અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદની અર્ધી સદીની યાત્રામાં આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠી સાથે અદભુત સંવાદ કરવાનો લ્હાવો મળેલ છે. બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીતજી સાથેનો સંવાદ આજના અને આવતીકાલના યુવાનો માટે પ્રેરણાના ઝરણા જેવો રહ્યો. આવો, તેમની વાતો જાણીએ..

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.  

એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું. 

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!! 

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.  

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે,  તે તબક્કાની તેઓની સ્થિતિ વિષે તો આપણે સંવાદ નિહાળીશું ત્યારે જ ખ્યાલ આવશે.

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું નથી,” પૂજ્ય શ્રી મોટા

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા  ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો. 

પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની  પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ  मनने ની  સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની  વિનંતી છે.”

“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની  જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું  સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની  સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે. 

આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ  સમજવાનો પ્રયાસ કરીએ:

ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:

ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કેવું ?

ત્હને કેટલી વાર કો રીત ટેવું ?

નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે

 નથી એટલુંયે અરે ! ભાન શાને ?..

આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે : 

ચઢાશે બે ઘોડલે તુંથી બાપુ,

ત્હને તે વધારે કઈ શીખ આપું ?

અજાણ્યું અને ભોટ જો હોય સારું,

કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.

મ્હને છેતરી છેતરી જાય ઊંધું,

ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,

હતે બાળ તો આંગળી આપીને મ્હેં,

ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.

તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત ! 

હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની  રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે : 

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,

ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,

ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,

તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?

ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,

ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,

ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,

ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.

ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,

ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,

ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,

તણાયા કદી તો બૂરા હાલ આવે.

 હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું  કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું  કે તરત જ તું તો મને પછાડે છે.  હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી. 

કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,

બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું

તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે

પછાડી કરે ખોખરાં હાડકાં રે. 

હુલાવી ફુલાવી લઉં કામ તોયે,

વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,

કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,

શાને શીખે તું, પડે છે છતાંયે? 

જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,

વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,

પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,

ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?

શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના  સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે : 

ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?

નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,

છતાં ચૂકવે કાં તું મ્હારું દાપું ?

ફજેતી થતાં લાજ આવે કાં શું ?

 સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,

સદા સર્વને પ્રેમથી રીઝવી લે,

નકામા નકામા તરંગે ચઢ્યું તો,

ગુમાવીશ તું મેળવેલુંરળેલું. 

મ્હને છોડશે તું, છતાં કેમ છોડું

ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,

ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,

તદાકાર રેવા મથાવીશ, બાપ.  

હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું  લાગું એટલે કે મારું  વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે,  સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ. 

છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ  કરાવીશ.  

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અખંડ આનંદ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ.

“આપણે ડીનર માટે અવશ્ય જઈએ પણ મારે રાત્રે દસ વાગે એક બ્રેક લેવો પડશે.”

“બ્રેક એટલે ?”

“મારે ફોન પર ત્રીસેક મિનિટ વાતો કરવી પડશે. આમ તો કહો ને કે, વાતો નહીં પણ વાર્તા !”

અમે સૌ વિચારમાં પડી ગયા કે આ સોલ્જર અને પાછી વાર્તા ???

એમણે અમારા ચહેરાની મૂંઝવણ પારખી લીધી અને સ્મિત સાથે સ્પષ્ટતા કરી.

“મારે એવું છે કે હું  ઘરની બહાર હૉઉ ને ત્યારે રોજ રાત્રે ત્રીસ થી પિસ્તાળીશ મિનિટ કાઢવી. એ  અમારો રિવાજ છે. રિવાજ એટલા માટે કે, હવે  અમે તેને ફોલો કરવાનું ચુકતા નથી. કહો ને કે એ અમારી ટ્રેડિશન બની ગઈ છે.”

“અરે વાહ, વાર્તા કહેવાની ટ્રેડિશન !?! આ તો આનંદની વાત છે. તમે કોને વાર્તા કહેશો ? આજે અમે ય માણીએ “

“ના ના એવું નથી કરવું કારણ કે હું વીડિઓ કોલથી જોડાઇશ અને વાર્તા પુરી કરી ફરી આપણી વાતાવલી ચાલુ રાખીશું…તમને તો ખ્યાલ છે  કે, મારે એક દીકરો શિવાંશ છે અને એક દીકરી શિવીકા છે.”

“વાહ, શું નામ રાખ્યા છે !! શિવાંશ અને શિવીકા. ભગવાન શિવ સાથે નાતો  બરાબર રાખ્યો છે.”

“તમારે નાગરોમાં નામ બહુ વિશિષ્ટ હોય, નહીં ?”

“હા એ સાચું અને વળી અમે  શિવપંથી ને ?? નાગરનો દીકરો લશ્કરનો જવાન બને એટલે ભગવાન શિવને થોડો ભૂલી જાય ?? અને મેં તો એટલે જ બંનેના નામ જ એવા રાખ્યા છે કે શિવ સાથે ને સાથે જ રહે. અને સાથે ન રહે તો જીભે ને હૈયે તો રહે જ રહે.”

“અરે વાહ, આ તો ઉત્તમ.”

“મને લશ્કરમાં જોડાયે સોળ વર્ષો થયા છે અને લગભગ એટલી જ જગ્યાએ મારી બદલી થતી રહી છે. જે અમારા માટે બહુ યુઝવલ છે. પણ બહાર રહેવાનું બહુ રહેતું હોવાથી અને ચોવીસે કલાક એલર્ટ રહેવાનું હોવાથી અમે ચારેય કુટુંબીઓએ એક નિયમ બનાવ્યો છે કે, મારે રોજ ઓછામાં ઓછી પિસ્તાળીશ મિનિટ બાળકો સાથે ગાળવી.રોજ તો કેમ અને ક્યારે એ શક્ય બને, એટલે પછી રાત્રે  જયારે બાળકો ઊંઘવા માટે રિલેક્સ થાય ત્યારે  મને  વીડિઓ કોલ કરે અને હું જોડાઈ જઉં. આમ વાર્તા કહેવાની મઝાની યોજના અમે બનાવી છે. અને આજ સુધી અકબંધ તેનું પાલન કર્યું છે.”

“નક્કી કરેલું પાલન કરવામાં તો તમને કોઈ ન પહોંચે !! એટલે આ વાર્તા સેશન પણ નિયમિત રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.પણ આ વાર્તાઓ તમારે તૈયાર કે યાદ કરવી પડે ને?”

“હા, નાના હતા ત્યારે મા અને પપ્પાએ વાર્તા કહેલી તે તો યાદ રહી જ ગઈ હોય અને પછી મોટા થઈને વિસ્મયથી રામાયણ, મહાભારત, પંચતંત્ર વગેરે વાતો વાંચી હોય, સાંભળી હોય ને,,બસ એનું કલેક્શન એટલું બધું છે કે વાર્તાઓ ખૂટતી નથી.પાછું રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધ આવે એટલે યુદ્ધકથામાં મારા અનુભવો ભેળવું એટલે મને ય મઝા આવે ને બાળકોને શૌર્ય ચડે. આમ બંનેનો ફાયદો.”

“..પણ બાળકો રસથી રોજ વાર્તા સાંભળે ખરા ?”

“વાર્તા કોને ન ગમે ? આપણને આ ઉંમરે પણ કોઈ વાર્તા કહે તો આપણે કેટલા ચોંટી જઈએ છીએ ?”

“વાત સાચી. આપણી ટી વી સિરિયલ્સ એટલે તો કેટલાય હપ્તાઓ સુધી આપણે માણ્યા  કરીએ છીએ ને !”

“પરફેક્ટ. સ્ટોરીને  બદલે લેક્ચર હોય તો , કોઈ આટલું સહન કરે ખરું ? હા, એ ખરું કે મારે બહુ એલર્ટ રહેવું પડે, કારણ બાળકો બહુ શાર્પ હોય છે એ તમને પકડી જ પાડે. ક્યારેક એવું બને કે મારાથી  વાર્તા રિપીટ થાય તો શિવીકા તરત જ કહે કે, ‘આ તો સાંભળેલી છે. કહું આમાં છે ને ….’ એમ કરીને વાર્તામાં હવે શું શું આવે છે તે કહેવા લાગે. એટલે આપણ રામ કાન  પકડે ને કબૂલે, એટલે એ કહે, ‘બોલો, સોરી !!’ તો તરત સોરી બોલી દેવાનું, એમાં મિલિટરીમેન નહીં થવાનું. યાદ રાખવાનું કે,  હું અહીં તો બાપ છું.”

“વાહ, તમે તો અદભુત વાત કરી અને  પાછી વાર્તાની વાત. મઝા પડી ગઈ.”

અમારામાંથી એક વડીલે તીખો પ્રશ્ન પૂછ્યો , “ તમે જે મોરચે હો તે જગ્યાએ કોઈ મંદિર કે ધર્મસ્થાન હોય ખરું ?? હોય તો કોનું સ્થાનક હોય ?”

થોડીવાર મૌન ધારણ કરીને એ જુવાન બોલ્યો : “ હોય, ચોક્કસ હોય, આર્મીએ જ બનાવેલું હોય. પણ કોનું હોય તે નક્કી નહીં , પણ ધર્મસ્થાનક હોય.જ્યાં જે રેજિમેન્ટ હોય તેમાં જે બહુમતી જવાનો હોય તેનું ધર્મસ્થાનક ત્યાં બને, આવો સાદો નિયમ. પણ હા, એમાં બધા જ જવાનો જાય અને હાથ જોડી મસ્તક નમાવે જરૂર, એમાં એ નહીં જોવાનું કે આ કોનું ધર્મ સ્થાન છે ?  અને હા, ક્યાંક એક થી વધુ પણ હોય. મંદિર હોય ને ચર્ચ પણ હોય ને ગુરુદ્વારા પણ હોય. અને એવી જગ્યાએ અમારા જેવા સિનિયર ઓફિસર એક પછી એક બધા જ સ્થાનકમાં જાય ને માથું નમાવે અને સર્વધર્મ પ્રત્યે આદર દર્શાવે.તમે પૂછ્યું છે એટલે કહું કે, અમારામાં અમારો કોઈ ધર્મ ન હોય, અમે ચુસ્તપણે સર્વધર્મ સમભાવમાં માનીએ અને તેનું કડક પાલન કરીએ. અમારો ધર્મ એટલે રેજિમેન્ટનો ધર્મ.”

“…તો તો આ ભેદભાવ વાળું અમારામાં જ છે, એવું નક્કી થયું ને ?”

“હું એમાં હા કે ના ન કહેવાની શિસ્તનું પાલન કરીશ પણ એટલું કહીશ કે અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ. અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અચાનક એક સાંજે એક આર્મીમેનને નિરાંત જીવે મળવાનું થયું અને એ પણ ગુજરાતી આર્મીમેન. અમારા કુટુંબી. કમાન્ડો તરીકે પડકારરૂપ સ્થિતિમાં ફરજ બજાવનાર સાથે જે ગોષ્ઠી થઇ તે ‘આસપાસ ચોપાસ’નું વાતાવરણ હૈયાંને ટાઢક વાળી ગયું.  આપણા ગંગાસતી જેવા સંતે  ભેદની ભીંતો ભાંગવાનું કહ્યું અને તેનું ચુસ્ત પાલન અન્ય કોઈ કરે કે ના કરે પણ આપણા જવાંમર્દ સૈનિકો કરે છે તેનો સંતોષ થયો.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું...

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજે માની દસમાં ધોરણની દીકરીઓને ગણિતની પરીક્ષા હતી. ગુજરાત આખામાં ગણિત આજે પણ વિદ્યાર્થીઓમાં ભયનો વિષય છે, એટલે દીકરીઓના ચહેરા પર ચિંતાના વાદળો દેખાતા હોવાં જોઈએ, પરંતુ બારડોલીની આ સરદાર પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓના ચહેરા હસતા દેખાતા હતા, કારણ આગલી રાત્રે બહારથી ભણાવવા આવતા જયેશભાઈ અને પ્રિયંકાબેને જબરદસ્ત પ્રેક્ટિસ ગણિતની કરાવી હતી, તેથી વિદ્યાર્થિનીઓનો વિશ્વાસ બમણો થઈ ગયો હતો.

એક વાત એ નોંધવા જેવી છે કે ગઈકાલે દીકરીઓની બોર્ડની રસીદો જે મેં માના મંદિરમાં મૂકેલી જોઈ હતી અને તેના ચિત્રો આપને દર્શાવ્યા હતા તે રસીદો આજે જુદી જ રીતે ગોઠવાયેલી હતી. માના રૂમમાં એક શેટી ઉપર સૌના ક્રમબદ્ધ ફોટા દેખાય તેવી રીતે આ હોલ ટિકિટ પાથરેલી હતી. (આ સાથેની તસવીરમાં તે જોઈ શકાશે) અને બીજી એક શેટી ઉપર વિદ્યાર્થીઓના ક્રમ પ્રમાણે એમની ઘડિયાળો ગોઠવેલી હતી.!!! આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કારણ આ કંઈ દીકરીઓનું ઘર નથી, પણ ઘરથી પણ વિશેષ જેની કાળજી નિરંજના મા લે છે, તે છાત્રાલય છે અને એવું છાત્રાલય કે જ્યાં માની નિશ્રા ચોવીસે ય કલાક મળતી રહે છે.

મા પોતાના શયન પછી આ શેટીઓ ઉપર દીકરીઓની રસીદ અને તેની ઘડિયાળ ગોઠવીને રાખી દે છે. પરીક્ષામાં જતા પહેલા થોડી વારે વિદ્યાલયમાંથી દીકરીઓ ક્રમબદ્ધ લાઈનમાં ગોઠવાઈને ધીમે ધીમે માના મંદિર પાસે આવે છે, ત્યાં માના અન્નપૂર્ણા ઈલાબેન સૌને શુકનનું ચંદન કપાળે કરે છે અને દીકરીઓ ભગવાનને પ્રણામ કરી પોતાની રસીદ લઈ લે ને પછી અંદરથી પોતાની ઘડિયાળ લઈ બહાર બેઠેલા માને ‘જય સિયારામ’ બોલતા બોલતા પ્રણામ કરે છે અને ત્યાં ગૃહમાતા ઉર્વશીબેન ઊભા છે, જે સૌને શુકન માટે દહીંની ચમચી મોંમાં આપે છે !!

આ આખી એક વૈદિક સંસ્કાર પ્રક્રિયા આ ગ્રાન્ટેડ સ્કૂલમાં થાય છે, કારણ કે ત્યાં મા દીકરીઓ માટે ખડે પગે 86 વર્ષની ઉંમરે પણ સતત હાજર રહે છે.

અને પછી મા દીકરીઓને ખુલ્લા મોટા આઇસરમાં ટેબલ રાખીને ચડાવે છે અને પછી એ આઇસર ની પાછળ પોતે ગાડીમાં જઈને બે કેન્દ્રો ઉપર આ દીકરીઓને પરીક્ષા સ્થળે પહોંચાડી હાશકારો અનુભવે છે. કહો જોઈએ, આવી કાળજી કોણ લેતું હશે ?? અહીં તો એવી દીકરીઓ છે કે જેને કાં તો મા નથી, કાં તો બાપ નથી, કાં તો બંને નથી, કાં તો પોતે નવી મા પાસે મોટી થઈ રહી છે અને એ પણ દૂર સુદૂર ક્યાંક મહેનત મજૂરી કરતી હોય છે કે જેને ખબર પણ નથી કે આજે આ દીકરીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર છે,, પણ એ દૂર રહેલી મા કે બાપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમણે પોતાની દીકરીને માની આંગળીએ સોંપી દીધી છે.

અહીં 18 થી 20 મહિના જ આ દીકરીઓ રહે છે, કારણ તેઓ નવ માં આવે છે અને 10 મું પૂરું કરીને જતા રહે છે, પરંતુ આ 20 મહિનામાં મા એમને એવા તૈયાર કરે છે કે ન પૂછો વાત.. વધુ વિગત ત્યારે જ સમજાય જ્યારે આ સંસ્કાર સિંચન કરતી વિદ્યાલયની આપણે મુલાકાત લઈએ.

આટલા વર્ષો પછી મને આજે પરીક્ષા ટાણે અહીં હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેથી તેની વાત મેં આપ સમક્ષ મૂકી છે. ચિત્રો વિડીયો વગેરે આપ નિહાળશો તો આપની સમક્ષ પાવન દ્રશ્ય ચરિતાર્થ થશે
સૌને જય સિયારામ…. ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback