‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા. 

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this… 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે. 

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે. 

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

એ કહેવું ન જ ગમે  પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ  અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!! 

આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે  ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે. 

કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી.  કારણ કે આપણને  જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા  નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે.  બહુ સ્પષ્ટ  માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા,  આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે. 

કોઈ કહે કે,  મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે  અઘરો દાખલો તમને સોંપ્યો છે.  શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને  એમણે ખાસ પસંદ કર્યા છે.  કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે.   કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ  મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે. 

વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે  જે એમકહે છે કે,  પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’  એનો અર્થ એવો છે કે, માતા પિતાને  ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે,  તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના  પેરેન્ટિંગના  પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ  તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ  થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં  આવે છે?’,  ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને  મજા આવી ખરી ? શાણો  મહેમાન હોય તો એને  ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા  ઘરનું. 

હવે  જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે,  બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે  બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું  એટલે શું?  જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’. 

એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે  પૂર્વ જન્મ, હવે  આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે  પૂર્વજન્મમાં  નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો  ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે  કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

હલચલ – મુંબઈ આવૃત્તિ – માર્ચ ૨૦૨૪

લેખક: ભદ્રાયુ વછરાજાની,  પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, ભાવનગર 

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

વિશ્વ વંદીય નરસિંહ મહેતા એ ગાયું છે : નામરૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોય !

અહીં હેમનો અર્થ સોનુ એવો થાય છે. અને એવો અર્થ અભિપ્રેત છે કે તમે સોનામાંથી જાતજાતના અને ભાતભાતના દાગીનાઓ બનાવો અને એ પ્રત્યેકને જુદું જુદું અલંકૃત નામ આપો પણ અંતે તો એ સોનુ છે. તમે એમ કહો કે મને સોનુ કાઢીને દાગીના આપો તો કશું મળે નહીં. 

આ પંક્તિઓ અત્યારે એટલે યાદ આવી છે કે મારે વિશ્વના એક એવાં વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેના નામમાં જ નહીં પણ જીવનમાં પણ  ‘હેમ’ શબ્દ મુખ્ય છે. એ વ્યક્તિ ખુબ નસીબદાર છે. ઈશ્વરના ચોતરફના આશિર્વાદોથી તરબતર થઈ જાય એટલી સભર છે અને એટલા માટે એમ કહેવાય કે ‘હેમ’ ઉપર  ‘રાજ’ કરી શકે, સુવર્ણ ઉપરથી  પણ ઉઠીને જે માણસ પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ સાથે ભેળવી દઈ શકે એનું નામ હેમરાજ શાહ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ભારત એવાં રાજ્ય કે દેશો નહીં પરંતુ સમગ્ર વિશ્વ જેમને હેમરાજ શાહના નામે ઓળખે છે એમને મળવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે. પણ કેટલાક માયાળુ માનવી એવાં હોય છે કે જેને ખુબ ઓછાં મળ્યા હોઈએ  છતાં એ તમારા દિલમાં જગ્યા બનાવી લે. હેમરાજભાઈના કિસ્સામાં મારા માટે આવું થયું છે, મને બરાબર યાદ છે કે મુંબઈનું  કોઈ થિયેટર હોય અને એમાં  ગુજરાતી જલસો કાર્યક્રમ હોય, કે વિદેશની ધરતી ઉપર ગુજરાતીઓનો કોઈ સુંદર મજાનો સમારંભ થયો હોય પણ બધાની સામે જે હોઠથી અને આંખથી સ્મિત સાથે હળતા મળતા હોય એવાં માણસ શોધો તો તે હેમરાજ શાહ નીકળે. આપણને એમ લાગે કે આ માણસને તો સુગંધી ગુલાબ, ચમેલી એવાં અનેક પુષ્પોનું વાવેતર કરવાની ટેવ છે. જ્યાં જાય છે, જયારે જાય છે, જેટલું જાય છે એ પોતાનું નામ વાવીને આવે છે. એવું પણ બન્યું છે કે હેમરાજ શાહને ઘણા લોકોએ સંકટ સમયની સાંકળ તરીકે પણ મદદ કરવા ટહેલ નાખી હોય અને હેમરાજભાઈએ એમાં પાછી પાની ન કરી હોય. મારે કોઈ યાદી નથી આપવી. આ બધી સ્ટેટિક બાબતો કહેવાય કે જે આપણને ગુગલ દેવતા પાસેથી મળી રહે. પણ મારે તો વાત કરવી છે એક સ્વચ્છ હૃદયના એક કરુણાસભર આંખવાળા અને જેમનો સમગ્ર ચહેરો ચોવીસેય કલાક સ્મિતમય હોય છે એવા હેમરાજભાઈ શાહ વિશેની. 

કચ્છને લઈને અમારું મળવાનું થયું પણ પછી એ કચ્છમાંથી ક્યારે સમગ્ર ગુજરાત સુધી અમે પહોંચ્યા અને ક્યારે વિશ્વના અનેક દેશો સુધી અમે મળતા રહ્યા એની યાદી  અત્યારે મારે યાદ કરવી પણ નથી. એક સરસ વાત છે : કોઈ પનિહારીએ પૂછ્યું કે તું તારા વાલમનું નામ કેટલી વાર લે છે ? દિવસમાં પાંચ વાર, દસ વાર, પંદર વાર ? તો પેલી પનિહારીએ સરસ જવાબ આપ્યો કે,  વાલમનું નામ લેવાનું હોય તો ગણવાની શું જરૂર ? વાલમનું નામ લેવાય એ જ ઘણું છે એની કાંઈ ગણતરી ન કરાય..એમ જ હેમરાજભાઈ શાહના સિદ્ધિદાયક કાર્યોની યાદી કરવાની શું જરૂર ? એ તો સ્થૂળ પરિચયમાં ખપી જાય. આપણે તો વાત કરવી છે સૂક્ષ્મજીવ માટે પણ સદા ચિંતા સેવનારા હેમરાજ શાહની. 

મારી સાથે એના બે ત્રણ કિસ્સાઓ છે એમાંથી એક સુંદર મજાનો કિસ્સો હું વર્ણવું. કચ્છની ધરતી માટે જેમણે કોઈ ખાસ પ્રદાન કર્યું છે, એમને એ પોતે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપે. કોણ જાણે શું થયું હશે ? કે ૨૦૧૭ ની સાલમાં એમણે મારું નામ એ એવોર્ડ માટે નક્કી કર્યું. મને ખબર હતી કે આ બધું નક્કી કરવાનું હેમરાજભાઈ શાહના હાથમાં છે. એટલે જયારે મને ઇમેઇલ આવ્યો કારણકે એ વખતે હું ઓટ્રેલિયા હતો અને ઈમેલ ઉપર એમ કહેવામાં આવ્યું કે કે તમને આ એવોર્ડ મળે છે અને એ એવોર્ડ લેવા માટે મુંબઈ આવવાનું છે. એ વખતના શિવસેનાના મોભીઓ દ્વારા એ એવોર્ડ અપાવાનો હતો. કચ્છ શક્તિ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. હેમરાજભાઈ એટલા બધા કુણા દિલના કે એમને ફોન કરીને મારે જે કહેવું હતું તે કહી શકાય કે નહીં એવું મેં ત્રણ ચાર દિવસ સુધી વિચાર્યું અને અંતે થોડી ઘણી હિંમત એકઠી  કરીને મેં હેમરાજભાઈને ઇમેઇલ લખ્યો. પરદેશથી ફોન કરવો મને થોડો મોંઘો પડે એટલે મેં નિઃશુલ્ક સેવા ઈમેઈલની વાટ પકડી. મેં વર્ણન કર્યું કે હું ખુબ આનંદ અનુભવું છું કે તમે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે, પણ સાચું કહો તો કચ્છ માટે મારું એવું કોઈ પ્રદાન નથી. હું અદાણી ફાઉન્ડેશનમાં એડવાઈઝર હતો એ નાતે મેં કચ્છમાં ઘણું બધું પ્રદાન કર્યું છે પણ એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે એટલે ખરેખર આ કચ્છ શક્તિ એવોર્ડનો હું હકદાર નથી અને બીજું હેમરાજભાઈ, મેં જીવનમાં એક વખત સન્માન પ્રાપ્ત કર્યું છે એ પણ બેસ્ટ રિસર્ચ પેપર માટે મને ‘પૂજ્ય શ્રી મોટા’ના નામથી સન્માન મળ્યું તે. પૂજ્ય શ્રી મોટાના નામથી મળેલા એ સન્માન પછી હું એટલો બધો ધરાઈ ગયો કે મને એમ થયું કે આમાં નોબલ પારિતોષિક પણ સમાઈ ગયું છે. એટલે ત્યાર પછી કોઈ પણ પ્રકારના સન્માન કે એવોર્ડ ન સ્વીકારવાનો મેં નાનકડો સંકલ્પ કર્યો છે. આમાં મારી કોઈ મોટાઈ નથી પણ અંગત રીતે હું એમ માનુ છું કે મારા જેવા માણસે જે કંઈ કર્યું છે એ ફરજના ભાગરૂપે કર્યું છે અને બદલામાં એને સરકાર દ્વારા પગાર મળ્યો છે. પગાર મળે એણે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરવું પડે, કરવું જ જોઈએ. પગાર એનો તો મળે છે એટલે આપણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવો ક્યારેય અહમ ન રાખવો. હું તો ત્યાં સુધી માનુ છું કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે હોમવર્ક આપીને મોકલ્યા છે કે આ હોમવર્ક તારે નીચે જઈને પૂરું કરવાનું છે. એ હોમવર્કમાં કંઈ કાચું રહી જાય ત્યાં સુધી ઈશ્વર આપણને ઉપર ન લઈ જાય. અને જો કાચું રાખીને લઈ જાય તો મારો વ્હાલો ઈશ્વર નારાજ થઈ જાય,  એટલે હું આપની લાગણીને માથા ઉપર ચડાવીને આપે નક્કી કરેલા એવોર્ડને ન સ્વીકારનો નિર્ણય આપને જાણ કરું છું. હું ઓસ્ટ્રેલિયા હતો પણ થોડા જ સમયમાં મારો ફોન નંબર મેળવીને હેમરાજભાઈનો મીઠો ફોન આવ્યો. અને એમણે કહ્યું કે હું તમારો ઇમેઇલ વાંચીને બહુ જ પ્રસન્ન થયો પણ મારી તમને વિનંતી છે કે તમે આ એવોર્ડ સ્વીકારો પછી કોઈ ન લ્યો તો ચાલશે. પણ મેં કીધું કે હું માનુ છું કે હેમરાજભાઈ એટલા મોટા દિલના છે કે મારા સંકલ્પને પણ ઠેસ પહોંચાડવાનું પસંદ નહીં કરે. એમણે અંતે કહ્યું કે હું તમારા સંકલ્પનો આદર કરું છું અને તમને એક નાનકડી વિનંતી કરું છું કે અમારી આ એવોર્ડ વખતે પ્રસિદ્ધ થનારી એક સુંદર મજાની પુસ્તકમાં તમે જે મને ઇમેઇલમાં લખ્યું છે તે મને લખી મોકલો. મારા આશ્ચર્ય વચ્ચે એ પુસ્તક મારી પાસે આવ્યું ત્યારે તેના છેલ્લા પૃષ્ઠ ઉપર મારા ફોટોગ્રાફ સાથે નીચે એવું લખેલું હતું કે, હું આદર સાથે કચ્છ શક્તિ એવોર્ડ ન સ્વીકારવાનું નક્કી કરું છું,  કારણકે હું માનુ છું કે મેં જે કંઈ કર્યું છે એ તો ઈશ્વરે સોંપેલા હોમવર્ક પુરા કરવાનું કામ કર્યું છે. 

આ એક જ પ્રસંગ એવો હતો કે જયારે હું અને હેમરાજભાઈ એકબીજા સાથે  આવી રીતે ઈન્ટરેક્શનમાં આવ્યા અને એકબીજા સાથે સંવાદ કર્યો. અનેક વખત અનેક સેવાના કાર્યોમાં હેમરાજભાઈની સાથે એમના હાથ નીચે કામ કરવાની નાની મોટી  તક મળી ત્યારે એમનો મૃદ સ્વભાવ, એમનું કરુણામય જીવન અને  સૌને પોતાનાં કરી લે તેવો  દિવ્ય પ્રભાવનો અનુભવ મેં હંમેશ કર્યો છે.

હેમરાજભાઈ ૮૨ વર્ષ પુરા કરે છે અને ૮૩ માં પ્રવેશ કરે છે. ત્યારે  બહુ સુંદર વિચાર  છે કે ૮૨ વ્યક્તિઓ પાસે હેમરાજભાઈ વિશે નાનામોટા લેખ લખાવવા  અને તેના ગ્રંથનું વિમોચન થશે. હું આ ગ્રંથમાં મારા થોડા શબ્દોનું અર્ધ્ય તેઓના જીવન વિશે અર્પણ કરી શક્યો છું એ મારા માટે ભાગ્યની વાત  છે. 

છેલ્લી વાત એ કહું કે પૃથ્વી ઉપર વિપથગામી પરિબળો ધીમે ધીમે કબ્જો કરતાં જાય છે. મને અને તમને ખ્યાલ છે કે શાંતિ, અહિંસા, ભાઈચારો, સૌહાર્દ આ બધા શબ્દો હવે પાતાળ તરફ ધકેલાતા જાય છે. એને લઈને પૃથ્વી વધુને વધુ જોખમમાં આવી રહી છે. આમ પણ ભૂગોળ એમ કહે છે કે પૃથ્વી તો ત્રાસી ઊભી છે પણ એને સીધી કરવાનું કામ એક ધરી કરે છે. હું તો હેમરાજ શાહને પૃથ્વીને ટેકો કરનાર પેલી સીધી ધરીના રૂપથી નવાજું છું અને પ્રાર્થના કરું છું કે હેમરાજભાઈ ઘણું જીવો..હેમરાજભાઈને ઈશ્વર અપાર શક્તિ, બળ અને લક્ષ્મી આપે કે જે તેઓ અન્યના લાભાર્થે અનેક ક્ષેત્રોમાં તેનો સુંદર મજાનો દિવ્ય ઉપર્યોગ થાય તેવી ઈશ્વર તેમણે ક્ષમતા બક્ષે એવી મારી પ્રાર્થના. હેમરાજભાઈએ ૮૨ વર્ષ પુરા કર્યા છે ત્યારે નજદીક હોય તો તેઓને ૮૨ પ્રણામ કરવાની ઈચ્છા મને છે. દૂર હશે તો પણ હું માનસી સેવાની જેમ માનસ પૂજાની જેમ હું તેમને ૮૨ સ્મરણ વંદન કરું છું. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

ગ્રામસેતુ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

Dinkar 3

કમ્મરના મણકાની વેદના શબ્દો દ્વારા કાગળ પર ઊતરતી ચાલી!

ચૌદ વર્ષની ઉંમરે એક કિશોરને કમ્મરના મણકાની વિચિત્ર બીમારી ઘેરી વળે છે. તેનાં બેથી અઢી વર્ષ પથારીમાં જ વીતે છે. પથારીમાં પડ્યો પડ્યો તરુણ કંટાળે જ ને? ખાસ વાંચનનો શોખ નહીં, પણ કંટાળીને પડ્યાં પડ્યાં વાંચવાનું શરૂ કરે છે અને તેને વાંચનનો ચસકો લાગે છે! ઘરમાં ત્યારે બીજાં તો પુસ્તકો ન હતાં. એક જૂનું રામાયણ મળી આવ્યું તેમાંથી જટાયુવધ જેવા પ્રસંગ ચિત્રો ગમ્યાં. નાનાભાઈ ભટ્ટનાં મહાભારતનાં પાત્રો’ તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રસંગો’ વાંચી નાખ્યો. મણકાના દુખાવાને કારણે નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો તરુણ વાંચનનો રસિયો બને પછી તે જીવનભર વાચન-લેખન સિવાય કરે ય શું? બન્યું પણ એવું જ. દિનકર જોષી જેનું નામ આજે આઠમા દસકે સાહિત્યસર્જનની ઉપનિષદયાત્રામાં જ જીવન વિતાવે છે.

પછી તો હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લાવવાનો ક્રમ થયો. કનૈયાલાલ મુનશી, ૨. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી પૂરા વાંચ્યા. સોળ વર્ષની ઉંમરે એક વાર્તા લખી : ગત આ અકસ્માતનું.’ ચાંદની વાર્તા માસિકમાં છાપવા મોકલી. છપાઈ તો નહીં, પણ પાછી ન આવી. દિનકરને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાંનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે છાપું હતું જનસત્તા. એક જ ગ્રુપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી ‘ચાંદની’માં ને છપાઈ જનસત્તા’માં! પણ પછી જ્યારે નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએ ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોશીને શેર લોહી ચડેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. આમ તો ૧૯૫૦ થી લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે છોત્તેર વર્ષના થયેલા દિનકર જોશી છેલ્લાં ત્રેસઠ વર્ષોથી લખે છે! સૂર્ય સમાન ઝળહળતા શબ્દોની આ ઉપાસના નહીં તો બીજું શું?

નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક, સંપાદક, કવિતાના આસ્વાદકાર તરીકે જેમનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે એવા કલમનરેશ દિનકર જોશીનું સર્જન હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તામિલ જેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. સવાસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયું છે તેમાંથી પચાસ પુસ્તકો તો અન્ય ભાષાઓમાં છપાઈને દેશભરનાં વાંચકો સુધી પહોંચ્યાં છે.

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ દિનકર જોશીનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં ક્રુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયૉર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”, શ્યામ બેનેગલની ફિલ્મ મેકિંગ ઑફ મહાત્મા’ની સાથે જ પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતિરત થયેલું નાટક માત્મા વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકર્મા શ્રી દિનકર જોશી પણ એક હતા.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી કોઈપણ એક લેખકને એના જીવનકાળ દરમિયાન મહત્તમ પાંચ વખત પુરસ્કૃત કરી શકે તેવો નિયમ છે. દિનકર જોશી પાંચ વાર પુરસ્કૃત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર સન્માનિત આ સર્જકને “મેડમ બ્લેનેટેસ્કી પારિતોષિક’, સંસ્કાર ઍવૉર્ડ, ગિરનાર ઍવૉર્ડ પણ મળેલ છે. ૨૦૦૪માં દિનકર જોશીની લેખન કારકિર્દી નિમિત્તે મુંબઈની કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દિનકર જોશીના ૧૧ ગ્રંથો એકી સાથે જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા. સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે સ્વીકારીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન આપવામાં આવ્યું. તેમના બહુ ચર્ચિત પ્રકાશનો પડછાયો’ પરથી તૈયાર થયેલ અંગ્રેજી નાટક “મહાત્મા વર્સેસ ગાંધી’નું નાટ્યું દિગ્દર્શન ફિરોઝખાને કર્યું. આ નાટક તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનમાં ભજવાયું, તો આ નાટક્ના શૉ યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના શહેરોમાં પણ થયા. દિનકર જોશીની નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી શ્રીકૃષ્ણ હવે નથી’ એવું જાણતાંવેંત વસુદેવ, દેવકી, દ્રૌપદી, રુક્મિણી, સત્યભામા, અક્રુર, ઉદ્ધવ અને રાધાના અંતરમાંથી કેવો ચિત્કાર સરી પડ્યો હશે એ કલ્પનાને દિનકર જોશી શ્યામ એકવાર આવોને આંગણે’માં શબ્દદેહ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળીમાં અનુવાદિત આ ગ્રંથ ત્રણ સામયિકોમાં જુદી જુદી ભાષાઓમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય એ ગુજરાતી સર્જનનું ગૌરવ પૃષ્ઠ ગણાય! ગુજરાત, હૈદ્રાબાદ, મુંબઈ, ભોપાલમાં આ ધારાવાહિકરૂપે અનૂદિત થઈ.

દિનકર જોશીએ જીવનભર શું લખ્યું જ છે? અન્ય કંઈ ખરું કે નહીં?” આ પ્રશ્ન વજુદવાળો છે. ભાવનગરમાં ભડી ભંડારિયા નજીકનું નાનું ગામ નાગણિબા. ત્યાંના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં ચાર સંતાનોમાં એક તે દિનકર. મેટ્રિકમાં ૭૮% આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી લઈ શામળદાસ કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના માંડ કાઢ્યા. આર્થિક સ્થિતિ કથળી એટલે ભણવાનું પડતું મૂકી કલેક્ટર ઑફિસમાં સિત્તેર રૂપિયા પગારની નોકરી કરી. પછી વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર થયા, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં કલર્ક થયા. પણ ત્યારબાદ તો દેના બૅન્કમાં સળંગ સાડત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલ્કે સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયો. હાલ પણ ઘરથી નજીક કાંદિવલીમાં જ એક નાનું લેખનઘર વસાવ્યું છે, તેમાં નીચી ખુરશી પર આરામથી બેઠા બેઠા બોલે છે, બાજુમાં બેસી દીકરી લખતી જાય છે. કમ્મરના મણકા હજુ વેદના આપે છે. ગળામાં અને કમ્મરમાં પટ્ટો, બેસતી વખતી ખાસ ગાદી… છતાં દિનકરભાઈ પ્રસન્ન અને પ્રફુલ્લિત… સવારે વહેલા જમીને બાપ-દીકરી આવે તે સાંજે મોડેથી જમવા ટાણે લેખનઘરેથી સ્વગૃહે પ્રયાણ કરે. હાલ કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટીની કેટલીય શિક્ષણ સંસ્થાના વડીલ તરીકે માર્ગદર્શન આપે છે. એક માતબર કામ હાથ પર છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુદિત કરાવીને, સંબંધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશથી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સ્થાપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં આ પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અભિનવ કામગીરી કરી દિનકરભાઈ જોશીએ વીસ ગ્રંથો પ્રકાશિત કર્યા છે! ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, પૂર્વેની મહાભારતની સંશોધિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ કરી તેના પંદર ગ્રંથો તેઓએ પ્રગટ કર્યા છે! દિનકર જોશી જેમ જેમ વધારે લખતા જાય છે તેમ તેમ વધારે ખીલતા જાય છે. લખતાં લખતાં તાજા રહેવાનું તેમને ફાવી ગયું છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જનકલ્યાણ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  એક પ્રખર  અધ્યાપકનો  જવાબ… 

આ અહીં પહોચ્યાં પછી આટલું સમજાય છે,

કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે !

જીવ અને શિવનો આટલો ઊંડો મર્મ ટૂંકમાં કહી દેનાર કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ તેમનાં જીવનની વાતો માંડતા હોય તો  સાંભળવી કોને  ન ગમે ??

“ઘણીવાર કોઈ  મિત્રો મને પૂછે કે, તમે તમારા સમકાલીન કવિઓ કરતાં જુદા કેમ છો?, તો હું કહું એમને, કે 20 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો ભણવા માટે, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય. ત્યાં સુધી સૌરાષ્ટ્રનાં સંસ્કાર, તો હું બોલ્યો એટલે બોલ્યો. એટલે  ‘હા’ તો ‘હા’ અને ‘ના’ તો ‘ના’ એમ જ હોય. એની બદલે ‘હા’ હોય અને છેક સુધી ‘ના’ હોય, એવું બને એવો પહેલો-વહેલો અનુભવ થયો, એ આઘાતજનક હતું. બીજો અનુભવ એ હતો કે, બપોરે આટલા બધા લોકો બહાર હોય એ પણ મારાં માટે નવો અનુભવ હતો. તો હું  જુદો  છું એનું કારણ એ કે, આ ઉંમરે મને જગત, જાત અને  જગતનો જાત સાથેનો સંબંધ, આ બધું પૂરેપૂરું સમજાતું નોહતું એ સમયે મને એ.જી.ભટ્ટસાહેબ (અનુપરામ ગણપતરામ ભટ્ટ)  જેવા માણસ પાસે ભગવતગીતા ભણવા મળ્યું..!!  એ ભગવતગીતા ભણાવે એવા પૂર્ણ શિક્ષક  જોયા નથી. એ ભગવતગીતા ભણાવે, પહેલેથી જ ત્રણ ને બદલે ચાર પિરિયડ અઠવાડિયાનાં ગોઠવે, ટ્યુટોરિયલ એમાં ઉમેરી દે, અને એક-એક શ્લોક ભણાવે. એ જ વખતે ઝેવિયર્સ  વગેરેમાં સિલેક્ટેડ એંસી  શ્લોકો ભણાવતાં હતાં અને અમારા કરતાં એમના માર્ક વધારે આવતાં હતા. પણ જીવનમાં અમને જે લાભ મળ્યો એ કદાચ એમને મળ્યો હશે કે કેમ ? એ પ્રશ્ન છે. 

…તો ભગવતગીતા ભણાવે, તેમનો મોટી સાઈઝનો ગ્રંથ, સાહેબ આવે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરુ થાય. એ જે બોલે એ જો લખી લેવામાં આવે તો સીધું પ્રિન્ટમાં જઈ શકે એમ હોય. વચ્ચે દોઢ મહિનાનો ગેપ ગયો હોય, તો પણ છેલ્લા પિરિયડનું છેલ્લું વાક્ય અને પછીના પિરિયડનું પહેલું વાક્ય એનું અનુસંધાન હોય !!!. આટલું પરફેકશન ! બીજો ચમત્કારિક અનુભવ એ થાય, એ જે બોલે એને તેઓ અક્ષરસઃ અનુસરતા હોય એકાગ્રતાથી. જે દુર્લભ છે એ  અમને સુલાભ્ સદ્ભાગ્ય હતું. તો એવો અનુભવ થાય કે જે ક્ષણે તમને કંઈક ન સમજાય કે તમે અટકો કે બીજા વાક્યમાં એનું સમાધાન હોય.. એને ખબર હોય કે મારો વિદ્યાર્થી ક્યાં અટકશે.?? ક્યારેય પૂછવું ન પડે. પછીના વાક્યમાં એનું સમાધાન હોય જ. એ આ શિક્ષકની પૂર્ણતા. અને બીજો એક એકદમ ચમત્કારિક લાગે એવો અનુભવ એમની ઉમર હતી.  એ રાયપુરથી બસમાં આવે, શરીરમાં વ્યાધિઓ તો ક્યારેક એ મોડા પડે પણ એમનો પ્રભાવ એવો હતો કે એમની રાહ જોવે સૌ, કોઈપણ વિદ્યાર્થી ક્લાસની બહાર લોબીમાં પણ જાય નહિ. પોતાની જગ્યાએ જ બેઠા હોય. 

એ લોબીમાંથી આવતાં દેખાય, ધીમે-ધીમે આવતાં હોય, મોઢું વિક્ષિપ્ત  હોય, મ્લાન  હોય એટલે આપણને ખબર પડે કે એમને શરીરમાં પીડા છે. આવે, બેસે, ગ્રંથ ખોલે, ભણાવવાનું શરુ થાય, પાંચમી મિનિટ પછી એમનો ચહેરો દૈદિપ્યમાન હોય. બેલ પડે, ગ્રંથ પૂરો થાય, પાછી પેલી વિક્ષિપ્તતા અને મ્લાનતા આવી જાય, પીડાની સભાનતા આવી જાય, પણ ભણાવે ત્યારે દેહ ભાન ના હોય. આ  તો એકદમ અદ્વિતીય અનુભવ… આ પૂર્ણ શિક્ષક. એક વાર કોઈ  વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘સાહેબ આમાં ઈમ્પોર્ટન્ટ શું?’, તો ખભ્ભે હાથ મૂકીને કહે, ‘બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  આવો જવાબ… તો આ બધા જે લાભો મળ્યા, એને કારણે એક વ્યક્તિત્વ એવું ઘડાયું કે જયારે બહુ જ જરૂર હતી, કાંઈ સમજાતું નોહ્તું, ત્યારે ભગવતગીતા તેમણે ભણાવી. અને એ માણસે ભગવતગીતા ભણાવી કે, જે ભગવતગીતાને જીવનમાં ઉતારવાનાં સતત પ્રયત્ન કરતો હોય, એ માણસ… એટલે એના શબ્દોમાં જે ચાર્જિંગ હોય, જે ઉર્જા હોય, એ જો તમે રિસેપ્ટિવ હોવ, ગ્રહણશીલ હોવ, તો તમારામાં એ પુરેપુરી આવે. તમે આવવા દો તો આવે, બધાને એનો લાભ મળતો હશે કે કેમ એ ખબર નથી. પણ મને તો અવશ્ય લાભ મળ્યો છે. એમને મોટા કદનું પુસ્તક, એક જ શ્લોક હોય ઉપર, એની નીચે સાત આચાર્યોની ટીકા હોય, શંકરાચાર્યથી માંડી ને નિમ્બાર્કાચાર્ય સુધીની ટીકાઓ હોય, અને એમાં પાછું એક-એક પેજ ઉમેરેલું હોય ખોલીને એમાં એમની નોંધ હોય..! તમે ભગવતગીતા વિષે ગ્રંથાલયમાં જાઓ તો કબાટ બે કબાટ ભર્યા પુસ્તક મળે. તમે કોઈપણ  પુસ્તક લઈને એમ કહી ન શકો કે,  ‘તમે અમને આ નોહ્તું કીધું.’ એવું સંપૂર્ણ શિક્ષણ અને એ શિક્ષણની મૂળભૂત કેટલીક વાત..!  એકવાર અમને કે, ‘તમે આ નોટ લો છો, એનું પછી શું કરો છો?’ તો કહીએ, ‘અમે સાહેબ વાંચીએ,’ તો કહે,  ‘એમ ન હોય, જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ, તો જ વ્યવસ્થાપન થાય.’ પછી પોતાની વાત કરી, હું એમ. એ. ની પરીક્ષા વખતે બોમ્બે યુનિવર્સિટી (સિંધ હૈદરાબાદથી માંડીને નિઝામ હૈદરાબાદ સુધી આખી મોટી યુનિવર્સિટી)  હું એમ. એ.  પરીક્ષા આપવા મુંબઈ ગયો, ત્યારે હું સાથે એક જ નોટ લઈને ગયો હતો, એમાં મારાં બધા પેપર હતા. એટલે આ સંક્ષેપ થતું- થતું એટલું થઈ ગયું કે, છેલ્લી ઘડીએ રીફર કરવું હોય તો તરત થઇ જાય અને બાકી બધું વ્યવસ્થિત મનમાં ગોઠવાયું હોય… અને ભટ્ટસાહેબ પાછા  ‘યુનિવર્સિટી ફર્સ્ટ, ઈન ઓલ યુનિવર્સિટી’ – વ્યાકરણ વિષયમાં. સંસ્કૃતમાં વિવિધ વિષયો હોય, તર્ક આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, ભગવતગીતા આવે, તો આ બધા વિષયોમાં એવો સરસ પ્રવેશ કરાવે કે તમે પછી જાતે એ વિષયોમાં ગતિ કરી શકો. તેઓ  તમારા મૂળભૂતને  એટલું બધું સ્પષ્ટ કરી આપે કે, તમને સ્વકીય ગતિ પ્રાપ્ત થાય.”

અધ્યાપકોની એક ઉજ્જવળ પરંપરાના શ્રી ભટ્ટસાહેબ અને તેમના ઉજ્જવળ વિદ્યાર્થી કવિશ્રી રાજેન્દ્ર શુક્લ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback