેમના બેન પુછે કે આજે શું ખાવું છે તો એ એની ફરમાઈશ કરે. બધું ખાવાની છૂટ હતી પણ કોઈએ ખવડાવવું પડતું. જો કોઈનો સવારનો ગુડ મોર્નીગનો મેસેજ અથવા ફોન ન આવે તો એ સામેથી કહેતા કે ‘ગુડ મોર્નીગ કેમ કર્યું નહીં ?’. તેમનું કામ ઘડીયાળના ટકોરે ચાલતું અને સમયસર એમનું શરીર સાફ કરવામાં આવતું. સમયના ટકોરે ફિઝીયોથેરાપી અને ભોજન લેવામાં આવતાં અને પછી થોડો આરામ કરીને હિન્દી અને સબટાઈટલવાળા બીજી ભાષાના પિક્ચરો પલંગમાંથી જ જોવાનાં. એમને ફિલ્મી સંગીતનો અને ખાસ કરીને કિશોરકુમાર તથ્ય અન્ય કલાકારોના ગીત સાંભળવાનો એટલો શોખ હતો (કે તેમના નિધન બાદ તેમનો ફિલ્મ-સંગીતનો સમગ્ર સંગ્રહ જયારે એક વિડીયો – ઓડીયો લાયબ્રેરી ચલાવતા ભાઈને આપ્યો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને એમનાથી સહજ કહેવાય ગયું કે, “વાહ દોસ્ત તું તો મારાથી આગળ નીકળી ગયો”. એમને લાગ્યું કે આ એવા ફિલ્મ સંગીતનો સંગ્રહ છે કે જે ભાગ્યે જ કોઈની પાસે મળે. આ સંગ્રહ તેમને અમે ભેટ તરીકે આપ્યો ત્યારે તેને સ્વીકારતાં તેઓ ગળગળા થઈ ગયા.)
એમને ધીમે ધીમે મોટુ સ્કીન અને હેડફોન પણ આપવામાં આવ્યા. દર દોઢ – બે મહિને ટ્રેકીયોસ્ટોમી બદલવાવાળા ડોક્ટર આવે તો તેને નાસ્તો કરાવ્યા વગર તે જવા ન દે. તેમના માહરૂકબેને ઓફિસે જવું કે નહીં તેની અસમંજસમાં હતા ત્યારે તેમને કહ્યું, “જાઓ અને સાંજે સમયસર આવજો.” તેમનો ભાણો ઉર્વાક્ષ તેમને અતિપ્રિય હતો. તેને લંડન, સીંગાપોર અને દુબઈ જવું પડ્યું પરંતુ મામો-ભાણેજ નિશ્ચિત સમયે ઓડીયો – વિડીયો દ્વારા વાત કરે અને દિવસ દરમ્યાન તેમના દિલમાં જે વાતો કહેવાની હોય તે કરે અને એ વાત પછી એ ઘણા આનંદમાં આવી જાય. એમને દરેકનું હુલામણું નામ પડવાનો શોખ હતો. જ્યારે તેમને ખબર પડી કે નિયમીત કપડાં નહીં પહેરાય ત્યારે તેમણે તેમના બધાં જ કપડાં એમના નસીંગ સ્ટાફને ભેટ આપી દીધાં. એમને જે કોઈ મળવા આવે તેમની સાથે હંમેશાં વિનોદમાં રહેતા. બધાંના જન્મદિવસ એ આનંદથી ઉજવે અને કોઈ દિવસ પોતાના ભાગ્યની અને પોતાના શરીરની વાત ન કરે.

જેને આપણે ‘જીજીવિષા’ કહીએ છીએ તે તેમનામાં ભારોભાર અને ફરીયાદ નામનો શબ્દ એમના શબ્દકોષમાં જ નહીં. આ રોહીન્ટન નરીમન કેરાવાલાની સેવા – સુશ્રુષા તેમના માતુશ્રી ઝરીનબેન અને બેન મારૂકબેન કરતા. કમનસીબે એમના માતુશ્રીને પાછલી ઉંમરે અલ્ઝાઈમરનો રોગ થયો. જયારે ડોક્ટરોએ જણાવ્યું કે હવે લાંબું નહીં ખેચી શકે ત્યારે એમના માતુશ્રી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે, મારા દિકરા પહેલાં મને લઈ લેજે અને ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. બે જ વખત ભાઈ રોહીન્ટનની આંખમાં આંસુ જોયેલા તે ૧૯૯૯ માં જયારે તેમના પિતાશ્રી અવસાન પામ્યા અને ર૦૦૧ માં જયારે એમના માતુશ્રી અવસાન પામ્યા.
માતા સાથેનો દીકરાનો નાતો કેવો દિવ્ય હશે કે માતાની વિદાય પછી બરાબર એક અઠવાડીયા પછી રોહીન્ટને દુનિયાથી વિદાય લીધી.
આ વ્યકિતનો નવ વર્ષનો સંઘર્ષ જે લોકો માંદા હોય અને ટર્મીનલ માંદા હોય તેના માટે બોધપાઠ જેવો છે. ન કોઈ ફરીયાદ કરવી અને જીંદગી માણવી એ જવામર્દીની કહાની છે.
એ સાચું છે કે ‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં. ગંભીર માંદગી પછી તો જીવન માં વર્ષો કે દિવસો નહીં ઉમેરવાના, પણ વર્ષો અને દિવસોમાં જીવન ઉમેરાતા રહેવાનું.

‘સ્ટેટસ’નો ‘પડઘો’ સંભળાયો કે ‘દેશપ્રેમની ઋતુ’ વર્ષ આખું કેમ નહીં ?

સુરતના આદિત્ય ઝાલાની સ્પર્શીલી વાર્તાઓનું પુસ્તકઉજાસ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

સ્ટેટસ

“પપ્પા.આ વખતે મને નવી સાઇકલ લઈ દેશોને જન્મદિવસ ઉપર?”

“નવીની શું જરૂર છે? બે વરસ પહેલાં જ્યારે લીધી, ત્યારે જ મેં કહ્યું’તું કે આ સાઇકલ પાંચ વરસ ચલાવવાની છે. ખાસ એટલે તો આપણે એડજસ્ટેબલ સીટવાળી લીધી છે.”

“પણપપ્પા, મારે ગિયરવાળી લેવી છે.”

“આ બધાં નખરાં કહેવાય નખરાં. મૂળ તો પેડલ મારીને ચલાવવાની હોય સાઇકલને. સમજ્યો?” આટલું કહી નિનાદે રીટા સામે જોયું.

“ખરું ખરું આવી ગયું છે નહીં આજકાલ ! બોલો, ભાઈને ગિયરવાળી સાઇકલ જોઈએ છે…હં ! “

“આ લો, તમારો ફોન. અંદરના રૂમમાં હતો. મનનભાઈના બે મિસ્ડ કોલ છે.” રીટાએ સોફા ઉપર બેઠેલ નિનાદને ફોન આપ્યો.  ત્યાં જ ફરી રિંગ વાગી.

“લે, પાછો એનો જ છે.” કહી નિનાદે ફોન ઉપાડ્યો.

“હલ્લો.. કેમ છે બોસ… આજે બપોરે તને એટલે ફોન કર્યો હતો કે એક સમાચાર આપવાના છે. મેં આઈફોન એઈટ બુક કરાવ્યો….ના..ના  જૂનો બગડ્યો નથી, આ તો શું હાથમાં આઈફોન હોય, તો વટ પડે.”

 પડઘો

“પપ્પા,  આરુષને શું કહીને બોલાવે?”

“ચીક્કુ..દીક્કુ.” અઢી વર્ષનો આરુષ પાપડની પેલી જાણીતી જાહેરાતના સસલા જેવા અવાજમાં જવાબ આપે. 

અને પછી જોનારાં બધાં જ હસી પડે.

જ્યારથી આરુષ બોલતો થયો, ત્યારથી રોજ કાલીઘેલી ભાષામાં મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાં સાથે આવું કંઈકને કંઈક ચાલ્યા કરે અને માણસ ઘેલો આરુષ મહેમાનની હાજરીમાં તો ઓર ખીલે.

આજે તો પહેલી વાર ઇંગ્લેન્ડથી ફઈ-ફુઆ આવવાનાં હતાં. ઘરમાં તડામાર તૈયારી ચાલતી હતી. આરુષના જન્મ પછી પહેલી વાર દીકરી ઘરે આવવાની હતી, એટલે દાદા-દાદીનો ઉત્સાહ મા’તો નહોતો. આરુષના પપ્પા ઘરની સજાવટમાં લાગી ગયા હતા અને મમ્મી પણ નણંદના આગમન માટે રસોડામાં પરસેવો પાડતાં હતાં.

“ચાલો, રસોઈ રેડી. હવે હું તૈયાર થવા જાઉં.” કહેતાં કહેતાં મમ્મી બહાર આવ્યાં અને ત્યાં જ પોતાનો દડો ઉછાળતો આરુષ મમ્મી સાથે અથડાયો. મમ્મીના હાથમાં રહેલું કઢીનું તપેલું ઉલળીને પડ્યું. સદનસીબે કોઈ દાઝયું નહીં, પણ શો-કેસ ગોઠવતા પપ્પાએ ત્રા પાડી….”આરુઉઉઉષષષ…” પપ્પાનો ગુસ્સો જોઈ હેબતાઈ ગયેલ આરુષ મમ્મીના પાલવમાં સંતાઈ રહ્યો.

જેમ બીજા ઘરોમાં બનતું હોય, તેમ જ ૧૫-૨૦ મિનિટના તંગ વાતાવરણ પછી ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું. નવી કઢી પણ તૈયાર થઈ ગઈ અને ફઈના આગમનનો સમય પાસે આવતા સઘળું વિસરાઈ ગયું.

રાતે જમીને બધાં દીવાનખંડમાં વાતો કરવા બેઠાં. ફઈ-ફુઆએ આરુષ માટે લાવેલ રમકડાંની બેગ ખોલી અને સાથે સાથે જૂની નવી વાતો પણ ચાલુ થઈ.

“મોટી બેન, હવે જો હું તમને બતાવું. હું નાનો હતો, ત્યારે યાદ છે તમે મને શું કહેતાં?! હવે જોજો. હમણાં આરુષ તમને કહેશે. બેટા, પપ્પા આરુષને શું કહીને બોલાવે?” કહેતા જ પપ્પા આરુષ તરફ ફર્યા.

“આરુઉઉઉઉઉષ.” અને આરુષની ત્રાડમાં સવારનો પડઘો સંભળાઈ રહ્યો.

દેશપ્રેમની ઋતુ!

“સા’બ, લે લો ના સુબહ સે કુછ નહી ખાયા. તીસ રૂપયે મેં દો ઝંડે દે દૂંગા, લે લો ના….”

નિત્યક્રમ મુજબ એ દીકરાને નિશાળેથી લઈને ચાર રસ્તા પર પહોંચ્યો, ત્યાં ૧૨-૧૫ વર્ષના એક છોકરાએ ગાડીના કાચ ઉપર ટકોરા મારી ઉપર મુજબ ઉચ્ચાર્યું.

પપ્પા, આ તો પેલા જ અંકલ છે કે જેની પાસેથી આપણે કાચ  સાફ કરવાનું લીધું હતું. પેલું સ્પ્રેવાળું ?” ચાર વર્ષનો દીકરો ઓળખી ગયો.

“હા, બેટા લગભગ એ જ છે.”

“પપ્પા, લઈ લો ને…મને ઝંડો લેવો છે.”

દીકરાની ઇચ્છા પૂરી કરવા બાપે કાચ ઉતારી, ૩૦ રૂપિયા આપીને બે ઝંડા ખરીદી લીધા.

“પપ્પા, કેટલો સરસ લાગે છે તિરંગો!” ડેશબોર્ડ પરથી એક ઝંડો હાથમાં લેતાં દીકરો બોલ્યો.

“હા, બેટા! સાચી વાત…” સિગ્નલ ખુલ્યું, એટલે પપ્પાએ ગાડી આગળ હંકારી.

“તો હેં પપ્પા, અંકલ પાસે આટલા સરસ તિરંગા છે, તો આખું વરસ એ કેમ તિરંગા નથી વેચતા?”

 

……..આ ત્રણ વાર્તાઓ સુરતના આદિત્ય દેવાંગ ઝાલાએ પોતાના પુસ્તક “ઉજાસ” માં સમાવેલી છે. વાર્તા એ માનવજાતિની ધરોહર છે. શિયાળો હોય કે ઉનાળો કે વરસતો વરસાદ પણ વાર્તા તો બારેમાસે તાજી ને તાજી. વર્તા સમગ્ર માનવજાતિની અમાનત છે, પછી તે પંચતંત્રની હોય કે હિતોપદેશની હોય  કે સિંહાસન બત્રીસીની હોય કે વિક્રમ વેતાળની હોય કે કથાસરિત્ત સાગર હોય કે અરેબિયન નાઈટ્સ હોય કે સિંદબાદ દ સૈલર હોય કે ઈસપની બોધકથાઓ  હોય… પ્રાચીનકાળથી વાર્તાકારો વાર્તાઓ કહેતા આવ્યા છે ને લોકો સાંભળતા આવ્યા છે અને પોતાના દુઃખો ભૂલી વાર્તાનાં પાત્રો સાથે તાદાત્મ્ય સાધતા આવ્યા છે. 

ઉમાશંકર જોશીના મતે,  શોર્ટ સ્ટોરીનું અત્યારનું જે ફોર્મ છે તે અંગ્રેજી સાહિત્યની દેન છે’. તો  મુનશીજીએ કહ્યું છે કેવાર્તા એ અર્વાચીન સાહિત્યનું અપૂર્વ પુષ્પ છે.ધૂમકેતુએ બહુ સરસ ભેદ કહ્યો છે : નવલકથામાં જે કહેવાયું હોય, તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાડીને જે કહેવાનું હોય, તેનો માત્ર ધ્વનિ-તણખો જ મૂકે છે.

‘ઉજાસ’ ના વાર્તાકારો છે  ભાઈ-બહેન, ખ્યાતિ કેયુર ખારોડ અને આદિત્ય દેવાંગ ઝાલા. ખ્યાતિ અનુવાદ ક્ષેત્રે બારેક વર્ષથી કાર્યરત છે, તો આદિત્ય માઇક્રોબાયોલોજીનો વિષય ભણાવે છે અને પોતાની એકેડેમિક સેવાઓ પ્રોફેશનલી સમાજને આપે છે. બાળઉછેર આદિત્યનો ઉંડાણનો વિષય છે. આજના લેખમાં આપણે આદિત્ય ઝાલાની ત્રણ શોર્ટ સ્ટોરીનો લ્હાવો લીધો છે. આદિત્ય શિક્ષણ અને બાળઉછેર વચ્ચે જ જીવતા હોવાથી તેમની આ ત્રણ વાર્તાઓમાં આપણને આપણી વાત કોઈક કહી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે. 

‘સ્ટેટસ’, ‘પડઘો’, અને ‘દેશપ્રેમની ઋતુ’ આ ત્રણેય વાર્તાઓ ધૂમેકેતુજીએ કહ્યું તેવો તણખો મૂકી જાય છે.  સ્ટેટસમાં ‘પિતા તરીકે આપણે સલાહ આપીએ તેથી ઉલટું જીવીએ તો ??’, પડઘો માં  ‘બાળક ઉપર આપણા આક્રોશની કેવી કાતિલ અસર હોય છે !!’ અને દેશપ્રેમની ઋતુ માં વાર્તાકાર  આપણને ભાવવાહી બનાવી મૂકે તેમ કહી જાય છે કે ‘દેશપ્રેમનો ઝંડો આખું વર્ષ કેમ લહેરાતો નથી ??’ આ ત્રણ વાર્તાઓ આપણને સ્પર્શી જાય છે કારણ એ ક્યારેક આપણા જીવનમાં પણ એ બનેલી ઘટનાઓ છે. 

 

સાડી ભારતીય નારીની ઓળખ છે, સુંદરતા અને સંપૂર્ણતાનો અહેસાસ છે.

રાજા રવિ વર્માને સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ જોવા મળી.!!!

ભદ્રાયુ વછરાજાની                                                             bhadrayu2@gmail.com

ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક  ગરબાડા નામનું ગામ છે, ત્યાં એક અભ્યાસુ  અધ્યાપક ભરત ખેની ગુજરાતી ભણે છે અને ભણાવે છે.  “રાજા રવિ વર્મા” શીર્ષકથી પ્રકાશિત થયેલું ભરત ખેનીનું પુસ્તક આપણને ભારતની પ્રાચીનતાના સમયમાં લઈ  જાય છે.  

ઈ. સ. ૧૮૮૮માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માનાં ચિત્રો કિલિમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગિરિ ગયા. રવિ વર્મા આ સમય દરમિયાન નીલગિરિ રહેતા હતા. રવિ વર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ નજીક આવ્યા. વડોદરાના મહારાજા દીર્ઘદ્રષ્ટા, ઘણું જ ફરેલા, ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા. તેમણે રવિ વર્માને રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે, “હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મા છુપાયેલો છે. તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો.” રવિ વર્માએ મહારાજાના આ સુચનનો સહર્ષ સ્વીકાર કર્યો.

ચિત્ર બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષપાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરે મેળવવો ખૂબ જ જરૂરી હતો. એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે. તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિ વર્માને થઈ, તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન, દિલ્હી, આગ્રા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી.

ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ને કોઈ પહેરવેશ અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ પણ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જોવા મળે છે. એમાંથી કોઈને આત્મસાત્ કરવાથી મહાભારત અને રામાયણનાં પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં. આમ લાગવાથી રવિ વર્માની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યા. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેનાં રેખાંકનો કર્યા. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી, તેઓ આંખોમાં વસી જાય એવાં સુંદર દશ્યોની શોધમાં નદીને કાંઠે-કાંઠે, ઘાટ-ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસાર્થે ફરવા નીકળી પડતા. પરોઢથી માંડીને સંધ્યાનાં અંધારાં ઊતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેનું આલેખન અને નકલો કરતા. 

આ આખાયે ભ્રમણ દરમિયાન રવિ વર્માએ એક ખાસ બાબતની નોંધ લીધી કે પ્રદેશગત વિવિધતાથી ભર્યા ભર્યા આ દેશની સ્ત્રીઓએ  જે સાડીઓ પહેરી છે એ ભારે આકર્ષણનું કેન્દ્ર હતી. સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ એમને જોવા મળી. પ્રદેશ ભિન્નતાને કારણે એનાં નામ અને રંગરૂપ બદલાતાં રહ્યાં છતાં તેની અચૂક હાજરી દરેક જગ્યાએ હતી, રવિ વર્માએ યાત્રા દરમિયાન ચંદેરી, માહેશ્વરી, રેશમ, બાંધણી, પટોળા, પૈઠણી, બનારસી, નવવારી (નૌવારી), તાંચી, જામદાની, બાલુચેરી,બોમકઈ, કાંજીવરમ, ગારા (પારસી) વગેરે જેવી અનેક નામધારી, રૂપધારી જુજવે રૂપે અનંત ભાસે એવી અને સૌંદર્યનાં સરનામાં જેવી સાડીઓ જોવા મળી. સાડી સ્ત્રીને ઓળખ આપે છે, સુંદરતા અને સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આપણે આંખ બંધ કરીને માત્ર એક શબ્દ બોલીએ : ‘ભારતીય નારી.’ એ પછી એના દેખાવ અંગે કલ્પના કરીએ તો એના કે ચામડીના રંગોમાં આપણી કલ્પના મુજબ વૈવિધ્ય જોવા મળશે. પરંતુ જે સામ્ય દેખાશે તે સાડીનું  હશે. ભારતીય નારીના પરિધાન અંગે સાડી એ એકમાત્ર એવો પોષાક છે જેનાથી ઉમર, કદ, દેખાવ અને ચામડીના રંગની પેલે પાર જઈ સ્ત્રીને સમજી શકાય છે. આવા કારણથી વસ્ત્રોના રંગાભાસને રવિ વર્મા ઝડપવા માંગતા હતા. અંતે, તેમણે પૌરાણિક સ્ત્રી-પાત્રો માટે સાડીની પસંદગી કરી. એની સારી (હકારાત્મક) અસર આખા દેશ પર પડી. કેરળની સ્ત્રીઓ જેઓ ફક્ત સફેદ ધોતી પહેરનારી હતી, એમણે રંગબેરંગી સાડીને અપનાવી. 

આમ  રવિ વર્મા પોતાનાં ચિત્રોમાં આવતી ભારતીય સ્ત્રીઓ માટે એ જ પહેરવેશ  ઈચ્છતા હતા જેને દેશના લોકો પસંદ કરે. આ બાબત રવિ વર્માની  અંદર રહેલી રાષ્ટ્રીય ભાવનાને પ્રગટ કરે છે. જ્યારે તેઓ ૨૫ વર્ષના હતા ત્યારે અંગ્રેજી વિશે કહ્યું હતું કે, ‘અમે આ વિદેશી ભાષા તથા સભ્યતાને આગળ ક્યાં સુધી ચલાવીશું? જે આવ્યું છે, તેને જવું જોઇએ.’ આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે. તેમણે પોતાનામાં રહેલો દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અનન્ય કલારૂપો(ચિત્રો) માં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા. આ પ્રયાસોમાંથી સમગ્ર ભારત દેશને પહરવેશને એક તાંતણે બાંધે તેવું નારી વસ્ત્ર એટલે ‘સાડી’ ચરિતાર્થ થયું. 

ભલે, આપણે ગુજરાતી હોવા છતાં ગુજરાતી કે અન્ય કોઈ ઢબની સાડી પહેરવાનું છોડી રહ્યા છીએ પરંતુ આજે પણ ગ્રામનારી તો રાજા રવિ વર્માએ પ્રમાણેલી સાડી જ પહેરતી જોવા  મળે  છે. દક્ષિણના રાજ્યોમાં તો ઘણેખરે અંશે સાડી જ નારી અંગે ઢાંકે છે તેવું અચૂક જોવા મળે છે. વળી સાડી એ ગરીબ અને શાહુકાર બંને ને જોડાતી કડી  છે.

 

મુદ્દાઓ વિચાર કરવા યોગ્ય તો ખરા જ….

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વર્ગખંડના અભ્યાસમાં સામેલ કરવા અંગે કેટલાક અલગ મતો પ્રત્યે ધ્યાન તો આપવું જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com

ખબર નથી શા માટે પણ ગુજરાત સરકારે ધોરણ છ થી બાર માં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની અચાનક જાહેરાત કરી નાખી છે. અલબત્ત, કહે છે કે ઉત્તરપ્રદેશમાં આવી જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ હજુ તેનો અમલ શક્ય બન્યો નથી. એ જે હોય તે પણ, આપણી રાજ્ય સરકારે બહુ પુખ્ત વિચારણા કરીને કે રાજ્યના શિક્ષાવિદો અને  બહુશ્રુત સંસ્કૃત પંડિતો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય ઘોષિત કર્યો હોવાનું બહાર આવ્યું નથી. કદાચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજે છે ત્યારે આવી જાહેરાત કરી નાખવાની ચેષ્ટા થઈ  હોય એવું પણ બને. અલબત્ત, આપણને તે જાહેરાત સાથે બહુ લેવાદેવા નથી પણ આ વૈશ્વિક પ્રશસ્ત ધર્મગ્રંથને વર્ગખંડમાં ભણાવાવવાના વિષય તરીકે લઇ જવો કેટલો ઉચિત છે તે અવશ્ય ચિંતાનો વિષય છે, અને તે પણ વળી અગિયાર વર્ષના વિદ્યાર્થી થી સત્તર વર્ષના તારૂણ્ય છલકતા  વર્ષોમાં તેનો વિષય તરીકે સમાવેશ ભવિષ્યમાં ઘણા પ્રશ્નાર્થો ઉભા કરશે તેવું ઘણા લોકોને  લાગે છે. 

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી અવશ્ય આત્મવિશ્વાસને દ્રઢ બનાવનાર ગ્રંથ છે પણ તેની પશ્ચાદભૂ માં  તો યુદ્ધ માટે આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ છે. ચચેરા ભાઈઓ ઝગડે છે, પછી ભલે એમાં એક ધર્મ પક્ષે અને બીજા અધર્મ પક્ષે હોય,  પણ છે તો ઝગડાની અને ભૂમિભાગની જ વાતો..તેમાં ‘ચચેરા ભાઈઓ કે ગુરુઓમાં તું દેહને નિહાળ  અને તેઓનો વધ કરવામાં હિચકિચાટ ન અનુભવ’ તેવો શ્રી કૃષ્ણ સંદેશ શુભના કલ્યાણ માટે છે તેવું વિદ્યાર્થીઓને કેમ અને કોણ સમજાવી શકશે , એ બહુ મોટો પડકાર છે. અર્જૂનને આત્મબળ બક્ષવા માટે જે જ્ઞાન શ્રી કૃષ્ણ દ્વારા અપાય છે તેને સામે પહોંચાડવું અતિ કપરું છે. આપણા સંસ્કૃતનાં શિક્ષકો જ નહીં પણ અધ્યાપકો પણ ગીતાજીનું પઠન  કે સહજ અર્થઘટન કરી શકવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવતા  નથી ત્યારે આપણે વર્ગખંડમાં ઉણા  ઉતરીએ એવું બનવાના ચાન્સીસ વધશે એ યાદ રાખવું પડે. આમ થશે તો એક ઉત્તમ ગ્રંથ આપણી ક્ષમતાને લઈને વગોવાશે અને તેનો દોષ આપણે સ્વીકારવો પડશે. 

આ ગ્રંથમાં ચાતુર્વણ્યવ્યવસ્થાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા વર્ગોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે.. આ ગ્રંથ ધર્મમૂલાંક  જરૂર છે પણ સાથેસાથે આ રાજકીય અને યુદ્ધ-પ્રેરક પણ છે ત્યારે  બાળકોના કુમળા માનસમાં ગુઢાર્થ પહોંચાડવાનું કામ યથાર્થ થશે તેની ખાતરી કેવી રીતે કરીશું? વળી, ભારતના બંધારણમાં ભારતને  બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ગણીને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે બદ્ધ  કરવામાં આવેલ છે. તારીખ 26મી નવેમ્બર,1949ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રીય આશાઓ-આકાંક્ષાઓ સાથે જે બંધારણ પ્રસ્તુત કર્યું હતું અને બંધારણને ભારતની પ્રજાએ સ્વીકાર્યું, કાયદાનું સ્વરૂપ આપીને સમર્પિત કર્યું હતું તે બંધારણના આર્ટિકલ-28માં જણાવેલ છે કે  Article -28(1) ‘No religious instruction shall be provided in any educational institution wholly maintained out of state funds. Article -28(3) અનુસાર ‘No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction that may be imparted in such institution or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached there to unless that person or, if such person is minor, his guardian has given his consent thereto.’ એ જ રીતે, ભારતના બંધારણના પાર્ટ -IV-A Fundamental duties (નાગરિકોના મૂળભૂત કર્તવ્યો) મુજબ Article-51-A(a), (e), (h) કહે છે કે : સંવિધાનનું પાલન કરવું અને તેના આદર્શો,  સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો,  ભારતના બધા લોકોમાં સમાન ભ્રાતૃભાવનું નિર્માણ કરવું જોઈએ.  ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગ પર આધારિત ભેદભાવોથી પર હોવું જોઈએ.  શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ જેથી માનવતાવાદની ભાવનાનો વિકાસ થાય. આજના વિકાસના યુગમાં  આપણા સહુની ભાવના, નિષ્ઠા, નિસબત, પ્રતિબદ્ધતા, વર્ણવ્યવસ્થા પ્રેરિત અસ્પૃશ્યતાનું નિર્મૂલન કરી એને અતલ તળિયામાં દફનાવી દેવાનું હોવું જોઈએ. હવે જુઓ,  અહીં એવી દલીલ થાય કે, બીજા ધર્મોના શિક્ષણમાં તો તેના ધર્મગ્રંથને શીખવવાની છૂટ સૌએ લઇ જ લીધી છે ને ?? આ દલીલ સો ટકા સાચી ગણીએ તો શું  એવી  સૌને છૂટ આપી દેવી ?? ના, બીજા ધર્મના નામે જે  આવું કરતા હોય તો તેને સજ્જડ રીતે બંધ કરાવવાની પણ  છૂટ આપણું આ જ બંધારણ આપે જ છે,, આપણે તેનો કડક અમલ કરાવીએ. 

એક દલીલ છે કે,ભગવદ ગીતામાં કેટલીક વાતો આજના સંદર્ભમાં વિરોધાભાસી બની રહેલ છે. ઉદાહરણ તરીકે ગીતાના – 9(20) શ્લોકમાં सोमपा: पूतपापा:I સોમરસ એટલે કે, દારૂ પીનારા શુદ્ધ થાય છે તેમ ગીતાના આ શ્લોકમાં કહેવાયું છે. દારૂડિયાઓનાં પાપ નાશ થાય છે અને તેમને તો સ્વર્ગ મળે છે. ઇંદ્રલોકમાં સ્થાન મળે છે. ગીતા ગ્રંથમાં સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોને પાપયોનિમાંથી પેદા થયેલાનું કહ્યું  છે. હવે  અહીં  આ વાતના સંદર્ભો ચકાસવા જરૂરી બને છે અને તેનો સંદર્ભ આપીને મૂળ વાતને સ્પષ્ટ કરવાની રહે છે. આટલું ઊંડાણથી આપણા શિક્ષકો વાત મૂકે તેવું અપેક્ષિત છે ખરું અને અપેક્ષિત હોય તો તેમ થશે તેવું માનવાને આજે કારણ છે ખરું ??  

ગીતાના અધ્યાય 18 ના શ્લોકો 41,42,43,44,45 માં, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોએ કયાં કયાં કામો કરવાં તે વર્ણ પ્રમાણે ભગવાને પોતે નક્કી કર્યા છે. વાસ્તવમાં તો એવું આજે રહ્યું નથી. ચાલો, આ અંગે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી બેસે તો વર્ગમાં શિક્ષક શો જવાબ આપશે ? શિક્ષક કશોક ભળતો જવાબ આપી બેસે તો ??   

ઊંડું ચિંતન અને તટસ્થ અભ્યાસ કરતાં, બે બાબતો તારવી શકાય :

  1. શ્રીમદ ભગવદ્દ ગીતા એક વિષય તરીકે દાખલ કરીએ તે પહેલા ખુબ બધું મંથન કરીએ અને હોમવર્ક કરીએ. ગીતાસાર રૂપે અર્જુનનું આત્મબળ વધારતા અને મનુષ્યને સ્વધર્મ-આચરણ અને સર્વ-ઈશ્વરાર્પણ બરાબર સમજાવતા શ્લોકો તારવીએ અને તેની પૂર્ણ સમજ ઉદાહરણ સાથે આપીએ.
  2. સમગ્ર ગીતાજીના અઢાર અધ્યાયોને શ્રુતિ અને સ્મૃતિના આધારે તબક્કાવાર ધોરણમાં વહેંચીને એક સુંદર પરિચય તો આપીએ જ  કે જેથી શાળેય ઉંમરમાં વિદ્યાર્થીના કાનમાં એ શબ્દો પડે. ભવિષ્યમાં પ્રત્યેક વિદ્યાર્થી ગીતા  શ્લોકોથી પરિચિત હશે તો તે પોતાનો માર્ગ શોધીને ગીતાજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આપણે જ્ઞાનની બારી ખોલી આપીએ તો ય શ્રેયકર રહેશે.

તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે.

ગુજરાતમાં ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે ગયું, ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. !!!

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com 

વાણી અને પાણી આ બે જોખીને વાપરવા જોઈએ. આપણે વાણીની વાત નથી કરવી પણ પાણીની વાત કરવી છે. 

શ્રી મિત્તલ પટેલ બહુ જાણીતું નામ છે, ગુજરાત માટે..તેમની સાથેની વાતચીતમાં પાણીની ભૂગર્ભ સ્થિતિ કેટલી વિકટ થઇ છે તે બહુ સ્પષ્ટ થયું. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ દ્વારા  આખા ભારતના ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક વિસ્તારોનો સર્વે થયો. બોર્ડે  ભૂગર્ભ જળની પરિસ્થિતિનો સર્વે કર્યો અને એ સર્વેમાં જે આંકડા  મળ્યા  એ બહુ ચોંકાવનારા છે. આપણે  તો ગુજરાતની જ વાત કરવી છે. ગુજરાતમાં સર્વેના કહેવા પ્રમાણે ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે જઈ રહ્યું છે. એમ કહે છે કે ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. ગુજરાતના કયા જિલ્લામાં પરિસ્થિતિ વધારે વણસી છે તે વિચારીએ તો એમાં ઉત્તર ગુજરાત મોખરે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને અમદાવાદ. પાટણ અને બનાસકાંઠા એકબીજાની પાસે આવેલા જિલ્લાઓ છે.

બનાસકાંઠામાં ભૂગર્ભજળ ઊંડા થયા છે એ તળ  ઉપર આવે એ માટે થઈને જળસંચયના કાર્યો કરવા રહ્યા.  બનાસકાંઠામાં શું પરિસ્થિતિ થઇ છે ? સર્વે કહે છે કે ૧૯૭૪ માં બનાસકાંઠામાં ભૂગર્ભજળ ૫૪ મીટરે હતું એ આજે ૧૬૦ મીટરે પહોંચ્યા છે. આ આંકડા વાંચીને  થોડી વાર માટે તો ખરેખર ગભરાઈ જવાય એવું છે. કેમ કે ૧૬૦ મીટરથી નીચે કેટલા જઈશું ?? એક સમય આવશે કે ભૂગર્ભમાં પાણી જ નહીં હોય અને પાણી જ નહીં હોય તો શું કરીશું ? હા, બોરવેલની ટેક્નોલોજી આવી તે આપણા માટે આશીર્વાદરૂપ થઈ અને એટલે જ અછતવાળા વિસ્તારોમાં ખેતી વધારે સમૃદ્ધ બની. આજે ત્રણ ત્રણ પાક આપણે ખેતીમાં બોરવેલની ટેક્નોલોજીને લીધે  લઇ શકીએ છીએ. પણ આપણે ધરતી  માતાનું દોહન જ કર્યું છે ને  પાણી બહાર કાઢ્યું છે. આપણે ભૂગર્ભમાં પાણી પાછું આપવાનું જેટલી માત્રામાં થવું જોઈએ એટલી માત્રામાં નથી કર્યું, એટલે આપણે આંકડાકીય પરિસ્થિતિને સમજી શકીએ છીએ અને એની ગંભીરતા પણ આપણને સમજાય છે. 

બનાસકાંઠામાં વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એન.જી.ઓ. દ્વારા  તળાવો ઊંડા કરવાનું કામ થયું. ગયા વર્ષથી કુવા અને બોરવેલ રિચાર્જનું કામ પણ શરૂ કર્યું,  પણ આ સંસ્થા તો મુખ્યત્વે તળાવો ઊંડા કરવાનું કામ કરે છે.  આનું કારણ પણ છે કે  તળાવ એ ખુબ મોટો જળસ્રોત છે અને વરસાદનું ટીપેટીપું જો આપણે એમાં બચાવી શકીએ અને  એ પાણી સંગ્રહી શકીએ તો બહુ જ મોટું કામ થઈ શકે. આપણા વડાપ્રધાન શ્રી એ હમણાં જ Catch the rain (કેચ ધ રૈન) અભિયાન પણ આ અંતર્ગત જ શરૂ કર્યું છે. બસ એ Catch the rain નું એક સ્ટેપ આગળ અથવા એની સાથેનું ગામમાં પડતું તમામે તમામ પાણી આપણે તળાવમાં અથવા ભૂગર્ભમાં એ જ ગામની સીમમાં અથવા ગામના ગોંદરે કે ઘરના આંગણામાં આપણે એને ઉતારીએ એ મિત્તલનો મુખ્ય ઉદ્દેશ છે. 

આ સંસ્થાએ ૧૬૦ જેટલા તળાવો છેલ્લા છ વર્ષમાં કર્યા. દર વર્ષે મનોરથ છે ૩૦-૪૦-૫૦ તળાવો કરવાનો અને આ જ સંસ્થાની  ભગવાનને અને મેઘરાજાને પ્રાર્થના છે  કે સરસ મજાની રીતે વરસે ત્યાં. બનાસકાંઠામાં વરસાદ પણ અનિયમિત છે પણ સારું એ થયું છે કે ક્યાંક નર્મદા કેનાલ કે નર્મદાની પાઈપલાઈન સાથે સરકારે તળાવો લિંક કર્યા છે અને જે તળાવો લિંક થયા છે એની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પણ તકલીફ એ છે તળાવો ગાળવાનું આપણે ભૂલી ગયા છીએ. મિત્તલ પટેલ તો હંમેશા કહેતી હોય  છું કે એક સમય એવો આવશે જો તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે. 

તળાવો ખોદાય તો શું ફાયદો થાય ? ભટાસણા ગામ છે ત્યાંનું તળાવ ઊંડું કર્યું એ તળાવ ઊંડું થતાં જ ત્યાં પાણીના તળ ખાસ્સા ઊંડા પહોંચી ગયેલા અને ગામનું નસીબ બાજુમાંથી જ નર્મદા પાણીની પાઈપલાઈન જતી હતી અને એ પાઈપલાઈન સાથે એ તળાવ લિંક થયું તો  એના કારણે એ છીછરું તળાવ ભરાવાનું શરૂ થયું, પણ તળાવ તો છીછરું હતું. રકાબીમાં કેટલું પાણી ભરાય ? સંસ્થાએ  એનો સરસ મજાનો વાટકો કરી આપ્યો.  ગામે સહયોગ કર્યો, માટી ઉપાડવાનું એમણે કર્યું, ખોદવા માટે JCB સંસ્થાએ  મૂક્યું અને એના પરિણામે આજે ગામમાં શું ફર્ક થયો અને શું ફાયદો થયો તે ત્યાંના રહેવાસી કીર્તિભાઈના મોઢેથી આપણે સાંભળીએ.

“જે તળાવ ગાળવામાં આવ્યું એનાથી મુખ્ય ફાયદો એ થયો કે ગામની અંદર આ બાજુ પાણીની ખુબ તકલીફ છે. અત્યારે હાલ ખેતરમાં ખાડા કરીએ તો ૫૦-૫૦ ફૂટે પાણી મળે છે, તળાવથી એક વર્ષમાં મુખ્ય ફાયદો એ થયો. આવા જો આજુબાજુ ના બે ત્રણ  તળાવ વર્ષો વર્ષ પાણીથી ભરાશે તો અમને એમ છે કે આ ગામની આજુબાજુની જમીનનું પાણીનું તળ ઉંચુ આવશે. કારણ કે એક  વર્ષમાં અમને આનો મુખ્ય ફાયદો દેખાયો છે. બીજું કે વરસાદ કદાચ લંબાય  તો ગામને નજીક તળાવ છે, તો ગામ લોકોને પીવા માટે, પશુપાલન માટે, ઘરગથ્થુ વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય. રખડતા પશુ પક્ષી ને લાભ થાય. આવનારી પેઢીના  નવયુવાનો  આ તળાવને જોઈ ને તળાવનું મહત્વ સમજે ને પાણીનું મહત્વ સમજે એ મુખ્ય ઉદ્દેશ છે.”  

આ એક માત્ર ભટાસણા ની આ વાત નથી.  આવા ઘણા ગામો છે કે જેમને ફાયદો થયો હોય. ઘણા એવું પણ કહે છે કે બનાસકાંઠામાં તો વરસાદ જ કેટલો અનિયમિત છે એટલે ગામ નર્મદા સાથે લિંક થાય તો જ અમારા પાણીના તળ ઉપર આવે. આ  વાત સાચી છે પણ નર્મદાની રાહ જોઈને બધા વસ્તારોમાં બેસી રહી તો નહીં શકાય ને જ્યાં નર્મદા કે પાઈપલાઈન નથી આવતી એવા વિસ્તારોમાં જાતે તો મથવું પડશે ને ? આજે ગામમાં ઘર છે,  એના કરતા બોરવેલ વધારે છે ત્યારે ટીપેટીપાને આપણે બચાવીશું તો ભૂગર્ભજળ ખાલી થવાના કદાચ દસ વર્ષમાં થવાનું હશે તો એ ટીપેટીપું આપણે તળાવના કે બોરવેલ રિચાર્જનાં માધ્યમથી બચાવ્યું હશે તો એ ૧૫ થી ૨૦ વર્ષ ચાલી શકે અને કોને ખબર કદાચ ત્યાં સુધીમાં નર્મદા આપણી જીવાદોરી બની રહેશે. તો આવી રીતે તળાવ ગાળવાથી  ભટાસણાના લોકોને જે ફાયદો થયો છે એ પ્રકારે ગામેગામની  ફાયદો થઈ શકે. મિત્તલ પટેલ તો જાહેરમાં અપીલ કરે છે કે,  તમારા ગામમાં તમને તળાવ ગળાવવા માટેની ઈચ્છા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો,  પણ ગામની ભગીદારી સાથે અમે તળાવ કરીએ છીએ,  એટલે JCB અમે મુકીશું અને માટી ઉપાડવાનું કામ તમારે કરવાનું છે. સાથે સાથે નાનકડો લોકફાળો તમારાથી જેટલો થાય એ ભેગો કરો. એ ફાળો ભેગો કરીશું જેને આપણે ખોદકામમાં જ ખર્ચ કરીશું. અને દરેક આમ જળકર સરકાર ઉઘરાવે છે એ નહીં પણ ગામ પોતાની રીતે જળકર ઉઘરાવાનું શરૂ કરે,  ઘરદીઠ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા બહુ મોટી રકમ નથી એટલી તો ભેગી કરી જ શકીએ તો પણ લાખ દોઢ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ અને દોઢ લાખ રૂપિયા જો આપણી પાસે ભેગા થાય છે તો દર વર્ષે ચોમાસા પછી તળાવોમાં આવતો કાપ, માટી કચરો જે પણ હોય એ આપણે સાફ કરીને તળાવને દર વર્ષે સાફ રાખી શકીએ. કોઈ સરકાર કે કોઈ સંસ્થા કે અમારા જેવાની તમને જરૂર નહીં પડે. આવનારી પેઢીને ધન દોલત તો ઘણી આપીને જઈશું પણ જમીનમાં પાણીના તળ સાબદા નહીં આપીએ તો એ આપણને  ક્યારેય માફ નહીં કરે. (મિત્તલ પટેલ, વિચરતા સમુદાય સમર્થન મંચ, હરિકુટિર, સદવિચાર પરિવાર કેમ્પસ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત-380015)

“પુસ્તક તમને પસ્તી થતા બચાવે છે..!!”

રાજકોટનું  સાહિત્યસેતુ અને નવસારીની લાઈબ્રેરી માર્ગ ચીંધે છે

ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

“આજે ક્યાં કોઈ વાંચે છે ?”

“બધા મોબાઈલમાં જ માથું નાખીને બેઠા છે ને !”

‘હવે પુસ્તકો સુધી તો કોઈ પહોંચતું જ નથી ..”

આ અને આવા અનેક ઉદગારો આપણે વારંવાર સાંભળ્યા  કરીએ છીએ અને ક્યારેક તો આપણે જ ઉચ્ચારીએ પણ છીએ…

પણ ખરું કહેજો,,, આપણે પોતે કેટલા પ્રયત્નો કર્યા  કે કોઈને વંચાવીએ ?? લાવો, કોઈના ઘર સુધી કે કોઈના હાથ સુધી પુસ્તકો પહોંચાડીએ ?? હા, આપણે પુસ્તક દિને ઢગલાબંધ મેસેજો ફોરવર્ડ કર્યા  અને પુસ્તક વાંચવા જોઈએ ને એવી બધી  સુફિયાણી  સલાહોના ધોધ વહાવ્યા અને તે દિવસે એ જ વોટ્સએપ પર સૌને વાંચતા કર્યા !! ખરું કે નહીં ?? કડવું છતાં સત્ય છે કે નહીં ??

હા, રાજકોટમાં સર્જક-લેખક-કવિ કે એવું કશું જ નથી એ અનુપમભાઇ દોશીએ ‘સાહિત્ય સેતુ’ના બેનર હેઠળ લોકો સુધી પુસ્તકને લઇ જવા માટે આખો દિવસ ફાળવ્યો. એ ‘પુસ્તક પરબ’ ચલાવે છે. કોઈ આવે ને પુસ્તક દઈ જાય અને કોઈ આવીને ગમતું પુસ્તક લઇ જાય !! મહિનામાં પહેલા રવિવારે કાલાવડ રોડ પર કોટેચા સ્કૂલના સભાખંડમાં..કોઈ ચાર્જ નહીં કોઈ ફોર્માલિટી નહિ..પુસ્તક દિને આ ‘સાહિત્ય સેતુ’ છેક પહોંચ્યું બાલાજી હનુમાનના મંદિરે , રાજશ્રી ટોકીઝની બાજુમાં, ગીર્દીવાળા સ્થળે..અને એ  પણ શનિવારે કે જ્યાં હનુમાન ભક્તોની જબરી ભીડ જામી હોય ત્યાં જઈને  પુસ્તકો પાથરી દીધા. દર્શન કરવા આવનારની નઝર પડી ને નજીક આવ્યા અને પુસ્તક હાથમાં લઇ જોવા લાગ્યા અને પછી પ્રેમથી ઘરે લઇ જવા લાગ્યા.. આ જોઈને અનુપમભાઈ અને તેની ટોળી તો રાજી રાજી… હા, તેઓએ  રાજકોટની અગિયાર શાળાઓને સો-સો પુસ્તકો ભેટ આપીને ત્રેવીસમી એપ્રિલનો પુસ્તક દિન સાચા અર્થમાં ઉજવ્યો. એવા વિરલા કો’ક કે જેમણે ન તો વોટ્સએપ જોયું કે ન તો કોઈને જોવા દીધું,,પુસ્તક દિને !!

આવી જ લાંબા ગાળાની અસર ઉભી કરતી પ્રવૃત્તિ થઇ નવસારીમાં. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી દ્વારા તો વેકેશન વાંચનોત્સવ નો પુસ્તક દિને શુભારંભ થયો. તેઓ દર વર્ષે બાળકોને વાંચન તરફ પ્રવૃત કરવા  માટે વેકેશનમાં સુંદર પ્રવૃત્તિ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુસ્તકાલય બાળકો-વિધાર્થીઓ માટે વેકેશન દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર છે. ૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનથી આરંભ થયેલ  “વેકેશન વાંચનોત્સવ”  અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ ૪ જુન ર૦રર સુધી ચાલશે. જેમાં વિવિધ શીર્ષક હેઠળ સુંદર કાર્ય થતું રહેશે.

એક) ચાલો વાચીએ – ચાલો લાઈબ્રેરીમાં

છેલ્લા એક દાયકાથી વેકેશનમાં યોજાતી આ પ્રવૃત્તિમાં સામેલ થતાં જ બાળકને એક નોટબુક મળશે. જેમાં વાંચેલ પુસ્તકોની નોંધ અને વિચારસાર લખવાના રહેશે. પાંચ પુસ્તકોના વિચારસાર  લખનાર વિદ્યાર્થીને એક ફુલસ્કેપ નોટબુક પુરસ્કાર રૂપે મળશે. વધુમાં વધુ 10 નોટબુકો એટલે આખા વર્ષની નોટબુકો વિદ્યાર્થી પોતે જ પુસ્તકો વાંચી મેળવી શકે.

બે) નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળાઓને

આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં વિધાર્થી આપણા ક્રાંતિવીરો અને વીરબાળાઓના જીવન, સંઘર્ષ, ત્યાગ, સમર્પણ, બલિદાન વિષયે જાણીને રાષ્ટ્રભાવનાનું મુલ્ય સમજશે, એમના વિશે પુસ્તકો વાંચીને લખશે. વેકેશનના અંતે એની પાસે પોતાના શબ્દોમાં લખાયેલો ઓછામાં ઓછા ૧૫ આવા ક્રાંતિવીરો અને વીરબાળાઓનો ઈતિહાસ હશે જે એમના માટે કાયમનું સંભારણું બનીને રહેશે. આ બધા  વિધાર્થીઓને પુસ્તકાલય આગવી રીતે પુરસ્કૃત કરશે.

ત્રણ) બુદ્ધિ, તર્ક, કલ્પના વિસ્તારનારી રમતો :: 

ધોરણ ૧ થી ૧૨ ના બાળકો માટે વેકેશન દરમિયાન દરરોજ સવારે ૧૦.૦૦ થી ૧ર.૦૦, પ્રોજેક્ટર સ્ક્રીન પર સંવેદના સંકોરતી, સંસ્કાર ઘડતરની ફિલ્મો બુધવાર અને શુક્રવાર સમય સાંજે ૪.૦૦ વાગ્યા થી.. જેવા  ૧૦ કે ૧૫ વિદ્યાર્થીઓ થયેથી ફિલ્મ બતાવાશે. ફિલ્મના અંતે એના વિશેની માહિતીસભર ચર્ચા વિદ્યાર્થીશ્રોતાઓ કરશે.

ચાર) વાર્તાકથન અને વાતલેખન વર્કશોપ

ધોરણ ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે મે મહિનામાં પુર્વ જાણ કરીને નક્કી કરેલી તારીખે એક દિવસીય એવા વાર્તાલેખન અને વાર્તાકથન અથવા વાચિકમના એવા બે અલગ વર્કશોપના આયોજન વિદ્વતજનના માર્ગદર્શન હેઠળ થશે. આ વર્કશોપ હેઠળ મળેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળાકીય ઈતર પ્રવૃત્તિઓમાં અને જીવનમાં પણ ખુબ ઉપયોગી નીવડશે.

પાંચ) પુસ્તક વિશ્વમાં પખવાડિયું

ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ બે થી ચાર સપ્તાહ દરરોજ ચાર થી પાંચ કલાક પુસ્તકવિશ્વ (પુસ્તકાલયમાં) આવશે. પુસ્તકો તથા મેગેઝીનોને જોવા, વર્ગીકૃત કરવા, નોંધવા એવા કાર્યો દ્વારા પુસ્તકાલયને જાણશે. બાળકોની ઈતર પ્રવૃતિઓમાં સહયોગ આપશે. આ પ્રવૃત્તિમાં જોડાનાર દરેક વિધાર્થીને પુસ્તકાલય આગવી રીતે  પુરસ્કૃત કરશે. આ સાથે વિદ્યાર્થી પોતાના જીવનમાં સારો બદલાવ આવ્યાનું અનુભવશે.

જે વિદ્યાર્થીઓની પરીક્ષા વહેલી પૂરી થાય છે તેઓ 23 એપ્રિલથી વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકે છે. વેકેશન વાંચનોત્સવનો શુભારંભ કરાવ્યો  જાણીતા કવિ-લેખક અને વિવેચક શ્રી વિનોદ જોશીએ.

વેકેશન વાંચનોત્સવનો ઉદેશ સ્પષ્ટ છે :: મોબાઈલ ટીવીથી દુર રહી લાયબ્રેરીમાં જઈશું.  લાયબ્રેરીમાંથી લાવેલ પુસ્તકોનું વાંચન કરી સ્વવિકાસ કરીશું

 

સોશ્યલ મીડિયા માં આ નવસારી વાળો મેસેજ બહુ વાઇરલ થયેલ છે, કારણ કે સૌને ભૂખ તો લાગે જ છે પણ કોઈ મેસેજ ફોરવર્ડ કરીને તે સંતોષે છે તો કોઈના માટે નવસારીની લાઈબ્રેરી અને સાહિત્યસેતુ જેવી સંસ્થાઓ પહેલ કરે છે.

 

મમ્મી-પપ્પા પોતાના સંતાનોને સ્વિમિંગ કે સ્કેટિંગ કે જિમ કરાવે તેનો વિરોધ નથી પણ શરીર સારું હશે પણ બુદ્ધિ બુઠ્ઠી હશે તો…? બુદ્ધિમાં સાત્વિક વિચાર હશે તો શરીર પ્રભાવશાળી બનશે,  આ વાત સમજીને મા-બાપ પણ વેકેશનમાં પોતાના સંતાનને કોઈ લાઈબ્રેરીના સભ્ય બનાવે તેવી વિનંતી એક શુભેચ્છક તરીકે કરું છું.

 

ભગવદ ગીતા ભણાવીશું કઈ રીતે ?

મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ?

ભદ્રાયુ વછરાજાની                                                           bhadrayu2@gmail.com

શિક્ષણમાં ધર્મના કોઈ પણ તત્વોને દાખલ કરતા પહેલા બહુ ઊંડો વિચાર કરવાની જરૂર રહે છે. આ ઊંડાણથી વિચાર કર્યા વગર જો કેવળ ભાવાત્મકતાથી કોઈ બાબત અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે તો તે મુદ્દો ભવિષ્યમાં બૂમરેંગ  થાય તેવી પૂરી શક્યતાઓ છે.

કહે છે કે  આપણા શિક્ષણ કાર્યમાં શ્રીમદ ભગવદ્દ  ગીતાને સ્થાન આપવામાં આવશે. જ્યાં સુધી શ્રીમદ ભાગવત ગીતાને સબંધ છે ત્યાં સુધી એ કોઈ ધર્મનો ગ્રંથ નથી,  પરંતુ  એ વૈશ્વિક વ્યવસ્થાપન માટેની આચારસંહિતા નક્કી કરતો ગ્રંથ છે એટલે ભગવદ્દ  ગીતાના અભ્યાસમાં દાખલ થવા અંગે કોઈ વિવાદી વાત કરવાની આવશ્યકતા કોઈ તરફથી રહેતી નથી. આપણે જો પંચતંત્રની વાર્તાઓ ભણાવીને અથવા બૌદ્ધ કથાઓ ભણાવીને તેમાંથી મૂલ્ય પ્રતિસ્થાપન કરી શકતા હોઈએ તો  તે જ રીતે શ્રીમદ ભગવદ્દ ગીતામાં વૈશ્વિક  સ્તરને સ્પર્શે તેવું જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને માધ્યમ બનાવીને આપણને આપવામાં આવ્યું છે તેનો વ્યાપક ફેલાવો શિક્ષણના નાના વર્ગથી થાય તે સર્વથા આવકાર્ય છે.

ધોરણ ૬ થી ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાનો પ્રસ્તાવ છે . અલબત્ત આ પ્રસ્તાવ મુકનાર અને તે અંગે અનુકાર્ય કરનાર ખૂબ સજાગ લોકો જ હશે.  મહાભારત મહાગ્રંથના એક પર્વમાંથી ૭૦૦ શ્લોક એ ભગવદ્દ  ગીતા છે. પણ ૧૮ અધ્યાયમાં વહેંચાયેલ આ ૭૦૦ શ્લોક મૂળ સંસ્કૃતમાં વાંચવા કે ઉચ્ચરિત કરવા એ પણ બહુ આવડત માંગે છે. એ માટે સજ્જતા જોઈએ અને એ સજ્જતા કેળવાય તેના માટે સક્ષમ શિક્ષકો જોઈએ. આપણી પાસે આ બંને નથી, તે સહજ સ્વીકારવામાં વાંધો નથી. મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ? વળી, છઠ્ઠા ધોરણથી ભગવદ્દ ગીતાના સંસ્કૃતના શ્લોકોને માત્ર ગોખાવી નાખવા અથવા તેના અર્થઘટનને જ ગોખાવીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એમ માની લેવું તે આપણી જાત સાથેની છેતરપિંડી બની રહેશે ત્યારે ભગવદ્દ  ગીતાને સરળતાથી વિદ્યાર્થીઓના હૃદય સુધી કેમ પહોંચાડી શકાય એ વિચાર માંગે તેવો મુદ્દો છે. આ અંગે નીતિ નિર્ણાયકો ખૂબ ઊંડો અભ્યાસ કરી રહ્યા હશે એ નક્કી.

શ્રીમદ  ભગવદ્દ ગીતા ઉપરના અનેકાનેક ભાષ્યો આપણી પાસે ઉપલબ્ધ છે. જો ગુજરાતની અને ગુજરાતીની વાત કરીએ તો આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ :

(૧) શ્રીમદ ભગવદ્દ ગીતાના ૧૮ અધ્યાયને ધોરણ ૬ થી લઈને ધોરણ ૧૨ સુધીમાં એમ જ વહેંચી દઈને ભણાવવાનું આપણને અઘરું પડશે, કારણકે મૂળ શ્લોકો બહુ જ તૈયારી માંગે છે અને તૈયારી છતાં સ્પષ્ટ સમજ ન થઇ શકે તેવા એ શ્લોકો છે.

(૨) આ મુશ્કેલીનો સરળ રસ્તો છે. ગુજરાતમાં કેટલાક સમર્થ ગુજરાતીઓએ શ્રીમદ ભગવદ્દ ગીતાનું  સમશ્લોકી ભાષાંતર કરેલું છે. એ સમશ્લોકી ભાષાંતરમાં સૌથી પહેલું અને પ્રખ્યાત નામ શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાલાનું આવે. જેમણે અતિ સુંદર રીતે સહજતાથી સમજાય જાય તે રીતે સમગ્ર ગીતાના ૭૦૦ શ્લોકોનું સમશ્લોકી ગુજરાતી એવી રીતે કર્યું છે કે જાણે તમે એ વાંચતા જાઓ અને તમને તેનો અર્થ સમજાતો જાય. ઉદાહરણ તરીકે નીચેના  શ્લોકો  જોઈએ જે અધ્યાય બીજામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં  કહેવામાં આવેલ   છે.

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?  

બોલે, રહે, ફરે, કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો.

 

ક્રોધથી મૂઢતા આવે ને મૂઢતા સ્મૃતિને હરે 

સ્મૃતિ લોપે બુદ્ધિ નાશબુદ્ધિ નાશે વિનાશ છે.

આ બે શ્લોક વાંચીશું તો તાત્કાલિક એના અર્થ કોઈ ન સમજાવે તો પણ આપણને સમજાઈ જશે. આ સમશ્લોકી ‘ગીતા ધ્વનિ’ના નામથી આજે  ઉપલબ્ધ છે.

(૩) પોતાના સહજભાવથી જેમણે ભગવદ્દ ગીતાને સ્મશ્લોકીમાં સુંદર રીતે ઉતારી આપ્યું તે શ્રી પૂજ્ય મોટા છે. પૂજ્ય મોટા દ્વારા ‘જીવનગીતા’ નામે સમશ્લોકી ગીતા  આપણને મળે છે.

અધ્યાય બીજાના કેટલાક શ્લોકો જે સમશ્લોકી પૂજ્ય મોટાએ તારવ્યા છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલા સરળતાથી એમાં હાર્દરૂપ વાત કહેવામાં આવી છે.

કૈંક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો;

આવો મોહ તને ક્યાંથી ? અરે, અર્જુન ! કાં ડગ્યો ?”

 

દેહ ને દેહમાં રહેતા આત્માનો ભેદ કાં ભુલ્યો ?

મરે છે, આત્મા તો કદી નાશ ન પામતો .

 

જો આપણે ‘જીવનગીતા’માંથી ગીતાગાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે સંસ્કૃતની કેટલીક આપણા પક્ષની મર્યાદાઓને ઉવેખીને આપણા સુધી ભગવદ્દ ગીતાને પહોંચાડવાનું કામ આ સમશ્લોકી ગીતા  કરાવી શકે એમ છે.  (ક્રમશ:)