
‘અર્હન્ત‘ અને ‘જિન‘ સુવિશેષણોનો અર્થ સમજવા જેવો છે!
જૈનદર્શનમાં ‘ભાવક્રિયા’ શબ્દનું જબરું મહાત્મ્ય છે. જો કે, કમનશીબે આપણે અવશ્ય કરવાની થતી ક્રિયાઓને પણ ભાવક્રિયાનું રૂપ આપી સંતોષ માની લીધો છે. પર્વાધિરાજ પર્યુષણ આવે ત્યારે ટાઈમ બિઈંગ ભક્તિ છલકે ને આપણે શાસ્ત્રજ્ઞાન માં નજર ફેરવીએ, પણ પછી રોજબરોજની ઘટમાળમાં બધું વિસારે પાડી દઈએ.
આપણે મહાવીર સ્વામીનું અનુકરણ નથી કરવાનું, પણ અનુસરણ કરવાનું છે. ‘જેવું કરવું તે’, ‘દેખાદેખી, ‘નકલ કરવી, એટલે અનુકરણ. જયારે અનુરૂપતા સાધવી, અનુગમન કરવું એટલે અનુસરણ. કહ્યા પ્રમાણે જીવનભર વર્તવું એ અનુસરણીય ગણાય. મહાવીર સ્વામીનું અનુસરણ શું કઠિન છે ? જરા વિગતે વિચારીએ.
જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોની માન્યતા છે. સંસ્કૃતમાં ‘તીર્થ’ એટલે નદી કે તળાવમાં ઊતરવા માટે કરેલો ઓવારો. ‘કર’ એટલે કરનાર. નદીમાં સહેલાઈથી ઊતરવા માટે ઓવારો જોઈએ તે જ રીતે સાચો ધર્મ સમજવા માટે બુદ્ધ પુરુષની જરૂર પડે. સાચા ધર્મની સમજ આપનાર મહાપુરૂષ તે તીર્થંકર. મહાવીર સ્વામીને ચોવીસમા અને છેલ્લા તીર્થંકર માનવામાં આવે છે.
ધર્મગુરુ તો બ્રાહ્મણ જ હોય તે માન્યતા સાચી નથી. ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિયો હતા અને રાજપુત્રો હતા. ગૌતમ બુદ્ધ નેપાળની તળેટીમાં રહેતા શાક્ય નામના ક્ષત્રિયોના કુળમાં જન્મ્યા હતા અને મહાવીર પટણાથી સત્યાવીશ માઈલ ઉત્તરે વૈશાલિનગરની પાસેના પરામાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના કુળમાં જન્મેલા. આપણે મહાવીરના જીવનપ્રસંગોથી તો પરિચિત છીએ, પણ આપણે આજે એમનાં કઠિન તપ-ભિક્ષા-ધ્યાન વગેરેની વિરલ વાતો જાણવી છે.
મહાવીર એવું માનતા હતા કે, મનુષ્યોનો આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને અનંત શક્તિવાળો છે, પરંતુ વાસનાઓ અને તેનાથી પ્રેરાયને થતાં સારાં ખોટા કર્મો દ્વારા તે મલિન ને દીન બની જાય છે.
તપ બે રીતે થાય: (૧) ઉપવાસ કરવા, ટાઢ-તડકો સહન કરવાં વગેરે બાહ્ય તપ અને (2) ધ્યાન.. મનને પદાર્થો તરફ જતું રોકી એક જગ્યાએ સ્થિર કરવું તે. મહાવીર સ્વામી બન્ને તપ કર્યા અને સિદ્ધતાપૂર્વક કર્યાં!
કોઈ ગમે તેવું દુઃખ દે પણ મહાવીર તેનો વિરોધ જ ન કરે. સ્વભાવથી એટલા દયાળુ કે પોતાનું દુઃખ નિવારવા કોઈને દુઃખ આપી જ ન શકે. જીવજંતુ કરડે કે વકરેલાં કૂતરાં બચકાં ભરી માંસ કાઢી લે તો પણ તેને હરાવે નહીં. ભિક્ષા માંગવા જાય ત્યાંરે પણ બીજા યાચકને કે કાગડા-કૂતરાંને અન્ન મળવામાં અડચણ ન આવે તેની કાળજી લે! ભિક્ષા આપનારને નવું ભોજન બનાવવું પડે તેમ લાગે તો ત્યાંથી ખસી જાય. ઘરના બધાં ખાઈ રહે પછી જ વધ્યું-ઘટયું માગી લાવે ને આરોગે.. અરે સાધુ થતી વખતે એક વસ્ત્ર પહેરેલું તે ઝાડી-ઝાંખરાંમાં ભરાઈને નીકળી ગયું તો બીજું માંગીને પહેર્યું નહી. !
ધ્યાનમાં હોય ત્યારે પૂર્ણત: સ્વમાં ખોવાયેલા. એક નાદાન ભરવાડે પોતાનાં બળદ ગુમ થવા અંગે શંકા કરી ખરેખર બ્હેરા કરી નાખવા કાનમાં અણીદાર શૂળો ભોંક્યા તો પણ મહાવીર તો પ્રશાંત!. બાર બાર વર્ષોનું કઠોર છતાં સહજ તપ, બહારનું અને અંદરનું, ત્યારે એક વનમાં પરમ જ્ઞાન ઉપજ્યું અને શુદ્ધ-બુધ્ધ- મુક્ત થયા! ત્યારે ઉપનામ પામ્યા ‘અર્હન્ત‘. સૌ પ્રાણીઓના પૂજય તે ‘અર્હન્ત‘. મહાવીર સ્વામી મન-શરીર-વાચા-કર્મ પર વિજય મેળવ્યો તેથી ‘જિન’ કહેવાયા. તેઓના માર્ગે ગયેલા સાધુ-સન્યાસી અને તેમણે બતાવેલ ધર્મને સહેજ હળવી રીતે પાળવાનું નકકી કરનાર ગૃહસ્થો શ્રાવક કહેવાયા. ‘જિન’ એવા મહાવીરના શિષ્ય થનાર સાધુ અને શ્રાવકો જૈન કહેવાયા.
અહિંસા અને તપનું અનુસરણ શક્ય છે. કુદરતે આપણને કોરોના કાળમાં કઠોર તપની પ્રેક્ટિસ કરાવી છે. કુદરતે માર્મિક રીતે એ પણ ટકોર કરી છે કે, જે જીવને મારે છે તેને હું વિષાણુ બનીને પાઠ ભણાવું છું. !
