
હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.
સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં કહે છે,
प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.
સ્વામી શ્રી પ્રેમાનંદજી એ એક વાત નોંધી છે.
એકવાર હાજરા એ શ્રી રામકૃષ્ણ દેવને કહ્યું, “નરેન્દ્રને જોવા તમે આટલા વ્યાકુળ કેમ રહો છો? ભગવાનમાં તમારું મન લગાડો. આ બધા છોકરાઓનો વિચાર છોડી દો.” એક નાના સરળ બાળકની જેમ શ્રી રામકૃષ્ણ દેવે હાજરા ની વાત માની લીધી અને દક્ષિણેશ્વરમાં પંચવટી તટે ગયા. ત્યાં જગનમાતાએ દર્શન આપી તેમને કહ્યું, ‘તું કેવો મૂર્ખ છે ! શરમ નથી આવતી, તું આ જગતમાં કેવળ પોતાના સુખને માટે આવ્યો છે?’ ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ‘મા, જો માનવના કલ્યાણ માટે મારે લાખો વાર દુઃખ સહન કરવા પડે તો હું ખુશીથી તેમ કરીશ.’ આ વાતને માંડ છ મહિના થયા હશે ત્યાં જ તેમને કેન્સર થઈ ગયું. તેઓ માંડ-માંડ ધીમા અવાજમાં બોલી શકતા, ભૂખ્યા હોવા છતાં કંઈ ખાઈ શકતા નહીં. બેસતી વખતે કે સુતી વખતે કોઈપણ અવસ્થામાં પીડામાંથી રાહત મળતી નહીં. દિવસ-રાત સમસ્ત દેહમા ભયંકર બળતરા થતી. આટલી ભયંકર યાતના હોવા છતાં ક્યારેય લોકો પર કૃપા વરસાવાનું અને તેઓને ઈશ્વરના પંથે અગ્રેસર કરવાનું તેમણે બંધ નહીં કર્યું. આવું લગભગ લગભગ દોઢેક વર્ષ ચાલ્યું.
સ્વામીશ્રી નિખિલેશ્વરનંદજી લખે છે કે, છેલ્લા દોઢ વર્ષ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના દેહમાં જે પીડા ભોગવી છે તેનું તો વર્ણન અશક્ય છે. છ મહિના માટે તેમનો નિત્ય આહાર હતો જવનું પાણી. એ પણ અત્યંત કષ્ટપૂર્વક ગળાની અંદર તેઓ ઉતારી શકતા હતા. શ્રી રામકૃષ્ણદેવ પોતે ડોક્ટરને ગળાની પીડા નું વર્ણન કરતી વખતે કહેતા, ‘ઘાવ થઈ જવાથી કોઈક છુરી મારી રહ્યું હોય એવી વેદના થાય છે. રાત કાઢવી મને મુશ્કેલ પડે છે.’
અંતિમ બીમારી વખતે પ્રખ્યાત પંડિત શશીધર તુર્કચોરામણીએ શ્રી રામકૃષ્ણદેવને સલાહ આપી, ‘મહાશય, શાસ્ત્રમાં વાંચ્યુ છે કે આપના જેવા મહાપુરુષ ઈચ્છા માત્રથી શરીરના રોગ મટાડી લઈ શકે છે. મટી જાઓ એમ વિચાર કરીને એકવાર રોગને સ્થાને મનને એકાગ્ર કરીને થોડીવાર રાખવાથી બધું મટી જશે. આપ પણ એકવાર એ પ્રમાણે કરી જુઓ’.. તો શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ‘અરે, તમે પંડિત થઈને આવી વાત શી રીતે કરો છો? જે મન સચ્ચિદાનંદજીને આપ્યું છે તેને ત્યાંથી ઉઠાવીને આ ભાંગ્યા તૂટ્યા હાડ -માસના માળખા ઉપર લગાડવાની પ્રવૃત્તિ હવે શું થઈ શકે?’ પંડિતજી તો નિરુત્તર થઈ ગયા. પણ સ્વામી વિવેકાનંદજી તથા અન્ય ભક્તોથી ચુપ રહેવાયું નહીં. તેઓએ જીદ માંડી અને કહેવા લાગ્યા, ‘અમારાથી આપનું આ ભયંકર કષ્ટ જોવાતું નથી. છેવટે અમારી ખાતર આપે આ રોગ મટાડવો પડશે.’ શ્રી રામકૃષ્ણ દેવે જ્યારે કહ્યું કે, જગન માતાની ઈચ્છા પર એ આધારિત છે ત્યારે સ્વામી વિવેકાનંદજી એ તેમને જગન માતાને પ્રાર્થના કરવા કહ્યું. ઘણી આનાકાની પછી શ્રી રામકૃષ્ણદેવ જગન માતાને પ્રાર્થના કરવા માટે સંમત થયા. થોડા કલાક વીત્યા પછી સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવને ઉત્સુકતાથી પૂછ્યું, ‘ગુરુદેવ, તમે મા ને કહ્યું, મા શું બોલ્યા?’ શ્રી રામકૃષ્ણદેવ બોલ્યા, ‘મેં મા ને ગળાનો ઘાવ દેખાડતા કહ્યું, આને લીધે કશું ખવાતું નથી. જરાતરા ખવાય એવું તો કરી દે’ તે સાંભળીને તમને લોકોને દેખાડીને મા બોલ્યા, ‘કેમ રે, આટલા મોઢાથી તો તું ખાય છે’. શરમથી ભોઠો પડી જઈને હું તો આગળ કશું બોલી ન શક્યો.
શ્રી રામકૃષ્ણ દેવનું સમસ્ત જીવન દુઃખ-કષ્ટોથી ભરપૂર હતું. કેવી કઠોર કઠોર એમની સાધનાઓ હતી! પરિણામે માનવજાતના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણ દેવે જે દુઃખો સહન કર્યા છે તે વર્ણનાતીત છે. એટલે સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં લખ્યું છે, प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો. વિશ્વના ઇતિહાસમાં રામકૃષ્ણ દેવ જેવી સાધનાનું વર્ણન મળતું નથી. પછી આ સાધનાના ફળ વિતરણ કરવા માટે એવો કેવા વ્યાકુળ થયા હતા, જગન માતાના દર્શન માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે ગંગાના તટ પર રેતી પર પછડાટ ખાઈને પડી જતા. વ્યાકુળ રુદનથી દિશાઓ ભરાઈ જતી. શ્વાસોશ્વાસ બંધ પડી જતા. પ્રાણ તડફડવા લાગતા. શરીર આખું ઉજ઼ેડાઈ જતું અને લોહીલોહાણ થઈ જતું.
આ અવસ્થા પછી શ્રી રામકૃષ્ણ દેવને પંચવટી ખાતે એક દિવસ દર્શન થયું. તેમના શરીરમાંથી પાપ પુરૂષ બહાર નીકળ્યો અને બીજો એક સૌમ્ય પુરુષ તેના શરીરમાંથી બહાર નીકળી અને તેને મારી નાખ્યો. આમ બન્યું તે પહેલા છ મહિના સુધી તેમણે દેહની બળતરાથી બહુ પીડા ભોગવેલી. પાપ પુરુષના નાશના થોડા વખત પછી ફરી તેમના શરીરની બળતરા શરૂ થઈ. બળતરા એટલી વધી ગઈ કે માથે ભીનો ટુવાલ રાખીને ત્રણ ચાર કલાક સુધી ગંગાના પાણીમાં શરીર ડુબાડીને બેસી રહેવા છતાં પણ તેમને શાંતિ ન થઈ. છાતીની અંદર હામી ભરીને દેવતા મૂકવાથી જેવી લ્હાય ઉઠે અને પીડા થાય એવી જાતનો અનુભવ કરીને શ્રીરામકૃષ્ણ દેવ ત્યારે તડફડી ઉઠ્યા. ઇષ્ટ કવચ ધારણ કર્યા પછી આ બળતરાનું શમન થયું.
તોતાપુરી પાસેથી અદ્વૈત જ્ઞાન મેળવ્યા બાદ શ્રી રામકૃષ્ણ દેવ છ મહિના સુધી નિરંતર નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં રહ્યા. તે દશામાં એક અજ્ઞાત સાધુએ એમને દેહત્યાગ કરતા બચાવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવના વાળ ધુળ ભરેલી ચટ્ટાઈ જેવા ઘટ્ટ થઈ ગયા. છ માસ સુધી આંતરડામાં અસહ્ય શૂળ ભોંકાયા કર્યા. તેઓ પોતે આ અવસ્થાનું વર્ણન કરતા કહેતા, ખૂબ બીમાર હતો, ઝાડા બંધ થતા ન હતા, કરોડો કીડીઓ મારા મગજને કોરી ખાતી હોય એવું થતું હતું. સતત દિવ્ય આનંદમાં ડૂબેલો રહેતો અને તેથી દિવસ-રાતનું કોઈ ભાન ન રહેતું. બીજે દિવસે સખત ઝાડા થઈ જતા અને બધો આનંદ મળ દ્વારા નીકળી જતો. શુદ્ધ હ્રદયવાળા ભક્તોને માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠી પરની અગાસીમાં ચડીને રડતાં-રડતાં પોકારવા લાગતા, ‘અરે ક્યાં છો ભક્તો, આવો આ સંસારી લોકોની વાતો સાંભળીને મારા કાન બળી ગયા છે.’ તેમના આહવાનથી શુદ્ધ હૃદયવાળા સ્કૂલ-કોલેજનાં અનેક વિદ્યાર્થીઓ આવ્યા અને તેમના સંસ્પર્શથી સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ જેવા અનેક સંન્યાસીઓ આપણને મળ્યા.
આ કળિયુગમાં પાપાચાર વધી રહ્યો છે અને લોકોના શારીરિક અને માનસિક દુઃખો પણ વધી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ, પ્રભુ તમારો અવતાર કળિયુગના પાપનો ભાર લેવા માટે થયો છે, માટે સમસ્ત જગતનું દુઃખ દૂર કરો. પ્રભુ, સમસ્ત જગતનું કલ્યાણ કરો.
