બાપુએ મોંઘીદાટ કારનાં નાણાં દાનમાં આપી દીધાં!!

 

 

 

 

 

 

લોકભારતી ,સણોસરાને રૂપિયા એક કરોડ બાપુએ અર્પણ કર્યા!

ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પૂણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુ મહિમા આ દિવસે ગણાતો આવ્યો છે.   હકીકતમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવાં માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મોરારીબાપુ ના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જો કે સાચું નથી. કારણ કે “બાપુ પોતે કહે છે કે હું ગુરુ નથી, સદગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી, હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી, વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં. નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું, પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.

મોરારી બાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. અને મોરારીબાપુ શું કરે છે અને શું નથી કરતા અથવા કેમ કરે છે, અને કેમ નથી કરતા, એના વિશે ચર્ચા સત્રો પણ ક્યાંક-ક્યાંક ખાનગીમાં યોજાતા હોય છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા  બે પ્રસંગો બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને અહીં નોંધતા હું આનંદ અનુભવું છું.

નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાના ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં મારી આવશ્યકતા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો, અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂકતો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ. જ્યારે આ રકમ વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મુકવાનું શરૂ કર્યું. કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પણ આ આંકડો જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી. મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે. પરંતુ ઉદ્દેશ એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.

બાપુએ બે ઉદાહરણો  વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કર્યાં ત્યારે એ ઉદાહરણોના ભાવકો એ સભાખંડની અંદર હાજર હતા. થોડા સમય પહેલા ધરમપુર પાસેના ખાંડા ગામે  આદિવાસી વિસ્તાર માટેની પહેલી રામકથા નું આયોજન થયું અને એના મનોરથી પરિવાર તરીકે જગુમામા, મામી અને પુત્ર મહેશનો  સમગ્ર પરિવાર હતો. તેઓ અમેરિકા વસે છે અને આ કથાનો મનોરથ એમણે બહુ સુપેરે પાર પાડ્યો. જગુમામાના દીકરાએ બાપુ પહેલી વખત ગાડીમાં બિરાજે એવી રીતે બાપુ ધરમપુર પધાર્યા ત્યારે એક નવી નકોર ગાડી લીધી, અને એ ગાડીમાં બાપુને લઈ આવવાનું કામ બારડોલીના સેવક નરેન્દ્રભાઈ પટેલ કરતા હતા. એ ગાડીની કિંમત લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા જેવી થતી હતી. એ કથાના દિવસો દરમિયાન બાપુએ એ રથ જેવી ગાડીમાં આવવા-જવાનું રાખ્યું. કથા પૂર્ણ થઈ પછી જગુમામા ના દીકરાએ મહેશભાઈએ સારથી નરેન્દ્રભાઈ ને કહ્યું કે, આ ગાડી તલગાજરડા મુકી આવો કારણ  બાપુને એ ગાડી અમે એમણે અર્પણ કરીએ છીએ. બાપુએ તરત ના પાડી, પણ મનોરથી પરિવારનો  અતિ આગ્રહ હતો  તેથી બાપુએ કહ્યું કે, હું એક મહિનો વાપરું. પણ બાપુ પોતે એક મહિના દરમિયાન પણ અસુખ અનુભવતા હતા કે આ બોજો ખોટો છે. એટલે એમણે જગુમામા અને મહેશને પૂછીને કહ્યું કે મારે આ ગાડી નથી જોઈતી. તો એમણે કહ્યું, બાપુ આપને જે ઈચ્છા થાય તે ગાડીનું કરો. અને તરત જ બાપુએ એ ગાડી વેચવા કાઢી નાખી. બાપુએ પોતે બે-ત્રણ લોકોને કહ્યું કે, ભાઈ ગાડી આપણે ઝડપથી વેચી નાખીએ એટલે મારી ઉપરથી એક ભાર ઉતરી જાય. ખાંડાની કથાના આયોજનમાં રહેલ પરેશભાઈ ને જવાબદારી બાપુએ સોંપી કે આ મોંઘીદાટ ગાડી જેને જોઈએ તેને વહેંચી દો. પાંચ-પંદર લાખ ઓછા આવે તો ચિંતા ન કરશો. અને બાપુએ વ્યાસપીઠ ઉપરથી પૂછીને પરેશભાઈના ખુદના મોઢેથી બોલાવ્યું કે, 1 કરોડને 26 લાખમાં એ ગાડી વેચી દેવામાં આવી. તાત્કાલિક પ્રશ્ન થાય કે આટલા બધા પૈસા નું શું કર્યું હશે? પણ બીજી જ મિનિટે બાપુએ કહ્યું, 1 કરોડને 46 લાખમાંથી એક કરોડ રૂપિયા લોકભારતી સણોસરાની સંસ્થાને કે જેની સાથે મારો આત્માનો સંબંધ બંધાયેલો છે એને અર્પણ કર્યા, અને બાકીના પૈસા જરૂરિયાતમંદને વહેંચી દીધા.

એક બીજી ઘટના પણ બાપુએ સાથે જોડી. નોર્વેની કથા જે હોટેલમાં હતી તેના યુરોપિયન મેનેજર બાપુની હાજરીથી બહુ અભિભૂત છે. બાપુના આગમન પહેલાથી એ લોકો ‘જય સીયારામ’ બોલતા શીખી ગયા છે. એ લોકોના કાઉન્ટર ઉપર ‘સત્ય-પ્રેમ-કરુણા’ નોર્વેજયન ભાષામાં લખાઈ ગયેલું છે. એવા કેટલાક યુરોપિયન ભાઈઓ ને બહેનો  બાપુને વંદન કરવા વ્યાસપીઠ સુધી આવ્યા અને બાપુને વંદન કરીને એમણે એક નાનકડી ડબ્બી ભેટ આપી. બાપુએ રામનામી આપીને એ સૌનું સન્માન અને આદર કર્યો. બાપુએ તરત જ પેલી નાનકડી ડબ્બી જે સવારના પ્રાર્થના સમયે એક બાજુ નિલેશભાઈએ મૂકી હતી તેને મંગાવી. એ ડબ્બી બધાની હાજરીમાં ખોલી, એની અંદરથી એક નાનકડી કોથળી, અને કોથળીની અંદર એક સૂર્યનું ચિન્હ સાથેનો બેઝ, જેને આપણે ટાઇ ઉપર લગાડી શકીએ એવું સુંદર મજાનું બેઝ નીકળ્યો. બાપુએ બે ક્ષણ માટે એને પોતાની રામનામી સાલ ઉપર બરાબર લગાડ્યો અને સૌને આનંદ થયો બાપુએ કંઈક તો સ્વીકાર કર્યું. પણ ત્યાં જ બાપુએ હાકલ પાડી, કે લાલો ક્યાં છે? લાલો એ સંગીતની દુનિયાનો સીધો સાદો કેમેરામેન છે. પણ બાપુ સૌને નામથી ઓળખે છે. દિલથી પ્રેમ કરે છે એટલે એણે લાલાને બોલાવ્યો, જે  દૂર-દૂર કેમેરા ઉપર વ્યસ્ત હતો. એ દોડમદોડ વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે બાપુએ એના હાથમાં એ ડબ્બી મૂકીને કહ્યું, લે લાલા તારે ઘરે જઈને તારા દીકરાને આપી દેજે.,

આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બધા લોકો ગ્રહણ કરીને જ જીવતા  હોય છે. પણ બાપુના કિસ્સામાં આ વાત સાચી નથી. આ બે ઉદાહરણો આપણને એવું કહી જાય છે કે બાપુ માટેની ઘણી બધી માન્યતાઓ આપણા મનમાં ભરાયેલી છે એ સાચી છે કે ખોટી એનો જરાક અભ્યાસ કરવા જેવો છે. આ વાત એટલા માટે નોંધવાનું થયું છે કે  બાપુ કથા કરવાનાં, પધરામણી કરવાનાં, કે ભિક્ષા લેવા આવવાનાં કોઈ પ્રકારમાં કોઈ પણ રીતે કશું જ લેતા નથી. કોઈ કવર બાપુને આપવાનું થતું હોતું નથી, એટલે એ બાબતની વાત ફેલાવનાર લોકો માટે આ બે ઉદાહરણો પર્યાપ્ત ખજાનો પૂરો પાડે એમ છે એટલે મેં અહીં રજૂ કર્યા છે.

નોર્વેમાં ત્રોમસોમાં સમગ્ર કથા દરમિયાન હું સદેહે ઉપસ્થિત હતો અને આ ઘટના સંગીતની દુનિયાની ચેનલ ઉપર પણ ઝડપવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જે વ્યક્તિ સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, કલા, ગાયન અરે બોલો એટલી કલાનાં ઉપાસક રહ્યાં છે અને આ કલાઓ માટે યુનિવર્સિટીઓ ન કરી શકે એટલું પ્રદાન જેમણે કર્યું છે તે શ્રી મોરારી બાપુ પોતાના શ્રાવકો પાસેથી, પોતાનાં યજમાનો પાસેથી, પોતાનાં મનોરથીઓ પાસેથી ખરેખર કશું લેતા નથી. મળે તો પણ તે અર્પણ કરી દેતા હોય છે. એ વાત ભારત દેશ માટે નહિ, વિશ્વભરે નોંધવા જેવી  છે. જય સિયારામ…

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જીભે છે નામ “માંકડભાઈ” !!

અંદરથી કોઈએ કહ્યું: ‘તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે થાય એવી સેવાએ તું  લાગી જા.’  અને તેઓ લાગી ગયા !!! 

ખુદને થયેલી દિલની વ્યથા સેવા તરફ માર્ગ ચીંધે છે. રાજકોટમાં એક સાત્વિક સમારંભ થયો. અને આ સમારંભના સાક્ષી બનવાનો  લાભ મળ્યો ત્યારે ગદગદ થઈ જવાયું  અને સમગ્ર સમારંભ દરમિયાન એવું લાગ્યું કે, જાણે કોઈ સત્કર્મના મસીહાની સામે આપણે બેઠા છીએ.

માણસ તો એ સાદો સીધો છે. ઓડિટર જનરલ ની ઓફિસમાં એ નિયમિત નોકરી કરે. પરંતુ તેમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે, જે પ્રસંગે એને માત્ર નોકરી પૂરતો ન રાખ્યો. આનું નિમિત્ત બની પોતાની દીકરી વ્હાલનો દરીયો. એવું નિદાન થાય છે કે, એના હૃદયમાં કાણું છે. નાની ઉંમર, બાલ્યાવસ્થા અને આવું મોટી વ્યાધિ !! , આ વાત  40-50 વર્ષ પહેલાની. એટલે એ વખતે તો તબીબી જગત એટલું આગળ વધેલું નોહ્તું એટલે વધુ ચિંતાનો વિષય હતો. પણ એ હોસ્પિટલ સુધી પહોંચે છે અને એક માંથી બીજી હોસ્પિટલ, એક ડોક્ટર થી બીજા ડોક્ટર, એમ એનાં ચક્કરો શરુ થાય છે. વ્યથા છે દિલની અંદર, કરુણા છે દીકરી પ્રત્યે, પણ ઈલાજ તો ઈશ્વર કરશે એવી એની શ્રદ્ધા પાકી છે. મુંબઈ સુધી જાય છે, પૈસાનો  મેળ કરીને, મુંબઈમાંથી પણ જોઈએ એવું કોઈ નિદાન મળતું નથી. કોઈ સધિયારો  મળતો નથી. અને ત્યારે એના મનમાં એવો વિચાર આવે છે કે, ઈશ્વર સહાય કરે તો હવે આમાં કશુંક ફળશે.

મુંબઈથી પાછા આવીને નિરાશ થઈને બેઠેલા એ નોકરિયાત સજ્જનને કોઈએ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ થવાનો છે અને એમાં મુંબઈના મોટા-મોટા ડોકટરો નિઃશુલ્ક નિદાન કરવાના છે. જેમ ડૂબતો માણસ તરણું  શોધે, એમ એમણે પણ એ નિદાન યજ્ઞની અંદર પોતાની દીકરીનું નામ લખાવી નાખ્યું. ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના દીકરીનાં  દર્દનું નિદાન અને તેના ઉપચાર માટે ભટકનારા એ સાદા, સીધા, સજ્જન નોકરીયાતને એવો ખ્યાલ આવ્યો કે, દીકરીના હૃદયમાં કાણું નથી.!! જે કંઈ  થોડી અસર છે તેના માટે કોઈ સર્જરીની જરૂર પણ નથી. હાશકારો તો થયો, પણ પોતે જે  રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાયા, વિચિત્ર હોસ્પિટલોના ચિત્ર વિચિત્ર જવાબો સાંભળ્યા, કેટલાએ તબીબો દ્વારા એક નાના માણસને અવગણવાની જે દશાઓ અનુભવી તેણે  તેમના અંતર આત્માને જગાડી મૂક્યો.  અને એણે ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એ વિચાર્યું અને એમાંથી જવાબ મળ્યો કે, તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું  લાગી જા. અને એ લાગી ગયા !!!

બે, પાંચ, દસ વર્ષ નહીં, પરંતુ લગભગ છેલ્લા  છ દશકાથી સમગ્ર દર્દીઓની દુનિયામાં, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ગામે ગામના લોકોની જીભ ઉપર એનું નામ ચડી ગયું. માત્ર દર્દીઓ નહિ, પણ આ હોસ્પિટલના અનેક કાર્યકરો, તબીબો, લેબોરેટરી વગેરેના સૌ નોકરીયાતો, એ બધાના નામે એક જ નામ. કોઈ ડોક્ટર પાસે પેલાં ન જાય, પણ માંકડ સાહેબ પાસે પહેલા જાય. આ માંકડ સાહેબ એ હોસ્પિટલના કોઈ સાહેબ નહોતા, પણ આપણે જેનો પહેલેથી ઉલ્લેખ કર્યો છે તે માંકડ સાહેબ નોકરિયાત હતા સરકારનાં. પણ રોજ સવાર પડે અને નોકરી સિવાયનાં બધા કલાકો એ સિવિલ હોસ્પિટલમાં હોય. કામ તો પાયાથી શરુ કર્યું એમણે. દર્દીને સામાન્ય માહિતી આપવાથી અને ડોક્ટર સુધી ઝડપથી પહોંચાડવાનું શરુ કર્યું. કોઈ કેસ ઇમર્જન્સી છે અને એને જો હોસ્પિટલનું તંત્ર ઇમર્જન્સી  ગણતું નથી તો એને ઇમર્જન્સી ગણાવીને ઝડપથી સારવાર તરફ પહોંચાડવું ત્યાંથી સેવાયજ્ઞ શરુ થયો. અને પછી તો ઘણી સેવાઓ  સામે આવતી ગઈ. તબીબો દ્વારા જે દવા લખી આપવામાં આવે એ દવા લેવાના દર્દી  પાસે પૈસા ન હોય, પણ એ માંકડ સાહેબ પાસે જાય ત્યારે માંકડ સાહેબ દવા મંગાવી આપે !!  ક્યાંથી આવી છે એનો દર્દીને તેના સગાઓને ખ્યાલ ન હોય.

કેટલાક દર્દીઓ એવા હોય કે જેને સારવાર શરૂ થઈ ગઈ હોય પણ એને રોજ ખાવાના ફળ કે નાળિયેર પાણી એવું કશું ન મળતું હોય તો  મૂંગે મોઢે માંકડભાઈ હોસ્પિટલના ખાટલે-ખાટલે માત્ર ઝીણી નજર કરીને ફરતા રહે અને નોંધતા રહે અને એકાદ કલાકની અંદર જે તે  દર્દીના ખાટલા પાસે તેની  જરૂરિયાત પહોંચતી થઈ ગઈ હોય. પણ હા, અનેકોના દર્દને શાંત્વના આપતા આ માંકડભાઈ એવા સોગિયા માણસ નથી. એક હસમુખા માણસ છે. તમે એની સાથે ઉભા હો તો દસ મિનિટમાં તમારું વાતાવરણ એકદમ જીવંત કરી શકે એવા માણસ છે. એમના લગભગ આઠમા દાયકાના આયુષ્યમા પણ તેઓ આવું સ્વાસ્થ્ય જાળવી શક્યા છે, એનું કારણ એ છે કે, તેઓએ અનેકના સ્વાસ્થ્યને ડૂબી જતું ઉગારી લીધું છે. એમને છેલ્લા પાંચેક વર્ષમાં રાજકોટે બહુ ઓળખ્યા છે. એમને કેટલાય સન્માનો મળ્યા છે. અને એ સન્માનો પણ એમણે એકદમ નિસ્પૃહી થઈને પરાણે સ્વીકાર્યા છે. ક્યારેય સ્ટેજ ઉપર આવીને બોલવું એને ફાવ્યું નથી. એટલે માંકડભાઈ દ્વારા લખાયેલી સુંદર મજાનું  પુસ્તક હરિને હાથ તાળી જ્યારે લોકાર્પિત થયું, ત્યારે પણ માંકડભાઈ માત્ર બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે પોતાની વાત ટાપસી પુરાવતા રહ્યાં. એમણે ભાષણ ન કર્યું. એમને ભાષણ આવડતું નથી. કારણ કે જે ભાષણ કરે છે એ દર્દીના ખાટલા સુધી પહોંચી શકતા નથી. માંકડભાઈને તો એક-એક હમદર્દ સાથે પોતાની લાગણીઓ વહેંચવી હતી. કારણ કે નાનપણમાં તેમણે આવા જ દર્દી બનીને ખાટલે ખાટલે ભટકવાનો પ્રસંગ બન્યો હતો.

માંકડભાઈના  દીકરી અને  દીકરાએ આ સુંદર મજાનો પ્રસંગ યોજ્યો હતો. નાનો નમણો એવો સમૂહ એમની સાથે ભાવકોનો બેઠો હતો, અને એમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈને બ્લડ બેન્કના વ્યવસ્થાપક થી લઈને, નાનામાં નાના ફળની રેકડીવાળાથી લઈને, બધા લોકો આતુરતાપૂર્વક આ હિમાંશુ માંકડ દ્વારા લખાયેલું પુસ્તક હરિને હાથ તાળીનું  લોકાર્પણ નિહાળવા અને એમાં પોતાની તાળીના ગડગડાટ ઉમેરવા હાજર હતા.

પુસ્તક લખવું જોઈએ એવો એમને બહુ ખ્યાલ નોહ્તો. પણ પોતના બે સંતાનોએ બરાબર હામ ભીડી અને વિનંતી કરી કે, આપણે એવા પ્રસંગોથી પુસ્તક લખીએ કે જે પ્રસંગો તમે જીવનમાં અનુભવ્યા હોય, તમે કોઈને મદદ કરી હોય એ ન લખજો, પણ દર્દીઓને કેવી જરૂરિયાત પડે છે, માંદગી કેટલી બધી ખરાબ ચીજ છે, જ્યારે સ્વાસ્થ્યની સેવા ન મળે ત્યારે ગરીબ માણસ કેટલો વામણો બની જાય છે, આ બધું દર્શાવતા જે પ્રસંગો છે એ પ્રસંગોને તમે વર્ણવો, અને નાના નાના પ્રસંગોમાંથી એક સરસ પુસ્તક બનાવીએ, એને નામ આપીએ ‘હરિને હાથ તાળી. હિમાંશુભાઈ માંકડ નાગર ગૃહસ્થ છે. એ જ્ઞાતિમાં ‘ચ’ ભાઈના નામથી ઓળખાય છે. ‘ચ’ ભાઈ શા માટે કહેવાયું  એની બહુ ભાળ  ઝડપથી મળતી નથી. પણ એ નામ વહાલનો ટહુકો છે.  હિમાંશુ માંકડને ‘ચ’ ભાઈ કહેવું  લોકોને હૃદયથી ગમે છે. દુબળું પાતળું એક કાંઠીનું આ શરીર ‘ચ’ ભાઈ નામનાં પોતાના ઉપનામને હસતાં-હસતાં આવકારે છે. એમણે પોતાની પ્રસ્તાવના, પોતાની વાત, આ પુસ્તકમાં લખી છે. એમાં એમણે ખરેખર પોતાની વાત નથી લખી. પણ એમણે આ કાર્યોમાં જેનો સહકાર મળ્યો છે તે નાના-નાના લોકોની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઇષ્ટદેવ અને પોતાના ઇષ્ટ દેવીનો આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે દરિદ્ર નારાયણ સુધી પહોંચવામાં ઈશ્વરનો સાથ તો પહેલો જોઈએ ને !! એ.જી. ઓફિસના મિત્રો  અને એ.જી. ઓફિસના  સૌને તેઓએ યાદ કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરવાનું થયું ત્યારે સંપાદક શ્રી ને તેઓએ સ્પષ્ટ સૂચના આપી કે, આખા પુસ્તકમાં ક્યાંય હું, મેં, અથવા મારા દ્વારા, એવા કોઈ શબ્દો ન આવે એમ તમે જોજો. અને ખરેખર પુસ્તકની અંદર ‘અમારા’ દ્વારા, ‘અમને’ સમાચાર મળ્યા, ‘અમારી’ સંસ્થાને સંદેશો મળ્યો, આવા વાક્યો થી એમણે પોતાની જાતને અહમથી દૂર રાખી છે.

એમ કહેવાય છે કે આપણા બધા જ પ્રકારના જ્ઞાન, બધા જ પ્રકારના કૌશલ્યો, કે બધા જ પ્રકારની આપણી ક્ષમતાઓનો બરાબર નાશ કરનાર કોઈ શબ્દ હોય તો હું, મેં, મારું, છે. ‘ચ’ ભાઈએ કાળજી રાખીને આ વાત યાદ રાખીને ક્યાંય પણ મેં કર્યું છે, મારા દ્વારા થયું છે, એમ કહેવાને બદલે અમારા દ્વારા થયું, અમને મેસેજ મળ્યો, એ ઉપર આધાર રાખ્યો છે. નાના-નાના કેટલાય  પ્રસંગો બહુ જ પ્રવાહી ભાષામાં, વાતચીતની ભાષામાં, તેઓએ અહીં રજૂ કર્યા છે. આવા 36 પ્રસંગોમાં કેટલીય વાત આવે છે. કોઈને લોહી જોઈએ તો શું, કોઈને પૈસા જોઈએ તો શું, તે બધું જ કામ તેઓ પોતે કેવી રીતે કરતા હતા, કોના સાથીદાર બનીને કરતા હતા, એ તેમણે વર્ણવ્યું છે. ક્યાંય આત્મશ્લાઘા કે  ક્યાંય  પોતાના કામને મોટું દેખાડવાનો પ્રયાસ નથી. સારું છે કે તેઓ સાહિત્યના માણસ નથી. સાહિત્યનો માણસ હોત તો કદાચ એણે વિશેષણોની ભરમાળ સર્જી નથી. આ પુસ્તક જે વાંચશે  તે પોતાની  જિંદગીમાં  દાસ પંદર  સારા સેવાકાર્યોમાં પોતે પ્રવૃત થવાનું નક્કી કરશે  તેની હું ખાતરી આપી શકું.

પુસ્તકનાં છેલ્લાં ટાઇટલ પાન પર લખ્યું છે ::

આશ ધબકે એમના હો  શ્વાસ બાકી, હરિને હાથતાળી

દ્રોણાગિરીથી જીવંત પ્રાણ લાવી, હરિને હાથતાળી

ચિત્રગુપ્તના ચોપડેથી નામ ફાડી, હરિને હાથતાળી

જલારામ નરસૈયાને રણછોડદાસજી, હરિને હાથતાળી

સેવા કરુણાથી સમર્પિત જાત થાતી, હરિને હાથતાળી

હું ભૂલીને જનસેવામાં સૌની વારી, હરિને હાથતાળી

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું !!

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આજે અષાઢી બીજ. આજે કચ્છી નવું વર્ષ.

કચ્છના નગર કુટુંબની વહુઓ આજે માથે ઓઢીને પોતાની સાસુજીના ચરણ વંદન કરે એવો પવિત્ર દિવસ. જ્યોતિષીને પૂછ્યા વગર શુભ કાર્યો  આજે કરીએ તો મંગલ થાય તેવી પવિત્ર તિથિ તે અષાઢી બીજ.

આજે બે ‘ક’ યાદ આવ્યા વગર ન રહે..

‘ક’ કાલિદાસનો ‘ક’ અને ‘ક’ કચ્છનો ‘ક’….

મહાકવિ કાલિદાસનું સ્મરણ કરાવતી તિથિ. મેઘ રાજા હાર્યે વાત્યું માંડનાર સમર્થ કવિ !! તો કુદરતનો કોપ અને કુદરતની કૃપા બન્ને સાથે કચ્છડો બારે માસ !! આપણી દેવ ભાષા સંસ્કૃતની રુડી પેશકશ કરનાર કાલિદાસ, તો એવી જ મીઠડી બોલી તે ‘કચ્છી’…

સંસ્કૃત ઉચ્ચારીએ તો મોં ભર્યું ભર્યું લાગે, તો કચ્છી બોલી કાને પડે તો કાનમાં સળવળાટ  થવા લાગે..

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું

મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત

અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું !

લોક જીભે ચડેલી આ ઉક્તિ ગાગરમાં સાગર સમાવીને કચ્છની લાક્ષણિકતાઓ કહી જાય છે. અમારો કચ્છ મીઠડો, કારણ એના માણસો મીઠા,,અરે એની ગાળ્યું ય મીઠી અને એની પ્રીત પણ મીઠી !!

બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.

કચ્છમાં ય પાછું જિબો અમારું ભુજ્જજજ્જ.. ‘ભુજ’ બોલે ત્યાં તો કચ્છી માડું હરખઘેલા અને એટલે ‘ભુજ’ શબ્દ નહીં પણ સંગીત બનીને જજ્જજજ્જ  ગળચટું લંબાણ ઉચ્ચારે .

અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું..

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,

ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.

ભુજનો ક્રમશ: નાકાં બહાર વિસ્તાર થતો ગયો.આજે આ શહેર ૫૬ કિમી.ના રસ્તા ધરાવે છે. ભુજ હકીકતમાં ૫૬ની છાતી ધરાવે છે એમ હવે  ગૌરવપૂર્વક છાતી ઠોકીને કહી શકે  તેમ છે. ૩૦૦ વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. (ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા) ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.

કચ્છી-કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો. પરદેશમાંથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી..

સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા પ્રસિદ્ધ છે.

ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયા  હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.

લોકસાહિત્યમાં એવું બોલાય છે કે,

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ  સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એક હજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. કહેવાય છે કે,  કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

કચ્છની મુખ્ય બોલી એવી ભાષા છે કે જેની જુદી લિપિ નથી.. એટલે ભાષા જ કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.

દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્મા હોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં લોકગાયિકા ગીતાબેન રબારી હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે.  

સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.

એક કથા એવી છે કે,  કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે, આ ધરતીનો છેડો ક્યાં હશે ? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને  અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.

કચ્છના દરિયાખેડુઓ આજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમ જ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે. દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.

વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે. આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.

ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લઈને વિશેષ ડોક્યુમેન્ટરી બનાવેલી છે, જે વિશ્વભરને કચ્છની ભાતીગળ ઓળખ આપી રહેલ છે. .માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.

આ  60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી. એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા.

આ તો એક માધાપર ગામની સાવ થોડીક વાત થઈ , અરે એવાં અનેક ક્ષેત્રો છે કે, જેમાં કચ્છ પાવરધું પુરવાર થયું છે. કેસર કેરી તો તલાલ ગીરની ખવાય એવી અમારી કાઠીયાવાડીઓની માન્યતા હતી, આ માન્યાતાને કચ્છે  તોડી નાખેલ છે અને હવે કચ્છી કેસર કેરીએ વિદેશો સુધી પોતાનો રસ પીવડાવાનું શરુ કર્યું છે. પીળી અને લાલ ખારેક તો લગભગ આખા ગુજરાતને કચ્છ જ ખવડાવે છે. અહીંનું સંગીત, કળા , સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અહીંના માડુઓ વિષે તો દસ દસ પાનાના એક એક લેખ કરવા પડે ત્યારે આખું કચ્છ વર્ણવી શકાય.

‘આપણા મલકના માયાળુ માનવી’ એ પંક્તિ આજે સમગ્ર ગુજરાતમાં કેવળ કચ્છને સર્વાંગ રીતે લાગુ પડે છે.  માયાળુ માડુઓને આપણા સૌની જાજેરી વધાઈઉ.. 

સમર્પણનું જીવંત પ્રતીક બંસી !

પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

બંસી આજે પણ બજે છેગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા  મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !!  આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.

અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:

સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,

લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !

તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ

હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?

હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો  આનંદ માણે છે?

બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.

જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!

આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !

ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।

બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !

બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?

હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.

સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.

અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?

હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!

મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !

તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)

આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ  લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત.  ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.

હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની  દુનિયા દિવ્ય  છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ.. 

“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

અવસર: દોલપૂર્ણિમા  એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.

પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧

શીર્ષક : ગુરુની કેફિયત

સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.

આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો  બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે  આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા  મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો  મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની  યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે,  મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો  અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ  હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક  વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :

यमेवैष वृणुते तेन लम्यः

तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।

( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)

૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો  કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિનેસવિકલ્પ સમાધિકહી છે.

એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા  આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ  જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે  ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે  કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો  નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !

છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ

“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને  ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું  એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”

“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”

“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”

હવે તો ઈન્દિરા  સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !

જય રાધા  ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)

 

બંસી આજે પણ બજે છે…

તમે એના થાઓ, પછી તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો તમારો  થઈને જવાબ  દેશે.’

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com

ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :બંસી આજે પણ બજે છે

દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા  ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ  અઢિયા સ્મૃતિ પ્રકાશને.

પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે :ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું સાંભળું  છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.

સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,

“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો  મંદિરમાં પ્રવેશ કર્યો.

મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર  ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ !  ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો !  થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’

પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!

હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’

એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે :   ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’

પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.

એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !

બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.

ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો  :ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો  થઈને જવાબ  દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)

લગ્ન પહેલાં સંતાન હોય તે અહીં બહુ સહજ છે.

 

તેઓના મનમાં ખટકો રહે છે કે, આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા

એક એવું કુટુંબ પોતાનાં લગ્નની કંકોતરી આપવા આવ્યું  કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો એમ ત્રણ વ્યક્તિઓ હતી હતા!!!. આપણને તો ગજબનું આશ્ચર્ય થાય કારણ કે, આ ત્રણેય જણા સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. સ્વરાજ આશ્રમ, બારડોલીમાં સરદાર પટેલ કન્યા વિદ્યાધામના સંસ્થાપક શ્રી નિરંજનાબેન કલાર્થી બહુ આશ્ચર્ય ન થયું પણ હું તો ભારે વિસ્મય સાથે આ મા -બાપ-દીકરાની ત્રિપુટીને  જોઈએ જ રહ્યો. મારુ મન પૂછતું રહ્યું કે આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે મૌન  થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના  દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, નિરંજન બા ના  આશીર્વાદ મેળવે તો  તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમની  સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને  અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક  જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’  નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે મેં કહ્યું કે આ તો  દિલની બહુ મોટાઈ માંગે એવો મુદ્દો છે.

આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. ખુબ આનંદની વાત હતી કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર  માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર પણ કર્યો છે. આમ છાનું છપનું કશું જ નથી.

એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે વિધિવત પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ  સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

 

 

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.” 

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.

આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.

મારે વાત કરવી છેવૈદિક તપોવન વચ્છનાદજે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે.  મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.

વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ  મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ  વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા  કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ  નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.

પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે  જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.

ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે  ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું  બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે  વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતાપિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં  એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ  પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.

આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે  ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો  સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!

મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ  તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ  તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે  વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ  કરે.

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું?

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં પણ "આદિ તીર્થવાસીઓ"

અખંડ આનંદ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!

આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.

આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.

કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.

કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.

આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું? 

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી. 

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી. 

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી. 

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ. 

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

ગ્રામસેતુ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

309 ભવન બાંધવાનો સંકલ્પ તેઓ લઇ ચુક્યા છે અને હજી તેઓનો જુસ્સો અપ્રતિમ છે.

આપણા ફકીર સંત શ્રી વિનોબાજીએ ભૂદાન યાત્રા માટે યાદગાર રહેશે…લગભગ લગભગ તેમ જ સુરતના એક ભગત સમ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી ભવનદાન યજ્ઞ માટે ખ્યાતનામ બની રહેશે, એ નક્કી.

આવો, આપણે શ્રી કેશુભાઈ ગોટી પાસેથી જ જાણીએ તેમની આ ભવનદાન યાત્રા વિશે….

પહેલો વિચાર ક્યારે આવ્યો કે આપણે શિક્ષણના ભવનો બાંધવા ?

કેશુભાઈ : પહેલા તો હું રહ્યો મૂળ સ્વામિનારાયણ, પછી હું પાર્ષદ થવા ગયો ત્યારે મારા મેરેજ ની તૈયારીઓ ચાલતી હતી, મેરેજ ને બે-ત્રણ વરસ ની વાર હતી ત્યારે હું બે-ત્રણ હીરાની ઘંટી ચલાવતો. મેરેજ ને બે મહિનાની વાર હતી અને મને વૈરાગ આવ્યો. આમ તો વૈરાગ્ય મનમાં ઘૂસ્યો હતો લાંબા ટાઈમથી જ.

એક વડતાલવાળા સ્વામી હતા એમની સાથે બધો પત્ર-વ્યવહાર ચાલતો હતો.બધું નક્કી કર્યું. એટલે હું સવારે કારખાનું ચાલુ કરાવી સૂરતથી ભરુચ ની બસ પકડી, ભરુચથી એક ભક્તાણી નામની ગાડી વડતાલ જતી હતી, તે પકડી ને હું વડતાલ ગયો. ત્યાં ગયો પછી અઠવાડિયા પછી મને એવું થયું કે અહીંયા હું નહીં રહી શકું. પછી મને થયું કે આવી રીતે ગયા હોઈએ એટલે અહમ પણ હોય અને સ્વમાન પણ હોય એટલે કીધું હવે જીવન પસાર કરી નાખીએ. હું મારા અંતઃશત્રુ ની પીડા સહન ના કરી શકયો. ખાસ કરીને તો કામવાસનાની, એટલે હું બે વર્ષે પાછો આવ્યો.

પાછા આવ્યા પછી  સર્વોદય વિચારના મારા ગામના મોહનભાઈ વાણીયાની સાથે મારી મિત્રતા થઈ. કારણ કે  મને કોઈ બુદ્ધિશાળી કે વિચારશીલ માણસ સાથે  બેસવાની પહેલેથી નાનપણથી આદત હતી. તો એની સાથે રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી વિનોબાભાવે ની વાતુ સાંભળતો. મેગેઝિન “ભુમિપુત્ર”ના વધીને છ થી દશ અંક વાંચ્યા હશે.બીજું કાંઈ મેં વિનોબા ભાવેનું વિશેષ કોઈ સાહિત્ય વાંચ્યુ નથી. ખાસ મોહનભાઈ પાસેથી વાતો સાંભળેલી. આ વાત છે ૧૯૮૨ ની.

હવે ૧૯૮૨ ની સાલ માં દિવાળીએ સુરત થી સૌરાષ્ટ્રમાં બહુ બધાં લોકો આવતા હોય એટલે સરકારી બસ માં જગ્યા ના મળતી એટલે બધા ગામ-ગામની પોતાની બસ ભાડે બાંધતા. એમાં અમારી બસ ભાડે બાંધી હતી , સરકારી બસ પણ સ્પેશિયલ અમારા ગામની જ, એને અકસ્માત થયો, અકસ્માત થયો એમાં બે-ત્રણ છોકરાં ને વાગ્યું, એમાં બે ને સામાન્ય હતું. પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમાં હું, મોહનભાઈ વાણીયા અને એક બાબુ રાબડીયા, ત્રણ જણા રોકાણા હતા. એમાં બે ને જે પાટાપિંડી સામાન્ય હતી એ કરાવીને મોહનભાઈ વાણીયા બે છોકરા ને લઈને ગયા.અને એક ને એડમિટ કર્યા  “ચરોતરી આરોગ્ય મંડળ હોસ્પિટલ” માં… અને પ્રેમજી રાબડીયા નામનો છોકરો હતો એને વધુ વાગ્યું હતું, પણ મારા તાજેતાજા જ વિનોબા ભાવેના વિચારો મારા મગજ ઉપર અસર કરી ગયેલા હતા, તે સેવામાં હું એટલે રોકાયો હતો. પછી એ પ્રેમજી રાબડીયાને ટાંકા લીધાં અને ત્રણ દિવસ રાખ્યો ને પછી રજા આપી. મારી સાથે બાબુ રાબડીયા હતો, એ શરીરમાં થોડો હલકો હતો ને એ તેડે તો ઓલા છોકરાને દુઃખે, એટલે ઑલો પ્રેમજી મને એમ કહે કે, કેશુભાઈ, તમે તેડો એટલે ખંભે બેસાડીને છેક સુધી ચડાવવા-ઉતારવા બધું મેં કર્યું તો મને આનંદ બહુ આવ્યો.. જ્યારે હું પાર્ષદ હતો ને મંદિરે જતો કે પાર્ષદ હતો ત્યારે રોજ સાંજે સૂતાં પહેલાં ઘનશ્યામ મહારાજની પચાસ માળા ફેરવતો, તો મારું મન મને પરાણે જોડી રાખતું, મને કંઈ સુખ મળતું નહીં અને મારા મન સાથે માથાકૂટ જ કરવાની રહેતી. કંટાળો આવે ત્યારે પચાસ પુરી થાય…!! પણ આ છોકરાની સેવામાં  મને મજા બહુ આવી. એટલે ત્યાંથી પછી વિચારમાં પરિવર્તન આવ્યું.

આપનો પહેલેથી સ્વભાવ આવું વિચારતા રહેવાનો ખરો કે ??

કેશુભાઈ: આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. તો એ યાત્રા આગળ વધતા-વધતા એક બાજુ બીઝનેસ, એક બાજુ આ યાત્રા, થોડું વાંચન સાઇડમાં ચાલુ હતું, થોડી ચર્ચાઓ જ્ઞાની માણસો સાથે ચાલુ હતી, એમ કરતાં કરતાં થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી જ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું.

એમાં એક કમળાપુર ગામ છે ત્યાં ગયા ત્યાં વસોકાકા કરીને સરપંચ ગામ ચલાવતા હતા. ત્યાં જઈને બાળક જેવો થઈ ને મારી કાલીઘેલી ભાષા ને મારી જે કાંઈ આવડત હોય એ પ્રમાણે બાળકોને ઉત્સાહ માં લાવવાનું કામ કરતો. અને કપડાં આપ્યા ને નાસ્તા-પાણી કરાવીને ત્યાંથી આવતા રહ્યા. એમાં  ઘણી ઘટના ઘટી, એમાંની એક ઘટના તમને કહું. એ કમળાપુરમાં અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરી ને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આવી ઘટનાઓ તો ઘણી ઘટી પણ આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નોહતા પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નોહતા ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને કે મિષ્ટાન નોહતું ભાળ્યું. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.

અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં કેશુભાઈ, એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે, એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મેં એવું વિચાર્યું કે, આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

# ..એટલે એનો અર્થ એવો થયો ને કેઆપે યજ્ઞની જેમ   કામ ઉપાડ્યું ? 

કેશુભાઈ : ના, એની મને કાશી જ ખબર નથી પણ જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું. હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જુ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની  જેના નોહતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો.આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી, એમાં જેઓના નામ હતા તેઓને અહમ હતા મારા પરિવાર સહિત, અને જેઓના નોહતા તેઓને ઈર્ષા હતી. બીજું, સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે વેપાર તો ગણિત થી કરીએ પણ દાન પણ ગણિત થી જ કરવાનું ??! આપણો  લાભ હોય એની પાછળ જ કરવાનું ?! એટલે મારો આત્મા કોરી ખાતો હતો. એમાં  આત્મા માંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય એ પણ એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથા નું લોકાર્પણ હતું,  જુગતરામ કાકા ના કોઈ મિત્ર બ્રાહ્મણ જ હતા એમની દીકરીઓ સંભાળે  છે. તો ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે મારો અંદર નો અવાજ શું છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ, એટલે જીતુ મકવાણા અમારા સુરતનો એન્કર હતો એટલે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને એને કહી  આવ્યો કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા.

એમાં ગોકુલ આઠમ આવી, તો ગોવિંદ કાકા ધોળકિયાનો આઠમના દિવસે ફોન આવેલો. ‘કેશુભાઈ , કાલે મળવા આવોને થોડું કામ છે’,  તો હું તેમને મળવા ગયો બીજા દિવસે. એટલે મેં એમની સલાહ લીધી અને કીધું કે કાકા આવું છે. દાતા તો મળી જાય એવું છે. તો એણે મને પ્રોત્સાહિત કર્યો કે, કેશુભાઈ આપણા જ પૈસા, કોઈ મિડલ મેન નહીં, કોઈ વહિવટી ચાર્જ નહીં, સીધા જ ગરીબોના કામ માટે વપરાતા હોય ને  તમે એક રૂપિયો વાપરો તો સામે વાળો એક વાપરવાનો અને તમે નહીં વાપરો તો સામે વાળો વાપરવાનો જ નથી. એટલે મેં એકાવન નો સંકલ્પ કર્યો. હવે એકાવન નો સંકલ્પ કર્યો એમાં એક પ્રદિપસિંહજી છે. ચાર્ટર્ડ- એકાઉન્ટન્ટ છે, એમની મુંબઇ, સુરત ઓફિસ છે. પચાસ ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ એમને ત્યાં સર્વિસ કરે છે. અને મારા મિત્ર હતા તો એમને મેં આમંત્રણ આપ્યું. એક ભવનમાં તો તરત ભાગીદાર થઈ ગયા અને આવ્યા લોકાર્પણમાં… લોકાર્પણમાંથી આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો, “આપ ચાઇ પીને કે લિયે ઓફિસ આઈએ”. હું ગયો તો એમણે કહ્યું:  “મને આ તમારું કામ બહુ ગમ્યું , આનાથી સારું કોઈ કામ ન હોય” એટલે મારી તમને એક રિકવેસ્ટ છે બે હાથ જોડીને, તમે ૧૦૮ નો પ્રણ લ્યો. અને અત્યારે જ કોઈ ને કહી દો કે, મેં ૧૦૮નો સંકલ્પ લીધો છે. અને યદિ “આપકો પાર્ટનર ના મિલે તો પ્રદીપ સિંહ બેઠા હૈ.”

એ વાત પછી તો અમે અમારું મોડલ સુધાર્યું અને ભાવ પણ વધી ગયા હતા, પણ એમણે વાત કરી પછી મારે ૫૭ વધારવાના હોય તો મારા ભાગમાં નવ કરોડ રૂપિયા આવતા હતા. એટલે એ વિચાર્યું. ઈશ્વર અને તમારા બધાનાં માર્ગદર્શન અને સલાહથી જે કંઈ શીખ્યો છું કે, સલાહ દેવાવાળા ય ભાવમાં નથી, લાગણીમાં નથી, ક્યાંય કોઈ વડામાં બંધાયેલો નથી એ બધું પાંચ મિનિટ માં મેં એમને માપ્યા. પછી મેં અંદરવાળા ને પૂછ્યું, તો અંદરથી એક અવાજ આવ્યો કે તને સલાહ દેનારમાં માં ઈશ્વર આવીને બોલે છે. એટલે મેં તરત જ મથુરભાઈ ને ફોન કર્યો કે આપણે આજથી ૧૦૮નો સંકલ્પ લઈએ છીએ. પછી તો  ૧૦૮ સહયોગી દાતાઓ ક્રોસ કરી ગયા,  એટલે ૧૫૧ ભવનનો સંકલ્પ કર્યો.

હવે ૮૨-૮૩મું લોકાર્પણ હતું,  ત્યાં ૧૫૩ દાતાઓ થઈ ગયા. તેથી  ૧૭૫ નો સંકલ્પ કર્યો. પછીનાં  ભવન માં પાર્ટનર હતા અનુભાઈ તેજાણી. ચોમાસું હતું ને એના બે ય  લોકાર્પણ એક જ દિવસે હતાં. તો સવારે કશું  ના બોલ્યા પણ બપોર પછી સ્ટેજ ઉપર અમે બન્ને બાજુમાં બેઠા હતા તો મને કહે  કેશુભાઈ ૧૭૫નો આંકડો શું લેવો ?  મારી બીજી પાંચ લખો. એટલે મેં ૨૦૮નો સંકલ્પ કર્યો, ત્યારે તો ૨૦૮ પાર્ટનર નોહતા પણ ૨૦૮નો આંકડો પર કરી નાખ્યો. એમાં ગયા ઉનાળે હું અમેરિકા ગયો. “વિવેકાનંદ નેત્ર-મંદિર” માં  ભાવિન પટેલ છે.  એમણે  મને ચાર પુસ્તકો “સ્વામી વિવેકાનંદના” આપ્યા. હું સાથે બેગમાં લઇ ગયો. હવે લાલજીભાઈના ઘરે ન્યુયોર્ક રોકાણા હતાં, ત્યાં બધા રોજ શોપીંગ માં જાય ને  મને શોપીંગનો ટકોય શોખ નથી. એટલે મેં બેસીને એ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકો વાંચ્યા અને “સ્વામી વિવેકાનંદ” ના જે હું તમને અત્યારે વાત કરું ને , એનાં જે દર્દો ભારતની ગરીબી, ભારતની પરાધીનતા , એની માનસિક , આર્થિક ને શારીરિક બધી રીતની કંગાલીયત વાંચીને  એટલે હું દ્રવી ગયો. મારુ હૈયું વલોવાઈ ગયું ને મેં ત્યાં ન્યુયોર્ક બેઠા-બેઠા જ ૩૦૯ નોં સંકલ્પ કર્યો. બોલો લ્યો, આ મારી કહાની છે, ભદ્રાયુભાઈ…

*************************************

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ આપ સૌની જાણ માટે કે 309 માંથી 181 શિક્ષકન ભાવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે.

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નૃત્ય પારંગત બનતા પહેલાં

નૃત્ય પારંગત બનતા પહેલાં

જનકલ્યાણ : મે: 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

JKMay24 01
JK May02
JK May03

નૃત્યાંગના કુમુદિની લાખિયાના જીવનની યાદગાર વાતો 

મેડમ,પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ??” ..તો મમ્મીએ કીધું,  “હું લાવી છું ને સાથે.!!”

કોઈ કૌશલ્યની ટોચ પર પહોંચી ગયું હોય તો એમ ન સમજવું કે તેમને શીર્ષસ્થ સ્થાન એમ ને એમ મળી ગયું છે. સફળતા ક્યારેય પ્રારંભિક સંઘર્ષ વગર મળતી નથી. એ સંઘર્ષ સમજપૂર્વકનો હોય કે પછી અણસમજમાં થયેલ હોય.

નૃત્યની દુનિયાનું  રાષ્ટ્રીય નામ તે કુમુદિની લાખિયા. કથ્થક નૃત્યમાં અનેક કલાકારોને પાયાનું શિક્ષણ આપી વિશ્વસ્તરે પહોંચાડનાર કુમુદિની  લાખિયા કે જેઓ આજે ચોરાણું વર્ષે પણ કદંબ ડાન્સ એન્ડ મ્યુઝિક એકેડમી સાથે પ્રવૃત્ત છે, તેઓ નૃત્ય માર્ગે કેટલી મથામણ  પછી પહોંચ્યા તે તેમના  જ શબ્દોમાં જાણવા જેવું છે.

“….. એક દિવસ  મારા પેરેન્ટ્સ સાથે હું  ફિલ્મ જોવા ગઈ. એ ટાઈમના બહુ મોટા અભિનેતા અશોક કુમાર અને દૈવીકા રાની. અને એ ફિલ્મમાં એક ડાન્સ હતો. અને ડાન્સર હતા મહેમુદના પિતા.  એ બહુ જ સરસ ડાન્સર હતા.  હજી પણ મને યાદ છે એ  ડાન્સ. ‘લે લો ચુડીયા લે લો… ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચુડીયા..’ .એ ડાન્સ કરતા  હતો. એમની સાથે ગ્રુપ હતું. હું છ વર્ષની હતી અને અમે ઘરે આવ્યા, ત્યારથી રોજ હું આ ડાન્સ કરું. હા, એક વખત જોઈને રોજ કરું. એટલે મારા મમ્મીને લાગે કે આને ડાન્સમાં ઈન્ટરેસ્ટ  છે અને એ સારું કરે છે. એમને એવું લાગ્યું  કે ડાન્સ તો  ગ્રેસફુલ છે એટલે  એને ડાન્સ શીખવાડીએ. પણ એમને ડાન્સ વિષે કશી ખબર ન હતી. શું ભરતનાટ્યમ? શું કથ્થક? કોઈ પણ ડાન્સ સ્કૂલનું  બોર્ડ જુએ  ને એટલે મને ત્યાં મોકલી દે.

હા, ગમે તે ડાન્સ હોય પછી,,,, પછી હું કહું કે મને અહીં નથી ગમતું. તો વળી સારું બીજું બોર્ડ જોવે એટલે ત્યાં મોકલી દે. ખાલી ડાન્સ સ્કૂલનું બોર્ડ જોવાનું,બસ…. એટલે હું ભરતનાટ્યમ શીખી, કથ્થક શીખી… ત્રણ ત્રણ મહિના, બે બે મહિના… પછી જરાક મોટી થઈ  ત્યારે કથ્થકનાં  ટીચર હતા એમણે કહ્યું કે,  આ કથ્થક સારું કરશે. એનો જે ડાન્સ અને બોડી છે એ કથ્થક માટે છે અને સમજણ પણ છે એને કથ્થક માં… તાલ ને બધું સારું શીખે છે. એટલે પછી કથ્થક નૃત્ય નક્કી થયું મારા માટે.

…એ વખતે મારા મમ્મી નરેન્દ્ર વ્યાસ પાસે શીખતાં હતાં. મને પણ લઇ ગયા ત્યાં. પછી હું ત્યાં બેસી રહું. પછી બહાર જાઉં રૂમની, અને રમુ ત્યાં કૈંક… એટલે એમના નીચે એમના એક ભાઈ રહેતા હતા શંકરલાલ વ્યાસ. તો એક દિવસ એ મને પકડીને ઉપર લઇ ગયા. કે આ બાળક એકલું એકલું રમે છે,  તો મારા મમ્મી એ કીધું, માફ કરજો તમને ડિસ્ટર્બ કર્યાં. એટલે કહે ના, ના, ડિસ્ટર્બ નથી  કર્યા, પણ આ થોડો ડાન્સ કરે છે ને થોડું રમે છે. તો એમના માટે ડાન્સ ટીચર રાખોને તમે… બસ, શંકરલાલ વ્યાસ મારા માટે ડાન્સ ટીચર લાવ્યા. એ બિકાનેરના હતા. અને એમણે  મને શીખવાડ્યું  થોડુંક… પછી મારા મમ્મીએ નૃત્ય છોડી દીધું એટલે મારું નૃત્ય  પણ છૂટી ગયું !! હવે શું? હવે ક્યાંથી ટીચર લાવવાના?

મારા ફાધર એન્જીનીયર હતા. તો એક વખત એ કોઈનું બિલ્ડીંગ બાંધતા હતા. તો કૈંક  વાતચીત એમની થઇ હશે તો મારા ફાધર કહે, મારી દીકરીને સંગીતમાં બહુ શોખ છે . બધા પ્રોગ્રામમાં પણ જાય છે,, તો એ ભાઈએ કીધું કે, ‘મારા એક ભાઈ છે એ સંગીત પણ કરે છે અને ડાન્સ પણ કરે છે.’ તરત મારા ફાધરે કહ્યું:  ઓહ, ડાન્સ પણ કરે છે. અમારી  દીકરીને શીખડાવશે?’  ‘હા, હા જરૂર.’ એટલે પછી એ અમારા ઘરે આવે. મોટી ગાડીમાં. એ ફિલ્મસ્ટાર હતા. મોટી ગાડી લઈને ચોકલેટ લઈને બપોરે અમારે ઘરે આવે. એટલે આજુબાજુમાં જે સ્ત્રીઓ હતી  એ વાત કરવા લાગી  કે એમને ત્યાં બપોરે ‘કોઈ’ આવે છે. ફૂલ લઈને, ચોકલેટ લઈને… તો મારા મમ્મી કહે કે, ‘આ ના ચાલે. આ કરો બંધ. એમને પણ બંધ કરી દીધા !.’

આજુબાજુના બૈરાઓની આ બધી પ્રવૃત્તિ હોય છે. એમને ટાઈમ બહુ હોય છે ને… એટલે એવી રીતે બે-બે, ત્રણ-ત્રણ મહિના કેટલા બધા ટીચર પાસે શીખી હું. પછી એવું થયું કે મારા ફાધરને દિલ્લી જવાનું થયું war was declared and India joined the war and my father was an engineer. એટલે એમને આ  વોર ટાઈમનું કામ મળ્યું …અમે દિલ્લી ગયા તે પહેલા તો મારા મમ્મીને ડાન્સનું જ ગાણું ચાલતું  હતું, તે ચાલુ જ રહ્યું.  એક  ગુરુ પાસે ગયા અને એમને કીધું કે, મને ડાન્સ ટીચર જોઈએ પણ મારી સાથે જે દિલ્લી આવે એવા ગુરુ  જોઈએ છે. તો  કહે,  મારા ભાઈનો એક દીકરો  છે, એને લઇ જાઓ. એટલે અમે જયારે દિલ્લી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો એક સર્વન્ટ, એક આયા, એક ડાન્સ ટીચર, એક તબલા ટીચર…

હવે ત્યાં ડાન્સ તો શરુ થયો પણ ભણવાનું શું ? સ્કૂલનું શું?  મારા ફાધરએ આખી ઇન્ડિયાની ટુર કરી અને એક સ્કૂલ શોઘી લાહોરમાં… કવીન  મેરીયેટ સ્કૂલ… જો કે, ત્યારે લાહોર ભારતમાં જ હતું. એમને સ્કૂલ બહુ ગમી. It was run by britishers actually and  50% teachers were britishers. બોર્ડિંગ સ્કૂલ. નવ વર્ષની હતી હું, અને મને ત્યાં બોર્ડિંગમાં મોકલી દીધી. પહેલા તો નહિ ગમ્યું, પણ પછી જરા ગમ્યું.

હવે એક-બે વર્ષ થયા પછી મને યાદ છે હિસ્ટ્રીનો ક્લાસ હતો. એક યુરોપિયન ટીચર હતા મિસિસ સીંગ્સ, એ હિસ્ટ્રી લેતા હતા. એટલામાં પ્યુન આવ્યો. મારી તરફ આંગળી ચીંધી ને કહે,  प्रिंसिपल साहब उस लड़कीको बुला रहे हे. મને થયું, અરે ! પ્રિન્સિપાલ બોલાવે એટલે પનિશમેન્ટ. હું જતાં-જતાં  વિચાર કરતી હતી કે,  પ્રિન્સિપાલ કેમ મને બોલાવે છે? હું પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ તો ત્યાં સામે જ મારા મધર બેઠા હતા.પછી મને પ્રિન્સિપાલ એ કહ્યું કે, Your Mother is here   and she wants you to learn Dance. પ્રિન્સિપાલે  કીધું કે, મેડમ, પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ?? ..તો મમ્મીએ કીધું,  હું લાવી છું ને સાથે. ‘ઓકે, પરફેક્ટ તમે તો કામ કરીને આવ્યાં છો.’

મારા મમ્મીએ મારા ડાન્સ ટીચર માટે એક રૂમ, એક કિચન એવું એક ઘર લીધું. ત્યાં એ રહેતા હતાં. અઠવાડિયામાં ત્રણ દિવસ મારી સાથે રહે. એમ કરતા કરતા લાહોર કથક કેન્દ્ર શરુ થઈ  ગયું અને મારી નૃત્ય યાત્રા વ્યવસ્થિત શરુ થઈ.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


આદિવાસી નહીં , પણ “આદિ તીર્થ વાસીઓ”

અખંડાનંદ્દ :: મે 2024 :: શ્રી ભદ્રાયુ વછરાજાનીનો લેખ ::

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ ” 


સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!
ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 
આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.
આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.
કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.
કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.
આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com


Facebook


Youtube


WordPress


Instagram

Share your feedback


‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે”  ત્યારે ભારતના એકોએક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

કભી કભી લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘. 

આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે  જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું  પાકિસ્તાનનું  આખું લશ્કર ભારત દેશના  લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી.  એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો  અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના  સૈન્યને શરણે થતું હોય તે ઘટના  કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!  

પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું. 

બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ કરવી આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની  કરવામાં આવી અને  કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.

આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ  પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ. 

મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો  ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત  પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ  આપી દીધા તે  લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે.  હું અઠવાડિયામાં એકવાર સોમવારે  ભાત ન ખાવાની  પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું  આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.

હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે.  ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક  સૈન્ય આખેઆખું  ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી.   આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.

પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું.  ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ  માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા  જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.

 

 

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

'સૈરન્ધ્રી'ની સર્જનયાત્રા કવિ મુખેથી

કવિતા : માર્ચ -એપ્રિલ 2024 : વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

SaiRandhri.3
SaiRandhri.5
SaiRandhri.7

કવિશ્રી વિનોદ જોશી સાથે ભદ્રાયુ વછરાજાનીએ કરેલો દીર્ઘ-અંતરંગ-સંવાદ

ભદ્રાયુ : સૈરન્ધ્રીનું સર્જન થઈ ચૂકયું છે, ત્યારે વિનોદભાઈ, એક પ્રશ્ન એ થાય છે કે સૈરન્ધ્રી નામ શાસ્ત્રોમાં હતું, પણ જનસામાન્યમાં એટલું પરિચિત ન હતું, જે હવે તમારાં પ્રબંધ કાવ્ય પછી સૌનાં કાનમાં ગૂંજવા લાગ્યું છે ને દિલમાં વસવા લાગ્યું છે, ત્યારે તમને પહેલાં તો એ પૂછવાનું કે આ વિચાર કયાંથી આવ્યો કે આ બીજ તમારા મનમાં કયાંથી રોપાયું? કયારથી આવ્યું? અને કેમ તે વિકસ્યું?

વિનોદ જોશીઃ ભદ્રાયુભાઈ, સૈરન્ધ્રી કાવ્ય તો હજુ રચાયું હમણાં, એટલે કે ફેબ્રુઆરી-૨૦૧૮માં એ

સંપન્ન થયું પણ છેલ્લા દોઢ દાયકાથી એનું અનુસંધાન મારાં ચિત્તમાં સધાયું હતું. સૈરન્ધ્રી તો એક વળાંક છે, વાસ્તવમાં તો મેં લખવા ધારેલું ‘બૃહન્નલા’…મારાં નવાં કોઈ પુસ્તકમાં પણ ‘હવે પ્રકાશિત થનારાં મારાં પુસ્તકો’ની યાદીમાં પણ મેં ક્યાંક ‘બૃહન્નલા’નો ઉલ્લેખ કર્યો છે. એટલે મારું લક્ષ્ય ‘સૈરન્ધ્રી’ નહીં પણ ‘બૃહન્નલા’ હતું, તેમ તમે કહી શકો. મને એમ થયું કે મેં ‘શિખંડી’ લખ્યું છે તો વળી બીજા એક પાત્ર વિષે લખું કે જે મેઈનસ્ટ્રીમ કેરેકટર નથી. શિખંડી એ જેમ દ્વૈતમાં રાચે છે, એ સ્ત્રી-પુરુષ બંનેના વ્યક્તિત્વનો અનુભવ કરે છે, એના પૂર્વકાળમાં અને પછીના કાળમાં; એ રીતે બૃહન્નલાનું કોઈ સૂચન મને અંદરથી મળ્યું હશે ને મેં વિચાર કરેલો કે હું ‘બૃહન્નલા’ પર લખીશ. મેં લખવાનો પ્રયત્ન કર્યોને એ કાવ્ય પણ સર્ગબદ્ધ કરવું એવી મારી ઈચ્છા હતી. મેં એનો પહેલો સર્ગ શરૂ કર્યો ત્યારે વિચાર્યું કે જો હું આ પ્રકારનાં પાત્રોને લઈને જ લખવાનો છું તો પછી બધાં કાવ્યો એક સરખી ઢબનાં જ લખવાં જોઈએ કે જે ઢાંચામાં શિખંડી લખાયું –ચાર ચાર શ્લોકોમાં જે લખાયું-તો હું એવી રીતે જ આ પણ લખું..એમાં આરંભે મારે એવું પ્રસ્થાપિત કરવું હતું કે અર્જુન મૃદંગ વગાડે છે, ‘બૃહન્નલા’ બનીને અને એને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ જાય છે. હવે આનો ખ્યાલ અર્જુનને આવી ગયો કે પોતાને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ ગઈ છે, તો એ જાણ્યા પછી અર્જુન પોતાનાં વિષે શું વિચારતો હશે તે મારે આલેખવું હતું! મેં એ રીતે શરૂ કર્યું, અને એમ માનો ને કે ચાર-ચાર પંકિતના ત્રીસ-ચાલીસ શ્લોકો તો મેં લખ્યા. પણ જેમ જેમ હું લખતો ગયો તેમ તેમ હું અનુભવતો ગયો કે આ ખરી કટોકટી તો અર્જુનની નથી, પણ એ તો સૈરન્ધ્રીની છે. એટલે મેં લખવાનું પડતું મુક્યું! હું જેને વિષય બનાવવા માંગતો હતો તે તો ગૌણ બની ગયોને જે ગૌણ લાગતું હતુંતે મુખ્ય થઈ ગયું! અને એક વાત એ પણ હતી કે ‘બૃહન્નલા’ બનતા અર્જુનની સમાંતરે જ કંક બનતા યુધિષ્ઠિર કે બલ્લવ બનતા ભીમની પણ એકસરખી વેદના પણ હોય શકે ને! તો આ બધા પુરુષો છે જે યુદ્ધવીરો છે ને બાણાવળીઓ છે ને કોઈ વળી ગદાધારી છે તો કોઈ બુદ્ધિનિષ્ઠ છે એટલે એમની પાસે એમના રસ્તાઓ છે, પણ સૈરન્ધ્રી એવું પાત્ર છે કે જે નથી કોઈને કંઈ કહી શકે તેમ કે નથી એમની પાસે એવું વ્યકિતગત સામથ્ર્ય કે જે અર્જુન પાસે છે કે ભીમ પાસે છે! તો આ એક એવું પાત્ર છે કે જે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તો Why not to move upon them? મને સમજાયું કે ખરેખર તો સૈરન્ધ્રી મારું લક્ષ્ય છે. હું જે કહેવા માગું છું તેની વિગત તો મારે સૈરન્ધ્રીનાં સંદર્ભમાં કહેવી વધુ ઉચિત છે એટલે હું જે લખતો હતો તે મેં પડતું મુક્યું, જેની સ્ક્રીપ્ટ મારી પાસે છે, પણ હું એમાં આગળ ન વધ્યો.

સૈરન્ધ્રી તો હવે દાસી છે સુદેષણાની, એટલે મારી વાતમાં જો એક દાસી અને એક રાણીના વિરોધાભાસી સંકેતોથી શરૂ થાય તો તરત અપીલ કરે, એટલે મારે મારી વાતની શરૂઆત સુદેષણાથી કરવી જોઈએ… તો એવું કરવું કેવી રીતે? મેં નક્કી કર્યું કે હવે મારે સૈરન્ધ્રી પર કાવ્ય નથી લખવું પણ મારે તો સૈરન્ધ્રી પર નાટક લખવું છે, એટલે નાટક લખવાનો મેં પ્રારંભ કર્યો ને મેં કલ્પિત પાત્રો પણ એમાં ઉમેર્યા. સૈરન્ધ્રી અને સુદેષણા વચ્ચે થતા સંવાદો મેં લખ્યા. લગભગ ત્રણ ચાર દશ્યો મેં લખ્યાં, પણ પછી મને થયું કે જે વાત મારાં મનમાં રમી રહી છે એ તો ‘અજ્ઞાત હોવાની ને પોતાનું જે જ્ઞાત વ્યક્તિત્વ છે તેને છૂપાવવાની’ વાત હું નાટકમાં બરાબર મુકી નથી શકતો, કારણ સંવાદમાં મારે જે કહેવું છે તે વાત આવતી નથી એટલે પોત જે બંધાયું છે એ તો કવિતાનું જ છે, નાટકનું નથી. મેં નાટક પણ છોડી દીધું. એની સ્ક્રીપ્ટ પણ મારી પાસે હજુ પડી છે. તો બૃહન્નલામાંથી સૈરન્ધ્રી બની, વૃત્તબદ્ધ કાવ્ય છૂટી ગયું ને નાટક જે અંકબદ્ધ લખાતું ગયું હતું એ પણ મુકાય ગયું! પછી મને થયું કે આ વાત બંધાતી નથી. મારે જે કહેવું છે તેનો પિંડ બંધાતો નથી. તો મારે શું કરવું?

ભદ્રાયુ: ઓહો, આ ક્ષણ તો કપરી ગણાય. સર્જક ખળભળી ઊઠે તેવી !

વિનોદ જોશીઃ હા, ખરું મનમાં જે ઉથલપાથલ થતી હતી તે એ હતી કે મને બધું આવડે છે ને તે છતાં હું તે કરી શકતો નથી. કવિતા લખી શકું તેમ છું છતાં કવિતા લખી શકતો નથી, તો મારી જે ઉર્જા છે એને રોકે છે કોણ? કોઈક નિયંત્રિત પરિબળ એવું છે કે જે મારા શબ્દોને પ્રગટવા દેતું નથી તો એ છે શું? મારી સર્જકતાને દાબ આપતું હોય એવું કંઈક મારી આસપાસ મને અનુભવાયું. પછી મેં એની શોધ કરી કે એવું છે શું? તો મને લાગ્યું કે મારી મૂંઝવણ કંઈક અલગ છે. મારું મનોમંથન ચાલ્યું. આપણી આસપાસ રચાતા વ્યવહાર જીવનના રોજબરોજના બનતા બનાવો-ઘટનાઓ કે દૈનંદિની એ બધામાં આપણે જેમ ઈચ્છીએ છીએ એમ તો આપણે કંઈ કરી જ નથી શકતા. બીજા જેમ ઈચ્છે છે એમ જ આપણે તો બધું કરવું પડે છે! તમે યુનિવર્સિટીમાં હો તો પણ તમારે બીજાની ઈચ્છા પ્રમાણે કરવાનું કે તમે ઘરમાં હો તો પણ અન્યને શું ગમશે તે યાદ રાખીને વર્તવાનું કે તમે બહાર રસ્તા ઉપર કોઈને મળો તો પણ તમારે તમારું વર્તનવિજ્ઞાન અંદરથી અલગ વિકસાવવાનું અને એ રીતે વ્યવહારના આટાપાટા રચી લેવાના ! જો હું બીજાને ગમે તેમ આ બધું કરી લેતો હોઉં તો પછી હું બીજાના વતી જીવું છું, તો મારું જીવન કયારે જીવીશ? એને ગમે છે કે મારે આ રીતે જીવવું જોઈએ ને હું એમ જ જીવી રહ્યો છું તો તો હું બીજા વતી જીવી રહ્યો છું! તો મારે એ ખોજ કરવી જોઈએ કે ‘મારું જે છે તે’ કે ‘મારું નિજત્વ છે’ તે શું છે? આ કોયડો કાંઈ એટલો મોટો નહોતો એવું મને ત્યારે લાગ્યું. મન કહેતું હતું કે, ‘આતો ઠીક છે, વ્યવહાર જીવનમાં તો એકબીજાને અનુકૂળ થઈને જ જીવવાનું હોય ને આવું જ બધું હોય ને કાળયાત્રા તો આમ જ ચાલે ને ?’ એટલે કયારેક આ વાત સાવ ફુગ્ગા જેવી થઈ જાય – સાવ ચપટ થઈ જાય તો વળી કયારેક એવો ધક્કકો વાગે કે ના-ના, આ તો યોગ્ય ન કહેવાય! વિચાર આવે કે આયુષ્યનાં આટલાં વર્ષો ગયાં તે આપણે ઈન્વેસ્ટ કયાં કર્યાં? ધારો કે હું મારો એક કલાક કોઈ જગ્યાએ આપું છું તો તે મારું ઈન્વેસ્ટમેન્ટ છે, એટલે કે મેં મારા આયુષ્યમાંથી એક કલાક ઓછો કર્યો ને કોઈક જગ્યાએ રોકયો તો એ મારાં માટે વળતરરૂપ છે ખરો કે એનાથી મને કંઈ ફાયદો થયો કે મારી કોઈ ઉત્ક્રાંતિ થઈ ખરી? જ હું આવું ન કરી શકતો હોઉં તો મારો જે સમય વપરાયો તે તો એની ઈચ્છા પ્રમાણે ખર્ચાયો. એનો અર્થ એ થયો કે જીવન મને મળ્યું છે ને હું એને મારા માટે તો વાપરતો નથી! જીવનની જે ખરી ખુબી છે મારું ન્યુકિલયસ જાણવાની, તે તો હું કદિ જાણવાનો જ નથી. કારણ હું બીજાનાં ન્યુકિલયસને જાણ્યા વગર તેનાં માટે બધું કર્યા કરું છું! હું મને બધાની વચ્ચે, મને જ ઈત્તરજન કે આઉટ સાઈડર લાગવા માંડયો! મનમાં દાંતાવાળા બે ફરતાં ચક્રોનું રૂપક પણ આવ્યું કે જે એકબીજામાં ભેરવાયેલાં અને એકબીજાની ગતિને લઈને હારોહાર ગતિ કરતાં એ બન્ને ચક્રો જેવું મારું જીવન છે. બન્ને ચક્રો સ્વતંત્ર છે અને નથી પણ…આવી મારી સ્થિતિ છે એટલે હું ઓગળી નથી શકતો; મારે તો ઓગળવું હતું. હું જે સમષ્ટિનો અંશ હોઉં, હું જે વ્યકિતમત્તાનો ધબકાર હોઉં અથવા હું જે વાતાવરણમાં વિસ્તરવા માંગતો હોઉં તેને બદલે હું આમ દાંતામાં દાંતા ભરાવી માત્ર ફર્યા કરું તો એ અર્થહીન છે! મને થયું કે મારે ભળવું છે અને જો મારે ભળવું હોય તો મારે ઘણામાં ઉતરવું પડે, ઘણાને જાણવા પડે! આસપાસ જે હોય તેને જાણવામાં તો મને રસ હતો નહીં. બસ આ પળે આ બધાં પાત્રો મને વળી પાછા અંદરથી મજબુર કરવા લાગ્યાં! એમણે કહ્યું જાણે કે, ‘જુઓ અમે જુદા છીએ. અમે વ્યવહારજીવન કરતાં અલગ છીએ.’ એટલે મને સમજાયું કે આ પાત્રો મારાં કામનાં છે. મારા માટે તો કામનો હું પણ હતો, કૃષ્ણ પણ હતા, કિચક પણ હતો, દ્રૌપદી પણ હતી! ઘણાં બધાં પાત્રો મને એવાં મળ્યાં કે જે વ્યવહાર જીવનમાં જુદી રીતે જીવનારા ને છતાં પોતાનું નિજી વ્યક્તિત્વ બનાવી રાખનારાં હતાં.. તેમાં સૈરન્ધ્રીએ મને બરાબર પકડયો. મને થયું કે સૈરન્ધ્રી સ્ત્રી તો છે જ, પણ સાથોસાથ એ મહારાણી છે, એ દાસી પણ છે, એ વળી પાંચ પતિની પત્ની પણ છે અને એવી એ સ્ત્રી કે જેને પાંચ પતિ હોવા છતાં અજ્ઞાતવાસમાં એમણે પાંચેયથી દૂર રહેવું પડે તેવી નિયતિને વશ થયેલી છે. આ વ્યવહાર જીવનમાં શકય નથી. નારીત્વનો જો સૌથી તીવ્ર અનુભવ કોઈ કરે તો તે સૈરન્ધ્રી જ કરે અને આ બિંદુ મારી અંદર ચોંટી ગયું… પણ આ લખવું કેવી રીતે ? મારા આ વિચારને સુદ્રઢકો સાંપડે એટલે બધાને કહેતો રહ્યો કે, ‘હું આવું કંઈક લખી રહ્યો છું’, ‘હું સૈરન્ધ્રીને કેન્દ્રમાં રાખીને કશુંક લખવા માંગું છું’ કે ‘હું પ્રબંધ કાવ્ય રચી રહ્યો છું!’ એટલે તમારાથી માંડીને મેં મોરારિબાપુ સુધીના બધાને કહ્યું કે ‘હું આવું એક મોટું કામ કરી રહ્યો છું, હકીકતે મેં એક શબ્દ પાડયો ન હોય ! તો બધાંને એમ હતું કે હું બીજું કાંઈ લખતો નથી. હું ઘણા વર્ષોથી જે ગીતો-સોનેટ-કાવ્યો લખતો હતો તેમાં કશું ઉમેર્યું નથી. છેલ્લા દસ વર્ષોમાં કંઈ ઉમેર્યું નહીં, માત્ર બે-ચાર રચનાઓ થઈ હશે ત્યારે! બધાને એમ હતું કે હું બહુ મોટું કામ કરી રહ્યો છું એટલે બીજું લખતો નથી. પણ એ સૌની ભ્રમણા હતી. કારણ હું કાંઈ લખતો જ ન હતો! લખવાનું મન કરું-બેસું-કોરા કાગળનો સામનો કરું ને મને બહુજ નિરાશા થઈ જાય ને લખી જ ન શકું..! એમાં એક ઘટના બની. અમે દક્ષિણ ભારતનાં એક સ્થળે ફરવા ગયેલા ને એક મંદિરમાં મેં સરસ્વતીની એક મૂર્તિ જોઈ. એટલી પ્રભાવક મૂર્તિ હતી કે તેને જોઈને મને એમ થયું કે આ મારી સગી મા છે, હું એનાં ખોળામાં મારું માથું મૂકી દઉં ને મારી આંખોમાંથી વગર કહ્યું આંસુ દદડવા લાગ્યાં, એટલી તીવ્ર અનુભૂતિ થઈ મને સરસ્વતીની એ પ્રતિમા પાસે! મેં આશીર્વાદ માંગ્યા કે, ‘હું અહીંથી જતો રહેવાનો છું પણ મા,તું મારી પાસે એવું કંઈક લખાવ કે જે હું ઝંખી રહ્યો છું, આવું મેં ત્યાં અનુભવ્યું, તીવ્રતાથી અનુભવ્યું અને ‘સૈરન્ધ્રી પ્રબંધ-કાવ્ય’નાં પ્રારંભે જે મેં સરસ્વતીને પ્રાર્થના લખી છે તે એ માતાને માટે લખી…! કાવ્યશાસ્ત્રવિદ્યાથી સાવ અલગ થઈ જઈને કે ભાષાનાં ઓજારો કે ભાષાની શકિતઓથી સાવ તટસ્થ થઈ જઈને કે કવિતાની કોઈ પળોજણને વચ્ચે લાવ્યા વગર એક અબુધ બાળકની જેમ સરસ્વતીને પ્રાર્થી લીધાં ને કહ્યું કે: ‘માતા, મારી પ્રથમ પૂજાની તું લાજ રાખ’… આ એવી ભાવાત્મક સ્થિતિ હતી કે એની તીવ્રતા મારાં મન પર બહુ રહીને સાતત્યપૂર્વક રહી.

ભદ્રાયુ: હા, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના.…

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા,

કાગળનો ખાલી ખૂણો આપજો…

પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા,

વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંયાં સરસવતી માતા,

અમરતમાં બોળી અંજળ ચાખજો….

પડતર ઓછાયે અમને લૂંટયા સરસવતી માતા,

પરથમ પૂજયાની લાજું રાખજો…

વિનોદ જોશી : હા પણ એ પછી લખવા બેસું તો કાવ્ય લખાય નહીં… એમાં બન્યું એવું કે અસ્મિતાપર્વના અંતે છેલ્લો દિવસ હોય તે હનુમાન જયંતિએ સવારે એક કલાક ચિત્રકુટધામમાં સુંદરકાંડનો પાઠ થાય. વાલ્મીકિનો સુંદરકાંડ તો મેં વાંચેલો પણ તુલસીદાસજીના સુંદરકાંડથી હું પરિચિત ન હતો. હું જોઉં કે બધા તાલબદ્ધ ગાય છે ને એનાં આંદોલનો હવામાં પ્રસરે છે. મન થયું કે હું પણ સાથે ગાઉં. મને મોઢે ન આવડે પણ બધાની સાથે વાંચીને હું ગાવા લાગ્યો. ચોપાઈ અને એમાં આવતા દોહરાનું અનુરણન એ વખતે થાય. આવું એક વર્ષ નહીં પણ વારંવાર વર્ષોવર્ષ હનુમાન જયંતિએ હું સૌ સાથે આ સમુહ પાઠ કરું. એ સમુહ ગાન કરતાં કરતાં મને અંદર કંઈક ગૂંજનનો અનુભવ થાય, शुंड युगींग अंध्र थतुं होय से जागे. Not the perfect music, but musing, ગુંજારવ, કંઈક અનુરણન! મને એનાથી મઝા આવતી. વારેવારે પ્રયત્ન કરું કે હું આવી મોટી રેન્જનું કે મોટા સ્કેલનું કાવ્ય કરું પણ થાય નહીં. એક વખત એવું બન્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં મધ્યકાલિન કૃતિઓને કેન્દ્રમાં રાખીને મધ્યકાલિન કૃતિઓ વિષે વાત કરવા માટે જુદા જુદા વકતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં મને પણ નિમંત્રણ મળ્યું. ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ કે જે ચૌદમી સદીમાં ગણપતિ નામના કવિએ લખેલું તેનાં વિષે વાત કરવાનું મને સોંપાયું મારી પાસે તો કૃતિ હતી નહીં, પણ ઝેરોક્ષ કરાવીને મને મોકલવામાં આવી. મેં એ ઊંડાણથી વાંચી ને હું એટલો બધો પ્રભાવિત થયો કે મને ઝબકારો થયો કે આ કૃતિ જેમ સરળતાથી માત્રામેળ પદછંદમાં લખાયેલ છે ને જે મોટા સ્કેલ પર લખાયેલ છે તેવું મારે પણ લખવું છે. જે મોડેલ હું શોધતો હતો તેનો સૌથી પહેલો અણસાર મને ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ માં મળ્યો. માધવ અને કામકંડલા એવાં બે પાત્રો છે. માધવ બહુ સુંદર પુરુષ છે અને કામકંડલા નર્તકી છે. આમ તો ઉદયન કથાઓ કે જે વિક્રમ રાજા સાથે જોડાયેલી છે, તેની આખી વાત એમાં છે. આ કાવ્યએ મને ધક્કો માર્યો અને મારા મનમાં આવ્યું કે મારે આવું કંઈક લખવું… જો કે, આ તો બહુ લાંબું કાવ્ય હતું અને એટલું બધું લાંબું હું લખી શકું એવું મારું ગજું છે એવો આત્મવિશ્વાસ મારો હતો નહીં, પણ મને થયું કે શરૂ તો કરું. એટલે મેં એક ખંડ લખ્યો. એ લખતી વખતે હિન્દીના મોટા કવિ જયશંકર પ્રસાદનું ‘કામાયની’ મારાં વાંચવામાં આવ્યું. એનો પ્રારંભ એમ થતો હતો કે ‘હિમગિરિ કી ઉત્તુંગ શિલા પર બૈઠ…’ હિમગિરિની ઉચ્ચ શિલા પર બેઠેલો એક પુરુષ તેની ભીની આંખોથી આખા જગતને અવલોકી રહ્યો છે ! તો એક દ્રશ્ય આવ્યું મારાં મગજમાં અને એકાએક મારાથી લખાય ગયું :

વિવશ સાંજ નભ નિરાલંબ, નિસ્પંદ સમીર નિગૂઢ, એક યૌવના નતમુખ ઊભી, વ્યગ્રચિત્ત સંમૂઢ!

એમાં એક પુરુષની કલ્પના હતી તે અહીં સ્ત્રી થઈને અવતરી. જયશંકર પ્રસાદ તો બહુ મોટા કવિ ને ‘કામાયની’ તો મહાકાવ્ય કહેવાય..! બસ, તો શરૂઆત થઈ ગઈ આ રીતે ને સળંગ ચાલ્યું ને લગભગ છ શ્લોક થયા પણ પછી અટકી જવાયું. મને થયું કે મારે માધવાનલ કામકંડલા જેવું લખવું હોય ને હું અહીં જ અટકી જઉં તો કેમ સર્જન થશે? વચ્ચે વચ્ચે થોડું લખાય પણ પછી હું કાગળ બદલું-પેન બદલું-મને બધા મિત્રો-સ્નેહીઓ જન્મદિવસે આઠ-દસ પેન ભેટ આપે ને ડાયરી ભેટ આપે ને કહે કે આમાં તમે લખજો. પણ લખાય જ નહીં તેનું શું કરવું? આમ કરતાં કરતાં આખો દાયકો પસાર થઈ ગયો. અંદર બધું ઉપરતળે થયા કરે પણ કશું નક્કર નિપજે નહીં. એટલી બધી વિવશતા થયા કરે! એક તબક્કો તો એવો આવ્યો કે મને થયું કે મારી સર્જકતા ક્ષીણ થઈ ગઈ. હવે હું લખી શકું, એવી સ્થિતિમાં જ નથી. અંદર-અંદર પેલી નિજતાની શોધ અને તેનાં પર બાહ્ય આવરણોના સકંજાની ભીંસ વધવા લાગી. કોઈવાર તો એવું થાય કે હું લખી ન શકું, તો મને રડવું આવે! (આ વાતની તો કદાચ વિમલને પણ ખબર નથી) હું એકાંતમાં એકાદ ખૂણે બેસી આંસુ સારી લઉં ને કંઈ નથી લખાતું તેનો મને અત્યંત વસવસો થવા લાગે અને મને એમ થાય કે મારાં આટલાં ગીતો ગવાતાં હોય, મારી આટલી પ્રશંસા થતી હોય ને બધા મારા ફેન મારી પાસે ઓટોગ્રાફ માંગે ત્યારે મને અંદર પડઘાય કે ‘શું તું કાંઈ લખી તો શકતો નથી ને અત્યારે આ ઓટોગ્રાફ આપી રહ્યો છે?’ – આવી મારી અંદર વિડંબણાની પળ વીતવા લાગી. મને એ ભાર અસહ્ય થાય તેવી હદે અનુભવવા લાગ્યો! પછી મને થયું કે હું જો ભાષાથી સાવ છૂટી જ જઈશ તો હું કંઈ લખી જ નહીં શકું એટલે હું પછી વિવેચનો લખવા મંડયો, કાવ્યોના આસ્વાદો લખવા મંડયો ને કોલમ શરૂ કરી દીધી કે જેથી સળંગ લખવાનું ચાલુ રહે! પણ એ એકેયથી મને સંતોષ ના મળ્યો. મારી અંદર જે ક્રિએટીવીટી હતી અને એને જે કાટ ચડયો હતો તેને ઉતારવા માટે મારે કોઈ કાનસની જરૂર હતી. અને એમાં આ સુંદરકાંડનો પાઠ મારી મદદે આવ્યો હોય એવું હું માનું છું. સીધી તો મદદ મળી છે એમ નહીં કહી શકાય કારણ આ બધું સંચિત હોય છે પણ નહીં તો હું ચોપાઈમાં કશું લખત જ નહીં! પણ એ ચોપાઈમાં આવ્યું તે નક્કી..વળી થયું કે પહેલો ખંડ મેં લખ્યો હતો તેને જો હું ચોપાઈમાં બદલી નાખીશ તો મેં બાંધેલો આધાર વીંખાશે એટલે હું એને એમને એમ રહેવા દઉં ને પછીનું ચોપાઈમાં આગળ ધપાવું. એટલે આ સાત સર્ગનું કાવ્ય છે, સાતેય સર્ગમાં સાત ખંડ છે પણ પહેલા સર્ગના પહેલા ખંડને મેં જે રીતે લખાયો હતો એમ જ રહેવા દીધો! કારણ એમાંથી જો દુહો નીકળી જાય તો હું લટકી જઉં! એ પંક્તિઓ પૂરેપૂરી ચોપાઈની નથી કારણ તેમાં પાંચ માત્રાઓ ઓછી છે. છેલ્લી પાંચ માત્રા ‘લગાગા’ ઓછી છે, પણ એને મેં એમ જ રહેવા દીધી પણ પછીનો જે ખંડ આવ્યો તે ચોપાઈ સ્વરૂપે લખાવા લાગ્યો!

ભદ્રાયુ : વિનોદભાઈ, આ સમગ્ર સર્જન અહીં ગુજરાતમાં કે ભારતમાં જ થયું?

વિનોદ જોશી: નવાઈની વાત એ છે કે અટકી ગયા પછીનું કાવ્ય અહીં ભારતમાં નહીં પણ ઓસ્ટ્રેલિયામાં આગળ ચાલ્યું.

ભદ્રાયુ : વિનોદભાઈ, એનો અર્થ એ થયો કે આ પ્રબંધ કાવ્યનો વિચાર બૃહન્નલામાંથી ઉતર્યો, એનો ધ્વનિ વળી સુંદરકાંડમાંથી મળ્યો, એનું બંધારણ માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્યમાંથી પકડાયું, એનો પ્રારંભ ‘કામાયની’ માંથી સૂઝી આવ્યો ને બધાંનું સંમિલન થયું ને તમારી પેલી આઈડેન્ટીટીની ખોજ કે નિજતાની શોધ માટેની મથામણ તો વળી ખુદ સૈરન્ધ્રીમાંથી મળી આવ્યાં એવું બન્યું ને? અને એટલે જ તમારું મન કદાચ ‘સૈરન્ધ્રી’ માં ઠર્યું હોય એવું કહેવાય?

વિનોદ જોશી : હા, એ ખરું, એવું કહેવાય પણ એવું તો તમે અર્જુનમાં પણ રોપી શકો, યુધિષ્ઠિરમાં પણ રોપી શકો પણ સૈરન્ધ્રીની વ્યક્તિમત્તા પેલાઓ કરતાં જુદી છે. દ્રૌપદીનું પોતાનું અર્જુન કે ભીમ પ્રકારનું વ્યક્તિત્વ નથી. દ્રૌપદી તમને હંમેશા લાચાર સ્થિતિમાં જોવા મળશે. એને કૃષ્ણ મદદ કરવા આવે ને એને ભીમ મદદ કરવા આવે કે બીજા કોઈ મદદ કરવા આવે, એટલે કે દ્રૌપદીને મદદ કરનારો એક આખો વર્ગ છે. જયારે પેલા મદદ લેનારા નથી, મદદ કરનારા છે, તો એ રીતે સૈરન્ધ્રી વધુ ધારદાર પાત્ર છે. અને એથી સૈરન્ધ્રી પર સર્જન થયું એમ માની શકાય.

ભદ્રાયુ : એટલે વિનોદભાઈ, આપણો જે એક અજ્ઞાત ખૂણો જે સતત યાદ અપાવ્યા કરે છે કે હું અજ્ઞાત છું ને આપણે જે એક શોધ કરી રહ્યા હતા તે દ્રૌપદીનો અજ્ઞાતવાસ એ સૈરન્ધી છે, એટલે એ આપણને પોતીકો લાગ્યો હોય ને આપણું મન તેમાં ઠર્યું હોય. કદાચ એટલે જ અહીં ભારતમાં સર્જકના મનમાં જે ઠર્યું તે ઓસ્ટ્રેલિયા જઈને અવતર્યું…!

વિનોદ જોશી : મને એમાં એક યોગાનુયોગ પણ લાગે છે કે ભારતીય પરિવેશમાં દ્રૌપદીએ સૈરન્ધ્રી બનીને જ રહેવું પડે તેવી સ્થિતિ હતી, જયારે ઓસ્ટ્રેલિયામાં દ્રૌપદી ‘દ્રોપદી’ બની શકી. પોતાને સૈરન્ધ્રી રૂપે જોનારી દ્રૌપદી ત્યાં પોતાને દ્રૌપદી રૂપે પામી શકી. એટલે એ સ્થાનવિશેષનાં જે લક્ષણો છે એ હું આ સર્જનમાં જોઈ શકું. અહીં ખંડમાં હતું તે ત્યાં અખંડ થયું. નવાઈની વાત એમ છે કે માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં હું ત્યાં ગયો ત્યારે મેં ત્યાં ત્રણેક સર્ગ લખ્યા પછી ભારત આવવાનું થયું. મને હતું કે હવે સારી રીતે શરૂ થયું જ છે તો ભારત જઈ સરસ રીતે આગળ ચાલશે પણ આશ્ચર્ય વચ્ચે ભારત આવ્યા પછી કશું જ આગળ ન વધ્યું અને ફરી પાછો મૂંઝારો વધ્યો. કારણ શરૂઆત થઈને ફરી પાછું અટકયું! પણ ફરી પાછું સમયપત્રકમાં ન્હોતું તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા જવાનું થયું ને ત્યાં અધુરું કાર્ય પૂરું થયું! એટલે, આ ચમત્કાર તો શું કહીએ પણ દોઢ દાયકાની અહીંની મથામણ કુલ ત્રણેક મહિનામાં ‘સૈરન્ધ્રી’ થઈને ઓસ્ટ્રેલિયામાં અવતરી!

ભદ્રાયુ : વિનોદભાઈ, સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય પૂર્ણ થયા પછી પૂછું કે તમારી આ સર્જનયાત્રા વિશિષ્ટ પડાવો સાથે આગળ ધપી. શરૂઆતમાં અટકયા, પછી શરૂ થયું. નહોતું આવતું તો મૂંઝારો થયો, ફરી અટકયા ને ફરી આગળ ધપી પૂર્ણ થયું. જયારે ન્હોતું લખાતું ત્યારનો મૂંઝારો તમે વર્ણવ્યો પણ જયારે સર્જન થવા લાગ્યું ત્યારની તમારી મન:સ્થિતિ કેવી રહી?

વિનોદ જોશી: બહુજ સુંદર પ્રશ્ન છે. મને થયું કે હવે આ અટકશે નહીં. મને ખાત્રી થઈ ગઈ કે હવે આ પ્રવાહ ચાલશે એટલે જો હું એને નિયંત્રિત નહીં કરું તો એ મને એની રીતે ફંગોળ્યા કરશે અને બનશે એવું કે હું એને વશ થઈ જઈશ. કદાચ રચના પોતે જ ઈચ્છશે તેવું મારી પાસે લખાવડાવશે, એવું મને સમજાવા લાગ્યું. એટલે મેં પછી મારો સકંજો એના પર લગાવ્યો કે મારે આ કાવ્ય એની રીતે ચાલ્યા જ કરે એટલું લાંબું નથી કરવું. મારે એટલું ટૂંકું પણ નથી કરવું કે જેથી કરીને મારે જે કહેવું છે એ અધુરું રહી જાય. એટલે મેં એનું ગણિત માંડી દીધું મારે સાત સર્ગથી વધારે આગળ નથી વધવું.

            સાત સર્ગ તો ખરા પણ દરેક સર્ગ નાના-મોટા તો હોય શકે ને? પહેલો સર્ગ નાનો હોય ને બીજો સર્ગ તેનાથી ચાર ગણો થાય તો ? તો એવું અનિયમિત પણ નથી થવું એની એક સરસ ડિઝાઈન હોવી જોઈએ. અહીં આર્ટીસ્ટની સાથે એક ક્રાફટમેન આવે છે એ આ નક્કી કરે છે કે સાત સર્ગ, સાતેય સર્ગમાં સાત ખંડ, અને સાતેય ખંડમાં નવ શ્લોક…. હવે, મારી પાસે ફ્રેમ તૈયાર થઈ ગઈ. હવે જે નવ શ્લોક છે તેમાંના પહેલા આઠ ચોપાઈના ને નવમો શ્લોક આવે તેમાં બે દોહરા…! ચાર પંકિત એટલે બે દોહરા. આવું એક મોડેલ મેં મારા મનમાં નક્કી કરી લીધું. એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હતું ને આખું કાવ્ય તો મારી અંદર આવી જ ગયું હતું.. એટલે મારે એ જ નક્કી કરવાનું રહ્યું કે કયા પ્રસંગને કેટલા ખંડમાં – કેટલી ચોપાઈમાં સમાવવો, તેનું નિબંધન મેં બરાબર વિચારી લીધું. આમ એની ડિઝાઈન તૈયાર થઈ જેને મેં લખતી વખતે એક શિસ્ત તરીકે સ્વીકારી લીધી.

તમે જોશો કે આ કાવ્યમાં મત્સ્યવેધનો જે પ્રસંગ છે એમાં કર્ણ જે મત્સ્યવેધ કરે છે એ વાતને મેં એન્લાર્જ કરી છે, જયારે અર્જુન મત્સ્યવેધ કરે છે એ વાત મેં બે પંકિતમાં પૂરી કરી દીધી છે. મેં નક્કી રાખ્યું હતું કે અર્જુન નહીં, મારું લક્ષ્ય કર્ણ છે. એટલે અર્જુનની વાત મારે સંક્ષિપ્તમાં કરી દેવી છે કે તેણે મત્સયવેધ કર્યો, પણ કર્ણ મત્સ્યવેધ કરવાનો છે, એ શક્તિશાળી છે, એ માત્ર રમત હોય એવી રીતે એ કરી શકવાનો છે અને કોઈ પરાક્રમ કરવાનું બહાનું લઈને એ આવ્યો છે એવું નથી, એ સ્વયંવર માટે આવ્યો છે એવું પણ નથી એમ બતાવવા માટે મેં કર્ણને ઉપસાવ્યો. અહીં આમ કરવાનું કારણ સ્પષ્ટ છે કે મારા મનમાં અર્જુન હતો જ નહીં, પણ કર્ણ હતો. અર્જુન હોત તો તો હું ‘બૃહનલ્લા’માં જ આગળ વધી શકયો હોત. દ્રૌપદીને પોતાની શક્તિનો પરિચય આપવાનો કોઈ અવકાશ મળ્યો ન હતો કારણ આ પાંચમાંથી કોઈ બાજુમાં દોડી જ આવે ને મારે તો દ્રૌપદીની નિજતાને બહાર લાવવી હતી. હા, દ્રૌપદીને અવકાશ મળેલો પણ એ તો કોઈની ઉપેક્ષા કરવાનો, કોઈની વિડંબના કરવાનો પણ ના, એ માત્ર એમાં જ સીમિત ન હતી, એ તો અગ્નિ જન્ય સ્ત્રી છે ને યૌવનારૂપે જન્મી છે, દૌપદીને શૈશવ છે જ નહીં, તો પછી એ વખતે એમની જે અંગાંગ તરંગિત મુદ્રા હોય એ સામાન્ય સ્ત્રી જેવી ન હોય. અગ્નિકન્યાની પોતાની ઓજસભરી આભા છે. તો મને એવી દ્વૌપદી પસંદ ન હતી. મને ખબર હતી કે સૈરન્ધ્રી તરીકે રહેલી દાસી એ દ્વૌપદી પણ એ ‘દ્રૌપદી’ જ છે, એ દાસી નથી! નામ સૈરન્ધ્રી છે, પણ છે તો એ દ્વૌપદી જ. ક્ષણે ક્ષણે અનુભવે છે કે હું કોણ છું? હું દ્રુપદદુલારી છું, હું યાજ્ઞસૈની છું, હું અવતારી છું, આવું બધું જે એનાં મનમાં આવ્યા કરે ત્યારે એ મૂંઝાય છે કે અહીંયા બધા મને દાસી-દાસી કહ્યા કરે છે એ દાસત્વ શું છે ? જો દાસત્વ એક વર્ષ પુરતું જ હોય તો પછી પણ હું તો દાસ જ છું ! અને આ આખી વાત સમગ્ર માનવજાતને લાગુ પડે છે. આ રીલેવન્ટ છે આજના મનુષ્યના વીતક સાથે! આ એવું છે જે શાશ્વત છે. કવિતામાં જે સનાતન નહીં હોય એ નહીં ટકે. મારે, આજના કવિને, મહાભારતમાંથી શું કામ આ લાવવું પડે છે? હું સ્પષ્ટ છું કે મહાભારતના કવિની કટોકટી પણ આજના જેવી જ હતી એટલે એ પાત્ર અહીં મદદ કરે છે.

ભદ્રાયુ : વિનોદભાઈ, તમે સાત સર્ગ ને સાત ખંડ એવી એક ફ્રેમ બાંધી તો મને કહેશો કે તમે પ્રસંગોને પણ બાંધ્યા કે ના, એ સહજ રીતે આવ્યા?

વિનોદ જોશી: તમે સરસ વાત પૂછી. એમાં મને થોડું કહેવું ગમશે. આપણી જે અવઢવ છે This OR That અથવા Here OR There આવું જે આપણી અંદર ચાલતું હોય છે, આપણું કોઈ પ્લેસમેન્ટ નથી. આપણે એ જ વિચારીએ છીએ કે આમ જવું કે તેમ જવું? તમે કયાં છો એ તો તમે વિચારતા જ નથી! મનુષ્યની આ બહુ મોટી વિડંબના છે. તમે ક્યાં છો એ વિચાર્યા વગર કયાંથી આવ્યા ને કયાં જવાના એ જ અવઢવમાં આપણે જીવીએ છીએ. એટલે મેં ઉંબરને મારું પ્રતીક બનાવ્યું છે ત્યાંથી અંદર પણ આવી શકાય છે ને ત્યાંથી બહાર પણ જઈ શકાય છે. સવાલ એ છે કે તમારી પીઠ કઈ દિશાએ છે?……. સૈરન્ધ્રી ઘડીક અંદર જતી હોય તો ઘડીક બહાર જતી હોય!

ભદ્રાયુ: વિનોદભાઈ, તમે એક સ્થળે ટાંકયું છે તે સૂચક છે કેઃ ‘દ્વાર અંદરથી ખુલ્યાં!

વિનોદ જોશી: હા, તમે સારી રીતે નોંધ્યું છે. એ સિમ્બોલ છે ઉંબર..…. જો કે, મેં બહુ બધું એનાલિસીસ કરીને નથી લખ્યું. પ્રસંગો – ઘટનાઓ – બનાવો તો એની મેળે આવતા ગયા. પણ હા, કોઈ સર્ગ પૂરો થવામાં હોય તો હું સજાગ થઈ જઉં કે એ સર્ગમાં અંતે મારી કોઈ વાત કહી દેવી છે કે કોઈ સ્થિતિનું સર્જન કરી દેવું છે. તો હું તે મુજબ સર્ગને સમાપન માટે રચું એ જુદી વાત છે. અને એવી રીતે એને એક છેડો બહાર કાઢું ને પેલો છેડો હોય તેને વાઈન્ડ અપ કરી લઉં… રચનાકળાનો આ કીમિયો છે કે તમારો સર્ગ કે તમારો ખંડ પૂરો થતો હોય ત્યારે કોઈક એવો પંચ આપવો જોઈએ કે એમાં આગલા ખંડનો કોઈ સંકેત હોય કે હવે પછી જે થવાનું હોય તેની પણ તેમાં કોઈ વાત હોય. આપણે ત્યાં આખ્યાનોમાં જે વલણો આવે છે એ રીતે જ મેં કાળજી લીધી છે. બીજું કે દોહરા છે તે અહીં કડી રૂપે છે. દોહરાથી મોનોટોની તૂટે, કારણ એક જ છંદમાં વાત ચાલતી હોય તો જે મોનોટોની આવતી જાય તેને દોહરાથી હું બદલતો રહ્યો, આવી મેં ચીવટ રાખી.

ભદ્રાયુ: વિનોદભાઈ, સૈરન્ધ્રી કાવ્ય એ પ્રબંધ કાવ્ય શા માટે ગણાય ?

વિનોદ જોશીઃ મધ્યકાળમાં પ્રબંધ કાવ્યો રચાયાં છે, ખાસ કરીને જૈન સર્જકો દ્વારા ઘણાં પ્રબંધો આપણને મળ્યા છે. પદ્યનાભ નામનો જે કવિ થયો એમણે ‘કાન્હડદે પ્રબંધ’ નામની કૃતિ લખી છે. પ્રબંધમાં કથાનક હોય અને વિસ્તૃત રીતે તેનું આલેખન થયું હોય, વ્યાપક પટ પર એની વાત મૂકાઈ હોય એને પ્રબંધ કાવ્ય કહે છે એવી એક સમજ છે. પ્રબંધ મૂળભૂત તો કથાઓમાં રહેલા છે. આખ્યાન પ્રકાર છે એમાં જે કહેવાયું હોય એ સામગ્રી હોય જયારે કથા હોય એ કલ્પનાથી પ્રબંધાયેલી હોય એટલે કે એમાં રચવાનો ભાવ હોય..… આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધઃ કલ્પના કથા R એટલે કે તમારે કંઈક નવું રચવું છે જે ઉપલબ્ધ થયેલું નથી પણ તમે કંઈક રચી રહ્યા છો તે કરો તેનું નામ પ્રબંધ…. મેનેજડ કે ફ્રેમ્ડ… મેં પહેલેથી આને પ્રબંધ કાવ્ય તરીકે જ રચવા ધારેલું અને મેં એમ જ તેમાં આગળ વધવાનું આયોજન કરેલું.

ભદ્રાયુ : આ અગાઉ કોઈ પ્રબંધ કાવ્યો રચાયાં છે ? નજીકનાં ભૂતકાળનાં પ્રબંધ કાવ્યો કયાં?

વિનોદ જોશી : જૈન સર્જકો દ્વારા જરૂર રચાયાં છે. બારમી-તેરમી-ચૌદમી સદીમાં જે જૈનગ્રંથો આપણને મળ્યા એમાં કામ થયું છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ જયાંથી થયો, દલપતરામ નર્મદથી થયો એમ ગણીએ તો એમાં આટલી સફાઈદાર સંરચનાવાળી કોઈ કૃતિ લખાય નથી, પણ ન્હાનાલાલે મહાકાવ્ય લખવાનો પ્રયાસ કરેલો, ‘હરિસંહિતા’ નામનું મહાકાવ્ય ન્હાનાલાલે લખ્યું, જે તેમનાં અવસાનથી અધૂરું રહ્યું. પણ એ સૈરથી માં જે એક આયોજિત રચના છે, સ્કીલ છે, મેનેજડ આઉટલાઈન છે તે નથી. અહીં સર્જક તરી રહેલ છે પણ એક સ્વીમીંગ પુલમાં એ તરી રહેલ છે, જે પોતે બનાવેલો છે, જે કયાંક ઊંડો, કયાંક છીછરો, કયાંક એનું પાણી બદલ્યા કરે છે પણ એ મેનેજડ છે, કારણ એનાં માપમાં ફેરફાર નથી થતો, પણ તમારું તરણ જાતભાતનું હોઈ શકે. એમાં તમે આ છેડેથી કે પેલે છેડેથી કે વચ્ચેથી કે ઉપરથી કે તળથી તમે તરો છો, પણ એની આજુબાજુ બંધન તો છે જ, નિશ્ચિત બંધન છે.

ભદ્રાયુ: વિનોદભાઈ, આ કાર્ય ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું પછી તમે તેને રીવાઈવ કરવાનો કે રીવિઝિટ કરવાનો પ્રયાસ કર્યો? તેમાં કંઈ ફળ મળ્યાં?

વિનોદ જોશી : હા, જરૂર કર્યો, અને તેનાં ઘણાં સારા ફળ મળ્યાં. જુઓ, મેં મારું ધૈર્ય તો જાળવી રાખ્યું હતું. મારો બહુ ઉમળકો છલકયો કે ‘ચાલો એક કામ પાર પાડયું’ એવો કંઈ ભાવ ન હતો. કાવ્ય તો આવી ગયું હતું ને મારે તો ક્રાફટમેનશિપની અદાથી બાકીનું કામ કરવાનું હતું. કારણ નિંભાડો તો અંદર પાકી જ ગયો હતો, એ ખુલે એની જ રાહ હતી. અને એ ઓસ્ટ્રેલિયામાં ખુલ્યો, અહીં ખુલવાના બદલે..! એટલે હું ભાવવિભોર ન હતો. પરંતુ મને થયું કે જે ચોપાઈ અને દોહરામાં હું લખી રહ્યો છું, જે ગુજરાતીમાં હું લખી રહ્યો છું એ સંસ્કૃતથી પુરસ્કૃત છે અને ગુજરાતી ભાષામાં ચોપાઈ કે દોહરા તો છે જ નહીં; તો મારે ટેસ્ટ કરવો જોઈએ કે જે લખાયું છે તે યોગ્ય થયું છે કે કેમ અથવા મારી વાત બરાબર પહોંચે છે કે કેમ ? એવો ટેસ્ટ હું ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠાં તો કેમ કરી શકું? એટલે એવું વિચાર્યુ કે જે કોઈ સામયિકમાં આ કાવ્ય છપાય અને તેના પ્રતિભાવો મને મળે તો મને ખાતરી થાય કે મેં જે લખ્યું તે બરાબર છે કે નહીં. એટલે ઓસ્ટ્રેલિયાથી મેં સંપર્ક કર્યો ‘નવનીત-સમર્પણ’ના સંપાદક દીપક દોશીનો. ઈમેઈલ કર્યો ને મોકલ્યું આખું કાવ્ય. લખ્યું કે ઘણાં વખતથી મારી અભિલાષા હતી તે કાવ્ય થયું છે તે જો યોગ્ય લાગે તો ‘નવનીત-સમર્પણ’ છાપે તેવી મારી વિનંતી છે. એનો તરત જ બીજે જ દિવસે ઈમેઈલ આવ્યો કે: હું કાવ્ય વાંચી ગયો છું ને અમારે એ છાપવું જ છે, પણ ‘નવનીત-સમર્પણ’ની પૃષ્ઠ મર્યાદા નડે છે. આટલું લાંબું કાવ્ય હું એક અંકમાં તો છાપી શકું તેમ નથી, એટલે તમે જો એનો વ્યવહારૂ રસ્તો સૂચવતા હો તો આપણે એમાં આગળ વધીએ. હું નહીં છાપું તો બીજા કોઈ તો છાપવાના જ છે, પણ મારે મારા હાથમાંથી એ જવા નથી દેવું…. એવું એમણે લખ્યું! મેં વિચાર્યું કે જો મારે આ કાવ્ય પરની પ્રતિક્રયાઓ જ જોઈએ છે તો પછી મારે આ કાવ્ય કોઈ એવાં સામયિકને નહીં આપવું જોઈએ કે જે આ કાવ્યનો વિશેષાંક કરી એક સાથે છાપે, અને તેના બસો જ વાચકો હોય. મારે એ સામયિકને જ આ કાવ્ય સોંપવું જોઈએ કે જેના સર્વસામાન્ય વાચકો હોય અને જેમાંથી મને પ્રતિક્રિયા પણ મળી શકે. તો એવું તો ‘નવનીત-સમર્પણ’ જ છે, જે પૂરેપુરું આ ઉદ્દેશ માટે બિફીટીંગ છે. પછી મેં એવો વ્યવહારુ રસ્તો કાઢ્યો કે ‘નવતીત-સમર્પણ’ની સાઈઝને અનુકૂળ લે-આઉટ કર્યો ને સર્ગ બધા છૂટા કરી દીધા, મેં એટલું કોમ્પ્રોમાઈઝ કર્યું જેથી કરીને ધારાવાહિક રીતે સાત સર્ગ સાત મહીના સુધી દરેક અંકમાં છપાય! એવું આયોજન કર્યું કે જે દીપક દોશીને અનુકૂળ આવ્યું. મેં એમ પણ કહ્યું કે જો માર્ચ-૨૦૧૮ના અંકથી તમે શરૂ કરી શકો તેમ હો તો છાપો અને એમણે એ પણ સ્વીકાર્યું. માર્ચ થી શરૂ થયું પછીતો હું બંધાય ગયો કારણ માર્ચમાં પહેલો સર્ગ છપાય એટલે મારે બીજા સર્ગ ફાઈનલ કરીને એમને મોકલવાના જ થયા..! પહેલા સર્ગના પ્રકાશિત થયા પછી મને જે પ્રતિભાવો મળવા લાગ્યા એ પરથી મને થયું કે કાવ્ય પહોંચ્યું તો છે. પછી જેમના જેમના અભિપ્રાયો મળ્યા એમાં કોઈ વિદગ્ધ હોય કે કોઈ સરેરાશ ભાવક હોય કે વયભેદવાળી વ્યકિત પણ હોય એ બધા જે કહેતા રહ્યા એ બધાં જ સૂચનો હું બહુ વિનમ્રતાથી સ્વીકારતો ગયો અને એ રીતે મને લાગ્યું કે મારે હજુ આમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરત લાગે છે. કવિતાની કમનશીબી ગણો તો એ છે કે પહેલો સર્ગ પ્રસિદ્ધ થયો માર્ચ મહીનામાં એ મેં જે મૂળ લખેલો તે જ છપાયો પણ બીજો સર્ગ છપાય તે પહેલાં મને ઘણાં સૂચનો મળી ગયાં હતાં એટલે મેં શરૂઆતથી આખું કાવ્ય મોકલ્યું હોવા છતાં, મેં દીપક દોશીને કહ્યું કે હું તમને ફરી એક-એક સર્ગ આખરી સ્વરૂપ આપી મોકલતો જઉં તે તમે છાપતા જજો, મેં શરૂઆતમાં મોકલેલું આખું કાવ્ય નહીં! ભાવકના પ્રતિભાવોના આધારે ફેરફાર કરી હું પુનર્વાચન કરતો ગયો ને ચકાસતો ગયો કે આ યોગ્ય લાગે છે? કેટલીકવાર એવું લાગ્યું કે આનું પુનરાવર્તન ટાળવું જોઈએ તો ક્યારેક એવું ય લાગ્યું કે ના, આવું પુનરાવર્તન થવું જોઈએ, તો મેં એ મુજબ કર્યું, અને બીજા સર્ગથી મેં ફેરફારો કરતા રહેવાનું કાર્ય હાથ ધર્યું. ત્રીજા સર્ગનાં પ્રકાશન પછી તો મને ઘણા બધા પ્રોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા. ‘આ તો ઘણું નવું કામ થયું છે’, ‘ચોપાઈ ને દોહરામાં તો પ્રથમવાર આમ કાવ્ય લખાયું છે’, ‘ચોપાઈ અને દોહરાનું નવું રૂપ તમે લાવ્યા છો’, ‘આવું તો અગાઉ કયારેય જોયું નથી’, વગેરે વગેરે પ્રતિક્રિયા મળવા લાગી. પરંતુ હું અહીં મૂંઝાયો. મને થયું કે આ બધા વખાણે તો છે પણ મારે આ કાવ્ય કોઈ એવી વ્યકિતને પણ મોકલવું જોઈએ કે જે મને મોઢામોઢ એમ કહે કે ના, આ બરાબર નથી. તો એવા જે દુરારાધ્ય ગણાતા હોય તેવાને હું મોકલું. એટલે મેં લાભશંકર પુરોહિત, ચંદ્રકાંત ટોપીવાળા, સુમન શાહને મોકલ્યું ને કહ્યું કે તમે આ વાંચો અને તમારો ક્રિટીકલ રીવ્યુ મને આપો.

પછી તો હું ભારત આવી ગયો એટલે હું બધાનો રૂબરૂ સંપર્ક કરી શકું એમ હતો. સુમન શાહના ઘરે થોડા મિત્રો વચ્ચે વાચન કર્યું, તો મને જ કેટલાક ફેરફારો સૂઝયા ! એક મહત્વનું સૂચન આવ્યું કે આમાં ફારસી ભાષાના શબ્દો આવે છે! ‘સૂર્યોદયની નોબત વાગી’ એવી એક પંકિત આવે છે. ‘નોબત’ તો મોગલકાલિન વાદ્ય છે અને એ મહાભારતકાલિન પૌરાણિક સંદર્ભમાં કેવી રીતે મેચ થાય ? તો આ ક્રોનોલોજિકલ કોયડો હતો કે જે ટકી ન શકે. મેં પછી ‘સૂર્યોદયની ઝાલર વાગી’ એવો ફેરફાર કર્યો. આવા મેં ઘણા શબ્દો બદલ્યા. મને સમજાયું કે મેં લખતી વખતે તો વિચાર્યું જ ન હતું કે આટલા બધા ફારસી શબ્દો આમાં આવી ગયા છે! પછી મેં ફારસી શબ્દો શોધી આપવાનું કામ કેટલાક મિત્રોને સોંપ્યું, ને વોટસએપથી એ મેળવ્યા. અને પછી તેના વૈકલ્પિક શબ્દો શોધ્યા ને પાછા એ છંદમાં બેસે એવી રીતે તેને ગોઠવ્યા.. ક્યાંક પંકિતઓ પણ બદલી, કેટલાકે મને એમ કહ્યું કે આમાં ‘મુજ-તુજ-કેરું આવું બધું જે આવે છે તે આપણી જૂની ઘરેડને લગતું લાગે છે અને એ સારું નથી લાગતું. મને લખતી વખતે આ વિચાર તો આવેલો પણ ત્યારે મેં વિચારેલું કે હું જે કવિતાનાં ટેકે આજે ઊભો છું એને પણ હું આદર આપું એટલે મેં ‘કેરું-તણું-મુજ-તુજ’ લખેલું, પણ પછી એક નહીં આવા બે-ચાર સૂચનો આવ્યાં એટલે મેં તેને નિવારવાનું નક્કી કર્યું ને તે મુજબ થઈ ગયું. આ રીતે મેં મારો બધો મેદ ઓગાળી નાખ્યો. પછી મેં છાનબિન શરૂ કરી શબ્દોની. ઉદા. તરીકે ‘મઝધાર’ શબ્દ છે એ ફારસી છે એમ કોઈએ કહ્યું તો હું એના ગોત્ર શોધવા લાગ્યો, તો મને જાણવા મળ્યું કે ‘મધ્યધારા’ પરથી ‘મઝધાર’ શબ્દ આવ્યો છે એટલે એનું મૂળ તો સંસ્કૃત છે. આવું શબ્દ સાથેનું કન્ફ્રાન્ટેશન હજુ ચાલે છે, આજે પંદર ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ આ વાત કરીએ છીએ તો હજુ ત્રણ દિવસ પહેલાં મને હરિશ્વન્દ્રભાઈએ કહ્યું કે આમાં ‘અંદર’ શબ્દ કેટલી બધી વાર આવે છે અને એ તો ફારસી શબ્દ છે. મેં કીધું : ‘અરે, અંદર ક્યાં ફારસી છે?’ તો એ કહેઃ ‘આપણે ‘અંદરની’ એમ નથી બોલતા?’ તો ત્યાં ને ત્યાં સાથે જોડણીકોષ જોયો ને એ શબ્દ ફારસી નીકળ્યો! આતો બદલવો પડે, જો આપણે એક શિસ્ત સ્વીકારતા હોઈએ તો એ બધે જ લાગું કરવી રહે. હવે જુઓ, આ આખું કાવ્ય મેં કોમ્પ્યુટર પર લખ્યું છે, કાગળ પર નથી લખ્યું લેપટોપમાં ‘ફાઈન્ડ-રિપ્લેસ’ની જે સગવડ છે તેના આધારે જાણ્યું કે ‘અંદર’ શબ્દ કુલ અગિયાર જગ્યાએ મેં વાપર્યો છે. આ દરેક જગ્યા મેં ચકાસી લીધી ને ત્યાં ‘ભીતર’ શબ્દ બેસે છે કે નહીં તે તપાસીને મેં ‘ભીતર’ શબ્દ મૂકયો ને ‘અંદર’ શબ્દ દૂર કર્યો. કેટલીક જગ્યાએ તો ‘ભીતરમાં ભેદી ભણકારા’ આવી સરસ પંકિત પણ થઈ ગઈ! આમ એનું અનુરણન જળવાયું! આ આખાં કાવ્યની મજા જે છે એ એનું આંતરસંગીત છે, એના વિષે તો બહુ નિરાંતે વિગતે વાત થઈ શકે કારણ કે એના વર્ણનું જે સૌંદર્ય છે તે આમાંની એંશી ટકા પંકિતઓમાં છે, એ સમૃદ્ધ છે ને સહજ પણ છે, કયાંય કશાં દબાણ વગરનું છે. હા, એક-બે જગ્યાએ મેં તોડ-મરોડ કરેલ છે એ મને ખબર છે અને એટલી સ્વતંત્રતા તો સર્જકને હોય જ પણ એનું વર્ણન-સૌંદર્ય સચવાય એની મથામણ તો મેં બહુ કરી છે. આમ પોઝીટીવ પોસ્ટમોર્ટમનો તબક્કો પણ ઘણો કાળજીપૂર્વક આગળ ધપ્યો છે.

ભદ્રાયુ : એટલે સૈરન્ધ્રીમાં જે ફલેશબેક આવે છે ને સસ્મૃતિસંદૂક ખુલે છે તે આ પ્રબંધ કાવ્યની રચનામાં પણ થયું છે.

વિનોદ જોશીઃ  બહુ સાચું. એનું જાહેર પઠન પ્રથમવાર વિશ્વકોષ, અમદાવદમાં મેં કર્યું અને બધાએ બહુ જ પ્રભાવથી તેને આવકાર્યું. તેને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું ને જયારે એ પૂર્ણ થઈને સૌ વિખેરાયા ત્યારે જાણે એક પ્રકારનો સન્નાટો છવાયો! કોઈ બોલે તો પણ એક પ્રકારના ભાર નીચે હોય એવું લાગ્યા કરતું હતું. એટલી કવિતા પહોંચી ગઈ હતી, પણ એ વખતે મને એમ થયું કે સૈરન્ધ્રીનો મેં જે અંત કર્યો છે તેમાં મેં મારી કવિ તરીકેની સત્તા વાપરી છે. આવી રીતે મારા ભાવકને મારે વશ કરવાનો મને કોઈ હક્ક નથી, ભાવક સ્વયં જો મારી સાથે આવતો હોય તો વાત જુદી છે પણ હું એમ કહી દઉં કે ‘સૈરન્ધ્રીનું પછી આમ થયું’ તો એ બરાબર ન કહેવાય. એટલે મને વિચાર આવ્યો કે ઓપન એન્ડેડ અંત થઈ શકે કે નહીં ? આ વાત મારે કરવી તો કોની સાથે કરવી? ચંદ્રકાંત ટોપીવાળાને મેં અગાઉ સ્ક્રીપ્ટ મોકલેલી. એટલે એમને વિનંતી કરી એમનાં ઘરે જઈ એમની સાથે બેસી લગભગ અઢી કલાક ચર્ચા-સંવાદ ઊમળકાથી કર્યા. એમણે પોતે કરેલા સુધારા વાંચ્યા ને કહ્યું કે, ‘આ સુધારા તમને યોગ્ય લાગે તો કરો, નહીં તો તમારી મરજી પણ મને તો આમ લાગ્યું છે !’ ટોપીવાળા સાહેબ જે સુધારો વાંચે તે પછી હું કહું: ઉભા રહો, એ પંકિત મેં કેમ સુધારી છે તે સાંભળો અને બનતું હતું એવું કે અમારી બન્નેની નવી પંક્તિ લગભગ લગભગ સરખી હોય! એક-બે જગ્યાએ મેં વધારે સારું કર્યું હોય ત્યાં તેમણે કહ્યું કે, ના તમે જે સુધાર્યું છે તે જ બરાબર છે. આવી રીતે ફ્રેન્ક ઈન્ટરેકશન પણ થયું. ટોપીવાળા જેવા આમ દુરારાજય કહેવાય એમના વિવેચનમાં તો કોઈ શંકા હોય જ શકે નહીં. એમની સાથે મેં કાવ્યના અંત વિષે ચર્ચા કરી. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે સમાપન તો ઓપન એન્ડેડ જ હોવું જોઈએ. જગતની કોઈપણ મહાન કૃતિઓ જોશો તો તેનો અંત ઓપન એન્ડેડ જ હશે! એટલે મને ખ્યાલ આવ્યો કે હા, એવું જ છે. મહાભારત પોતે જ એમ છે. પાંડવો જીત્યા ને હિમાલયગમન કરે છે ને પાછળ જે રહ્યું તેનું શું થયું? હસ્તિનાપુરનું શું થયું? બધા પ્રશ્નો તો આપણે જ ઉકેલવાના, ઓપન એન્ડેડ જ રહે છે. એટલે મેં પણ સૈરન્ધ્રીના અંતમાં ફેરફાર કર્યો. પહેલાં અંત એવો હતો કે વિરાટ રાજા  દ્રૌપદીને ચિતા પર ચડાવી, સળગાવી દેવાની સજા કરે અને ચિતાને અગ્નિ આપવામાં આવે પણ અગ્નિ કાષ્ટને સ્પર્શે નહીં, પણ પછી સૈરન્ધ્રી પોતે જ એમ વિચારે કે હું પોતે જ અગ્નિપુત્રી છું અને આ બધા હત્યારી ગણે છે. હકિકતમાં તો હું સ્ત્રીનું વ્યક્તિત્વ પામી છું એટલે પોતે જ અગ્નિ ચાંપીને બળી જાય છે ને જે રાખ થઈ તેને બધા લોકો ભસ્મ ગણી તિલક ગણી માથે ચડાવી વિખેરાય જાય છે! આવું મેં કરેલું, પણ પછી મને જ એ એટલું બધું વિચિત્ર લાગ્યું કે આવું શા માટે કરવાનું? આ બધું ગોઠવાયેલું હોય એવું મને પછી લાગ્યું. દ્વૌપદીનું વ્યકિતત્વ જો ખરેખર આટલું પ્રભાવી હોય તો એનું મૃત્યુ જ ન થાય, એ બળી પણ ન મરે, કારણ એમાં એની શરણાગતિ છે. મેં નક્કી કર્યું કે ના, મારે તો કાવ્યને ઓપન એન્ડેડ જ છોડી દેવું છે. ચિતા સળગે નહીં ત્યાં સુધીની વાત બરાબર છે, પણ પછીની વાત ભાવક પોતે જ વિચારે કે પછી શું થયું હશે? શું કોઈ બીજો અગ્નિ લાવીને તેને સળગાવી હશે કે સૈરન્દ્રી પોતે જ ચિતા પરથી ઊતરી ગઈ હશે કે પછી રાજાને જ ખુદને પસ્તાવો થયો હશે કે પાંડવોએ ઉગ્ર બની કંઈક કર્યું હશે કે પછી કિચકનું મૃત્યુ થયાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હોય અને એ બધા સૈરન્ધ્રી પર તૂટી પડયા હોય, એમ કેટલું બધું ભાવક વિચારી શકે! એટલે મેં કાવ્ય ત્યાં છોડી દીધું ને લખ્યું: ‘દિશા વિસ્તરી એટલી, સૂર્ય ન પામે અસ્ત’. અહીં સૂર્ય એટલે કર્ણ પણ છે એટલે કે સૈરન્ધ્રીનાં મનમાંથી સૂર્ય/કર્ણ ગયો નથી અને તેણે પોતાનાં ચિત્તનું ફલક એટલું વિસ્તારી દીધું કે હવે એ આથમી ન શકે કારણ એ સૂર્ય જ હવે એનો છે! એની અપીલ પણ બહુ જોવા મળી.

ભદ્રાયુ : વાહ, વિનોદભાઈ, એમ લાગે છે કે તમે સર્જન પહેલાં જે મૂંઝારો અનુભવ્યો તે સર્જન પછી તમને મોકળાશ આપી ગયો. કાવ્ય રચાય ગયું પછી તમે તેને ત્રીજા પુરુષ એકવચન તરીકે એ સર્જનને ફરી નિહાળ્યું ! લખ્યું ત્યારે તમે ‘કવિ વિનોદ જોશી’ ને સર્જન પછી તમે એક ‘ભાવક વિનોદ જોશી’ તરીકે સૈરન્ધ્રીનું આકલન કર્યું. અત્યારે અમે જે અનુભવી રહ્યા છીએ એ તબક્કામાંથી પણ તમે પસાર થઈ ગયા છો, ખરું ને ?

વિનોદ જોશીઃ હા, એ સાચું. પછી હું ઓબબ્ઝર્વર બની ગયો ને મેં સાક્ષી ભાવે મારાં જ કાવ્યને અવલોકયું. ભદ્રાયુભાઈ, મને હજુ એવી મૂંઝવણ છે કે એક વખત આ પ્રબંધ કાવ્ય બુક ફોર્મમાં પ્રકાશિત થઈ જશે પછી મને કશું સૂઝશે તો હું શું કરીશ ? કારણ એકવાર બુક બની ગઈ પછી તો તમે બંધાય જાઓ છો અને તમારી નૈતિક જવાબદારી એને વળગી રહેવાની બને છે. હા, એ બંધાયેલી કૃતિ પણ કદાચ મને કોઈ ઉર્જા આપે કે આમાં જે રહી ગયેલું તને લાગે છે તે હવે તું લખ, એમ પણ બને ! ૧૮૦૦ પંક્તિઓમાં અર્ધાથી થોડા ઓછા પ્રાસની સમૃદ્ધિ આખા કાવ્યમાં છે એ રીતે સંરચનાની દ્રષ્ટિએ મારી ક્રાફટસમેનશીપનો લાભ આ કાવ્યને મળ્યો છે તેનો મને સંતોષ છે.

ભદ્રાયુ :એક ભાવક રીતે કહું તો સૈરન્ધ્રી ભલે એક નાટક છે, ને સૈરન્ધ્રી એનું મુખ્ય પાત્ર છે એ વાત ઉપરાંત એક સ્ત્રી વિશેની ફીલોસોફીકલ વાત કેટલી બધી જગ્યાએ મળે છે, આપણે જો મોટીવેશનલ પોઈન્ટની વાત કરીએ તો આમાં કેટકેટલી પંક્તિઓ મોટીવેશન પૂરું પાડતી લખાઈ છે. ત્રીજો મુદ્દો એ પણ છે કે સૈરન્ધ્રીમાં એકદમ રીચ વોકેબ્યુલરી ભરકક્ક છે. છતાં એવો કોઈ ગંભીર શબ્દ નથી કે જેની અર્થછાયા સ્પષ્ટ કરવા માટે માથું ખંજળાવવું પડે કે શબ્દકોષ ખોલવો પડે. ભલે તમારાથી તો એ સહજતાથી આવતું ગયું હશે.

વિનોદ જોશી :જો કે આ બધું સાવ સહજ રીતે થયું છે એવું નહીં કહું, મેં શિખંડી લખ્યું સંસ્કૃત વૃત્તોમાં. લગભગ સત્તર જેટલાં સંસ્કૃત વૃત્તો છે એમાં મંદાક્રાંતા, શાર્દૂલ વિક્રીડીત, શિખરિણી, અનુષ્ટુપ, ચૈતાલી, શાલિની, માલિની, સ્ત્રગ્ધરા છંદો અને કેટલાય શબ્દો કે જે વાચકને વિચારમાં મુકે તેવા છે, એટલે મારી એક એવી સમજ હતી કે મારે એટલું અઘરું સૈરન્ધ્રી નથી કરવું, કે જે ભાવકોને દૂર રાખે એટલે મેં એમાં એક શ્લોક એવો કર્યો છે જેમાં સમ્યકભાવ ધરીને સૈરન્ધ્રી ઊભી હોય એ ખરેખર સમ્યક્ભાવ મેં અમલમાં મૂક્યો છે. એટલું અઘરું નહીં કે જે સમજાય નહીં ને એટલું સહેલું નહીં કે જે કાવ્યની ગરિમાને જોખમમાં મુકી દે. આમાં તમને તળપદા શબ્દ પણ મળશે તો અત્યંત દુરાકૃષ્ટ શબ્દ પણ મળશે અને છતાં તમને ખીચડી નહીં લાગે. પણ તમે કહો છો તે મોહિની તો એ ભાષાની પણ છે, મૂળ કથાનકમાંથી થોડો બદલાવ કરીને રજૂ થયેલ છે એની પણ છે, આ બધાં પાત્રો આપણાંમાંથી પસાર થઈ રહ્યાં છે તેની પણ છે, આપણું જીવન પણ આમ જ જીવાય રહ્યું છે એ પ્રકારની સમાંતર પ્રતીતિ પણ છે અને એ બધું કાવ્ય સાથે ભાવકને જોડી રાખે છે.      

ભદ્રાયુ :વિનોદભાઈ, છેલ્લો પ્રશ્ન. ‘સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય’ની બુનિયાદી ફિલસૂફી તમારી દ્રષ્ટિએ..? એ જાણવી બહુ આવશ્યક છે, કારણ સર્જકનાં ચિત્તમાં કયું દર્શન પડયું છે કે જેણે આ સર્જન આપણને આપ્યું છે?

વિનોદ જોશી : ભદ્રાયુભાઈ, એકદમ પાયાની વાત તમે છેલ્લે સ્પર્શી કે જે મારા દષ્ટિકોણને ભાવકના મન સુધી પહોંચાડશે. આપણે આપણાં અસ્તિત્વના ત્રણ લોક ટૂંકમાં સમજી લઈએ. આ ત્રણ લોકની બહાર હું-તમે કે આપણે ક્યારેય નથી. ૧) સ્મૃતિલોક ૨) સ્વપ્નલોક ૩) કલ્પનાલોક… જે વીતી ગયું તે સ્મૃતિલોકમાં પહોંચ્યું. જે વીતે તેવી શકયતા છે અથવા નથી પણ તે સ્વપ્નલોકમાં સંચરે અને જે વીતે તેવી ઈચ્છા છે કે કલ્પના છે કે અપેક્ષા છે તે કલ્પનાલોક સર્જે! સ્મૃતિલોક અને સ્વપ્નલોક વ્યકિતના હાથમાં ન હતા, ન છે કે ન હશે. એક માત્ર કલ્પનાલોકના આધારે વ્યકિત જીવે છે. બન્યું કે બનશે નહીં, પણ ‘બનવું જોઈએ’ની કલ્પના જ આપણા જીવનને જીવંત રાખવાનો બહુ મોટો સધિયારો છે. કહો ને, એ આપણી નોળવેલ છે. સૈરન્ધી પાસે કે દ્રૌપદી પાસે તેનો કલ્પનાલોક હાથવગો છે એટલે એ કલ્પનાલોકના સહારે પોતાનો વર્તમાન જીવવાની જે મથામણ કરે છે તે મારી સૈરન્ધ્રીની ફિલસૂફી છે.. જે આ ક્ષણે છે તે પછીની ક્ષણે નહીં હોય એવું જો સ્વીકારી શકાય તો, જે આ ક્ષણે નથી તે પછીની ક્ષણે હશે એવું કેમ ન સ્વીકારી શકાય? આ મારો પાયાનો પ્રશ્ન છે. મારી નિજતાને કલ્પનાલોકમાં ચેતનવંતી રાખી શકું તો જ મારો વાસ્તવલોક સાર્થક નીવડી શકે ! વાત અઘરી છે પણ સમજાય પછી જીવનમાર્ગ બની શકે તેવી છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને ભીંસ વરસો સુધી ઢીલી પડી.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

મકબૂલ ફિદા હુસૈન,,, ‘એમ. એફ. હુસૈન’,,, તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. હુસૈન આધુનિક ચિત્રશૈલી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા. તેઓ સાથે ગાઢ નાતો હતો તેવા રંગકર્મી ગુજરાતના શ્રી અનિલ રેલીયાના સંપાદનમાં હુસૈનની જીવની આપણને મળી. હુસેને પોતે લખેલ પોતાની આત્મકથાનું ગુજરાતી થયું  શ્રી જગદીશ સ્માર્ત દ્વારા. આપણને આકર્ષે તેવું તેનું શીર્ષક છે: દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો.. એમ.એફ.હુસેન વર્લ્ડ લેવલ સુધી પ્રખ્યાત થયા તેની સાથે જ ગુજરાતને તેમણે  બહુ પ્રેમ કર્યો, અહીં ઘણું પ્રદાન પણ કર્યું અને અહીંથી તેઓની સામે વિવાદો પણ ઉભા થયા…એ હુસેનના જીવનની એક સ્મરણીય ઘટના તેઓના જ શબ્દોમાં આજે માણવી છે અને જાણવું છે કે એક જન્મજાત કલાકારના દિલમાં લાગણીઓનું પૂર કેવી રીતે વહેતું  હોય છે ?? 

‘……ઓક્ટોબર મહિનો છે, માલવી ઘઉં ખેતરમાં ઊભાં છે, તડકો ગમવા લાગ્યો છે. સાંજ પડતાં દાદા છોકરાના ગળા પર ભૂરું મફલર લપેટી દેતા અને તે દોડતો ફળિયાની રામલીલા જોવા પહોંચી જતો. આ કોઈ નાટક કંપની નથી, જયાં ટિકિટ લેવી પડે.

એક પ્રાથમિક શાળાનું આંગણ. આમલીના ઝાડ નીચે માગી આણેલાં કેટલાંક ફાનસ અને ધોબણ પાસેથી લાવેલી સાડીઓનો ‘બેક ડ્રોપ’. થાળી-વેલણ વાગતાં જ ખેલ શરૂ થયો. પેલા પાનવાળા શંકરનો ભાઈ સ્કૂલના ડ્રીલ માસ્ટરની ચડ્ડી પહેરીને હનુમાન બની જતો, માત્ર મોઢા પર થોડી ધૂળ ચોળીને. હા, રાવણજી તો તે જાડો મીઠુ લાગે, જે ઘઉં દળવાની ઘંટી પર બેસે છે. કૈકેયી ક્યો છોકરો બન્યો તે ઓળખી ન શક્યો. એક તો સ્ત્રી બને ને ઉપરથી કાળા મોઢા પર રાખ ચોપડીને નખરાં કરે. કાસીમમિયાં, ઈન્દોર છાવણીના લગન-વિવાહના બેંડ માસ્ટર, પરંતુ રામલીલા માટે ઢોલ અને વાંસળીના સૂર બજવે છે.

આ રામલીલામાંથી પાછી ફરતી ભીડમાં ઘેરાયેલો છોકરો ચાલતાં ચાલતાં આ નાટકના કોઈ પણ એક પાત્રમાં પોતાની જાતને શોધે છે. ઘેર પહોંચવામાં જાણી જોઈને મોડું કરે છે, જેથી જેટલાં પાત્રો છે એની સાથે કાલ્પનિક મંચ પર થોડો થોડો અભિનય કરી લેવાય. પરંતુ આજે જયારે એ જ રામલીલા દિલ્હીના ઝગમગતા સ્ટેજ પર જુએ છે ત્યારે ઘેર પાછા ફરતી વેળાએ એને શંકર પાનવાળાનો ભાઈ, ઘંટીવાળો જાડો મીઠુ અને કાસિમ બેંડમાસ્ટર યાદ આવે છે.

ઈન્દોરની રામલીલાને જોઈ, ડોક્ટર રામમનોહર લોહિયાને મળી, આ છોકરો કેવી રીતે વાલ્મીકિ અને તુલસીદાસ સુધી પહોંચે છે! આ સમય છે, પાંચમા દસકાના અંત ભાગનો. હૈદરાબાદના ધનવાન પન્નાલાલ પિત્તીનું રાજભવનની બાજુમાં મોતીભવન. એમનો દીકરો બદરીવિશાલ, ભવનના ઉપરના માળે ગોળ તકિયા વચ્ચે વિરાજમાન. બપોરના ભોજન વખતે ડૉક્ટર રામમનોહર લોહિયાજીનું આગમન. ગોળ તકિયાની ચારે તરફ ખાદીધારીઓ બંડીઓ પર સમાજવાદી બિલ્લા લગાડી, અદબથી ઊભા છે. એ છોકરો બદરીવિશાલના કલમદાનમાંથી એક કલમ કાઢી આ દૃશ્યને રેખાંકિત કરે છે. ડોક્ટર લોહિયાનો સ્કેચ એમના અસ્તવ્યસ્ત ઊભા વાળથી શરૂ થઈને પટપટાવતી તોફાની આંખો શોધતો નસકોરાંથી બહુ જ નીચે હોઠો પર આવીને અટકે છે. લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.

એક સાંજે એ છોકરો લોહિયાજીને જામા મસ્જિદ પાસેની કરીમ હોટલમાં લઈ ગયો કારણકે એમને મુગલાઈ ખાણું, શીરમાલ વગેરે ખૂબ જ ભાવતું હતું. લોહિયાજીને જવાહરલાલ નહેરુનો એક પોર્ટ્રેટ યાદ આવી ગયો જે છોકરાએ નહેરુજીને ઘેર જઈને ચીતર્યો હતો. લોહિયાજીએ કુરમાની પ્લેટમાં ચમચાને હળવે હાથે રણકાવતાં છોકરા તરફ જોયું અને કહ્યું: ‘આ તને શું સૂઝયું કે નહેરુનું પોર્ટ્રેટ બનાવવા બેસી ગયો? હા, એક પોર્ટ્રેટ જે ‘ઈલસ્ટ્રેટેડ વિક્લી’માં છપાયું છે એ થોડુંક સારું લાગે છે કારણકે એમાં નહેરુ ડૂબતા દેખાય છે, જાણે પાણી ગળા સુધી ચડી ગયું છે.

‘લોહિયાજી’, છોકરાએ સ્મિત કરતાં જવાબ દીધો ‘મોડર્ન આર્ટનું મજાનું પેચીદું પાસું એ છે કે જોવાવાળાને પોતાની મરજી અને સ્વભાવ મુજબ ચિત્રને ઢાળવાનો હક્ક આપે છે, જયારે ફોટોગ્રાફીની સ્થિરતામાં કલ્પનાની વધારે ગુંજાઈશ નથી. એક રીતે મૉડર્ન આર્ટનો મિજાજ શાહી નહીં પરંતુ ડેમોક્રેટિક છે. જેવી રીતે જોવામાં વ્યક્તિત્વ શાહી હોય પરંતુ રેખાઓનો તનાવ સ્વાભિમાનને પ્રગટ કરતો હોય. રંગોનો ઉજાસ સ્વાભિમાનથી સંપૂર્ણ હોય.

લોહિયાજીએ છોકરાની પીઠ થાબડી જાણે કે શાબાશી આપી અને વિષય બદલતાં એને પૂછ્યું: ‘આ તું બિરલા અને ટાટાના ડ્રોઈંગરૂમમાં લટક્નારાં ચિત્રોમાં ઘેરાયેલો છે એમાંથી જરા બહાર નીકળ. રામાયણને ચીતર, જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે, ગામેગામ ગુંજતું ગીત છે, સંગીત છે. અને પછી એ ચિત્રોને ગામેગામ લઈ જા. શહેરના બંધ ઓરડાઓ, જેને આર્ટ ગેલેરી કહેવામાં આવે છે, જ્યાં લોકો માત્ર પાટલૂનના ખીસામાં હાથ નાંખીને ઊભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા.’

લોહિયાજીની આ વાત છોકરાને તીરની જેમ વાગી ગઈ અને વરસો સુધી એનો સણકો રહ્યો. છેલ્લે, લોહિયાજીના મૃત્યુ પછી તરત એમની યાદમાં રંગો અને કલમ લઈ બદરીવિશાલના મોતીભવનને ‘રામાયણ’નાં લગભગ દોઢસો ચિત્રોથી ભરી દીધું. દસ વરસ લાગ્યાં એ ચિત્રો કરતાં. એનો એક પણ પૈસો ન લીધો, ફક્ત લોહિયાજીના શબ્દોનું માન રાખ્યું….’ હાય રે કિસ્મત, કમનશીબી એ છે કે લોહિયાજીના શબ્દોનું માન  રાખનાર આ શખ્સિયત સામે વિરોધનો વંટોળ અહીંથી શરુ થયો ત્યારે કોઈએ અહીં રજુ કરી તે વાત કદાચ વાંચવાની કે જાણવાની કોશિશ નહોતી કરી !!!!

 

“આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

બાપુની કોઈપણ વાતને કોઈ  જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

ધરમપુર તાલુકાનું અંતરિયાળ આદિવાસીઓનું ગામ તે ખાંડા. ત્યાં યોજાઈ ગઈ  પ્રિય મોરારિબાપુ દ્વારા ગવાયેલ 934મી શ્રી રામ કથા. આપણે તે કથાને સંદર્ભ લઈને કથાના આયોજન અને વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છીએ. આવો, આગળ વધીએ. 

ભોજન પ્રસાદની રોજની વ્યવસ્થામાં  કેટલીક કાયમી વાનગીઓ હોય અથવા વસ્તુઓ હોય, દાખલા તરીકે પાણી,  છાસ, રસોઈ માટે વપરાતું દહીં, વગેરે દૂર દૂરથી મંગાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અને એ એવા ઈન્સ્યુલેટેડ વાહનની અંદર આવે કે જેમાં એ યોગ્ય રીતે  જળવાઈ રહે તેવું આયોજન થયું. ખાંડાની કથામાં જમવામાં સવારે અને સાંજે કથા શ્રાવકોને ઠંડી ભરપેટ છાશ પીવાનો લ્હાવો મળ્યો. આ છાશ અમરેલી પાસેના ‘શીતલ’ દ્વારા એવા વાહનની અંદર આવતી હતી કે જે ઠંડી રહી શકે. લગભગ-લગભગ દરેક વ્યક્તિએ નોંધ્યું કે, કથામાં આટલી ગરમી વચ્ચે આપણું અમૃત પીણું છાશ સૌને મળી રહે તે અતિ આનંદનો વિષય હતો. કથાના પુરા આયોજન દરમિયાન કેરીનો રસ વાનગી તરીકે પીરસવામાં આવ્યો, ઉપરાંત લાડુ, મોહનથાળ, બુંદી, વગેરે જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી. અને એ પણ દૂર દરાજથી સરસ રીતે બનીને અહીંયા આવે એવું આયોજન કરવામાં આવ્યું. 

કથા સ્થળે બાપુનો ઉતારો એ ટ્રિકી  વાત હતી. કારણ કે આ વિસ્તાર એ બહુ જ દૂરનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર સરીસૃપ વર્ગના પ્રાણીઓ બહુ નીકળે છે. કેટલાક ઝેરી સાપો પણ અહીંયા નીકળે છે. અહીંયા ક્યારેક જંગલી ભૂંડ પણ દોડી આવતા હોય છે અને હાની પહોંચાડતા હોય છે. એટલે એવો એક સલામત નાનકડો ભાગ શોધાયો અને ત્યાં બાપુ માટે સુંદર મજાની કુટીયા બનાવવામાં આવી. આ કુટીયા પણ સાદા નાનકડા સ્ટ્રક્ચર ઉપર એક પ્રીફ્રેબ સ્ટ્રક્ચર મૂકીને બનાવવામાં આવે. બાપુની કુટિયાની સાવ જ નજદીકમાં તેઓનું રસોઈ ઘર અને તેના સેવકોના નિવાસનું પણ નિર્માણ કરવામાં આવ્યું. ખાંડા ની કથાના મનોરથી પરિવાર તો યુ.એસ. રહે છે અને તેઓ કથા અર્થે અહીં વસેલા એટલે તેઓના નિવાસની વ્યવસ્થા પણ ખંડમાં જ કરવાનું યથાર્થ હતું. ત્યાંના એક શિક્ષકનું  કે  ખંડમાં  તેનું ઘર રિનોવેટ થઇ રહ્યું હતું. તેમને વિનંતી કરવામાં આવી અને મનોરથી પરિવાર માટે ઉપર અને નીચે સુંદર બધી જ સગવડતા સાથેનું મકાન ચણીને તૈયાર કરવામાં આવ્યું. કથા દરમ્યાન મનોરથી પરિવાર માટે અને કથા પછી શિક્ષક પરિવાર માટે સુંદર સગવડતા ઉભી થઇ, કથા પ્રતાપે..!! વળી,   બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુની ઈચ્છા હોય છે, આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે. એવું કહેવું પડે કે ખાંડા જેવા ખૂબ દૂરના વિસ્તારની અંદર આ બધી વ્યવસ્થા એટલી સુપેરે રહી અને ગામવાસીઓ દ્વારા એટલો સંતોષપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો કે બાપુએ વ્યાસપીઠ પરથી એવું કહેવું પડ્યું કે,  જેને પીનડ્રોપ સાઈલેન્સ કહીએ એવા સાઈલેન્સથી કથાનું શ્રવણ સૌએ કર્યું. કોઈએ વચ્ચે કોઈ જ પ્રકારની અવ્યવસ્થા  અથવા તો કોઈના માટે પ્રશ્ન ઉભો ન કર્યો. સૌ સહજ રીતે જોડાયા. 

ભોજન ની લાઇનમાં ઊભા રહેવામાં આ આદિવાસી વિસ્તારના લોકોને કોઈ જ શરમ નહિ કે કોઈ ધક્કામુક્કી નહીં. એ ભોજન કરે ત્યારે જોઈએ તેટલું લે અને નહીંવત બગાડ કરે એ તેમની લાક્ષણિકતા હતી. પોતાની થાળીને એવી રીતે સાફ કરીને તે મૂકે કે જેને જુઓ તો એમ લાગે કે આ થાળીમાં જાણે કોઈ જમ્યું  જ નથી. આ વિસ્તારના લોકોએ બાપુને પુષ્કળ પ્રેમ આપ્યો. બાપુ સવાર અને સાંજ જ્યારે કથામાં આવે અને જાય એ દરમિયાન રસ્તે પોતાને ત્યાં  ઉગેલ  ફળ, ફૂલ, કેટલી બધી વાનગી, મીઠાઈઓ લઈને બાપુને ધરવા માટે  કતાર બંધ આદિતીર્થવાસીઓ ઊભા હોય. બાપુ પણ બહુ આદરપૂર્વક તેમને ન્યાય પણ આપતા જતા હોય. બાપુએ રોજ એક કરુણામય ઉપક્રમ રાખેલો. રોજ સાંજે એક- એક ફળિયામાં જવાનું, ત્યાં જઈને એમની વાતો સાંભળવાની અને એમણે પોતે બનાવેલી રસોઈમાંથી  ભિક્ષા ગ્રહણ કરવાની. આ ઉપક્રમ તો એટલો બધો હૃદય સુધી પહોંચ્યો છે કે, ખાંડાના ગ્રામવાસીઓ હજુ પણ આ વાત કરતા-કરતા પોતે રડવા લાગે છે. એક નાનકડો માણસ હોય જેને એમ જ છે કે હું સાવ  તુચ્છ વ્યક્તિ છું, એને જઈને બાપુ મળે છે  અને પૂછે  છે  કે, બધું બરાબર છે ને ?? એ એટલું શાતાદાયક હોય છે કે, એના ભરોસે કે તેઓ  ઘણું લાંબુ જીવન જીવી જાય  છે. આ બહુ જ ઉમદા અને નાનામાં નાના માણસ સુધી પહોંચવાનું કામ ખાંડાની કથાએ કર્યું છે. 

કથાનો કેન્દ્રસ્થ વિચાર ‘માનસ સંવત્સર’ હતો. એટલે એક વર્ષ એટલે એક સંવત્સર. પણ આ કથા એ એક વર્ષ સુધી તો પોતાની ઊંડી છાપ છોડી જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને એક વર્ષે પણ પૂર્ણ નહીં થાય કારણ કે, પ્રિય બાપુએ પ્રતિ વર્ષ આવા વિસ્તારોની અંદર દૂરદરાજમાં આવીને એક રામકથા ગાવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આવતા વર્ષની કથા સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં ગાવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે આદિતીર્થક્ષેત્રના વાસીઓ માટે વર્ષો-વર્ષ ઈશ્વરનો ભરોષો ઊભો થઈ ગયો છે. 

એક કથાના બહાને અહીંયા બહારથી કેટલા લોકો આવ્યા, પત્રકારો આવ્યા, મીડિયાની બધી ટીમ આવી, કેટલીય બાબતોની નોંધ લેવાણી, અને એ નોંધ એટલી સુંદર રીતે લેવામાં આવી છે, કે આપણને એવું લાગે કે ઠેર-ઠેર સુધી ભારતના નકશામાં અને વિશ્વના લગભગ પોણા બસ્સો દેશના નકશામાં ખાંડા નામ આજે ગુંજતું થયું છે. ખરેખર કથા કરવી એ ખાંડાના ખેલ બરાબર છે, એ આ કથા પુરવાર કરી આપે છે. ત્યાંના લોકો સ્વયંસેવક તરીકે, કેટલાય કામની અંદર પીરસનાર તરીકે, માંગ્યો તેટલો સહયોગ નહીં પણ દિલમાં ઉગ્યો તેટલો સહયોગ આપતા રહ્યા છે. અને એમણે કથાને ચાર ચાંદ લગાવ્યા છે. શરૂઆતમાં જ એક કથા પાછળ થતા ખર્ચની વાત કરી છે, તે તો અંદાજ આપવા માટે કરી છે. એટલે બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’  કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ સાંખ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાના મનોરથી અને તેનો પરિવાર  અમેરિકા વસે છે, એમણે દૂર બેઠા-બેઠા બધી જ સત્તા, બધી જ જવાબદારી લોકલ ડો. પ્રજ્ઞાબેન કલાર્થી ને અને સુરત વસતા મૂળ મહુવાના યુવાન પરેશ ફાફડાવાળા ને સોંપી દીધી.  બંનેની ટીમે રાત-દિવસ જોયા વગર લગભગ સળંગ સાઠ  દિવસના સતત ત્યાંના નિવાસ પછી આ કથાનું આયોજન શક્ય બન્યું. 

કથાના આયોજનની આટલી વિગતે કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે. 

ખાંડા ની  કથા વખતે ગુજરાતભરમાં  હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો ગરમી મંડપમાં પણ લાગતી હતી. પણ જ્યાં જનસામાન્ય બેસીને કથા સાંભળે એ કથામાં પંડાલની અંદર ઉપર નાનકડા નાનકડા પાઇપમાંથી ઠંડા પાણીનો છંટકાવ સતત થતો રહેતો હતો એ આપણે ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હતા. ગ્રામવાસીઓ માટે આ નવાઈ હતી કે, આપણને ઠંડક મળે એવી  વ્યવસ્થા કોઈ કરી રહ્યું છે. કારણ કે તેઓ કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે જંગલમાં ફરીને પોતાની  આજીવિકા રળતા  હોય છે. એ ગ્રામવાસીઓને શીતળતા મળે, ઠંડક પ્રાપ્ત થાય અને તેના જીવનમાં આપણી સંસ્કૃતિના બીજ રોપાય, એની પરિકલ્પના માટે યોજાયેલી આ ખાંડાની રામકથા આ વિસ્તારના લોકો માટે  અને ગુજરાતભર માટે માઈલસ્ટોન સાબિત થઇ છે. અ-હેતુ હેતથી થતી કથાને માણતાં  બાપુએ અહીં કહ્યું કે, કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

આપણે પ્રાર્થના કરીએ કે  આદીતીર્થવાસીઓ માટેની પ્રત્યેક કથાને આટલી જ સુંદર મજાની સફળતા અને સાર્થકતા પ્રાપ્ત થાય.  

“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર  શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું. 

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે. 

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે. 

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે. 

ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા  બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય  છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.  

આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક  નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી  શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં  આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી  હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે  એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું  જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા  અને છેલ્લા લગભગ છએક મહિનાથી  આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ  લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું  ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું. 

આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું  એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની  ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું,  એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ. 

આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય  છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી  અને તેની ટીમે આ કામ બહુ  જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ  પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી  નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)

 

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

જનકલ્યાણ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

April JK 01
April JK 02
April JK 03

દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું, પછી રંજ કરવાની ક્યાં વાત રહી ??”

લોકસાહિત્યનું કોઈપણ સ્વરૂપ હોય લોકગીત કે લોકવાર્તા કે દુહા છંદ કે લોકઢાળની માર્મિક વાતો ગુજરાતમાંથી એક નામ જ સાંભળવા મળે  અને તે પદ્મશ્રી સન્માનિત શ્રી ભીખુદાન ગઢવી. 

ચારણ જ્ઞાતિમાંથી એટલે કે  ગઢવી સમાજમાંથી ભીખુદાનભાઈ આવે છે  એટલે એમણે તો  જીન્સમાં થોડું ગાવું-બોલવું એ બધું સહજ  મળેલું છે.  ભીખુદાનભાઈ ખુદ જ આ અંગે વાત કરતા ઉમેરે છે કે,  “ માનો કે અમે પાંચ-પચીસ માણસો જયારે ઘરનો પ્રસંગ હોય, સગાઇ હોય,  કોઈ લગ્ન હોય, ક્યાંક  ડાયરો બેઠો હોય એમાં કોઈ દુહા-છંદ ગાય, કોઈ ભજન ગાય, કોઈ લોકગીત ગાય, એવી અમારી પ્રાચીન એક પરંપરા ચાલી આવે છે, એમાંથી હું આવું છું. એટલે હું તો પહેલા મિત્રોની પાસે ગીત ગાતો, કોઈ દુહા ગાતો એવું મારું  બાળપણ જયારે હતું ત્યારે, પછી હું સ્કૂલમાં ગયો, તો સ્કૂલમાં બાળસભા હોય તો બાળસભામાં એમ કહે કે, ભાઈ, આ ગઢવી છે, એની પાસે આપણે  એકાદું ગીત ગવડાવીએ, તો હું એવી રીતે ગીત ગાતો.  વાત કરવાની ત્યારે મારી એવી શૈલી નોહતી. પણ હું ગીત ગાતો, ભજન ગાતો, લોકગીત ગાતો, એવું બધું કરતો મારી શરૂઆતમાં. અને પછી ધીરે-ધીરે પાંચ-પચીસ માણસોમાંથી પચાસ માણસો થયા, અને એવું મંડ્યું લાગવા કે, ભાઈ,  આ તો સારું ગાય છે, સારું બોલે છે, ધીરે-ધીરે બધા માણસોની વચ્ચે એમ થતા-થતા હું આગળ આવ્યો. જયારે હું  SSC  પાસ થયો પણ  H.S.C નાપાસ થયો ત્યારે પછી હું અમારે રામજીભાઈ કરકર એડવોકેટ હતાં એમને  ત્યાં હું કલાર્કની નોકરી કરતો અને મનોજભાઈ ખંઢેરીયા બહુ જ જાણીતા ગઝલકાર એ  ત્યાં એ વકીલાત શીખતાં, એટલે અમે બન્ને સંવાદ કરતા, એ ગઝલની વાતો કરતા ને  હું લોકસાહિત્યની વાતો કરતો.”

પણ આજે લોકસાહિત્યના ડાયરાઓમાં આવશ્યક ગણાતા ભીખુદાનભાઈ ક્ખારેખર ડાયરાસુધી ક્યારે પહોંચ્યા હશે ?? “ મારી વીસ  વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામિનારાયણ ચોકમાં, અમારે જૂનાગઢમાં એક લોકડાયરો હતો, એમાં પ્રાણલાલભાઈ વ્યાસ હતાં, દિવાળીબેન ભીલ હતાં, અને ત્રીજો હું હતો. એટલે મને વીસ  વર્ષની ઉંમરે મને સ્ટેજ મળ્યું અને મને થયું કે હું માઈકમાં બોલું છું અને પ્રોગ્રામ આપું છું… પણ એની પહેલા અમારે પ્રાણલાલભાઈ અને દિવાળીબેન ભીલ સાથે ગાયેલું ત્યારે   માઈકની વ્યવસ્થા નોહતી, ગામડામાં ચોરે ગાદલા પાથરી દે અને આખું ગામ ગોઠવાઈ જાય, ભાઈઓ, બહેનો, વડીલો બધા, પ્રાણભાઈ ભજન ગાય, હું વાતો કરું અને દિવાળીબેન લોકગીત ગાય, એવી પરિસ્થિતિમાંથી ધીરે-ધીરે-ધીરે આ માઈકની વ્યવસ્થા થઈ, અને માઈકની વ્યવસ્થા પછી અમે આમ પ્રોગ્રામ દેવા જઈએ તો અમને પ્રોગ્રામમાં બોલાવે એ જ અમારો પુરસ્કાર હતો, કારણ કે અમારે તે દિ તો કોઈ પુરસ્કાર હતો જ નહિ, માણસો પાસે પૈસા હતાં નહિ કે અમને આપે, પણ અમને બોલાવે એ અમારો પુરસ્કાર અને અમને સાંભળે એ બીજો મોટો પુરસ્કાર.”     

શ્રી ભીખુદાનભાઈને શાળા પ્રવેશ માટે પણ એનો કંઠ મદદે આવેલો તેની મઝાની વાત તેઓ કરે છે : 10માં ધોરણમાં મને એડમિશન મળ્યું એ પણ ગાયકીને લીધી. એલ.કે. હાઈસ્કૂલમાં હું ગયો તો મને ના પડી કે, અહીંયા જગ્યા નથી અમારે કેશોદમાં. શ્રી મહેન્દ્રભાઈ ધોળકિયા અમારા પ્રિન્સિપાલ સાહેબ. પછી મને કહે, જગ્યા તો છે નહિ એટલે અમારા  ગામનાં સરપંચે કીધું કે, ‘તો પછી શું કરવું આપણે?, કોને કહેવું?’ મને કીધું કાલે પાછો આવજે એટલે હું ગયો. પછી મને પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવો છો?’, એટલે મેં કીધું, માણેકવાડાથી. ‘કેવા જ્ઞાતિએ ?’ તો મેં કહ્યું, ગઢવી, અમે ચારણ ગઢવી છીએ. એટલે તરત કહે, ‘ઓહો! તો તો તમને ગાતાં આવડે?’ મેં કહ્યું, હા સાહેબ, ગાતાં આવડે, તો કહે, ‘કાલ બાલસભા છે હાઇસ્કૂલની, તો તમે આવોને કાલે,’  એટલે હું ગયો, મેં એ વખતે ચીન-ભારત યુધ્ધનો એક છંદ હતો, એ છંદ મેં ગાયો ને  તરત જ કીધું કે, ‘આમ તો જગ્યા નથી પણ તમારા માટે  પરાણે કરી દેશું,’ એમ  એક ધોરણ હું ત્યાં ભણ્યો કેશોદમાં.

પછી તેઓ જુનાગઢ આવ્યા અને  વ્યવસાયમાં ધ્યાન દીધું,  ગાવવામાં,બોલવામાં. કોઈપણ વ્યક્તિ વાર્તા કહે એટલે તેમને  આખી વાર્તા યાદ રહી જાય. એક કલાકમાં ફરી એ વાર્તા તેઓ કરી દે. “તમે કર્યું હોય એ જ વાર્તા હું કરી દઉં. એટલી મારી યાદદાસ્ત હતી. ભણવામાં યાદ ના રહેતું પણ લોકસાહિત્યમાં રુચિ હતી ને એટલે મને છંદ, દુહા, બીજું-ત્રીજું બહુ યાદ રહેતું. શિક્ષણનાં બધા જ મહાનુભાવો એમ કે છે કે,  જો રસ પડશે, તો શીખાશે. એ વાત બહુ સાચી છે એ વાત મારા જીવનમાં તો ચરિતાર્થ થઈ. નહી  તો યાદ રહેતું હોત  તો બધા વિષયો યાદ રહ્યાં હોય ને ! પણ એ યાદ ન રહ્યા. અને મને જેમાં રુચિ હતી એ યાદ રહ્યું. આપણને જેમાં રુચિ હોય ને  એ ઘટના  આપણમાં  કોતરાઈ જાય. જો કે, હું દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું પછી રંજ કરવાની ક્યાં વાત રહી ?? આવડતું હોયને આપણે ફેલ થયા હોઈએ, અથવા તો આપણને કોઈએ નાપાસ કર્યા હોય તો એનો રંજ હોય, આ તો આવડતું જ નથી એનો શું રંજ હોય.?!!

 …આમ જુઓ તો  જૂનાગઢ સાથેનો નાતો પાક્કો. જૂનાગઢ માં આપણી  જમીન છે, ત્યાં મકાન છે. પણ હું અમદાવાદ આવતો જતો રહું છે,  પણ જૂનાગઢની યાત્રા મારી ઘણી, અને એમાં અમે સંઘર્ષ બહુ કર્યો. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, હું, લાખાભાઈ ગઢવી, અમે બધાય.. લાખાભાઈ તો બહુ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા,પણ  પ્રાણલાલભાઈ, દિવાળીબેન, હું, તો બહુ સંઘર્ષ કરીને આવેલા. અમારે શું હતું કે, અમારા પ્રોગ્રામની મજા ઓર હોય, હું સમજાવું.  પ્રોગ્રામ નક્કી કરવાવાળા પાંચ જણા આવ્યા હોય ને.. એ નક્કી કરી જાય અને આપણે જે ગામમાં  પ્રોગ્રામ હોય  ત્યાં લેવા પાછા બીજા પાંચ જણા આવે અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા પાંચ જણા હોય એટલે આપણે કોની પાસેથી જે નક્કી કર્યું હોય એ લેવું ?? આપણે  કહીએ તો કહે, ‘ભાઈ અમે તો તમારી પાસે આવ્યા નોહતાં’ , ઓલો કહે, ‘અમે નોહતા આવ્યા’, એટલે પછી અમે અમારી મેળે-મેળે અમારા ઘરનાં ખર્ચે પ્રોગ્રામ આપીને ઘરે આવેલા છીએ.. પણ એમ છતાં  એનો અમને આનંદ એટલા માટે હતો કે,  પૈસો નથી મળ્યો પણ આપણને લોકોએ સાંભળ્યા, લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…આમ જ પાછું બીજે ગામે ય જવાનું..આવું થાય તો કોઈના કાંઠલા તો પકડાતા નથી, આ તો લોકસાહિત્યની વાતું છે, સંસ્કારની વાતું છે, તો એમાં ધીંગાણા તો થતા નથી.”

જીવનના સંઘર્ષથી જે થાકી કે હારી જતા નથી, તેઓ જ તો જીવનની સાર્થકતા પામે છે, તેનું જ્વલંત ઉદાહરણ શ્રીભીખુદાનભાઈ ગઢવી છે. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….

દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ…

પ્રબુદ્ધ જીવન, મુંબઈ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે કેવળ વિદ્યાર્થી ભવન એટલે કે છાત્રાલય હતું..!!

નાનાભાઈ ભટ્ટની ઉંમર અઠ્યાવીસ વર્ષની, દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે…!!! આદર્શોના અનલથી ધગધગતો યુવાન, ધાર્મિક સંસ્કારથી ઓતપ્રોત અને  ઊગતી પેઢીને સંસ્કારી બનાવી દેવાની ધગશવાળો તેજીલો તોખાર. દક્ષિણામૂર્તિ શરૂ કરી તેની આગલી રાત સુધી,  ‘હું આમ કરી નાખીશ અને હું તેમ કરી નાખીશ’ ના ભાવનાપૂરમાં તણાતા રહેલા, તેને પરિણામે વિદ્યાર્થીઓની સાથે રહી તેમને તાબડતોબ સંસ્કારી બનાવી દેવાની મહેચ્છાથી તેમનું હૈયું ઊછળતું રહેલું. નાનાભાઈની આ ભાવના અને કર્તવ્યપરાયણતાથી પ્રેરાઈને જ તેમના કામમાં સરળતા કરી આપવાના હેતુસર એમના ગુરુબંધુઓએ પોતાના સંતાનોને પહેલે જ દિવસ બોર્ડિંગ હાઉસમાં દાખલ કરી દીધેલા ! દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે એ શાળા ન હતી, કેવળ વિદ્યાર્થી ભવન હતું એટલે કે છાત્રાલય જ હતું..!! 

સંસ્થા ખોલવી અને ચલાવવી એ ખરેખર બહુ કપરું કાર્ય હોય છે,  પરંતુ જ્યારે સંસ્થાના ખોલનાર અને ચલાવનાર તદ્દન બિનઅનુભવી અને નવા નિશાળિયા જેવા હોય ત્યારે તે સંસ્થા ખોલવી, ચલાવવી ને વિકસાવવી એ ભગીરથ ઉપક્રમ બની જતો હોય છે. પરંતુ એ તથ્યની પ્રતીતિ ખુદ નાનાભાઈને પણ હતી જ, તેમનું  મનોમંથન હતું કે, “મને તે દિવસે કલ્પના પણ ન હતી કે સંસ્થામાં એકલા વિદ્યાર્થીઓ જ નથી હોતા. મને કલ્પના પણ ન હતી કે સંસ્થામાં મારા પ્રયત્નોને ધૂળ મેળવનારા એવા કોઠારી પણ હોઈ શકે. એવા રસોઈયા  પણ હોઈ શકે. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના ભાવિક પિતાઓથી સ્વતંત્ર એવું પોતાનું મન લઈને આવવાના છે… મારા જેવા નવાસવા ગૃહપતિને મનમાં ગમે તેટલી ઉત્કટ ભાવનાઓ હોય પણ એ ભાવનાઓને મૂર્તિમંત કરવાને માટે જે વ્યવહારદક્ષતા અને હથોટીની જરૂર હોય છે તે મારામાં ક્યાં હતાં ? મને ખબર ન હતી કે વિદ્યાર્થીઓને જ  બરાબર ઘડવાના નથી પણ  રસોઈયાને ઘડવો પડશે, કોઠારીને અને કામ કરનારી બાઈઓને ઘડવી પડશે. અને   એ પહેલાં તો  મારે મારી જાતને ઘડવી પડશે..!”…બસ આ વાત નાનાભાઈ કળી  ગયેલા તેથી જ સોક્રેટિસની જેમ સ્વને ઘડવા તત્પર હતા. 

સંસ્થા હજુ તો ચાર-છ દિવસની જ થઈ હશે. એક વિદ્યાર્થીએ રાત્રે ઓરડાની  ચોકડીમાં ઝાડો-પેશાબ કર્યાં. નાનાભાઈ સવારે આવ્યા ત્યારે દુર્ગંધ તથા માખીઓના બણબણાટે તેમનું ધ્યાન ખેંચી જાણે પડકાર ફેંક્યો. “ચોકડી મારે સાફ કરી નાખવી કે તે બગાડનારને શોધી તેની પાસે સાફ કરાવવી?”  નાનાભાઈના મનમાં પ્રશ્નો ઘુમરાયા. ‘હું સાફ કરીશ તો કૉલેજમાં બોર્ડ પર છોકરાઓ તે લખવાના;’ મન અચકાયું. ‘હું ગૃહપતિ ! તેમની માતા સમાન. શું મેં મારાં સંતાનોનું મેલું નથી ઉપાડ્યું ?? હું પણ આ જ ચાલ્યો.’ તત્કાળ તેમણે ચોકડી સાફ કરી નાખી. સાથે જ મન સાફ થયું ને દૃષ્ટિ પણ. મન-દષ્ટિની શુદ્ધિનો આ પડકાર- પ્રસંગ નાનાભાઈનાં ‘ત્રિતીર્થ’ના વાત્સલ્ય તથા કુટુંબભાવરૂપી મહાનંદની ગંગોત્રી સમો બની રહ્યો.

નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાની તાલાવેલી અને ઊછરતી પેઢીને ધાર્મિકતાને રંગે રંગી નાખવાની અદમ્ય ઝંખનાને પરિણામે દક્ષિણામૂર્તિની શરૂઆતના દિવસોમાં જે દિનચર્યા હતી તે કંઈક આવી હતી ::

સવારે પાંચ વાગે ઉત્થાન – ઊઠવાનું, ત્યાર પછી હાથ મોઢું ધોઈ, કોગળા કરી દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરતા કરતા પ્રાર્થના કરવાનો નિયમ હતો. પ્રાર્થનાના અંતે વિદ્યાર્થીઓએ મોટાભાઈ તથા નાનાભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના રહેતા. શરૂઆતનાં વર્ષોમાં દક્ષિણામૂર્તિના સંચાલનમાં બીલખાના આનંદાશ્રમની ઘણી જબરી અસર હતી. સંસ્થાના સંચાલકો બિનઅનુભવી તેથી દિનચર્યાની ગોઠવણી વિદ્યાર્થીઓની દૃષ્ટિથી નહોતી ગોઠવાઈ, બલકે સંચાલકોના દૃષ્ટિકોણથી ગોઠવાઈ હતી. એ તો સદ્દનસીબ કે સંચાલકોનું આત્મનિરીક્ષણ, આત્મમંથન તથા પરિસ્થિતિનું  વિવેચનાત્મક કરતા રહેવાની દ્રષ્ટિ ,, તેથી તેમને તરત જ ખ્યાલ આવી ગયેલો કે જે માર્ગે આપણે વિદ્યાર્થીઓને સંસ્કારી કે ધાર્મિક વૃત્તિવાળા બનાવવા ચાહીએ છીએ તે માર્ગે સફળતા મૃગજળ સમાન છે. નાનાભાઈએ પોતે નોંધ્યું છે કે,  ‘દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યાર્થીઓમાં ભક્તિભાવનાં મોજાં ઊછળશે ને તેમને સારા સંસ્કારો મળશે એમ હું માનતો હતો, પણ ખરેખરી રીતે બનતું એવું હતું કે વિદ્યાર્થીઓને સવારના પહોરમાં જેટલી ઊંઘની પડી હતી તેટલી નહોતી પડી દક્ષિણામૂર્તિદેવની કે નહોતી પડી મોટાભાઈની કે નહોતી પડી મારી… પરંતુ આ નિયમની નિરર્થકતા મને જતે દિવસે સમજાયા વિના ન રહી.’ નાનાભાઈની આ પોતાની ભૂલ સ્વીકારવાની તત્પરતાએ તેમને અને સંસ્થાને ઘડ્યા. 

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં જવા સિવાયનો જે વખત રહેતો તેમાં નાનાભાઈ તેમને પાઠો તૈયાર કરવામાં મદદ કરતા. રાત્રે વિદ્યાર્થીઓની તકરારો પતાવતા અને પછી જે સમય બચતો તેમાં તેમને વાર્તાઓ કહેતા. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં શરૂ થયેલી આ રાત્રિ પ્રવૃત્તિ ધીરે ધીરે વિકસીને રાત્રિ સમ્મેલન રૂપમાં ઢળી ગઈ છે. ગૃહપતિ નાનાભાઈની આ વાર્તાકથન પ્રવૃત્તિથી તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થઈ શકેલા. પરિણામે સમૂહકાર્યો માટે તેઓ વિદ્યાર્થીઓને સરળતાથી એકઠા કરી શકતા હતા.

દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ હાઉસમાં અમુક અમુક કાર્યો જાતે જ કરવાનાં રહેતાં તેની અસર થતાં  જતે દિવસે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીમંડળના સ્વરાજની આખી કલ્પના ઊભી થઈ !!  જેનાં બીજ અહીં હતાં તે સંસ્થા  છાત્રાલય સ્વાવલંબનના પાઠ ભણાવતી  શાળા બની શકેલ.

દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓ માટેની રસોઈ સાદી પણ સ્વાદિષ્ટ થવી જોઈએ, ખીચડી, ભાત વગેરે માત્ર ચડેલાં જ નહીં પણ સીઝેલાં થવાં જોઈએ; રોટલી માત્ર ફૂલકા જ નહીં પણ બરાબર ચૂંદડી પડેલી હોવી જોઈએ, શાક બહુ તેલવાળું ન હોવા છતાં મસાલાના પ્રમાણસરના ઉપયોગથી સ્વાદિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત રાંધવાનું વાસણ—પાણી સ્વચ્છ, ખાદ્ય પદાર્થો લોટ વગેરે સ્વચ્છ, રસોઈયાના કપડાંની સ્વચ્છતા, ખુદ રસોઈયાના સાહારીરની  અને હાથપગની સ્વચ્છતા વગેરેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત રસોઇયાના આચારમાં પણ સ્વચ્છતાનો આગ્રહ, તમાકું ન ખાવું, ચોખ્ખા હાથથી જ પીરસવું, નાકની લીટ જ્યાં ત્યાં ન કાઢવી, થૂંકવું હોય તો ચૂલામાં જ ન થૂકતા ખાળે જઈને થૂંકવું, રસોઈના પદાર્થો બરાબર ઢાંકીને રાખવા વગેરે વગેરે. એક તરફ આવા ઉદાત્ત આગ્રહો હતા તો બીજી તરફ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં કેટલાક પરંપરાગત વ્યવહારો પણ થતા. જેમકે ઈ. સ. ૧૯૧૦-૧૨ના એ દિવસોમાં શાળામાં અને છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો રિવાજ હતો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન પણ આ રિવાજમાંથી બાકાત ન હતું. નાનાભાઈ આ અંગે કબૂલે છે, ‘ઈ. સ. ૧૯૧૦- ૧૧ની સાલમાં તો હું દક્ષિણામૂર્તિમાં સજાનો ઉપયોગ કરતો અને તે પણ સજાના ભારે કઢંગા સ્વરૂપમાં. શરૂઆતના આઠ-પંદર દિવસો તો હું વિદ્યાર્થીઓને તેમના અપરાધ બદલ દૂધ અને શાકનો દંડ કરવા માંડયો તો ક્યારેક દક્ષિણામૂર્તિ દેવને પચીશ પચાસ નમસ્કાર કરવાનો દંડ.’

આ બધાં વર્ણનોથી એટલું તારણ અવશ્ય નીકળે છે કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો વ્યવહાર નાનાભાઈની સમજણ, નાનાભાઈના આગ્રહો મુજબ ચાલતો હતો. અલબત્ત નાનાભાઈ સ્વીકારે છે કે, ‘એ કાળે મારી સમજણ ઘણી કાચી હતી, અનુભવ બહુ પાતળો હતો તેથી જ છેક ૧૯૨૦માં તેમને સમજાયું કે સજા કે ઇનામો, હરિફાઈ, લાલચ, ભય એ બધાંય કેળવણીની દૃષ્ટિથી તાજ્ય છે એમ નહિ પણ જીવનની સર્વતોમુખી દૃષ્ટિથી તાજ્ય છે. અલબત્ત ગૃહપતિ નાનાભાઈની એક વિશેષતા એ હતી કે તેઓ વારંવાર આત્મનિરીક્ષણ, આત્મ વિવેચના અને આત્મવિશ્લેષણ કર્યા કરતા. તેમાંથી ઊભરી આવતા નિષ્કર્ષોને તે સંકલ્પના રૂપમાં ફેરવી લેતા. આવી લાક્ષણિકતાઓને પરિણામે તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કામગીરીનું મૂલ્યાંકન કરાવવા એક વાર્ષિક સંમેલન ભર્યું. સર પ્રભાશંકર પટ્ટણી તેના પ્રમુખ થયા. સમ્મેલનમાં સર પટ્ટણીસાહેબે પોતાની દૃષ્ટિની વિશાળતા અને દક્ષિણામૂર્તિ તરફ સદ્ભાવના વ્યક્ત કરી.

શામળદાસ કોલેજનું પ્રોફેસર પદ છોડ્યા પછી નાનાભાઈ દક્ષિણામૂર્તિના કર્મચારી બન્યા. ને તેમના વિઝનને, મિશનને એકશનની પાંખો ફૂટી. દક્ષિણામૂર્તિ એક સાધારણ બૉર્ડિંગહાઉસ બની રહે તે એમને મંજૂર ન હતું. તેમનું સ્વપ્ન તો એક મોટી આશ્રમ શાળા કાઢવાનું હતું.  તેના સંદર્ભે બીજા જ વર્ષે પ્રયોગાત્મક વર્ગ શરૂ કર્યા. સંસ્થામાં રહેતા અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગામની શાળામા મોકલવાનુ બંધ કર્યું ને આ વિદ્યાર્થીઓ પ્રયોગાત્મક વર્ગમાં  ભણે એવી ગોઠવણ કરી ત્યારે સરકારી શાળાના આ ધોરણમા જે જે ભણાવાતું  હતું તેમાં નાનાભાઈ વગેરે સંસ્થાના કાર્યકરોને યોગ્ય જણાયું તે મુજબના ફેરફારો કર્યા. તેમણે ઈતિહાસ શિક્ષણમાં સમાજશાસ્ત્રને સ્થાન આપ્યું (આજના યુગમાં ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું સંમિશ્રણ કરીને સામાજિક વિજ્ઞાન, સમાજવિદ્યા નામાભિધાન થયું છે. પરંતુ તેની શરૂઆત ઈ. સ.૧૯૪૩-૧૪માં દક્ષિણામૂર્તિમાં થયેલી) તથા સંસ્કૃત શિક્ષણ જે વ્યાકરણ અનુવાદ પદ્ધતિએ શીખવાતું હતું તેને સ્થાને પરિચય પદ્ધતિનો વિનિયોગ શરૂ કર્યો. આ રીતે ઈ. સ. ૧૯૧૨માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન કેવળ છાત્રાલય ન રહેતા શિક્ષણ સંસ્થા બની. હવે સંસ્થામાં તરવરાટ આવી ગયો. નિયમિત વર્ગો લેવાવા લાગ્યા. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓનો સંપર્ક વધ્યો તેમના મનમાં વધારે ઉલ્લાસ પૂરાવા લાગ્યો. એ દિવસોમાં સંસ્થા નાની હતી, તંત્ર પણ છેક સાદું હતું એટલે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં પારિવારિકતા વધુ હતી. એની જીવંત રનિંગ કોમેન્ટ્રી નાનાભાઈ આ રીતે આપે છે, ‘અમારું આખુંય કુટુંબ સાવ ઠાવકું કુટુંબ હતું એમ માનવાની પણ કોઈએ ભૂલ કરવાની જરૂર નથી. કોઈ વાર રસોઈમાં દૂધપાક કર્યો હોય તો એકાદ મુખ્ય વિદ્યાર્થી કળશામાં દૂધપાક તફડંચી કરીને પેટીમાં સંતાડે અને બીજો જ વિદ્યાર્થી પેટીમાંથી દૂધપાક બઠાવી જઈને ઘટઘટાવી જાય. કોઈ વિદ્યાર્થી સૂવાની ઓરડીની ખાળમાં જ દિશાએ જાય ને પાછા પોતે જ ગુનેગારની શોધમાં નીકળે, એકાદ વિદ્યાર્થી માત્ર બે ડઝન પુરણ પોળી ખાય અને પછી બીજે જ દિવસે પોતાને વિદ્યાર્થીઓએ અન્યાય કર્યો છે એ કારણ બતાવીને ઉપવાસ પર ઊતરે… રસોઇયો બાઈઓ સાથે મળીને ભોજનમાં ગોટાળા કરે… આવા આવા કેટલાય અનુભવો થયા……. આ બધાય નાનાંમોટાં છમકલાં પાછળ અમારો કુટુંબભાવ જેવો ને તેવો જ રહ્યો. મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે કોઈ પણ જાતના સંકોચ વિના સદગત મોટાભાઈ અને હું વિદ્યાર્થીઓનું મેલું ઉઠાવતા, તેમની પથારી પાસે ઉજાગરા કરતા, તેમના પર ગુસ્સે થતા, તેમની પાસે ઘોડિયાની દોરી ખેંચાવતા, તેમની પાસે  પગ ચંપાવતા ને તેમને ગોદમાં લેતા. તેમના ઘડતરમાં જ અમારું જીવનકાર્ય છે એમ અમે માન્યું હતું.?’

દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયા દ્વિમુખી હતી. અર્થાત્ તેમાં વિદ્યાર્થીઓનું જીવન કેળવાતું હતું તો સાથોસાથ તેના કર્મચારીગણને પણ કેળવણી મળતી હતી. દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયાને આનું સ્વરૂપ પ્રદાન કરવામાં સિંહફાળો નાનાભાઈનો હતો. 

એક પ્રસંગ કે જેનું આલેખન મનુભાઈ પંચોળીએ આ રીતે કર્યું છે :

“ધરમશી ક્યાં છે?” છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી એક ગૃહપતિ બૂમ મારે છે. એની જગ્યાએ,’ જવાબ મળે છે. “કહો કે મહાદેવ બોલાવે છે.”

ગૃહપતિ છાત્રાલયમાં હમણાં જોડાયેલ છે. એ ધરમશીને ધમકાવતા હોય छे. “ક્યાં હતા અત્યાર સુધી? તમારો વાળવાનો વારો હતો. હજુ કેમ વાળ્યું નથી ? હું એ બિલકુલ નહિ ચલાવું.”

વિદ્યાર્થી બબડતો ફફડતો ચાલ્યો જાય છે. ઉપરની મેડી પરથી એક સ્થિર અને શાંત અવાજ આવે છે, “મહાદેવ…”

ગૃહપતિ ઉપર જુએ છે. ઓફિસની બારીમાં નાનાભાઈ ઊભા છે. “આવ્યો, નાનાભાઈ.”

ઉપર પહોંચતા જ સંભળાયછે—’તમે ગૃહપતિ છો, હવાલદાર નથી. હાકોટા

તો હવાલદાર નાખે, તમે હવાલદાર નથી.”

“પણ નાનાભાઈ, એણે છાત્રાલય વાળ્યું નથી.” ‘એ બરાબર છે. મેં તમને છાત્રાલય વાળવા નથી રાખ્યા. એ તો પંદર રૂપિયાનો હવાલદાર પણ કરી શકે. તો હવાલદારને ગૃહપતિ વચ્ચે ફેર શો ? તમે વ્યવસ્થા, સ્વચ્છતા બધું  રખાવો પણ હવાલદાર થઈને નહિ.’

ગૃહપતિને તે દિવસે એક પાઠ મળી ગયો.

ગિજુભાઈ એ સમયે તે વઢવાણમાં વકીલાત કરે. સગપણે તે મોટાભાઈના ભાણેજ થાય. મોટાભાઈએ તેમને દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ માટે બંધારણ ઘડવાની કામગીરી તો અગાઉ સોંપેલી જ. એટલે તેઓ દક્ષિણામૂર્તિ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા. આમેય તે વકીલાતના ધંધાથી કંટાળેલા. નાનાભાઈ લખે છે, “એક સવારે ગિજુભાઈનો લખેલો કાગળ મારા હાથમાં આવી પડ્યો. આ કાગળમાં એમણે દક્ષિણામૂર્તિમાં જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારે મન તો આ કાગળ બગાસામાં સાકરના પતાસા જેવો થઈ પડ્યો. તેથી દક્ષિણામૂર્તિનો સાદ પડ્યો, આવી જાવ…” એટલે તરત જ વધાવી ૧૩-૧૧-૧૯૧૬ના દિવસે હાજર થઈ ગયા. ગિજુભાઈ ૧૯૧૬થી ૧૯૩૬ સુધી આમ ૨૦ વર્ષ દક્ષિણામૂર્તિમાં રહ્યા. આ ગાળો જ એમના જીવનનો સુવર્ણકાળ હતો.

નાનાભાઈ શિક્ષણની જવાબદારી ધીરે ધીરે ગિજુભાઈના હાથમાં મૂકતા ગયા ને છાત્રાલય તથા સંસ્થાનો બહારનો કારભાર તેમણે પોતાને હસ્તક રાખ્યો. ગિજુભાઈને સંસ્થાએ સ્વીકાર્યા. ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિકાસ ઝડપી બન્યો. સ્વયં નાનાભાઈ લખે છે,” ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિસ્તાર આટલો વધશે એની કલ્પના તે દિવસે ન હતી મને કે ન હતી ગિજુભાઈને. ગિજુભાઈ આવ્યા તે પહેલું પગથિયું હતું. ગિજુભાઈ પાછળ હરભાઈ આવ્યા. હરભાઈની પાછળ ગિરીશભાઈ આવ્યા, ગિરીશભાઈની પાછળ ગોપાળરાવ આવ્યા અને ત્યાર પછી અમારો વડલો વધતો ગયો, વધતો ગયો.’

તા. ૧-૬-૧૯૧૮ના રોજ અંગ્રેજી ત્રણ ચોપડી સુધીની શાળા શરૂ કરી. વિનય મંદિરના આચાર્ય તરીકે ગિજુભાઈ રહ્યા ને નાનાભાઈ ગૃહપતિ. આ રીતે બન્નેએ મળીને વિદ્યાર્થીઓની સમગ્ર કેળવણીનો ભાર ઉઠાવ્યો. ત્યાં અધિકારીઓ ન હતા પણ સેવકો હતા, કામદારો ન હતા પણ કર્મવીરો હતા.

ગિજુભાઈના નેતૃત્વમાં અને નાનાભાઈના માર્ગદર્શન હેઠળ વિનય મંદિર ધમધોકાર માંડ્યું ચાલવા. વરસ દહાડે એક ચોપડી વધે. એમ કરતા કરતા  વિનયમંદિર વિકસવા લાગ્યું. ને વિનીતના વર્ગ સુધી વિકસ્યું. છાત્રાલય અને વિનયમંદિર એક સ્થળે તથા ભણનારા અને ભણાવનારાનો ચોવીસે કલાકનો સહવાસ ધાર્યા પરિણામ દેખાડવા માંડ્યો. ગિજુભાઈએ શિક્ષણશાસ્ત્રનો વધારે ઊડો અભ્યાસ શરૂ કર્યો ને બીજી તરફ પોતાની શિક્ષકની જન્મસિદ્ધ કુનેહથી શાળા તંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. શાળા વ્યવસ્થાની બાબતમાં ગિજુભાઈ આકરા આગ્રહી. શિક્ષકોએ કેમ શીખવવું, શાળામાં કેવી રીતે બેસવું વગેરે અંગે ગિજુભાઈના ચોક્કસ ખ્યાલો.

 નાનાભાઈએ અને દક્ષિણામૂર્તિના સંચાલકોએ નર્યા પુસ્તકિયા શિક્ષણ માટે આ શાળા કાઢી જ ન હતી. આ શાળા કાઢવા પાછળ નાનાભાઈનું ચોક્કસ દર્શન હતું. તે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવા માંગતા હતા. જ્ઞાન સાથે ભાવના, સમજણ સાથે વિવેક અને શ્રમ સાથે સ્વાવલંબન, શિક્ષણ સાથે સહકાર, સંપ, સહિષ્ણુતા, સંસ્કાર વગેરેનું સામંજસ્ય કરી વિદ્યાર્થીનું ચારિત્ર ઘડતર કરવા માંગતા હતા તેથી જ તેમણે વિનય મંદિર શરૂ કર્યું પણ ચાલુ શિક્ષણ પ્રથાને માટે નો એડમિશન જાહેર કર્યું. તેમણે પોતાની આગવી રીતે શિક્ષણ પ્રણાલી વિકસાવી. રાજ્યાશ્રય લેવાથી દક્ષિણામૂર્તિના સ્વાતંત્ર્ય પર કે પ્રયોગધર્મિતાને આંચ આવે તે એક સંચાલક તરીકે તેમને હરગિજ પોસાયું નહીં તેથી વિનય મંદિરને કેળવણીના તંત્ર સાથે જોડયું નહિ. એક સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસાવી તેમણે દક્ષિણામૂર્તિના ધ્યેયો, સાદર્શો અને અભિપ્સાઓ અનુસાર અભ્યાસક્રમો રચ્યા, તદ્દઅનુસાર દક્ષિણામૂર્તિ નામ ગુંજવા લાગ્યું હતું ત્યારે પણ દક્ષિણામૂર્તિના સંચાલકો એટલા નિખાલસ અને ઇમાનદાર હતા કે તેમણે દક્ષિણામૂર્તિ સંસ્થાની સર્વતોમુખી તપાસ માટે એક કમિશન (તપાસપંચ) નીમ્યું. નાનાભાઈ તો દૃઢપણે માનતા હતા કે, દર પાંચ વર્ષે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ. તો જ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ પ્રાણવાન અને વધારે નિર્મળ રહી શકે. આવું તપાસપંચ નીમીને દક્ષિણામૂર્તિ સંસ્થાએ છેક સન ૧૯૧૮માં વ્યવસ્થાપનનો એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો. એ પંચના અધ્યક્ષ હતા ગુલાબરાય ગોવિંદરાય દેસાઈ, બી. એ. એલએલ.બી. ગુલાબભાઈ ભાવનગરના અગ્રગણ્ય નાગરિક અને અનેક નાનીમોટી જાહેર પ્રવૃત્તિઓના સુકાની. તપાસપંચનો અહેવાલ રજૂ થયો, પછી સંસ્થાએ તે છપાવીને જાહેર કર્યો. નાનાભાઈ લખે છે, ‘આ અહેવાલથી અમને એક તરફ પ્રતિષ્ઠા મળી ત્યારે બીજી બાજુથી અમારી ઊણપોનું પણ સ્પષ્ટ ભાન થયું. કમિશને ગિજુભાઈના શિક્ષક તરીકે ભારોભાર વખાણ કર્યા. સંસ્થા ઉપર અમારા શ્રીમાન નથ્થુરામ શર્માની છાયાને લીધે જૂના ક્રિયાકાંડને જે વધારે પડતું સ્થાન મળે છે તે તરફ પણ વિવેકભર્યો અંગુલિનિર્દેશ કર્યો અને કમિશનના અહેવાલ ઉપરાંત મારા તેમજ ગિજુભાઈના અંગત વાચન માટેની એક નોંધમાં હરિજનોને સંસ્થામાં નથી દાખલ કર્યા તે સંબંધમાં મિત્રભાવે પણ સખ્ત ટીકા કરી.” જોકે આ તપાસ પંચને પરિણામ એક લાભ એ થયો કે દક્ષિણામૂર્તિ સંસ્થા અને આશ્રમની રાષ્ટ્રીય શાળાનો સંબંધ ગાઢ બન્યો તથા નાનાભાઈ અને કાકાસાહેબનો પરિચય પ્રગાઢ મૈત્રીમાં પરિણમ્યો. જો કે દક્ષિણામૂર્તિ સંસ્થા પછીનાં વર્ષોમાં આવું તપાસપંચ નીમી શકી ન હતી. નાનાભાઈને તેનો ભારોભાર વસવસો હતો. એ વસવસો તેમણે કિંચિત વ્યંગ્યવાણીમાં આ રીતે વ્યક્ત કર્યો છે, “પહેલું કમિશન નીમ્યું ત્યારે અમે સૌ નાના હતા, અમને કોઈએ મોટા ગણ્યા ન હતા. પણ બીજું કમિશન નીમવાનો વખત આવ્યો ત્યારે અમે શિક્ષણના ક્ષેત્રમાં મોટા થઈ ગયા હતા. અમારા મિત્રો અમને એ ક્ષેત્રના ધુરંધર માનતા હતા, એટલું જ નહિ પણ અમે પોતે પણ અમને ધુરંધર માનતા હતા એટલે કમિશન નીમવા માટે કોઈ સભ્ય જ અમારા ધ્યાનમાં આવી ન શક્યા..નિષ્ણાતોના કામને પણ સાધારણ સમજની સરાણ પર ચડાવવું જરૂરી છે,  એ વાત અમને ગળે ન ઊતરી તે ઠેઠ સુધી ન ઊતરી. આ અમારી  મોટી ભૂલ હતી એમ કહેતા મને જરાયે સંકોચ નથી થતો. હું તો તે દિવસે માનતો  ય  હતો અને આજે પણ માનું છું કે આમ કેળવણીની સંસ્થાઓની તટસ્થ, પ્રાણવાન અને નવી દૃષ્ટિવાળા માણસો દ્વારા ચોક્કસ સમયે સર્વતોમુખી તપાસ થવી જ.”

 શિક્ષકગણનો સંકલ્પ કે કોઈપણ સંજોગોમાં શારીરિક સજા ન કરવી, વિદ્યાર્થીને કે આપણને ન શોભે એવા શબ્દો સંભળાવવા નહિ, કોઈને ઠોઠ કે મૂર્ખ કહેવો નહિ. કોઈને નંબર ઉતારવો નહિ, ઊભો રાખવો નહિ. આ રીતે ભયનું વાતાવરણ દૂર કરેલું. આમ વિદ્યાર્થીના વ્યક્તિત્વને આદર આપ્યો એ એક જ વસ્તુથી વિદ્યાર્થીઓમાં નવો પ્રાણ ચમકવા લાગેલો. તેમનામાં આત્મભાન જાગૃત થયું. ચિત્રકામ અને સંગીત માટે ખાસ શિક્ષકો રોક્યા. પરિણામે સંસ્થાના વિવિધ પ્રસંગોએ સંગીત અને ચિત્રકલાએ નવી ભાત પાડી. કાંતણ અને પીંજણને પણ વિષય તરીકે લીધા. એ માટે પણ એક ખાસ શિક્ષક રોક્યા. રૂપિયા સાડા સાત હજારના ખર્ચે ખાદીશાળાનું મકાન ચણ્યું. રેંટિયા ઉત્સવો ઊજવ્યા. વિનય મંદિરમાં સહશિક્ષણ દાખલ કર્યું. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની હવા વહેતી હતી ત્યારે દક્ષિણામૂર્તિએ નવીન સિદ્ધાંતોને લક્ષમાં રાખીને પોતાના જ બળે કેળવણીની રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરી.

છાત્રાલયની માફક જ વિનયમંદિરમાં પણ વિદ્યાર્થીમંડળ ચાલતું. આમ વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના ખીલવવાનો પ્રયત્ન થતો.

  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ફિલ્મ જોવા પર પાબન્દી જ્યારે દક્ષિણામૂર્તિમાં ફિલ્મ જોવાની છૂટ હતી. દક્ષિણામૂર્તિએ નવી વસ્તુ, વિચાર કે ચેતનાને આવકારવા હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખેલા.
  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વાળ વધારી ન શકતા. ફરજિયાતપણે તેમણે વાળ કપરાવવા જ પડતા. દક્ષિણામૂર્તિમાં આવી કોઈ પાબન્દી ન હતી તેથી લાંબા વાળવાળા વિદ્યાર્થીઓ પણ હતા.
  • દક્ષિણામૂર્તિમાં પ્રાર્થનામાં વિદ્યાર્થીએ જવું જ એવું ફરજિયાત ન હતું. તો પણ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પ્રાર્થનામાં જતા જ. પ્રાર્થનામાં તાલવાદ્યો સાથે ભજન-ધૂન થતાં ને પ્રાર્થનાને અંતે મજેદાર વાર્તા સાંભળવા મળતી.
  • વિનયમંદિરમાં સંગીતથી પિરીયડ બદલાય. ઘંટ વગાડવામાં ન આવતો. રવિવારને બદલે દર સોમવારે રજા રહે. દર રવિવારે સોંપાયેલા સ્વાધ્યાયો શિક્ષકને પરત કરવાના રહેતા. દરરોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી રમતગમત.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને ચિત્રકળા ગુજરાતના જ નહિ ભારતના ખ્યાતનામ ચિત્રકાર સોમાલાલ શાહ શીખવતા. ઈ. સ. ૧૯૩૫માં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને નૃત્ય શીખવવા વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકરજી પણ પધારેલા.

નાનાભાઈની પૂર્વ સંમતિથી હરભાઈએ વિનયમંદિરમાં જાતીય શિક્ષણનો પ્રયોગ કરેલો. આ માટે તેમણે કુમારી મંડળની રચના કરેલી એટલે કે ધો.૧૧ની મોટી બહેનો ધો.૮ની બહેનાના જાતીય જીવનને લગતા પ્રશ્નોની સમજણ આપતા. કેટલીક વખત માતાઓ પણ જાતીય શિક્ષણ આપવા આવતી. ને ક્યારેક ડૉક્ટરોની પણ હરભાઈ આ બાબતે મદદ લેતા. જાતીય શિક્ષણ આપવા માટેનો ‘કુમારી મંડળ’નો પ્રયોગ ખૂબ સફળ રહેલો. આ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓએ પણ હરભાઈ સમક્ષ કુમારમંડળ રચવાની દરખાસ્ત કરેલી. હરભાઈ સ્વયં જરૂર પડ્યે જાતીય શિક્ષણ આપતા, તેથી વિદ્યાર્થીઓ તેમને “મુંડાળી મા” કહેતા.

નાનાભાઈ નોંધે છે, “દક્ષિણામૂર્તિએ જ્યારે બાલમંદિરની શરૂઆત કરી ત્યારે અમે કેમ જાણે કેળવણીના ક્ષેત્રમાં હનુમાન કૂદકો માર્યો. આજ સુધી અમે અંગ્રેજી પહેલા ધોરણના અને તેથી ઉપરનાં ધોરણના વિદ્યાર્થીઓને તાલીમ આપતા હતા, પણ આ તાલીમ કાચા પાયા ઉપર ચણેલા ચણતર જેવી અમને લાગી એટલે ઠેઠ અઢી વરસની ઉંમરના બાળકથી કેળવણી શરૂ થવી જોઈએ એમ અમે વિચાર્યું અને બાળમંદિરની શરૂઆત કરી. આ જોઈને આદિવાસીઓના શિક્ષણ માટે ભેખધારી કવિહૃદયી શ્રી જુગતરામ દવેનું હૈયું ગાઈ ઉઠ્યું : 

બાલમંદિરિયું, બાલમંદિરિયું, અમારું સુંદર સોહાય

                                  વહાલું મારું બાલમંદિરિયું

ટેકરીને શિખરે મંદિર અમારું, દેરાની જાણે ધજાય

                                 વહાલું મારું બાલમંદિરિયું

સવારે સૂરજ સોનલાં રે વેરતા; સાંજે ગુલાલ ઢોળી જાય

                                   વહાલું મારું બાલમંદિરિયું

આ રીતે દક્ષિણામૂર્તિએ તબેલા જેવી ધૂળી નિશાળોમાં સબડતાં લાખો બાળકોની આહ સાંભળી અને ટેકરીના શિખરે બાલમંદિરની આલીશાન ઇમારત બાંધી સમસ્ત ગુજરાત માટે ભાવી બાલમંદિરોનાં મકાનનો આદર્શ પૂરો પાડ્યો.

દક્ષિણામૂર્તિએ આદર્શ પૂરો પાડયો. આ બધાના કેન્દ્રમાં હતા દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય શ્રી ગિજભાઈ અને સહકાર તથા તેમને હંફ હતી નાનાભાઈની એમના ગુજરાત વ્યાપી કામ ને કીર્તિનાં જ્યારે કોઈ વખાણ કરતું ત્યારે એ કહેતા: .”આ બધું દક્ષિણામૂર્તિ દેવની પ્રેરણાનું જ ફળ છે. હું તો નિમિત્તરૂપે મને સૂઝ છે તેમ કર્યો જાઉં છું. બાકી જશ આપવો હોય તો નાનાભાઈને જઈને આપો: એ જો સંસ્થાનાં દોરડાં ન ખેંચે તો આ મારો બાદશાહી ઠાઠ ક્યાંથી ચાલે.??” 

તો ગિજુભાઈના આ મૌલિક પ્રદાનને બિરદાવતા ગુજરાત નયી તાલીમ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા કેળવણીકાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પોતાના એક પ્રવચનમાં કહે છે, “ગિજુભાઈના આ પ્રદાનનું મૂલ્ય નાનું સરખું કે જેવું તેવું નથી. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના બાલમંદિરમાં વર્ષો સુધી કામ કરીને પ્રયોગો કરીને ગિજુભાઈએ આ સ્પષ્ટ, વિગતપૂર્ણ પદ્ધતિ ઊભી કરી હતી. ગુજરાતનાં સેંકડો બાલમંદિરો આજે એ પદ્ધતિને સહારે પોતાના ગજા પ્રમાણે બાલશિક્ષણ કરી રહ્યાં છે.”

(सन् 1922) દક્ષિણામૂર્તિ વિધાર્થીભવનનો મેગ્નાકાર્ટા (ખરડો)

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને કેળવણી વિષયક સિદ્ધાંતો બહાર પાડેલા અને :

નવા ટ્રસ્ટીમંડળે સ્વીકાર કરેલા તે અત્રે રજૂ કરેલ છે

1) સ્વાતંત્ર્ય, સ્વયંસ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીઓની જવાબદારી.

(2) વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ.

(3) માતૃભાષા દ્વારા જ શિક્ષણ.

(4) કેળવણીમાં ઔદ્યોગિક તાલીમને સ્થાન.

(5) શિક્ષા, ઈનામ, વગેરેનો સદંતર અભાવ.

(6) પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ.

(7) કલાના શિક્ષણને મહત્ત્વનું સ્થાન આપવું

(8) રમતો, પ્રવાસો, ચર્ચાસંઘો, નાટકો અને ઈતર વાચનને અભ્યાસ જેટલું જ મહત્ત્વ.

(9) હિન્દીનું શિક્ષણ ફરજિયાત.

(10) સંસ્થાને રાષ્ટ્રીય રાખવી એટલે કે સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી.

(11) સહશિક્ષણપ્રથા સ્વીકારવી.

(12) શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા દ્વારા શિક્ષણ આપવું.

(13) શિક્ષકો અને ગૃહપતિઓ વિદ્યાર્થીઓના નિકટ પરિચયમાં રહે તેવી યોજના કરવી.

(14) સંસ્થાએ પોતે રચેલાં પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો.

(15) માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર શિક્ષણની યોજના કરવી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.

ઈમોશનલ બર્થને જાળવી લે તેમનું પેરેન્ટીંગ પરમાત્માનું પેરેન્ટીંગછે.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

આપણે આપણા સંતાનોને ઘરના નાના નાના કામોમાં જોડતા શીખવાની જરૂર છે. આથી ઉલટું આપણે તો તેઓને કશું જાતે કરવા દેતા જ નથી. બીજા દેશની અંદર તમારાં  કામો તમારે તમારી રીતે કરવા પડે, તમારે ત્યાં પ્લમ્બર ન આવે, તમારે ત્યાં માળી ન આવે, પ્લમ્બર ને બોલાવો તો મહિનાનો પગાર તેને દેવો પડે, એટલો કોસ્ટલી હોય. તો શું કરવાનું? Do it yourself. D.I.Y. આવું લખેલો  મોટો-મોટો મોલ, મોલમાં જાઓ ત્યાં બધી જ વસ્તુ, લેતા જાઓ, કેમ કરવું તે વીડિયોમાં શીખતાં જાઓ, ઘરે જઈને ફિટિંગ કરી લેજો. પરિણામે,ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશની અંદર હાયર એજ્યુકેશનમાં કોઈ ભણવા જતું જ નથી સાહેબ, અને આપણે  બિનજરૂરી બધાને હાયર એજ્યુકેશનમાં ધબેડયા જ કરીએ છીએ. 

પણ ત્યાં કેમ નથી જતું? Skill is developed. કૌશલ્ય એવા વિકાસ પામે છે કે છોકરો દસમું, અગિયારમું પાસ કરે ત્યાં એને જોબ માટે કોઈ  હાયર કરી જ લે. નવી શિક્ષણનીતિ 2020 માં આ જોગવાઈ છે. કૌશલ્ય આધારિત શિક્ષણની, પણ એ કૌશલ્ય  સ્કૂલ કરાવશે તો નહિ થાય.  આપણે ઘરમાં કરાવવું પડશે. ઘરમાં કરાવવામાં આટલું જ કરવાનું છે, જ્યાં તમે જે કામ કરો, ત્યાં બાળકને  ભેગું થોડુંક કામ આપવાનું.  તમે ભજીયા બનાવવાનું  જેવું શરુ કરશે, એટલે સંતાન  આવીને કહેશે, મને ખાવા આપ. તો તરત જ તમે કહો કે, એક કામ કર, આ બટેટા છે ને એ તારા હાથમાં  જરાય ઇજા ન થાય એમ નાના-નાના સુધારી દે. ત્રણ સુધારી દે એટલે એક તને ખાવા આપું. તમને એમ થાય કે આતો મુશ્કેલ પડે, ભલે મુશ્કેલ પડે.  એને છરી વાગી જાય તો  વાગી જવા દો. એની મેળે વાગી જાય એવું થવા દો. એ પણ એક અનુભવ છે. એમાં તમારે રડવા જેવા થવાની  જરૂર નથી, ‘હાય, બિચારાને વાગ્યું…’  તમે પોપલાં બનશો તો સંતાન પણ પોપડું જ થશે. 

ઘણા મા-બાપ એવું કહે  કે,  સાહેબ આજની તારીખ સુધી અમે એને રડવા દીધું નથી. એ રડે ને તો કાં હું કે એના પપ્પા, દોડીએ  સાહેબ. છોકરાને તે રડવા દેવાય? હવે આવા માતા પિતાને  કેમ સમજાવાય? રડવું એ જન્મેલા બાળક માટે જરૂરી છે, તો જ એના ફેફસાં ડેવલપ થાય છે. નહીંતર ભવિષ્યમાં કોરોના આવશે ત્યારે પહેલો દા  એનો લેશે.  આપણી  એવી કેટલીક માન્યતાઓ છે, જે માન્યતાએ આપણને ખોટા માર્ગે વાળ્યાં છે. મારું  અને  તમારું બાળક હકીકતમાં ચાર વખત જન્મ લે છે. આ થિયરી જરા સમજવા જેવી છે. હું પણ ચાર વખત જન્મ્યો છું,  અને તમે પણ ચાર વખત જન્મ્યા છો. પહેલો જન્મ છે એ ‘સેલ’ માં થાય છે, ‘કોષ’ માં થાય છે, જેની મને ને તમને ખબર નથી હોતી, એવું આપણે કહીએ છીએ. પણ  જરાક  ઊંડા ઉતરીને, સ્વસ્થતાથી, પવિત્રતાથી તમારા જાતીય આવેગોને અમલમાં મુકતા તમે ઓબઝર્વ કરશો, તો તમને ખ્યાલ આવશે કે હવે મારે ત્યાં જન્મનારા બાળકનો સેલ્યુલર બર્થ થઇ રહ્યો છે.

ઈશ્વર અથવા અસ્તિત્વ દરેક વસ્તુનો હંમેશા સંકેત આપે છે. દરેક બાબતનો સંકેત આપે છે. ઓશો તો એવું કહે છે કે, જેમ જન્મતા પહેલા 9 મહિનાનો ગાળો છે. અને 9 મહિના પછી તમે જન્મો છો એમ મરતાં પહેલા પણ 9 મહિનાનો ગાળો હોય છે. જો તમે ઝીણવટથી નોંધ લો  તો તમને ખબર પડી જાય કે, હવે મારે વિથડ્રો થવાનો સમય આવી રહ્યો છે. અને બરાબર નવ – સવાનવ મહિને તમારું ડેથ થાય. ઓશોએ  પોતાના ઉપર આ પ્રયોગ કર્યો, અન્ય કેટલાયની વાતમાં સાચું પડ્યું. બસ, એમ જ તમને ખબર પડે કે my wife is going to conceive now. she is conceiving. એને ખબર પડે. ખબર પડે ત્યારથી તમારું વાતાવરણ બદલાવું જોઈએ. યાદ એ રાખવાનું છે કે એ સેલ્યુલર બર્થ છે. કોષ તરીકે બાળક જનમ્યું. પછી એનો વિકાસ થયો. પછી એ ફર્ટિલાઇઝડ એગ થયું. પછી પછી પછી  સેકન્ડ એ તમારો  ફિઝિકલ બર્થ. જયારે પ્રેગનન્સીનો પૂરો સમય થયો. અને ગાયનેકોલોજિસ્ટના હાથમાં બાળક જનમ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય. ત્રીજો જન્મ તે છે ઈમોશનલ બર્થ. શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય, સ્કૂલે જતું હોય, મિત્રોને મળતું હોય, સમ-વયસ્કો સાથે, પિયર્સ સાથે જયારે ટ્રાન્ઝેક્શન કરતું  હોય ત્યારે એના ઈમોશન ઘડાય છે. જરા વિચારીએ  કે આપણને ગાળો કોણ શીખવાડે છે? ગાળો બધાને થોડી વધુ આવડે તો છે જ. આ  ક્યા સિલેબસ માં આવી? તો શીખવી કોણે? ઘરમાં કોઈએ લેશન આપ્યું? – નથી આપ્યું. સ્કૂલમાં તો આપે જ નહિ. તો પછી કોણ શીખવે છે? જવાબ છે,  “ઈમોશનલ બર્થ”..  પણ એ જ ઈમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પણ પ્રવૃત થાય છે. મમ્મી સાથે ઝગડે છે, મમ્મી થોડોક લોટ આપ, શિરો બનાવ, ગલૂડિયાને આપવો  છે. ઘરમાંથી એક શણીયું લઇ જાય છે, એને ટાઢ લાગે છે, ઓઢાડી દે છે. – આ પણ ઈમોશનલ બર્થ છે . એ વખતે આપણે જો  કહીયે કે,  શું કુતરા પાછળ પડ્યો છે? ઘરભેગો થા. તો આપણે  એ ટાણે ટ્રેન ચુકી જઈએ છીએ.  છે.  એ ઈમોશનલ બર્થ આગળ વધે ત્યારે તમે કોઈના માટે ઉપયોગી  બની શકો. રાજકોટમાં એક અનુપમ  દોશી નામના માણસ છે. કોઈપણ ને કાંઈ તકલીફ હોય, વૃદ્ધાશ્રમ હોય, ગરીબ લોકો હોય, અનાથ હોય, અનાજ પહોંચાડવું હોય  તો અનુપમ દોશી  ને ફોન કરો એટલે તમારું કામ થઇ જાય. એમનો ઈમોશનલ બર્થ એટલો જોરદાર છે કે એને કોઈ પદ નથી જોઈતું, છતાં ઉપયોગી થવું જ છે, આ સોશિયલ બર્થ છે. 

આપણા  બાળક નો સેલ્યુલર બર્થ આપણ  હાથમાં છે. ફિઝિકલ બર્થ તો ઓલરેડી આપણા હાથમાં જ છે.  જો ઈશ્વરે  કેવું કર્યું કે મહેનત પતિ અને પત્નીની. અને  જન્મે બાળક કોઈના સહારે. કોઈનો હાથ આવે, ગાયનૅકોલૉજિસ્ટનો હાથ આવે, નર્સનો સપોર્ટ આવે. પહેલા જ પગલે થી ઈશ્વર કહેવા માંગે છે કે દોસ્ત, તારે આ દુનિયામાં જીવવું હોય ને તો અન્યના સહયોગથી જીવાશે. એકલા- એકલા નહિ જીવાય. ઈશ્વર સંકેત આપે છે, એ સંકેત ને ઉકેલવા કે સમજવા એ આપણી જવાબદારી. તો આ ચાર બર્થમાંથી આપણે જેને ન જાળવી શકીએ તેવો હોય તો એ છે  ઈમોશનલ બર્થ છે. સંતાન સ્કૂલમાં જાય, જે શીખવા જેવું ના હોય તે પણ સહજતાથી ભલે શીખે. એ હું અને તમે નહિ શીખવી શકીએ. જરૂર પડે ત્યારે કોઈ નો કાંઠલો પકડવો પડે, – એ પણ સ્કૂલ જ શીખવશે. ચિંતા ન કરવી. પણ જો રોજ કોઈક ના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરુ કરવી કે ભવિષ્યના ટેરેરિસ્ટના લિસ્ટ માં આવે એવી શરૂઆત થઇ છે આની. આ સમજી જવું. પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું. ઘણાં મા-બાપ અભિમાન કરે છે અને કહે છે કે,  “કોઈ સામે મળ્યો નથી કે બે જીકી દે, રાહ જ ન જોવે.”  ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે ત્યારે પોતાના સંતાનનું વર્ણન આવું કરે છે :  સાહેબ, બહુ જ જોરદાર છોકરો છે. એક વખત એણે  ટીચરને કહી દીધું કે, “ટીચર, તમને શું ભાન પડે?” બહુ જોરદાર છોકરો છે….. હવે આપણે એને  કહેવાય કે થોડોક સમય જાવા દે દોસ્ત, એ  તને ય કહી દેશે કે,  તમને શું ભાન પડે… બસ,આ ઈમોશનલ બર્થને આપણે  જાળવી લઇ શકીએ  તો આપણા  બાળકનું પેરેન્ટીંગ એ પરમાત્માનું પેરેન્ટીંગ છે. (સંપૂર્ણ)

સ્વામી સમર્થ રચિત ” શ્રી મનાંચે શ્લોક”

ગાગરમાં સાગર ભરીને અપાયેલ  સાર્થક જીવન બોધ !

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

મહા પ્રતાપી શ્રી શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાંચે શ્લોક’નું  મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્ર્લોકી કર્યું વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે એ.

બાર વર્ષોનું તપ હતું એમનું, કારણ કુલ ૨૦૫ શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકોના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતા ચાલ્યાં. કેટલાક તજજ્ઞો – સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રી મનના શ્ર્લોક.’ 

બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’ નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી…માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે : મારું ગમન સદા રામપંથે થાય !’

ચતુર્વાણી મા શારદાને નમન હો 

સદા રામપંથે મારું ગમન હો

મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ?

જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું,

અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’

મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ..બસ, એ જ અદાથી મન ને ઉદ્દેશીને કહે છે :

કદી સારી નીતિને ત્યાગો મનવા, હજો અંતરે સદ્દવિચારો મનવા.

હવે પાપસંકલ્પ  ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા.

વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં.

‘મનુષ્ય ‘ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે અને એ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શા થી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે.

કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી.

મના બધાંને તો અંગિકારો, તો દંભ મત્સરને મોટો થવા દો.

સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો.

મુખે સર્વદા નમ્ર વાણી રેજો, મના સર્વને શાંતિ સંદેશ દેજો.

નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદભુત પ્રતીતિ આ ‘શ્રી મનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે.

પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી !

ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું.

સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો.

પડે કષ્ટ તેને સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું !

મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન – સંવાદ કરી આપ્યો છે.

આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણાં રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને !. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે.

 

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ગ્રામસેતુ એપ્રિલ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

R Mankad all.3

આયકરની નોકરી છોડી શિક્ષણનો કર ઝાલનાર સમાંતર શિક્ષણ વ્યવસ્થાના શિક્ષક શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ન ચોર હાર્યું ન ચ રાહાર્ય  ન ભાતૃભાજ્યમ્ ન ચ ભારકરિ વ્યયે કૃતે વર્ધત એવ નિત્ય, વિદ્યા ધર્મ સર્વ ધનમ્ પ્રધાનમ્।

એ માતાશ્રીની રોજની પ્રાર્થનાના શિડ્યુલનો પહેલો શ્લોક! દિવસનું ફૉર્મલ ઍજ્યુકેશન પૂરું થાય પછી ઘરે ઇન્ફૉર્મલ ઍજ્યુકેશન શરૂ થાય. શ્લોકથી શરૂઆત અને એમાં પણ વિદ્યાનું જ પ્રાધાન્ય અને મહત્ત્વ! તેથી જ તો શિક્ષણ સાથે જાણે નાળસંબંધ બંધાયો. સૉર્સ ઑફ ઇન્સ્પિરેશન ઍન્ડ ઍન્કરેજમૅન્ટ એટલે માતા અને પિતા. એમનું આખું જગત સમાય ગયું એ વિભૂતિઓમાં. શ્રી હરખલાલ વસંતરાય માંકડ અને સૌ. બાળાબહેન માંકડ. સૌથી મોટા પુત્ર રમેશભાઈ માંકડ. સંસ્કાર પિંડ ઘડાયો ભારતીય સંસ્કૃતિના ભાતીગળ માહેલમાં. માતા તેર વર્ષે પરણેલા. માત્ર ત્રણ ગુજરાતી ભણેલાં. જીવન કથા-કીર્તન-ધાર્મિક ગ્રંથોનું વાચન કરવામાં વીત્યું. માંડ માંડ ઉકલે તેવા અક્ષરોમાં બાળાબહેને ગ્રંથોનો નિચોડ પણ લખેલો. સંતાનોને વહાલથી કહેતા જાય : જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચી જજો.’ પિતાશ્રી નૉનમૅટ્રિક. પણ એ સમયમાં નૉનમૅટ્રિક એક લાયકાત ગણાતી, કારણ કે તે સમયના નૉન-મૅટ્રિક આજના અનુસ્નાતકને પરસેવો પડાવે તેવા હોંશિયાર. પિતાશ્રીએ ગુજરાતી માધ્યમમાં ફોર્મ (આજનું આઠમું ધોરણ) શરૂ કરનારા દીકરા રમેશને આદેશ કર્યો : “From today onward you will speak with me in English for half an hour daily.’ ધીમે ધીમે સમય વધતો ગયો. સ્પેલિંગ-ઉચ્ચાર-રજૂઆત અંગે પિતાશ્રી સાથે રીતસર શાસ્ત્રાર્થ થતો ગયો.

બન્યું એવું કે રમૂજી પ્રકૃતિવાળા કાકા અમારા ઘરે આવેલા, રોકાયેલા. એમના ગયા બાદ પિતાજીને મેં કહ્યું : હીઝ કમ્પની ગેવ મી ગ્રેટ જૉય… પિતાજીએ મુદ્દો પકડ્યો. જોય’ શબ્દનો ઉપયોગ તો યોગ્ય કર્યું… પણ આપણે ક્યાંક બહાર ઘૂમતા હોઈએ ત્યારે ઊડતાં પંખીઓ (ફ્લાઇંગ બર્ડ્સ), વહેતી સરિતાઓ (ફ્લોઇંગ રિવર્સ), ડોલન કરતાં પુષ્પો (ડાન્સિંગ ફ્લાવર્સ) કે કોઈ અદ્ભુત શિલ્પ નિહાળવા મળે તો જોય’ શબ્દના સ્થાને કર્યો શબ્દ વાપરશો? એમણે જ જવાબ આપ્યો : “ડિલાઇટ” કે પ્લેઝર’ કે ‘જોય’ તો છે જ પણ તમે કુદરતી સૌંદર્યના મૂક ભાવે પ્રેક્ષક થાવ છો ત્યારે હૃદયના આનંદનું ઝરણું બહાર આવ્યું છે તે દર્શાવતો શબ્દ છે ‘રેપ્ચર’ (Rapture)… અને આનંદની માત્રા વધતી જાય તેમ શબ્દો બદલાતા જાય : રેપ્ચર’ પછી ‘એક્સટસી’ અને બ્લીસ’ મારી ઉંમર ન હતી આ બધું સમજી શકવાની, પણ ઉમેરાતું હતું બધું. પિતા વર્ણન કરી સમજાવતા. વિશાળ લલાટ હોય – લગભગ કાન સુધી અડે એવી લીંબુની ફાડ જેવી આંખો હોય – મુખારવિંદ પર તેજ હોય, નૂર હોય, આભા હોય

સમથિંગ લાઇક ઑરા હોય ત્યારે એવી પર્સનાલિટીને કહેવાય August Personality! બહુ મોટો થયો ત્યારે ઍપ્રોપ્રિએટ યુસેઝવાળી વાત શીખવી ન પડી કારણ પિતાજીએ નાની વયે બધું ઘોળી ઘોળીને પાયું હતું.’ રમેશભાઈ માંકડ પોતાનાં વનઆદર્શ એવાં મા-બાપ વિષે ભાવવિભોર થઈને બોલતા જ રહે છે.

જન્મ જામનગરમાં પણ શૈશવ ગાંધીભૂમિ પોરબંદરમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ વર્ષ રાજકોટ જેમાં એક વર્ષ દેવકુંવરબા સ્કૂલમાં અને મૅટ્રિક સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલ – આજની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં. શિક્ષકો ઇનોવેટિવ અને સ્ટુડિયસ. એ શિક્ષકો એમ માનતા કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની વાત તો પછી આવે, પહેલાં શિક્ષકોએ હૉમવર્ક કરવાનું હોય! પોતે બરાબર તમારું સજ્જ ન હોય તો તેઓ રજા પર રહેતા. અંગ્રેજના શિક્ષકે સમજાવેલું કે : કોઈપણ ટેન્સ (કાળ) પ૨ તમારે પ્રભુત્વ તો જ આવી શકે જો તમે તેના ઉપર અનેકાનેક વાક્યો લખેલ હોય, શિક્ષક પોતે બોર્ડ પર એટલું લખતા તે સાંજે ઘરે પહોંચે ત્યારે ઘરના સભ્યો તેમનાં મસ્તક ૫૨ જમા થયેલી ચૉકસ્ટીકની ભુક્કી જોઈને કહે કે, “તું કડિયાનો દીકરો છો કે શિક્ષક ?” બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી બી.એ., રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી એમ.એ. અને એ.એમ.પી. લૉ કૉલેજમાંથી કાયદા સ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રમેશભાઈ માંકડના જીવનમાં જબ્બર વળાંક લાવનાર ઘટના બની. ૧૯૫૭નો સમય. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં જુનિયર બી.એ.માં ભણે. સંસ્કારી-સરળ- મહેનત-શાંત-સૌમ્ય યુવાન ઉછેરમાં પરગજુપણું મળેલું. અચાનક જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ બહેનના પતિનું અકાળે અવસાન થયું. પતિ હતા પોસ્ટઑફિસમાં… નાની ઉંમરે વૈધવ્યનો ભોગ બનેલ બહેનને એક દીકરો. ભણે પણ ઠીક ઠીક સૌએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. જૂનાગઢના પોસ્ટમાસ્ટરે કહ્યું કે, બહેનનો દીકરો જો અંગ્રેજીમાં સરનામાં વાંચતાં શીખી જાય તો તેને મૅસેન્જર’ની જ્ગ્યા પર નોકરીએ રાખી દઈએ. બહેનનો આધાર ઊભો થાય. પણ આ ટૂંકા ગાળામાં સિદ્ધ કરવો પડે તેવો પડકાર ઉપાડે કોણ? રમેશ માંકડના કાને આ વાત આવી. તેણે બીડું ઝડપ્યું. કૉલેજ પહેલાં અને પછી, પેલા વિધવા માતાના દીકરા પાસે એમણે પલાંઠી વાળી. મા દીકરીના માથામાં તેલ નાખતી વખતે જેમ વહાલથી પાંથીએ પાંથીએ તેલ પૂરે, એટલા સ્નેહથી યુવાન રમેશ વિધવા માતાના આધારને અંગ્રેજી શીખવવા લાગ્યો. નિષ્કામ કર્મનો ગીતા ઉપદેશ ચિરિતાર્થ થયો. જુનિયર બી.એ.માં ભણતા છોકરાએ એક કુટુંબનો કાયમી આધાર બની રહેવામાં એક દીકરાને સફ્ળતા બક્ષી અને પોતાની જિંદગીના અધ્યાપન માર્ગનો અજાણતાં પાયો નાંખ્યો! આજે પંચોતેર વર્ષ તરફ સરકતા રમેશભાઈ માંકડ આ પ્રસંગ વર્ણવત ગળગળા થઈ જાય છે અને શાળા-કૉલેજની ઔપચારિકતામાં જે ન થઈ શકે તે કરી બતાવ્યાની ચમક આંખમાં છલકાય છે!

બસ, આ ઘટનાથી મનનો કોઈ અર્દશ્ય પ્રદેશમાં એક વાત ઘર કરી ગઈ કે, શાળા-કૉલેજમાં અપાતા ઔપચારિક શિક્ષણમાં જે કચાશ રહી જાય તેને દૂર કરવાનું કામ કરવા જેવું છે. પોતાના બન્ને ભાઈઓને વાત કરી. સારું એ હતું કે સૌથી નાના ભાઈ બિપીન માંકડનો ગણિત પર કાબૂ અને વચલા ભાઈ મધુભાઈ માંકડ સમાજવિજ્ઞાન ભણાવવામાં પ્રભાવક. જૂન ૧૯૫૮માં રાજકોટમાં સૌ પ્રથમ માંકડ ક્લાસીસનો જન્મ થયો. Alternative કે Parallel System of Educationનો પાયો નખાયો ગુજરાતમાં! ક્લાસીસ શરૂ કરતી વખતે માતાપિતાની નિશ્રામાં બેસી ત્રણેય માંકડ બંધુઓએ ક્લાસીસની આચારસંહિતા ઘડી. આજના કહેવાતા ટ્યૂશન ક્લાસીસવાળા માટે તો એ આચારસંહિતા દીવાદાંડી સમાન છે. (૧) ફીનું ધોરણ એટલું વધુ ન હોવું જોઈએ કે આ કાર્ય પાછળનો ઉમદા હેતુ માર્યો જાય. (૨) શિક્ષકનાં સંતાન પાસેથી ફી ન લેવી. (જેણે ભવ પાર ઉતાર્યાં અને ગંગા પાર ઉતારવાના નાણાં લેવાય ?’) (૩) એક શેરી તો એક કુટુંબ ગણાય, એટલે માંકડ કુટુંબની શેરીમાં રહેતાં કોઈ બાળકની ફી નહીં લેવાની. (૪) એક કુટુંબમાંથી એક વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતો હોય તો તેના ભાઈ-બહેનની ફી નહીં લેવાની. (૫) થોડી ફીમાં બધા જ વિષયો ભણાવવાના (૬) લેખિત નોટ નહીં આપવાની પણ વિદ્યાર્થીને લખતા કરવાના. (૭) ટ્રાફિકની ગીચતા નિવારવા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીએ વાહન લઈને નહીં આવવાનું! ૧૯૫૮થી ૧૯૭૦ સુધી માસિક રૂપિયા છમાં સાત વિષયો માંકડ ક્લાસીસમાં શીખવાયા. ગરીબ-નબળાંને મદદ મળે અને આપણને પેટ પૂરતી રોજગારી મળે તેટલા જ ઉદ્દેશથી ૧૬, પંચનાથ પ્લૉટ, રાજકોટ ખાતે ૧૯૫૮થી ૨૦૦૦ સુધી માંકડ ક્લાસીસ ચાલ્યા! ૨૦૦૦ની સાલ પછી નૈતિક મૂલ્યો બદલાયાં, શિક્ષકનું કતૃત્વ બદલાયું, અસ્વસ્થ અને બિનતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ શિક્ષણમાં, એટલે રમેશભાઈ માંકડે ગીતાવચન મુજબ ‘કાચબો જેમ અંગોને સંકોરે સા’ પોતાની જાતને withdraw કરી લીધી!

સળંગ બેતાલીસ વર્ષો નિજાનંદ માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થાના ધૂરંધર શિક્ષક બની રહેના૨ ૨મેશભાઈ માંકડ પાસે જે અંગ્રેજી શીખ્યા તે આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ખેરખાં સામે ટક્કર લે છે. તેઓ પાઠમાળા શીખવે ત્યારે વર્ગમાં શાંત ઝરણું વહેતું હોય એવું લાગે. To beનાં રૂપ શીખવવાની અને તેમાંય ત્રીજા પુરુષ એકવચનમાં થતા બદલાવની રમેશભાઈની લઢણ આજે ય ઘણા હૃદય ધબકારે અકબંધ છે. એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા પહેલાં અને દરમિયાન માંકડ બંધુઓ નબળાં અને ઓછાં આત્મવિશ્વાસવાળાં ગભરુ વિદ્યાર્થીઓનાં ઘરે જઈ બેસે ને જબરો માનસિક ટેકો કરે. રમેશભાઈ માંકડ કહે છે : બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં પ્રિ. ભરૂચાસાહેબ અને પ્રો. પ્રભુ દેસાઈએ જે શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરેલું તેની મારા પર પ્રગાઢ અસર છે. બહાઉદ્દીન કૉલેજનાં Particles of Airમાં જે ભારોભાર વિદ્યા” હતી. તેને મેં મારી કર્મસ્થળે સર્જવા પ્રયત્ન કર્યો છે.’ જો કે, રમેશભાઈ માંકડની વિશિષ્ટ શિક્ષન્નયાત્રામાં એક સમયે ધર્મસંકટ પણ ઊભું થયું હતું. હોંશિયારી તો ગળથૂથીમાં. રમેશભાઈ UDCમાં સફળ થયા, જોડાયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં. ૧૯૫૯થી ૧૯૬૫ કેન્દ્ર સરકારની નોકરી દરમ્યાન ખાતાકીય પરીક્ષામાં પાસ થયા. ડાયરેક્ટ રિફ્રૂટ એક્ઝામમાં પણ સફ્ળ થયા અને પ્રમોશન મળવાના હુકમો થયા. પોતે કુટુંબના મોટા દીકરા, પરિણીત અને એક દીકરાના પિતા. પ્રમોશનથી ઘરમાં ખુશીનો માહોલ. રમેશભાઈનું મન બીજા જ વિચારે ચડ્યું. માંકડ ક્લાસીસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીના શિક્ષણનું નક્કર કામ થતું હતું, ત્યાં ધસારો વધી રહ્યો હતો. આઇ.ટી. ઇન્સ્પેક્ટરનું પ્રમોશન સ્વીકાર્યા પછી ક્લાસનું કામ કરવું નૈતિક રીતે ખૂંચશે તેની ખાતરી હતી. ધર્મસંકટ વખતે અધ્યાપન-લગાવ જીત્યો. જૂનાગઢની બ્રાહ્મણ વિધવા બહેનનો દીકરો નજર સમક્ષ આવ્યો. પ્રમોશન તો ન સ્વીકાર્યું પણ નોકરી જ છોડી દીધી! રમેશભાઈ મૃદુતાથી સાચા શિક્ષકના હૃદયની વાત કરે છે : નોકરી છોડી તે જીવનનું મોટામાં મોટું જોખમ હતું, પણ મને કોઈ Invisible Divine Force જીવનને યુ-ટર્ન આપવા પ્રેરણા આપતો હતો. બેંતાલીસ વર્ષોની પળેપળ વિદ્યાર્થી વચ્ચે જ રહ્યો, અંગ્રેજીમય બન્યો અને બનાવ્યો, હજારો વિદ્યાર્થીઓ સાથે પ્રેમનો નાતો બંધાયો તે મારી અખૂટ મૂડી.’ એક શિક્ષકને બીજું જોઈએ ય શું?

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

આસપાસ ચોપાસ : (૦૪) | અખંડ આનંદ એપ્રિલ – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

           एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…

ઉત્તમ વિચાર ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે તેનો એક સ્વાનુભવ અહીં વહેંચવો છે. 

એક નાની પુસ્તિકા છે, તલગાજરડી આંખ. તેમાં સુવિચારોનો સંગ્રહ છે. વિશ્વમાં શ્રી રામચરિત માનસ ને ખૂણે ખૂણે પહોંચાડનાર શ્રી મોરારિબાપુએ અનેક કથાઓમાં સહજતાથી ઉચ્ચારેલા સુ વિચારો આ પુસ્તિકામાં છે. પોતાની અંત:યાત્રા માટે ‘નોકરી’ કરનાર શ્રી દિનુભાઈ ચુડાસમાએ તેનું સંપાદન કરેલ છે. તેમાં શુદ્ધ અને સાત્ત્વિક વિચારો છે. બાપુની નીજી શૈલીમાં સાવ સાદા સીધા શબ્દો અને સીધી ગળે ઉતરે તેવી જ વાતો… મોટી મોટી કોઈ ફિલસુફી નહીં. 

આ પુસ્તિકા બહુ બધી  શાળાઓ ચલાવનાર યુવાન સંચાલકના હાથમાં આવી અને તેમણે દિલથી વાંચી. સાહિત્ય પ્રીતિ ખરી એટલે તે યુવાન વાંચવાના અને વિચારવાના શોખીન. તેમને વિચાર આવ્યો કે, ચાલોને એક રસઐક્ય ધરાવતા મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવું ને તેમાં રોજ રાત્રે એક વિચાર આ પુસ્તિકામાંથી મુકું. સૌને અવગત કર્યા  કે આ કેવળ એડમીન દ્વારા જ ચાલનારું ગ્રુપ છે અને તેનો ઉદેશ્ય કેવળ આ પુસ્તિકામાંથી સાત્વિક વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો છે. વિચાર શુભ હતો એટલે આ સત્ત્વશીલ કાર્ય સરસ રીતે ચાલવા લાગ્યું .

થોડા દિવસો પછી મને વિચાર આવ્યો કે, અહીં ગ્રુપમાં જે મુકાય છે તેમાંથી  મને જે વિચાર સ્પર્શી જાય તે વિચાર લઈને હું મારા વોટ્સએપના સ્ટેટસ્ માં  મુકું. આમ મારું  સ્ટેટસ જોનાર ઘણા મિત્રો છે, એટલે સરસ વિચાર વ્યાપક રીતે ફેલાય. એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યાં એક સદ્દસ્ફોટ થયો. (જેમ વિસ્ફોટ થાય તેમ આ સદ્દસ્ફોટ એટલે સત નો ફેલાવો થાય તેવો ચમત્કાર) મેં મારા સ્ટેટસમાં એક દિવસ પ્રિય મોરારીબાપુએ કહેલ  જે  સુ વિચાર મુક્યો તે આ પ્રમાણે હતો : 

હું તમને એક સારામાં સારું શુકન કહું ? નવી ગાડી લો અને લઈને આવતા હો અને રસ્તામાં કોઈ ગરીબ ડોશીમા એનું પોટલું માથા પર મૂકીને તાપમાં નીકળી હોય તો એને એના ઘરે પહોંચાડી દો એના જેવું શુકન એકેય નહીં ….ધર્મના રહસ્યને આપણે આ રીતે સમજીએ.” 

હવે આ ઉત્તમ વિચાર યાત્રા કેવી આગળ ધપે છે તે જુઓ. પેલા ગ્રુપના એડમીન મિત્ર રોજ એક વિચાર મૂકીને છૂટી જાય. હું એમાંથી એક વિચાર મારાં સ્ટેટસમાં મૂકીને છૂટી જઉં. પણ  એમાંથી એક વિચાર કોઈકને સ્પર્શી ગયો. આ વિચારને  વાંચનાર હાલ સુરતના એક યુવાનને કેવી અસર થઈ તે જાણીશું તો વિચારનું અમૂલ્ય મૂલ્ય સ્વીકારવું પડશે. સુરતમાં સ્પાર્ક નામથી શિક્ષણ અને સાહિત્ય સેવા કરનાર શ્રી આદિત્ય ઝાલાએ મને (એ વિચારને ટેગ કરી) જે લખી મોકલ્યું તે વાંચીએ :   

શુકન તો ખરાં, એમાંથી તો ઋણાનુબંધ નીકળી આવવાનો મારો જાતઅનુભવ છે ! ભાવનગરમાં ધો. ૧૨માં અભ્યાસ વખતે નવું નવું બજાજ સ્પિરિટ લઈને હું બપોરે ટ્યૂશનથી પાછો ફરતો હતો. કાળુભા રોડ ઉપર એક વડીલ રિક્ષાની રાહ જોતા ઊભા હતા. નજીક જતાં એટલો ખ્યાલ આવ્યો કે આ વડીલ તો નવમા ધોરણની મારી એક વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક હતા. મેં એમને લિફ્ટ આપી અને એમને ઘરે મૂકી આવ્યો. એમણે મને અંદર આવવા કહ્યું પણ ‘ઘરે પહોંચતાં મોડું થવાથી સૌ ચિંતા કરશે’ એમ કહી એમના  દરવાજેથી જ હું પાછો ફર્યો અને એમનું નામ જાણી લીધું.

ઘરે જઈને સૌની ઉપસ્થિતિમાં આ વાત કરી. એ વડીલનું નામ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયા ! પપ્પા તો રાજીપાસભર બોલ્યા: ‘ઓહો,  તખ્તસિંહજી પરમાર?! એ તો અમારા તખુભા સાહેબ..જૂનાગઢમાં અમે એમની પાસે ગુજરાતી ભણ્યા છીએ.’ અને પછી તો પપ્પાએ એમની NSS અને NCCની યાદો પણ વાગોળી. સાંજે ડિરેક્ટરીમાંથી નંબર શોધીને પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને તે પછીના રવિવારે અમે એમની મુલાકાત પણ લીધી. એમને ત્યાં ફળિયામાં જ મારો  ભાઈબંધ કમ સહાધ્યાયી રાજદીપસિંહ મળી ગયો અને ત્યારે મને ખબર પડી કે, એ તો પરમાર સાહેબનો પૌત્ર થાય !  આ મારી શુકન-ઋણાનુબંધની કથા.. તમારી આ પોસ્ટે પણ તે દિવસ જેવું જ કર્યું- एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…”

છે હવે કશું બોલવાની જરૂર ?? છે હવે કાંઈ લખવાની આવશ્યકતા ?? ઉત્તમ વિચાર ક્યાંથી સ્ફુરે ને ક્યાં  ઝીલાય અને ક્યાં એ અનુભવમાં મુકાય અને તેની કેવી અનુભૂતિ હોય…તેની યાત્રા અલૌકિક બની રહે ત્યારે સુંદર વિચાર આવી જાય કે,  સારપને ફેલાય જવાની ટેવ હોય છે.” 

આપણે ઘણીવાર સોશિયલ મીડિયાને વખોડતા હોઈએ છીએ પણ મને તો એવા અનેક અનુભવો થયા છે કે સોશિયલ મીડીયાએ ઘણી સકારાત્મક અસરો કરી હોય. સોશિયલ મીડીયાએ ક્યારેક તો તબીબ ક્ષેત્રોમાં એવી  મદદ પણ કરી છે કે જેથી કોઈનો જીવ બચ્યો હોય!!. અહીં આપણે જે નાના વિચારની વ્યાપક અસરની  નાની અનુભૂતિ અંગે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, હા, એક વિચાર ગજબનાક અસર કરવાની ક્ષમતા ધરાવે છે.   

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.

ભદ્રાયુ વછરાજાની                                                        bhadrayu2@gmail.com

બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક  શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા  વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને  બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.

આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે.જો બાળક…. જીવશે તો બાળકશીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!

મહાત્મા ગાંધીએ  પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ...

મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.

ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.

એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.

આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’

જય સીયારામ…

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો....

ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો.
 
ધરમપુર તાલુકા નું અંતરિયાળ ગામ છે ખાંડા. અને આ આદિવાસી લોકોનો વિસ્તાર. આ લોકોને આદિતીર્થવાસી લોકો એવું નામાભિધાન કરવાનું પુણ્ય પૂજ્ય શ્રી મોરારીબાપુને મળ્યું છે. પોતાની નવ દિવસની રામકથા લઈને તેઓ આદિ તીર્થ વાસીઓની વચ્ચે બેઠા છે.
કથાના આયોજનમાં પણ પહેલે દિવસે જબાપુએ ટકોર કરી કે, “જે લોકો મને કાયમ સાંભળવા આવે છે, દૂર-દૂરથી આવે છે, પરદેશથી આવ્યા છે, એને મારી વિનંતી છે કે તેઓ પાછળના ભાગમાં બેસે અને અહીંના જે આદિવાસી વિસ્તારના લોકો છે એને મારી ખૂબ નજીક આવવા દે અને એને બેસવા દે. કારણ કે હું એમને મળવા આવ્યો છું. હું એમની વચ્ચે જઈને વાતો કરવા આવ્યો છું, હું એમના ખોયડે-ખોયડે જવાનો છું અને ત્યાં જઈને હું એમની વચ્ચે એમની વાત સાંભળવાનો છું, એમના ઘડેલા રોટલા ખાવાનો છું. મારે એ લોકોની સાથે ભળી જવું છે, જેથી કરીને એ લોકોને એવું લાગે નહીં કે કોઈ સનાતન ધર્મનો એક ભૂખ્યો એનાથી દૂર રહ્યો છે. હું આ મારા સૌ કુટુંબીજનોને, મારા પરિવારને ફરી એકવાર જોડવા માટે અહીં આવ્યો છું.” અને આનંદની વાત એ હતી કે બીજા જ દિવસથી આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી અને બાપુની સન્મુખ આ આદિ તીર્થવાસીઓ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે, દૂરનો વિસ્તાર છે, સખત ગરમીની આગાહી છે, હીટવેવ ની પણ આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે કદાચ કથામાં એટલા શ્રોતાઓ ઉપસ્થિત નહીં થાય, પણ બીજા જ દિવસથી કથાનો મંડપ છલો-છલ છલકે છે. બાપુએ કથા ન સાંભળો તો પણ ભોજનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે ખુલ્લું ઈજન આપ્યું છે. માત્ર ખાંડા નહિ, આજુબાજુનાં ગામના લોકોને કહ્યું છે કે, નવ દિવસ સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળુ તમારે અહીંયા કરવાનું છે. કોઈ ગામની અંદર ચૂલો પેટાવાની મનાઈ છે. બાપુએ પોતાના મનોરથ પ્રમાણે ખાલી ઈશારો કર્યો અને એના મનોરથી યજમાને સવાર-સાંજ શેરડીનો રસ પાઈને ઠંડક કરવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે જમતા પહેલા અને જમ્યા પછી તમે ભાવે તેટલો શેરડીનો રસ અહીં પી શકો છો. બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેના એક માત્ર ઇશારાથી એમના યજમાનો બાપુ શું કહેવા માંગે છે તે પારખી જાય છે, અને બાપુની ઈચ્છાથી સવાયું કરીને એ પાછું આપે છે.
ખાસ કરીને બાપુએ આયોજન એવું કર્યું છે કે, રોજ સાંજે તેઓ એક-એક ફળિયામાં જાય, અને એમ કરીને નવ દિવસમાં નવ ફળિયા આ ગામના જે મુખ્ય છે, ત્યાં જઈને રાત્રે રોટલો ખાય, જેથી કરીને એ લોકોને એમ લાગે કે બાપુ અમારા ઘર સુધી આવ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે બાપુએ અનેક વખત કથામાં કહ્યું છે કે, ‘તમારા ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી’, અને પાંચ વસ્તુઓ ગણાવતા તેઓ કહે છે કે, તમે બે- બે ની જોડમાં પાંચ વસ્તુઓ રાખજો, બે પાદુકા રાખજો, બે દીવા કરજો, બે માળા રાખજો, બે ગ્રંથ રાખજો, અને બે અક્ષરનું નામ ‘રામ’ તમારા ઘરમાં રાખજો.’ બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો. બાપુની આ વાત પહેલેથી પારખી ગયેલા આ કથાના વ્યવસ્થાપકો, ડો. પ્રજ્ઞાબેન કલાર્થી, અને પરેશભાઈ ફાફડાવાળા વગેરેએ નક્કી કર્યું કે, આ ગામના ઘરે-ઘરમાં આપણે ‘ભગવદગીતા’ અને ‘શ્રીરામચરિત માનસ’ પહોંચાડીએ. બાપુના આવતા પહેલા આ કામ પૂર્ણ થયું. આ વિસ્તારના લોકોની સજગતા જોવા જેવી છે, એમણે બાપુના આવ્યા પછી એ રામચરિત માનસમાં બાપુના હસ્તાક્ષર લેવા માટે લાઇન લગાડી. બાપુની પાસે રોજ લગભગ પચાસેક લોકો આવે અને ‘રામચરિત માનસ’ આપે કે “બાપુ આમાં આપના હસ્તાક્ષર કરી આપો”.
ગમે તેટલા મોટા ઉધામા કરીએ તો જે ન થઈ શકે એવું કામ બાપુ અત્યારના ખાંડામાં કરી રહ્યા છે. કથા જેમ જેમ આગળ વધતી ગઈ એમ બાપુને અહેસાસ થતો ગયો કે આદિવાસી વિસ્તારોમાં પહોંચવું હોય તો એક કથાથી કામ પાર નહીં પડે. બીજે જ દિવસે બાપુએ પોતાની કથામાં જાહેરમાં એવું કહ્યું કે, “અમે તમારા સુધી નથી પહોંચી શક્યા, અમે તમારી વાત નથી સમજી શક્યા એ બદલ ક્ષમા યાચના કરવાનું મને મન થાય છે. હું તો રવેચીની કથાથી ક્ષમા હું યાત્રાએ નીકળ્યો હોઉં એવું મને લાગે છે, એટલે રવેચી પછી આ મારું ક્ષમાયાચનાનું બીજું સોપાન છે. અને મારા મનમાં આવા સાત સોપાન કરવાનો મનોરથ છે. બાપુએ એમ કહ્યું કે નેવું ટકા ઈશ્વરનો સાથ રહેશે તો હું પ્રતિવર્ષ એક વખત કોઈ આદિતીર્થવાસી વિસ્તારની અંદર રામકથા લઈને આવીશ. બાપુએ એવું પણ કહ્યું કે, તમે મને સૂચન કરજો કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી?, એ વિસ્તારમાં ઊંડે જઈને પણ રામકથા કરવાનો મારો મનોરથ છે. ત્રણ દિવસમાં બાપુએ આ વાતને માત્ર કહી એટલું નહીં, એ વાતને ચાલતી કરી દીધી, એના ચક્રો ગતિમાન કરી દીધા, અને કથાના ત્રીજા દિવસે તો બાપુએ ઘોષણા કરી દીધી કે, “એક વર્ષની અંદર, આવતા ડિસેમ્બર સુધીમાં હું સોનગઢના આદિતીર્થવાસીઓની વચ્ચે કથા કરવા આવવાનો છું. “
આ આખી કથાનો રણકો એવો ઉભો થયો છે કે સનાતન ધર્મના જે મુખ્ય ધુરંધરો છે, એના સામે એક નવા સૂર્યના ઉદયનો પ્રસંગ જાણે આવ્યો છે. હવે ધર્મ પરિવર્તન કરવું એટલું સહેલું નહીં બને, કારણ કે ઘર-ઘરની અંદર વ્યાસપીઠ પહોંચી છે. ઘર-ઘરની અંદર કથા પહોંચી છે, અને આ આપણને બહારથી અબુધ લાગતા લોકો ખૂબ સમજવાળા છે, ઓછામાં ઓછું બોલે છે, તમે બોલો ત્યારે એની આંખોથી એ સાંભળે છે, તો એ આંખોથી સાંભળતા લોકો સુધી બાપુ બરાબર પહોંચ્યા છે. અને પ્રતિવર્ષ આદિતીર્થક્ષેત્રમાં જઈને તેઓ કથા કરવાના છે, એ બાપુનો વૈશ્વિક સ્પૃશ્યતા માટેનો યજ્ઞ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’.

ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. 

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં  જે કંઈપણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઈટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.  

જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર તેને જ અનુસરવાનું.  આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લઈ લેજે’,આમ કહેવું તે  અસ્થાને કહેવાય. બાળક બધુ  બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે , પાણી લઇ લેજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો- પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી. ઉભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે ત્રણ મિનિટ પછી એણે કીધું, પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય, અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી  શકે, ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે? અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે  બેય સાથે પીશું.’ જુઓ,  પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી,એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે? બેસને બાલ્કનીમાં.’  બાળક આ વાત પણ ઓબઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં  સાચું શું? 

એક નાનકડી એક ટીપ ,, આપણે  પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખએ  જરા. આ આપણે  તુંકારા ઉપર આવી ગયા  છીએ  ને, એમાં ક્યારે  તુંકારામાથી  ‘તારો બાપ ને મારો બાપ’ ઉપર  આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય  સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’   That means it is a tradition of the family . એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. આ જેના પપ્પા કહ્યા વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઇ ને ક્યાં જવાનો હોય એ  કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે,  પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં  સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.  

તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન  રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર  નીકળી ને ઝઘડવું, રેસકોર્સની પાળી એ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો , ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં , પછી પાછા હસતાં-રમતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે. 

ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું. Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જેને ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા,પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. બાર વર્ષની ઉમર સુધીનો જે ગાળો છે, એ હીરોવર્શીપનો ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે. અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી સાહેબ, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી,તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે આપણે  હજી બાકી છે. 

બીજી એક વાત , દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતાં-રમતાં ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું,અત્યારે એને કોલ્ડસ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે આ દીકરી અહિયાંતો હેરાન થવાની, ત્યાં જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની,. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે, ત્રણ સીટી વગાડજે હો,’ કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit formation.તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય. ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય, આ બધી પ્રકિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો . ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’  અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઉભા રહો , તમે જો જો દીકરો તરત કહેશે કે,  પપ્પા મને આપો ને , When you involve them, they are eager to work . જયારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે. ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’  આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ  ખોલતું નથી. તો શું કરવું જોઈએ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ  છે, એ એને એકવાર કરવા માટે આપો.કરતાં-કરતાં જે શીખાય એને  કેળવણી કહેવાય. (ક્રમશ:)

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

@ખાંડા, ધરમપુર. તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
 
ચૈત્ર નવરાત્રીની આજે શરૂઆત થઈ. આજે ગુડી પડવો પણ અને સનાતન ધર્મનું આજે નવું વર્ષ હતું. સવારથી એવી ઈચ્છા હતી કે આજની સવાર દિવ્ય હોય એવું કશુંક વિચારું. ત્યાં તો જાણવા મળ્યું કે, ધરમપુરથી ૧૫ કિમી દૂર ખાંડા ગામે ગઈકાલથી પ્રિય મોરારીબાપુ પધારી ચૂક્યા છે. તાત્કાલિક આપણા ચરણ ધરમપુર થી ખાંડા તરફ દોડ્યા. જ્યારે ખાંડા ગામમાં વનરાજીઓની વચ્ચે બાપુની એક કુટીયામાં પહોંચ્યો ત્યારે બાપુ એ ય ને નીજી આનંદથી હિંડોળે હિચકતા હતા, બાજુમાં યજ્ઞ કુંડ હતો, સુંદર મજાની ગાદી બિછાવેલી હતી અને ઉપર હનુમાનજીની હાજરી પૂરતી તસવીર હતી.
શ્રી ગુણવંત શાહ વારંવાર એમ કહે છે કે, ‘આભિજાત્ય ની બાબતમાં તો મોરારીબાપુને કોઈ ન પહોંચે’ ,, એ વાત મેં અનેક વખત અનુભવી છે અને આજે પણ અનુભવી. આપણને દરવાજામાં પ્રવેશતા જોઈને દૂરથી બાપુ એમ કહે કે, ખુરશી લઈ લ્યો અને ખુરશી પોતાની બાજુમાં મૂકી, આપણે હજી દાખલ થઈને પ્રણામ કરીએ એ પહેલાં તો, ‘બેસો બેસો’ એવો આવકારો આપે અને પૂછે, ‘બધું બરાબર છે ને દીકરો મજામાં છે ને ??’ આવા ખબર આજકાલ કોઈ પૂછતું નથી. કુટુંબમાં પણ નહીં ને ! (જો કે, કુટુંબમાં તો કોઈ એકબીજાને મળતું જ નથી તો પૂછે ક્યાંથી ??) બાપુની આ સુંદર મજાની પૃચ્છાથી ચૈત્ર નવરાત્રીનો પહેલા દિવસનો આરંભ ભર્યો ભર્યો થઈ ગયો.
શાંત ચિત્તે બાપુ પાસે બેસવાની ખૂબ મજા આવે છે. ઘણા લોકો બાપુને મળવા આવે ત્યારે ખૂબ વાતો કરતા હોય છે. પોતાની કેટલીક વાત બાપુની જાણમાં મૂકે અને એ બહાને બાપુને થોડું બોલતા કરે,, પણ કોણ જાણે કેમ, મને તો બાપુ પાસે જઉં ત્યારે મૌન રહેવું બહુ પસંદ પડે છે. મને તો એવો ભાવ થાય કે, આવડું મોટું રામચરિત માનસ આપણી સમક્ષ બેઠું હોય ત્યારે આપણે શું બોલીએ એની માત્ર કલ્પનાથી આપણે મૌન થઈ જઈએ. ખરેખર આજે ય એવું જ બન્યું.
એક પછી એક આદિવાસી બહેનો, ભાઈઓ, નાના બાળકો આવી રહ્યા હતા અને બાપુને પ્રણામ કરતા હતા. બાપુની બાજુમાં હંમેશા કોઈ એક સેવક હોય છે. (નોંધવા જેવું એ છે કે, બાપુ ની બાજુમાં કોઈ દિવસ એકનો એક સેવક હોતો નથી, સેવક બદલતા રહે છે છતાં બધાનો સેવ્ય ભાવ એક સરખો હોય છે…) એ સેવક રામનામી બાપુને આપતા જાય અને બાપુ બહેનોના હાથમાં રામનામી મુકતા જાય અને બાળક આવે એટલે ₹500 ની નોટ આપે. અને બાપુ બાળકના હાથમાં નોટ પકડાવીને તેનું નામ પૂછે ને કહે, આને ભણાવજો હો.. કોઈ વળી આવીને કહે કે, બાપુ મારું નામ અહીંયા લખવું છે’, તો બાપુ તાત્કાલિક એનો હાથ પકડી લીલી પેન લઈને નામ લખી આપે.
આજે વળી એક આશ્ચર્ય થાય તેવું બન્યું. એક આદિવાસી બહેન બાપુને માથું ટેકવી પગે લાગ્યા ને બાપુએ રામનામી આપી. ત્યાં તો એ આદિવાસી બહેને બાપુના હાથમાં ભૂંગળી વાળેલી બે નોટ મૂકી. નિલેશભાઈ એ બહેનને રોકે ત્યાં બાપુએ આંખથી કહી દીધું કે, એને ના ન પાડજો. નિલેશ ભાઈ તો બાપુનો ઈશારો તરત સમજી ગયા. બાપુએ સ્મિત સાથે બે નોટ લઈ લીધી અને નોટને સરખી કરીને પોતાની ગાદી નીચે દબાવી દીધી. એક છેવાડાના માણસની લાગણીને માન આપવા પોતાના નિયમને એક બાજુ રાખી દીધો. હું મનોમન બોલ્યો, ‘વાહ, બાપુ, તમે તો તમે જ છો હો..’
અને હા, બાપુએ વચ્ચે એક સેવક ચોકીદારને બોલાવીને કહ્યું કે, ‘જે આવે ને એને આવવા દેજો, એને કહેજો ચાલો મેળવી દઉં, બસ પછી તમે કશું નહીં કેજો. હું એમને મળી લઈશ પણ કોઈને ના નહીં પાડતા. હું આજથી અહીંયા સૌને મળવા આવ્યો છું. મારે એ લોકો સાથે વાતચીત કરવી છે….’ આ વાત જ્યારે સાંભળી ત્યારે બાજુમાં મૌન રીતે બેઠેલા મારા મનને એમ લાગ્યું કે આભિજાત્ય તો ક્યાં, બાપુની કરુણાની તોલે પણ કોઈ ન આવી શકે !!
બાપુ એટલા બધા સહજ છે કે ક્યારેય કોઈને આશીર્વાદ દેતા જોયા નથી, બાપુ ક્યારેય કોઈને ધબ્બો મારતા જોયા નથી, બસ, કોઈ આવે એટલે દૂરથી બાપુ હાથ જોડી નીચા ઝૂકી પોતે પ્રણામ કરે. મેં તો આજે એવું પણ અનુભવ્યું કે આદિવાસી બહેનો માથું ટેકવીને જ્યારે પગે લાગે ત્યારે બાપુ પોતાના પગ અંદર ખેંચી લે. કોઈ ચરણસ્પર્શ કરે તો એને ગમતું નથી. બાપુની બેઠક જ એવી રીતે હોય કે કોઈ એના ચરણસ્પર્શ ન કરી શકે.
આજના વિપથગામી સમયમાં જ્યારે કેટલાય લોકો પોતાના ચરણસ્પર્શ કરાવવા માટે તલ પાપડ હોય છે, ત્યારે એક વિશ્વખ્યાત વ્યક્તિત્વ પોતાના ચરણોને દૂર કરી લે છે એ જાણીને આપણા મનમાં સાનંદાશ્ચર્ય થાય , પણ બાપુની આ જ તો સહજતા છે અને તે બેનમૂન.
અર્ધો કલાક થયો ત્યાં બાપુની ચા આવી. બાપુની ચા બહુ અલગ છે. તમે બાપુની ચા જ્યારે પીવો ત્યારે કોઈ પણ ઋતુ હોય પણ એની અંદર અદ્રક કે સૂંઠ બરાબર નાખેલ હોય.. એ ભલે બે ઘૂંટડી પીએ, પણ એ બે ઘૂંટડીમાં તો આખા શરીરની અંદર ઉઘાડ ઉઘાડ થઈ જાય. સંતરામભાઈ ચા લઈને આવ્યા કે બાપુનો વિવેક બોલ્યો, ‘ સૌને આપો.’ #સનાતન_ધર્મનું કોઈ પીણું ઘોષિત કરવું હોય તો બાપુની સંતરામભાઈએ બનાવેલી ચા ઘોષિત કરવી જોઈએ, (એવો મારો મનોરથ છે.) બાપુ કાયમ ચાની સલ્લા કરે જ અને તેની મને પ્રતિક્ષા પણ હોય.
પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
ભદ્રાયુ વછરાજાની
@ખાંડા, ધરમપુર
તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા. 

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this… 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે. 

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે. 

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

એ કહેવું ન જ ગમે  પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ  અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!! 

આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે  ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે. 

કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી.  કારણ કે આપણને  જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા  નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે.  બહુ સ્પષ્ટ  માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા,  આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે. 

કોઈ કહે કે,  મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે  અઘરો દાખલો તમને સોંપ્યો છે.  શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને  એમણે ખાસ પસંદ કર્યા છે.  કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે.   કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ  મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે. 

વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે  જે એમકહે છે કે,  પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’  એનો અર્થ એવો છે કે, માતા પિતાને  ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે,  તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના  પેરેન્ટિંગના  પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ  તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ  થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં  આવે છે?’,  ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને  મજા આવી ખરી ? શાણો  મહેમાન હોય તો એને  ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા  ઘરનું. 

હવે  જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે,  બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે  બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું  એટલે શું?  જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’. 

એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે  પૂર્વ જન્મ, હવે  આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે  પૂર્વજન્મમાં  નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો  ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે  કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

હલચલ – મુંબઈ આવૃત્તિ – માર્ચ ૨૦૨૪

લેખક: ભદ્રાયુ વછરાજાની,  પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, ભાવનગર 

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

વિશ્વ વંદીય નરસિંહ મહેતા એ ગાયું છે : નામરૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોય !

અહીં હેમનો અર્થ સોનુ એવો થાય છે. અને એવો અર્થ અભિપ્રેત છે કે તમે સોનામાંથી જાતજાતના અને ભાતભાતના દાગીનાઓ બનાવો અને એ પ્રત્યેકને જુદું જુદું અલંકૃત નામ આપો પણ અંતે તો એ સોનુ છે. તમે એમ કહો કે મને સોનુ કાઢીને દાગીના આપો તો કશું મળે નહીં. 

આ પંક્તિઓ અત્યારે એટલે યાદ આવી છે કે મારે વિશ્વના એક એવાં વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેના નામમાં જ નહીં પણ જીવનમાં પણ  ‘હેમ’ શબ્દ મુખ્ય છે. એ વ્યક્તિ ખુબ નસીબદાર છે. ઈશ્વરના ચોતરફના આશિર્વાદોથી તરબતર થઈ જાય એટલી સભર છે અને એટલા માટે એમ કહેવાય કે ‘હેમ’ ઉપર  ‘રાજ’ કરી શકે, સુવર્ણ ઉપરથી  પણ ઉઠીને જે માણસ પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ સાથે ભેળવી દઈ શકે એનું નામ હેમરાજ શાહ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ભારત એવાં રાજ્ય કે દેશો નહીં પરંતુ સમગ્ર વિશ્વ જેમને હેમરાજ શાહના નામે ઓળખે છે એમને મળવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે. પણ કેટલાક માયાળુ માનવી એવાં હોય છે કે જેને ખુબ ઓછાં મળ્યા હોઈએ  છતાં એ તમારા દિલમાં જગ્યા બનાવી લે. હેમરાજભાઈના કિસ્સામાં મારા માટે આવું થયું છે, મને બરાબર યાદ છે કે મુંબઈનું  કોઈ થિયેટર હોય અને એમાં  ગુજરાતી જલસો કાર્યક્રમ હોય, કે વિદેશની ધરતી ઉપર ગુજરાતીઓનો કોઈ સુંદર મજાનો સમારંભ થયો હોય પણ બધાની સામે જે હોઠથી અને આંખથી સ્મિત સાથે હળતા મળતા હોય એવાં માણસ શોધો તો તે હેમરાજ શાહ નીકળે. આપણને એમ લાગે કે આ માણસને તો સુગંધી ગુલાબ, ચમેલી એવાં અનેક પુષ્પોનું વાવેતર કરવાની ટેવ છે. જ્યાં જાય છે, જયારે જાય છે, જેટલું જાય છે એ પોતાનું નામ વાવીને આવે છે. એવું પણ બન્યું છે કે હેમરાજ શાહને ઘણા લોકોએ સંકટ સમયની સાંકળ તરીકે પણ મદદ કરવા ટહેલ નાખી હોય અને હેમરાજભાઈએ એમાં પાછી પાની ન કરી હોય. મારે કોઈ યાદી નથી આપવી. આ બધી સ્ટેટિક બાબતો કહેવાય કે જે આપણને ગુગલ દેવતા પાસેથી મળી રહે. પણ મારે તો વાત કરવી છે એક સ્વચ્છ હૃદયના એક કરુણાસભર આંખવાળા અને જેમનો સમગ્ર ચહેરો ચોવીસેય કલાક સ્મિતમય હોય છે એવા હેમરાજભાઈ શાહ વિશેની. 

કચ્છને લઈને અમારું મળવાનું થયું પણ પછી એ કચ્છમાંથી ક્યારે સમગ્ર ગુજરાત સુધી અમે પહોંચ્યા અને ક્યારે વિશ્વના અનેક દેશો સુધી અમે મળતા રહ્યા એની યાદી  અત્યારે મારે યાદ કરવી પણ નથી. એક સરસ વાત છે : કોઈ પનિહારીએ પૂછ્યું કે તું તારા વાલમનું નામ કેટલી વાર લે છે ? દિવસમાં પાંચ વાર, દસ વાર, પંદર વાર ? તો પેલી પનિહારીએ સરસ જવાબ આપ્યો કે,  વાલમનું નામ લેવાનું હોય તો ગણવાની શું જરૂર ? વાલમનું નામ લેવાય એ જ ઘણું છે એની કાંઈ ગણતરી ન કરાય..એમ જ હેમરાજભાઈ શાહના સિદ્ધિદાયક કાર્યોની યાદી કરવાની શું જરૂર ? એ તો સ્થૂળ પરિચયમાં ખપી જાય. આપણે તો વાત કરવી છે સૂક્ષ્મજીવ માટે પણ સદા ચિંતા સેવનારા હેમરાજ શાહની. 

મારી સાથે એના બે ત્રણ કિસ્સાઓ છે એમાંથી એક સુંદર મજાનો કિસ્સો હું વર્ણવું. કચ્છની ધરતી માટે જેમણે કોઈ ખાસ પ્રદાન કર્યું છે, એમને એ પોતે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપે. કોણ જાણે શું થયું હશે ? કે ૨૦૧૭ ની સાલમાં એમણે મારું નામ એ એવોર્ડ માટે નક્કી કર્યું. મને ખબર હતી કે આ બધું નક્કી કરવાનું હેમરાજભાઈ શાહના હાથમાં છે. એટલે જયારે મને ઇમેઇલ આવ્યો કારણકે એ વખતે હું ઓટ્રેલિયા હતો અને ઈમેલ ઉપર એમ કહેવામાં આવ્યું કે કે તમને આ એવોર્ડ મળે છે અને એ એવોર્ડ લેવા માટે મુંબઈ આવવાનું છે. એ વખતના શિવસેનાના મોભીઓ દ્વારા એ એવોર્ડ અપાવાનો હતો. કચ્છ શક્તિ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. હેમરાજભાઈ એટલા બધા કુણા દિલના કે એમને ફોન કરીને મારે જે કહેવું હતું તે કહી શકાય કે નહીં એવું મેં ત્રણ ચાર દિવસ સુધી વિચાર્યું અને અંતે થોડી ઘણી હિંમત એકઠી  કરીને મેં હેમરાજભાઈને ઇમેઇલ લખ્યો. પરદેશથી ફોન કરવો મને થોડો મોંઘો પડે એટલે મેં નિઃશુલ્ક સેવા ઈમેઈલની વાટ પકડી. મેં વર્ણન કર્યું કે હું ખુબ આનંદ અનુભવું છું કે તમે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે, પણ સાચું કહો તો કચ્છ માટે મારું એવું કોઈ પ્રદાન નથી. હું અદાણી ફાઉન્ડેશનમાં એડવાઈઝર હતો એ નાતે મેં કચ્છમાં ઘણું બધું પ્રદાન કર્યું છે પણ એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે એટલે ખરેખર આ કચ્છ શક્તિ એવોર્ડનો હું હકદાર નથી અને બીજું હેમરાજભાઈ, મેં જીવનમાં એક વખત સન્માન પ્રાપ્ત કર્યું છે એ પણ બેસ્ટ રિસર્ચ પેપર માટે મને ‘પૂજ્ય શ્રી મોટા’ના નામથી સન્માન મળ્યું તે. પૂજ્ય શ્રી મોટાના નામથી મળેલા એ સન્માન પછી હું એટલો બધો ધરાઈ ગયો કે મને એમ થયું કે આમાં નોબલ પારિતોષિક પણ સમાઈ ગયું છે. એટલે ત્યાર પછી કોઈ પણ પ્રકારના સન્માન કે એવોર્ડ ન સ્વીકારવાનો મેં નાનકડો સંકલ્પ કર્યો છે. આમાં મારી કોઈ મોટાઈ નથી પણ અંગત રીતે હું એમ માનુ છું કે મારા જેવા માણસે જે કંઈ કર્યું છે એ ફરજના ભાગરૂપે કર્યું છે અને બદલામાં એને સરકાર દ્વારા પગાર મળ્યો છે. પગાર મળે એણે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરવું પડે, કરવું જ જોઈએ. પગાર એનો તો મળે છે એટલે આપણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવો ક્યારેય અહમ ન રાખવો. હું તો ત્યાં સુધી માનુ છું કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે હોમવર્ક આપીને મોકલ્યા છે કે આ હોમવર્ક તારે નીચે જઈને પૂરું કરવાનું છે. એ હોમવર્કમાં કંઈ કાચું રહી જાય ત્યાં સુધી ઈશ્વર આપણને ઉપર ન લઈ જાય. અને જો કાચું રાખીને લઈ જાય તો મારો વ્હાલો ઈશ્વર નારાજ થઈ જાય,  એટલે હું આપની લાગણીને માથા ઉપર ચડાવીને આપે નક્કી કરેલા એવોર્ડને ન સ્વીકારનો નિર્ણય આપને જાણ કરું છું. હું ઓસ્ટ્રેલિયા હતો પણ થોડા જ સમયમાં મારો ફોન નંબર મેળવીને હેમરાજભાઈનો મીઠો ફોન આવ્યો. અને એમણે કહ્યું કે હું તમારો ઇમેઇલ વાંચીને બહુ જ પ્રસન્ન થયો પણ મારી તમને વિનંતી છે કે તમે આ એવોર્ડ સ્વીકારો પછી કોઈ ન લ્યો તો ચાલશે. પણ મેં કીધું કે હું માનુ છું કે હેમરાજભાઈ એટલા મોટા દિલના છે કે મારા સંકલ્પને પણ ઠેસ પહોંચાડવાનું પસંદ નહીં કરે. એમણે અંતે કહ્યું કે હું તમારા સંકલ્પનો આદર કરું છું અને તમને એક નાનકડી વિનંતી કરું છું કે અમારી આ એવોર્ડ વખતે પ્રસિદ્ધ થનારી એક સુંદર મજાની પુસ્તકમાં તમે જે મને ઇમેઇલમાં લખ્યું છે તે મને લખી મોકલો. મારા આશ્ચર્ય વચ્ચે એ પુસ્તક મારી પાસે આવ્યું ત્યારે તેના છેલ્લા પૃષ્ઠ ઉપર મારા ફોટોગ્રાફ સાથે નીચે એવું લખેલું હતું કે, હું આદર સાથે કચ્છ શક્તિ એવોર્ડ ન સ્વીકારવાનું નક્કી કરું છું,  કારણકે હું માનુ છું કે મેં જે કંઈ કર્યું છે એ તો ઈશ્વરે સોંપેલા હોમવર્ક પુરા કરવાનું કામ કર્યું છે. 

આ એક જ પ્રસંગ એવો હતો કે જયારે હું અને હેમરાજભાઈ એકબીજા સાથે  આવી રીતે ઈન્ટરેક્શનમાં આવ્યા અને એકબીજા સાથે સંવાદ કર્યો. અનેક વખત અનેક સેવાના કાર્યોમાં હેમરાજભાઈની સાથે એમના હાથ નીચે કામ કરવાની નાની મોટી  તક મળી ત્યારે એમનો મૃદ સ્વભાવ, એમનું કરુણામય જીવન અને  સૌને પોતાનાં કરી લે તેવો  દિવ્ય પ્રભાવનો અનુભવ મેં હંમેશ કર્યો છે.

હેમરાજભાઈ ૮૨ વર્ષ પુરા કરે છે અને ૮૩ માં પ્રવેશ કરે છે. ત્યારે  બહુ સુંદર વિચાર  છે કે ૮૨ વ્યક્તિઓ પાસે હેમરાજભાઈ વિશે નાનામોટા લેખ લખાવવા  અને તેના ગ્રંથનું વિમોચન થશે. હું આ ગ્રંથમાં મારા થોડા શબ્દોનું અર્ધ્ય તેઓના જીવન વિશે અર્પણ કરી શક્યો છું એ મારા માટે ભાગ્યની વાત  છે. 

છેલ્લી વાત એ કહું કે પૃથ્વી ઉપર વિપથગામી પરિબળો ધીમે ધીમે કબ્જો કરતાં જાય છે. મને અને તમને ખ્યાલ છે કે શાંતિ, અહિંસા, ભાઈચારો, સૌહાર્દ આ બધા શબ્દો હવે પાતાળ તરફ ધકેલાતા જાય છે. એને લઈને પૃથ્વી વધુને વધુ જોખમમાં આવી રહી છે. આમ પણ ભૂગોળ એમ કહે છે કે પૃથ્વી તો ત્રાસી ઊભી છે પણ એને સીધી કરવાનું કામ એક ધરી કરે છે. હું તો હેમરાજ શાહને પૃથ્વીને ટેકો કરનાર પેલી સીધી ધરીના રૂપથી નવાજું છું અને પ્રાર્થના કરું છું કે હેમરાજભાઈ ઘણું જીવો..હેમરાજભાઈને ઈશ્વર અપાર શક્તિ, બળ અને લક્ષ્મી આપે કે જે તેઓ અન્યના લાભાર્થે અનેક ક્ષેત્રોમાં તેનો સુંદર મજાનો દિવ્ય ઉપર્યોગ થાય તેવી ઈશ્વર તેમણે ક્ષમતા બક્ષે એવી મારી પ્રાર્થના. હેમરાજભાઈએ ૮૨ વર્ષ પુરા કર્યા છે ત્યારે નજદીક હોય તો તેઓને ૮૨ પ્રણામ કરવાની ઈચ્છા મને છે. દૂર હશે તો પણ હું માનસી સેવાની જેમ માનસ પૂજાની જેમ હું તેમને ૮૨ સ્મરણ વંદન કરું છું. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

ગ્રામસેતુ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

Dinkar 3

કમ્મરના મણકાની વેદના શબ્દો દ્વારા કાગળ પર ઊતરતી ચાલી!

ચૌદ વર્ષની ઉંમરે એક કિશોરને કમ્મરના મણકાની વિચિત્ર બીમારી ઘેરી વળે છે. તેનાં બેથી અઢી વર્ષ પથારીમાં જ વીતે છે. પથારીમાં પડ્યો પડ્યો તરુણ કંટાળે જ ને? ખાસ વાંચનનો શોખ નહીં, પણ કંટાળીને પડ્યાં પડ્યાં વાંચવાનું શરૂ કરે છે અને તેને વાંચનનો ચસકો લાગે છે! ઘરમાં ત્યારે બીજાં તો પુસ્તકો ન હતાં. એક જૂનું રામાયણ મળી આવ્યું તેમાંથી જટાયુવધ જેવા પ્રસંગ ચિત્રો ગમ્યાં. નાનાભાઈ ભટ્ટનાં મહાભારતનાં પાત્રો’ તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રસંગો’ વાંચી નાખ્યો. મણકાના દુખાવાને કારણે નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો તરુણ વાંચનનો રસિયો બને પછી તે જીવનભર વાચન-લેખન સિવાય કરે ય શું? બન્યું પણ એવું જ. દિનકર જોષી જેનું નામ આજે આઠમા દસકે સાહિત્યસર્જનની ઉપનિષદયાત્રામાં જ જીવન વિતાવે છે.

પછી તો હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લાવવાનો ક્રમ થયો. કનૈયાલાલ મુનશી, ૨. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી પૂરા વાંચ્યા. સોળ વર્ષની ઉંમરે એક વાર્તા લખી : ગત આ અકસ્માતનું.’ ચાંદની વાર્તા માસિકમાં છાપવા મોકલી. છપાઈ તો નહીં, પણ પાછી ન આવી. દિનકરને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાંનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે છાપું હતું જનસત્તા. એક જ ગ્રુપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી ‘ચાંદની’માં ને છપાઈ જનસત્તા’માં! પણ પછી જ્યારે નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએ ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોશીને શેર લોહી ચડેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. આમ તો ૧૯૫૦ થી લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે છોત્તેર વર્ષના થયેલા દિનકર જોશી છેલ્લાં ત્રેસઠ વર્ષોથી લખે છે! સૂર્ય સમાન ઝળહળતા શબ્દોની આ ઉપાસના નહીં તો બીજું શું?

નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક, સંપાદક, કવિતાના આસ્વાદકાર તરીકે જેમનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે એવા કલમનરેશ દિનકર જોશીનું સર્જન હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તામિલ જેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. સવાસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયું છે તેમાંથી પચાસ પુસ્તકો તો અન્ય ભાષાઓમાં છપાઈને દેશભરનાં વાંચકો સુધી પહોંચ્યાં છે.

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ દિનકર જોશીનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં ક્રુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયૉર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”, શ્યામ બેનેગલની ફિલ્મ મેકિંગ ઑફ મહાત્મા’ની સાથે જ પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતિરત થયેલું નાટક માત્મા વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકર્મા શ્રી દિનકર જોશી પણ એક હતા.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી કોઈપણ એક લેખકને એના જીવનકાળ દરમિયાન મહત્તમ પાંચ વખત પુરસ્કૃત કરી શકે તેવો નિયમ છે. દિનકર જોશી પાંચ વાર પુરસ્કૃત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર સન્માનિત આ સર્જકને “મેડમ બ્લેનેટેસ્કી પારિતોષિક’, સંસ્કાર ઍવૉર્ડ, ગિરનાર ઍવૉર્ડ પણ મળેલ છે. ૨૦૦૪માં દિનકર જોશીની લેખન કારકિર્દી નિમિત્તે મુંબઈની કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દિનકર જોશીના ૧૧ ગ્રંથો એકી સાથે જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા. સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે સ્વીકારીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન આપવામાં આવ્યું. તેમના બહુ ચર્ચિત પ્રકાશનો પડછાયો’ પરથી તૈયાર થયેલ અંગ્રેજી નાટક “મહાત્મા વર્સેસ ગાંધી’નું નાટ્યું દિગ્દર્શન ફિરોઝખાને કર્યું. આ નાટક તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનમાં ભજવાયું, તો આ નાટક્ના શૉ યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના શહેરોમાં પણ થયા. દિનકર જોશીની નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી શ્રીકૃષ્ણ હવે નથી’ એવું જાણતાંવેંત વસુદેવ, દેવકી, દ્રૌપદી, રુક્મિણી, સત્યભામા, અક્રુર, ઉદ્ધવ અને રાધાના અંતરમાંથી કેવો ચિત્કાર સરી પડ્યો હશે એ કલ્પનાને દિનકર જોશી શ્યામ એકવાર આવોને આંગણે’માં શબ્દદેહ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળીમાં અનુવાદિત આ ગ્રંથ ત્રણ સામયિકોમાં જુદી જુદી ભાષાઓમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય એ ગુજરાતી સર્જનનું ગૌરવ પૃષ્ઠ ગણાય! ગુજરાત, હૈદ્રાબાદ, મુંબઈ, ભોપાલમાં આ ધારાવાહિકરૂપે અનૂદિત થઈ.

દિનકર જોશીએ જીવનભર શું લખ્યું જ છે? અન્ય કંઈ ખરું કે નહીં?” આ પ્રશ્ન વજુદવાળો છે. ભાવનગરમાં ભડી ભંડારિયા નજીકનું નાનું ગામ નાગણિબા. ત્યાંના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં ચાર સંતાનોમાં એક તે દિનકર. મેટ્રિકમાં ૭૮% આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી લઈ શામળદાસ કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના માંડ કાઢ્યા. આર્થિક સ્થિતિ કથળી એટલે ભણવાનું પડતું મૂકી કલેક્ટર ઑફિસમાં સિત્તેર રૂપિયા પગારની નોકરી કરી. પછી વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર થયા, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં કલર્ક થયા. પણ ત્યારબાદ તો દેના બૅન્કમાં સળંગ સાડત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલ્કે સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયો. હાલ પણ ઘરથી નજીક કાંદિવલીમાં જ એક નાનું લેખનઘર વસાવ્યું છે, તેમાં નીચી ખુરશી પર આરામથી બેઠા બેઠા બોલે છે, બાજુમાં બેસી દીકરી લખતી જાય છે. કમ્મરના મણકા હજુ વેદના આપે છે. ગળામાં અને કમ્મરમાં પટ્ટો, બેસતી વખતી ખાસ ગાદી… છતાં દિનકરભાઈ પ્રસન્ન અને પ્રફુલ્લિત… સવારે વહેલા જમીને બાપ-દીકરી આવે તે સાંજે મોડેથી જમવા ટાણે લેખનઘરેથી સ્વગૃહે પ્રયાણ કરે. હાલ કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટીની કેટલીય શિક્ષણ સંસ્થાના વડીલ તરીકે માર્ગદર્શન આપે છે. એક માતબર કામ હાથ પર છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુદિત કરાવીને, સંબંધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશથી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સ્થાપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં આ પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અભિનવ કામગીરી કરી દિનકરભાઈ જોશીએ વીસ ગ્રંથો પ્રકાશિત કર્યા છે! ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, પૂર્વેની મહાભારતની સંશોધિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ કરી તેના પંદર ગ્રંથો તેઓએ પ્રગટ કર્યા છે! દિનકર જોશી જેમ જેમ વધારે લખતા જાય છે તેમ તેમ વધારે ખીલતા જાય છે. લખતાં લખતાં તાજા રહેવાનું તેમને ફાવી ગયું છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જનકલ્યાણ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  એક પ્રખર  અધ્યાપકનો  જવાબ… 

આ અહીં પહોચ્યાં પછી આટલું સમજાય છે,

કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે !

જીવ અને શિવનો આટલો ઊંડો મર્મ ટૂંકમાં કહી દેનાર કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ તેમનાં જીવનની વાતો માંડતા હોય તો  સાંભળવી કોને  ન ગમે ??

“ઘણીવાર કોઈ  મિત્રો મને પૂછે કે, તમે તમારા સમકાલીન કવિઓ કરતાં જુદા કેમ છો?, તો હું કહું એમને, કે 20 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો ભણવા માટે, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય. ત્યાં સુધી સૌરાષ્ટ્રનાં સંસ્કાર, તો હું બોલ્યો એટલે બોલ્યો. એટલે  ‘હા’ તો ‘હા’ અને ‘ના’ તો ‘ના’ એમ જ હોય. એની બદલે ‘હા’ હોય અને છેક સુધી ‘ના’ હોય, એવું બને એવો પહેલો-વહેલો અનુભવ થયો, એ આઘાતજનક હતું. બીજો અનુભવ એ હતો કે, બપોરે આટલા બધા લોકો બહાર હોય એ પણ મારાં માટે નવો અનુભવ હતો. તો હું  જુદો  છું એનું કારણ એ કે, આ ઉંમરે મને જગત, જાત અને  જગતનો જાત સાથેનો સંબંધ, આ બધું પૂરેપૂરું સમજાતું નોહતું એ સમયે મને એ.જી.ભટ્ટસાહેબ (અનુપરામ ગણપતરામ ભટ્ટ)  જેવા માણસ પાસે ભગવતગીતા ભણવા મળ્યું..!!  એ ભગવતગીતા ભણાવે એવા પૂર્ણ શિક્ષક  જોયા નથી. એ ભગવતગીતા ભણાવે, પહેલેથી જ ત્રણ ને બદલે ચાર પિરિયડ અઠવાડિયાનાં ગોઠવે, ટ્યુટોરિયલ એમાં ઉમેરી દે, અને એક-એક શ્લોક ભણાવે. એ જ વખતે ઝેવિયર્સ  વગેરેમાં સિલેક્ટેડ એંસી  શ્લોકો ભણાવતાં હતાં અને અમારા કરતાં એમના માર્ક વધારે આવતાં હતા. પણ જીવનમાં અમને જે લાભ મળ્યો એ કદાચ એમને મળ્યો હશે કે કેમ ? એ પ્રશ્ન છે. 

…તો ભગવતગીતા ભણાવે, તેમનો મોટી સાઈઝનો ગ્રંથ, સાહેબ આવે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરુ થાય. એ જે બોલે એ જો લખી લેવામાં આવે તો સીધું પ્રિન્ટમાં જઈ શકે એમ હોય. વચ્ચે દોઢ મહિનાનો ગેપ ગયો હોય, તો પણ છેલ્લા પિરિયડનું છેલ્લું વાક્ય અને પછીના પિરિયડનું પહેલું વાક્ય એનું અનુસંધાન હોય !!!. આટલું પરફેકશન ! બીજો ચમત્કારિક અનુભવ એ થાય, એ જે બોલે એને તેઓ અક્ષરસઃ અનુસરતા હોય એકાગ્રતાથી. જે દુર્લભ છે એ  અમને સુલાભ્ સદ્ભાગ્ય હતું. તો એવો અનુભવ થાય કે જે ક્ષણે તમને કંઈક ન સમજાય કે તમે અટકો કે બીજા વાક્યમાં એનું સમાધાન હોય.. એને ખબર હોય કે મારો વિદ્યાર્થી ક્યાં અટકશે.?? ક્યારેય પૂછવું ન પડે. પછીના વાક્યમાં એનું સમાધાન હોય જ. એ આ શિક્ષકની પૂર્ણતા. અને બીજો એક એકદમ ચમત્કારિક લાગે એવો અનુભવ એમની ઉમર હતી.  એ રાયપુરથી બસમાં આવે, શરીરમાં વ્યાધિઓ તો ક્યારેક એ મોડા પડે પણ એમનો પ્રભાવ એવો હતો કે એમની રાહ જોવે સૌ, કોઈપણ વિદ્યાર્થી ક્લાસની બહાર લોબીમાં પણ જાય નહિ. પોતાની જગ્યાએ જ બેઠા હોય. 

એ લોબીમાંથી આવતાં દેખાય, ધીમે-ધીમે આવતાં હોય, મોઢું વિક્ષિપ્ત  હોય, મ્લાન  હોય એટલે આપણને ખબર પડે કે એમને શરીરમાં પીડા છે. આવે, બેસે, ગ્રંથ ખોલે, ભણાવવાનું શરુ થાય, પાંચમી મિનિટ પછી એમનો ચહેરો દૈદિપ્યમાન હોય. બેલ પડે, ગ્રંથ પૂરો થાય, પાછી પેલી વિક્ષિપ્તતા અને મ્લાનતા આવી જાય, પીડાની સભાનતા આવી જાય, પણ ભણાવે ત્યારે દેહ ભાન ના હોય. આ  તો એકદમ અદ્વિતીય અનુભવ… આ પૂર્ણ શિક્ષક. એક વાર કોઈ  વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘સાહેબ આમાં ઈમ્પોર્ટન્ટ શું?’, તો ખભ્ભે હાથ મૂકીને કહે, ‘બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  આવો જવાબ… તો આ બધા જે લાભો મળ્યા, એને કારણે એક વ્યક્તિત્વ એવું ઘડાયું કે જયારે બહુ જ જરૂર હતી, કાંઈ સમજાતું નોહ્તું, ત્યારે ભગવતગીતા તેમણે ભણાવી. અને એ માણસે ભગવતગીતા ભણાવી કે, જે ભગવતગીતાને જીવનમાં ઉતારવાનાં સતત પ્રયત્ન કરતો હોય, એ માણસ… એટલે એના શબ્દોમાં જે ચાર્જિંગ હોય, જે ઉર્જા હોય, એ જો તમે રિસેપ્ટિવ હોવ, ગ્રહણશીલ હોવ, તો તમારામાં એ પુરેપુરી આવે. તમે આવવા દો તો આવે, બધાને એનો લાભ મળતો હશે કે કેમ એ ખબર નથી. પણ મને તો અવશ્ય લાભ મળ્યો છે. એમને મોટા કદનું પુસ્તક, એક જ શ્લોક હોય ઉપર, એની નીચે સાત આચાર્યોની ટીકા હોય, શંકરાચાર્યથી માંડી ને નિમ્બાર્કાચાર્ય સુધીની ટીકાઓ હોય, અને એમાં પાછું એક-એક પેજ ઉમેરેલું હોય ખોલીને એમાં એમની નોંધ હોય..! તમે ભગવતગીતા વિષે ગ્રંથાલયમાં જાઓ તો કબાટ બે કબાટ ભર્યા પુસ્તક મળે. તમે કોઈપણ  પુસ્તક લઈને એમ કહી ન શકો કે,  ‘તમે અમને આ નોહ્તું કીધું.’ એવું સંપૂર્ણ શિક્ષણ અને એ શિક્ષણની મૂળભૂત કેટલીક વાત..!  એકવાર અમને કે, ‘તમે આ નોટ લો છો, એનું પછી શું કરો છો?’ તો કહીએ, ‘અમે સાહેબ વાંચીએ,’ તો કહે,  ‘એમ ન હોય, જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ, તો જ વ્યવસ્થાપન થાય.’ પછી પોતાની વાત કરી, હું એમ. એ. ની પરીક્ષા વખતે બોમ્બે યુનિવર્સિટી (સિંધ હૈદરાબાદથી માંડીને નિઝામ હૈદરાબાદ સુધી આખી મોટી યુનિવર્સિટી)  હું એમ. એ.  પરીક્ષા આપવા મુંબઈ ગયો, ત્યારે હું સાથે એક જ નોટ લઈને ગયો હતો, એમાં મારાં બધા પેપર હતા. એટલે આ સંક્ષેપ થતું- થતું એટલું થઈ ગયું કે, છેલ્લી ઘડીએ રીફર કરવું હોય તો તરત થઇ જાય અને બાકી બધું વ્યવસ્થિત મનમાં ગોઠવાયું હોય… અને ભટ્ટસાહેબ પાછા  ‘યુનિવર્સિટી ફર્સ્ટ, ઈન ઓલ યુનિવર્સિટી’ – વ્યાકરણ વિષયમાં. સંસ્કૃતમાં વિવિધ વિષયો હોય, તર્ક આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, ભગવતગીતા આવે, તો આ બધા વિષયોમાં એવો સરસ પ્રવેશ કરાવે કે તમે પછી જાતે એ વિષયોમાં ગતિ કરી શકો. તેઓ  તમારા મૂળભૂતને  એટલું બધું સ્પષ્ટ કરી આપે કે, તમને સ્વકીય ગતિ પ્રાપ્ત થાય.”

અધ્યાપકોની એક ઉજ્જવળ પરંપરાના શ્રી ભટ્ટસાહેબ અને તેમના ઉજ્જવળ વિદ્યાર્થી કવિશ્રી રાજેન્દ્ર શુક્લ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદની અર્ધી સદીની યાત્રામાં આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠી સાથે અદભુત સંવાદ કરવાનો લ્હાવો મળેલ છે. બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીતજી સાથેનો સંવાદ આજના અને આવતીકાલના યુવાનો માટે પ્રેરણાના ઝરણા જેવો રહ્યો. આવો, તેમની વાતો જાણીએ..

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.  

એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું. 

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!! 

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.  

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે,  તે તબક્કાની તેઓની સ્થિતિ વિષે તો આપણે સંવાદ નિહાળીશું ત્યારે જ ખ્યાલ આવશે.

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું નથી,” પૂજ્ય શ્રી મોટા

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા  ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો. 

પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની  પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ  मनने ની  સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની  વિનંતી છે.”

“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની  જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું  સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની  સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે. 

આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ  સમજવાનો પ્રયાસ કરીએ:

ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:

ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કેવું ?

ત્હને કેટલી વાર કો રીત ટેવું ?

નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે

 નથી એટલુંયે અરે ! ભાન શાને ?..

આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે : 

ચઢાશે બે ઘોડલે તુંથી બાપુ,

ત્હને તે વધારે કઈ શીખ આપું ?

અજાણ્યું અને ભોટ જો હોય સારું,

કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.

મ્હને છેતરી છેતરી જાય ઊંધું,

ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,

હતે બાળ તો આંગળી આપીને મ્હેં,

ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.

તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત ! 

હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની  રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે : 

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,

ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,

ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,

તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?

ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,

ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,

ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,

ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.

ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,

ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,

ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,

તણાયા કદી તો બૂરા હાલ આવે.

 હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું  કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું  કે તરત જ તું તો મને પછાડે છે.  હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી. 

કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,

બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું

તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે

પછાડી કરે ખોખરાં હાડકાં રે. 

હુલાવી ફુલાવી લઉં કામ તોયે,

વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,

કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,

શાને શીખે તું, પડે છે છતાંયે? 

જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,

વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,

પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,

ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?

શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના  સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે : 

ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?

નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,

છતાં ચૂકવે કાં તું મ્હારું દાપું ?

ફજેતી થતાં લાજ આવે કાં શું ?

 સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,

સદા સર્વને પ્રેમથી રીઝવી લે,

નકામા નકામા તરંગે ચઢ્યું તો,

ગુમાવીશ તું મેળવેલુંરળેલું. 

મ્હને છોડશે તું, છતાં કેમ છોડું

ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,

ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,

તદાકાર રેવા મથાવીશ, બાપ.  

હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું  લાગું એટલે કે મારું  વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે,  સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ. 

છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ  કરાવીશ.  

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અખંડ આનંદ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ.

“આપણે ડીનર માટે અવશ્ય જઈએ પણ મારે રાત્રે દસ વાગે એક બ્રેક લેવો પડશે.”

“બ્રેક એટલે ?”

“મારે ફોન પર ત્રીસેક મિનિટ વાતો કરવી પડશે. આમ તો કહો ને કે, વાતો નહીં પણ વાર્તા !”

અમે સૌ વિચારમાં પડી ગયા કે આ સોલ્જર અને પાછી વાર્તા ???

એમણે અમારા ચહેરાની મૂંઝવણ પારખી લીધી અને સ્મિત સાથે સ્પષ્ટતા કરી.

“મારે એવું છે કે હું  ઘરની બહાર હૉઉ ને ત્યારે રોજ રાત્રે ત્રીસ થી પિસ્તાળીશ મિનિટ કાઢવી. એ  અમારો રિવાજ છે. રિવાજ એટલા માટે કે, હવે  અમે તેને ફોલો કરવાનું ચુકતા નથી. કહો ને કે એ અમારી ટ્રેડિશન બની ગઈ છે.”

“અરે વાહ, વાર્તા કહેવાની ટ્રેડિશન !?! આ તો આનંદની વાત છે. તમે કોને વાર્તા કહેશો ? આજે અમે ય માણીએ “

“ના ના એવું નથી કરવું કારણ કે હું વીડિઓ કોલથી જોડાઇશ અને વાર્તા પુરી કરી ફરી આપણી વાતાવલી ચાલુ રાખીશું…તમને તો ખ્યાલ છે  કે, મારે એક દીકરો શિવાંશ છે અને એક દીકરી શિવીકા છે.”

“વાહ, શું નામ રાખ્યા છે !! શિવાંશ અને શિવીકા. ભગવાન શિવ સાથે નાતો  બરાબર રાખ્યો છે.”

“તમારે નાગરોમાં નામ બહુ વિશિષ્ટ હોય, નહીં ?”

“હા એ સાચું અને વળી અમે  શિવપંથી ને ?? નાગરનો દીકરો લશ્કરનો જવાન બને એટલે ભગવાન શિવને થોડો ભૂલી જાય ?? અને મેં તો એટલે જ બંનેના નામ જ એવા રાખ્યા છે કે શિવ સાથે ને સાથે જ રહે. અને સાથે ન રહે તો જીભે ને હૈયે તો રહે જ રહે.”

“અરે વાહ, આ તો ઉત્તમ.”

“મને લશ્કરમાં જોડાયે સોળ વર્ષો થયા છે અને લગભગ એટલી જ જગ્યાએ મારી બદલી થતી રહી છે. જે અમારા માટે બહુ યુઝવલ છે. પણ બહાર રહેવાનું બહુ રહેતું હોવાથી અને ચોવીસે કલાક એલર્ટ રહેવાનું હોવાથી અમે ચારેય કુટુંબીઓએ એક નિયમ બનાવ્યો છે કે, મારે રોજ ઓછામાં ઓછી પિસ્તાળીશ મિનિટ બાળકો સાથે ગાળવી.રોજ તો કેમ અને ક્યારે એ શક્ય બને, એટલે પછી રાત્રે  જયારે બાળકો ઊંઘવા માટે રિલેક્સ થાય ત્યારે  મને  વીડિઓ કોલ કરે અને હું જોડાઈ જઉં. આમ વાર્તા કહેવાની મઝાની યોજના અમે બનાવી છે. અને આજ સુધી અકબંધ તેનું પાલન કર્યું છે.”

“નક્કી કરેલું પાલન કરવામાં તો તમને કોઈ ન પહોંચે !! એટલે આ વાર્તા સેશન પણ નિયમિત રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.પણ આ વાર્તાઓ તમારે તૈયાર કે યાદ કરવી પડે ને?”

“હા, નાના હતા ત્યારે મા અને પપ્પાએ વાર્તા કહેલી તે તો યાદ રહી જ ગઈ હોય અને પછી મોટા થઈને વિસ્મયથી રામાયણ, મહાભારત, પંચતંત્ર વગેરે વાતો વાંચી હોય, સાંભળી હોય ને,,બસ એનું કલેક્શન એટલું બધું છે કે વાર્તાઓ ખૂટતી નથી.પાછું રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધ આવે એટલે યુદ્ધકથામાં મારા અનુભવો ભેળવું એટલે મને ય મઝા આવે ને બાળકોને શૌર્ય ચડે. આમ બંનેનો ફાયદો.”

“..પણ બાળકો રસથી રોજ વાર્તા સાંભળે ખરા ?”

“વાર્તા કોને ન ગમે ? આપણને આ ઉંમરે પણ કોઈ વાર્તા કહે તો આપણે કેટલા ચોંટી જઈએ છીએ ?”

“વાત સાચી. આપણી ટી વી સિરિયલ્સ એટલે તો કેટલાય હપ્તાઓ સુધી આપણે માણ્યા  કરીએ છીએ ને !”

“પરફેક્ટ. સ્ટોરીને  બદલે લેક્ચર હોય તો , કોઈ આટલું સહન કરે ખરું ? હા, એ ખરું કે મારે બહુ એલર્ટ રહેવું પડે, કારણ બાળકો બહુ શાર્પ હોય છે એ તમને પકડી જ પાડે. ક્યારેક એવું બને કે મારાથી  વાર્તા રિપીટ થાય તો શિવીકા તરત જ કહે કે, ‘આ તો સાંભળેલી છે. કહું આમાં છે ને ….’ એમ કરીને વાર્તામાં હવે શું શું આવે છે તે કહેવા લાગે. એટલે આપણ રામ કાન  પકડે ને કબૂલે, એટલે એ કહે, ‘બોલો, સોરી !!’ તો તરત સોરી બોલી દેવાનું, એમાં મિલિટરીમેન નહીં થવાનું. યાદ રાખવાનું કે,  હું અહીં તો બાપ છું.”

“વાહ, તમે તો અદભુત વાત કરી અને  પાછી વાર્તાની વાત. મઝા પડી ગઈ.”

અમારામાંથી એક વડીલે તીખો પ્રશ્ન પૂછ્યો , “ તમે જે મોરચે હો તે જગ્યાએ કોઈ મંદિર કે ધર્મસ્થાન હોય ખરું ?? હોય તો કોનું સ્થાનક હોય ?”

થોડીવાર મૌન ધારણ કરીને એ જુવાન બોલ્યો : “ હોય, ચોક્કસ હોય, આર્મીએ જ બનાવેલું હોય. પણ કોનું હોય તે નક્કી નહીં , પણ ધર્મસ્થાનક હોય.જ્યાં જે રેજિમેન્ટ હોય તેમાં જે બહુમતી જવાનો હોય તેનું ધર્મસ્થાનક ત્યાં બને, આવો સાદો નિયમ. પણ હા, એમાં બધા જ જવાનો જાય અને હાથ જોડી મસ્તક નમાવે જરૂર, એમાં એ નહીં જોવાનું કે આ કોનું ધર્મ સ્થાન છે ?  અને હા, ક્યાંક એક થી વધુ પણ હોય. મંદિર હોય ને ચર્ચ પણ હોય ને ગુરુદ્વારા પણ હોય. અને એવી જગ્યાએ અમારા જેવા સિનિયર ઓફિસર એક પછી એક બધા જ સ્થાનકમાં જાય ને માથું નમાવે અને સર્વધર્મ પ્રત્યે આદર દર્શાવે.તમે પૂછ્યું છે એટલે કહું કે, અમારામાં અમારો કોઈ ધર્મ ન હોય, અમે ચુસ્તપણે સર્વધર્મ સમભાવમાં માનીએ અને તેનું કડક પાલન કરીએ. અમારો ધર્મ એટલે રેજિમેન્ટનો ધર્મ.”

“…તો તો આ ભેદભાવ વાળું અમારામાં જ છે, એવું નક્કી થયું ને ?”

“હું એમાં હા કે ના ન કહેવાની શિસ્તનું પાલન કરીશ પણ એટલું કહીશ કે અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ. અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અચાનક એક સાંજે એક આર્મીમેનને નિરાંત જીવે મળવાનું થયું અને એ પણ ગુજરાતી આર્મીમેન. અમારા કુટુંબી. કમાન્ડો તરીકે પડકારરૂપ સ્થિતિમાં ફરજ બજાવનાર સાથે જે ગોષ્ઠી થઇ તે ‘આસપાસ ચોપાસ’નું વાતાવરણ હૈયાંને ટાઢક વાળી ગયું.  આપણા ગંગાસતી જેવા સંતે  ભેદની ભીંતો ભાંગવાનું કહ્યું અને તેનું ચુસ્ત પાલન અન્ય કોઈ કરે કે ના કરે પણ આપણા જવાંમર્દ સૈનિકો કરે છે તેનો સંતોષ થયો.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું...

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજે માની દસમાં ધોરણની દીકરીઓને ગણિતની પરીક્ષા હતી. ગુજરાત આખામાં ગણિત આજે પણ વિદ્યાર્થીઓમાં ભયનો વિષય છે, એટલે દીકરીઓના ચહેરા પર ચિંતાના વાદળો દેખાતા હોવાં જોઈએ, પરંતુ બારડોલીની આ સરદાર પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓના ચહેરા હસતા દેખાતા હતા, કારણ આગલી રાત્રે બહારથી ભણાવવા આવતા જયેશભાઈ અને પ્રિયંકાબેને જબરદસ્ત પ્રેક્ટિસ ગણિતની કરાવી હતી, તેથી વિદ્યાર્થિનીઓનો વિશ્વાસ બમણો થઈ ગયો હતો.

એક વાત એ નોંધવા જેવી છે કે ગઈકાલે દીકરીઓની બોર્ડની રસીદો જે મેં માના મંદિરમાં મૂકેલી જોઈ હતી અને તેના ચિત્રો આપને દર્શાવ્યા હતા તે રસીદો આજે જુદી જ રીતે ગોઠવાયેલી હતી. માના રૂમમાં એક શેટી ઉપર સૌના ક્રમબદ્ધ ફોટા દેખાય તેવી રીતે આ હોલ ટિકિટ પાથરેલી હતી. (આ સાથેની તસવીરમાં તે જોઈ શકાશે) અને બીજી એક શેટી ઉપર વિદ્યાર્થીઓના ક્રમ પ્રમાણે એમની ઘડિયાળો ગોઠવેલી હતી.!!! આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કારણ આ કંઈ દીકરીઓનું ઘર નથી, પણ ઘરથી પણ વિશેષ જેની કાળજી નિરંજના મા લે છે, તે છાત્રાલય છે અને એવું છાત્રાલય કે જ્યાં માની નિશ્રા ચોવીસે ય કલાક મળતી રહે છે.

મા પોતાના શયન પછી આ શેટીઓ ઉપર દીકરીઓની રસીદ અને તેની ઘડિયાળ ગોઠવીને રાખી દે છે. પરીક્ષામાં જતા પહેલા થોડી વારે વિદ્યાલયમાંથી દીકરીઓ ક્રમબદ્ધ લાઈનમાં ગોઠવાઈને ધીમે ધીમે માના મંદિર પાસે આવે છે, ત્યાં માના અન્નપૂર્ણા ઈલાબેન સૌને શુકનનું ચંદન કપાળે કરે છે અને દીકરીઓ ભગવાનને પ્રણામ કરી પોતાની રસીદ લઈ લે ને પછી અંદરથી પોતાની ઘડિયાળ લઈ બહાર બેઠેલા માને ‘જય સિયારામ’ બોલતા બોલતા પ્રણામ કરે છે અને ત્યાં ગૃહમાતા ઉર્વશીબેન ઊભા છે, જે સૌને શુકન માટે દહીંની ચમચી મોંમાં આપે છે !!

આ આખી એક વૈદિક સંસ્કાર પ્રક્રિયા આ ગ્રાન્ટેડ સ્કૂલમાં થાય છે, કારણ કે ત્યાં મા દીકરીઓ માટે ખડે પગે 86 વર્ષની ઉંમરે પણ સતત હાજર રહે છે.

અને પછી મા દીકરીઓને ખુલ્લા મોટા આઇસરમાં ટેબલ રાખીને ચડાવે છે અને પછી એ આઇસર ની પાછળ પોતે ગાડીમાં જઈને બે કેન્દ્રો ઉપર આ દીકરીઓને પરીક્ષા સ્થળે પહોંચાડી હાશકારો અનુભવે છે. કહો જોઈએ, આવી કાળજી કોણ લેતું હશે ?? અહીં તો એવી દીકરીઓ છે કે જેને કાં તો મા નથી, કાં તો બાપ નથી, કાં તો બંને નથી, કાં તો પોતે નવી મા પાસે મોટી થઈ રહી છે અને એ પણ દૂર સુદૂર ક્યાંક મહેનત મજૂરી કરતી હોય છે કે જેને ખબર પણ નથી કે આજે આ દીકરીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર છે,, પણ એ દૂર રહેલી મા કે બાપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમણે પોતાની દીકરીને માની આંગળીએ સોંપી દીધી છે.

અહીં 18 થી 20 મહિના જ આ દીકરીઓ રહે છે, કારણ તેઓ નવ માં આવે છે અને 10 મું પૂરું કરીને જતા રહે છે, પરંતુ આ 20 મહિનામાં મા એમને એવા તૈયાર કરે છે કે ન પૂછો વાત.. વધુ વિગત ત્યારે જ સમજાય જ્યારે આ સંસ્કાર સિંચન કરતી વિદ્યાલયની આપણે મુલાકાત લઈએ.

આટલા વર્ષો પછી મને આજે પરીક્ષા ટાણે અહીં હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેથી તેની વાત મેં આપ સમક્ષ મૂકી છે. ચિત્રો વિડીયો વગેરે આપ નિહાળશો તો આપની સમક્ષ પાવન દ્રશ્ય ચરિતાર્થ થશે
સૌને જય સિયારામ…. ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષને મળીએ. તેઓનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા. તેઓ કઈ રીતે આ વિશિષ્ટ માર્ગે વળ્યા તેની કહાની સાંભળીએ:   

 

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા. 

બીજી વસ્તુ એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસબોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સંગ્રહ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવું ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે કરતા. …. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે. પણ દસમાં ના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એમનો બીજો મિત્ર વડોદરાથી આવ્યો,  જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો બસ  આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારા આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી એપ્ટિટ્યુડ ટેસ્ટ પાંચ વિષયોની લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો કારણકે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે હિન્દી આવડે તો હિન્દી લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ,  પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”

 

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

મૂળ નામ નારાયણ ઠોસર. શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ સ્વામીનો !

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com

‘શ્રી મનાચે શ્લોક’  અને તેના સમશ્લોકી અનુવાદનો લેખ અનેક વાચકોની જિજ્ઞાસાને જન્માવી ગયો અને આ સ્વામી સમર્થ રામદાસ વિષે  વધુ જાણવાની માંગણી આવી. આવો, આજે સ્વામી સમર્થનના  જીવનનું વિહંગાવલોકન કરીએ.

મનને આપણે બહુ વખોડયું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે, જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!

સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્રગુરુ’નું સન્માન પામ્યા.

સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની કૃતિનેસોનાની લગડીગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.

‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોને  કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં જઈને સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું :  “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી જય જય રઘુવીર સમર્થનો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!

મના ક્રોધને વ્હેંત છેટો રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’

 “મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’

મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે સંવાદ સાચો.”

 

‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

જનકલ્યાણ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

કેશુ ભગતે 309 શિક્ષણ ભવન બાંધવાનો સંકલ્પ કર્યો છે કે જેમાં ક્યાંય એમનું નામ નથી !!

“આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેને વાંચેલા જેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી ગયેલો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું. 

એક કમળાપુર ગામ છે ત્યાં ગયા. શાળામાં  અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરીને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે, આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે, એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નથી  પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નથી ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને સાદું કે મિષ્ટાન નથી ખાધું,. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.” 

“અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા, તો ભવન બાંધવાનો સંકલ્પ લઉં. એટલે એમણે કહ્યું, કંઈ વાંધો નહીં. એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે. હવે મેં વિચાર્યું કે  એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મને થયું કે  આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે વાત ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં પણ કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું બન્યું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

મને જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું, પણ એમાં  હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની ,  જેના ન હતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો. આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી. સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે, વેપાર તો ગણિતથી કરીએ પણ દાન પણ ગણિતથી જ કરવાનું ?? એમાં  આત્મામાંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. પરંતુ ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય માત્ર એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથાનું લોકાર્પણ હતું,  ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે, મારો અંદર નો અવાજ શું કહે છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ. એટલે જાહેર કર્યું કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા…” 

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ સૌની જાણ માટે કે કેશુભાઈએ  છેલ્લે 309 શાળા કે છાત્રાલયના ભવનો બાંધવાનો સંકલ્પ લીધો છે અને 309 માંથી 181 શિક્ષણ  ભવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે. 

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ કે તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે, એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે. 

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

ગ્રામસેતુ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ખારા રણમાં મીઠી વીરડી સમા શિક્ષકવર્ય…

‘આપના પત્ર બદલ આભાર. આપે માગેલ મારી વિગતો, મારા પ્રદાનની વિગતો બદલ હું આપને નમ્રતાપૂર્વક જણાવું કે ઃ મેં પૂરાં ૪૧ વર્ષ, ૪ માસ પ્રશિક્ષણમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે, નોકરી કરી છે. એ દરમિયાન મેં જે કાંઈ કર્યું છે તે પ્રદાન નથી. એ તો પગાર લઈ તેનાં વળતરરૂપે કરેલું કામ છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામ કરતો અધ્યાપક ધારાધોરણ પ્રમાણે પગાર લે અને તેની બદલીમાં વશક્ષણ (teaching), સંશોધન (research) અને વિસ્તરણ (extension)નું કામ કરે. જો માણસ મારી જેમ માથું મૂકીને કામ કરે તો તે બરાબર જ છે, એની કંઈ વિશેષ નોંધ ન લેવાની હોય. જી, એની કદર રૂપે આપના જેવા મિત્રો આવી લાગણી બતાવે, વિદ્યાર્થીઓમાં રસ્તામાં મળે તો બાઇક પરથી ઊતરી જાય, ભરબજારમાં પગે પડે એટલું પૂરતું છે. જે કામ કર્યું એની કદરરૂપે સરકાર પેન્શન આપે છે, એ ય પૂરતું છે. એ પેન્શનના જવાબમાં અમે રોજ સાત-આઠ કલાક પૂજા-પાઠ, વાચન, લેખન, ક્યાંક કોઈક બોલાવે તો જઈને યથાશક્તિ પ્રવચન વગેરે… ખાસ તો ઈશ્વર સ્મરણમાં કાળ-નિર્ગમન કરીએ છીએ. આ શરીર એનું પ્રારબ્ધ ભોગવે છે. અમે રામ-રટણમાં રાતા-માતા’ ફરીએ છીએ. એટલું ઘણું છે. મારા વિશે લેખ લખવાના ઉધામા રહેવા દો તેવી વિનંતી છે.’

માણસનો સ્વભાવ છે ને કે ના પાડ્યા પછી તો તે કરવાની ઇચ્છા પ્રબળ થાય, એવું જ મારું થયું. શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દર્દીના આ પત્રમાં છલકતી તેમની વિનમ્રતા પછી તો ગાંઠ વાળી કે તેઓશ્રીની મનોમન ક્ષમાયાચના કરીને પણ તેઓ વિષે લેખ તૈયાર કરવો. તેઓશ્રીના વિદ્યાર્થીઓની છાનીછપની મદદ લીધી. ફોટોગ્રાફ પણ મિત્રદાવે સંસ્થામાંથી મેળવી આ શબ્દઅર્ધ્ય તૈયાર કર્યું!

શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દવે જીવનભર શિક્ષા-સમાધિમાં શ્વસ્યા છે. એ વ્યવસાયે શિક્ષક’ હતા જ નહીં, કારણ શાસ્ત્રીજી જાન્ને સાત ભવથી શિક્ષક હોય એમ અવતર્યા. પ્રાથમિક શિક્ષણ ન લીધું હોવા છતાં પીએચ.ડી.ના ડિગ્રીધારી બન્યા, અનેકને ડૉક્ટરેટની પદવી બક્ષનાર માર્ગદર્શક બન્યા અને આજે નિવૃત્તિમાં પણ વિદ્યાદેવીના ખોળે પરમશિષ્યની અદાથી વલ્લભવિદ્યાનગરમાં વે છે. ધોતિયું અને સદરો પહેરેલ સહજતમ વ્યક્તિત્વ હિંડોળા પર હિંચકતું હોય તો તે સાવ પોતીકું જ લાગે. એક શિસ્તબદ્ધ, ડાહ્યોડમરો શિષ્ય જાણે શ્રી સરસ્વતીદેવી સામે પલાંઠી મારીને અદબ વાળીને આછું સ્મિત કરતો મગ્ન છે, એવું જ લાગે. સ્વસ્થતા તો શાસ્ત્રી સાહેબની. તેઓશ્રીનાં ધર્મપત્નીની ચીરવિદાય વખતે પણ શાસ્ત્રીજીની સ્વસ્થા તેઓને પ્રણામ કરવા પ્રેરે તેવી. છેલ્લા શ્વાસ લેવાઈ રહ્યા છે એવી જાણ થતાં પહેલાંથી શાસ્ત્રીજીએ મૃ, શુદ્ધ અને સ્વસ્થ કંઠે મંત્રગાન શરૂ કર્યું. અંતિમવિધિની સઘળી આવશ્યક શાસ્ત્રોક્ત પવિત્ર વિધિઓ શાસ્ત્રીજીએ ખુદ જ અપાર સ્વસ્થતાથી સ્તોત્રગાન સાથે સંપન્ન કરી અને બહેનશ્રી વસંતબેનને મંગલમયી વિદાય આપી. વલ્લભ વિદ્યાનગરના ઉપસ્થિત નગરજનો અને શિક્ષકોનો બહોળો સમુદાય તો આ સંસ્કાર, સ્વસ્થતા અને સહજતા જોઈ દંગ જ રહી ગયેલ!

મોરબીના વતની, જમશેદપુરમાં જન્મેલા અને બાળપણ સાહેબીમાં વિતાવનાર જ્વેન્દ્ર નાના હતા ત્યારે બગીમાં બેસીને શાળાએ જતા. પિતાશ્રી કર્મે શિક્ષક. તેને કોઈ જ્યોતિષીએ ત્યારે કહેલું : ભઈ, આની પાછળ મહેનત ન કરશો, એ એમની રીતે તૈયાર થઈ જશે.’ બસ, જ્યોતિષની આટલી જ વાતથી પ્રેરાઈને, ખુદ સંસ્કૃત- વેદ-જ્યોતિષ વિદ્યાના પ્રખર જ્ઞાતા પિતાશ્રીએ બાળક્ને ભન્નતરનાં બંધનમાં બાંધવાનું ટાળ્યું. ક-ખ-ગ શીખવ્યા વગર જ બ્રાહ્મણ કુળના શિક્ષક પિતાએ દીકરાને ઘરનું પવિત્ર વાતાવરણ અને પ્રેમાળ હૂંફ વચ્ચે છુટ્ટો મૂકી દીધો. ધીમે ધીમે દીકરો સંસ્કૃતમાં પારંગત થવા લાગ્યો. અમદાવાદ ખાતે ગુરુ પરંપરાની પાઠશાળામાં સંસ્કૃતનો પ્રખર અભ્યાસ કર્યા બાદ, સાહિત્યશાસ્ત્રમાં પારંગત બની પાઠશાળાની શાસ્ત્રી”ની ઉપાધિ મેળવી. આજનાં આપણાં સ્નાતકની સમકક્ષ ગણાતી આ ડિગ્રી મૂલ્યની દૃષ્ટિએ ક્યાંય અદકેરી! સ્નાતક થાય તે ચોપડી ભણે, શાસ્ત્રી થાય તે જીવન ભણે! સ્નાતકની ડિગ્રી કાગળિયું છે, ‘શાસ્ત્રી’ની ઉપાધિ તો માદળિયું છે. શાસ્ત્રીની ઉપાધિ મેળવી, વધુ અભ્યાસ માટે એક્વીસ વર્ષની વયે તેઓએ બી.એડ્. સમકક્ષ જી.બી.ટી.સી. પાસ કર્યું અને એમ.એડ્.ના પ્રવેશ માટે ગયા ત્યારે શિક્ષણ વિદ્યાશાખાના તજ્ઞ ડૉ. કે. જી. દેસાઈએ ટકોર કરી : સંસ્કૃત એક માત્ર ભાષા નથી, પહેલાં અંગ્રેજી શીખી આવો.’ જ્યેન્દ્રભાઈએ દલીલ ન કરી, પણ અંગ્રેજમાં પારંગત થવાનો માર્ગ પકડ્યો. એક જ વર્ષમાં અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી એમ.એ.માં પ્રવેશ મેળવી લીધી. અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં પી.ટી.સીના અધ્યાપક તરીકે ૧૯૬૧માં જોડાયા. ત્યાંથી જ્વેન્દ્રભાઈ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફ વળ્યા તે એવા વળ્યા કે શાસ્ત્રીજીએ આજ સુધી ત્યાં જ પલાંઠી વાળી લીધી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત ચારેય ભાષાઓ ઉપર ગજબનાક પક્કડ, ઊંડાન્નપૂર્વકનો અભ્યાસ સતત-સખત અધ્યયન, આજે પણ. સ્મરણશક્તિ તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ તો બેજોડ. ફકરાના ફકરા કડકડાટ બોલે તો દંગ રહી જ્વાય. ડૉ. આર. એસ. ત્રિવેદી પાસે ડૉક્ટરેટ કર્યું. પૂજ્ય શ્રી રંગ અવધૂતજીના આજ્ઞાંકિત શિષ્ય અને પરમ ઉપાસકની આસ્થા એટલી પ્રબળ કે તેઓ પીએચ.ડી.ની થિસીસ ગુરૂદેવનાં સ્થાનકે ચરણે ધરીને પછી યુનિવર્સિટીમાં સોંપવા ગયા હતા! શાસ્ત્રીજીનાં માર્ગદર્શનમાં Ph.D. થનાર ડૉ. મોતીભાઈ પટેલને સાઠ વર્ષ થયાં ત્યારે તેના મહોત્સવની જવાબદારી જ્વેન્દ્રભાઈએ ઉપાડી, આટલા સહજ! કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ એવું પુસ્તક કરવાની પ્રેરણા પણ જયેન્દ્રભાઈએ આપી, જે પુસ્તકની સાત આવૃત્તિઓ થઈ! શાસ્ત્રીજીએ ગુજરાતી-કલા-સાહિત્ય-શાસ્ત્ર અને ફિલસૂફીના પચાસથી વધુ પુસ્તકો લખ્યાં છે. પહેલાં અંગ્રેજી શીખતા આવો’ એવું કહેનાર ડૉ. કે. જી. દેસાઈએ હોંશભેર શાસ્ત્રીજીનાં પુસ્તકની પ્રસ્તાવના લખી ગૌરવ અનુભવેલું! કેળવણીનાં તાત્ત્વિક આધારો”, “ભારતીય ચિંતકોનું શિક્ષણ ચિંતન’, ‘શિક્ષણ દર્શન પરિભાષા કોષ”, “સર્જન શિક્ષણ’, ‘શ્રી રંગ પ્રશ્નોત્તર માલા’ વગેરે પુસ્તકોને સાહિત્ય અકાદમી સહિત અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે. શાસ્ત્રીજી’ના આદરભર્યા નામથી ઓળખાતા અને શૈક્ષણિક ફ્લિસૂફીના પરમજ્ઞાતા જ્વેન્દ્રભાઈ દવે ભક્ત ખરા, સાધક ખરા, ઉપાસક ખરા, ધીરગંભીર ખરા પણ ઘુવડ ગંભીર નહીં જ. તેમનો ચહેરો સાય સ્મિતભર્યો. વાતચીતમાં દર દસ મિનિટે વ્યંગ-વિનોદ-હળવી રમૂજ આવે જ આવે. એટલે જ તો તેઓ વિશાળ ચાહક વર્ગ અને બહોળા વિદ્યાર્થીવર્ગની મૂડી ધરાવે છે. પ્રાથમિક શિક્ષણ લીધા વગર Ph.D. થનાર શાસ્ત્રી જયેન્દ્ર દવે પાસેથી માર્ગદર્શન મેળવી સત્તાવીસ અધ્યાપકો Ph.D. થયા છે અને એ સૌ એક યા બીજી રીતે અગ્રેસર છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં અદ્વૈત વેદાન્તનો ઊંડો અભ્યાસ કરનાર જ્યેન્દ્રભાઈએ ‘રામાયણ-પ્રવીન્ન’ની પરીક્ષા ૧૯૫૭માં પાસ કરી છે. તેને તેઓ પોતાના જીવનની ખૂબ જ વહાલી ઘટના ગણે છે. મને આજે ય એવી ઉત્કંઠ ઝંખના થયા કરે છે કે આજેય એ પરીક્ષા લેવાતી હોય, હું પુનઃ એ પરીક્ષા આપું અને પુનઃ પુનઃ “રામાયણ-પ્રવીણ’ થયા કરું’ ૧૯૭૦ થી ૨૦૦૫ પાંત્રીસ વર્ષો પ્રત્યેક ચૈત્રી પૂનમે સવારથી પૂજા-પાઠ, સત્યદત્તની કથા, પ્રસાદ લઈ તરત બન્ને બાળકોને લઈ શાસ્ત્રી દંપતિ અમદાવાદના કૅમ્પના હનુમાનદર્શને. શાસ્ત્રીજીનું આ શાસ્ત્રવત્ જીવન એ જ એની જીવન મૂડી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

કોડિયું : શ્રીરામ કથા વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ માં 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે.  

‘જય સિયારામ’.

આજે એક વરિષ્ઠતમ  શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લ્હાવો મળ્યો છે, તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું. 

બાપુ, મને એક  વિચાર આવ્યો કે, રાષ્ટ્ર અત્યારના ‘નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ ઉપર મહેનત  કરી રહેલ  છે. પણ જો કોઈ એનો ડ્રાફ્ટ જીણવટથી વાંચે તો એની અંદર 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે, કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું એ એક જુદી વાત છે. એ મૂલ્યો ઉપર રાષ્ટ્ર  ખૂબ વર્ક કરી રહેલ છે  એ અહીંયા જીવાયા છે.

મારો લગભગ 45 વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે. મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લ્હાવો મળ્યો. બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય એટલે એમણે  જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા, અને અરુણભાઈ સાથે તો મારો અતૂટ નાતો છે. બાપુને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે,  મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી!!  આ ઋણ ચૂકવવાનો મને લ્હાવો મળ્યો, એટલે કે લોકભારતી યુનિવર્સિટીનું મંગલાચરણ કરવાની તક  મને મળી છે. આ લોકભારતી યુનિવર્સિટીના ‘પ્રથમ નિમંત્રિત કુલપતિ’ હોવાનું ગૌરવ પ્રદાન થયેલ છે. 

આજે પરિસ્થિતિ એવી થતી  જાય છે કે, ન્યુસન્સ વેલ્યુ ની વેલ્યુ વધી ગઈ છે અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. પણ આ સંસ્થા એવી છે કે, જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે, છેક નાનાદાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે. 

આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી, અહીંયા શીખીને શીખવાનું નથી, અહીંયા કરીને કેળવવાનું છે. અત્યાર સુધી અહીંયા બધું જ ચાલ્યું છેએની ઉપર પ્રાધાન્ય વર્ગખંડનું રહ્યું છે, જ્યારે યુનિવર્સિટી ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે, ખેતરોમાં એ સજીવ ખેતી કરીને અળસિયા ઉગાડે, કુદરતી ખાતર બનાવે, એ ખાતર નાખીને ખેતી કરે, ખેતી કરીને પાક લણે, લણીને જોખીને એ ખળામાં મોકલે અને એનું વેચાણ કેવી રીતે થાય છે તે જાતે પંડે શીખે.  એટલે એગ્રોનોમી, એગ્રો-પ્રોસેસિંગ,  એનિમલ હસબન્ડરી, ડેરી સાયન્સ, આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે. એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે. મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત અહીંયા થઈ છે. શ્રી અરૂણભાઇએ પહેલે દિવસે કહ્યું કે, અમારી અનેક સંસ્થા બંધ કરશો તો પણ  નઈ તાલીમ તો રહેશે જ , પણ હું એમાં વિનમ્ર ભાવે ઉમેરીશ કે, આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવર નો આરંભ છે અને તેનાં આરંભે પ્રિય બાપુ  અહીંયા કથાગાન માટે પધાર્યા છે એ અમારા સૌ માટે બહુ મોટું સીમાચિહ્ન બની રહેવાનું છે.  

આ લોકભારતીના ચાર માનવીય આધારોસ્તંભો વિષે  ટૂંકી વાત કરવાનું ગમશે. 

૧) નાનાદાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી, પણ નાનાદાદાએ તો 1961 માં વિદાય લીધી અને 56-57 માં એમણે મનુદાદા ને કહ્યું કે,  લ્યો હવે વહીવટ સંભાળો. નાનાદાદાનો પછીનો સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો. પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે, પરંતુ ત્યારે ખરેખર બહુ મૂલ્યવાન હતો.  એટલે નાનાદાદા પોતાના નિવાસમાં, જ્યાં પ્રિય બાપુ  અત્યારના  નિવાસ કરી રહ્યા છે, ત્યાં બેસીને એવા કામ કરતાં કે જે કામથી મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચદાદાને ટેકો મળતો. બહુ નાનકડી   યાદ રાખવા જેવી એક  વાત છે.  એ સમયે દિલ્હીથી ડોક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા, અને જોઈને નારાજ થયા. એણે એવું કહ્યું કે ”जहा विद्यार्थी पढ़ते है, वहाँ ही वो सोते है?, ऐसी तो कोई कॉलेज हो सकती है?, यूनिवर्सिटी हो सकती है?” લાઇબ્રેરીથી નારાજ થયાં, લગભગ એ નારાજનાં મૂડમાં આવ્યા અને નારાજનાં મૂડમાં ગયાં. પણ જાય એ પહેલા આ મુરબ્બીઓ એમને નાનાભાઈ પાસે લઇ ગયા. નાનાભાઈ પાસે પણ એમણે એ જ સરકારી તોર થી વાતચીત કરી. પણ નાનાભાઈ તો નાનાભાઈ હતા, એમણે પણ કહ્યું કે, ”आपकी बात सही है, जहा बच्चे पढ़ते है, वहां सो केसे सकते है?, यह अच्छी बात नहीं है, आप सरकारकी और से जो भी ग्रान्ट मिलती है, वो वापस ले सकते है. आप जाके ऑर्डर करवा दीजिए, हमें ग्रान्ट नहीं चाहिये, और हो सके तो यहाँ के जो मकान बने हुए है, वो भी सरकारी ग्रान्ट से बने हुए है, यहासे उनको उखाड़ के दिल्ही  ले जाइए”. My dear Friend, At that time, Nanabhai was not head of the institution.  પણ એક વડીલ તરીકે નાનાભાઈ એ દિલ્હીના એ ડો. ભાણ ને મક્કમ થઈને  સમજાવ્યા. ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી, એ વખતે શિક્ષણ મંત્રી ‘શ્રીમાળી’ હતા, એમણે  અફસોસનો પત્ર લખ્યો, નાનાભાઈની માફી માંગી અને કોઈ જ કોર્સ બંધ નહિ કરવામાં આવે અને  સરકારી સહાય ચાલુ રહેશે, એવો  એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો. આ લોકભારતીનો સધ્ધર  માનવીય આધારસ્તંભ. 

૨) મનુભાઈ વિશે એક વાત બહુ યાદ કરવા જેવી છે કે, મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. 5000 મતથી જીત્યા હતા. મનુભાઈ ની પહેલા જે લોકો ઉભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને વાહનોનો ઉપયોગ કર્યો હતો. પણ મનુભાઈને જયારે ચૂંટણીમાં ઉભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ ત્રણ મુદ્દાઓની  જાહેરમાં  જાણ કરી. એમણે કહ્યું કે… અ) પ્રચારમાં સંસ્થા નું વાહન વાપરવામાં આવશે નહીં, અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં. બ) હું નિયામક પદ ઉપર રહીશ નહીં. શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું રાજકારણનું કામ કરે એવું હરગીઝ ન થવું જોઈએ. એટલે હું નિયામક પદે રહીશ નહીં અને ક) ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભારતીમાં જમા કરાવીશ, સમય કાઢીને હું આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું  હું ચાલુ રાખીશ. બાપુને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે, ‘આમ પણ તમે ખરું જુઓ તો ચાર વર્ષને અંતે મને લાગ્યું કે, ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે ત્રણ મહિના જ કામ કરવાનું હોય છે, બાકી તમે ફ્રી જ હોવ છો.’  અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી વાત છે. 

૩) મૂળશંકરભાઈ મો. ભટ્ટ., જેમણે આપણને  ‘દુઃખીયારા’ આપ્યું, ‘લા મીઝરેબલા’નો બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો. અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી. આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા,  એવું નાનાભાઈ એ પ્રમાણપત્ર આપ્યું. બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારાં મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યાં છે. એ ‘ગુજરાતવિદ્યાપીઠ’માં પણ રહ્યાં, દક્ષિણામૂર્તિમાં પણ રહ્યાં, અને લોકભારતીમાં પણ રહ્યાં. એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે. લક્ષ્મણભાઈ કરીને ગૃહપતિ હતા, એ વાત કરતા હતા કે.., 26 જાન્યુઆરીની એક પરેડની તૈયારી  ચાલતી હતી. ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ એની પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે મૂળ શંકરભાઈ ત્યાંથી નીકળ્યા. નીકળીને છેડે જઈને ઊભા રહ્યા. ઉભા રહીને  લક્ષ્મણભાઈને બોલાવ્યા. બોલાવીને આંગળી ચિંધી ને કહ્યું કે, ‘ પેલો છોકરો છે માંદો છે?’ તો કહે, ‘ના ના એને સારું છે, કંઈ તકલીફ નથી.’ તો કહે, ‘ના જરા રૂબરૂ મળો, તપાસ કરો, એની ચાલ ઉપરથી મને લાગે છે કે એ માંદો છે.’  લક્ષ્મણભાઈએ મૂળશંકરભાઈના કહેવા પ્રમાણે વિદ્યાર્થીને બોલાવ્યો, એને અમરગઢ લઈ જવામાં આવ્યો, અને એવું તારણ નીકળ્યું કે, આ વિદ્યાર્થીને  ‘ક્ષય’ના લક્ષણો છે. જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે, આનામાં ક્ષયના લક્ષણો છે, એ મૂળશંકરભાઈ નામનો કરુણા આધાર.  

૪) બહુ મહત્વના  અને એકદમ રસિક વ્યક્તિત્વ બુચદાદા. બુચદાદા વિશે ઘણું લખાયું છે, પણ ઘણું છૂટી પણ ગયું છે. બુચદાદા, મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે. તો લોકોએ કહ્યું કે,  તમારી જો ડાબી આંખ બચાવવી હોય જમણી આંખ કાઢી નાખવી પડશે, સર્જરી નહીં થાય, બુચદાદાએ કહ્યું, કાઢી નાખો, કોઈ વાંધો નથી. પછી ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા, એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાની ખબર કાઢવા આવી અને કટાક્ષમાં કહ્યું, દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે. એટલે બુચદાદાએ કહ્યું, I am extremely leftist now. My right side is wrong side now. આ બુચદાદા વિદ્યાર્થી બહેનોની ટપાલો ભેગી કરીને પોસ્ટ બોક્સ માંથી ટપાલ નીકળે એ પહેલા પોતે સમયસર જઈને પોસ્ટ કરવાનું કામ સંભાળે એવો આ માનવીય આધાર લોકભારતીનો હતો. 

આ ચાર વાત પરથી ખ્યાલ આવે કે લોકભારતી કેવા મોટા ચારસ્તંભો સાથે આગળ વધે છે. કોઈ કહે છે કે આ ચાર વ્યક્તિઓ પણ એકબીજાથી નિયત અંતર રાખીને રહેતી હતી. હા, એ સાચું, કારણ જીબ્રાન્ કહે છે કે,  ‘સ્તંભો વચ્ચે અંતર હોવું જોઈએ. નહિ તો મંદિરનો ઘુમ્મટ ઉભો ન થાય.’ 

 છેલ્લી વાત કરું, આપણો મૂળ ઉદ્દેશ તો લોકભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે. એને આપણે લોકભારતી ના ઝાપા માંથી બહાર લઈ જવી છે, સણોસરામાંથી બહાર લઈ જવી છે, ગુજરાત થી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે. કારણ કે   અત્યારે અહીંયા એવું કામ થઇ રહ્યું છે.  આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું જેથી કરીને જે કોઈ સત્તા   ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠિ હોય એ સાંભળે કે, આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે. આ પરિસરમાં જ્યાં હશો ત્યાં તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે. એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે.

ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની. હું એ યાદ કરું.  એમની પાસે ત્રણ સમાજ ગયા. દેવ ગયા, દાનવ ગયા, અને માનવ ગયા. ત્રણેય  જઈને તેમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે એ પ્રમાણે આપણે જીવન જીવીએ. એ ઋષિએ લાંબો સમય આંખ બંધ રાખી, અને જ્યારે આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા, ”દ”. પેલા ત્રણેય સમજ્યા નહીં કે આ ”દ” એટલે શું? પણ પછીતો આંખ મીંચાઈ ગઈ, એટલે અર્થઘટન પોતે કરવાનું હતું. આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો, અર્થઘટનનો જ હોય છે. પણ ખરેખર આ ”દ” નો શો  અર્થ કરવો? તો દેવ લોકોએ એમ કીધું કે, અમે બહુ ઈર્ષાળુ છીએ. એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષા નું ‘દમન કરો’. દાનવોને એવું લાગ્યું કે  અમે બહુ હિંસા કરનારા છીએ, બહુ લોકોને મારીએ છીએ, તો અમારા માટે ‘દયા કરો’ એવો અર્થ થતો હશે. અને માનવને એમ થયું કે અમે બહુ લોભિયા છીએ, બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ. મકરંદભાઈ ભલે કહે કે, ગુંજે ન ભરીએ પણ વેરી  દઈએ, પણ અમે વેરતા નથી. તો અમારે ખરેખર ”દ” નો અર્થ ‘દાન કરો ‘ સમજવાનો છે.  વિનોબાજીનાં મા કહેતાં કે, ‘દે તે દેવ, અને રાખે જે રાક્ષસ’ 

આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે… 

  

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈ સાથેના સમવાદમાંથી થોડું : 

વિદેશમાંથી કરીક્યુલમ ડિઝાઇનમાં મને ત્રણ શબ્દો કીધેલા. 

  1. વિઝિબિલિટી, 2) વાયેબીલીટી અને 3) ડિસાઇરેબિલીટી. 

વિઝિબિલિટી ક્યાંથી આવે ? stem સબ્જેક્ટ્સમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. 

વાયેબીલીટી ક્યાંથી આવે ? ફાયનાન્સ, એકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ. 

અને ડિસાઇરેબિલીટી.??  what will happen to the environment , what will happen to the next generation ? એ બધું આવે હ્યુમેનિટીસ અને સોશિયલ સાયન્સમાંથી. 

હવે આ ત્રણ શબ્દો પકડીને કરીક્યુલમ એની આજુબાજુ બનાવેલો. આ બધા વિષયોને આવરી લેતો. એટલે કે ઓલ રાઉન્ડ ડેવેલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ માટે એક લિબરલ એજ્યુકેશનનો પાયો જરૂરી છે. પછી જેને જે કંઈ સ્પેશ્યલાઇઝેશન કરવું હોય એ કરી શકે છે,  આ એક બહુ જરૂરી વાત છે. આવા દાખલા  ત્યાં મેં જોયેલા, જે અહીંયા જલ્દીથી જોવા નથી મળતા. હું ત્યાં કોલેજમાં ગયો. મને એક ફેકલ્ટી મેમ્બરનો પરિચય કરાવ્યો. એન્થ્રોપોલોજીસ્ટ છે. મને થયું એન્થ્રોપોલોજીસ્ટ એન્જીનીયરીંગ કોલેજમાં ? એટલે કહે છે હા, હા. મેં પૂછ્યું,  તમે શું ભણાવો છો ? મને કહે I teach a course aging adults એન્જીનીયરીંગ કોલેજમાં. મને નવાઈ લાગી એટલે કહ્યું,  હું તમારો લેક્ચર અટેન્ડ કરી શકું ? તો મને કહે,  હા જરૂર આવો. હું ગયો.. what she had done was ત્યાંની કમ્યુનિટીમાંથી ચાલીસ જુના માણસોને લઇ આવેલા અને ચાલીસ છોકરાઓની સાથે પેર કરેલા. ચાર મહિના એ લોકોને એકબીજાના સહવાસથી એક બીજાને જોવાના. એમાંથી પેલા લોકોની જરૂરિયાત શું છે જુના માણસોની ? એની જરૂર પ્રમાણે નક્કી કરવાનું. કોઈકને ચાલવાની તકલીફ છે તો વહીલચૅર બનાવો. કેવી બનાવશો કે એને ચાલવાની ક્યાં તકલીફ છે ? સ્ત્રી છે, પુરુષ છે, હાઈટ, બોડી, વજન, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ફ્લેટ સરફેસનું શું ? આ બધા ઘણા કારણોને જોઈને પેલા વિદ્યાર્થીઓ સમજતા જાય એ પ્રમાણે વહીલચેરની ડિઝાઇન બનાવતા જાય. એ રીતે કોઈને જોવાની તકલીફ હોય તો ગ્લાસીસ કેવા બનાવવાના, કઈ રીતે જોવાની તકલીફ ન પડે ? આવી બધી વાત આવે અને આવી જ એક વાત હું સ્ટેનફર્ડ ગયેલો ત્યાં થયેલી. સેન્ટર ફોર ડિઝાઇન રિસર્ચ હતું CDR એ ત્યાં આગળ એક્સપોઝર માટે બધાની જોડે ઓળખાણ કરાવી, વાત કરાવી પછી મને કહે છે કે, અહીંયા છોકરાઓને અમે ઇનોવેશન માટે એન્કરેજ કરીએ છીએ. પછી મને દાખલો આપ્યો. પાંચ છોકરાઓનું એક ગ્રુપ હતું અને એમને વિચાર આવ્યો કે દુનિયાના બેકવર્ડ કન્ટ્રીમાં પ્રોબ્લેમ ઓફ પ્રીમેચ્યોર બેબીઝ છે. પ્રીમેચ્યોર બેબીઝ મોર્ટાલીટી રેટ બહું  વધારે છે. કારણ કે રૂરલ એરિયામાં હોસ્પિટલ નથી. એટલે એમણે  શું કર્યું ? એ ગયા પેલા ડોકર્ટસ પાસે. મેડિકલ સ્કૂલ હતી ત્યાં ગયા.. એ કહે બેબીઝને કેમ આવું થાય છે ? તો કહે છે,, કારણ એ છે કે બોડી ટેમ્પરેચર જાળવવા સક્ષમ નથી. જેના કારણે મૃત્યુ પામે છે. દિવસમાં ટેમ્પરેચર બદલાય, દિવસે દિવસે બદલાય એની જોડે એડજસમેન્ટ થવું જોઈએ એ કરી નથી શકતા પ્રિમેચ્યોર બેબીઝ. તો એ શોધી કાઢ્યું કે આ તકલીફ છે. પછી તે નેપાળ ગયા. પાંચ છોકરાઓ. સાંભળજો બહુ રસપ્રદ વાત છે ત્યાં આગળ જોયું હોસ્પિટલ છે. નજીકના ગામડામાં ગયા જોયું કે, એ લોકોને નજીકની હોસ્પિટલ જતા પાંચ દસ કલાક પણ જાય અને ચોવીસ કલાક પણ થાય. એટલે એમણે ફરી પ્રોબ્લેમ શોધ્યો. બહારના કોઈ સપોર્ટ વગર ૪૮ કલાક સુધી બોડી ટેમ્પરેચર જાળવવું. પ્રોડક્ટ માટેનો concept બનાવ્યો. ગયા પાછા સ્ટેનફર્ડની લેબમાં. કીધું કે એવી કોઈ વેક્સીન કે એવું કઈ શોધવું કારણ કે માતાની સ્કિન સાથે જે બાળક હોય ને તો એને બહુ સારું રહે, એની તબિયત માટે, એવી બધા ડોકટરે વાત કરી. એટલે ગયા અને કીધું છે આપણે એક સ્લીપિંગ બેગ બનાવો કે જેમાં ટેમ્પરેચર સ્ટેબલ રહે. અને પેલા બાળકને એમાં મૂકી દેવાનું અને મધર એમાં બાળકને લઈને જાય એવું એક સોલ્યુશન કર્યું . એ ગયા ત્યાં અને કીધું કે એવો રસ્તો બતાવો અમને લોકો ને કે જેમાં ઓછામાં ઓછી તકલીફથી ટેમ્પરેચર રહે સ્લીપિંગ બેગ્સનું. એટલે એક કેમિકલ વેક્સ આવે છે. પેલા લોકોને સૂચન કર્યું કે આ વેક્સ મુકો, ગરમ પાણી નાખો એટલે ટેમ્પરેચર આવી જાય. સિમ્પલ સોલ્યુશન લઇ આવ્યા. પછી એ ડિઝાઇન કરી, પ્રયોગ કર્યા બધું થયું ઇન્ડિયા આવીને પછી આ કર્યું કંપનીનું નામ ‘એમ્બ્રેસ’ પાડ્યું. બંગ્લોરમાં એ કંપની બની અને ચાલુ કર્યું. ત્યારે હું બહુ પ્રભાવિત થયો કે આ ૧૮ – ૨૦ વર્ષના છોકરાઓ કમાલ કરે  છે ને ?

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. 

ભદ્રાયુ વછરાજાની                   (66)            bhadrayu2@gmail.com 

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું  સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે : 

+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. +  માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન  થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. +  કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.

સત્તરમાં અધ્યાયનું  સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :  

+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને    જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું  હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.

અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર  મળે છે કે : 

+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. +  ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. +  ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી  દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. +   હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. +  હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ

                       (અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી જન્મશતાબ્દિ 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

હું ત્યારે જુવાન હતો અને જુવાનીમાં એક નાગર કુટુંબના દીકરા તરીકે જીવનના બધા રસક્ષેત્રોમાં હું થોડો થોડો રસ લઈને ઊંડો ઉતરી રહ્યો હતો. ત્યારે રાજકારણ ઘણું બધું રાજનીતિનું કામ કરતું અને બહુ થોડું રાજકારણ થતું,, એ વખતે જેમને જોઈને અને વિધાનસભામાં બોલ્યા છે એના અંગે વાંચીને અથવા કોઈ નાની મોટી સભાઓમાં કે સંમેલનોમાં તેઓને સાંભળીને રાજકારણમાં જવું હોય  તો રોલમોડેલ કોણ  હોઈ શકે એવો જયારે મેં વિચાર કર્યો ત્યારે એક જ નામ હતું અને એ હતું શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી. 

એક વાત એવી પણ મનમાં એ વખતે બેઠી કે હું જેના પ્રભાવક વ્યક્તિત્વની  પુરેપુરી પ્રછાયામાં હતો એવા શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી પણ ફૂલ ટાઈમ રાજકારણમાં નહોતા. એ ધારાસભ્ય  કરતા ધારાશાસ્ત્રી તરીકે વધુ ખ્યાતનામ હતા. હું એ વખતે આ વાત દૂર દૂરથી દિવ્યકાંતભાઈને જોઈને સાંભળીને તારવતો થયો હતો એનો અર્થ એટલો કે મારી યુવાનીથી મારા ઉપર જે કેટલાક ત્રણ ચાર  વ્યક્તિત્વની ગહેરી અસર પડી તેમાં અવલ્લ નંબરે શ્રી દિવ્યકાંત નાણાવટી હતા. ઘણી વખત જ્ઞાતિના સંમેલનમાં મળવાનું થાય, ઘણી વખત હું શિક્ષક થયો હોવાથી કોઈ શિક્ષણ અંગેના કાર્યક્રમમાં તેઓના પ્રમુખ પદે કોઈ વાત ચર્ચાતી હોય તેમાં ભાગ લેવાનું થાય અને એમ હું એમની નજીકમાં પહોંચતો  ગયો. 

કાળવા ચોકથી એક બાજુ રસ્તા ઉપર હું ભૂલતો ન હોઉં તો ‘ત્ર્યંમ્બકમ’  બહુ મોટું હવેલી જેવું મકાન હતું, એમાં પણ હું ઘણીવાર જઈ આવ્યો અને દિવ્યકાંતભાઈ અને સૌદામિનીબેનના પ્રસન્ન દામ્પત્યને  નીરખવાનો મને ખુબ સારો લાભ પણ મળ્યો. 

એક એવા ધારાશાસ્ત્રી કે જે ધારાસભામાં કોઈ વાત રજૂ કરવા ઉઠે ત્યારે  સભાગૃહની  દરેકે દરેક દિવાલના કણે કણ પણ તેને  કાન મૂકીને સાંભળે એવી વિનમ્ર છતાં મક્કમ, ચુસ્ત છતાં સ્પષ્ટ રજુઆત મેં કોઈની માણી હોય તો દિવ્યકાંતભાઈની હતી. એમનું પ્રેસકવરેજ જયારે આવતું ત્યારે પણ મુખ્યમંત્રી કરતા કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટીએ ગૃહને કઈ માહિતીથી અવગત કરાવ્યા તેનું કવરેજ મેં વધુ છપાતું જોયું હતું. આમ, શિક્ષણ અને સાહિત્ય સાથેનો મારો નાતો આજીવન રહ્યો પરિણામે શિક્ષણની તેઓની સહાયક પ્રવૃતિઓમાં મારે ઘણી જગ્યાએ સાથે રહેવાનું બન્યું. પણ હું આજે એટલું ચોક્કસ જાહેરમાં સ્વીકારું કે હું હંમેશા તેઓના પ્રભાવ હેઠળ રહ્યો. એકેય ક્ષણ એવી ગઈ નથી કે જયારે મેં દિવ્યકાંતભાઈને એક સામર્થ્યવાળા વ્યક્તિત્વથી નીચે ક્યારેય જોયા હોય અથવા જાણ્યા હોય. ત્રણેક અવસરે કોર્ટમાં જઈને વકીલો માટેના કોર્ટરૂમમાં પણ એમને મળવાનું બન્યું, એ સમયે પણ એના સાથી ધારાશાસ્ત્રીઓ જે રીતે દિવ્યકાંતભાઈની વાતને કાન ધરીને સાંભળતા હોય કે તેઓને જે ગૌરવ અને માન આપતા હોય તેની  પણ મારા મન પર ઊંડી છાપ પડી  છે. એ ઊંડી છાપે  મને દિવ્યકાંતભાઈનો ચાહક બનાવી દીધો હતો. 

બન્યું એવું કે મેં  ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કર્યો જૂનાગઢથી. જૂનાગઢની બીએડ કોલેજના અધ્યાપક તરીકેના ઈન્ટરવ્યૂમાં મારે જવાનું થયું અને ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે મેં ઇન્ટરવ્યૂ લેનાર પેનલમાં  શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીને  બેઠેલા જોયા અને મને અંદરથી આનંદ થયો. એક કોઈ વ્યક્તિ એવી પણ ત્યાં હતી કે જે જ્ઞાતિ વડીલ એ કોલેજનું સંચાલન કરતી હતી તે જ્ઞાતિના હતા અને બહાર એવું બોલાતું હતું કે, એ ભાઈ આ ઈન્ટરવ્યૂમાં પસંદ થવાના છે, બાકીના લોકો નિરાશ થવાના છે. પણ ઇન્ટરવ્યૂ માટેના રૂમમાં દિવ્યકાંતભાઈની પડછંદ કાયા મેં પ્રવેશતી જોઈ ત્યારે મને ઊંડે ઊંડે એવું લાગ્યું કે, ના, પસંદગી તો યોગ્ય ઉમેદવારની જ થશે. આપણે સમજી શકીએ કે આ ભરોસો એમ ને એમ તો ન બંધાણો હોય. અગાઉની કેટલીક મુલાકાતો અથવા તો પારદર્શીતાભર્યા નિર્ણયોના આપણે સાક્ષી બન્યા હોઈએ  એટલે આવો ભરોસો બંધાયો હોય !!. ઇન્ટરવ્યૂ લાંબા ચાલ્યા. જે વ્યક્તિ લેવાશે એવી વાત હતી એનો ઇન્ટરવ્યૂ પણ ખાસ્સો લાંબો ચાલ્યો અને મારી સાથે પ્રશ્નોત્તરી કરવામાં મુખ્ય દિવ્યકાંતભાઈ હતા .એણે વ્યાપક્તાથી મને  પ્રશ્નો પૂછ્યા અને એકદમ હકારાત્મક રીતે સામે બેઠેલા ઉમેદવારને જરા પણ એમ ન લાગે કે, મારું કોઈ મૂલ્યાંકન કરી રહ્યું છે એટલી સાલસતાથી તેઓ બધાના ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યૂના રૂમની અંદર દૂર એક આરામ ખુરશીમાં એક પ્રચંડ મોભાદાર  વ્યક્તિત્વ આરમ ફરમાવી રહ્યું હતું અને તેઓ બધાને શાંતિથી સાંભળી રહ્યા હતા. પછીની પ્રક્રિયા મને સીધી ખબર નથી, પણ પછીથી મને જે જાણવા મળ્યું તે એવું છે કે, ઈન્ટવ્યુ પૂરો થયો ત્યારે એ આરામ ખુરશીમાં આરામ ફરમાવનાર  વ્યક્તિત્વ એ દિવ્યકાંતભાઈને પૂછ્યું કે, ‘નાણાવટી, તમે શું કહો છો ? કોને પસંદ કરીએ ?’ અને ત્યારે દિવ્યકાંતભાઈએ જવાબ આપ્યો, ‘તમે જેનું નામ લેતા હતા એ ભાઈ તો પસંદ થાય એમ નથી.’ એટલે તરત જ સામેથી જવાબ મળ્યો કે, ‘ના એ ભૂલી જાઓ ને તમારો મત શું છે એ મને કહો.’ એટલે એમણે  મારું નામ આપ્યું એટલે પેલા સંચાલક વ્યક્તિત્વ (જે પણ એક ધુરંધર વ્યક્તિ હતા) એમણે કહ્યું કે,  ‘પેલો એક જાડિયો ગુલાબી ગાલવાળો છોકરો આવ્યો હતો, નાગર હતો ને એને લઈએ, એવું મને લાગે છે તમે શું કહો છો ?’ એટલે દિવ્યકાંતભાઈએ કહ્યું કે, ‘આપે કહ્યું ન હોત તો હું એનું જ નામ આપવાનો જ હતો.’ આ વાત જયારે ઈન્ટરવ્યૂમાં કમિટીમાં સામેલ થયેલા બે મેમ્બરોએ મને કહી ત્યારે પણ એમાંથી મને એક પાસું જાણવા મળ્યું કે, તમે કમિટીમાં બેસીને તમારો  ધારેલો નિર્ણય સીધો જાહેર કરો એને બદલે મુખ્ય સંચાલકને વિશ્વાસમાં લઈને એના મુખેથી બોલાવો અને એ નામ જો તમારું જ નીકળતું હોય તો એ સમિતિ દ્વારા લેવાયેલો સર્વાંગ સંપૂર્ણ નિર્ણય બની રહે. નાગરોની મુત્સદીગીરી નો આ સાદર નમૂનો છે. 

મારી પસંદગી થઇ અને હું એ સંચાલક વ્યક્તિત્વને રૂબરૂ મળવા ગયો, એમના આશીર્વાદ લીધા અને પછી હું દિવ્યકાંતભાઈને મળવા પણ ગયો અને એમને મેં વિનંતી કરી કે, ‘મારું મૂળ તો રાજકોટ છે, પણ હું કોલેજમાં આવી જાઉં તો મને યુનિવર્સીટીમાં જવામાં રસ્તો સીધો પડે એટલે હું અહીંયા આવ્યો છું. મારું ફેમેલી રાજકોટ છે. મારે ભવિષ્યમાં જૂનાગઢ શિફ્ટ થવું નથી. તો મને અપડાઉન કરવાની મંજૂરી મળે એવું આપ કરી શકશો ?’ એમણે સામે પ્રશ્ન પૂછ્યા વગર બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કરીને  સામે એક વ્યક્તિને સ્પષ્ટ નિખાલસ છતાં સૌમ્યતા ભરી જબાને પોતાની વાત કરી અને એવું કહ્યું કે, ‘આ ઉમેદવારને આપણે જતો કરવા માંગતા નથી અને એ પોતાનું આપેલું વચન પાળે એવો છે. એટલે આપણે નિયમ ભલે ન હોય પણ આમને અપ ડાઉન કરવાની છૂટ આપીશું.’  સામેથી એવું કદાચ કહેવાયું હશે એવું મને લાગ્યું કે, આપણો નિયમ છે કે, કોઈ અપ ડાઉન કરતું નથી, ત્યારે દિવ્યકાંતભાઈએ થોડા મક્કમ ઘેરા અવાજે કહ્યું, ‘માણસ માટે નિયમ છે, નિયમો માટે માણસ નથી. આપણને એક ઉત્તમ માણસ મળતો હોય તો એ નિયમમાં આપણે બાંધછોડ કરીએ છીએ અને એ પ્રમાણે તમે એનો અમલ કરશો..’  આટલું કહીને એમણે ફોન મૂકી દીધો. પ્રાસંગિક જે વાત કરવાની હતી તે કહી મેં મારા તરફથી સ્પષ્ટ  બાંહેધરી આપી કે, ‘ હું સમયથી રોજ વહેલો પહોંચીશ અને સમય પૂરો થયા પછી જ નીકળીશ, કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે એ મારી ખાતરી છે.’ અને હું આભાર માનીને નીકળ્યો. મારી કોલેજમાં પહોંચ્યો ત્યારે મારા આચાર્યે મને બોલાવ્યો અને પોતાના ચહેરા ઉપરની નારાજગીને છુપાવતા છુપાવતા એમણે મને અપ ડાઉન કરવાની હા પાડી. એમને એ કદાચ નહીં ગમ્યું હોય કારણ  આ આદેશ એમને કોઈએ ઉપરથી આપ્યો હતો !!. જો કે ત્રણેક વર્ષના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે એ આચાર્ય માટે આવો આદેશ ન મળ્યો હોત તો તેઓ મારા એ ઉચ્ચ શિક્ષણના પ્રવેશને એટલો  મીઠો  ન રહેવા  દેત.!!!!

કોલેજના અનેક કાર્યક્રમોના સંચાલનમાં મારે અગ્રેસર રહેવાનું બન્યું ત્યારે દિવ્યકાંતભાઈના ઘરે જવાનું થાય, કોઈ કાર્યક્રમોની ચર્ચા સંદર્ભે, કોઈ સ્પીચ લખવાના સંદર્ભે એમને મળવાનું થાય અને ત્યારે હું એ ચુસ્ત નાગરી નિવાસમાં એકદમ ધીર ગંભીર દંપતીને દૂરથી માણતો રહેતો. એક નાનકડી વાત નોંધું. મને બરાબર યાદ છે કે કોર્ટે જવાનો સમય હતો, એ પહેલા અડધી કલાકે મને બોલાવ્યો હોય અને દિવ્યકાંતભાઈ  તૈયાર થઇ ગયા હોય  અને ઊંચી  ખુરશી ઉપર બેઠા હોય  અને મારી સાથે વાત કરી રહ્યા હોય  એ દરમિયાન સૌ. સૌદામિનીબેન આવ્યા અને એમના હાથમાં એક નાનકડી ડબ્બી હતી, એમાં રહેલું કાજળ  એમણે પોતાની જમણા હાથની ત્રીજી આંગળીથી બરાબર ઘસ્યું  અને એને કાજળ  ઘસતા જોઈને દિવ્યકાંતભાઈ પોતાનું મુખ જરા અધ્ધર કરીને શાંતિથી બેસી ગયા. મારી વાત અટકાવી દીધી અને તેઓની બંને આંખમાં કાજળ  આંજવાનું કામ ત્યારે સૌદામિનીબહેને કર્યું. નાગરોના અનેક લક્ષણો વિષે લોકો વાત કરતા હોય છે પણ આટલી ઉંચાઈ પર પહોંચ્યા પછી અને એક શીર્ષસ્થ સ્થાને પહોંચ્યા પછી પણ નાગર ગૃહિણી પોતાના પતિને વ્યવસાય ઉપર જાય તે પહેલા આંખમાં કાજળ આંજી દેવાની વિનમ્રતા ચૂકતી નથી. એ કદાચ આપણા દેશમાં  એકમાત્ર નાગરોમાં શક્ય હશે એવું ગૌરવ ત્યારે મને થયેલું. હું એ સમયે બહુ ખુશ થયેલો અને મનોમન એવું વિચારતો હતો કે દરેક કુટુંબની અંદર પતિ અને પત્નીની વચ્ચે આવા મીઠા સબંધો હોવા જોઈએ. 

ત્રણ વર્ષ પછી મને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક ભવનમાં નિમણુંક થવાની તક મળી અને મારે તરત જ હાજર થવું પડે એમ હતું, જે મારા આચાર્યશ્રી માની શકે એમ નહોતા એટલે મેં ફરી એકવાર દિવ્યકાંતભાઈને ફોન કર્યો અને એને મળવા જવાનું નક્કી કર્યું, એમણે મને કોર્ટ ઉપર બોલાવ્યો/ જૂનાગઢમાં વકીલો માટેની ચેમ્બરમાં તેઓ હતા ત્યાં મારે મળવાનું થયું. એ સમયે એક ખૂણામાં બેસીને મેં એમને કહ્યું કે, ‘મને આ તક મળી રહી છે, હું યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કરીશ એ આનંદનો વિષય છે અને હું આપનો ઋણી રહીશ, પણ મારે રિલિવ થવું પડે એમ છે.’  જ્યારે  આ લખું છું ત્યારે મને એમની દૂરંદેશી ઉપર, એમની દીર્ઘદ્રષ્ટિ ઉપર ભારોભાર માન થાય છે. એમણે કહ્યું કે, ‘ભદ્રાયુ, તમને સુંદર સ્થાન મળે છે એ બહુ સારી વાત છે, પણ યુનિવર્સીટી એ રાજકારણનો અખાડો છે. એટલે હું એવું માનું છું કે, તમે આ પરમેનન્ટ જગ્યા ઉપર છો ત્યારે તમે સરકારમાંથી લિયન મેળવો અને તમે અહીંયા લિયન રાખીને યુનિવર્સીટીમાં જાઓ, જેથી કરીને શરૂઆતના  એકાદ વર્ષમાં તમને એવું લાગે કે, આમાં તો  બધી ગડબડ છે, તો તમે અહીંયા પાછા આવી જઈ શકો.’  એ દૂરંદેશીએ મને એટલો બધો મદદગાર થવાનો રસ્તો ચીંધ્યો કે જેનો અહેસાસ મને ઘણા સમય પછી થયો.  એમનું કહ્યું માનીને હું મારા આચાર્ય પાસે ફોર્માલિટી પુરી કરીને ગાંધીનગર દોડ્યો અને ગાંધીનગર દોડીને મેં એક વર્ષ માટેનું લિયન લીધું, જે લિયન માટેનો કાગળ મારી કોલેજમાં સબમિટ કરી અને હું જયારે કોલેજમાંથી મુક્ત થઈ યુનિવર્સીટી પહોંચ્યો ત્યારે ખરેખર યુનિવર્સીટીના રાજકારણી અધિકારીઓએ  મને એક પત્ર પકડાવ્યો અને તેમાં એવા શબ્દો લખ્યા હતા કે, અમારી ટેક્નિકલ ભૂલને કારણે તમારી નિમણૂંક  થઇ છે તેથી આ નિમણૂંકને રદ કરવામાં આવે છે. મને હુકમ મળ્યો અને રદ થયો એની વચ્ચે અઠવાડિયા દસ દિવસનો ગાળો ગયો અને એ દરમિયાનમાં હું લિયન લઈને ગાંધીનગરથી આવી ગયો હતો એટલે મેં આ યુનિવર્સીટીના નિર્ણય સામે કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો. એમાં પણ મને દિવ્યકાંતભાઈએ બહુ મદદ કરી. અને ચાર મહિના પછી કોર્ટે મારી બધી જ રજાઓને ફરજ પર ગણીને પુરા  પગાર સાથે યુનિવર્સીટીમાં નિયુક્ત જગ્યા પર હાજર કરવાનો યુનિવર્સીટીને આદેશ આપ્યો. અત્યારે હું વિચાર છું કે, મેં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં  ચોવીસેક વર્ષ શાનદાર કામ કર્યું અને પછી તો યુનિવર્સીટીમાં હું એક આવશ્યક પરિબળ બની ગયો એ  ત્યારે જ શક્ય બન્યું હતું કે, જયારે મને દિવ્યકાંતભાઈના એક નાનકડા વાક્યએ પ્રેરિત કર્યો હતો કે. ‘તમે લિયન લઇ અને પછી જોડાજો.’ 

આજે દિવ્યકાંતભાઈનું સ્મરણ કરતા જયારે મારે મારા શબ્દોને કાગળ ઉપર મુકવાના છે ત્યારે મારું  હૃદય આ વાતથી ભરાઈ આવે છે અને મને એમ લાગે છે કે મારે એમની સાથે કોઈ પૂર્વ જન્મનો નાતો હશે એટલે એમણે મને મારા જીવનની ઘણી  કપરી પળે બચાવી લીધો હતો. આમ પણ દિવ્યકાંતભાઈના પુત્ર કે જે દિવ્યકાંતભાઈની નાની આવૃત્તિ જેવા લાગે એ જ ભરાવદાર શરીર, એ જ ઘેઘુર અવાજ, એ જ શોખ અને એ જ ઠાવકાઈથી પોતાનું જીવનારા હેમંતને મારી સાથે લોકો સરખાવે છે, ત્યારે અમને એકબીજાના ભાઈ ગણે છે. અસ્મિતા પર્વમાં પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં એક સોફા ઉપર અમે બે જણા બેઠા હતા ત્યારે એક ખ્યાતનામ ફોટોગ્રાફરે અમારો ફોટો લઈને એને પબ્લિશ કર્યો સોશિયલ મીડિયા ઉપર અને લખ્યું: બે ભાઈઓ એક સોફા ઉપર !!. અમને ખબર છે કે અમે સગાભાઈઓ નથી. દિવ્યકાંતભાઈનો મારા પ્રત્યેનો સહજ  પ્રેમ કે જે તેઓ  દરેક વ્યક્તિ માટે વરસાવતા હતા પણ મારા પર્ફોમન્સને તેઓએ ઈન્ટવ્યુ દરમિયાન માણ્યું હતું અને પછીથી મારા વ્યવહારમાં, મારા લેખનમાં, મારા વક્તૃત્વમાં તેઓ જે એક પ્રકારની પ્રબળતા જોતા હતા તેના આધારે હું તેનો માનસ પુત્ર હોઉં એવી રીતે મને એમણે જોડ્યો હતો. પછીના વર્ષોમાં પણ ઘણી વખત દિવ્યકાંતભાઈને મળવાનું થયું અને બધા જ સ્મરણનો એક સાથે એમના પડછંદ શરીરની જેમ જ આપણી સામે એક પછી એક ઉપરથી નીચે સુધી પસાર થાય એવું મેં અનેક વખત અનુભવ્યું છે. 

દિવ્યકાંત નાણાવટી જેવી વ્યક્તિ આપણા ગુજરાતને ભાગ્યે જ મળે. દિવ્યકાંત નાણાવટી જેટલી મુત્સદી અને ગુણવત્તાને વળગી રહેનરી વ્યક્તિ રાજકારણને પણ ભાગ્યે જ મળે છે. આપણે નસીબદાર છીએ કે, દિવ્યકાંતભાઈ નાણાવટી આપણા જૂનાગઢના  નાગર કુટુંબના અને પોતાની પાછળ નિરૂપમભાઈ, હેમંતભાઈ જેવી એક લેગસી મૂકી જનાર વ્યક્તિત્વ તરીકે આપણને મળ્યા છે. હા મને મોટો થયો પછીથી સતત એવું લાગ્યા કરે છે કે, ગુજરાતમાં દિવ્યકાંત નાણાવટીને જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકતું હતું તે આપણો સમાજ એમને આપી શકેલ નથી. ઘણા બધા રાજ્યોમાં, બહુ જ વામણા રાજ્યપાલોને જોઉં છું ત્યારે એમ લાગે છે કે, રાજ્યપાલ તો દિવ્યકાંત નાણાવટી જેવા શોભે. 

હું તેઓની દિવ્ય  ચેતનાને વંદન કરું છું અને તેઓના આશીર્વાદ આપણને તેઓના માર્ગે ચાલવા સામર્થ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

ગ્રામસેતુ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નિયતિ અને સમર્પણનો સાંગોપાંગ સરવાળો..

ગિરના જંગલની વચ્ચે ઘાંટવડ ગામ. જંગલ એટલે ગાઢ કે સૂર્યનો પ્રકાશ ન દેખાય. જંગલની વચ્ચે મોટો બંગલો. બંગલાની બે પાંખ. એક પાંખમાં કોડીનારના તલાટીનું કુટુંબ રહે. બીજી પાંખનો ઉતારા તરીકે ઉપયોગ થાય. જંગલમાં શિકાર કરવા જે રાજ-રજવાડાં-મોટા અધિકારીઓ આવે તે એમાં રાતવાસો કરે. શિકાર કરીને જે મોટાં ખૂંખાર પ્રાણીઓને માર્યાં હોય તેને ત્યાં લઈ આવે. ગાયકવાડી ગામ કોડીનારમાં તલાટીને ત્યાં જન્મેલ ‘ધીરુ’ બાળક હતો તે આ બધું જોયા કરે. શિકાર થયેલાં જનાવરનાં શરીર પર ડરતાં ડરતાં ધીરુ હાથ ફેરવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય. જિંદગીના સોળ વર્ષોં આ માહોલમાં જીવનાર ધીરુને આજે પણ એ રોમાંચ યાદ છે. આજે ચોરાણું વર્ષે પૂરેપૂરી સ્વસ્થતા અને સજ્જતાથી વિશ્વ સાહિત્યના દરિયામાં વહાણ હંકારનાર શ્રી ધીરુભાઈ ઠાકરને મળીએ તો આપણને રોમાંચ થયા વગર રહે નહીં.

ગુજરાતી વિશ્વકોશ સર્જક શ્રી ધીરુભાઈ ઠાકર હળવાશથી કહે છે કે ઃ મારા જીવનમાં નિયતિએ બધું કરી આપ્યું, મેં તો માત્ર હાથ ઊંચો કરી તેની સાક્ષી પુરાવી છે.’

ચાણસ્મા ગામમાં શિક્ષણ થયું ધીરુભાઈનું. સહજતા લોહીમાં. એક વખત શાળામાં ડેપ્યુટી ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા. એક વર્ગમાં દાખલ થઈ સામે દેખાવડો છોકરો હતો તેને પૂછ્યું : “હાથીદાંતનાં ઝાડ કેવા હોય ?” છોકરાએ અદબવાળી ઊભા થઈ ગભરાયા વગર જવાબ આપ્યો : હાથીદાંતનાં ઝાડ કાળાં, જાડાં ને કદાવર હોય!” વિચારીને જવાબ આપ્યો હતો અને જ્વાબ લગભગ સાચો પણ હતો. પેલા સાહેબે બાળકનો વાંસો થાબડી કહ્યું : “સેન્સ ઑફ હ્યુમર સારી છે.’ સાહેબના ગયા પછી બાળક ધીરુ શાળામાં હોંશિયાર તરીકે સ્વીકૃતિ પામી ગયો. ચાણસ્માની શાળાના આચાર્ય રામલાલ ચુનીલાલ મોદી કેટલાક વધુ તેજસ્વી છોકરાવને વિશેષ ભણતર આપવા સ્કૂલમાં રાત્રે બોલાવે. પથારી લઈને જવાનું. રામલાલ આચાર્ય ફાનસ લઈને આવે. પરીક્ષાની પોતે તૈયારી કરાવે. રાત્રે સૂતી વખતે ફરમાન કરે કે સવારે વહેલા ઊઠવાનું. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે ઉઠાડશે કોણ?” તો રામલાલ રોકડું પરખાવે : “તમે તમારી જાતને કહો તો તમારી જાત તમને ઉઠાડશે. ટેવ પાડો તો તમારી અંદર બેઠેલો છે તે તમારો હુકમ માનશે જ.’ ધીરુભાઈ ઠાકર કહે છે : “ત્યારે આજના જેવું નહીં, મૅટ્રિકમાં પણ સંસ્કૃતમાં પ્રશ્ન પુછાય અને તેનો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાનો! ધીરુભાઈ સંસ્કૃત, ગુજરાતી, વિજ્ઞાનમાં હોંશિયાર.

ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અઢાર વર્ષ અધ્યાપક રહેનાર ધીરુભાઈ ઇજનેર થવાનું સ્વપ્ન લઈને ગુજરાત કૉલેજમાં સાયન્સમાં વિદ્યાર્થી બનેલા. તેમના જીવનનો પહેલો લેખ ‘આપણાં લગ્ન’ પણ ઇન્ટર સાયન્સમાં ગુજરાત કૉલેજના મૅગેઝિનમાં છપાયેલો. નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હશે એટલે સાયન્સના પહેલા જ વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઍલ્યુમિનિયમના સૉલ્ટવાળી ક્રુસિબલ નીચે પડી, ફૂટી, નિરાશ થયા, નાપાસ થયા.. પ્રવાહ વળ્યો સેન્ટ ઝેવિયર્સ, મુંબઈમાં આર્ટ્સ ભણવા તરફ BA. વીથ સંસ્કૃત થવાનું ફૉર્મ ભરતા હતા ત્યાં પોતાના ગામ વિરમગામના પ્રાધ્યાપક કાંતિલાલ વ્યાસ મળ્યા. તેમણે કહ્યું : B.A. વીથ સંસ્કૃત ન થવાય, B.A. વીથ ગુજરાતીનું ફૉર્મ ભરી દે, અને ઝેવિયર્સ નહીં એલ્ફીન્સ્ટન કૉલેજમાં આવી જા.’ અને સંસ્કૃતમાં પારંગત થવા નીકળેલા ધીરુભાઈ ઠાકર આપણી ગુજરાતી ભાષાના જ્યોતિર્ધર થયા.

શ્રી ધીરુભાઈ ઠાકર અચ્છા નાટ્ય કલાકાર અને દિગ્દર્શક પણ. કૉલેજમાં ભન્નતા હતા ત્યારે મુંબઈમાં ચં. ચી. મહેતાનું નાટક ‘આગગાડી’ ભજવ્યું, પણ કોની સાથે ? ખુદ ચં. ચી. મહેતા, ધનસુખ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશીની સંગાથે… અને અધ્યાપક થયા ત્યારે ગુજરાત કૉલેજમાં ચં. ચી. મહેતાની કડક શિસ્તને આદર્શ તરીકે રાખી નાટકનું દિગ્દર્શન પણ કર્યું. દુષ્યંત નામનો એક ખેપાની વિદ્યાર્થી. એ સમયમાં ગુજરાત કૉલેજ એક જ, એલ. ડી. પછી શરૂ થઈ. દોઢસોનો વર્ગ. ધીરુભાઈ ઠાકર સૌથી નાના અને પ્રમાણમાં ‘કાચા’ અધ્યાપક. તેઓ પોતે જ કહે કે : “એ સમયના દિગ્ગજો સંસ્કૃતમાં પ્રો. અભ્યકર, અર્થશાસ્ત્રના પ્રો. મર્ચન્ટ, અંગ્રેજના પ્રો. ભાંડારકર અને પ્રો. વેલીન્કરની સામે હું કેમ ઊભો રહી શકીશ એ જ મૂંઝવણ. એમાં દુષ્યંત વર્ગમાં બેકાબુ, ચાલુ લેક્ચરે ક્લાસમાં કૅન્ટીનમાંથી ચા મંગાવીને પીવે, વર્ગમાં છઠ્ઠી ખોલીને બેસે ને કહે સર, વરસાદ કેટલો છે? બધા દુષ્કૃતથી ત્રાસી ગયેલા. દુષ્યંતે નાટકનાં રિહર્સલમાં દખલ શરૂ કરી. મેં તેને કહ્યું : તોફાન કરવા સહેલાં છે, નાટકમાં કામ કરવું અઘરું છે. દુર્ગંતે પડકાર ઝીલી લીધો અને વસવસો કરતાં કહ્યું : અમને નાટકમાં કોણ રાખે? મેં તક ઝડપી લઈ શરત મૂકી : પણ હું જે રોલ આપું તે શિસ્તબદ્ધ ભજવવો પડશે… દુષ્પ્રત હોંશથી ધનય ઠાકરનાં નાટક જો હું તું હોત…’માં નોકરના પાત્રને ભજવવા લાગ્યો. તેને ત્રીજું ઇનામ મળ્યું. દુષ્યંત તોફાની મટી અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યો. પછીનાં જ બીજાં નાટકથી મેં તેને મુખ્ય રોલ આપ્યો અને તે બખૂબી અભિનય કરવા લાગ્યો.’

શ્રી ધીરુભાઈ ઠાકર દુષ્કૃતની વાતના અંતમાં કહે છે : માણસના બધા જ ખજાનાઓની ચાવીઓ લઈને ભગવાને શિક્ષકને મોકલ્યો છે. મારી પાસેની ચાવીથી આ ખજાનો ખૂલશે જ તેવી શ્રદ્ધા શિક્ષકમાં હોવી જોઈએ.’

૧૯૪૨ની દસમી ઑગસ્ટ શ્રી ધીરુભાઈ ઠાકરના જીવનનો વિરલ અને દિવ્ય દિવસ છે. આઝાદીની લડત ટોચ પર હતી. અમદાવાદમાં લૉ કૉલેજ તરફથી એક મોટું સરઘસ ગુજરાત કૉલેજ તરફ આવતું હતું. સરઘસની પાછળ પોલીસ અને પોલીસની ગાડીઓ ધસી એટલે સરઘસ ગુજરાત કૉલેજમાં ઘૂસ્યું. સરઘસની આગળ કૉલેજની છોકરીઓ હતી, પાછળ છોકરાઓ હતા. ગુજરાત આર્ટ્સ કૉલેજની સામે લાઇબ્રેરી અને આ બન્નેની વચ્ચે છોકરીઓની અફડાતફડી. અધ્યાપકો ઉપરથી આ જોતાં હતાં. પ્રિન્સિપાલ પટવર્ધને અધ્યાપકોને કહ્યું કે નીચે જઈ વિદ્યાર્થીઓને શાંત રાખો. પ્રા. સાલેતોર, પ્રા. એન. એમ. શાહ, પ્રા. દાવર અને સૌથી નાના પ્રા. ધીરુભાઈ ઠાકર નીચે દોડ્યા. ધક્કામુક્કી થઈ એમાં ધીરુભાઈ ઠાકર વિદ્યાર્થીઓની આગળ અને પોલીસોની સામે; વચ્ચે સાત-આઠ ફૂટનું અંતર, એમાં કોઈએ કાંકરીચાળો કર્યો!સામેથી ડી.વાય.એસ.પી.એ ‘ફાયર’નો હુકમ આપ્યો. વચ્ચે રહેલા ધીરુભાઈ ઠાકર એ કલ્પનાથી જ ધ્રૂજ્યા કે ગોળીબાર થશે તો વિદ્યાર્થીઓની લાશો પડશે એટલે પોલીસ ડી.વાય.એસ.પી. સામે હાથ ઊંચા કરી રાડ પાડી ઊઠ્યા : પ્લીઝ, સ્ટૉપ.’ અને ડી.વાય.એસ.પી.એ હાથમાં રહેલી બૅટન ધીરુભાઈના માથામાં ફટકારી, પોલીસે ગોળીબાર કર્યો, વિદ્યાર્થીઓ ઘવાયા પોલીસે હૉસ્ટેલ રૂમમાં જઈ માર માર્યો. ધીરુભાઈ ઠાકરને બાયૉલૉજી ભવનમાં પ્રાથમિક સારવાર આપી હૉસ્પિટલ ખસેડાયા જ્યાં દસ દિવસ રહેવું પડ્યું. કેટલાય લોકો અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં આવ્યા. તેમના ચહેરા પર લાગણી સ્પષ્ટ દેખાતી હતી કે અમારા પ્રાધ્યાપક અમને બચાવવા પોતે ઘાયલ થયા! શ્રી ધીરુભાઈ ઠાકર જીવનનાં પરમ સત્યને તારવતાં કહે છે કે : ‘નિયતિ સાથે સમર્પણ જોઈએ. પ્રારબ્ધ અને પરિશ્રમ સાથે પ્રેમ ભળવો જોઈએ. આવા સથવારા વગર જીવન જીવવાનો આનંદ મળતો નથી.’

મોડાસાની શિક્ષણ તપોભૂમિના દ્યોતક, ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ઉજાસના અણસારાથી છલકે છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.