ભાવિ શિક્ષકો સાથે સંવાદ

 

 

 

 

 

 

શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ શિક્ષકનું મુખ્ય કામ છે.

[૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ‘શિક્ષકદિન’ની ઉજવણી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષકોએ પ્રો. ભદ્રાયુ વછરાજાની (પૂર્વ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરા) સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં પ્રો. ભદ્રાયુ વછરાજાનીએ સંવાદ પૂર્વે કરેલી ભૂમિકા તેમજ ભાવિ શિક્ષકો સાથે થયેલી પ્રશ્નોત્તરીને વિદ્યાપીઠના અધ્યાપકો શ્રી નીતિનકુમાર ઢાઢોદરા અને મનુભાઈ રબારીએ લિપિબદ્ધ કરી છે. શિક્ષણક્ષેત્રમાં અનુભવાતા કેટલાક પ્રશ્નોના ઉકેલ તેમાંથી આપણને મળી આવે છે.]

ભૂમિકા:

મને શિક્ષક થવાનો તમારી જેમ એક દિવસનો નહીં પણ જિંદગીભરનો અનુભવ છે. મારા જીવનમાં મેં બેંકની કાયમી નોકરી છોડીને મેં પ્રાથમિક શિક્ષક બનવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષક બન્યા પછી મને શિક્ષણ ક્ષેત્રના સૌથી ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે, કારણ કે શિક્ષણક્ષેત્રમાં પ્રાથમિક શાળાના શિક્ષકથી માંડીને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધી મને સ્વયં વિકસવાની અને વિદ્યાર્થીઓને વિકસાવવાની તક મળી છે. આજે મને અનુભવાય છે કે હું શિક્ષક થયો તેથી મને આત્મસંતોષ પ્રાપ્ત થયો છે. હું જ્યારે બેંકમાં નોકરી કરતો હતો ત્યારે રોજ સાંજે નિરાશ થઈને ઘેર પાછો ફરતો હતો, કારણ કે મારો આખો દિવસ બીજાઓના રૂપિયા ગણવામાં પસાર થતો હતો. તે સમયથી જ મને શિક્ષક બનવામાં એટલા માટે રસ પડ્યો કે શિક્ષક બનવાથી મને જીવંત લોકો સાથે કામ કરવાની તક મળશે એવું મને લાગતું હતું. વિદ્યાર્થીઓ આપણને અહીં નિર્વ્યાજ પ્રેમ આપે છે. મને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેના મારા દિવસો હજુ પણ યાદ છે. શિક્ષકના વ્યવસાયે મને જીવંત રાખ્યો છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં મેં ખૂબ જ પૂણ્ય કર્યા હશે તેથી હું શિક્ષક બન્યો હોઈશ. આપ સૌને શિક્ષક અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નો-ચર્ચા માટે હું આવકારું છું. આપના પ્રશ્નોના મને જેવી સમજ છે તે પ્રમાણે ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ.

પ્રશ્ન: વિદ્યાર્થીઓની ક્ષમતાઓને કેવી રીતે બહાર લાવવી?

ઉત્તર: શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ શિક્ષકનું મુખ્ય કામ છે. આપણી સામે બેસેલા વિદ્યાર્થીઓ જીવંત છે અને આ વિદ્યાર્થીઓમાં પૂર્ણત્વ છે તેમ આપણે માનવું જોઈએ. હું ભણાવું છું તેથી તે ભણે છે અથવા તો શીખે છે તે તો આપણો ભ્રમ છે. આપણે વિદ્યાર્થીઓને મંચ આપવાનું અને તક આપવાનું કામ કરવાનું છે. જે રીતે મૂર્તિકાર મૂર્તિમાં રહેલો વધારાનો ભાગ દૂર કરે છે તે જ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અવરોધક વધારાનો ભાગ દૂર કરીને તેને બહાર લાવવાની છે. આપણે તેના રખેવાળ બનવાને બદલે આત્મીયજન બનીએ તો વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાની તેમ જ બહાર લાવવાની પ્રક્રિયા થઈ શકે!

પ્રશ્ન: શિક્ષણકાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓ જવાબ આપે ત્યારે શું કરવું?

ઉત્તર: એક શિક્ષક તરીકે આપણું કામ વિદ્યાર્થીઓ પાસે માત્ર જવાબો તૈયાર કરાવવાનું નથી, પણ વિદ્યાર્થીઓએ જે બાબતનું અધ્યયન કર્યું છે તેમાંથી તેઓ સમજ સાથે કશુંક બોલે, આત્મવિશ્વાસ સાથે કશુંક બોલે તે પણ મહત્વનું છે. તે માટે આપણે એક શિક્ષક તરીકે બાળકના સ્તર સુધી પહોંચવું જોઈએ. બાળકને જે સ્તરે છે તે સ્તરે જઈને સમજ આપવી અને તેને સતત પ્રોત્સાહન આપવું તે આપણી ભૂમિકા છે. આપણો વર્ગ જ્યારે પૂરો થાય અને આપણે બહાર નીકળીએ ત્યારે આપણી સાથે ચર્ચા કરતા કરતા પાંચ-સાત વિદ્યાર્થીઓ પણ બહાર નીકળે તે જ શિક્ષક તરીકેની આપણી સફળતા સૂચવે.

 પ્રશ્ન: કાર્ય કે વર્ગમાં આદર્શ અને વ્યવહાર બંનેને એકસાથે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણીવાર ધર્મસંકટમાં મુકાઈએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે આપણે ભૂમિકા શું?

ઉત્તર: આ જ પ્રશ્ન હું જ્યારે વર્ષો પહેલા રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ત્યારે ફાધર વાલેસને મેં પૂછ્યો હતો. ફાધર વાલેસ મુક્ત જવાબ આપી શકે એવા જાણીતા વ્યક્તિ હતા. મેં ત્યારે તેમને પૂછેલું કે ‘શિક્ષક તરીકે હંમેશા આપણે વર્ગમાં સાચું જ કહેવું જોઈએ, પણ કેટલીક બાબતો એવી હોય છે જે આપણે વર્ગમાં કહી શકતા નથી ત્યારે શું આપણે એનો જવાબ ન આપવો જોઈએ કે વર્ગમાંથી નીકળી જવું જોઈએ? શું કરવું જોઈએ?’  ત્યારે ફાધર વાલેસે જવાબ આપેલો કે ‘વર્ગખંડની અંદર હંમેશા સારું અને સાચું જ કહેવું જોઈએ. જ્યારે નિશ્ચિત કરેલ વિષયનું શિક્ષણકાર્ય પૂર્ણ થાય ત્યારે વાસ્તવિકતા બાબતે આપણે વિદ્યાર્થીનું ધ્યાન ચોક્કસ દોરવું જ જોઈએ. સમાજ સારા સભ્યોનો બનેલો હોય છે, સમાજમાં બધા સારા હોય છે, શિક્ષણમાં સારા લોકો હોય છે – આવી સમજ આપ્યા પછી પણ વર્ગની બહાર નિકળતા પહેલા આપણે વાસ્તવિકતા તરફ નિર્દેશ કરતા કહેતા જવું કે, બધે હંમેશા આવું હોતું નથી, ક્યાંક ક્યાંક આનાથી તદ્દન જુદું પણ હોઈ શકે છે. આવું કરવાથી જ્યારે વિદ્યાર્થી તમે આપેલા જવાબથી સમાજમાં અલગ જોશે ત્યારે એ તમને જુઠ્ઠા નહીં માને! જ્યારે વિદ્યાર્થીની સામે શિક્ષક જુઠો સાબિત થાય ત્યારે વિદ્યાર્થીનો વિશ્વાસ તૂટે છે તેવું મને લાગે છે.

હું માનું છું કે એક શિક્ષક તરીકે તમારે આદર્શની વાત ચોક્કસ કરવી અને આદર્શની વાત કર્યા પછી કહેવું કે સમાજમાં બધી જગાએ આવું જ જોવા મળતું નથી. જીવનમાં તમે તકલીફ અનુભવશો, જ્યારે તમે નોકરી માટે જશો ત્યારે નોકરીદાતા તમારી પાસેથી રૂપિયા ન માગે, પણ કોઈ અધિકારી એવો હોઈ શકે કે જે તમારી પાસેથી રૂપિયા માગે. આ બધી વાસ્તવિકતાઓ વિદ્યાર્થીઓને કહી દેવાથી ફાયદો એ થશે કે જ્યારે આવું બનશે ત્યારે તમે એને યાદ આવશો અને તમને એ જુઠ્ઠા નહીં ગણે.

પ્રશ્નઆજના વિદ્યાર્થીઓને ગાંધી વિચારધારા તરફ કેવી રીતે પ્રેરિત કરી શકાય?

ઉત્તર: આ પ્રશ્નનો જવાબ મારે તમારી પાસે લેવો રહ્યો. ગાંધી વિચારને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનો એકમાત્ર ઉપાય ગાંધી વિચારને આચરણમાં મૂકવાનો છે. તમારા આચરણમાં જે ગાંધીવિચાર જોવા મળે તે જોઈને વિદ્યાર્થીઓ તેનું આચરણ કરતા થાય તે શિક્ષક સાચો, બાકી બધા તો સાવ જુઠ્ઠા!

 પ્રશ્નશિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવોબન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને ભેદ મને સમજાતો નથી.

ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું.  શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં પડવું.

 પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?

ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.

મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે બોલે છે પ્રમાણે કરતો નથી એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા ગાંધી કેવા હતા?  આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું કહેતા હતા!. એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.

પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?

ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.

જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું?  કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.

પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ થાય.

ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!

પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાનામોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?

ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું.  આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર કરવું!

પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. વિશે આપનું શું મંતવ્ય છે?

ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.

પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?

ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી રહે જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.

બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે! (ક્રમશ:)

 

માતૃભાષાને ઉગારી લેવા, આટલું કરીએ જ…

 

 

 

 

 

 

 

 

ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશન ટાંણે કેટલીક નક્કર દરખાસ્તો…

“આરહેવાના છે, તેવાં બણગાં ફૂંકનાર એક આશાવાદી સારસ્વત માતૃભાષા છે તે ટકી જ વર્ગ છે અને ‘ના, આપણી માતૃભાષા કલુષિત થવા લાગી છે અને તેને ટકાવી રાખવા કશુંક તો કરવાની જરૂર છે જ, તેવું માનનારો એક વાસ્તવવાદીઓનો સારસ્વત વર્ગ છે. આપણે બંનેને સલામ કરીએ અને સ્વીકારીએ કે…

૧. હા, આપણી માતૃભાષાને ઘસારો/ પઠાર/ ઝીણો તાવ લાગુ પડ્યો છે. તે દુર્બળ અને વિકૃત-અભિવ્યક્તિથી આપણી વચ્ચે છે.

૨. હા, સરકાર અને સમાજ સાથે મળી માતૃભાષાને ઉગારી લેવા નક્કર પગલાં લે, જલદી લે, અસરકારક રીતે લે. સરકાર વૈધાનિક માહોલ ઊભો કરે, તો સમાજ ફરી માતૃભાષા માટેનો જાગરૂક માહોલ સર્જે.

આ બંને વાતો પર સૌ સંમત હોય તો આ રહી નક્કર દરખાસ્ત… પસાર કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એક જ મંચ પરથી એક ઠરાવ સર્વાનુમતિએ અને એકસૂરે પસાર કરી સૌ કહીએ: “અમારી માતૃભાષા યાવચંદ્રદિવાકરી જીવંત રહેશે.’

ઠરાવ કરવાથી શું વળશે? તેવો પ્રશ્ન સ્વાભાવિક છે. આવો, તેને સ્પષ્ટતાપૂર્વક વ્યાખ્યાયિત કરીને મૂકીએ…

(૧) માતૃભાષાને જીવતી રાખવા સરકાર શું કરી શકે ?

  • CBSE/ ICSE/ IB બોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી હોય તો રાજ્ય સરકાર પાસેથી ગઘઈ લેવું ફરજિયાત છે. આ ગઘઈ (ના વાંધા પ્રમાણપત્ર)માં એક શરત જાડા અક્ષરે મુકો: ‘તમારી અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી એક ભાષા તરીકે ઉત્તર રીતે પહેલેથી જ ભણાવવી ફરજીયાત રહેશે. આ શરતનું પાલન ન થયેથી આ મંજૂરી આપોઆપ રદ થશે અને ફરી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે.
  • પ્રાથમિક શાળાનાં ધો.૧ થી ગુજરાતભરની કોઇપણ માધ્યમની શાળામાં ભાષા-પસંદગી આ મુજબ રહેશેઃ (૧) ગુજરાતી અથવા અંગ્રેજી (૨) અંગ્રેજી અથવા ગુજરાતી (૩) હિન્દી અથવા સંસ્કૃત (૪) સંસ્કૃત ધો.૬ થી તો ખરું જ (૫) અન્ય જે ભાષા શીખવી હોય તે… આ ક્રમ ફરજીયાત રહેશે.

(૨) માતૃભાષાને જીવંત રાખવા સમાજ/સંસ્થાઓ શું કરી શકે ?

  • ગુજરાતી ભાષાનાં પાઠય પુસ્તકોને વિષય વસ્તુની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવાં.
  • ગુજરાતી ભાષા ભણાવતા પ્રાથમિક શિક્ષકોને વિધિવત સતત ભાષા-અધ્યાપનની હળવી તાલીમ આપવી.
  • ગુજરાતી ભાષા ભણાવતા માધ્યમિક ગુજરાતી શિક્ષકો સારું અને સાચું ગુજરાતી વર્ગખંડમાં બોલે અને ભણાવો તેની તકેદારીનું આયોજન કરવું.

(ગુજરાતી ભાષા ભવનોનાં અધ્યાપકો સાથે રહીને સીત્તેર વટાવી ચૂકેલા ધૂરંધર સાહિત્યકારો ઉપરના ત્રણ મુદ્દાઓનું સંકલન કરે અને પરિષદ જેવી સંસ્થા અકાદમીની નાણાંકીય સહાયથી તે હાથ ધરે.)

(૩) માતૃભાષાને લોકજીભે રાખવા લોકપ્રિય કાર્યક્રમો દ્વારા શું થઈ શકે ?

  • આપણી પાસે લોકસાહિત્યના માતબર કલાકારો છે. ગુજરાતી ગીત- કવિતાના ઉત્કૃઠ સર્જક કવિઓ છે, ગુજરાતી સુગમ સંગીતના ઉત્તમ ગાયકો છે….. આ ત્રણેયના માધ્યમથી ગઈકાલની અને આજની શ્રેષ્ઠ ગુજરાતી રચનાઓને પ્રત્યે શાળા-કોલેજો સુધી સતત પહોંચાડતા રહીએ. ઉદા. તરીકે: ‘એક રૂપાળી ચારણ કન્યા’ કે કુંબરબાઈનું મામેરું’ કે ‘કસુંબીનો રંગ’ કે ‘આંધળી મા નો કાગળ’ જેવી રચના લઈને ભીખુદાન અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારોને શાળા-સંકુલો અને યુનિવર્સિટી – પરિસરોમાં પેશ કરતા રહીએ તો ? આજની અને આવતીકાલની પેઢીને અહેસાસ થાય કે મારી માતૃભાષા કેટલી બળુકી છે અને તેનો મને ગર્વ હોવો જોઇએ.
  • “ગુજરાતી ભાષાની ‘વાંચ્ય વગર ન જ ચાલે’ તેવી ગઈકાલની અને આજની પાંચસો કૃતિઓ પસંદ કરી પ્રત્યેક નાની મોટી લાયબ્રેરીને ભેટ આપો. દર બે વર્ષ આમ કરીએ તો દસ વર્ષે અઢી હજાર ઉત્તમાંતમ ગુજરાતી કૃતિઓ ગ્રંથાલયસ્થ થાય.
  • “વાંચનયાત્રી મહેન્દ્ર મેઘાણી જેવા સો વાચનપ્રેમી તૈયાર કરી તેમને શાળા-કોલેજ-સંકુલ-સંસ્થાઓમાં ફરતા કરી દઇએ. ગુજરાતી ગદ્ય-પદ્ય એ ત્રીસ મિનિટ વાંચી સંભળાવે અને જે વાંચ્યું તેના પર પંદર મિનિટ સંવાદ કરે. માતૃભાષાની જ્યોત ઘરે ઘર લઈ જઈએ.
  • “ગુજરાતી ભાષામાં તૈયાર થયેલાં શ્રેષ્ઠ નાટકો શાળા-કોલેજ-યુનિવર્સિટીની પેઢી સામે રજૂ કરીએ. ઉદા. તરીકે: સંતુ રંગીલી, કસ્તુરબા, અકૂપાર, મોહનનો મસાલો, ૧૦૨ નોટ આઉટ.
  • “પરિષદ કે અકાદમી કે સપ્તક કે સમન્વય કે અનુષ્ઠાન કે સ્વરસેતુ કે શિવરંજની કે પછી કોઇપણ સંસ્થા માત્રને માત્ર ગુજરાતી લોકપ્રિય ગીતો-વાતો-વાર્તાઓ- કવિતાઓ-નાટ્યાંશો રજૂ કરતો થોડા કલાકો માટેનો એફ.એમ. રેડિયો શરૂ કરે તો ? ગાડીમાં ફરતો ગુજરાતી સતત ગુજરાતીપણું માણી શકે. આવો ને, આપણે સૌ આવું કશુંક નક્કર+લાંબા ગાળાનું+’ખરું ગુજરાતી ‘કરીએ.

 

સ્વભાષા સંવર્ધનની બેનમૂન પ્રવૃત્તિ: પરભૂમિ પરથી

 

 

 

 

 

 

 

એકત્ર ફાઉન્ડેશન અને શ્રી અતુલ રાવલ

ગુજરાતી ભાષા માટે આર્કાઇવલ અને એક્સેસિબિલિટીનો અદભૂત સફળતા પામેલો ભાવનામંત્ર

શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા આજે પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન-2026 શ્રી અતુલ રાવલ અને શ્રી રાજેશ મશરૂવાળા અને એકત્ર ફાઉન્ડેશનને અર્પણ થઈ રહ્યું છે, ત્યારે ઝડપથી ઓળખી લઈએ એ વ્યક્તિવિશેષોને અને તે સંસ્થાને કે જે આપણી માતૃભાષાને અમેરિકામાં બેસીને સંવર્ધિત કરી તાહ્ય છે.
મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકા જઈને વસેલા યુવાન શ્રી અતુલ ગોવિંદભાઈ રાવલ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના શ્રી ગોવિંદભાઈ રાવલ અને વિશ્વમંગલમ, અનેરાના સુમતીબેન રાવલના પુત્ર તે અતુલ રાવલ. ત્યાં વિચારો તો સ્વદેશ અને સ્વભાષાના જ આવે એટલે તેમની માન્યતા બંધાણી કે, માનવીના જીવનનું કોઈ સ્વપ્નું, ખૂબ નિષ્ઠાભર્યા અથાગ પરિશ્રમ બાદ સાકાર થાય ત્યારે માનવીના મનમાં જે આનંદનો આવિર્ભાવ થાય તે અવર્ણનીય હોય છે. આ આનંદ, ખુશી અને સંતોષ તો આપે જ છે પરંતુ જીવનને નવા ઉત્સાહ અને ઉમંગથી પણ ભરી દે છે. આ ઉત્સાહ એને નવા સ્વપ્નાં આપે છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દોરી જાય છે.

એકત્ર ફાઉન્ડેશનના તંત્ર-સંવાહક અતુલભાઈ રાવલ સાથે વાત કરતા બસ મને લાગ્યું કે, એમના જીવનમાં પણ આવો જ એક મુકામ આવ્યો છે કે, જેના કારણે એમનું જીવન સંતોષ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. જેમના મૂળિયાં ગુજરાતમાં છે પણ કર્મભૂમિ અમેરિકા છે તેવા અતુલભાઈ રાવલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર તેમના મનોભાવને સ્પષ્ટ વાંચી શકાતા હતા. એમના સ્વપ્નાં અને સિદ્ધિઓની વાત એમના મુખેથી જ સાંભળીએ:

‘‘માનવીનું જીવન માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષા સંયોજનથી ઘડાય છે. માતૃભાષામાં રચાયેલું સાહિત્ય આપણા વિટંમણાઓથી ભરેલાં જીવનમાં સમજ અને આનંદને ટકાવી રાખવા માટેનું બળ પૂરું પડે છે. આપણી ગુજરાતી ભાષા વિશ્વમાં બોલાતી અસંખ્ય ભાષાઓમાં પ્રથમ ત્રીસ માં ઊંચા સ્થાને છે. પરંતુ આજે ગુજરાતમાં મોટા ભાગે બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો માહોલ બની ગયો છે અને પરદેશમાં તો ત્યાં જન્મેલી પેઢી માટે ગુજરાતી જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે. સમયાંતરે આપણા સાહિત્યનો પ્રસાર સંકોચાતો જાય છે. આ અંગે હું વિચારતો હતો ત્યારે સ્મૃતિપટ ઉપર દેખાયું કે આપણી પુરાણી અગણિત હસ્તલિખિત પ્રતો તો નાશ પામી છે પરંતુ આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓ પણ આપણે સાચવીને ઓનલાઇન લાવી શક્યાં નથી. ગુજરાતના ગ્રંથાલયોમાં તમને પુસ્તકો મળશે પણ મોટા ભાગના જૂના અને સમૃદ્ધ પુસ્તકોના પાના પીળા પડી ગયેલાં છે. વળી, બધું સાહિત્ય એક સાથે મેળવવું લગભગ અશક્ય છે. એક બાજુ આવી સ્થિતિ છે અને બીજી બાજુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ ‘અને ગૂગલે દુનિયાભરના અપ્રાપ્ય અને જૂના, લાખ્ખો પુસ્તકો સ્કેન કરી દુનિયાભરના લોકો માટે વિજાણુ માધ્યમથી વિના મૂલ્યે વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. ૧૨ વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી પુસ્તકો માટે આવું કેમ ના કરી શકીએ? આ સ્વપ્નું મારો સંકલ્પ બની ગયો. આ વિચારને મૂર્તિમંત કરવા મિત્રો સાથે મળી અમે ૨૦૧૨મા ‘એકત્ર ફાઉન્ડેશન’ની સ્થાપના અમેરિકામાં કરી અને નોન-પ્રોફિટ ટ્રસ્ટનું રજિસ્ટર કરાવ્યું.”

અતુલભાઇનો સંકલ્પ હતો કે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને પ્રશિષ્ટ રસપ્રદ પુસ્તકોને વિજાણુ – ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરના ગુજરાતી વાચકોને પોતાના મોબાઇલ, આઇપેડ કે કોમ્પ્યુટરમાં વાંચી શકાય તેવી સુવિધા આપવી. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને મમતાને કારણે ૨૦૦ વર્ષથી પણ જુના અને સાથે સાથે તદ્દન નવા સંપાદનો પણ આંગળીના વેઢે હાથવગાં બનાવ્યાં છે. આ સિવાય દુર્લભ પુસ્તકો કાયમ માટે ઉપલબ્ધ રહે એ એમનો બીજો હેતુ પણ અગત્યનો છે.

એમણે પુષ્પોના ગજરાની જેમ, ગુજરાતી સાહિત્યનો ગજરો બનાવી જગતભરના ગુજરાતી લોકો માટે જાણે કે એક અદભૂત ખજાનો ખોલી આપ્યો છે. તેમના સંગ્રહમાં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, અનુવાદો, મુલાકાતો, સ્મરણો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ગાંધી સાહિત્ય, વિવેચન, નાટક, નિબંધ, પ્રવાસ અને બાળ સાહિત્ય પણ સમાવિષ્ટ છે. આ બધું તમારી હથેળીમાં મળી જાય એવી એપ બનાવી છે જે તમે તમારા ગેઝેટમાં ડાઉનલોડ કરી લો અને મન થાય ત્યારે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મનભરીને માણી શકો. અનેક પ્રશ્નોના ઉત્તરનો સાર એમના શબ્દોમાં માણીએ:

“મારી પાસે વિચાર હતો પણ શરૂઆતમાં સાથીદારોની સંખ્યા ઓછી હતી એટલે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ઘણાં મિત્રો અને સાહિત્ય રસિકો સહાય માટે આગળ આવ્યા છે એટલે સરળતા વધી છે. અમે જે પુસ્તકો કોપીરાઇટ ના ધરાવતાં હોય કે લેખકની મંજૂરી મળે તેવાં પુસ્તકોનું નવેસરથી ટાઈપિંગ અને સ્કેનિંગ કરીએ છીએ. આ સ્કેન પુસ્તકોને Optical Character Recognition technology ના માધ્યમથી મૂળ સ્વરૂપે મૂકીએ છીએ. ઓનલાઇન કરવા જુદા જુદા પ્લેટફોર્મની સહાય લઈએ છીએ. હું ટેકનોલોજીમાં રસ ધરાવતો માણસ છું એટલે કળા અને ટેકનોલોજીનો જ્યાં મેળાપ થાય એવી ભૂમિ મને ગમે છે. જેમ કે પાંચ જુદા જુદા પુસ્તકોમાં પડેલી ૨૫ વર્ષોની સામયિક લેખ સુચિની વિગતોને રિલેશનલ ડેટાબેઝની મદદથી શીર્ષક, કર્તા, સમીક્ષક, વિભાગ અને સામયિક પ્રમાણે મળી રહે તે પ્રમાણે ઓન લાઇન મૂકી છે.

અત્યાર સુધીમા ૫૦૦૦થી વધુ ઉત્તમ સાહિત્યમાંથી પસાર થઈ ૫૦૦ જેટલાં પુસ્તકો અમારી એપ અને વેબસાઈટ પરથી વાંચી શકાય છે. અમારો આશય વેચવાનો નથી પરંતુ વહેંચવાનો છે એટલે ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોની પસંદગી ચાખી ચાખીને કરીએ છીએ. અમે સાહિત્યની જૂથબંધી અને વિવાદોથી પર રહી કામ કરીએ છીએ કારણ કે અમારે આપણી માતૃભાષાના પુસ્તકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી છે. મેં કહ્યું તેમ અમારો ભાવમંત્ર છે ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસરાવવી. અમારા પ્રેરકબળ છે:  આર્કાઇવલ અને એક્સેસિબિલિટીઅત્યારના ચાલી રહેલાં થોડાં પ્રકલ્પોની વાત કરું. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં આપણી નોંધપાત્ર નવલકથાઓમાંથી ૨૫૦ પસંદગીની નવલકથાઓનો પરિચય આપવાનું કામ હમણાં જ આટોપાયું. ઉપરાંત ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, કાવ્ય-આચમન શ્રેણી, અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા, શક્ય એટલાં સાહિત્યિક સામયિકોને સ્કેન કરી સૂચિઓ બનાવવી, વડોદરાના યુવાનો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઓડિયો રેકોર્ડિંગ, તથા ‘ગ્રંથસાર’– વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કેલીડોસ્કોપ તૈયાર કરવો વગેરે…

ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોનાં ઈ-રૂપાન્તરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈ. ૨૦૧૧માં અમે પહેલો ઈ-ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં અમે ઉત્તમ સર્જકોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ ઉપરાંત ૩૦૦ ઉપરાંત પુસ્તકો હાલ પ્રકાશન-પ્રક્રિયામાં છે. અમને હવે સમજાયું છે કે, the future of books lies in audio. એટલે ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ-વાર્તા, નિબંધ, પ્રવાસનિબંધ અને અંગત નિબંધો ઑડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન વાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઑડિયોબુક્સની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઈઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હવે, અમે તેમાં ઇન્ટરએક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્યિક કામોને ઑડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.”

અતુલભાઈની આટલી લાંબી યાત્રા પ્રેરક છે. એમને પરિશ્રમનો થાક નથી, કારણ કે અસંખ્ય વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પુસ્તકો વાંચી અનહદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અભ્યાસુ માટે અહીં અપાર સામગ્રી છે. આપણા વિશાલ સાહિત્યના બધાં જ વિભાગોમાંથી નોંધપાત્ર સામગ્રી અહીં મળી રહી છે. અતુલભાઈ જાણે છે કે છપાયેલું પુસ્તક દૂરના વાચક સુધી નહીં પહોંચે એટલે ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે. એકત્ર ઉપર પ્રીતિ સેનગુપ્તાનું પુસ્તક ‘આમંત્રિત ‘વાંચી શકો કે જે કદાચ બજારમાં લેવા જઈએ તો ન મળે!

અતુલભાઈનું કાર્ય મોટો ખર્ચ માંગી લેનારું છે પણ અહી એક નવતર વાત બની છે.  પહેલા કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીનો વાસ સાથે સાથે નથી હોતો પરંતુ અહીં સરસ્વતી પૂજક અતુલભાઈને કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન રાજેશ મશરૂવાળાનો જબરજસ્ત સાથ મળ્યો છે. કેલિફોર્નયામાં વસતા રાજેશભાઈએ એકત્રનો ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીજી ખુદ સરસ્વતીની સાથે વસી ગયા છે. ધન્ય છે ગુજરાતીને જીવંત રાખવા અને લોકોપયોગી બનાવવાના અતિ પરિશ્રમ કરનાર અતુલભાઈ અને એમના સખાવતી રાજેશભાઇને…. સંપર્ક: અતુલભાઈ રાવલ: atulraval@ektrafoundation.org : https://www.ekatrafoundation.org

 

 

 

માણસને ઘડી ન શકે તો એ શિક્ષણ કામનું નથી.

 

 

 

 

 

 

હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આવી વ્યાખ્યા આપણી એજ્યુકેશન સિસ્ટમ છે.

માણસ જ્યારથી કશુંક શીખતો થયો ત્યારથી એ કેળવાતો થયો. “શીખવું એટલે કેળવવું”. એવો અર્થ ઘણા વર્ષો સુધી વિશ્વના શિક્ષણમાં રહ્યો. આજે પણ પશ્ચિમના દેશો ભણાવવું એટલે to teach શબ્દને સ્વીકારતા નથી. એક વાક્ય ત્યાં બહુ પ્રચલિત છે કે teacher is a senior learner. શિક્ષક એ એક ડગલું આગળ શીખનારો છે. અને એ શીખ્યા પછી પોતે જે શીખ્યો તે બાળકોને શીખવવાનું છે, ભણાવવાનું નથી. ભણાવવું એ to study છે. શીખવવું એ to learn છે. Learn ની અંદર વ્યક્તિ ખુદ સામેલ થાય છે. જ્યારે study માં જે માણસ કોઈ વાતને સામે પહોંચાડવા મથે છે તે જ પૂરેપૂરો અંદર ઉતરે છે. સામેની વ્યક્તિ શાંત, શિસ્તબદ્ધ બેઠી રહે છે તેથી એનામાં બધું ઉતરતું નથી.

એક બીજી પણ વાત નોંધવા જેવી છે કે, આપણા ઋષિમુનિઓએ, મનીષીઓએ શિક્ષણ શબ્દ વાપર્યો નથી. સ્વામી શ્રી વિવેકાનંદ “કેળવણી” વિશેના વિચારો વ્યક્ત કરે છે. શ્રી માતાજી “કેળવણી” માં કઈ પાંચ સાધનાઓ છે એ એનું વર્ણન કરે છે. પણ એમાં શબ્દ કેળવણી છે. શિક્ષણ નથી. કેળવણી નો અર્થ એવો કે, મને અંદર કોળે છે. મને અંદર ઇચ્છા થાય છે. મને અંદર આત્મસફૂર્ણા થાય છે. ત્યારે હું જે કરું છું તેમાં હું કેળવાઉ છું. મને ધમકાવીને કે હાથ કે ધોકો ઉગામીને જે કરવાનું કહેવામાં આવે તે કેળવણી નથી. તે શિક્ષણ નથી, વ્યક્તિને પરતંત્ર બનાવવાની એક પદ્ધતિ છે. આટલી વાત સમજ્યા પછી આપણે એ જાણવું જોઈએ કે આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મનીષીઓએ તો કેળવણી ની વાત કરી છે. એટલે કે બાળકને ઘડવાની વાત કરી છે. પણ આપણે શિક્ષણ પદ્ધતિમાં બાળક અઢી – ત્રણ વર્ષનું હોય ત્યારથી તેને આપણે ઈચ્છીએ તે શીખવા માટે જોરઝુલમ કરવા લાગ્યાં છીએ. હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આપણી આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમને લર્નિંગ સિસ્ટમ રાખી નથી. આપણી સામે બેઠેલો વર્ગખંડનો બાળક એક કઠપૂતળી છે.  આપણે આપણા હાથની અંદર તેની બધી જ દોર બાંધીને બેઠા છીએ. એવી પરિસ્થિતિ આપણે ત્યાં છે.

2020 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એમાં એક બહુ જ મહત્વનો ફેરફાર એ થયો કે બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ પછી બાળકને શાળાકીય વાતાવરણ અથવા વિદ્યાકીય પર્યાવરણ અથવા તો શીખવા અને આનંદવાના એક માહોલમાં શાળા તરફ લેવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલાં પાંચ વર્ષ પૂરા થાય ત્યારે જ બાળક શાળાનું મુખ દર્શન કરતું

હતું. પરંતુ હવે જન્મ પછીના ત્રણ વર્ષ પૂરા થાય કે તરત બાળક પ્રિ-સ્કૂલ કે બાલ વાટિકામાં દાખલ થાય છે અને ત્યાં એને જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેના માટે બહુ પ્રયાસો સાથે અભ્યાસક્રમ બનાવવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ આપણે જે બનાવી રહ્યા છીએ, તે અભ્યાસક્રમમાં આપણને બહુ જ સારી રીતે મદદ કરી શકે એવી એક પદ્ધતિ વર્ષો પહેલા ભારત દેશે સ્વીકારેલી છે. પણ એ પદ્ધતિના મૂળ હાર્દ ને એક બાજુ મૂકી દેવાનું કામ પણ આપણે જ કર્યું છે.

સમગ્ર પૂર્વ પ્રાથમિક પદ્ધતિએ મોન્ટેસોરીના સિદ્ધાંત ઉપર ચાલે છે. મેડમ મોન્ટેસરી એ નાના બાળકો, ભૂલકાઓ, ૩-૪-૫ વર્ષના જે બાળકો છે એના માટે શીખવા ઉપર ભાર આપ્યો. કેળવવા ઉપર ભાર આપ્યો. વિદ્યાર્થી પોતે પ્રવૃત રહે એના ઉપર ભાર આપ્યો. અને પ્રવૃત્ત રહેવા માટે તેમણે પોતે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિમાં પણ તેમણે પ્રવૃત્તિઓ આપણી સમક્ષ મૂકી આપી, પ્રવૃત્તિ માટેના સાધનો મૂકી આપ્યા અને સાધનો દ્વારા બાળકોને કેમ પ્રવૃત્તિ કરીને શિક્ષિત કરવું તેની આખી એક પરિપાટી ઘડી આપી. શરૂઆતમાં વર્ષોમાં ક્યાંક ક્યાંક આવા પ્રયોગો થયા. આપણા ગુજરાતમાં ભાવનગરના ગિજુભાઈ બધેકા જેને સૌ વહાલ થી “મુછાળી મા” કહેતા હતા. એમણે મેડમ મોન્ટેસરીની આ પદ્ધતિ ગુજરાતમાં પૂરજોશમાં વ્યાપક બનાવી. થયું એવું કે, એના સાધનો અને સાધનો દ્વારા પ્રવૃત્તિની વાત ધીમે ધીમે પાછળ પડવા લાગી. અને આપણે પદ્ધતિ ઉપર ભાર મૂકવા માંડ્યા. ગિજુભાઈ બધેકા એ મોન્ટેસરીની સંકલ્પનાઓને બરાબર સમજી, પચાવી અને આપણા વાતાવરણમાં ઢાળી આપી. ભાવનગરની અંદર જ પોતાની સંસ્થામાં તેમણે બૃહદ પ્રયોગો કર્યા અને ખૂબ સફળતા મળી. આજે સો વર્ષ પછી પણ ગિજુભાઈ દ્વારા શરૂ થયેલું બાલમંદિર એટલું જ ખ્યાત છે અને એટલી જ ફળશ્રુતિ આપનારું સંસ્થાન છે.

મેડમ કહેવાતાં મોન્ટેસોરી કહે છે કે, “અત્યાર સુધી માણસે બાળકોને શું ભણાવવું જોઈએ અને કેમ ભણાવવું જોઈએ તેનો વિચાર કરેલો છે. પણ કોને ભણાવવાનું છે તે વાત આ બંને વિચારો કરતી વખતે લક્ષ બહાર ગએલી છે. વિષયનું નિર્માણ કરતી વખતે માણસની દૃષ્ટિ સંકુચિત રહેલી છે. કારણ કે માણસ પોતાનાથી વધારે તેજસ્વી માણસની કલ્પના કરી શકયો નથી અને તેથી આજે જે પ્રજા છે તેનાથી વધારે પ્રાણવાન પ્રજા બનાવવાનો તેના મનમાં વિચાર સરખો યે આવ્યો નથી. માણસે સ્વભાવથી જ ભાવી મનુષ્યને પોતાના જેવો બનાવવાનું ચાહ્યું છે અને તે પ્રમાણે કર્યું છે. આથી જ આપણી વચ્ચે એક જ ગાંધી, એક જ ટાગોર અને એક જ લેનિન જ છે. બાળકો પોતે કેમ શીખે છે તેના સૂક્ષ્મ અવલોકનને અંતે આ પદ્ધતિના સાધનો બનાવ્યાં છે”.

મોન્ટીસોરી પદ્ધતિ માણસની આંખ કેળવી તેને રૂપ અને રંગનું રહસ્ય સમજવાનું દ્વાર ઉઘાડી આપે છેઃ સ્પર્શની કેળવણી આપી કુદરતની અપ્રતિમ કવિતા સમજવાની શક્તિ આપે છેસ કાનને કેળવી સંગીતદેવીનું મંદિર ખુલ્લું કરી આપે છે. આ રીતે માણસની શક્તિઓ ખીલવી માણસને પોતે જે કાંઈ છે તે થવાની તક આપે છે. મોન્ટીસોરી સાધનોની વપરાશથી માણસ સીધો ચિતારો કે ગાયક નથી બની જતો સીધો લેખક કવિ કે ગણિતશાસ્ત્રી પણ નથી બની જતો પરંતુ કોઈ પણ દિશામાં જવાને માટે સરલમાં સરલ માર્ગ ઊઘડે છે. આથી જ આ સાધનો માત્ર સાધન છે સાધ્ય નથી”.

વર્તમાન સ્થિતિમાં શિક્ષણ ચિંતા નો વિષય બન્યો છે. એનું એક કારણ એ છે કે, આપણે માત્ર માર્ક્સ અને ટકા અને CGPA માં વધુ રત થયાં છીએ. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસ ઘડવાનો છે. સ્વામી શ્રી વિવેકાનંદે શિક્ષણને “મેન મેકિંગ એજ્યુકેશન” બનાવવાની હિમાયત કરી છે.  માણસને ઘડી શકે તો શિક્ષણ કામનું નથી. મને એવું લાગે છે કે આપણે સાધનોમાં વધુ પ્રવૃત્ત થઈ ગયા. આપણા વર્ગખંડમાં 56 ઇંચ નું ટીવી મૂકી દઈએ એટલે આપણે સમૃદ્ધ થઈ ગયા છીએ અને આપણી શાળા ઉત્તમોત્તમ છે એવું આપણે માનવા લાગ્યા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, 56 ઇંચ ના ટીવીના સ્ક્રીન ઉપર તમે પોપટ અને પક્ષીઓને બોલતા દેખાડો છો એને બદલે તમારા જ મોટા વિશાળ મેદાનમાં જઈને સાચા વૃક્ષો ઉપર બોલતા પોપટ અને પક્ષીઓનો અવાજ, એમનું દર્શન જો વિદ્યાર્થીઓને થશે તો તેઓ ખૂબ જ રાજી થશે. 56 ઇંચ ના ટીવી પર દેખાડવું એ શિક્ષણ છે અને વૃક્ષોની નીચે બેસીને પોપટ અને ચકલીઓને માણવા એ ખરેખર કેળવણી છે.

 

શૂન્યને વ્યાપક બનાવતું સંસ્થાન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતીમાં અથ  થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનારગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની  ચાલીશીયે શબ્દાવલોકન  !! 

અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે,

અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે

શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, તર્ક-કર્મના સહજ વિકાસે,

જ્ઞાનામૃતક નિર્જરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે.

ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોષની એવી સૃષ્ટિ,

તમસ-તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે.

રેવા-જળ-શી શક્તિદાયિની, સત્ય-સંમુદા-મુક્તિદાયિની

‘વિશ્વવિહાર’ જ કરે… શીલ-સત્ત્વ સંભરે.

ગુર્જરી વિશ્વરૂપ ને વરે!!

 

ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ” ની ચાલીશીયે શબ્દાવલોકન કરવું હોય તો સૌ પ્રથમ આ વિશ્વકોશ ગીત સ્મરવું જ પડે. વિશ્વકોશમાં જિંદગીના અંતિમ વર્ષો અર્પનાર કવિવર શ્રી ચંદ્રકાન્ત શેઠની આ અદભુત રચના વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પહેલા ગવાતી રહે એવો સિલસિલો છે. અને આ ગીત ગવાય એટલે ભવનના સભાખંડમાં જાણે સરસ્વતીદેવી અવતરે તેવું દિવ્ય ભાવાવરણ બંધાય જાય. આ દિવ્ય હવાના સાક્ષી બનવાનો મને વારંવાર લ્હાવો મળ્યો છે.

કોઈ પૂછે કે, વિશ્વકોશ શું કરે છે?? તો તેમની સમક્ષ આ ગીત પેશ કરીએ એટલે સઘળું સ્પષ્ટ થઇ જાય કે અહીં તો ગુર્જરી વિશ્વ રૂપને વરે છે.

વિશ્વકોષ નો એક અર્થ બંને શબ્દોને અલગ પાડીને પણ આપણે કરી શકીએ.

વિશ્વ એટલે વ્યાપક અને કોષ એટલે આપણો નાનામાં નાનો અંશ. આમ, નાનામાં નાના અંશને વ્યાપક રીતે અસ્તિત્વ સમક્ષ રજૂ કરનાર કોઈ હોય તો તે વિશ્વકોષ છે.

ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે એવું એક સંસ્થાન શરૂ થયું, જેને આપણે સૌ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” કહીએ છીએ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.

24 વર્ષના પુરુષાર્થ પછી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.

અવલોકન કરી લઈએ તો. 1987 થી 2009 સુધીના 22 વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન થયું કે જેમાં, 24,083 અધિકરણો, 8,360 માનવવિદ્યા, 8,083 વિજ્ઞાન,
7,640 સમાજવિદ્યા, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિલેખો, 246 અનૂદિત લેખો, 11,660 ચિત્રો અને આકૃતિઓ, 1,593 જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
170 જેટલાં વિષયોને આવરી લેતો 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ!! રાષ્ટ્રની દસેક ભાષા વિશ્વવિદ્યાપીઠો જે કામ ન કરી શકે તે કામ કેવળ માનદ સેવા આપનાર અધ્યાપકો, શિક્ષણવિદો, અનેક ક્ષેત્રના ધુરંધરો દ્વારા થયું છે. આજના વિપથગામી પરિબળોથી ઘેરાયેલા સમાજમાં માતૃભાષા માટે આવું સંવર્ધિત કાર્ય પ્રદાન કેમ થયું હશે તે અકલ્પનીય છે. આજે દર મહિને સાડા ત્રણ લાખ લોકો વિશ્વકોષનો ઓનલાઈન લાભ લે છે કે જેમાં વિશ્વના દસેક દેશોના જિજ્ઞાસુઓ પણ સામેલ છે.

ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એક એવું સંસ્થાન બન્યું કે જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. આપણી યુનિવર્સિટીઓ અને તેના ગુજરાતી ભાષા ભવનો ગુજરાતી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરે છે પરંતુ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવાનું શક્ય બન્યું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ થકી. વિશ્વકોષ ગુજરાતી ભાષાના મૂળ સુધી આપણને લઈ જાય છે અને વિશ્વની કોઈપણ ઘટના, પદાર્થ કે હકીકત ક્યાંથી કેવી રીતે ઉદભવી તેના છેડા સુધી આપણને મૂકી આપે છે. તેથી જ તો આ લેખને ખાસ શીર્ષક અપાયું છે.  શૂન્યને વ્યાપક કરી આપવાનું કામ “ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટ” કરી રહેલ છે.

આપણી માતૃભાષા માટે એક વિરલ સ્વપ્ન જ્યારે વંદનીય શ્રી ધીરુભાઈ ઠાકરને આવ્યું ત્યારે તે સ્વપ્નને સાકાર કરવામાં મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણા ભળી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. સમાજના કચડાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના સમયે એમણે આપેલા આર્થિક સહયોગને પરિણામે જ ગુજરાતી વિશ્વકોશનું સર્જન થઈ શક્યું. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપનાર કર્મયોગી સાંકળચંદભાઈ પટેલે એમના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે વિશ્વકોશનો કરેલો જ્ઞાનયજ્ઞ ગુજરાતની અસ્મિતા પ્રગટાવનારો બની રહ્યો. એ સહયોગ આજે એક યુનિવર્સિટી કક્ષાનું કાર્ય કરી રહેલ છે.  શ્રદ્ધેય ધીરુભાઈ તથા તેમના અનુગામી તરીકે સમર્થ સાક્ષર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા એવું માળખું રચાયું છે કે, જે દ્વારા વર્ષો સુધી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા નું સંવર્ધન થતું રહેવાનું છે.

માતૃભાષાના એક સંતાન તરીકે આનાથી વધુ આનંદ અને ગૌરવ બીજું શો હોઈ શકે?

કેટલા કોષો બહાર પડ્યા, કેટલા ઓનલાઇન થયા, કેટલા શબ્દકોષોનો દેહ ઘડાયો એ તો ગણતરીમાં લેવું મુશ્કેલ છે, પરંતુ સાથોસાથ વિશ્વકોષ દ્વારા માત્ર ગ્રંથલક્ષી કાર્યક્રમોને બદલે સમાજ સુધી પહોંચી શકાય એ માટે એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ, વિવિધ સ્મૃતિઓમાં મળેલ દાનમાંથી રસપ્રદ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન થયું. અનેક ભાવકો સુધી વિશ્વકોશ પહોંચી શકે એટલે ટૂંકું અને ટચૂકડું એવું “વિશ્વવિહાર” સતત પ્રદાન કરતું રહ્યું.

સ્થાપનાકાળથી આજ સુધી જેમની સસ્મિત સેવા અવિરત પ્રાપ્ત થઇ છે તેવા વિશ્વકોશના મુખ્ય સંવાહક શ્રી અને અચ્છા મેનેજમેન્ટ ગુરુ શ્રી કુમારપાળ દેસાઈના શબ્દોમાં આ વિશ્વકોશ ટ્રસ્ટ પાંચ પરિમાણોથી ભાષા સેવા કરી રહેલ છે.

એક) ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે આવું ભગીરથ કાર્ય કરવું એ એક સાહસ છે.

બે) ગુજરાતી વિશ્વકોશ એ પ્રજાકીય અને વિદ્યાકીય સાહસ છે, ભાષાપ્રેમીઓની એક ‘મુવમેન્ટ’ છે.

ત્રીજું) જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનીઓનું સન્માન વિશ્વકોશનું આભૂષણ છે.

ચાર) વિશ્વકોશએ ગુજરાતી ભાષામાં કરેલો પરિભાષા માટેનો પુરુષાર્થ.

પાંચ) માતૃભાષા ગુજરાતી માટેની ફનાગીરી.

આ પ્રત્યેક પરિમાણને વિસ્તારથી કહેવા બેસું તો વર્ષોના વરસ લાગે.

સમજદારકો ઈશારા કાફી હૈ!!

આપણે પ્રાર્થના કરીએ કે અહીં ‘ગુર્જરી વિશ્વરૂપ ને સદા વરતી રહે’!!