જે જાણ્યા પછી જગતમાં બીજું જાણવા જેવું બાકી રહેતું નથી , તેવા જ્ઞાનની સાધના કરવી,”  એ સાતમા અધ્યાયનો સંદેશ છે. 

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

                                                      (21) 

 

શ્રીમદ ભગવદ ગીતાના સાતમા અધ્યાયને પૂર્ણતા  તરફ લઇ જતાં કેટલીક પાયાની વાતોનો  વિચાર કરી લઈએ. 

ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: 

(૧) પ્રભુનું સતત નામસ્મરણ અને 

(૨) સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના.

ભક્તિના નવ પ્રકાર છે: 

શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન.

દયારામે ભક્તિના દશ પ્રકાર કહેલ છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે.

ભક્તિ તો હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. નિષ્કામભાવે, નિષ્કપટભાવે ભગવાનને ભજવાથી પ્રેમ પ્રકટ થાય છે.

વિનોબાજી લખે છે કે: ખુદ ભગવાન પણ ભક્તિને  અમૃતધારા કહે છે.

ભક્તિ બે પ્રકારની છે: સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ સુલભ અને

સુરક્ષિત છે, પરંતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે.

નિર્ગુણ, સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નથી. 

ભક્ત એટલે  ભક્તિ કરનારો માણસ; પૂજારી; ઉપાસક.

શ્રીમદ્ ભગવદ ગીતામાં  ભક્તનાં લક્ષણ સંબંધી ભગવાન કહે છે કે: જે સર્વ ભૂતોનો દ્વેષ નહિ કરનાર,  સર્વ તરફ મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો,  અહંકાર રહિત, સુખદુ:ખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે.

 જેનાથી લોક ગભરાતા નથી અને જે લોકથી ગભરાતો નથી તથા જે હર્ષ ક્રોધ, ભય અને ગભરાટ કે કંટાળા વગરનો છે, તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, પક્ષપાત રહિત, ભય વિનાનો અને સર્વ આરંભોને છોડનારો છે તે ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઇચ્છા કરતો નથી અને શુભ અશુભ તજનાર તથા ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. 

જે શત્રુ કે મિત્ર ઉપર, માન કે અપમાનમાં, ટાઢ, તાપ, સુખ કે દુ:ખમાં સમાન ભાવવાળો અને સંગ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મૌનધારી હોય,

જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, ઘરબાર વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે

ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની.

જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા,

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા.

જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે. જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ ..

જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે, તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ.

ભક્તના જે ચાર પ્રકારો ગણાવ્યા એમાં પહેલા ત્રણ એટલે કે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એમની ભક્તિને  સકામ ભક્તિ કહેવાય.  ત્રણેયને કશુંક કશુંક પામવું છે. એક આશ્વાસન પામવા ઈચ્છે છે. બીજાને પંડિતાઈ પામવી છે, તો ત્રીજો લાભ ઈચ્છે છે. ચોથો વર્ગ છે તે જ્ઞાનીઓનો છે અને તેઓ નિષ્કામ ભક્ત છે. તેઓ પણ કંઈક પામવા ઈચ્છે છે. પણ તે પરમેશ્વર છે. 

સાતમા અધ્યાયમાં ગીતાકારનું કથન મહત્વનું બની રહે છે. “જે જાણ્યા પછી જગતમાં બીજું જાણવા જેવું બાકી રહેતું નથી”,  તેવા જ્ઞાનની સાધના કરવી એ સાતમા અધ્યાયનો સંદેશ છે. 

આમ માણસે…. 

1) જે પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, 

૨) જે જાણ્યા પછી બીજું જાણવાનું બાકી ન રહે, 

૩) જ્યાં ગયા પછી ક્યાંય જવાનું બાકી ન રહે અને 

૪) જ્યાં પહોંચ્યા પછી બીજે ક્યાંય પહોંચવાનું બાકી ન રહે એવા કશાકની શોધ કરવાની છે. 

આપણે અમૃતના સંતાનો છીએ એટલે આ શોધ કરવામાં આપણું જીવન આપણે વ્યતિત  કરવાનું છે. (ક્રમશ:)