
‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે.
શ્રી રામકૃષ્ણ આરતીની પહેલી પંક્તિમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ खंडन भवबंधन जगवंदन वन्दित्वोमाय એવું લખીને પહેલી જ પંક્તિમાં કહ્યું કે, ‘હે ભવબંધનનું ખંડન કરનાર, જગતનાં વંદનીય હું આપને વંદન કરું છું’. કે ભવબંધનનું ખંડન કરે છે એમ કહેનાર સ્વામી વિવેકાનંદ્દ બહુ જ સમજપૂર્વક અથવા વિચક્ષણતાથી આ આરતીની બીજી પંક્તિમાં કહે છે, ‘निरंजन नररूपधर निर्गुण गुणमय’ એટલે કે તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં તમે સગુણોના આશ્રયી છો.
નિર્ગુણ, નિરાકાર સચ્ચિદાનંદ્દ બ્રહ્મ અનંત હોવા છતાં સમય, સ્થિતિ અને કાળની સીમાથી આવૃત થઈ ઈશ્વર થાય છે અને એ જ ઈશ્વર અવતરણ કરે છે, શ્રી રામરૂપે, શ્રીકૃષ્ણરૂપે, શ્રી રામકૃષ્ણરૂપે. નિરંજન હોવા છતાં નરરૂપ ધારણ કરે છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો આશ્રય લે છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણના આવિર્ભાવની જેમ શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો.
પિતા ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ગદાધર વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ‘હું તારે ત્યાં જન્મ લઈશ.’ માતા ચંદ્રમણી દેવીને જુગીના શિવમંદિરમાં વિચિત્ર દિવ્ય અનુભવ થયો. શિવલિંગમાંથી જ્યોતિ તેમના ઉદરમાં પ્રવેશી. બાળક ગંગાધરની બાળલીલા શ્રી કૃષ્ણની વૃંદાવનલીલા જેટલી જ મધુર, દિવ્ય અને અલૌકિક હતી. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજે શ્રી રામકૃષ્ણદેવની દિવ્ય લીલા નું વર્ણન કરતા પહેલા જાતે હકીકતોની ચકાસણી કરી હતી તે નોંધવા જેવું છે. એમ કહેવાય છે કે ઈશ્વર જ્યારે અવતરે છે, મનુષ્ય લીલા કરે છે, ત્યારે એવો તો આબેહૂબ અભિનય કરે છે કે લોકો સંશયગ્રસ્ત થઈ જાય છે. ઈશ્વર જયારે નરરૂપ ધારણ કરે ત્યારે પોતે માયાનો આશરો તો લે છે, પણ માયાથી પ્રભાવિત થતા નથી. નિરંજન રહે છે. શ્રી રામકૃષ્ણદેવ સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવે છે.
સાપના મુખમાં ઝેર હોય છે. આથી અન્ય લોકો આ ઝેરથી પ્રભાવિત થાય છે. પણ સાપને પોતાને કંઈ થતું નથી. આ જ રીતે સાધારણ જીવ કર્મોના બંધનને લીધે જન્મ ગ્રહણ કરે છે.પણ ઈશ્વર કાર્માધ્યક્ષ હોવાથી બંધનોથી પ્રભાવિત થતા નથી અને નિરંજન રહે છે. નિર્ગુણ હોવા છતાં ત્રિગુણાત્મિકા માયાનો આશ્રય લે છે અને ગુણમય બને છે. શ્રી રામકૃષ્ણ દેવમાં કેટલા બધા દિવ્ય ગુણોનો વિકાસ થયો હતો તે ગણવા બેસીએ તો યાદી ટૂંકી પડે. શ્રી રામકૃષ્ણ દેવને બહુ ઓછા લોકો અવતારરૂપે જાણી શક્યા. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવનાં અનુયાયીઓ પાસે તેમને અવતાર રૂપે સ્વીકારવા જોઈએ એવો આગ્રહ રાખતા ન હતા.
એકવાર સ્વામીજીના એક શિષ્યે તેમને કહ્યું, કે ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી કે, રામકૃષ્ણ દેવ ઈશ્વરનો અવતાર છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે? અમારા પ્રભુનાં પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી. અને અવાર-નવાર શંકા અને નિરાશાથી અમારા મન ખળભળી ઉઠે છે. તો બીજાઓની આમ શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીર વાળો એક માણસ સાક્ષાત ઈશ્વર છે એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેને પૂર્ણ માનવ કે બ્રહ્મજ્ઞાની હદ સુધી જઈ શકીએ. ભલે, તમે તેને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો તેનો કશો વાંધો નથી. મારી પાસેથી એટલું જાણી લેજો કે શ્રી રામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી ઉપર કદી અવતર્યો નથી. જગતનાં ગાઢ અંધકારમાં આજના યુગ માટે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે. હવે તે પ્રકાશ વડે જ માનવ સંસાર સાગર તરી શકશે.’ સ્વામીજીની આ ઉક્તિ તેમની ગુરુ પ્રત્યેની અંધભક્તિનું દ્યોતક નથી. તેને વિભિન્ન રૂપે શ્રી રામકૃષ્ણ દેવની પરીક્ષા કરી હતી અને પછી જ તેમને સ્વીકાર્યા હતા.
શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સરનો રોગ થયો ત્યારે તેમને કોલકતાના કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા. 16 મી ઓગસ્ટ 1986 ના રોજ તેમણે આજ બગીચામાં મહાસમાધિ લીધી, તેના બે દિવસ પહેલાની વાત છે. કોલેજના કેટલાક યુવકો તેમની રાત-દિવસ સેવા કરી રહ્યા હતા, તેમાંના એક હતા નરેન્દ્રનાથ. જેને પછીથી આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખ્યા. શ્રી રામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા ત્યારે એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો. લોકો તો શ્રી રામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આ અવ્યવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, હું ઈશ્વરનો અવતાર છું તો જ હું એને સાચો માનું. નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રી રામકૃષ્ણદેવ એમનાં તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા. ‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે અને એ પણ તારી વેદાંતની દૃષ્ટિથી નહીં.’ નરેન્દ્ર નાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા. અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા. એટલે જ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણની આરાર્તિક સ્તવનની બીજી પંક્તિમાં લખ્યું,.. ‘તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, અને નિર્ગુણ છતાં તમે સદગુણોના આશ્રયી છો’. (ક્રમશ:)
