
ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયા !! કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’
‘તમે જ્ઞાનમય ભાવ સમુદ્ર છો, સદા ઉન્મત પ્રેમનાં વારીઘી રૂપ છો.’
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની આ પાંચમી પંક્તિ છે.
ભાવ સમાધિમાં જતા રહેવું કે ભાવ અવસ્થાઓની અસર નીચે જીવવું એ શ્રી રામકૃષ્ણ દેવ માટે અતિ સહજ હતું. શ્રી રામકૃષ્ણ દેવનું જીવન એટલે અસંખ્ય ભાવાવસ્થાઓની અમર કહાની. શ્રી રામકૃષ્ણદેવ જાણે કેટકેટલીયે ભાવાવસ્થાનાં વિશાળ સાગર જોઈ લ્યો. બાળપણમાં ઈશ્વરના ભાવાવેશમાં વિભિન્ન ભવોથી મત બની જતા. પછી 12 વર્ષની સાધનાના ગાળામાં વિભિન્ન સાધનાઓમાં, વિભિન્ન દેવ દેવીઓના દર્શનોમાં, અને અનુભૂતિઓમાં જાણે નિમગ્ન બની ગયા. અને છેલ્લા 12 વર્ષ લોક કલ્યાંણર્થે દિવ્યભાવમાં આરૂઢ થયા.
શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચેતન્ય થાય?’ જ્ઞાનમય ભાવોના સમુદ્રરૂપ શ્રી રામકૃષ્ણ દેવને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજી આ પંક્તિ લખે છે કે, ‘તમે જ્ઞાનમયી ભાવસમુદ્ર છો, સદા ઉન્નત પ્રેમના વારીઘી છો.’
જેઠ કે અષાઢ મહિનાની વાત છે. ગદાધરની ઉંમર ત્યારે છ કે સાત વર્ષની. કામાર પુકુરનાં એ રમ્ય ગ્રામના ખેતરના પાળા ઉપરથી હાથની છાબડી માંથી મમરા ખાતો-ખાતો ગદાધર જઈ રહ્યો છે. આકાશમાં તેને દેખાય છે એક સુંદર જળવાળું કાળું વાદળું. ત્યાં જ હારબંધ સફેદ દૂધ જેવા બગલા ત્યાંથી પસાર થાય છે. એક અજબનું વાતાવરણ જામી ગયું. આમ જોતા જોતા અપૂર્વ ભાવમાં તન્મય થઈ જવાથી ગદાધર બેભાન થઈને ઢળી પડ્યો. મમરા બધા વેરવિખેર થઈ ગયાં. લોકો તેને ઊંચકીને ઘરે લઈ ગયા. આ હતી શ્રી રામકૃષ્ણ દેવની પ્રથમ ભાવ સમાધિ. એમ કહેવાય છે કે પછી આ ભાવ સમાધિનો સિલસિલો સતત ચાલતો રહ્યો.
કામાર પુકુર થી એક કોશ દૂર આનુડ ગામમાં આવેલ વિશાલાક્ષી દેવીના મંદિરના દર્શન માટે કામાર પુકુરથી કેટલીક સ્ત્રીઓ જતી હતી. આઠ વર્ષના ગદાધરે હઠ લીધી એટલે તેને સાથે લીધો. વિશાલક્ષી દેવીનું માહત્મ કીર્તન કરતા-કરતા ખેતર વટાવતા પહેલા જ ગદાધર ગાતા-ગાતા થંભી ગયો. તેના અંગ પ્રત્યાંગો અકડ થઈ ગયા, આંખોમાંથી અવિરત આંસુની ધાર વહેવા લાગી, આંખે-માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોશમાં ન આવતો જોઈને સ્ત્રીઓ તો ચિંતામાં પડી ગઈ. પ્રસન્નમયી નામની એક વિધવાની પુત્રી ગદાધરને ખુબ વ્હાલ કરતી અને તેનામાં ભગવત બુદ્ધિ રાખતી. અચાનક એના મનમાં ઝબકારો થયો કે, સરળ મનનાં શ્રદ્ધાવન બાળકમાં દેવી તો નથી આવ્યા ને ! હવે બધી સ્ત્રીઓ મળીને પ્રસન્નમયી ના કહેવાથી મા વિશાલાક્ષા દેવીનું નામ સંકીર્તન કરવા લાગી. અને ગદાધરને સંબોધીને કહેવા લાગી ‘ મા વિશાલાક્ષી પ્રસન્ન થાઓ મા, રક્ષા કરો’. આમ કરતાં થોડી જ વારમાં ગદાઘરનું મુખ મંડળ સુમધુર હાસ્યથી ખીલી ઉઠ્યું.
શિવરાત્રીની રાત કામાર પુકુરના સીતાનાથ ભાઈએ પોતાના ઘર પાસેના ગામની મંડળીના નાટકનો બંદોબસ્ત કર્યો. જેથી ગામવાસીઓને વ્રત જાગરણનો આનંદથી પ્રાપ્ત થાય. પણ સાંજના સમાચાર મળ્યા કે, શિવનો પાઠ ભજવવાનો હતો તે વ્યક્તિ બીમાર પડી ગયો છે તેથી નાટક નહીં થાય. લોકો નિરાશ થઈ ગયા. એમાં કેટલાકને એવો વિચાર આવ્યો કે, ગદાઈ એટલે કે ગદાધર તો શિવ પૂજામાં મગ્ન રહે છે, શિવ સ્ત્રોત ગાય છે, તેને આ પાઠ ભજવવા આપ્યો હોય તો !!! નાટક મંડળી વાળા રાજી થઈ ગયા. સૌના આગ્રહથી ગદાઈ પણ સંમત થયો. રાત્રે નાટક શરૂ થયું. ગદાઈ જ્યારે મંચ પર હાજર થયો ત્યારે લોકો તેના જટાજુટ વાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયો. કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ ભાવસાગરમાં મગ્ન રહેવાનું શીખ્યા હતા. શ્રી રામકૃષ્ણ દેવમાં સ્ત્રી અને પુરુષ બંને ભાવોનો અદભુત સમાવેશ થતો. મધુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધા રાણીનું આરોપણ કરતા ત્યારે સ્ત્રીનો વેશ ધારણ કરતાં. છ માસ સુધી તેમનું હલન-ચલન, હસવું-બોલવું, કટાક્ષ, અંગમરોડ શરીરની એકે એક ચેષ્ટા બધું નારી સુલભ બની જતું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીના બધા લક્ષણો પ્રગટ થયેલા.
શ્રીમતી રાધા રાણીની કૃપા વગર શ્રીકૃષ્ણના દર્શન પામવા અશક્ય છે, એમ જાણીને તેઓ તેમની પ્રેમ ઘનમૂર્તિના સ્મરણ, મનન અને ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતાં. આ પછી તેમને રાધા રાણીના દર્શન થયા અને દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ શ્રી રામકૃષ્ણ દેવના દેહમાં સમાઈ ગઈ.
એમના શરીરના રુવાડાના છિદ્રોમાંથી ઘણીવાર ટીપે ટીપે લોહી ટપકતું. શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હોય તેવા ઢીલા-ઢીલા જણાતા હતા અને હૃદયની અપાર યંત્રણાને લીધે ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક-ક્યારક મડદા જેવો નિશ્ચેતન અને ભાન રહિત બની જતો. આ મહાભાવનો ઉલ્લેખ કરીને શ્રી રામકૃષ્ણે કહેલું કે, ઓગણીશ પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય, એવી વાત ભક્તિ શાસ્ત્રમાં છે. સાધના કરીને એક-એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની પૂરેપૂરી જિંદગી વીતી જતી હોય છે. અને પોતાના શરીર સામું જોઈને કહ્યું કે, અહીંયા એક આધારે એક સાથે એ જાતના 19 ભાવોનો પૂર્ણ પ્રાદુર્ભાવ થયો છે. આ મહાભાવની ચરમ સીમાએ તેમને શ્રી કૃષ્ણનાં પાવન દર્શન થયા અને શ્રીકૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રી અંગમાં ભળી ગઈ !!
કાશીમાં શ્રી રામકૃષ્ણ દેવને અનેક દિવ્ય દર્શનો પ્રાપ્ત થયા. તેવી જ રીતે વૃંદાવનમાં પણ તેમને અનેક અદભુત દર્શનો થયા. બાકે બિહારીની મૂર્તિના દર્શન કરીને ત્યાં તેમને અદભૂત ભાવાવેશ થયો. સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડી ગયા. ધ્રુવ ઘાટ પર તેમને વસુદેવ જમુના પાર કરી રહ્યા છે તેવું એમને દેખાય છે. શ્રી રામકૃષ્ણ દેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેતું હતું. એકવાર કોલકાતામાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોવા ગયાં પણ સિંહ તો મા દુર્ગાનું વાહન છે એમ વિચારે ચડતાં મા ના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. સમાધિ અવસ્થામાં ચાલ્યાં ગયા. સિંહનાં દર્શન તેઓ કરી ન શક્યા.
કોલકતામાં મેદાનમાં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને એક ત્રિભંગ મુદ્રામાં જોયો. તેમને શ્રી કૃષ્ણનાં ભાવનું ઉદ્દીપન થયું અને તરત જ તેઓ સમાધિમાં ચાલ્યા ગયાં. એક વેશ્યાને નિલરંગની સાડી પહેરીને જતી જોઈ તેમને લાગ્યું જાણે સીતા રાવણનાં સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના આ ભાવથી વિહ્વળ થઈ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે જોયું કે રમણી નામની એક વેશ્યા જઈ રહી છે તેમાં પણ તેમને જગન માતાનાં દર્શન થયા. ‘ઓ મા આજે તું રમણીનું રૂપ ધારણ કરીને આવી છો. ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કરજે.’ આમ કહીને મા ના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા.
રામકૃષ્ણ દેવના અનુભવો આધુનિક મનોવિજ્ઞાનને શોધકાર્ય માટે ઘણી સામગ્રી આપે એમ છે. એકવાર ગંગા કાંઠે તેઓ ઉભા હતા ત્યારે દૂર ગંગા પર એક નાવમાં બે નાવિકોને તેમણે ઝઘડતા જોયા. એક નાવિકે બીજા નાવિકની પીઠ પર થપાટ મારી શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે અદ્વૈત ભાવમાં હતા. તેમણે ચીસ પાડી. તેમનો સેવક એટલે કે ભાણેજ હૃદય દોડતો-દોડતો આવ્યો. જોયું તો શ્રી રામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે. ‘મામા કોણે તમને માર્યું ? જલ્દી બતાવો તેને હું મજા ચખાડું’. શ્રી રામકૃષ્ણદેવ તો ત્યારે સમાધિ અવસ્થામાં હતા. સહજભાવમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું તેથી તેમને દુઃખ થયું. તેમની પોતાની પીઠ લાલચોળ થઈ ગઈ. કેવી અદભુત અદ્વૈતાનૂભુતિ !!
ઇસ્લામ ધર્મની સાધના વખતે શ્રી રામકૃષ્ણદેવ અલ્લાહ મંત્રનો જાપ કરતા અને મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતા. દિવસમાં પાંચ વખત નમાજ પઢતા. આ સાધનાના અંતે તેમને લાંબી દાઢીવાળા અશુંગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને સૂર્ય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લિન થઈ ગયું. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ શ્રી રામકૃષ્ણ દેવને આલિંગન કરી તેના શરીરમાં ભળી ગયાં.
બાહ્ય જ્ઞાન ગુમાવીને શ્રી રામકૃષ્ણ દેવનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણીવાર એકાકાર થતું રહ્યું. સ્વામી વિવેકાનંદ કહેતા કે, મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર કરી શકે એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પીંડાની જેમ ભાંગતો, ટિપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી નવાં બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો. એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં મારા જગતમાં જોયો નથી. આ અનેક ભાવ દશાઓ અને ભાવ સમુદ્રને જાણ્યાં પછી આપણે સંમત થઈશું કે સ્વામી વિવેકાનંદે આરતીની પાંચમી પંક્તિમાં જે કહ્યું છે કે પરમ સત્ય છે, ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. (ક્રમશ:)
