ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો....

ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો.
 
ધરમપુર તાલુકા નું અંતરિયાળ ગામ છે ખાંડા. અને આ આદિવાસી લોકોનો વિસ્તાર. આ લોકોને આદિતીર્થવાસી લોકો એવું નામાભિધાન કરવાનું પુણ્ય પૂજ્ય શ્રી મોરારીબાપુને મળ્યું છે. પોતાની નવ દિવસની રામકથા લઈને તેઓ આદિ તીર્થ વાસીઓની વચ્ચે બેઠા છે.
કથાના આયોજનમાં પણ પહેલે દિવસે જબાપુએ ટકોર કરી કે, “જે લોકો મને કાયમ સાંભળવા આવે છે, દૂર-દૂરથી આવે છે, પરદેશથી આવ્યા છે, એને મારી વિનંતી છે કે તેઓ પાછળના ભાગમાં બેસે અને અહીંના જે આદિવાસી વિસ્તારના લોકો છે એને મારી ખૂબ નજીક આવવા દે અને એને બેસવા દે. કારણ કે હું એમને મળવા આવ્યો છું. હું એમની વચ્ચે જઈને વાતો કરવા આવ્યો છું, હું એમના ખોયડે-ખોયડે જવાનો છું અને ત્યાં જઈને હું એમની વચ્ચે એમની વાત સાંભળવાનો છું, એમના ઘડેલા રોટલા ખાવાનો છું. મારે એ લોકોની સાથે ભળી જવું છે, જેથી કરીને એ લોકોને એવું લાગે નહીં કે કોઈ સનાતન ધર્મનો એક ભૂખ્યો એનાથી દૂર રહ્યો છે. હું આ મારા સૌ કુટુંબીજનોને, મારા પરિવારને ફરી એકવાર જોડવા માટે અહીં આવ્યો છું.” અને આનંદની વાત એ હતી કે બીજા જ દિવસથી આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી અને બાપુની સન્મુખ આ આદિ તીર્થવાસીઓ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે, દૂરનો વિસ્તાર છે, સખત ગરમીની આગાહી છે, હીટવેવ ની પણ આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે કદાચ કથામાં એટલા શ્રોતાઓ ઉપસ્થિત નહીં થાય, પણ બીજા જ દિવસથી કથાનો મંડપ છલો-છલ છલકે છે. બાપુએ કથા ન સાંભળો તો પણ ભોજનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે ખુલ્લું ઈજન આપ્યું છે. માત્ર ખાંડા નહિ, આજુબાજુનાં ગામના લોકોને કહ્યું છે કે, નવ દિવસ સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળુ તમારે અહીંયા કરવાનું છે. કોઈ ગામની અંદર ચૂલો પેટાવાની મનાઈ છે. બાપુએ પોતાના મનોરથ પ્રમાણે ખાલી ઈશારો કર્યો અને એના મનોરથી યજમાને સવાર-સાંજ શેરડીનો રસ પાઈને ઠંડક કરવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે જમતા પહેલા અને જમ્યા પછી તમે ભાવે તેટલો શેરડીનો રસ અહીં પી શકો છો. બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેના એક માત્ર ઇશારાથી એમના યજમાનો બાપુ શું કહેવા માંગે છે તે પારખી જાય છે, અને બાપુની ઈચ્છાથી સવાયું કરીને એ પાછું આપે છે.
ખાસ કરીને બાપુએ આયોજન એવું કર્યું છે કે, રોજ સાંજે તેઓ એક-એક ફળિયામાં જાય, અને એમ કરીને નવ દિવસમાં નવ ફળિયા આ ગામના જે મુખ્ય છે, ત્યાં જઈને રાત્રે રોટલો ખાય, જેથી કરીને એ લોકોને એમ લાગે કે બાપુ અમારા ઘર સુધી આવ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે બાપુએ અનેક વખત કથામાં કહ્યું છે કે, ‘તમારા ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી’, અને પાંચ વસ્તુઓ ગણાવતા તેઓ કહે છે કે, તમે બે- બે ની જોડમાં પાંચ વસ્તુઓ રાખજો, બે પાદુકા રાખજો, બે દીવા કરજો, બે માળા રાખજો, બે ગ્રંથ રાખજો, અને બે અક્ષરનું નામ ‘રામ’ તમારા ઘરમાં રાખજો.’ બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો. બાપુની આ વાત પહેલેથી પારખી ગયેલા આ કથાના વ્યવસ્થાપકો, ડો. પ્રજ્ઞાબેન કલાર્થી, અને પરેશભાઈ ફાફડાવાળા વગેરેએ નક્કી કર્યું કે, આ ગામના ઘરે-ઘરમાં આપણે ‘ભગવદગીતા’ અને ‘શ્રીરામચરિત માનસ’ પહોંચાડીએ. બાપુના આવતા પહેલા આ કામ પૂર્ણ થયું. આ વિસ્તારના લોકોની સજગતા જોવા જેવી છે, એમણે બાપુના આવ્યા પછી એ રામચરિત માનસમાં બાપુના હસ્તાક્ષર લેવા માટે લાઇન લગાડી. બાપુની પાસે રોજ લગભગ પચાસેક લોકો આવે અને ‘રામચરિત માનસ’ આપે કે “બાપુ આમાં આપના હસ્તાક્ષર કરી આપો”.
ગમે તેટલા મોટા ઉધામા કરીએ તો જે ન થઈ શકે એવું કામ બાપુ અત્યારના ખાંડામાં કરી રહ્યા છે. કથા જેમ જેમ આગળ વધતી ગઈ એમ બાપુને અહેસાસ થતો ગયો કે આદિવાસી વિસ્તારોમાં પહોંચવું હોય તો એક કથાથી કામ પાર નહીં પડે. બીજે જ દિવસે બાપુએ પોતાની કથામાં જાહેરમાં એવું કહ્યું કે, “અમે તમારા સુધી નથી પહોંચી શક્યા, અમે તમારી વાત નથી સમજી શક્યા એ બદલ ક્ષમા યાચના કરવાનું મને મન થાય છે. હું તો રવેચીની કથાથી ક્ષમા હું યાત્રાએ નીકળ્યો હોઉં એવું મને લાગે છે, એટલે રવેચી પછી આ મારું ક્ષમાયાચનાનું બીજું સોપાન છે. અને મારા મનમાં આવા સાત સોપાન કરવાનો મનોરથ છે. બાપુએ એમ કહ્યું કે નેવું ટકા ઈશ્વરનો સાથ રહેશે તો હું પ્રતિવર્ષ એક વખત કોઈ આદિતીર્થવાસી વિસ્તારની અંદર રામકથા લઈને આવીશ. બાપુએ એવું પણ કહ્યું કે, તમે મને સૂચન કરજો કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી?, એ વિસ્તારમાં ઊંડે જઈને પણ રામકથા કરવાનો મારો મનોરથ છે. ત્રણ દિવસમાં બાપુએ આ વાતને માત્ર કહી એટલું નહીં, એ વાતને ચાલતી કરી દીધી, એના ચક્રો ગતિમાન કરી દીધા, અને કથાના ત્રીજા દિવસે તો બાપુએ ઘોષણા કરી દીધી કે, “એક વર્ષની અંદર, આવતા ડિસેમ્બર સુધીમાં હું સોનગઢના આદિતીર્થવાસીઓની વચ્ચે કથા કરવા આવવાનો છું. “
આ આખી કથાનો રણકો એવો ઉભો થયો છે કે સનાતન ધર્મના જે મુખ્ય ધુરંધરો છે, એના સામે એક નવા સૂર્યના ઉદયનો પ્રસંગ જાણે આવ્યો છે. હવે ધર્મ પરિવર્તન કરવું એટલું સહેલું નહીં બને, કારણ કે ઘર-ઘરની અંદર વ્યાસપીઠ પહોંચી છે. ઘર-ઘરની અંદર કથા પહોંચી છે, અને આ આપણને બહારથી અબુધ લાગતા લોકો ખૂબ સમજવાળા છે, ઓછામાં ઓછું બોલે છે, તમે બોલો ત્યારે એની આંખોથી એ સાંભળે છે, તો એ આંખોથી સાંભળતા લોકો સુધી બાપુ બરાબર પહોંચ્યા છે. અને પ્રતિવર્ષ આદિતીર્થક્ષેત્રમાં જઈને તેઓ કથા કરવાના છે, એ બાપુનો વૈશ્વિક સ્પૃશ્યતા માટેનો યજ્ઞ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળક સાથેની જીણી-જીણી વાતોનો  સરવાળો એટલે  ‘પેરેન્ટીંગ’.

બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’.

ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. 

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં  જે કંઈપણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઈટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.  

જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર તેને જ અનુસરવાનું.  આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લઈ લેજે’,આમ કહેવું તે  અસ્થાને કહેવાય. બાળક બધુ  બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે , પાણી લઇ લેજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો- પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી. ઉભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે ત્રણ મિનિટ પછી એણે કીધું, પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય, અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી  શકે, ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે? અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે  બેય સાથે પીશું.’ જુઓ,  પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી,એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે? બેસને બાલ્કનીમાં.’  બાળક આ વાત પણ ઓબઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં  સાચું શું? 

એક નાનકડી એક ટીપ ,, આપણે  પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખએ  જરા. આ આપણે  તુંકારા ઉપર આવી ગયા  છીએ  ને, એમાં ક્યારે  તુંકારામાથી  ‘તારો બાપ ને મારો બાપ’ ઉપર  આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય  સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’   That means it is a tradition of the family . એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. આ જેના પપ્પા કહ્યા વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઇ ને ક્યાં જવાનો હોય એ  કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે,  પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં  સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.  

તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન  રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર  નીકળી ને ઝઘડવું, રેસકોર્સની પાળી એ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો , ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં , પછી પાછા હસતાં-રમતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે. 

ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું. Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જેને ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા,પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. બાર વર્ષની ઉમર સુધીનો જે ગાળો છે, એ હીરોવર્શીપનો ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે. અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી સાહેબ, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી,તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે આપણે  હજી બાકી છે. 

બીજી એક વાત , દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતાં-રમતાં ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું,અત્યારે એને કોલ્ડસ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે આ દીકરી અહિયાંતો હેરાન થવાની, ત્યાં જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની,. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે, ત્રણ સીટી વગાડજે હો,’ કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit formation.તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય. ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય, આ બધી પ્રકિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો . ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’  અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઉભા રહો , તમે જો જો દીકરો તરત કહેશે કે,  પપ્પા મને આપો ને , When you involve them, they are eager to work . જયારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે. ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’  આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ  ખોલતું નથી. તો શું કરવું જોઈએ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ  છે, એ એને એકવાર કરવા માટે આપો.કરતાં-કરતાં જે શીખાય એને  કેળવણી કહેવાય. (ક્રમશ:)

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

@ખાંડા, ધરમપુર. તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
 
ચૈત્ર નવરાત્રીની આજે શરૂઆત થઈ. આજે ગુડી પડવો પણ અને સનાતન ધર્મનું આજે નવું વર્ષ હતું. સવારથી એવી ઈચ્છા હતી કે આજની સવાર દિવ્ય હોય એવું કશુંક વિચારું. ત્યાં તો જાણવા મળ્યું કે, ધરમપુરથી ૧૫ કિમી દૂર ખાંડા ગામે ગઈકાલથી પ્રિય મોરારીબાપુ પધારી ચૂક્યા છે. તાત્કાલિક આપણા ચરણ ધરમપુર થી ખાંડા તરફ દોડ્યા. જ્યારે ખાંડા ગામમાં વનરાજીઓની વચ્ચે બાપુની એક કુટીયામાં પહોંચ્યો ત્યારે બાપુ એ ય ને નીજી આનંદથી હિંડોળે હિચકતા હતા, બાજુમાં યજ્ઞ કુંડ હતો, સુંદર મજાની ગાદી બિછાવેલી હતી અને ઉપર હનુમાનજીની હાજરી પૂરતી તસવીર હતી.
શ્રી ગુણવંત શાહ વારંવાર એમ કહે છે કે, ‘આભિજાત્ય ની બાબતમાં તો મોરારીબાપુને કોઈ ન પહોંચે’ ,, એ વાત મેં અનેક વખત અનુભવી છે અને આજે પણ અનુભવી. આપણને દરવાજામાં પ્રવેશતા જોઈને દૂરથી બાપુ એમ કહે કે, ખુરશી લઈ લ્યો અને ખુરશી પોતાની બાજુમાં મૂકી, આપણે હજી દાખલ થઈને પ્રણામ કરીએ એ પહેલાં તો, ‘બેસો બેસો’ એવો આવકારો આપે અને પૂછે, ‘બધું બરાબર છે ને દીકરો મજામાં છે ને ??’ આવા ખબર આજકાલ કોઈ પૂછતું નથી. કુટુંબમાં પણ નહીં ને ! (જો કે, કુટુંબમાં તો કોઈ એકબીજાને મળતું જ નથી તો પૂછે ક્યાંથી ??) બાપુની આ સુંદર મજાની પૃચ્છાથી ચૈત્ર નવરાત્રીનો પહેલા દિવસનો આરંભ ભર્યો ભર્યો થઈ ગયો.
શાંત ચિત્તે બાપુ પાસે બેસવાની ખૂબ મજા આવે છે. ઘણા લોકો બાપુને મળવા આવે ત્યારે ખૂબ વાતો કરતા હોય છે. પોતાની કેટલીક વાત બાપુની જાણમાં મૂકે અને એ બહાને બાપુને થોડું બોલતા કરે,, પણ કોણ જાણે કેમ, મને તો બાપુ પાસે જઉં ત્યારે મૌન રહેવું બહુ પસંદ પડે છે. મને તો એવો ભાવ થાય કે, આવડું મોટું રામચરિત માનસ આપણી સમક્ષ બેઠું હોય ત્યારે આપણે શું બોલીએ એની માત્ર કલ્પનાથી આપણે મૌન થઈ જઈએ. ખરેખર આજે ય એવું જ બન્યું.
એક પછી એક આદિવાસી બહેનો, ભાઈઓ, નાના બાળકો આવી રહ્યા હતા અને બાપુને પ્રણામ કરતા હતા. બાપુની બાજુમાં હંમેશા કોઈ એક સેવક હોય છે. (નોંધવા જેવું એ છે કે, બાપુ ની બાજુમાં કોઈ દિવસ એકનો એક સેવક હોતો નથી, સેવક બદલતા રહે છે છતાં બધાનો સેવ્ય ભાવ એક સરખો હોય છે…) એ સેવક રામનામી બાપુને આપતા જાય અને બાપુ બહેનોના હાથમાં રામનામી મુકતા જાય અને બાળક આવે એટલે ₹500 ની નોટ આપે. અને બાપુ બાળકના હાથમાં નોટ પકડાવીને તેનું નામ પૂછે ને કહે, આને ભણાવજો હો.. કોઈ વળી આવીને કહે કે, બાપુ મારું નામ અહીંયા લખવું છે’, તો બાપુ તાત્કાલિક એનો હાથ પકડી લીલી પેન લઈને નામ લખી આપે.
આજે વળી એક આશ્ચર્ય થાય તેવું બન્યું. એક આદિવાસી બહેન બાપુને માથું ટેકવી પગે લાગ્યા ને બાપુએ રામનામી આપી. ત્યાં તો એ આદિવાસી બહેને બાપુના હાથમાં ભૂંગળી વાળેલી બે નોટ મૂકી. નિલેશભાઈ એ બહેનને રોકે ત્યાં બાપુએ આંખથી કહી દીધું કે, એને ના ન પાડજો. નિલેશ ભાઈ તો બાપુનો ઈશારો તરત સમજી ગયા. બાપુએ સ્મિત સાથે બે નોટ લઈ લીધી અને નોટને સરખી કરીને પોતાની ગાદી નીચે દબાવી દીધી. એક છેવાડાના માણસની લાગણીને માન આપવા પોતાના નિયમને એક બાજુ રાખી દીધો. હું મનોમન બોલ્યો, ‘વાહ, બાપુ, તમે તો તમે જ છો હો..’
અને હા, બાપુએ વચ્ચે એક સેવક ચોકીદારને બોલાવીને કહ્યું કે, ‘જે આવે ને એને આવવા દેજો, એને કહેજો ચાલો મેળવી દઉં, બસ પછી તમે કશું નહીં કેજો. હું એમને મળી લઈશ પણ કોઈને ના નહીં પાડતા. હું આજથી અહીંયા સૌને મળવા આવ્યો છું. મારે એ લોકો સાથે વાતચીત કરવી છે….’ આ વાત જ્યારે સાંભળી ત્યારે બાજુમાં મૌન રીતે બેઠેલા મારા મનને એમ લાગ્યું કે આભિજાત્ય તો ક્યાં, બાપુની કરુણાની તોલે પણ કોઈ ન આવી શકે !!
બાપુ એટલા બધા સહજ છે કે ક્યારેય કોઈને આશીર્વાદ દેતા જોયા નથી, બાપુ ક્યારેય કોઈને ધબ્બો મારતા જોયા નથી, બસ, કોઈ આવે એટલે દૂરથી બાપુ હાથ જોડી નીચા ઝૂકી પોતે પ્રણામ કરે. મેં તો આજે એવું પણ અનુભવ્યું કે આદિવાસી બહેનો માથું ટેકવીને જ્યારે પગે લાગે ત્યારે બાપુ પોતાના પગ અંદર ખેંચી લે. કોઈ ચરણસ્પર્શ કરે તો એને ગમતું નથી. બાપુની બેઠક જ એવી રીતે હોય કે કોઈ એના ચરણસ્પર્શ ન કરી શકે.
આજના વિપથગામી સમયમાં જ્યારે કેટલાય લોકો પોતાના ચરણસ્પર્શ કરાવવા માટે તલ પાપડ હોય છે, ત્યારે એક વિશ્વખ્યાત વ્યક્તિત્વ પોતાના ચરણોને દૂર કરી લે છે એ જાણીને આપણા મનમાં સાનંદાશ્ચર્ય થાય , પણ બાપુની આ જ તો સહજતા છે અને તે બેનમૂન.
અર્ધો કલાક થયો ત્યાં બાપુની ચા આવી. બાપુની ચા બહુ અલગ છે. તમે બાપુની ચા જ્યારે પીવો ત્યારે કોઈ પણ ઋતુ હોય પણ એની અંદર અદ્રક કે સૂંઠ બરાબર નાખેલ હોય.. એ ભલે બે ઘૂંટડી પીએ, પણ એ બે ઘૂંટડીમાં તો આખા શરીરની અંદર ઉઘાડ ઉઘાડ થઈ જાય. સંતરામભાઈ ચા લઈને આવ્યા કે બાપુનો વિવેક બોલ્યો, ‘ સૌને આપો.’ #સનાતન_ધર્મનું કોઈ પીણું ઘોષિત કરવું હોય તો બાપુની સંતરામભાઈએ બનાવેલી ચા ઘોષિત કરવી જોઈએ, (એવો મારો મનોરથ છે.) બાપુ કાયમ ચાની સલ્લા કરે જ અને તેની મને પ્રતિક્ષા પણ હોય.
પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
ભદ્રાયુ વછરાજાની
@ખાંડા, ધરમપુર
તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા. 

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this… 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે. 

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે. 

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

એ કહેવું ન જ ગમે  પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ  અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!! 

આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે  ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે. 

કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી.  કારણ કે આપણને  જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા  નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે.  બહુ સ્પષ્ટ  માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા,  આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે. 

કોઈ કહે કે,  મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે  અઘરો દાખલો તમને સોંપ્યો છે.  શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને  એમણે ખાસ પસંદ કર્યા છે.  કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે.   કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ  મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે. 

વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે  જે એમકહે છે કે,  પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’  એનો અર્થ એવો છે કે, માતા પિતાને  ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે,  તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના  પેરેન્ટિંગના  પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ  તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ  થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં  આવે છે?’,  ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને  મજા આવી ખરી ? શાણો  મહેમાન હોય તો એને  ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા  ઘરનું. 

હવે  જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે,  બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે  બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું  એટલે શું?  જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’. 

એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે  પૂર્વ જન્મ, હવે  આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે  પૂર્વજન્મમાં  નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો  ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે  કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

હલચલ – મુંબઈ આવૃત્તિ – માર્ચ ૨૦૨૪

લેખક: ભદ્રાયુ વછરાજાની,  પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, ભાવનગર 

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

વિશ્વ વંદીય નરસિંહ મહેતા એ ગાયું છે : નામરૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોય !

અહીં હેમનો અર્થ સોનુ એવો થાય છે. અને એવો અર્થ અભિપ્રેત છે કે તમે સોનામાંથી જાતજાતના અને ભાતભાતના દાગીનાઓ બનાવો અને એ પ્રત્યેકને જુદું જુદું અલંકૃત નામ આપો પણ અંતે તો એ સોનુ છે. તમે એમ કહો કે મને સોનુ કાઢીને દાગીના આપો તો કશું મળે નહીં. 

આ પંક્તિઓ અત્યારે એટલે યાદ આવી છે કે મારે વિશ્વના એક એવાં વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેના નામમાં જ નહીં પણ જીવનમાં પણ  ‘હેમ’ શબ્દ મુખ્ય છે. એ વ્યક્તિ ખુબ નસીબદાર છે. ઈશ્વરના ચોતરફના આશિર્વાદોથી તરબતર થઈ જાય એટલી સભર છે અને એટલા માટે એમ કહેવાય કે ‘હેમ’ ઉપર  ‘રાજ’ કરી શકે, સુવર્ણ ઉપરથી  પણ ઉઠીને જે માણસ પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ સાથે ભેળવી દઈ શકે એનું નામ હેમરાજ શાહ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ભારત એવાં રાજ્ય કે દેશો નહીં પરંતુ સમગ્ર વિશ્વ જેમને હેમરાજ શાહના નામે ઓળખે છે એમને મળવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે. પણ કેટલાક માયાળુ માનવી એવાં હોય છે કે જેને ખુબ ઓછાં મળ્યા હોઈએ  છતાં એ તમારા દિલમાં જગ્યા બનાવી લે. હેમરાજભાઈના કિસ્સામાં મારા માટે આવું થયું છે, મને બરાબર યાદ છે કે મુંબઈનું  કોઈ થિયેટર હોય અને એમાં  ગુજરાતી જલસો કાર્યક્રમ હોય, કે વિદેશની ધરતી ઉપર ગુજરાતીઓનો કોઈ સુંદર મજાનો સમારંભ થયો હોય પણ બધાની સામે જે હોઠથી અને આંખથી સ્મિત સાથે હળતા મળતા હોય એવાં માણસ શોધો તો તે હેમરાજ શાહ નીકળે. આપણને એમ લાગે કે આ માણસને તો સુગંધી ગુલાબ, ચમેલી એવાં અનેક પુષ્પોનું વાવેતર કરવાની ટેવ છે. જ્યાં જાય છે, જયારે જાય છે, જેટલું જાય છે એ પોતાનું નામ વાવીને આવે છે. એવું પણ બન્યું છે કે હેમરાજ શાહને ઘણા લોકોએ સંકટ સમયની સાંકળ તરીકે પણ મદદ કરવા ટહેલ નાખી હોય અને હેમરાજભાઈએ એમાં પાછી પાની ન કરી હોય. મારે કોઈ યાદી નથી આપવી. આ બધી સ્ટેટિક બાબતો કહેવાય કે જે આપણને ગુગલ દેવતા પાસેથી મળી રહે. પણ મારે તો વાત કરવી છે એક સ્વચ્છ હૃદયના એક કરુણાસભર આંખવાળા અને જેમનો સમગ્ર ચહેરો ચોવીસેય કલાક સ્મિતમય હોય છે એવા હેમરાજભાઈ શાહ વિશેની. 

કચ્છને લઈને અમારું મળવાનું થયું પણ પછી એ કચ્છમાંથી ક્યારે સમગ્ર ગુજરાત સુધી અમે પહોંચ્યા અને ક્યારે વિશ્વના અનેક દેશો સુધી અમે મળતા રહ્યા એની યાદી  અત્યારે મારે યાદ કરવી પણ નથી. એક સરસ વાત છે : કોઈ પનિહારીએ પૂછ્યું કે તું તારા વાલમનું નામ કેટલી વાર લે છે ? દિવસમાં પાંચ વાર, દસ વાર, પંદર વાર ? તો પેલી પનિહારીએ સરસ જવાબ આપ્યો કે,  વાલમનું નામ લેવાનું હોય તો ગણવાની શું જરૂર ? વાલમનું નામ લેવાય એ જ ઘણું છે એની કાંઈ ગણતરી ન કરાય..એમ જ હેમરાજભાઈ શાહના સિદ્ધિદાયક કાર્યોની યાદી કરવાની શું જરૂર ? એ તો સ્થૂળ પરિચયમાં ખપી જાય. આપણે તો વાત કરવી છે સૂક્ષ્મજીવ માટે પણ સદા ચિંતા સેવનારા હેમરાજ શાહની. 

મારી સાથે એના બે ત્રણ કિસ્સાઓ છે એમાંથી એક સુંદર મજાનો કિસ્સો હું વર્ણવું. કચ્છની ધરતી માટે જેમણે કોઈ ખાસ પ્રદાન કર્યું છે, એમને એ પોતે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપે. કોણ જાણે શું થયું હશે ? કે ૨૦૧૭ ની સાલમાં એમણે મારું નામ એ એવોર્ડ માટે નક્કી કર્યું. મને ખબર હતી કે આ બધું નક્કી કરવાનું હેમરાજભાઈ શાહના હાથમાં છે. એટલે જયારે મને ઇમેઇલ આવ્યો કારણકે એ વખતે હું ઓટ્રેલિયા હતો અને ઈમેલ ઉપર એમ કહેવામાં આવ્યું કે કે તમને આ એવોર્ડ મળે છે અને એ એવોર્ડ લેવા માટે મુંબઈ આવવાનું છે. એ વખતના શિવસેનાના મોભીઓ દ્વારા એ એવોર્ડ અપાવાનો હતો. કચ્છ શક્તિ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. હેમરાજભાઈ એટલા બધા કુણા દિલના કે એમને ફોન કરીને મારે જે કહેવું હતું તે કહી શકાય કે નહીં એવું મેં ત્રણ ચાર દિવસ સુધી વિચાર્યું અને અંતે થોડી ઘણી હિંમત એકઠી  કરીને મેં હેમરાજભાઈને ઇમેઇલ લખ્યો. પરદેશથી ફોન કરવો મને થોડો મોંઘો પડે એટલે મેં નિઃશુલ્ક સેવા ઈમેઈલની વાટ પકડી. મેં વર્ણન કર્યું કે હું ખુબ આનંદ અનુભવું છું કે તમે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે, પણ સાચું કહો તો કચ્છ માટે મારું એવું કોઈ પ્રદાન નથી. હું અદાણી ફાઉન્ડેશનમાં એડવાઈઝર હતો એ નાતે મેં કચ્છમાં ઘણું બધું પ્રદાન કર્યું છે પણ એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે એટલે ખરેખર આ કચ્છ શક્તિ એવોર્ડનો હું હકદાર નથી અને બીજું હેમરાજભાઈ, મેં જીવનમાં એક વખત સન્માન પ્રાપ્ત કર્યું છે એ પણ બેસ્ટ રિસર્ચ પેપર માટે મને ‘પૂજ્ય શ્રી મોટા’ના નામથી સન્માન મળ્યું તે. પૂજ્ય શ્રી મોટાના નામથી મળેલા એ સન્માન પછી હું એટલો બધો ધરાઈ ગયો કે મને એમ થયું કે આમાં નોબલ પારિતોષિક પણ સમાઈ ગયું છે. એટલે ત્યાર પછી કોઈ પણ પ્રકારના સન્માન કે એવોર્ડ ન સ્વીકારવાનો મેં નાનકડો સંકલ્પ કર્યો છે. આમાં મારી કોઈ મોટાઈ નથી પણ અંગત રીતે હું એમ માનુ છું કે મારા જેવા માણસે જે કંઈ કર્યું છે એ ફરજના ભાગરૂપે કર્યું છે અને બદલામાં એને સરકાર દ્વારા પગાર મળ્યો છે. પગાર મળે એણે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરવું પડે, કરવું જ જોઈએ. પગાર એનો તો મળે છે એટલે આપણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવો ક્યારેય અહમ ન રાખવો. હું તો ત્યાં સુધી માનુ છું કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે હોમવર્ક આપીને મોકલ્યા છે કે આ હોમવર્ક તારે નીચે જઈને પૂરું કરવાનું છે. એ હોમવર્કમાં કંઈ કાચું રહી જાય ત્યાં સુધી ઈશ્વર આપણને ઉપર ન લઈ જાય. અને જો કાચું રાખીને લઈ જાય તો મારો વ્હાલો ઈશ્વર નારાજ થઈ જાય,  એટલે હું આપની લાગણીને માથા ઉપર ચડાવીને આપે નક્કી કરેલા એવોર્ડને ન સ્વીકારનો નિર્ણય આપને જાણ કરું છું. હું ઓસ્ટ્રેલિયા હતો પણ થોડા જ સમયમાં મારો ફોન નંબર મેળવીને હેમરાજભાઈનો મીઠો ફોન આવ્યો. અને એમણે કહ્યું કે હું તમારો ઇમેઇલ વાંચીને બહુ જ પ્રસન્ન થયો પણ મારી તમને વિનંતી છે કે તમે આ એવોર્ડ સ્વીકારો પછી કોઈ ન લ્યો તો ચાલશે. પણ મેં કીધું કે હું માનુ છું કે હેમરાજભાઈ એટલા મોટા દિલના છે કે મારા સંકલ્પને પણ ઠેસ પહોંચાડવાનું પસંદ નહીં કરે. એમણે અંતે કહ્યું કે હું તમારા સંકલ્પનો આદર કરું છું અને તમને એક નાનકડી વિનંતી કરું છું કે અમારી આ એવોર્ડ વખતે પ્રસિદ્ધ થનારી એક સુંદર મજાની પુસ્તકમાં તમે જે મને ઇમેઇલમાં લખ્યું છે તે મને લખી મોકલો. મારા આશ્ચર્ય વચ્ચે એ પુસ્તક મારી પાસે આવ્યું ત્યારે તેના છેલ્લા પૃષ્ઠ ઉપર મારા ફોટોગ્રાફ સાથે નીચે એવું લખેલું હતું કે, હું આદર સાથે કચ્છ શક્તિ એવોર્ડ ન સ્વીકારવાનું નક્કી કરું છું,  કારણકે હું માનુ છું કે મેં જે કંઈ કર્યું છે એ તો ઈશ્વરે સોંપેલા હોમવર્ક પુરા કરવાનું કામ કર્યું છે. 

આ એક જ પ્રસંગ એવો હતો કે જયારે હું અને હેમરાજભાઈ એકબીજા સાથે  આવી રીતે ઈન્ટરેક્શનમાં આવ્યા અને એકબીજા સાથે સંવાદ કર્યો. અનેક વખત અનેક સેવાના કાર્યોમાં હેમરાજભાઈની સાથે એમના હાથ નીચે કામ કરવાની નાની મોટી  તક મળી ત્યારે એમનો મૃદ સ્વભાવ, એમનું કરુણામય જીવન અને  સૌને પોતાનાં કરી લે તેવો  દિવ્ય પ્રભાવનો અનુભવ મેં હંમેશ કર્યો છે.

હેમરાજભાઈ ૮૨ વર્ષ પુરા કરે છે અને ૮૩ માં પ્રવેશ કરે છે. ત્યારે  બહુ સુંદર વિચાર  છે કે ૮૨ વ્યક્તિઓ પાસે હેમરાજભાઈ વિશે નાનામોટા લેખ લખાવવા  અને તેના ગ્રંથનું વિમોચન થશે. હું આ ગ્રંથમાં મારા થોડા શબ્દોનું અર્ધ્ય તેઓના જીવન વિશે અર્પણ કરી શક્યો છું એ મારા માટે ભાગ્યની વાત  છે. 

છેલ્લી વાત એ કહું કે પૃથ્વી ઉપર વિપથગામી પરિબળો ધીમે ધીમે કબ્જો કરતાં જાય છે. મને અને તમને ખ્યાલ છે કે શાંતિ, અહિંસા, ભાઈચારો, સૌહાર્દ આ બધા શબ્દો હવે પાતાળ તરફ ધકેલાતા જાય છે. એને લઈને પૃથ્વી વધુને વધુ જોખમમાં આવી રહી છે. આમ પણ ભૂગોળ એમ કહે છે કે પૃથ્વી તો ત્રાસી ઊભી છે પણ એને સીધી કરવાનું કામ એક ધરી કરે છે. હું તો હેમરાજ શાહને પૃથ્વીને ટેકો કરનાર પેલી સીધી ધરીના રૂપથી નવાજું છું અને પ્રાર્થના કરું છું કે હેમરાજભાઈ ઘણું જીવો..હેમરાજભાઈને ઈશ્વર અપાર શક્તિ, બળ અને લક્ષ્મી આપે કે જે તેઓ અન્યના લાભાર્થે અનેક ક્ષેત્રોમાં તેનો સુંદર મજાનો દિવ્ય ઉપર્યોગ થાય તેવી ઈશ્વર તેમણે ક્ષમતા બક્ષે એવી મારી પ્રાર્થના. હેમરાજભાઈએ ૮૨ વર્ષ પુરા કર્યા છે ત્યારે નજદીક હોય તો તેઓને ૮૨ પ્રણામ કરવાની ઈચ્છા મને છે. દૂર હશે તો પણ હું માનસી સેવાની જેમ માનસ પૂજાની જેમ હું તેમને ૮૨ સ્મરણ વંદન કરું છું. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

ગ્રામસેતુ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

Dinkar 3

કમ્મરના મણકાની વેદના શબ્દો દ્વારા કાગળ પર ઊતરતી ચાલી!

ચૌદ વર્ષની ઉંમરે એક કિશોરને કમ્મરના મણકાની વિચિત્ર બીમારી ઘેરી વળે છે. તેનાં બેથી અઢી વર્ષ પથારીમાં જ વીતે છે. પથારીમાં પડ્યો પડ્યો તરુણ કંટાળે જ ને? ખાસ વાંચનનો શોખ નહીં, પણ કંટાળીને પડ્યાં પડ્યાં વાંચવાનું શરૂ કરે છે અને તેને વાંચનનો ચસકો લાગે છે! ઘરમાં ત્યારે બીજાં તો પુસ્તકો ન હતાં. એક જૂનું રામાયણ મળી આવ્યું તેમાંથી જટાયુવધ જેવા પ્રસંગ ચિત્રો ગમ્યાં. નાનાભાઈ ભટ્ટનાં મહાભારતનાં પાત્રો’ તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રસંગો’ વાંચી નાખ્યો. મણકાના દુખાવાને કારણે નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો તરુણ વાંચનનો રસિયો બને પછી તે જીવનભર વાચન-લેખન સિવાય કરે ય શું? બન્યું પણ એવું જ. દિનકર જોષી જેનું નામ આજે આઠમા દસકે સાહિત્યસર્જનની ઉપનિષદયાત્રામાં જ જીવન વિતાવે છે.

પછી તો હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લાવવાનો ક્રમ થયો. કનૈયાલાલ મુનશી, ૨. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી પૂરા વાંચ્યા. સોળ વર્ષની ઉંમરે એક વાર્તા લખી : ગત આ અકસ્માતનું.’ ચાંદની વાર્તા માસિકમાં છાપવા મોકલી. છપાઈ તો નહીં, પણ પાછી ન આવી. દિનકરને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાંનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે છાપું હતું જનસત્તા. એક જ ગ્રુપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી ‘ચાંદની’માં ને છપાઈ જનસત્તા’માં! પણ પછી જ્યારે નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએ ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોશીને શેર લોહી ચડેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. આમ તો ૧૯૫૦ થી લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે છોત્તેર વર્ષના થયેલા દિનકર જોશી છેલ્લાં ત્રેસઠ વર્ષોથી લખે છે! સૂર્ય સમાન ઝળહળતા શબ્દોની આ ઉપાસના નહીં તો બીજું શું?

નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક, સંપાદક, કવિતાના આસ્વાદકાર તરીકે જેમનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે એવા કલમનરેશ દિનકર જોશીનું સર્જન હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તામિલ જેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. સવાસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયું છે તેમાંથી પચાસ પુસ્તકો તો અન્ય ભાષાઓમાં છપાઈને દેશભરનાં વાંચકો સુધી પહોંચ્યાં છે.

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ દિનકર જોશીનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં ક્રુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયૉર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”, શ્યામ બેનેગલની ફિલ્મ મેકિંગ ઑફ મહાત્મા’ની સાથે જ પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતિરત થયેલું નાટક માત્મા વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકર્મા શ્રી દિનકર જોશી પણ એક હતા.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી કોઈપણ એક લેખકને એના જીવનકાળ દરમિયાન મહત્તમ પાંચ વખત પુરસ્કૃત કરી શકે તેવો નિયમ છે. દિનકર જોશી પાંચ વાર પુરસ્કૃત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર સન્માનિત આ સર્જકને “મેડમ બ્લેનેટેસ્કી પારિતોષિક’, સંસ્કાર ઍવૉર્ડ, ગિરનાર ઍવૉર્ડ પણ મળેલ છે. ૨૦૦૪માં દિનકર જોશીની લેખન કારકિર્દી નિમિત્તે મુંબઈની કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દિનકર જોશીના ૧૧ ગ્રંથો એકી સાથે જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા. સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે સ્વીકારીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન આપવામાં આવ્યું. તેમના બહુ ચર્ચિત પ્રકાશનો પડછાયો’ પરથી તૈયાર થયેલ અંગ્રેજી નાટક “મહાત્મા વર્સેસ ગાંધી’નું નાટ્યું દિગ્દર્શન ફિરોઝખાને કર્યું. આ નાટક તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનમાં ભજવાયું, તો આ નાટક્ના શૉ યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના શહેરોમાં પણ થયા. દિનકર જોશીની નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી શ્રીકૃષ્ણ હવે નથી’ એવું જાણતાંવેંત વસુદેવ, દેવકી, દ્રૌપદી, રુક્મિણી, સત્યભામા, અક્રુર, ઉદ્ધવ અને રાધાના અંતરમાંથી કેવો ચિત્કાર સરી પડ્યો હશે એ કલ્પનાને દિનકર જોશી શ્યામ એકવાર આવોને આંગણે’માં શબ્દદેહ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળીમાં અનુવાદિત આ ગ્રંથ ત્રણ સામયિકોમાં જુદી જુદી ભાષાઓમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય એ ગુજરાતી સર્જનનું ગૌરવ પૃષ્ઠ ગણાય! ગુજરાત, હૈદ્રાબાદ, મુંબઈ, ભોપાલમાં આ ધારાવાહિકરૂપે અનૂદિત થઈ.

દિનકર જોશીએ જીવનભર શું લખ્યું જ છે? અન્ય કંઈ ખરું કે નહીં?” આ પ્રશ્ન વજુદવાળો છે. ભાવનગરમાં ભડી ભંડારિયા નજીકનું નાનું ગામ નાગણિબા. ત્યાંના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં ચાર સંતાનોમાં એક તે દિનકર. મેટ્રિકમાં ૭૮% આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી લઈ શામળદાસ કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના માંડ કાઢ્યા. આર્થિક સ્થિતિ કથળી એટલે ભણવાનું પડતું મૂકી કલેક્ટર ઑફિસમાં સિત્તેર રૂપિયા પગારની નોકરી કરી. પછી વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર થયા, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં કલર્ક થયા. પણ ત્યારબાદ તો દેના બૅન્કમાં સળંગ સાડત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલ્કે સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયો. હાલ પણ ઘરથી નજીક કાંદિવલીમાં જ એક નાનું લેખનઘર વસાવ્યું છે, તેમાં નીચી ખુરશી પર આરામથી બેઠા બેઠા બોલે છે, બાજુમાં બેસી દીકરી લખતી જાય છે. કમ્મરના મણકા હજુ વેદના આપે છે. ગળામાં અને કમ્મરમાં પટ્ટો, બેસતી વખતી ખાસ ગાદી… છતાં દિનકરભાઈ પ્રસન્ન અને પ્રફુલ્લિત… સવારે વહેલા જમીને બાપ-દીકરી આવે તે સાંજે મોડેથી જમવા ટાણે લેખનઘરેથી સ્વગૃહે પ્રયાણ કરે. હાલ કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટીની કેટલીય શિક્ષણ સંસ્થાના વડીલ તરીકે માર્ગદર્શન આપે છે. એક માતબર કામ હાથ પર છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુદિત કરાવીને, સંબંધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશથી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સ્થાપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં આ પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અભિનવ કામગીરી કરી દિનકરભાઈ જોશીએ વીસ ગ્રંથો પ્રકાશિત કર્યા છે! ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, પૂર્વેની મહાભારતની સંશોધિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ કરી તેના પંદર ગ્રંથો તેઓએ પ્રગટ કર્યા છે! દિનકર જોશી જેમ જેમ વધારે લખતા જાય છે તેમ તેમ વધારે ખીલતા જાય છે. લખતાં લખતાં તાજા રહેવાનું તેમને ફાવી ગયું છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


જગત, જાત અને  જગતનો જાત સાથેનો સંબંધ

જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જનકલ્યાણ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  એક પ્રખર  અધ્યાપકનો  જવાબ… 

આ અહીં પહોચ્યાં પછી આટલું સમજાય છે,

કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે !

જીવ અને શિવનો આટલો ઊંડો મર્મ ટૂંકમાં કહી દેનાર કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ તેમનાં જીવનની વાતો માંડતા હોય તો  સાંભળવી કોને  ન ગમે ??

“ઘણીવાર કોઈ  મિત્રો મને પૂછે કે, તમે તમારા સમકાલીન કવિઓ કરતાં જુદા કેમ છો?, તો હું કહું એમને, કે 20 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો ભણવા માટે, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય. ત્યાં સુધી સૌરાષ્ટ્રનાં સંસ્કાર, તો હું બોલ્યો એટલે બોલ્યો. એટલે  ‘હા’ તો ‘હા’ અને ‘ના’ તો ‘ના’ એમ જ હોય. એની બદલે ‘હા’ હોય અને છેક સુધી ‘ના’ હોય, એવું બને એવો પહેલો-વહેલો અનુભવ થયો, એ આઘાતજનક હતું. બીજો અનુભવ એ હતો કે, બપોરે આટલા બધા લોકો બહાર હોય એ પણ મારાં માટે નવો અનુભવ હતો. તો હું  જુદો  છું એનું કારણ એ કે, આ ઉંમરે મને જગત, જાત અને  જગતનો જાત સાથેનો સંબંધ, આ બધું પૂરેપૂરું સમજાતું નોહતું એ સમયે મને એ.જી.ભટ્ટસાહેબ (અનુપરામ ગણપતરામ ભટ્ટ)  જેવા માણસ પાસે ભગવતગીતા ભણવા મળ્યું..!!  એ ભગવતગીતા ભણાવે એવા પૂર્ણ શિક્ષક  જોયા નથી. એ ભગવતગીતા ભણાવે, પહેલેથી જ ત્રણ ને બદલે ચાર પિરિયડ અઠવાડિયાનાં ગોઠવે, ટ્યુટોરિયલ એમાં ઉમેરી દે, અને એક-એક શ્લોક ભણાવે. એ જ વખતે ઝેવિયર્સ  વગેરેમાં સિલેક્ટેડ એંસી  શ્લોકો ભણાવતાં હતાં અને અમારા કરતાં એમના માર્ક વધારે આવતાં હતા. પણ જીવનમાં અમને જે લાભ મળ્યો એ કદાચ એમને મળ્યો હશે કે કેમ ? એ પ્રશ્ન છે. 

…તો ભગવતગીતા ભણાવે, તેમનો મોટી સાઈઝનો ગ્રંથ, સાહેબ આવે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરુ થાય. એ જે બોલે એ જો લખી લેવામાં આવે તો સીધું પ્રિન્ટમાં જઈ શકે એમ હોય. વચ્ચે દોઢ મહિનાનો ગેપ ગયો હોય, તો પણ છેલ્લા પિરિયડનું છેલ્લું વાક્ય અને પછીના પિરિયડનું પહેલું વાક્ય એનું અનુસંધાન હોય !!!. આટલું પરફેકશન ! બીજો ચમત્કારિક અનુભવ એ થાય, એ જે બોલે એને તેઓ અક્ષરસઃ અનુસરતા હોય એકાગ્રતાથી. જે દુર્લભ છે એ  અમને સુલાભ્ સદ્ભાગ્ય હતું. તો એવો અનુભવ થાય કે જે ક્ષણે તમને કંઈક ન સમજાય કે તમે અટકો કે બીજા વાક્યમાં એનું સમાધાન હોય.. એને ખબર હોય કે મારો વિદ્યાર્થી ક્યાં અટકશે.?? ક્યારેય પૂછવું ન પડે. પછીના વાક્યમાં એનું સમાધાન હોય જ. એ આ શિક્ષકની પૂર્ણતા. અને બીજો એક એકદમ ચમત્કારિક લાગે એવો અનુભવ એમની ઉમર હતી.  એ રાયપુરથી બસમાં આવે, શરીરમાં વ્યાધિઓ તો ક્યારેક એ મોડા પડે પણ એમનો પ્રભાવ એવો હતો કે એમની રાહ જોવે સૌ, કોઈપણ વિદ્યાર્થી ક્લાસની બહાર લોબીમાં પણ જાય નહિ. પોતાની જગ્યાએ જ બેઠા હોય. 

એ લોબીમાંથી આવતાં દેખાય, ધીમે-ધીમે આવતાં હોય, મોઢું વિક્ષિપ્ત  હોય, મ્લાન  હોય એટલે આપણને ખબર પડે કે એમને શરીરમાં પીડા છે. આવે, બેસે, ગ્રંથ ખોલે, ભણાવવાનું શરુ થાય, પાંચમી મિનિટ પછી એમનો ચહેરો દૈદિપ્યમાન હોય. બેલ પડે, ગ્રંથ પૂરો થાય, પાછી પેલી વિક્ષિપ્તતા અને મ્લાનતા આવી જાય, પીડાની સભાનતા આવી જાય, પણ ભણાવે ત્યારે દેહ ભાન ના હોય. આ  તો એકદમ અદ્વિતીય અનુભવ… આ પૂર્ણ શિક્ષક. એક વાર કોઈ  વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘સાહેબ આમાં ઈમ્પોર્ટન્ટ શું?’, તો ખભ્ભે હાથ મૂકીને કહે, ‘બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  આવો જવાબ… તો આ બધા જે લાભો મળ્યા, એને કારણે એક વ્યક્તિત્વ એવું ઘડાયું કે જયારે બહુ જ જરૂર હતી, કાંઈ સમજાતું નોહ્તું, ત્યારે ભગવતગીતા તેમણે ભણાવી. અને એ માણસે ભગવતગીતા ભણાવી કે, જે ભગવતગીતાને જીવનમાં ઉતારવાનાં સતત પ્રયત્ન કરતો હોય, એ માણસ… એટલે એના શબ્દોમાં જે ચાર્જિંગ હોય, જે ઉર્જા હોય, એ જો તમે રિસેપ્ટિવ હોવ, ગ્રહણશીલ હોવ, તો તમારામાં એ પુરેપુરી આવે. તમે આવવા દો તો આવે, બધાને એનો લાભ મળતો હશે કે કેમ એ ખબર નથી. પણ મને તો અવશ્ય લાભ મળ્યો છે. એમને મોટા કદનું પુસ્તક, એક જ શ્લોક હોય ઉપર, એની નીચે સાત આચાર્યોની ટીકા હોય, શંકરાચાર્યથી માંડી ને નિમ્બાર્કાચાર્ય સુધીની ટીકાઓ હોય, અને એમાં પાછું એક-એક પેજ ઉમેરેલું હોય ખોલીને એમાં એમની નોંધ હોય..! તમે ભગવતગીતા વિષે ગ્રંથાલયમાં જાઓ તો કબાટ બે કબાટ ભર્યા પુસ્તક મળે. તમે કોઈપણ  પુસ્તક લઈને એમ કહી ન શકો કે,  ‘તમે અમને આ નોહ્તું કીધું.’ એવું સંપૂર્ણ શિક્ષણ અને એ શિક્ષણની મૂળભૂત કેટલીક વાત..!  એકવાર અમને કે, ‘તમે આ નોટ લો છો, એનું પછી શું કરો છો?’ તો કહીએ, ‘અમે સાહેબ વાંચીએ,’ તો કહે,  ‘એમ ન હોય, જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ, તો જ વ્યવસ્થાપન થાય.’ પછી પોતાની વાત કરી, હું એમ. એ. ની પરીક્ષા વખતે બોમ્બે યુનિવર્સિટી (સિંધ હૈદરાબાદથી માંડીને નિઝામ હૈદરાબાદ સુધી આખી મોટી યુનિવર્સિટી)  હું એમ. એ.  પરીક્ષા આપવા મુંબઈ ગયો, ત્યારે હું સાથે એક જ નોટ લઈને ગયો હતો, એમાં મારાં બધા પેપર હતા. એટલે આ સંક્ષેપ થતું- થતું એટલું થઈ ગયું કે, છેલ્લી ઘડીએ રીફર કરવું હોય તો તરત થઇ જાય અને બાકી બધું વ્યવસ્થિત મનમાં ગોઠવાયું હોય… અને ભટ્ટસાહેબ પાછા  ‘યુનિવર્સિટી ફર્સ્ટ, ઈન ઓલ યુનિવર્સિટી’ – વ્યાકરણ વિષયમાં. સંસ્કૃતમાં વિવિધ વિષયો હોય, તર્ક આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, ભગવતગીતા આવે, તો આ બધા વિષયોમાં એવો સરસ પ્રવેશ કરાવે કે તમે પછી જાતે એ વિષયોમાં ગતિ કરી શકો. તેઓ  તમારા મૂળભૂતને  એટલું બધું સ્પષ્ટ કરી આપે કે, તમને સ્વકીય ગતિ પ્રાપ્ત થાય.”

અધ્યાપકોની એક ઉજ્જવળ પરંપરાના શ્રી ભટ્ટસાહેબ અને તેમના ઉજ્જવળ વિદ્યાર્થી કવિશ્રી રાજેન્દ્ર શુક્લ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદની અર્ધી સદીની યાત્રામાં આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠી સાથે અદભુત સંવાદ કરવાનો લ્હાવો મળેલ છે. બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીતજી સાથેનો સંવાદ આજના અને આવતીકાલના યુવાનો માટે પ્રેરણાના ઝરણા જેવો રહ્યો. આવો, તેમની વાતો જાણીએ..

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.  

એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું. 

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!! 

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.  

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે,  તે તબક્કાની તેઓની સ્થિતિ વિષે તો આપણે સંવાદ નિહાળીશું ત્યારે જ ખ્યાલ આવશે.

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું નથી,” પૂજ્ય શ્રી મોટા

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા  ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો. 

પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની  પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ  मनने ની  સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની  વિનંતી છે.”

“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની  જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું  સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની  સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે. 

આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ  સમજવાનો પ્રયાસ કરીએ:

ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:

ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કેવું ?

ત્હને કેટલી વાર કો રીત ટેવું ?

નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે

 નથી એટલુંયે અરે ! ભાન શાને ?..

આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે : 

ચઢાશે બે ઘોડલે તુંથી બાપુ,

ત્હને તે વધારે કઈ શીખ આપું ?

અજાણ્યું અને ભોટ જો હોય સારું,

કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.

મ્હને છેતરી છેતરી જાય ઊંધું,

ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,

હતે બાળ તો આંગળી આપીને મ્હેં,

ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.

તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત ! 

હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની  રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે : 

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,

ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,

ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,

તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?

ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,

ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,

ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,

ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.

ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,

ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,

ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,

તણાયા કદી તો બૂરા હાલ આવે.

 હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું  કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું  કે તરત જ તું તો મને પછાડે છે.  હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી. 

કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,

બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું

તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે

પછાડી કરે ખોખરાં હાડકાં રે. 

હુલાવી ફુલાવી લઉં કામ તોયે,

વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,

કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,

શાને શીખે તું, પડે છે છતાંયે? 

જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,

વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,

પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,

ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?

શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના  સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે : 

ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?

નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,

છતાં ચૂકવે કાં તું મ્હારું દાપું ?

ફજેતી થતાં લાજ આવે કાં શું ?

 સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,

સદા સર્વને પ્રેમથી રીઝવી લે,

નકામા નકામા તરંગે ચઢ્યું તો,

ગુમાવીશ તું મેળવેલુંરળેલું. 

મ્હને છોડશે તું, છતાં કેમ છોડું

ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,

ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,

તદાકાર રેવા મથાવીશ, બાપ.  

હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું  લાગું એટલે કે મારું  વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે,  સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ. 

છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ  કરાવીશ.  

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અખંડ આનંદ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ.

“આપણે ડીનર માટે અવશ્ય જઈએ પણ મારે રાત્રે દસ વાગે એક બ્રેક લેવો પડશે.”

“બ્રેક એટલે ?”

“મારે ફોન પર ત્રીસેક મિનિટ વાતો કરવી પડશે. આમ તો કહો ને કે, વાતો નહીં પણ વાર્તા !”

અમે સૌ વિચારમાં પડી ગયા કે આ સોલ્જર અને પાછી વાર્તા ???

એમણે અમારા ચહેરાની મૂંઝવણ પારખી લીધી અને સ્મિત સાથે સ્પષ્ટતા કરી.

“મારે એવું છે કે હું  ઘરની બહાર હૉઉ ને ત્યારે રોજ રાત્રે ત્રીસ થી પિસ્તાળીશ મિનિટ કાઢવી. એ  અમારો રિવાજ છે. રિવાજ એટલા માટે કે, હવે  અમે તેને ફોલો કરવાનું ચુકતા નથી. કહો ને કે એ અમારી ટ્રેડિશન બની ગઈ છે.”

“અરે વાહ, વાર્તા કહેવાની ટ્રેડિશન !?! આ તો આનંદની વાત છે. તમે કોને વાર્તા કહેશો ? આજે અમે ય માણીએ “

“ના ના એવું નથી કરવું કારણ કે હું વીડિઓ કોલથી જોડાઇશ અને વાર્તા પુરી કરી ફરી આપણી વાતાવલી ચાલુ રાખીશું…તમને તો ખ્યાલ છે  કે, મારે એક દીકરો શિવાંશ છે અને એક દીકરી શિવીકા છે.”

“વાહ, શું નામ રાખ્યા છે !! શિવાંશ અને શિવીકા. ભગવાન શિવ સાથે નાતો  બરાબર રાખ્યો છે.”

“તમારે નાગરોમાં નામ બહુ વિશિષ્ટ હોય, નહીં ?”

“હા એ સાચું અને વળી અમે  શિવપંથી ને ?? નાગરનો દીકરો લશ્કરનો જવાન બને એટલે ભગવાન શિવને થોડો ભૂલી જાય ?? અને મેં તો એટલે જ બંનેના નામ જ એવા રાખ્યા છે કે શિવ સાથે ને સાથે જ રહે. અને સાથે ન રહે તો જીભે ને હૈયે તો રહે જ રહે.”

“અરે વાહ, આ તો ઉત્તમ.”

“મને લશ્કરમાં જોડાયે સોળ વર્ષો થયા છે અને લગભગ એટલી જ જગ્યાએ મારી બદલી થતી રહી છે. જે અમારા માટે બહુ યુઝવલ છે. પણ બહાર રહેવાનું બહુ રહેતું હોવાથી અને ચોવીસે કલાક એલર્ટ રહેવાનું હોવાથી અમે ચારેય કુટુંબીઓએ એક નિયમ બનાવ્યો છે કે, મારે રોજ ઓછામાં ઓછી પિસ્તાળીશ મિનિટ બાળકો સાથે ગાળવી.રોજ તો કેમ અને ક્યારે એ શક્ય બને, એટલે પછી રાત્રે  જયારે બાળકો ઊંઘવા માટે રિલેક્સ થાય ત્યારે  મને  વીડિઓ કોલ કરે અને હું જોડાઈ જઉં. આમ વાર્તા કહેવાની મઝાની યોજના અમે બનાવી છે. અને આજ સુધી અકબંધ તેનું પાલન કર્યું છે.”

“નક્કી કરેલું પાલન કરવામાં તો તમને કોઈ ન પહોંચે !! એટલે આ વાર્તા સેશન પણ નિયમિત રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.પણ આ વાર્તાઓ તમારે તૈયાર કે યાદ કરવી પડે ને?”

“હા, નાના હતા ત્યારે મા અને પપ્પાએ વાર્તા કહેલી તે તો યાદ રહી જ ગઈ હોય અને પછી મોટા થઈને વિસ્મયથી રામાયણ, મહાભારત, પંચતંત્ર વગેરે વાતો વાંચી હોય, સાંભળી હોય ને,,બસ એનું કલેક્શન એટલું બધું છે કે વાર્તાઓ ખૂટતી નથી.પાછું રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધ આવે એટલે યુદ્ધકથામાં મારા અનુભવો ભેળવું એટલે મને ય મઝા આવે ને બાળકોને શૌર્ય ચડે. આમ બંનેનો ફાયદો.”

“..પણ બાળકો રસથી રોજ વાર્તા સાંભળે ખરા ?”

“વાર્તા કોને ન ગમે ? આપણને આ ઉંમરે પણ કોઈ વાર્તા કહે તો આપણે કેટલા ચોંટી જઈએ છીએ ?”

“વાત સાચી. આપણી ટી વી સિરિયલ્સ એટલે તો કેટલાય હપ્તાઓ સુધી આપણે માણ્યા  કરીએ છીએ ને !”

“પરફેક્ટ. સ્ટોરીને  બદલે લેક્ચર હોય તો , કોઈ આટલું સહન કરે ખરું ? હા, એ ખરું કે મારે બહુ એલર્ટ રહેવું પડે, કારણ બાળકો બહુ શાર્પ હોય છે એ તમને પકડી જ પાડે. ક્યારેક એવું બને કે મારાથી  વાર્તા રિપીટ થાય તો શિવીકા તરત જ કહે કે, ‘આ તો સાંભળેલી છે. કહું આમાં છે ને ….’ એમ કરીને વાર્તામાં હવે શું શું આવે છે તે કહેવા લાગે. એટલે આપણ રામ કાન  પકડે ને કબૂલે, એટલે એ કહે, ‘બોલો, સોરી !!’ તો તરત સોરી બોલી દેવાનું, એમાં મિલિટરીમેન નહીં થવાનું. યાદ રાખવાનું કે,  હું અહીં તો બાપ છું.”

“વાહ, તમે તો અદભુત વાત કરી અને  પાછી વાર્તાની વાત. મઝા પડી ગઈ.”

અમારામાંથી એક વડીલે તીખો પ્રશ્ન પૂછ્યો , “ તમે જે મોરચે હો તે જગ્યાએ કોઈ મંદિર કે ધર્મસ્થાન હોય ખરું ?? હોય તો કોનું સ્થાનક હોય ?”

થોડીવાર મૌન ધારણ કરીને એ જુવાન બોલ્યો : “ હોય, ચોક્કસ હોય, આર્મીએ જ બનાવેલું હોય. પણ કોનું હોય તે નક્કી નહીં , પણ ધર્મસ્થાનક હોય.જ્યાં જે રેજિમેન્ટ હોય તેમાં જે બહુમતી જવાનો હોય તેનું ધર્મસ્થાનક ત્યાં બને, આવો સાદો નિયમ. પણ હા, એમાં બધા જ જવાનો જાય અને હાથ જોડી મસ્તક નમાવે જરૂર, એમાં એ નહીં જોવાનું કે આ કોનું ધર્મ સ્થાન છે ?  અને હા, ક્યાંક એક થી વધુ પણ હોય. મંદિર હોય ને ચર્ચ પણ હોય ને ગુરુદ્વારા પણ હોય. અને એવી જગ્યાએ અમારા જેવા સિનિયર ઓફિસર એક પછી એક બધા જ સ્થાનકમાં જાય ને માથું નમાવે અને સર્વધર્મ પ્રત્યે આદર દર્શાવે.તમે પૂછ્યું છે એટલે કહું કે, અમારામાં અમારો કોઈ ધર્મ ન હોય, અમે ચુસ્તપણે સર્વધર્મ સમભાવમાં માનીએ અને તેનું કડક પાલન કરીએ. અમારો ધર્મ એટલે રેજિમેન્ટનો ધર્મ.”

“…તો તો આ ભેદભાવ વાળું અમારામાં જ છે, એવું નક્કી થયું ને ?”

“હું એમાં હા કે ના ન કહેવાની શિસ્તનું પાલન કરીશ પણ એટલું કહીશ કે અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ. અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અચાનક એક સાંજે એક આર્મીમેનને નિરાંત જીવે મળવાનું થયું અને એ પણ ગુજરાતી આર્મીમેન. અમારા કુટુંબી. કમાન્ડો તરીકે પડકારરૂપ સ્થિતિમાં ફરજ બજાવનાર સાથે જે ગોષ્ઠી થઇ તે ‘આસપાસ ચોપાસ’નું વાતાવરણ હૈયાંને ટાઢક વાળી ગયું.  આપણા ગંગાસતી જેવા સંતે  ભેદની ભીંતો ભાંગવાનું કહ્યું અને તેનું ચુસ્ત પાલન અન્ય કોઈ કરે કે ના કરે પણ આપણા જવાંમર્દ સૈનિકો કરે છે તેનો સંતોષ થયો.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું...

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજે માની દસમાં ધોરણની દીકરીઓને ગણિતની પરીક્ષા હતી. ગુજરાત આખામાં ગણિત આજે પણ વિદ્યાર્થીઓમાં ભયનો વિષય છે, એટલે દીકરીઓના ચહેરા પર ચિંતાના વાદળો દેખાતા હોવાં જોઈએ, પરંતુ બારડોલીની આ સરદાર પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓના ચહેરા હસતા દેખાતા હતા, કારણ આગલી રાત્રે બહારથી ભણાવવા આવતા જયેશભાઈ અને પ્રિયંકાબેને જબરદસ્ત પ્રેક્ટિસ ગણિતની કરાવી હતી, તેથી વિદ્યાર્થિનીઓનો વિશ્વાસ બમણો થઈ ગયો હતો.

એક વાત એ નોંધવા જેવી છે કે ગઈકાલે દીકરીઓની બોર્ડની રસીદો જે મેં માના મંદિરમાં મૂકેલી જોઈ હતી અને તેના ચિત્રો આપને દર્શાવ્યા હતા તે રસીદો આજે જુદી જ રીતે ગોઠવાયેલી હતી. માના રૂમમાં એક શેટી ઉપર સૌના ક્રમબદ્ધ ફોટા દેખાય તેવી રીતે આ હોલ ટિકિટ પાથરેલી હતી. (આ સાથેની તસવીરમાં તે જોઈ શકાશે) અને બીજી એક શેટી ઉપર વિદ્યાર્થીઓના ક્રમ પ્રમાણે એમની ઘડિયાળો ગોઠવેલી હતી.!!! આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કારણ આ કંઈ દીકરીઓનું ઘર નથી, પણ ઘરથી પણ વિશેષ જેની કાળજી નિરંજના મા લે છે, તે છાત્રાલય છે અને એવું છાત્રાલય કે જ્યાં માની નિશ્રા ચોવીસે ય કલાક મળતી રહે છે.

મા પોતાના શયન પછી આ શેટીઓ ઉપર દીકરીઓની રસીદ અને તેની ઘડિયાળ ગોઠવીને રાખી દે છે. પરીક્ષામાં જતા પહેલા થોડી વારે વિદ્યાલયમાંથી દીકરીઓ ક્રમબદ્ધ લાઈનમાં ગોઠવાઈને ધીમે ધીમે માના મંદિર પાસે આવે છે, ત્યાં માના અન્નપૂર્ણા ઈલાબેન સૌને શુકનનું ચંદન કપાળે કરે છે અને દીકરીઓ ભગવાનને પ્રણામ કરી પોતાની રસીદ લઈ લે ને પછી અંદરથી પોતાની ઘડિયાળ લઈ બહાર બેઠેલા માને ‘જય સિયારામ’ બોલતા બોલતા પ્રણામ કરે છે અને ત્યાં ગૃહમાતા ઉર્વશીબેન ઊભા છે, જે સૌને શુકન માટે દહીંની ચમચી મોંમાં આપે છે !!

આ આખી એક વૈદિક સંસ્કાર પ્રક્રિયા આ ગ્રાન્ટેડ સ્કૂલમાં થાય છે, કારણ કે ત્યાં મા દીકરીઓ માટે ખડે પગે 86 વર્ષની ઉંમરે પણ સતત હાજર રહે છે.

અને પછી મા દીકરીઓને ખુલ્લા મોટા આઇસરમાં ટેબલ રાખીને ચડાવે છે અને પછી એ આઇસર ની પાછળ પોતે ગાડીમાં જઈને બે કેન્દ્રો ઉપર આ દીકરીઓને પરીક્ષા સ્થળે પહોંચાડી હાશકારો અનુભવે છે. કહો જોઈએ, આવી કાળજી કોણ લેતું હશે ?? અહીં તો એવી દીકરીઓ છે કે જેને કાં તો મા નથી, કાં તો બાપ નથી, કાં તો બંને નથી, કાં તો પોતે નવી મા પાસે મોટી થઈ રહી છે અને એ પણ દૂર સુદૂર ક્યાંક મહેનત મજૂરી કરતી હોય છે કે જેને ખબર પણ નથી કે આજે આ દીકરીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર છે,, પણ એ દૂર રહેલી મા કે બાપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમણે પોતાની દીકરીને માની આંગળીએ સોંપી દીધી છે.

અહીં 18 થી 20 મહિના જ આ દીકરીઓ રહે છે, કારણ તેઓ નવ માં આવે છે અને 10 મું પૂરું કરીને જતા રહે છે, પરંતુ આ 20 મહિનામાં મા એમને એવા તૈયાર કરે છે કે ન પૂછો વાત.. વધુ વિગત ત્યારે જ સમજાય જ્યારે આ સંસ્કાર સિંચન કરતી વિદ્યાલયની આપણે મુલાકાત લઈએ.

આટલા વર્ષો પછી મને આજે પરીક્ષા ટાણે અહીં હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેથી તેની વાત મેં આપ સમક્ષ મૂકી છે. ચિત્રો વિડીયો વગેરે આપ નિહાળશો તો આપની સમક્ષ પાવન દ્રશ્ય ચરિતાર્થ થશે
સૌને જય સિયારામ…. ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા

અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષને મળીએ. તેઓનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા. તેઓ કઈ રીતે આ વિશિષ્ટ માર્ગે વળ્યા તેની કહાની સાંભળીએ:   

 

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા. 

બીજી વસ્તુ એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસબોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સંગ્રહ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવું ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે કરતા. …. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે. પણ દસમાં ના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એમનો બીજો મિત્ર વડોદરાથી આવ્યો,  જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો બસ  આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારા આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી એપ્ટિટ્યુડ ટેસ્ટ પાંચ વિષયોની લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો કારણકે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે હિન્દી આવડે તો હિન્દી લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ,  પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”

 

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

મૂળ નામ નારાયણ ઠોસર. શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ સ્વામીનો !

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com

‘શ્રી મનાચે શ્લોક’  અને તેના સમશ્લોકી અનુવાદનો લેખ અનેક વાચકોની જિજ્ઞાસાને જન્માવી ગયો અને આ સ્વામી સમર્થ રામદાસ વિષે  વધુ જાણવાની માંગણી આવી. આવો, આજે સ્વામી સમર્થનના  જીવનનું વિહંગાવલોકન કરીએ.

મનને આપણે બહુ વખોડયું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે, જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!

સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્રગુરુ’નું સન્માન પામ્યા.

સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની કૃતિનેસોનાની લગડીગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.

‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોને  કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં જઈને સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું :  “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી જય જય રઘુવીર સમર્થનો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!

મના ક્રોધને વ્હેંત છેટો રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’

 “મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’

મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે સંવાદ સાચો.”

 

‘ભૂદાનયાત્રા’  જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

જનકલ્યાણ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

કેશુ ભગતે 309 શિક્ષણ ભવન બાંધવાનો સંકલ્પ કર્યો છે કે જેમાં ક્યાંય એમનું નામ નથી !!

“આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેને વાંચેલા જેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી ગયેલો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું. 

એક કમળાપુર ગામ છે ત્યાં ગયા. શાળામાં  અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરીને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે, આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે, એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નથી  પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નથી ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને સાદું કે મિષ્ટાન નથી ખાધું,. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.” 

“અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા, તો ભવન બાંધવાનો સંકલ્પ લઉં. એટલે એમણે કહ્યું, કંઈ વાંધો નહીં. એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે. હવે મેં વિચાર્યું કે  એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મને થયું કે  આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે વાત ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં પણ કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું બન્યું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

મને જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું, પણ એમાં  હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની ,  જેના ન હતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો. આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી. સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે, વેપાર તો ગણિતથી કરીએ પણ દાન પણ ગણિતથી જ કરવાનું ?? એમાં  આત્મામાંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. પરંતુ ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય માત્ર એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથાનું લોકાર્પણ હતું,  ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે, મારો અંદર નો અવાજ શું કહે છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ. એટલે જાહેર કર્યું કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા…” 

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ સૌની જાણ માટે કે કેશુભાઈએ  છેલ્લે 309 શાળા કે છાત્રાલયના ભવનો બાંધવાનો સંકલ્પ લીધો છે અને 309 માંથી 181 શિક્ષણ  ભવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે. 

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ કે તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે, એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે. 

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

ગ્રામસેતુ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ખારા રણમાં મીઠી વીરડી સમા શિક્ષકવર્ય…

‘આપના પત્ર બદલ આભાર. આપે માગેલ મારી વિગતો, મારા પ્રદાનની વિગતો બદલ હું આપને નમ્રતાપૂર્વક જણાવું કે ઃ મેં પૂરાં ૪૧ વર્ષ, ૪ માસ પ્રશિક્ષણમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે, નોકરી કરી છે. એ દરમિયાન મેં જે કાંઈ કર્યું છે તે પ્રદાન નથી. એ તો પગાર લઈ તેનાં વળતરરૂપે કરેલું કામ છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામ કરતો અધ્યાપક ધારાધોરણ પ્રમાણે પગાર લે અને તેની બદલીમાં વશક્ષણ (teaching), સંશોધન (research) અને વિસ્તરણ (extension)નું કામ કરે. જો માણસ મારી જેમ માથું મૂકીને કામ કરે તો તે બરાબર જ છે, એની કંઈ વિશેષ નોંધ ન લેવાની હોય. જી, એની કદર રૂપે આપના જેવા મિત્રો આવી લાગણી બતાવે, વિદ્યાર્થીઓમાં રસ્તામાં મળે તો બાઇક પરથી ઊતરી જાય, ભરબજારમાં પગે પડે એટલું પૂરતું છે. જે કામ કર્યું એની કદરરૂપે સરકાર પેન્શન આપે છે, એ ય પૂરતું છે. એ પેન્શનના જવાબમાં અમે રોજ સાત-આઠ કલાક પૂજા-પાઠ, વાચન, લેખન, ક્યાંક કોઈક બોલાવે તો જઈને યથાશક્તિ પ્રવચન વગેરે… ખાસ તો ઈશ્વર સ્મરણમાં કાળ-નિર્ગમન કરીએ છીએ. આ શરીર એનું પ્રારબ્ધ ભોગવે છે. અમે રામ-રટણમાં રાતા-માતા’ ફરીએ છીએ. એટલું ઘણું છે. મારા વિશે લેખ લખવાના ઉધામા રહેવા દો તેવી વિનંતી છે.’

માણસનો સ્વભાવ છે ને કે ના પાડ્યા પછી તો તે કરવાની ઇચ્છા પ્રબળ થાય, એવું જ મારું થયું. શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દર્દીના આ પત્રમાં છલકતી તેમની વિનમ્રતા પછી તો ગાંઠ વાળી કે તેઓશ્રીની મનોમન ક્ષમાયાચના કરીને પણ તેઓ વિષે લેખ તૈયાર કરવો. તેઓશ્રીના વિદ્યાર્થીઓની છાનીછપની મદદ લીધી. ફોટોગ્રાફ પણ મિત્રદાવે સંસ્થામાંથી મેળવી આ શબ્દઅર્ધ્ય તૈયાર કર્યું!

શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દવે જીવનભર શિક્ષા-સમાધિમાં શ્વસ્યા છે. એ વ્યવસાયે શિક્ષક’ હતા જ નહીં, કારણ શાસ્ત્રીજી જાન્ને સાત ભવથી શિક્ષક હોય એમ અવતર્યા. પ્રાથમિક શિક્ષણ ન લીધું હોવા છતાં પીએચ.ડી.ના ડિગ્રીધારી બન્યા, અનેકને ડૉક્ટરેટની પદવી બક્ષનાર માર્ગદર્શક બન્યા અને આજે નિવૃત્તિમાં પણ વિદ્યાદેવીના ખોળે પરમશિષ્યની અદાથી વલ્લભવિદ્યાનગરમાં વે છે. ધોતિયું અને સદરો પહેરેલ સહજતમ વ્યક્તિત્વ હિંડોળા પર હિંચકતું હોય તો તે સાવ પોતીકું જ લાગે. એક શિસ્તબદ્ધ, ડાહ્યોડમરો શિષ્ય જાણે શ્રી સરસ્વતીદેવી સામે પલાંઠી મારીને અદબ વાળીને આછું સ્મિત કરતો મગ્ન છે, એવું જ લાગે. સ્વસ્થતા તો શાસ્ત્રી સાહેબની. તેઓશ્રીનાં ધર્મપત્નીની ચીરવિદાય વખતે પણ શાસ્ત્રીજીની સ્વસ્થા તેઓને પ્રણામ કરવા પ્રેરે તેવી. છેલ્લા શ્વાસ લેવાઈ રહ્યા છે એવી જાણ થતાં પહેલાંથી શાસ્ત્રીજીએ મૃ, શુદ્ધ અને સ્વસ્થ કંઠે મંત્રગાન શરૂ કર્યું. અંતિમવિધિની સઘળી આવશ્યક શાસ્ત્રોક્ત પવિત્ર વિધિઓ શાસ્ત્રીજીએ ખુદ જ અપાર સ્વસ્થતાથી સ્તોત્રગાન સાથે સંપન્ન કરી અને બહેનશ્રી વસંતબેનને મંગલમયી વિદાય આપી. વલ્લભ વિદ્યાનગરના ઉપસ્થિત નગરજનો અને શિક્ષકોનો બહોળો સમુદાય તો આ સંસ્કાર, સ્વસ્થતા અને સહજતા જોઈ દંગ જ રહી ગયેલ!

મોરબીના વતની, જમશેદપુરમાં જન્મેલા અને બાળપણ સાહેબીમાં વિતાવનાર જ્વેન્દ્ર નાના હતા ત્યારે બગીમાં બેસીને શાળાએ જતા. પિતાશ્રી કર્મે શિક્ષક. તેને કોઈ જ્યોતિષીએ ત્યારે કહેલું : ભઈ, આની પાછળ મહેનત ન કરશો, એ એમની રીતે તૈયાર થઈ જશે.’ બસ, જ્યોતિષની આટલી જ વાતથી પ્રેરાઈને, ખુદ સંસ્કૃત- વેદ-જ્યોતિષ વિદ્યાના પ્રખર જ્ઞાતા પિતાશ્રીએ બાળક્ને ભન્નતરનાં બંધનમાં બાંધવાનું ટાળ્યું. ક-ખ-ગ શીખવ્યા વગર જ બ્રાહ્મણ કુળના શિક્ષક પિતાએ દીકરાને ઘરનું પવિત્ર વાતાવરણ અને પ્રેમાળ હૂંફ વચ્ચે છુટ્ટો મૂકી દીધો. ધીમે ધીમે દીકરો સંસ્કૃતમાં પારંગત થવા લાગ્યો. અમદાવાદ ખાતે ગુરુ પરંપરાની પાઠશાળામાં સંસ્કૃતનો પ્રખર અભ્યાસ કર્યા બાદ, સાહિત્યશાસ્ત્રમાં પારંગત બની પાઠશાળાની શાસ્ત્રી”ની ઉપાધિ મેળવી. આજનાં આપણાં સ્નાતકની સમકક્ષ ગણાતી આ ડિગ્રી મૂલ્યની દૃષ્ટિએ ક્યાંય અદકેરી! સ્નાતક થાય તે ચોપડી ભણે, શાસ્ત્રી થાય તે જીવન ભણે! સ્નાતકની ડિગ્રી કાગળિયું છે, ‘શાસ્ત્રી’ની ઉપાધિ તો માદળિયું છે. શાસ્ત્રીની ઉપાધિ મેળવી, વધુ અભ્યાસ માટે એક્વીસ વર્ષની વયે તેઓએ બી.એડ્. સમકક્ષ જી.બી.ટી.સી. પાસ કર્યું અને એમ.એડ્.ના પ્રવેશ માટે ગયા ત્યારે શિક્ષણ વિદ્યાશાખાના તજ્ઞ ડૉ. કે. જી. દેસાઈએ ટકોર કરી : સંસ્કૃત એક માત્ર ભાષા નથી, પહેલાં અંગ્રેજી શીખી આવો.’ જ્યેન્દ્રભાઈએ દલીલ ન કરી, પણ અંગ્રેજમાં પારંગત થવાનો માર્ગ પકડ્યો. એક જ વર્ષમાં અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી એમ.એ.માં પ્રવેશ મેળવી લીધી. અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં પી.ટી.સીના અધ્યાપક તરીકે ૧૯૬૧માં જોડાયા. ત્યાંથી જ્વેન્દ્રભાઈ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફ વળ્યા તે એવા વળ્યા કે શાસ્ત્રીજીએ આજ સુધી ત્યાં જ પલાંઠી વાળી લીધી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત ચારેય ભાષાઓ ઉપર ગજબનાક પક્કડ, ઊંડાન્નપૂર્વકનો અભ્યાસ સતત-સખત અધ્યયન, આજે પણ. સ્મરણશક્તિ તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ તો બેજોડ. ફકરાના ફકરા કડકડાટ બોલે તો દંગ રહી જ્વાય. ડૉ. આર. એસ. ત્રિવેદી પાસે ડૉક્ટરેટ કર્યું. પૂજ્ય શ્રી રંગ અવધૂતજીના આજ્ઞાંકિત શિષ્ય અને પરમ ઉપાસકની આસ્થા એટલી પ્રબળ કે તેઓ પીએચ.ડી.ની થિસીસ ગુરૂદેવનાં સ્થાનકે ચરણે ધરીને પછી યુનિવર્સિટીમાં સોંપવા ગયા હતા! શાસ્ત્રીજીનાં માર્ગદર્શનમાં Ph.D. થનાર ડૉ. મોતીભાઈ પટેલને સાઠ વર્ષ થયાં ત્યારે તેના મહોત્સવની જવાબદારી જ્વેન્દ્રભાઈએ ઉપાડી, આટલા સહજ! કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ એવું પુસ્તક કરવાની પ્રેરણા પણ જયેન્દ્રભાઈએ આપી, જે પુસ્તકની સાત આવૃત્તિઓ થઈ! શાસ્ત્રીજીએ ગુજરાતી-કલા-સાહિત્ય-શાસ્ત્ર અને ફિલસૂફીના પચાસથી વધુ પુસ્તકો લખ્યાં છે. પહેલાં અંગ્રેજી શીખતા આવો’ એવું કહેનાર ડૉ. કે. જી. દેસાઈએ હોંશભેર શાસ્ત્રીજીનાં પુસ્તકની પ્રસ્તાવના લખી ગૌરવ અનુભવેલું! કેળવણીનાં તાત્ત્વિક આધારો”, “ભારતીય ચિંતકોનું શિક્ષણ ચિંતન’, ‘શિક્ષણ દર્શન પરિભાષા કોષ”, “સર્જન શિક્ષણ’, ‘શ્રી રંગ પ્રશ્નોત્તર માલા’ વગેરે પુસ્તકોને સાહિત્ય અકાદમી સહિત અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે. શાસ્ત્રીજી’ના આદરભર્યા નામથી ઓળખાતા અને શૈક્ષણિક ફ્લિસૂફીના પરમજ્ઞાતા જ્વેન્દ્રભાઈ દવે ભક્ત ખરા, સાધક ખરા, ઉપાસક ખરા, ધીરગંભીર ખરા પણ ઘુવડ ગંભીર નહીં જ. તેમનો ચહેરો સાય સ્મિતભર્યો. વાતચીતમાં દર દસ મિનિટે વ્યંગ-વિનોદ-હળવી રમૂજ આવે જ આવે. એટલે જ તો તેઓ વિશાળ ચાહક વર્ગ અને બહોળા વિદ્યાર્થીવર્ગની મૂડી ધરાવે છે. પ્રાથમિક શિક્ષણ લીધા વગર Ph.D. થનાર શાસ્ત્રી જયેન્દ્ર દવે પાસેથી માર્ગદર્શન મેળવી સત્તાવીસ અધ્યાપકો Ph.D. થયા છે અને એ સૌ એક યા બીજી રીતે અગ્રેસર છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં અદ્વૈત વેદાન્તનો ઊંડો અભ્યાસ કરનાર જ્યેન્દ્રભાઈએ ‘રામાયણ-પ્રવીન્ન’ની પરીક્ષા ૧૯૫૭માં પાસ કરી છે. તેને તેઓ પોતાના જીવનની ખૂબ જ વહાલી ઘટના ગણે છે. મને આજે ય એવી ઉત્કંઠ ઝંખના થયા કરે છે કે આજેય એ પરીક્ષા લેવાતી હોય, હું પુનઃ એ પરીક્ષા આપું અને પુનઃ પુનઃ “રામાયણ-પ્રવીણ’ થયા કરું’ ૧૯૭૦ થી ૨૦૦૫ પાંત્રીસ વર્ષો પ્રત્યેક ચૈત્રી પૂનમે સવારથી પૂજા-પાઠ, સત્યદત્તની કથા, પ્રસાદ લઈ તરત બન્ને બાળકોને લઈ શાસ્ત્રી દંપતિ અમદાવાદના કૅમ્પના હનુમાનદર્શને. શાસ્ત્રીજીનું આ શાસ્ત્રવત્ જીવન એ જ એની જીવન મૂડી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

કોડિયું : શ્રીરામ કથા વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ માં 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે.  

‘જય સિયારામ’.

આજે એક વરિષ્ઠતમ  શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લ્હાવો મળ્યો છે, તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું. 

બાપુ, મને એક  વિચાર આવ્યો કે, રાષ્ટ્ર અત્યારના ‘નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ ઉપર મહેનત  કરી રહેલ  છે. પણ જો કોઈ એનો ડ્રાફ્ટ જીણવટથી વાંચે તો એની અંદર 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે, કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું એ એક જુદી વાત છે. એ મૂલ્યો ઉપર રાષ્ટ્ર  ખૂબ વર્ક કરી રહેલ છે  એ અહીંયા જીવાયા છે.

મારો લગભગ 45 વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે. મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લ્હાવો મળ્યો. બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય એટલે એમણે  જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા, અને અરુણભાઈ સાથે તો મારો અતૂટ નાતો છે. બાપુને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે,  મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી!!  આ ઋણ ચૂકવવાનો મને લ્હાવો મળ્યો, એટલે કે લોકભારતી યુનિવર્સિટીનું મંગલાચરણ કરવાની તક  મને મળી છે. આ લોકભારતી યુનિવર્સિટીના ‘પ્રથમ નિમંત્રિત કુલપતિ’ હોવાનું ગૌરવ પ્રદાન થયેલ છે. 

આજે પરિસ્થિતિ એવી થતી  જાય છે કે, ન્યુસન્સ વેલ્યુ ની વેલ્યુ વધી ગઈ છે અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. પણ આ સંસ્થા એવી છે કે, જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે, છેક નાનાદાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે. 

આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી, અહીંયા શીખીને શીખવાનું નથી, અહીંયા કરીને કેળવવાનું છે. અત્યાર સુધી અહીંયા બધું જ ચાલ્યું છેએની ઉપર પ્રાધાન્ય વર્ગખંડનું રહ્યું છે, જ્યારે યુનિવર્સિટી ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે, ખેતરોમાં એ સજીવ ખેતી કરીને અળસિયા ઉગાડે, કુદરતી ખાતર બનાવે, એ ખાતર નાખીને ખેતી કરે, ખેતી કરીને પાક લણે, લણીને જોખીને એ ખળામાં મોકલે અને એનું વેચાણ કેવી રીતે થાય છે તે જાતે પંડે શીખે.  એટલે એગ્રોનોમી, એગ્રો-પ્રોસેસિંગ,  એનિમલ હસબન્ડરી, ડેરી સાયન્સ, આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે. એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે. મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત અહીંયા થઈ છે. શ્રી અરૂણભાઇએ પહેલે દિવસે કહ્યું કે, અમારી અનેક સંસ્થા બંધ કરશો તો પણ  નઈ તાલીમ તો રહેશે જ , પણ હું એમાં વિનમ્ર ભાવે ઉમેરીશ કે, આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવર નો આરંભ છે અને તેનાં આરંભે પ્રિય બાપુ  અહીંયા કથાગાન માટે પધાર્યા છે એ અમારા સૌ માટે બહુ મોટું સીમાચિહ્ન બની રહેવાનું છે.  

આ લોકભારતીના ચાર માનવીય આધારોસ્તંભો વિષે  ટૂંકી વાત કરવાનું ગમશે. 

૧) નાનાદાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી, પણ નાનાદાદાએ તો 1961 માં વિદાય લીધી અને 56-57 માં એમણે મનુદાદા ને કહ્યું કે,  લ્યો હવે વહીવટ સંભાળો. નાનાદાદાનો પછીનો સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો. પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે, પરંતુ ત્યારે ખરેખર બહુ મૂલ્યવાન હતો.  એટલે નાનાદાદા પોતાના નિવાસમાં, જ્યાં પ્રિય બાપુ  અત્યારના  નિવાસ કરી રહ્યા છે, ત્યાં બેસીને એવા કામ કરતાં કે જે કામથી મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચદાદાને ટેકો મળતો. બહુ નાનકડી   યાદ રાખવા જેવી એક  વાત છે.  એ સમયે દિલ્હીથી ડોક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા, અને જોઈને નારાજ થયા. એણે એવું કહ્યું કે ”जहा विद्यार्थी पढ़ते है, वहाँ ही वो सोते है?, ऐसी तो कोई कॉलेज हो सकती है?, यूनिवर्सिटी हो सकती है?” લાઇબ્રેરીથી નારાજ થયાં, લગભગ એ નારાજનાં મૂડમાં આવ્યા અને નારાજનાં મૂડમાં ગયાં. પણ જાય એ પહેલા આ મુરબ્બીઓ એમને નાનાભાઈ પાસે લઇ ગયા. નાનાભાઈ પાસે પણ એમણે એ જ સરકારી તોર થી વાતચીત કરી. પણ નાનાભાઈ તો નાનાભાઈ હતા, એમણે પણ કહ્યું કે, ”आपकी बात सही है, जहा बच्चे पढ़ते है, वहां सो केसे सकते है?, यह अच्छी बात नहीं है, आप सरकारकी और से जो भी ग्रान्ट मिलती है, वो वापस ले सकते है. आप जाके ऑर्डर करवा दीजिए, हमें ग्रान्ट नहीं चाहिये, और हो सके तो यहाँ के जो मकान बने हुए है, वो भी सरकारी ग्रान्ट से बने हुए है, यहासे उनको उखाड़ के दिल्ही  ले जाइए”. My dear Friend, At that time, Nanabhai was not head of the institution.  પણ એક વડીલ તરીકે નાનાભાઈ એ દિલ્હીના એ ડો. ભાણ ને મક્કમ થઈને  સમજાવ્યા. ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી, એ વખતે શિક્ષણ મંત્રી ‘શ્રીમાળી’ હતા, એમણે  અફસોસનો પત્ર લખ્યો, નાનાભાઈની માફી માંગી અને કોઈ જ કોર્સ બંધ નહિ કરવામાં આવે અને  સરકારી સહાય ચાલુ રહેશે, એવો  એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો. આ લોકભારતીનો સધ્ધર  માનવીય આધારસ્તંભ. 

૨) મનુભાઈ વિશે એક વાત બહુ યાદ કરવા જેવી છે કે, મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. 5000 મતથી જીત્યા હતા. મનુભાઈ ની પહેલા જે લોકો ઉભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને વાહનોનો ઉપયોગ કર્યો હતો. પણ મનુભાઈને જયારે ચૂંટણીમાં ઉભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ ત્રણ મુદ્દાઓની  જાહેરમાં  જાણ કરી. એમણે કહ્યું કે… અ) પ્રચારમાં સંસ્થા નું વાહન વાપરવામાં આવશે નહીં, અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં. બ) હું નિયામક પદ ઉપર રહીશ નહીં. શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું રાજકારણનું કામ કરે એવું હરગીઝ ન થવું જોઈએ. એટલે હું નિયામક પદે રહીશ નહીં અને ક) ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભારતીમાં જમા કરાવીશ, સમય કાઢીને હું આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું  હું ચાલુ રાખીશ. બાપુને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે, ‘આમ પણ તમે ખરું જુઓ તો ચાર વર્ષને અંતે મને લાગ્યું કે, ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે ત્રણ મહિના જ કામ કરવાનું હોય છે, બાકી તમે ફ્રી જ હોવ છો.’  અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી વાત છે. 

૩) મૂળશંકરભાઈ મો. ભટ્ટ., જેમણે આપણને  ‘દુઃખીયારા’ આપ્યું, ‘લા મીઝરેબલા’નો બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો. અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી. આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા,  એવું નાનાભાઈ એ પ્રમાણપત્ર આપ્યું. બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારાં મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યાં છે. એ ‘ગુજરાતવિદ્યાપીઠ’માં પણ રહ્યાં, દક્ષિણામૂર્તિમાં પણ રહ્યાં, અને લોકભારતીમાં પણ રહ્યાં. એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે. લક્ષ્મણભાઈ કરીને ગૃહપતિ હતા, એ વાત કરતા હતા કે.., 26 જાન્યુઆરીની એક પરેડની તૈયારી  ચાલતી હતી. ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ એની પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે મૂળ શંકરભાઈ ત્યાંથી નીકળ્યા. નીકળીને છેડે જઈને ઊભા રહ્યા. ઉભા રહીને  લક્ષ્મણભાઈને બોલાવ્યા. બોલાવીને આંગળી ચિંધી ને કહ્યું કે, ‘ પેલો છોકરો છે માંદો છે?’ તો કહે, ‘ના ના એને સારું છે, કંઈ તકલીફ નથી.’ તો કહે, ‘ના જરા રૂબરૂ મળો, તપાસ કરો, એની ચાલ ઉપરથી મને લાગે છે કે એ માંદો છે.’  લક્ષ્મણભાઈએ મૂળશંકરભાઈના કહેવા પ્રમાણે વિદ્યાર્થીને બોલાવ્યો, એને અમરગઢ લઈ જવામાં આવ્યો, અને એવું તારણ નીકળ્યું કે, આ વિદ્યાર્થીને  ‘ક્ષય’ના લક્ષણો છે. જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે, આનામાં ક્ષયના લક્ષણો છે, એ મૂળશંકરભાઈ નામનો કરુણા આધાર.  

૪) બહુ મહત્વના  અને એકદમ રસિક વ્યક્તિત્વ બુચદાદા. બુચદાદા વિશે ઘણું લખાયું છે, પણ ઘણું છૂટી પણ ગયું છે. બુચદાદા, મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે. તો લોકોએ કહ્યું કે,  તમારી જો ડાબી આંખ બચાવવી હોય જમણી આંખ કાઢી નાખવી પડશે, સર્જરી નહીં થાય, બુચદાદાએ કહ્યું, કાઢી નાખો, કોઈ વાંધો નથી. પછી ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા, એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાની ખબર કાઢવા આવી અને કટાક્ષમાં કહ્યું, દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે. એટલે બુચદાદાએ કહ્યું, I am extremely leftist now. My right side is wrong side now. આ બુચદાદા વિદ્યાર્થી બહેનોની ટપાલો ભેગી કરીને પોસ્ટ બોક્સ માંથી ટપાલ નીકળે એ પહેલા પોતે સમયસર જઈને પોસ્ટ કરવાનું કામ સંભાળે એવો આ માનવીય આધાર લોકભારતીનો હતો. 

આ ચાર વાત પરથી ખ્યાલ આવે કે લોકભારતી કેવા મોટા ચારસ્તંભો સાથે આગળ વધે છે. કોઈ કહે છે કે આ ચાર વ્યક્તિઓ પણ એકબીજાથી નિયત અંતર રાખીને રહેતી હતી. હા, એ સાચું, કારણ જીબ્રાન્ કહે છે કે,  ‘સ્તંભો વચ્ચે અંતર હોવું જોઈએ. નહિ તો મંદિરનો ઘુમ્મટ ઉભો ન થાય.’ 

 છેલ્લી વાત કરું, આપણો મૂળ ઉદ્દેશ તો લોકભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે. એને આપણે લોકભારતી ના ઝાપા માંથી બહાર લઈ જવી છે, સણોસરામાંથી બહાર લઈ જવી છે, ગુજરાત થી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે. કારણ કે   અત્યારે અહીંયા એવું કામ થઇ રહ્યું છે.  આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું જેથી કરીને જે કોઈ સત્તા   ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠિ હોય એ સાંભળે કે, આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે. આ પરિસરમાં જ્યાં હશો ત્યાં તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે. એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે.

ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની. હું એ યાદ કરું.  એમની પાસે ત્રણ સમાજ ગયા. દેવ ગયા, દાનવ ગયા, અને માનવ ગયા. ત્રણેય  જઈને તેમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે એ પ્રમાણે આપણે જીવન જીવીએ. એ ઋષિએ લાંબો સમય આંખ બંધ રાખી, અને જ્યારે આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા, ”દ”. પેલા ત્રણેય સમજ્યા નહીં કે આ ”દ” એટલે શું? પણ પછીતો આંખ મીંચાઈ ગઈ, એટલે અર્થઘટન પોતે કરવાનું હતું. આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો, અર્થઘટનનો જ હોય છે. પણ ખરેખર આ ”દ” નો શો  અર્થ કરવો? તો દેવ લોકોએ એમ કીધું કે, અમે બહુ ઈર્ષાળુ છીએ. એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષા નું ‘દમન કરો’. દાનવોને એવું લાગ્યું કે  અમે બહુ હિંસા કરનારા છીએ, બહુ લોકોને મારીએ છીએ, તો અમારા માટે ‘દયા કરો’ એવો અર્થ થતો હશે. અને માનવને એમ થયું કે અમે બહુ લોભિયા છીએ, બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ. મકરંદભાઈ ભલે કહે કે, ગુંજે ન ભરીએ પણ વેરી  દઈએ, પણ અમે વેરતા નથી. તો અમારે ખરેખર ”દ” નો અર્થ ‘દાન કરો ‘ સમજવાનો છે.  વિનોબાજીનાં મા કહેતાં કે, ‘દે તે દેવ, અને રાખે જે રાક્ષસ’ 

આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે… 

  

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈ સાથેના સમવાદમાંથી થોડું : 

વિદેશમાંથી કરીક્યુલમ ડિઝાઇનમાં મને ત્રણ શબ્દો કીધેલા. 

  1. વિઝિબિલિટી, 2) વાયેબીલીટી અને 3) ડિસાઇરેબિલીટી. 

વિઝિબિલિટી ક્યાંથી આવે ? stem સબ્જેક્ટ્સમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. 

વાયેબીલીટી ક્યાંથી આવે ? ફાયનાન્સ, એકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ. 

અને ડિસાઇરેબિલીટી.??  what will happen to the environment , what will happen to the next generation ? એ બધું આવે હ્યુમેનિટીસ અને સોશિયલ સાયન્સમાંથી. 

હવે આ ત્રણ શબ્દો પકડીને કરીક્યુલમ એની આજુબાજુ બનાવેલો. આ બધા વિષયોને આવરી લેતો. એટલે કે ઓલ રાઉન્ડ ડેવેલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ માટે એક લિબરલ એજ્યુકેશનનો પાયો જરૂરી છે. પછી જેને જે કંઈ સ્પેશ્યલાઇઝેશન કરવું હોય એ કરી શકે છે,  આ એક બહુ જરૂરી વાત છે. આવા દાખલા  ત્યાં મેં જોયેલા, જે અહીંયા જલ્દીથી જોવા નથી મળતા. હું ત્યાં કોલેજમાં ગયો. મને એક ફેકલ્ટી મેમ્બરનો પરિચય કરાવ્યો. એન્થ્રોપોલોજીસ્ટ છે. મને થયું એન્થ્રોપોલોજીસ્ટ એન્જીનીયરીંગ કોલેજમાં ? એટલે કહે છે હા, હા. મેં પૂછ્યું,  તમે શું ભણાવો છો ? મને કહે I teach a course aging adults એન્જીનીયરીંગ કોલેજમાં. મને નવાઈ લાગી એટલે કહ્યું,  હું તમારો લેક્ચર અટેન્ડ કરી શકું ? તો મને કહે,  હા જરૂર આવો. હું ગયો.. what she had done was ત્યાંની કમ્યુનિટીમાંથી ચાલીસ જુના માણસોને લઇ આવેલા અને ચાલીસ છોકરાઓની સાથે પેર કરેલા. ચાર મહિના એ લોકોને એકબીજાના સહવાસથી એક બીજાને જોવાના. એમાંથી પેલા લોકોની જરૂરિયાત શું છે જુના માણસોની ? એની જરૂર પ્રમાણે નક્કી કરવાનું. કોઈકને ચાલવાની તકલીફ છે તો વહીલચૅર બનાવો. કેવી બનાવશો કે એને ચાલવાની ક્યાં તકલીફ છે ? સ્ત્રી છે, પુરુષ છે, હાઈટ, બોડી, વજન, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ફ્લેટ સરફેસનું શું ? આ બધા ઘણા કારણોને જોઈને પેલા વિદ્યાર્થીઓ સમજતા જાય એ પ્રમાણે વહીલચેરની ડિઝાઇન બનાવતા જાય. એ રીતે કોઈને જોવાની તકલીફ હોય તો ગ્લાસીસ કેવા બનાવવાના, કઈ રીતે જોવાની તકલીફ ન પડે ? આવી બધી વાત આવે અને આવી જ એક વાત હું સ્ટેનફર્ડ ગયેલો ત્યાં થયેલી. સેન્ટર ફોર ડિઝાઇન રિસર્ચ હતું CDR એ ત્યાં આગળ એક્સપોઝર માટે બધાની જોડે ઓળખાણ કરાવી, વાત કરાવી પછી મને કહે છે કે, અહીંયા છોકરાઓને અમે ઇનોવેશન માટે એન્કરેજ કરીએ છીએ. પછી મને દાખલો આપ્યો. પાંચ છોકરાઓનું એક ગ્રુપ હતું અને એમને વિચાર આવ્યો કે દુનિયાના બેકવર્ડ કન્ટ્રીમાં પ્રોબ્લેમ ઓફ પ્રીમેચ્યોર બેબીઝ છે. પ્રીમેચ્યોર બેબીઝ મોર્ટાલીટી રેટ બહું  વધારે છે. કારણ કે રૂરલ એરિયામાં હોસ્પિટલ નથી. એટલે એમણે  શું કર્યું ? એ ગયા પેલા ડોકર્ટસ પાસે. મેડિકલ સ્કૂલ હતી ત્યાં ગયા.. એ કહે બેબીઝને કેમ આવું થાય છે ? તો કહે છે,, કારણ એ છે કે બોડી ટેમ્પરેચર જાળવવા સક્ષમ નથી. જેના કારણે મૃત્યુ પામે છે. દિવસમાં ટેમ્પરેચર બદલાય, દિવસે દિવસે બદલાય એની જોડે એડજસમેન્ટ થવું જોઈએ એ કરી નથી શકતા પ્રિમેચ્યોર બેબીઝ. તો એ શોધી કાઢ્યું કે આ તકલીફ છે. પછી તે નેપાળ ગયા. પાંચ છોકરાઓ. સાંભળજો બહુ રસપ્રદ વાત છે ત્યાં આગળ જોયું હોસ્પિટલ છે. નજીકના ગામડામાં ગયા જોયું કે, એ લોકોને નજીકની હોસ્પિટલ જતા પાંચ દસ કલાક પણ જાય અને ચોવીસ કલાક પણ થાય. એટલે એમણે ફરી પ્રોબ્લેમ શોધ્યો. બહારના કોઈ સપોર્ટ વગર ૪૮ કલાક સુધી બોડી ટેમ્પરેચર જાળવવું. પ્રોડક્ટ માટેનો concept બનાવ્યો. ગયા પાછા સ્ટેનફર્ડની લેબમાં. કીધું કે એવી કોઈ વેક્સીન કે એવું કઈ શોધવું કારણ કે માતાની સ્કિન સાથે જે બાળક હોય ને તો એને બહુ સારું રહે, એની તબિયત માટે, એવી બધા ડોકટરે વાત કરી. એટલે ગયા અને કીધું છે આપણે એક સ્લીપિંગ બેગ બનાવો કે જેમાં ટેમ્પરેચર સ્ટેબલ રહે. અને પેલા બાળકને એમાં મૂકી દેવાનું અને મધર એમાં બાળકને લઈને જાય એવું એક સોલ્યુશન કર્યું . એ ગયા ત્યાં અને કીધું કે એવો રસ્તો બતાવો અમને લોકો ને કે જેમાં ઓછામાં ઓછી તકલીફથી ટેમ્પરેચર રહે સ્લીપિંગ બેગ્સનું. એટલે એક કેમિકલ વેક્સ આવે છે. પેલા લોકોને સૂચન કર્યું કે આ વેક્સ મુકો, ગરમ પાણી નાખો એટલે ટેમ્પરેચર આવી જાય. સિમ્પલ સોલ્યુશન લઇ આવ્યા. પછી એ ડિઝાઇન કરી, પ્રયોગ કર્યા બધું થયું ઇન્ડિયા આવીને પછી આ કર્યું કંપનીનું નામ ‘એમ્બ્રેસ’ પાડ્યું. બંગ્લોરમાં એ કંપની બની અને ચાલુ કર્યું. ત્યારે હું બહુ પ્રભાવિત થયો કે આ ૧૮ – ૨૦ વર્ષના છોકરાઓ કમાલ કરે  છે ને ?

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. 

ભદ્રાયુ વછરાજાની                   (66)            bhadrayu2@gmail.com 

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું  સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે : 

+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. +  માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન  થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. +  કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.

સત્તરમાં અધ્યાયનું  સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :  

+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને    જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું  હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.

અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર  મળે છે કે : 

+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. +  ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. +  ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી  દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. +   હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. +  હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ

                       (અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી જન્મશતાબ્દિ 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

હું ત્યારે જુવાન હતો અને જુવાનીમાં એક નાગર કુટુંબના દીકરા તરીકે જીવનના બધા રસક્ષેત્રોમાં હું થોડો થોડો રસ લઈને ઊંડો ઉતરી રહ્યો હતો. ત્યારે રાજકારણ ઘણું બધું રાજનીતિનું કામ કરતું અને બહુ થોડું રાજકારણ થતું,, એ વખતે જેમને જોઈને અને વિધાનસભામાં બોલ્યા છે એના અંગે વાંચીને અથવા કોઈ નાની મોટી સભાઓમાં કે સંમેલનોમાં તેઓને સાંભળીને રાજકારણમાં જવું હોય  તો રોલમોડેલ કોણ  હોઈ શકે એવો જયારે મેં વિચાર કર્યો ત્યારે એક જ નામ હતું અને એ હતું શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી. 

એક વાત એવી પણ મનમાં એ વખતે બેઠી કે હું જેના પ્રભાવક વ્યક્તિત્વની  પુરેપુરી પ્રછાયામાં હતો એવા શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી પણ ફૂલ ટાઈમ રાજકારણમાં નહોતા. એ ધારાસભ્ય  કરતા ધારાશાસ્ત્રી તરીકે વધુ ખ્યાતનામ હતા. હું એ વખતે આ વાત દૂર દૂરથી દિવ્યકાંતભાઈને જોઈને સાંભળીને તારવતો થયો હતો એનો અર્થ એટલો કે મારી યુવાનીથી મારા ઉપર જે કેટલાક ત્રણ ચાર  વ્યક્તિત્વની ગહેરી અસર પડી તેમાં અવલ્લ નંબરે શ્રી દિવ્યકાંત નાણાવટી હતા. ઘણી વખત જ્ઞાતિના સંમેલનમાં મળવાનું થાય, ઘણી વખત હું શિક્ષક થયો હોવાથી કોઈ શિક્ષણ અંગેના કાર્યક્રમમાં તેઓના પ્રમુખ પદે કોઈ વાત ચર્ચાતી હોય તેમાં ભાગ લેવાનું થાય અને એમ હું એમની નજીકમાં પહોંચતો  ગયો. 

કાળવા ચોકથી એક બાજુ રસ્તા ઉપર હું ભૂલતો ન હોઉં તો ‘ત્ર્યંમ્બકમ’  બહુ મોટું હવેલી જેવું મકાન હતું, એમાં પણ હું ઘણીવાર જઈ આવ્યો અને દિવ્યકાંતભાઈ અને સૌદામિનીબેનના પ્રસન્ન દામ્પત્યને  નીરખવાનો મને ખુબ સારો લાભ પણ મળ્યો. 

એક એવા ધારાશાસ્ત્રી કે જે ધારાસભામાં કોઈ વાત રજૂ કરવા ઉઠે ત્યારે  સભાગૃહની  દરેકે દરેક દિવાલના કણે કણ પણ તેને  કાન મૂકીને સાંભળે એવી વિનમ્ર છતાં મક્કમ, ચુસ્ત છતાં સ્પષ્ટ રજુઆત મેં કોઈની માણી હોય તો દિવ્યકાંતભાઈની હતી. એમનું પ્રેસકવરેજ જયારે આવતું ત્યારે પણ મુખ્યમંત્રી કરતા કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટીએ ગૃહને કઈ માહિતીથી અવગત કરાવ્યા તેનું કવરેજ મેં વધુ છપાતું જોયું હતું. આમ, શિક્ષણ અને સાહિત્ય સાથેનો મારો નાતો આજીવન રહ્યો પરિણામે શિક્ષણની તેઓની સહાયક પ્રવૃતિઓમાં મારે ઘણી જગ્યાએ સાથે રહેવાનું બન્યું. પણ હું આજે એટલું ચોક્કસ જાહેરમાં સ્વીકારું કે હું હંમેશા તેઓના પ્રભાવ હેઠળ રહ્યો. એકેય ક્ષણ એવી ગઈ નથી કે જયારે મેં દિવ્યકાંતભાઈને એક સામર્થ્યવાળા વ્યક્તિત્વથી નીચે ક્યારેય જોયા હોય અથવા જાણ્યા હોય. ત્રણેક અવસરે કોર્ટમાં જઈને વકીલો માટેના કોર્ટરૂમમાં પણ એમને મળવાનું બન્યું, એ સમયે પણ એના સાથી ધારાશાસ્ત્રીઓ જે રીતે દિવ્યકાંતભાઈની વાતને કાન ધરીને સાંભળતા હોય કે તેઓને જે ગૌરવ અને માન આપતા હોય તેની  પણ મારા મન પર ઊંડી છાપ પડી  છે. એ ઊંડી છાપે  મને દિવ્યકાંતભાઈનો ચાહક બનાવી દીધો હતો. 

બન્યું એવું કે મેં  ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કર્યો જૂનાગઢથી. જૂનાગઢની બીએડ કોલેજના અધ્યાપક તરીકેના ઈન્ટરવ્યૂમાં મારે જવાનું થયું અને ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે મેં ઇન્ટરવ્યૂ લેનાર પેનલમાં  શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીને  બેઠેલા જોયા અને મને અંદરથી આનંદ થયો. એક કોઈ વ્યક્તિ એવી પણ ત્યાં હતી કે જે જ્ઞાતિ વડીલ એ કોલેજનું સંચાલન કરતી હતી તે જ્ઞાતિના હતા અને બહાર એવું બોલાતું હતું કે, એ ભાઈ આ ઈન્ટરવ્યૂમાં પસંદ થવાના છે, બાકીના લોકો નિરાશ થવાના છે. પણ ઇન્ટરવ્યૂ માટેના રૂમમાં દિવ્યકાંતભાઈની પડછંદ કાયા મેં પ્રવેશતી જોઈ ત્યારે મને ઊંડે ઊંડે એવું લાગ્યું કે, ના, પસંદગી તો યોગ્ય ઉમેદવારની જ થશે. આપણે સમજી શકીએ કે આ ભરોસો એમ ને એમ તો ન બંધાણો હોય. અગાઉની કેટલીક મુલાકાતો અથવા તો પારદર્શીતાભર્યા નિર્ણયોના આપણે સાક્ષી બન્યા હોઈએ  એટલે આવો ભરોસો બંધાયો હોય !!. ઇન્ટરવ્યૂ લાંબા ચાલ્યા. જે વ્યક્તિ લેવાશે એવી વાત હતી એનો ઇન્ટરવ્યૂ પણ ખાસ્સો લાંબો ચાલ્યો અને મારી સાથે પ્રશ્નોત્તરી કરવામાં મુખ્ય દિવ્યકાંતભાઈ હતા .એણે વ્યાપક્તાથી મને  પ્રશ્નો પૂછ્યા અને એકદમ હકારાત્મક રીતે સામે બેઠેલા ઉમેદવારને જરા પણ એમ ન લાગે કે, મારું કોઈ મૂલ્યાંકન કરી રહ્યું છે એટલી સાલસતાથી તેઓ બધાના ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યૂના રૂમની અંદર દૂર એક આરામ ખુરશીમાં એક પ્રચંડ મોભાદાર  વ્યક્તિત્વ આરમ ફરમાવી રહ્યું હતું અને તેઓ બધાને શાંતિથી સાંભળી રહ્યા હતા. પછીની પ્રક્રિયા મને સીધી ખબર નથી, પણ પછીથી મને જે જાણવા મળ્યું તે એવું છે કે, ઈન્ટવ્યુ પૂરો થયો ત્યારે એ આરામ ખુરશીમાં આરામ ફરમાવનાર  વ્યક્તિત્વ એ દિવ્યકાંતભાઈને પૂછ્યું કે, ‘નાણાવટી, તમે શું કહો છો ? કોને પસંદ કરીએ ?’ અને ત્યારે દિવ્યકાંતભાઈએ જવાબ આપ્યો, ‘તમે જેનું નામ લેતા હતા એ ભાઈ તો પસંદ થાય એમ નથી.’ એટલે તરત જ સામેથી જવાબ મળ્યો કે, ‘ના એ ભૂલી જાઓ ને તમારો મત શું છે એ મને કહો.’ એટલે એમણે  મારું નામ આપ્યું એટલે પેલા સંચાલક વ્યક્તિત્વ (જે પણ એક ધુરંધર વ્યક્તિ હતા) એમણે કહ્યું કે,  ‘પેલો એક જાડિયો ગુલાબી ગાલવાળો છોકરો આવ્યો હતો, નાગર હતો ને એને લઈએ, એવું મને લાગે છે તમે શું કહો છો ?’ એટલે દિવ્યકાંતભાઈએ કહ્યું કે, ‘આપે કહ્યું ન હોત તો હું એનું જ નામ આપવાનો જ હતો.’ આ વાત જયારે ઈન્ટરવ્યૂમાં કમિટીમાં સામેલ થયેલા બે મેમ્બરોએ મને કહી ત્યારે પણ એમાંથી મને એક પાસું જાણવા મળ્યું કે, તમે કમિટીમાં બેસીને તમારો  ધારેલો નિર્ણય સીધો જાહેર કરો એને બદલે મુખ્ય સંચાલકને વિશ્વાસમાં લઈને એના મુખેથી બોલાવો અને એ નામ જો તમારું જ નીકળતું હોય તો એ સમિતિ દ્વારા લેવાયેલો સર્વાંગ સંપૂર્ણ નિર્ણય બની રહે. નાગરોની મુત્સદીગીરી નો આ સાદર નમૂનો છે. 

મારી પસંદગી થઇ અને હું એ સંચાલક વ્યક્તિત્વને રૂબરૂ મળવા ગયો, એમના આશીર્વાદ લીધા અને પછી હું દિવ્યકાંતભાઈને મળવા પણ ગયો અને એમને મેં વિનંતી કરી કે, ‘મારું મૂળ તો રાજકોટ છે, પણ હું કોલેજમાં આવી જાઉં તો મને યુનિવર્સીટીમાં જવામાં રસ્તો સીધો પડે એટલે હું અહીંયા આવ્યો છું. મારું ફેમેલી રાજકોટ છે. મારે ભવિષ્યમાં જૂનાગઢ શિફ્ટ થવું નથી. તો મને અપડાઉન કરવાની મંજૂરી મળે એવું આપ કરી શકશો ?’ એમણે સામે પ્રશ્ન પૂછ્યા વગર બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કરીને  સામે એક વ્યક્તિને સ્પષ્ટ નિખાલસ છતાં સૌમ્યતા ભરી જબાને પોતાની વાત કરી અને એવું કહ્યું કે, ‘આ ઉમેદવારને આપણે જતો કરવા માંગતા નથી અને એ પોતાનું આપેલું વચન પાળે એવો છે. એટલે આપણે નિયમ ભલે ન હોય પણ આમને અપ ડાઉન કરવાની છૂટ આપીશું.’  સામેથી એવું કદાચ કહેવાયું હશે એવું મને લાગ્યું કે, આપણો નિયમ છે કે, કોઈ અપ ડાઉન કરતું નથી, ત્યારે દિવ્યકાંતભાઈએ થોડા મક્કમ ઘેરા અવાજે કહ્યું, ‘માણસ માટે નિયમ છે, નિયમો માટે માણસ નથી. આપણને એક ઉત્તમ માણસ મળતો હોય તો એ નિયમમાં આપણે બાંધછોડ કરીએ છીએ અને એ પ્રમાણે તમે એનો અમલ કરશો..’  આટલું કહીને એમણે ફોન મૂકી દીધો. પ્રાસંગિક જે વાત કરવાની હતી તે કહી મેં મારા તરફથી સ્પષ્ટ  બાંહેધરી આપી કે, ‘ હું સમયથી રોજ વહેલો પહોંચીશ અને સમય પૂરો થયા પછી જ નીકળીશ, કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે એ મારી ખાતરી છે.’ અને હું આભાર માનીને નીકળ્યો. મારી કોલેજમાં પહોંચ્યો ત્યારે મારા આચાર્યે મને બોલાવ્યો અને પોતાના ચહેરા ઉપરની નારાજગીને છુપાવતા છુપાવતા એમણે મને અપ ડાઉન કરવાની હા પાડી. એમને એ કદાચ નહીં ગમ્યું હોય કારણ  આ આદેશ એમને કોઈએ ઉપરથી આપ્યો હતો !!. જો કે ત્રણેક વર્ષના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે એ આચાર્ય માટે આવો આદેશ ન મળ્યો હોત તો તેઓ મારા એ ઉચ્ચ શિક્ષણના પ્રવેશને એટલો  મીઠો  ન રહેવા  દેત.!!!!

કોલેજના અનેક કાર્યક્રમોના સંચાલનમાં મારે અગ્રેસર રહેવાનું બન્યું ત્યારે દિવ્યકાંતભાઈના ઘરે જવાનું થાય, કોઈ કાર્યક્રમોની ચર્ચા સંદર્ભે, કોઈ સ્પીચ લખવાના સંદર્ભે એમને મળવાનું થાય અને ત્યારે હું એ ચુસ્ત નાગરી નિવાસમાં એકદમ ધીર ગંભીર દંપતીને દૂરથી માણતો રહેતો. એક નાનકડી વાત નોંધું. મને બરાબર યાદ છે કે કોર્ટે જવાનો સમય હતો, એ પહેલા અડધી કલાકે મને બોલાવ્યો હોય અને દિવ્યકાંતભાઈ  તૈયાર થઇ ગયા હોય  અને ઊંચી  ખુરશી ઉપર બેઠા હોય  અને મારી સાથે વાત કરી રહ્યા હોય  એ દરમિયાન સૌ. સૌદામિનીબેન આવ્યા અને એમના હાથમાં એક નાનકડી ડબ્બી હતી, એમાં રહેલું કાજળ  એમણે પોતાની જમણા હાથની ત્રીજી આંગળીથી બરાબર ઘસ્યું  અને એને કાજળ  ઘસતા જોઈને દિવ્યકાંતભાઈ પોતાનું મુખ જરા અધ્ધર કરીને શાંતિથી બેસી ગયા. મારી વાત અટકાવી દીધી અને તેઓની બંને આંખમાં કાજળ  આંજવાનું કામ ત્યારે સૌદામિનીબહેને કર્યું. નાગરોના અનેક લક્ષણો વિષે લોકો વાત કરતા હોય છે પણ આટલી ઉંચાઈ પર પહોંચ્યા પછી અને એક શીર્ષસ્થ સ્થાને પહોંચ્યા પછી પણ નાગર ગૃહિણી પોતાના પતિને વ્યવસાય ઉપર જાય તે પહેલા આંખમાં કાજળ આંજી દેવાની વિનમ્રતા ચૂકતી નથી. એ કદાચ આપણા દેશમાં  એકમાત્ર નાગરોમાં શક્ય હશે એવું ગૌરવ ત્યારે મને થયેલું. હું એ સમયે બહુ ખુશ થયેલો અને મનોમન એવું વિચારતો હતો કે દરેક કુટુંબની અંદર પતિ અને પત્નીની વચ્ચે આવા મીઠા સબંધો હોવા જોઈએ. 

ત્રણ વર્ષ પછી મને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક ભવનમાં નિમણુંક થવાની તક મળી અને મારે તરત જ હાજર થવું પડે એમ હતું, જે મારા આચાર્યશ્રી માની શકે એમ નહોતા એટલે મેં ફરી એકવાર દિવ્યકાંતભાઈને ફોન કર્યો અને એને મળવા જવાનું નક્કી કર્યું, એમણે મને કોર્ટ ઉપર બોલાવ્યો/ જૂનાગઢમાં વકીલો માટેની ચેમ્બરમાં તેઓ હતા ત્યાં મારે મળવાનું થયું. એ સમયે એક ખૂણામાં બેસીને મેં એમને કહ્યું કે, ‘મને આ તક મળી રહી છે, હું યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કરીશ એ આનંદનો વિષય છે અને હું આપનો ઋણી રહીશ, પણ મારે રિલિવ થવું પડે એમ છે.’  જ્યારે  આ લખું છું ત્યારે મને એમની દૂરંદેશી ઉપર, એમની દીર્ઘદ્રષ્ટિ ઉપર ભારોભાર માન થાય છે. એમણે કહ્યું કે, ‘ભદ્રાયુ, તમને સુંદર સ્થાન મળે છે એ બહુ સારી વાત છે, પણ યુનિવર્સીટી એ રાજકારણનો અખાડો છે. એટલે હું એવું માનું છું કે, તમે આ પરમેનન્ટ જગ્યા ઉપર છો ત્યારે તમે સરકારમાંથી લિયન મેળવો અને તમે અહીંયા લિયન રાખીને યુનિવર્સીટીમાં જાઓ, જેથી કરીને શરૂઆતના  એકાદ વર્ષમાં તમને એવું લાગે કે, આમાં તો  બધી ગડબડ છે, તો તમે અહીંયા પાછા આવી જઈ શકો.’  એ દૂરંદેશીએ મને એટલો બધો મદદગાર થવાનો રસ્તો ચીંધ્યો કે જેનો અહેસાસ મને ઘણા સમય પછી થયો.  એમનું કહ્યું માનીને હું મારા આચાર્ય પાસે ફોર્માલિટી પુરી કરીને ગાંધીનગર દોડ્યો અને ગાંધીનગર દોડીને મેં એક વર્ષ માટેનું લિયન લીધું, જે લિયન માટેનો કાગળ મારી કોલેજમાં સબમિટ કરી અને હું જયારે કોલેજમાંથી મુક્ત થઈ યુનિવર્સીટી પહોંચ્યો ત્યારે ખરેખર યુનિવર્સીટીના રાજકારણી અધિકારીઓએ  મને એક પત્ર પકડાવ્યો અને તેમાં એવા શબ્દો લખ્યા હતા કે, અમારી ટેક્નિકલ ભૂલને કારણે તમારી નિમણૂંક  થઇ છે તેથી આ નિમણૂંકને રદ કરવામાં આવે છે. મને હુકમ મળ્યો અને રદ થયો એની વચ્ચે અઠવાડિયા દસ દિવસનો ગાળો ગયો અને એ દરમિયાનમાં હું લિયન લઈને ગાંધીનગરથી આવી ગયો હતો એટલે મેં આ યુનિવર્સીટીના નિર્ણય સામે કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો. એમાં પણ મને દિવ્યકાંતભાઈએ બહુ મદદ કરી. અને ચાર મહિના પછી કોર્ટે મારી બધી જ રજાઓને ફરજ પર ગણીને પુરા  પગાર સાથે યુનિવર્સીટીમાં નિયુક્ત જગ્યા પર હાજર કરવાનો યુનિવર્સીટીને આદેશ આપ્યો. અત્યારે હું વિચાર છું કે, મેં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં  ચોવીસેક વર્ષ શાનદાર કામ કર્યું અને પછી તો યુનિવર્સીટીમાં હું એક આવશ્યક પરિબળ બની ગયો એ  ત્યારે જ શક્ય બન્યું હતું કે, જયારે મને દિવ્યકાંતભાઈના એક નાનકડા વાક્યએ પ્રેરિત કર્યો હતો કે. ‘તમે લિયન લઇ અને પછી જોડાજો.’ 

આજે દિવ્યકાંતભાઈનું સ્મરણ કરતા જયારે મારે મારા શબ્દોને કાગળ ઉપર મુકવાના છે ત્યારે મારું  હૃદય આ વાતથી ભરાઈ આવે છે અને મને એમ લાગે છે કે મારે એમની સાથે કોઈ પૂર્વ જન્મનો નાતો હશે એટલે એમણે મને મારા જીવનની ઘણી  કપરી પળે બચાવી લીધો હતો. આમ પણ દિવ્યકાંતભાઈના પુત્ર કે જે દિવ્યકાંતભાઈની નાની આવૃત્તિ જેવા લાગે એ જ ભરાવદાર શરીર, એ જ ઘેઘુર અવાજ, એ જ શોખ અને એ જ ઠાવકાઈથી પોતાનું જીવનારા હેમંતને મારી સાથે લોકો સરખાવે છે, ત્યારે અમને એકબીજાના ભાઈ ગણે છે. અસ્મિતા પર્વમાં પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં એક સોફા ઉપર અમે બે જણા બેઠા હતા ત્યારે એક ખ્યાતનામ ફોટોગ્રાફરે અમારો ફોટો લઈને એને પબ્લિશ કર્યો સોશિયલ મીડિયા ઉપર અને લખ્યું: બે ભાઈઓ એક સોફા ઉપર !!. અમને ખબર છે કે અમે સગાભાઈઓ નથી. દિવ્યકાંતભાઈનો મારા પ્રત્યેનો સહજ  પ્રેમ કે જે તેઓ  દરેક વ્યક્તિ માટે વરસાવતા હતા પણ મારા પર્ફોમન્સને તેઓએ ઈન્ટવ્યુ દરમિયાન માણ્યું હતું અને પછીથી મારા વ્યવહારમાં, મારા લેખનમાં, મારા વક્તૃત્વમાં તેઓ જે એક પ્રકારની પ્રબળતા જોતા હતા તેના આધારે હું તેનો માનસ પુત્ર હોઉં એવી રીતે મને એમણે જોડ્યો હતો. પછીના વર્ષોમાં પણ ઘણી વખત દિવ્યકાંતભાઈને મળવાનું થયું અને બધા જ સ્મરણનો એક સાથે એમના પડછંદ શરીરની જેમ જ આપણી સામે એક પછી એક ઉપરથી નીચે સુધી પસાર થાય એવું મેં અનેક વખત અનુભવ્યું છે. 

દિવ્યકાંત નાણાવટી જેવી વ્યક્તિ આપણા ગુજરાતને ભાગ્યે જ મળે. દિવ્યકાંત નાણાવટી જેટલી મુત્સદી અને ગુણવત્તાને વળગી રહેનરી વ્યક્તિ રાજકારણને પણ ભાગ્યે જ મળે છે. આપણે નસીબદાર છીએ કે, દિવ્યકાંતભાઈ નાણાવટી આપણા જૂનાગઢના  નાગર કુટુંબના અને પોતાની પાછળ નિરૂપમભાઈ, હેમંતભાઈ જેવી એક લેગસી મૂકી જનાર વ્યક્તિત્વ તરીકે આપણને મળ્યા છે. હા મને મોટો થયો પછીથી સતત એવું લાગ્યા કરે છે કે, ગુજરાતમાં દિવ્યકાંત નાણાવટીને જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકતું હતું તે આપણો સમાજ એમને આપી શકેલ નથી. ઘણા બધા રાજ્યોમાં, બહુ જ વામણા રાજ્યપાલોને જોઉં છું ત્યારે એમ લાગે છે કે, રાજ્યપાલ તો દિવ્યકાંત નાણાવટી જેવા શોભે. 

હું તેઓની દિવ્ય  ચેતનાને વંદન કરું છું અને તેઓના આશીર્વાદ આપણને તેઓના માર્ગે ચાલવા સામર્થ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

ગ્રામસેતુ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નિયતિ અને સમર્પણનો સાંગોપાંગ સરવાળો..

ગિરના જંગલની વચ્ચે ઘાંટવડ ગામ. જંગલ એટલે ગાઢ કે સૂર્યનો પ્રકાશ ન દેખાય. જંગલની વચ્ચે મોટો બંગલો. બંગલાની બે પાંખ. એક પાંખમાં કોડીનારના તલાટીનું કુટુંબ રહે. બીજી પાંખનો ઉતારા તરીકે ઉપયોગ થાય. જંગલમાં શિકાર કરવા જે રાજ-રજવાડાં-મોટા અધિકારીઓ આવે તે એમાં રાતવાસો કરે. શિકાર કરીને જે મોટાં ખૂંખાર પ્રાણીઓને માર્યાં હોય તેને ત્યાં લઈ આવે. ગાયકવાડી ગામ કોડીનારમાં તલાટીને ત્યાં જન્મેલ ‘ધીરુ’ બાળક હતો તે આ બધું જોયા કરે. શિકાર થયેલાં જનાવરનાં શરીર પર ડરતાં ડરતાં ધીરુ હાથ ફેરવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય. જિંદગીના સોળ વર્ષોં આ માહોલમાં જીવનાર ધીરુને આજે પણ એ રોમાંચ યાદ છે. આજે ચોરાણું વર્ષે પૂરેપૂરી સ્વસ્થતા અને સજ્જતાથી વિશ્વ સાહિત્યના દરિયામાં વહાણ હંકારનાર શ્રી ધીરુભાઈ ઠાકરને મળીએ તો આપણને રોમાંચ થયા વગર રહે નહીં.

ગુજરાતી વિશ્વકોશ સર્જક શ્રી ધીરુભાઈ ઠાકર હળવાશથી કહે છે કે ઃ મારા જીવનમાં નિયતિએ બધું કરી આપ્યું, મેં તો માત્ર હાથ ઊંચો કરી તેની સાક્ષી પુરાવી છે.’

ચાણસ્મા ગામમાં શિક્ષણ થયું ધીરુભાઈનું. સહજતા લોહીમાં. એક વખત શાળામાં ડેપ્યુટી ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા. એક વર્ગમાં દાખલ થઈ સામે દેખાવડો છોકરો હતો તેને પૂછ્યું : “હાથીદાંતનાં ઝાડ કેવા હોય ?” છોકરાએ અદબવાળી ઊભા થઈ ગભરાયા વગર જવાબ આપ્યો : હાથીદાંતનાં ઝાડ કાળાં, જાડાં ને કદાવર હોય!” વિચારીને જવાબ આપ્યો હતો અને જ્વાબ લગભગ સાચો પણ હતો. પેલા સાહેબે બાળકનો વાંસો થાબડી કહ્યું : “સેન્સ ઑફ હ્યુમર સારી છે.’ સાહેબના ગયા પછી બાળક ધીરુ શાળામાં હોંશિયાર તરીકે સ્વીકૃતિ પામી ગયો. ચાણસ્માની શાળાના આચાર્ય રામલાલ ચુનીલાલ મોદી કેટલાક વધુ તેજસ્વી છોકરાવને વિશેષ ભણતર આપવા સ્કૂલમાં રાત્રે બોલાવે. પથારી લઈને જવાનું. રામલાલ આચાર્ય ફાનસ લઈને આવે. પરીક્ષાની પોતે તૈયારી કરાવે. રાત્રે સૂતી વખતે ફરમાન કરે કે સવારે વહેલા ઊઠવાનું. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે ઉઠાડશે કોણ?” તો રામલાલ રોકડું પરખાવે : “તમે તમારી જાતને કહો તો તમારી જાત તમને ઉઠાડશે. ટેવ પાડો તો તમારી અંદર બેઠેલો છે તે તમારો હુકમ માનશે જ.’ ધીરુભાઈ ઠાકર કહે છે : “ત્યારે આજના જેવું નહીં, મૅટ્રિકમાં પણ સંસ્કૃતમાં પ્રશ્ન પુછાય અને તેનો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાનો! ધીરુભાઈ સંસ્કૃત, ગુજરાતી, વિજ્ઞાનમાં હોંશિયાર.

ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અઢાર વર્ષ અધ્યાપક રહેનાર ધીરુભાઈ ઇજનેર થવાનું સ્વપ્ન લઈને ગુજરાત કૉલેજમાં સાયન્સમાં વિદ્યાર્થી બનેલા. તેમના જીવનનો પહેલો લેખ ‘આપણાં લગ્ન’ પણ ઇન્ટર સાયન્સમાં ગુજરાત કૉલેજના મૅગેઝિનમાં છપાયેલો. નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હશે એટલે સાયન્સના પહેલા જ વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઍલ્યુમિનિયમના સૉલ્ટવાળી ક્રુસિબલ નીચે પડી, ફૂટી, નિરાશ થયા, નાપાસ થયા.. પ્રવાહ વળ્યો સેન્ટ ઝેવિયર્સ, મુંબઈમાં આર્ટ્સ ભણવા તરફ BA. વીથ સંસ્કૃત થવાનું ફૉર્મ ભરતા હતા ત્યાં પોતાના ગામ વિરમગામના પ્રાધ્યાપક કાંતિલાલ વ્યાસ મળ્યા. તેમણે કહ્યું : B.A. વીથ સંસ્કૃત ન થવાય, B.A. વીથ ગુજરાતીનું ફૉર્મ ભરી દે, અને ઝેવિયર્સ નહીં એલ્ફીન્સ્ટન કૉલેજમાં આવી જા.’ અને સંસ્કૃતમાં પારંગત થવા નીકળેલા ધીરુભાઈ ઠાકર આપણી ગુજરાતી ભાષાના જ્યોતિર્ધર થયા.

શ્રી ધીરુભાઈ ઠાકર અચ્છા નાટ્ય કલાકાર અને દિગ્દર્શક પણ. કૉલેજમાં ભન્નતા હતા ત્યારે મુંબઈમાં ચં. ચી. મહેતાનું નાટક ‘આગગાડી’ ભજવ્યું, પણ કોની સાથે ? ખુદ ચં. ચી. મહેતા, ધનસુખ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશીની સંગાથે… અને અધ્યાપક થયા ત્યારે ગુજરાત કૉલેજમાં ચં. ચી. મહેતાની કડક શિસ્તને આદર્શ તરીકે રાખી નાટકનું દિગ્દર્શન પણ કર્યું. દુષ્યંત નામનો એક ખેપાની વિદ્યાર્થી. એ સમયમાં ગુજરાત કૉલેજ એક જ, એલ. ડી. પછી શરૂ થઈ. દોઢસોનો વર્ગ. ધીરુભાઈ ઠાકર સૌથી નાના અને પ્રમાણમાં ‘કાચા’ અધ્યાપક. તેઓ પોતે જ કહે કે : “એ સમયના દિગ્ગજો સંસ્કૃતમાં પ્રો. અભ્યકર, અર્થશાસ્ત્રના પ્રો. મર્ચન્ટ, અંગ્રેજના પ્રો. ભાંડારકર અને પ્રો. વેલીન્કરની સામે હું કેમ ઊભો રહી શકીશ એ જ મૂંઝવણ. એમાં દુષ્યંત વર્ગમાં બેકાબુ, ચાલુ લેક્ચરે ક્લાસમાં કૅન્ટીનમાંથી ચા મંગાવીને પીવે, વર્ગમાં છઠ્ઠી ખોલીને બેસે ને કહે સર, વરસાદ કેટલો છે? બધા દુષ્કૃતથી ત્રાસી ગયેલા. દુષ્યંતે નાટકનાં રિહર્સલમાં દખલ શરૂ કરી. મેં તેને કહ્યું : તોફાન કરવા સહેલાં છે, નાટકમાં કામ કરવું અઘરું છે. દુર્ગંતે પડકાર ઝીલી લીધો અને વસવસો કરતાં કહ્યું : અમને નાટકમાં કોણ રાખે? મેં તક ઝડપી લઈ શરત મૂકી : પણ હું જે રોલ આપું તે શિસ્તબદ્ધ ભજવવો પડશે… દુષ્પ્રત હોંશથી ધનય ઠાકરનાં નાટક જો હું તું હોત…’માં નોકરના પાત્રને ભજવવા લાગ્યો. તેને ત્રીજું ઇનામ મળ્યું. દુષ્યંત તોફાની મટી અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યો. પછીનાં જ બીજાં નાટકથી મેં તેને મુખ્ય રોલ આપ્યો અને તે બખૂબી અભિનય કરવા લાગ્યો.’

શ્રી ધીરુભાઈ ઠાકર દુષ્કૃતની વાતના અંતમાં કહે છે : માણસના બધા જ ખજાનાઓની ચાવીઓ લઈને ભગવાને શિક્ષકને મોકલ્યો છે. મારી પાસેની ચાવીથી આ ખજાનો ખૂલશે જ તેવી શ્રદ્ધા શિક્ષકમાં હોવી જોઈએ.’

૧૯૪૨ની દસમી ઑગસ્ટ શ્રી ધીરુભાઈ ઠાકરના જીવનનો વિરલ અને દિવ્ય દિવસ છે. આઝાદીની લડત ટોચ પર હતી. અમદાવાદમાં લૉ કૉલેજ તરફથી એક મોટું સરઘસ ગુજરાત કૉલેજ તરફ આવતું હતું. સરઘસની પાછળ પોલીસ અને પોલીસની ગાડીઓ ધસી એટલે સરઘસ ગુજરાત કૉલેજમાં ઘૂસ્યું. સરઘસની આગળ કૉલેજની છોકરીઓ હતી, પાછળ છોકરાઓ હતા. ગુજરાત આર્ટ્સ કૉલેજની સામે લાઇબ્રેરી અને આ બન્નેની વચ્ચે છોકરીઓની અફડાતફડી. અધ્યાપકો ઉપરથી આ જોતાં હતાં. પ્રિન્સિપાલ પટવર્ધને અધ્યાપકોને કહ્યું કે નીચે જઈ વિદ્યાર્થીઓને શાંત રાખો. પ્રા. સાલેતોર, પ્રા. એન. એમ. શાહ, પ્રા. દાવર અને સૌથી નાના પ્રા. ધીરુભાઈ ઠાકર નીચે દોડ્યા. ધક્કામુક્કી થઈ એમાં ધીરુભાઈ ઠાકર વિદ્યાર્થીઓની આગળ અને પોલીસોની સામે; વચ્ચે સાત-આઠ ફૂટનું અંતર, એમાં કોઈએ કાંકરીચાળો કર્યો!સામેથી ડી.વાય.એસ.પી.એ ‘ફાયર’નો હુકમ આપ્યો. વચ્ચે રહેલા ધીરુભાઈ ઠાકર એ કલ્પનાથી જ ધ્રૂજ્યા કે ગોળીબાર થશે તો વિદ્યાર્થીઓની લાશો પડશે એટલે પોલીસ ડી.વાય.એસ.પી. સામે હાથ ઊંચા કરી રાડ પાડી ઊઠ્યા : પ્લીઝ, સ્ટૉપ.’ અને ડી.વાય.એસ.પી.એ હાથમાં રહેલી બૅટન ધીરુભાઈના માથામાં ફટકારી, પોલીસે ગોળીબાર કર્યો, વિદ્યાર્થીઓ ઘવાયા પોલીસે હૉસ્ટેલ રૂમમાં જઈ માર માર્યો. ધીરુભાઈ ઠાકરને બાયૉલૉજી ભવનમાં પ્રાથમિક સારવાર આપી હૉસ્પિટલ ખસેડાયા જ્યાં દસ દિવસ રહેવું પડ્યું. કેટલાય લોકો અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં આવ્યા. તેમના ચહેરા પર લાગણી સ્પષ્ટ દેખાતી હતી કે અમારા પ્રાધ્યાપક અમને બચાવવા પોતે ઘાયલ થયા! શ્રી ધીરુભાઈ ઠાકર જીવનનાં પરમ સત્યને તારવતાં કહે છે કે : ‘નિયતિ સાથે સમર્પણ જોઈએ. પ્રારબ્ધ અને પરિશ્રમ સાથે પ્રેમ ભળવો જોઈએ. આવા સથવારા વગર જીવન જીવવાનો આનંદ મળતો નથી.’

મોડાસાની શિક્ષણ તપોભૂમિના દ્યોતક, ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ઉજાસના અણસારાથી છલકે છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.

ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

@ ચિન્મય વિભૂતિ, કોલવણ, મુલશી ડેમ પાસે, પૂના.

ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ચિન્મય મિશનની સ્થાપના ગુરુદેવ સ્વામી શ્રી ચિન્મયાનંદજીએ કરી છે. ઉદ્દેશ વેદાંત, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોનો કેવળ પ્રચાર પ્રસાર. બીજી કોઈ ઝંઝટ નહીં.

વિશ્વભરમાં, 300 થી વધુ મિશન કેન્દ્રો છે, 86 થી વધુ સ્કૂલ અને 09 થી વધુ કોલેજો છે જે લાખો વિદ્યાર્થીઓનું સંસ્કૃતિ અને સંસ્કાર ઘડતર કરે છે.

2017 માં UGC માન્ય ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ First Private Deemed To Be University in Kerala ની સ્થાપના થઈ છે, જે ‘de novo’ સ્ટેટસ ધરાવે છે, જેમાં 80% થી વધુ ફેકલ્ટી PhD છે, જ્યાં 49% વિદ્યાર્થીઓ scholarship ઉપર અભ્યાસ કરે છે, જ્યાંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થઈ ચૂક્યા છે અને 1000 થી વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે… આ ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ નું એક વિરલ અભ્યાસ કેન્દ્ર ચિન્મય વિભૂતિ, કોલવણ, પૂના ખાતે કાર્યરત છે જે ચિન્મય નાદ બિંદુ ગુરુકુલમ છે જ્યાં M.A. (સંગીત, નૃત્ય, ગાયન, વાદન વગેરે) નો અભ્યાસ કરાવવામાં આવે છે.

આ ગુરુકુલમ દ્વારા પ્રતિવર્ષ નાદ બિંદુ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં અમે ત્રણ દિવસ ભાગ લેવા આવ્યા છીએ, જેની ઝલક અહીં મૂકું છું. ગુરુજી સ્વામીશ્રી તેજોમયાનંદજી ની નિશ્રામાં આ ફેસ્ટિવલ સંગીત, નાટક, ગાયન, વાદનની પ્રસ્તુતિ કરી રહેલ છે. ગુરુજીએ સુંદર ભજનથી ઉદઘાટન પ્રવચન કર્યું. પદ્મશ્રી શેખર સેન દ્વારા one man act કબીર માણ્યું,,,કબીર નાટકનો આ 452 મો શો હતો !!!!!

આ વખતનો નાદ બિંદુ ફેસ્ટિવલ કેરાલિયન પર્યાવરણ થી સજ્જ છે, કારણ ચિન્મય મિશન ના સ્થાપક ગુરુદેવ શ્રી ચિન્મયાનંદજીની ૧૦૮ મી જન્મ જયંતી છે. અમે પણ પ્રારંભે કેરાલા નાં વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલાં.

વધુ તો લખવાનું શક્ય નહીં બને કારણ “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું ” જેવી મારી સ્થિતિ છે.

ક્યારેક આ ચિન્મય વિભૂતિ વિશે વિગતે વાતો કરીશું. આ અમારું પ્રિય સ્થળ છે કારણ અહીં શાંતિ છે, પ્રસન્ન પ્રકૃતિ છે, અધ્યાત્મ નો સંસ્પર્શ છે.

https://vibhooti.chinmayamission.com/

હરિ ૐ… ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

 અખંડ આનંદ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

તમે જે આપો તે તમને મળેમાન  આપો તો માન  અને પ્રેમ આપો તો પ્રેમ મળે.”

આમ તો મારું નામ ગોવિંદ, પણ મને બધા ગોવિંદો કહીને બોલાવે. ગોવિંદો કહીને બોલાવે તો નાનપણમાં તો બહુ કાંઈ મને ખોટું ન લાગતું. કારણ કે દુધાળા ગામમાં રહેતા ત્યાં બધાને નામ બગાડીને જ બોલાવવાનો રિવાજ હતો. એટલે કે મહેશ હોય તો મહેશીયા, રમણ હોય તો રમણીયો, ચણાળુ હોય તો ચંદુડો કહેતા. બસ, એમ જ મને બધા ગોવિંદો કહે તો  પણ ખોટું નહોતું લાગતું, કારણ કે નાનપણથી બધા ગોવિંદો જ કહેતા  એટલે બધાને એમ જ થઈ ગયું કે  મારું નામ જ ગોવિંદો છે.

પણ જ્યારે મોટો થયો અને કામ કરવા માંડ્યો, બે ચાર પૈસા આવવા લાગ્યા ત્યારે મને એમ થયું કે, આપણને બધા ગોવિંદો કહીને બોલાવે  એ બરાબર ન કહેવાય. પણ પ્રશ્ન એ થાય કે બધા ગોવિંદો કહે છે એને આપણે કેમ કહેવું કે,  ભાઈ મને ગોવિંદો ના કયો. આપણને બધા તુકારે બોલાવે છે, તો એને કેમ કહેવું કે તમે મને બે નામે બોલાવો. આ પ્રશ્ન બરાબર મનમાં ઘોળાતો હતો અને વિચારતો હતો કે આપણે શું કરવું ?  એક દિવસ હીરાના કારખાનેથી હીરા ઘસીને મારી ડ્યુટી પુરી થઈ અને ઘરે જતો હતો, ત્યાં સુરતના ભાગળ વિસ્તારની આસપાસ એક કથાનો મંડપ ને ત્યાં પૂ. ડોંગરેજી મહારાજ કથા કહેતા હતા. એ કથા પાસેથી નીકળ્યો અને કોણ જાણે મને એમ થયું કે આ અવાજ મને ખેંચી રહ્યો છે.  હું જઈને અંદર કથા મંડપમાં બેસી ગયો અને આંખ બંધ કરીને ડોંગરેજી મહારાજને સાંભળવા લાગ્યો. હવે મારે જે જોતું તું એનો જવાબ ભગવાને એવે ટાણે મને આપ્યો. ડોંગરેજી મહારાજે  એવું કહ્યું કે જુઓ ભાઈ, તમે જે આપોને એ તમને મળે. તમે માન આપો તો માન મળે, તમે પૈસા આપો તો પૈસા મળે, તમે  પ્રેમ આપો તો પ્રેમ મળે, તને કોઈને સુખી કરો તો તમને સુખ મળે, તમે કોઈને દુઃખી કરો તો તમને દુઃખ મળે. આમાંથી મેં પેલી વાત પકડી લીધી કે, કોઈને માન આપો તો તમને માન મળે. એટલે એ દિવસે કથા પૂરી થઈ અને રસ્તામાં ચાલીને જતો તો ત્યાં જ મેં મનમાં ગાંઠ વાળી લીધી કે, આપણને બધા ગોવિંદો કહે છે એને આપણે સીધું કહેવાને બદલે કે ભાઈ તમે મને ગોવિંદ ક્યો એની બદલે આપણે  બધાને માન આપીને ‘ભાઈ’ કહીને જ બોલાવવા મંડવાનું. એટલે બીજા દિવસની  સવારથી હું હીરા ઘસવા પહોંચ્યો ત્યાં મેં બધાને ‘ભાઈ’ કહીને બોલાવવાનું શરૂ કર્યું. બધા ‘હીરો’ કહેતા હોય તો હું ‘હીરાભાઈ’ કહું, બધા ભરત કહેતા હોય તો હું ભરતભાઈ  કહું. ભરતભાઈ , પરેશભાઈ, નાગજીભાઈ.. એમ  બધાને ‘ભાઈ’ ઉમેરીને જ બોલવું. મારાથી નાના હોય એને પણ ‘ભાઈ’ કહું.

હવે આ બધી વાતની અસર એવી થઈ કે બધાને આશ્ચર્ય થયું કે આ ગોવિંદો તો આપણને ભાઈ કહીને બોલાવે છે, માન આપે છે, તો આપણે કેવી રીતે એને એક નામે બોલાવી શકીએ? એટલે થોડા દિવસમાં એટલે કે એક અઠવાડિયામાં એવી અસર થઈ કે ધીમે ધીમે કરતાં એક બે જણા મને ‘ગોવિંદભાઈ’ કહેવા લાગ્યા.  ‘ગોવિંદભાઈ, અહીંયા આવો’; ‘ગોવિંદભાઈ, આવો,  ચા પી લ્યો’, ‘ગોવિંદભાઈ, એક વાત કહું’,, આવું સાંભળીને હું રાજી થયો. અને એની અસર એવી થઈ કે લગભગ બધા જ લોકો કે જે મને ગોવિંદો-ગોવિંદો કરતા હતા, તે બધા લોકોએ ‘ગોવિંદભાઈ’ કહેવાનું શરૂ કરી દીધું. જાણીને બહુ આનંદ અને આશ્ચર્ય થશે કે એની એવી અસર થઈ કે આજે મને નાના માણસથી લઈને મોટા માણસ સુધીના જે કોઈ હોય, સંતો, મહંતો, તો એ પણ.. “ગોવિંદકાકા આવ્યા છે”, એમ બોલાવે  છે. મનેએટલું સમજાણું કે મેં બધાને માન આપ્યું તો મને માન મળ્યું.

આ કૂંચી ભાગવતમાંથી પૂ. ડોંગરેજી મહારાજે મને પકડાવી દીધી. અને એમાં મેં મારા જીવનમાં આવેલો આ ફેરફાર બરાબર નોંધ્યો. પછીથી એને બીજામાં પણ અમલ કરવા માંડ્યો.  તમે કોઈને ખુશી આપશો તો તમને ખુશી મળશે, તમે કોઈને પ્રેમ આપશો તો તમને પ્રેમ મળશે. એટલે પેલાં  માન ની જેમ જ મેં બધાને પ્રેમ આપવાનું શરૂ કરી દીધું, તો મને બધા પ્રેમ આપવા મંડ્યા. મેં બધાને ખુશી આપવાનું શરૂ કર્યું, તો મને પણ ખુશી મળવા માંડી. હું સમજી ગયો કે જેવું તમે બોલો છોએવા  પડઘા પડે છે. એક ભાગવત કથાના કથાકાર નું એક નાનકડું વાક્ય મારા જીવનમાં કેટલી મોટી ચોંટ કરી ગયું, એનું આ ઉદાહરણ છે.

આજે તમે સુરતમાં જઈને કોઈને એમ પૂછો કે હીરાવાળા, એસ.આર.કે. વાળા એટલે લોકો કહેશે, ‘એ તો ગોવિંદકાકા’. આ ગોવિંદકાકો આજે જે કહેવાઉં છું એની શરૂઆત તો ગોવિંદા થી થઈ હતી. પણ મને ગોવિંદા માંથી ગોવિંદભાઇ અને ગોવિંદકાકા બનાવવાનો શ્રેય પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને કે જેમણે  પેલી કથામાં વાક્ય કહ્યું કે, ‘તમે જે આપો એ તમને મળે.’

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


વતન એમ જીવનથી છૂટે ખરું ?

વતન એમ જીવનથી છૂટે ખરું ?

વતન એમ જીવનથી છૂટે ખરું ?

જનકલ્યાણ – જાન્યુઆરી ૨૦૨૪

લેખક – ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

શ્રી રાહુલ શુક્લ  હળવાફૂલ પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર.

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. કારમી ગરીબી કારણ કે કોલેજની ફી ને  બધું ભરો પછી ૧૪૦૦ ડોલર માંથી કશું વધતું નહીં, એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… પરંતુ આ નાની નોકરીઓના ફળસ્વરૂપે આજે મને પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે.  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણ કે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. મને છે ને તમે કોઈપણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું…!!!  મારા મધર એમ કહેતા કે, રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. 

એક વાર મેં સમર જોબ લીધો હતો, અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન માં  જવાનું.. સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫-૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫-૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી.  મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter, son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા… તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ કે પાછો કેવી રીતે  આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter, son ? મેં કીધું how would I come back ? એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને એક  ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો જ મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા, પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, but pass it on.. 

અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈપણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે પણ બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે,  તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારાથી  પેલા કાકાના  ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે   ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું” 

ક્યારેક નોખાં અનોખાં વ્યક્તિને મળવાનું થાય ને ત્યારે  આપણને  સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ મૂળ વઢવાણ સુરેન્દ્રનગરના અને હાલ અમેરિકામાં ખાસ્સું મોટું સામ્રાજ્ય ધરાવે છે. રાહુલભાઈ હળવાફૂલ, પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર. વતન એમ જીવનથી છૂટે ખરું ? શ્રી રાહુલ શુક્લ જેવી એક વ્યક્તિ પોતાના વતન માટે-માતૃભૂમિ માટે હૃદયથી કેટલી  ભાવુક હોય છે ?!?

 

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ખાદી કમિશનના વિરલ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈની વિદાય પર કલમ-અંજલિ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દેવેન્દ્રભાઈ જસદણ તાલુકાના દડવા (મોટા) મતવિસ્તારમાં જનતાદળના ઉમેદવાર હતા. સામેના ઉમેદવાર કોંગ્રેસના તાલુકા પ્રમુખ. લેઉવા પટેલ. દેવેન્દ્રભાઈ નાગર જ્ઞાતિના. આ મતવિસ્તારમાં એક પણ નાગર કુટુંબ નહીં. લેઉવા પટેલ બહુ મોટી સંખ્યામાં. જિલ્લા પંચાયતની આ બેઠકમાં તાલુકા પંચાયતના મોટા દડવા વિસ્તારમાં આ ચૂંટણી પૂરી થઈ ત્યારે દેવેન્દ્રભાઈ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. બીજી વખત ચૂંટણી લડ્યા વિંછિયા મતવિસ્તારમાંથી. એંશી ટકાથી વધુ મતદારો કોળી પટેલ અને માલધારી. નાગર મતદારે શૂન્ય! બહુમતીથી જીત્યા દેવેન્દ્રભાઈ! રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ ચૂંટણી એમના સમયમાં થઈ. ત્રણમાં બિનહરીફ તો બેમાં સામાં પૂરે જંગી મતોથી વિજયી થયા. દેવેન્દ્રભાઈ દેસાઈએ પેલી બે ચૂંટણીમાં કુલ રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦નું જ ખર્ચ કરેલું! એ ખર્ચ પણ મતદાર સ્લીપ અને ટેક્સીનું. બાકીનું બધું ખર્ચ સ્થાનિક લોકોએ ઉઠાવ્યું. હવે દેવેન્દ્રભાઈ સક્રિય રાજકારણમાં નથી, તેનું કારણ એ છે કે તે સમયે લડ્યા તેવી રીતે આજે ચૂંટણી લડવી એ પરિકથા જેવું લાગે છે!

દેવેન્દ્રભાઈ દેસાઈ ઢેબરભાઈ અને વજુભાઈ શાહના હાથ નીચે ઘડાયા છે. કોંગ્રેસમાં એમણે ઘણા હોદા ભોગવ્યા અને કોંગ્રેસના ભાગલા થયા તો ય એમણે કદી પક્ષ છોડ્યો નહોતો. પંચાયતી રાજ આવ્યું અને એમાં એ ચૂંટાયા. રાજકોટ જિલ્લા પંચાયતમાં અણનમ પચ્ચીસ વર્ષ ચૂંટાયા અને લગભગ દરેક હોદ્દા પર રહ્યા. દેવેન્દ્રભાઈને ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવાની પણ ઓફર થઈ હતી. દેવેન્દ્રભાઈ કહે છે : ધારાકીય કે સંસદીય રાજકારણમાં હું ન ગયો. હું જોતો હતો કે રાજકીય સ્તર નીચું ને નીચું જતું હતું. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે છે. જ્ઞાતિવાદ અને નાણાંની બોલબાલા છે. આમાં હું ક્યાંય ફિટ થતો નહોતો એટલે મેં દૂર રહેવાનું પસંદ કર્યું.

જેતપુરના પોલિટિકલ એજન્ટ કેવળરામ છબીલરામ ઓઝા તે દેવેન્દ્રભાઈના મામા. મોસાળે ૧૯૩૫માં જન્મ. વતનનું ગામ ગોંડલ તાલુકાનું વાસાવડ. પિતાશ્રી રમણિકશંકર લાભશંકર દેસાઈ સિનિયર મોસ્ટ તાલુકદાર. આખા દેશમાં કોઈ નાગર ગૃહસ્થ રાજકર્તા હોય તેવું એકમાત્ર સંસ્થાન વાસાવડ હતું. ઉચ્ચ સંસ્કારો અને તાલુકદારના રિયાસતનો વૈભવ. નોકરચાકર, વાહનોની સગવડમાં ઉછેર, પિતાશ્રીને લેખન-વાચનનો જબરો શોખ. પોતાની અંગત બધી જ ભાષામાં પુસ્તકોની લાઇબ્રેરી. તે વખતે તેમાં પાંચ હજારથી વધુ પુસ્તકો. પિતાશ્રીએ તુલસીદાસ કૃત રામાયણનું સમશ્લોકી અને બીજાં હસ્તલિખિત પુસ્તકો પ્રગટ કરેલાં. મુંબઈથી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ટપાલમાં ત્રીજા-ચોથા દિવસે આવતું. દેવેન્દ્રભાઈએ બાળપણમાં રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ના ચાર ભાગ વાંચ્યા. ગાંધી વિચારથી રંગાયેલ તેના પાત્ર અશ્વિન જેવી ગ્રામસેવાની ધૂન લાગી ત્યારથી. બ્રિટિશ સરકારની નીતિ મુજબ એમનો તાલુકો જામનગર રાજ્ય સાથે જોડાયેલો. તેથી ધોરણ ૬-૭ ની અંગ્રેજી પાઠમાળામાં એક પાઠ આવે. તેમાં એક વાક્ય હતું: ‘જામ ઇઝ રામ ઍન્ડ રામ ઇઝ જામ.’ દેવેન્દ્રભાઈના મનમાં સુષુપ્ત બંડ ઊભું થયેલું આ વાક્ય વાંચીને! વાચનનો જબરો શોખ એટલો કે રોજ ચાલીને લાખાજીરાજ લાઇબ્રેરી જાય. ‘હરિજન બંધુ’ નિયમિત વાંચે. તેમાં ગાંધી વિચાર મુજબનાં કામોમાં જોડાવાની ઉત્કંઠા જાગી. ૧૯૫૧-૫૨ની સાલ હતી. સત્તર વર્ષના દેવેન્દ્રભાઈને પિતાએ કોઈ કાગળ આપવા રાજકોટમાં ઢેબરભાઈ પાસે મોકલ્યા. સૌરાષ્ટ્ર રાજ્ય અને ગાંધી વિચારધારાને વરેલા પ્રજાનિષ્ઠ લોકસેવકો. ઢેબરભાઈ પાસે છગનભાઈ જોશી બેઠેલા. બન્નેને આ યુવાનમાં રસ પડ્યો. છગનભાઈએ હરિજન સેવકસંઘ અને ખાદી કામમાં જોડાવા યુવાન દેવેન્દ્રભાઈને સૂચન કર્યું. ત્યારે કોને કલ્પના હશે કે સમય જતાં આ. દેવેન્દ્ર દેસાઈ ભારતભરના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ બનશે? છગનભાઈનું સૂચન સ્વીકારી દેવેન્દ્ર દેસાઈ વીસ રૂપિયા શિષ્યવૃત્તિથી રેંટિયો કાંતવા લાગ્યા. થોડો સમય કનુભાઈ ગાંધી પાસે રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં રહી તાલીમવર્ગમાં જોડાયને કતાઈ- વણાટ શીખ્યા. બસ, ત્યારથી ખાદીનું ધોતિયું અને ઝભ્ભો, ઉપર બંડી સાથે ‘સાદા- સાલીન દેવેન્દ્ર દેસાઈ’ આજ સુધીની ઓળખ બની રહી.

વાસાવડમાં સાત ધોરણ, પછી મુંબઈની ગોકળીબાઈમાં એક વર્ષ. ત્યાંના આચાર્ય ત્રિકમભાઈ મરચન્ટ, શિસ્તના – વ્યાયામના-ખાનપાનની બાબતોના ચુસ્ત આગ્રહી. તેઓ કહેતા : ‘આપણું પેટ એ પૉસ્ટઑફિસનો ટપાલ ડબ્બો નથી કે આવતા જતા તેમાં ટપાલ નાખવામાં આવે. નિયમિત નક્કી સમયે જ મીતાહાર લેવો જોઈએ. ત્યારથી દેવેન્દ્રભાઈને આદત પડી ગઈ, ફરવાની-વ્યાયામની-મીતાહારની! ‘મેટ્રિક બીજી ટ્રાયલે ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટથી ત્યાંની નાગર બોર્ડિંગમાં રહીને કર્યું. બી.એ. ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજ્યનીતિશાસ્ત્ર સાથે કર્યું. હાઈસ્કૂલમાં ધૂરંધર શિક્ષકો મળ્યા. પ્રવીણ અને અધ્યાપન રુચિવાળા, એમ. જે. ભટ્ટ, આઈ. ટી. વસાવડા, હર્ષવંતભાઈ હાથી અને શુક્લસાહેબ… શુક્લસાહેબ સફેદ ખાદીના ધોતી- ઝભ્ભો પહેરતા અને તેમનાં કપડાં બગલાની પાંખ જેવા સફેદ, હાથે ધોયેલાં! એ મને સ્પર્શી ગયું. તે સ્પર્શ આજ સુધી જળવાયો છે. કૉલેજથી જ હું માથે બહુ ઓછા વાળ કે ટકો રાખતો. સફેદ ધોતી-જામો અને પગમાં ચાખડી પહેરતો. સ્કૂલ-કૉલેજે પેદલ ચાલીને જ જવાનું! કૉલેજ સવારની એટલે જમીને કોંગ્રેસ કાર્યાલયમાં, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં અને ભૂદાન યજ્ઞ સમિતિના કામમાં મદદરૂપ થવા પહોંચી જતો. રાત્રે નવ વાગે ઢેબરભાઈ પાસે જવાનું. ઢેબરભાઈ ત્યારે મુખ્યમંત્રી, પંખા વિનાનું નળિયાંવાળું મકાન. એક રૂમમાં નીચે જાજમ અને તકિયો. ત્યાં મુલાકાતીને મળે. ત્યાં રાત્રે પ્રાર્થના થતી. સમયનો પાબંદ હું, એટલે મને આવતો જોઈને ભક્તિબા, વજુભાઈ, જયાબેન શાહ સૌ ઊઠે ને પ્રાર્થનાનો ઘંટ વગડાવે!” દેવેન્દ્રભાઈ ખૂબ ધીમું – હળવી ગતિએ છતાં સુસ્પષ્ટ બોલે છે. પણ તેમની તેજસ્વી આંખોમાં ગાંધીજન સુસ્પષ્ટ દેખાય છે.

સૌરાષ્ટ્ર સરકારના ભૂદાન બોર્ડના વહીવટી અધિકારી તરીકે દાખલારૂપ કામ કરનાર દેવેન્દ્રભાઈ જાહેરજીવનના આરંભકાળથી એકએકથી ચડિયાતી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. અનેક નાની-મોટી જવાબદારીઓ વહન કરી છે. તેમના વર્તનમાં જે દઢતા અને સુરેખતા નજરે પડે છે, તેના મૂળમાં લાંબાં વર્ષો સુધી પ્રત્યક્ષ મેળવેલો અનુભવ કારણરૂપ છે. ત્રણેક વર્ષ રાજકોટમાં ‘ફુલછાબ’ દૈનિકમાં જયમલ્લભાઈ પરમારના તંત્રીપણા હેઠળ પત્રકારત્વનું પણ ખેડાણ કર્યું છે. લૉનો અભ્યાસ ચાલતો હતો ત્યારે ટર્મ ગ્રાંટ થવાનો પ્રશ્ન આવ્યો. ઢેબરભાઈ પાસે ગયા. એમ હતું કે ઢેબરભાઈ ફોન કરી આપે તો કામ થઈ જાય. ઢેબરભાઈએ પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, આપણે લૉ ભણવું છે કે પછી લોકોની વકીલાત કરવી છે?’ દેવેન્દ્રભાઈએ લૉ અધૂરું છોડ્યું અને પૂર્ણકાલીન લોકસેવામાં જોડાયા!

સક્રિય રાજકારણ છોડ્યા પછી દેવેન્દ્રભાઈ ખાદી-રચનાત્મક-સહકારી ક્ષેત્રે આગળ વધ્યા. રાજકોટમાં દૂધની ડેરી શરૂ થઈ એમાં એમનો સિંહફાળો. ઘણાંય વર્ષો ચેરમેન રહ્યા. પોતાનો પ્લાન્ટ હોય તેવી સૌરાષ્ટ્રની આ એકમાત્ર સહકારી ડેરી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પણ સક્રિય ભૂમિકા. એમનું જાહેરજીવન ઉદાહરણરૂપ. કદી ખાનગી વ્યવસાય કર્યો નથી. ઓછી સગવડમાં જ ચલાવ્યું છે. રાજકોટમાં એક નવી સોસાયટીએ જાહેરજીવનની ત્રણ વ્યક્તિઓને વિનામૂલ્યે એક- એક પ્લૉટ આપવાનું નક્કી કર્યું. તેમાં દેવેન્દ્રભાઈનું પણ નામ. દેવેન્દ્રભાઈએ આભાર માનતો પત્ર સોસાયટીને લખ્યો ને કહ્યું: ‘આપનો આભાર, પણ હું એ સ્વીકારી ન શકું, કારણ કે અત્યારે મારી પાસે મારું મકાન છે જ. આ પ્લૉટ કોઈ બીજાને ફાળવો તેવી વિનંતી છે…’ આ નૈતિકતાના માલિક દેવેન્દ્ર દેસાઈ આજે ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન છે અને આ ચેરમૅનશિપને તેઓ જીવનનો શ્રેષ્ઠ ઍવોર્ડ ગણે છે. સહકારશ્રી ઍવૉર્ડ પછી નેશનલ ઍવૉર્ડ અર્પણ કરવાના સમારંભમાં વડાપ્રધાન મનમોહનસિંહે દેવેન્દ્રભાઈને મંચ પર જતા રોકી ને પોતે નીચે ઊતરી દેવેન્દ્રભાઈનો આદર કર્યો.

અંગત જીવનમાં પણ નોખા તરી આવે. માતાની ઇચ્છા કે શાતિમાં જ લગ્ન થાય. કચ્છના કેળવણીકાર, હરિજનસેવક સંઘ, ગાંધી વિચારના અગ્રણી પ્રભુલાલ ધોળકિયાનાં પુત્રી હંસા સાથે સાવ જ સાદાઈથી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયાં. સૌ. હંસાબેનનાં માવતરે ગાંધીજી ઊતરતા એટલે તેઓ જન્મથી ખાદી પહેરે છે. પત્નીને સાડી કે સાદો રૂમાલ કે ઘરેણું કશું જ આપેલું નહીં, પહેરામણી લીધેલી નહીં. નહીં કંકોત્રી, નહીં જાન, નહીં જમણવાર. રાજકોટ સત્યાગ્રહના ખાદીધારી વૈદ્યરાજ શ્રી બાલુભાઈ વૈદ્ય ભૂજ આવી આશ્રમ પદ્ધતિથી લગ્ન કરાવેલાં. દેશના સુપ્રસિદ્ધ શરણાઈવાદક રાષ્ટ્રપતિ ઍવૉર્ડ સન્માનિત સુલેમાન જુમ્માએ આંગણે શુકનના સૂર રેલાવેલા, એ પણ સસરાના સંબંધે! નાનપણથી આજ સુધી ૭૮ વર્ષે પણ રોજ સવારે ઘરની સફાઈ દેવેન્દ્રભાઈ જાતે કરે છે. સૌ. હંસાબેન જાતે કપડાં ધુએ છે. દેવેન્દ્રભાઈના માથાના વાળ કુદરતી રીતે જ આજે કાળા છે, આંખે મોતિયો ઉતારવાની જરૂર હજુ પડી નથી, બત્રીસી સલામત છે. સવારે સાદો નાસ્તો અને રાત્રે સાદું ભોજન. વ્યાયામ- પ્રાણાયામ-સ્વૈરવિહાર નિયમિત. દેશનાં ઘરે ઘરમાં ખાદી પહોંચાડવા સિવાય કોઈ અંગત ઇચ્છા નથી. નાનાભાઈ ભટ્ટની જેમ જ કહે છે : ‘આ ઊજળાં કપડાં અને વ્યક્તિત્વ પર ડાઘ ન પડે, મારી સાખ યથાતથ રહે અને લોકોની અપેક્ષાએ ખરો. ઊતરું તે જ માત્ર અંતિમ ઇચ્છા!’ અન્ય ગાંધીવાદી જેવા શુષ્ક નથી દેવેન્દ્રભાઈ. કારણ એ ખાદી કમિશનનું અમદાવાદની એન.આઇ.ડી. સાથે ડિઝાઇનિંગ ટાઇઅપ કરે છે અને ખાદી માટે યુવાન શોભે તેવી રેમ્પવૉક પણ કરે છે!

ખાદીની ખુદ્દારીથી છલકતા આ નવ દસકના ગંધીજનને
‘ અલવિદા ‘ કહીએ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અસ્મિતા વિશેષ સંવાદ : 47 : શ્રી મલ્લિકા સારાભાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 47 : શ્રી મલ્લિકા સારાભાઈ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે. આવો, શ્રી મલ્લિકા સારાભાઈ સાથેના સચોટ સંવાદના થોડા અંશો જાણીએ : 

“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા.  પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે,  તને શું દબાવ છે ?  તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે,  તું નૃત્ય જ કરજે,  તું સાયન્સ જ કરજે,  તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં. 

એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા  ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી,  અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો  પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા,  ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને  અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”

“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”

“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી  પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં  કરેલા. 

મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી  રહ્યું છે ??  એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ,  અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી  વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને  HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં  કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”

 

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’

ભદ્રાયુ વછરાજાની                     (64)                       bhadrayu2@gmail.com 

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર..આપણને  જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે. 

સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશા એમ જ કહેશે કે,  આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે  જેને જીવનનું  અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ?  મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે. 

પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.  મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે. અને મોક્ષ તને શોધતો-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, माते संगोध्व कर्मणि माहो राग अकर्ममा , અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘अहं त्वां सर्वपापेभ्यो मोक्ष ईष्यामि मा सुच:  હું તને સર્વ પાપોથી છોડાવીશ, તુ નચિંત થઈજા. મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે, અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે.’ 

નિરપેક્ષ વૃતિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે, તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છોકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે.આવી એ નીતિશૂન્ય અવસ્થા છે, આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધના ની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે. 

આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદગાર છે ને! ‘આ વિશ્વમાં જે-જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતા ની અવસ્થા છે. જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને આખા જગતના દોષ પોતાની માથે લે છે. ત્રણે ભુવનના પાપથી પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શતો નથી. 

આ ભાવાવસ્થા ની માફક જ્ઞાની પુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે,? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી, આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરાકાષ્ટાની દશામાં સંભવે છે.

આ જે અક્રિયા અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત માત્ર છું, કર્મનું કર્તુત્વ મારી પાસે નથી, એ મનન કરતા રહેવું. આ  અકર્તુત્વ  વાતની ભૂમિકા પહેલા નમ્ર પણે સ્વીકારવી. પછી પણ ય  બધું એ કર્તુત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાની ની અવસ્થા પ્રાપ્ત થશે.

એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ, તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં, બધાય કર્મોને ભસ્મસાત કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકાશે.

અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધુ બરાબર સમજ્યો હોઈશ, હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર. ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે. ભગવદ ગીતાની આ વિશેષતા છે. પણ આ વિશેષતામાં પછી લાગણી ઉમેરાઈ ગઈ, એટલે એમને આપેલું ઈચ્છા નું સ્વાતંત્ર ભગવાને પાછું ખેંચી લીધું. અને અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’ પોતાને શરણે આવવાનું કહી  આપેલું ઈચ્છા સ્વાતંત્ર ભગવાને પાછું લઈ લીધું, એનો અર્થ સમજવા જેવો છે, કે ‘તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા જ ન દઈશ,’ પોતાની ઈચ્છા ચલાવવાની જ નથી, તેની જ ચલાવવાની છે, એવું કહેવાય. 

અંતે શ્રી વિનોબાજીએ કરેલું ઉત્તમ સમાપન યાદ કરીએ : જેમ બકરું જીવતું હોય ત્યારે ‘મેં-મેં’ કરે, મરી ગયા પછી તેની તાંત પીંજણ ને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, ‘તુંહી…તુંહી…તુંહી…’ એટલે કે ‘તુંજ… તુંજ… તુંજ…’ એવું બોલે છે. અર્જુન છેલ્લે તારી અવસ્થા ‘તુંજ… તુંજ… તુંજ…’ ઉપર થાય, એવી મારી પ્રાર્થના છે. આવો, આપણે સૌ પણતું હી, તું હીનું નામ સ્મરણ કરતા કરતા જ અમર ગતિ પામીએ. 

અસ્મિતા વિશેષ સંવાદ : (46) : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com

ભારોભાર કરુણાથી છલકતું એક સર્જક હૃદય વિશ્વકોશના સ્ટુડીઓમાં ત્રણ કલાક પોતાની આભા છોડી ગયું એવો અનુભવ જેમણે કરાવ્યો તે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથેના આત્મીય સંવાદના કેટલાંક સ્મરણો…

“મારી બા એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી. આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું એ સૌરાષ્ટ્રની એક એવી અભણ સ્ત્રી કે જેને હું પૂછું, તું કેમ ભણી નહીં ? તો કહે, અમારા જમાનામાં છોકરીઓ ભણતી નહોતી. બીજું હું એને  પૂછું કે,  તને આ બધું સૂઝે છે ક્યાંથી ? કારણ કે એને કવિતાઓ ગાવાની ટેવ પડી ગઈ હતી. પોતે ઘરને કોઈ દિવસ તાળું ન મારે. હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં,  તો એ શાક લેવા ગઈ હોય તો જાય અને જતા જતા ઘરની જાળી તરફ, પગથિયાં તરફ ડોક્યું કરીને ગાતી જાય, હું હમણાં જઈને આવું છું, મારું ઘર સાચવજે ગોવિંદા... એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી. એને હું પૂછું કે, તેં  ભગવાનને જોયો છે ? તો આ શ્રદ્ધા કોની પર રાખે છે ? તો એ હંમેશા કહેતી કે,  શ્રદ્ધા છે એ હંમેશા આપણી અંદરથી આવે છે. તેની પાસેથી ઘણા ઘણા એવા શબ્દો, ઘણી એવી વાતો શીખ્યો જે મને પછી ખબર પડી કે એના પ્રમાણ તો બહાર મળે છે, બહારના ગ્રંથોમાં મળે છે. ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ન મળ્યું. પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું, એ ગ્રંથોમાં મળતું હતું. બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી. એ સુખની કલ્પના ના કરે, દુઃખની કલ્પના ના કરે. જયારે જે પરિસ્થિતિ થાય એનો એ સ્વીકાર કરી લે. ક્યારેક મને એની સામે વાંધો પણ પડતો કે આવું કેમ ? ક્યારેક મને એની બાળપણની વાતો કરે ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું. આ અમદાવાદમાં ૧૯૪૭ પહેલાં કોલસાનું રેશેનિન્ગ  હતું ઘણી બધી હાડમારીઓ વચ્ચે ઘરની અંદર ચૂલો કરીને જીવતું હતું એ જમાનામાં એવી વાતો કરે કે જે મારા જન્મ પહેલાની હતી. પછી હું એને કહું કે, કોઈ દિવસ તને ભગવાન સામે વાંધો નથી પડતો ! તું માંગે છે ખરું ભગવાન પાસે  ? તો એ કહે, ભગવાન પાસે માંગવાનું નહીં ,,એટલે મેં કીધું,  તો શું કરવાનું ? મને કહે,  હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું,, આ મારા માટે બહુ મોટી વાત હતી કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે, આ શિંગડું મારશે તો ? એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉ કે, હે  ભગવાન,  આ ગાયથી મને બચાવેલી લેજે. કોઈક વાર કૈક મૂંઝવણ થાય કે  જયારે હોમવર્ક કરીને લઇ ન ગયો હોય ત્યારે મને થાય કે આજે સાહેબ મારું હોમવર્ક ન તપાસે તો સારું ભગવાન,  મને બચાવી લેજે. કોઈક વાર નાના નાના સુખો માંગી લેતો ભગવાન પાસે. ને મારી બા કહે કે, ભગવાન પાસે કશું માંગવું નહીં. મેં કીધું, કેમ ? તો કહે, કદાચ ખોટું માગ્યું હોય તો ? તો પછી.. મેં કહ્યું ભગવાન,  ક્યાં આપે જ છે ?  તો એ મને કહે,  ભગવાન કોઈને આપતા પણ નથી અને કશું કોઈનું લઇ પણ નથી લેતા !!  આ એમની પાસેથી પહેલું મળેલું માર્ગદર્શન સિદ્ધાંત. મેં કીધું,  તો ભગવાન શું કરે છે. તો મને કહે છે કે,  બસ જોયા કરે અને હાથ આમ કરીને કહે કે તથાસ્તુઃ ,, આ વસ્તુએ મને એટલો બધો અંદરથી ઘડ્યો. આ એક જ વાકય તથાસ્તુઃ વાળું અને મને થયા કરે કે,  હું કશું ખોટું તો થાય કે ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? કંઈક મનમાં વિચાર આવે ખોટો ને ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? આ માંદા પડ્યા તો હજી તબિયત બગડી જશે એવું નથી વિચારવું હવે જલ્દી સાજા થશે એવું વિચારવું છે. તો મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો. આ બાળપણ…

માતા પિતા બંને એડવાન્સ કહેવાય કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં, એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા. સૌના કુટુંબીજન હોય એવું લાગ્યા કરે. મારા બાના મૃત્યુ વખતે એના ગામથી બધા એ કહ્યું કે, તમે ક્યારે આવશો મારે ગામ ? તો મને થયા કરતું હતું કે, આ લોકો બધા જે પત્રો લખે છે તો મને લાગતું કે આ બધા પત્રો ઔપચારિકતા ખાતર લખે છે. આટલા બધા લોકો શું કામ પત્રો લખે ? અનુકૂળતાએ લગભગ એકાદ મહિના પછી ગામ ગયો તો મને એવું હતું કે,  લગભગ ૨ – ૩ કલાકમાં બધાને મળીને પતી જશે અને પાછો અમદાવાદ આવતો રહીશ. પણ લોકો આવતા રહ્યા, લોકો મળતા રહ્યા સાંજ સુધી મળતા રહ્યા. સાંજ સુધી મળતા રહ્યા ત્યારે પહેલી વાર બા ના મૃત્યુ ઉપર જે એ વખતે રડેલો તેવો જ રડ્યો કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે પૈસાની કંજૂસ છે. કોઈક વાર લાગતું હતું કે,  બા બધાની પાસે કાયમ પૈસા માંગી લે છે એટલે જરૂર એને કોઈકને ઘરમાં કુટુંબીજનોને આપવા હશે. પણ એની કંઈ  ખબર નહોતી પડતી. હું એમ કહું ને કે બા મારો પગાર વધ્યો તો કહે,  એમ,  કેટલો વધ્યો ? તો હું કહું,  બા ૫૦૦ રૂપિયા વધ્યો. તો એ કહે કે,  એ ૫૦૦ રૂપિયા મને આપજે. કોઈક વાર ઓચિંતું એમ કહે કે,  બેટા એક કામ કરને તાંબાના બે ઘડા લઇ આપ ને.. હું કહું કે આપણા ઘરમાં તો કઈ જરૂર નથી તો પણ લાવી આપવા પડ્યા હોય. કોઈક મને મળવા આવ્યું હોય તો એ કહે કે,  મારે સાડીની દુકાન છે તો એને કહે કે આ તમને પૈસા આપું તમે ૫ સાડીઓ લાવી આપજો ને. મને ખબર નહોતી પડતી આ શું છે ? ગામમાં માવજીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ એને અમે મામા કહેતા. અને પછી એ ગામ મને  હું ભાણકો કહેતું. મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા. એમાં કોઈકે કહ્યું કે તમારી બા એ તો અમારી દીકરીનું મોસાળું કર્યું હતું. કોઈ આવીને કહે કે, અમારી દીકરીનું કરિયાવર એમણે કર્યું હતું, કોઈ કહે મારા છોકરાના છોકરાને રમકડાં લાવી આપતા હતા અમદાવાદથી કોઈ કહે કે, ગરમ સ્વેટરો લાવી આપતા હતા. તો મને લાગ્યું કે જે બહુ કંજૂસાઈમાં રહેતી હતી જે કાયમ અમારી પાસેથી પૈસા માંગી જ લેતી હતી, એના પૈસા ખરેખર જાય છે ક્યાં… એમની પાસેથી હું પ્રેમ કરતા શીખ્યો, હું સહજ રહેતા શીખ્યો. સૌનો સ્વીકાર. એટલે હું મજાકમાં પણ કહેતો કે તું સૌનો સ્વીકાર નથી કરતી, માત્ર દુઃખનો સ્વીકાર કરે છે. તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું ?  એના માટે એક શેર લખ્યો હતો :

કટકે કટકે તું જીવ કાપે છે,

કયો ગજ છે તું કોને માપે છે ?  (ઈશ્વરને માપે છે કે તારી જાતને માપે છે. )”

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ અને સંતુલન, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે અર્ધ સાડી તારા પ્રયાણ કરી રહેલ યાદગાર સંવાદ શ્રેણીઅસ્મિતા વિશેષ સંવાદના પીસ્તાલીશમાં મણકામાં અમે મળ્યા IIM, Ahmedabad ના વરિષ્ઠ ફેકલ્ટી અને પૂર્વ ડાઈરેક્ટર શ્રી બકુલ ધોળકિયા ને..

પોતાના જીવનના એક એક પાસાને મુક્ત મને અભિવ્યક્ત કરીને બકુલભાઈએ જીવન  કિતાબને ખુલ્લી મૂકી દીધી. પોતાની નબળાઈને પણ એકદમ સહજતાથી સ્વીકારનાર શ્રી બકુલભાઈનું પ્રદાન  મેનેજમેન્ટની દુનિયામાં અગ્રેસર છે. આજે તેઓની નિખાલસતાની આરસી દર્શાવતા નાના પ્રસંગોને અહીં પેશ કરું છું.

“ મારા માતા પિતા એ સમયમાં એમના ઈન્ટર કાસ્ટ મેરેજ કરેલા.  એટલે મારા માતાના પક્ષથી એટલે કે માતાના પિયર તરફથી એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે એ સમયમાં ઈન્ટર કાસ્ટ મેરેજ સ્વીકાર્ય નહોતા. એટલે અમારું ફેમિલી ન્યુક્લિયર ફેમિલી હતું. માતા પિતા અને અમે બે. મારા ફાધરના  અંકલ અને મારા ફાધરના મોટા બહેન  અમારી સાથે રહેતા હતા એટલે એ સેન્સમાં અમારું જોઈન્ટ ફેમિલી કહેવાય,  પણ જે સેન્સમાં લોકો જોઈન્ટ ફેમિલી ગણે છે તે સેન્સમાં નહીં.

હવે મેટ્રિક એટલે એ જમાનામાં બોર્ડ એકઝામ મેટ્રિકની હતી. ૧૧ + ૪, વળી સિસ્ટમ હતી,  ૧૨ + ૨ નહોતું એટલે કે  ૧૦+૨+૩ ની ફોર્મ્યુલા નહોતી. એટલે પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધી મારું શિક્ષણ ગુજરાતી મીડિયમમાં થયું. એટલે ઘણા લોકોને IIM માં નવાઈ લાગતી હતી કે હું વર્નાક્યુલર  ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, પણ એ વાતની મને સહેજ પણ નવાઈ નહોતી લાગતી. મને વાતનો ગર્વ છે અને હું પોતે એમ માનું છું કે, માતૃભાષામાં શિક્ષણ લેવાથી સમજણ વધારે ઊંડી હોય છે, શિક્ષણ વધારે ગહન બની શકે. એટલે એનું જો કોઈ ઉદાહરણ હોય તો હું પોતે છું. અંગ્રેજી એક ભાષા છે અને અંગ્રેજી ભાષા હું જયારે પહેલ વહેલી વાર આઠમા ધોરણમાં આવ્યો ત્યારે મારા ફાધર મને શીખવી. સ્કૂલમાં નહીં.

સ્કૂલમાં તો આઠમા ધોરણ પછી આવતો અંગ્રેજી વિષય એટલે સાતમું ધોરણ પૂરું થયું ત્યારે એના સમર વેકેશનમાં મેં ઘરે અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. હવે એ જમાનામાં એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડા એ એકમાત્ર એવી યુનિવર્સીટી હતી કે જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી માધ્યમ હતું અને એ વડોદરામાં હતું. પણ કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતીના આવે એટલા માટે પહેલું વર્ષ કોલેજનું,, એમાં અમને ઓપશન આપવામાં આવતો હતો કે તમારે અંગ્રેજીમાં ભણવું છે કે ગુજરાતીમાં ? પણ બીજા વર્ષથી અંગ્રેજી કમ્પલસરી હતું.

મારો સ્વભાવ પહેલેથી જ જરા તીખો. ગુસ્સો બહુ જલ્દી આવે અને lose tempered અને પછી એના ઉપર કંટ્રોલ ના રહે. બહુ નાનપણથી મારો જયારે જન્મ થયો ત્યારે નર્સ જે પાણી પીવડાવવા આવે એ પીવડાવવા આવી તો મેં લાત મારીને ચમચી ફેંકી દીધેલી એવું મારી મધરે મને કહેલું. એટલે ગળથૂથી થી આ ગુસ્સો મારી સાથે છે. પછી હું જયારે સ્કૂલમાં આવ્યો ત્યારે એમાં સ્લેટો એટલે કે  પાટી પેન આવતી. પહેલા ધોરણની વાત છે. તો મારા ક્લાસમેટ સાથે કૈંક  ધમાલ થઇ, તો પેલાને ગુસ્સો ચડ્યો. એટલે  એણે મારી સાથે મિસબિહેવ કર્યું અને એણે મને માર્યું એટલે મેં ટીચરને જઈને ફરિયાદ કરી. ટીચરે કશું ન કર્યું એટલે પછી રિસેસમાં એ માણસની સ્લેટ મૂકીને એના ઉપર હું કૂદ્યો અને એની સ્લેટ તોડી નાખી. એટલે પછી ફરિયાદ થઇ. ટીચરને ખબર નહીં કે મારા મધર એજ્યુકેશન ઈન્સ્પેકટર હતા અને એણે મારા મધરને બોલાવ્યા. એટલે મારા મધરે સૌથી પહેલાં આખા ક્લાસની વચ્ચે મને લાફો માર્યો અને કહ્યું કે, “ આ તારાથી ના થાય. ગમે તે થાય પણ તારે તારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડે.” પછી ટીચરને કહ્યું કે એણે જયારે તમને ફરિયાદ કરી ત્યારે તમારે જોવું જોઈતું હતું ને કે શું થયું છે. મારાં મધરની આ સ્ટાઇલ મને ગમી. એટલે I am trying to say that my major challenge was to control my anger. ( મારા ગુસ્સા ઉપર મારે કાબુ મેળવવો એ મારી સામેનો મોટો પડકાર હતો.)

 

અસ્મિતા વિશેષ સંવાદ :: (44) :: શ્રી કાર્તિકેય સારાભાઈ

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

વિશ્વભરના ગુજરાતીઓ ગૌરવભેર જેમનું સ્મરણ કરે છે તે શ્રી વિક્રમ સારાભાઈ નું આખું જ કુટુંબ ઈશના આશિષો પ્રાપ્ત કરેલું વિશેષ કુટુંબ છે. શ્રી વિક્રમભાઈની જેમ જ વિજ્ઞાન, પર્યાવરણ, શિક્ષણ માટે સતત કાર્યરત શ્રી કાર્તિકેય સારાભાઈ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને તેઓની સાથે સુદીર્ઘ સંવાદ થયો, તેના કેટલાક અંશો….

“એક નવું પહેલું કામ જે આવ્યું તે પ્રોટીન ફૂડ એસોસિએશનનું. પ્રોટીન ફૂડ એસોસિએશન લોકો ભાત અને દાળમાંથી  જે પ્રોટીન એબ્સોર્બ થાય છે એના માટે તેઓ પહેલા ભાતનું પ્રોટીન શોધે પછી દાળનું અને પછી સરવાળો કરે અને એ સરવાળો બીટ અને દૂધ કરતા ઘણો ઓછો આવે છે એવું પુરવાર કરે. પછી એવું સૂઝ્યું કે આ બેયને સાથે રાંધીએ તો શું થાય, સાથે ખાઓ તો શું થાય ? તો સાથે કરીને જોયું તો ભાતને લીધે જે દાળનું પ્રોટીન વધારે એબ્સોર્બ થવા માંડ્યું. કન્કલુઝન એવું હતું સાયન્ટિફિક રિસર્ચનું કે ભાત અને દાળ સાથે ખાવા જે આપણે કદાચ ૫૦૦૦ વર્ષથી કરતા આવીએ છીએ પણ એનું કારણ ખબર ન હતી , તેથી એ રીતે કરતા હોઈશું. એટલે કે ત્રણ ઈડલી સાંભાર અને ચટણી સાથે જેટલું પ્રોટીન આપે છે એ બે ગ્લાસ દૂધ જેટલું હોય છે.  આ વસ્તુની  આપણે બધાને જાણ કરવાની છે. એ બહુ રસપ્રદ પ્રોજેક્ટ હતો. 

Organisation  માં ને બિઝનેશમાં મારું કામ ત્યાં શરૂ થયું કમ્યુનિકેશનનું. એ સમય હું મુંબઈ હતો પછી તો અહીં આવ્યો અમદાવાદ. નહેરુ ફાઉન્ડેશનની નીચે એક જ સંસ્થા હતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને એમાં પણ મુશ્કેલી કે ગ્રાન્ટ હતી નહીં બીજા વર્ષમાં હવે આગળ કેવી રીતે લઇ જવું ? એ પ્રશ્ન હતો. મને યાદ છે કે  દિલ્હી સાથે જે ગ્રાન્ટ ની શરૂઆત થઇ, એ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માટેની ગ્રાન્ટ લાવવી હતી એ આપણે લાવી શક્યા એ વખતે. એટલે બીજા બે વર્ષ સુધી તો સંસ્થા ચાલશે એટલે એ મારું જે નહેરુ ફાઉન્ડેશન સાથે જે જોડાણ શરૂ થયું એ આનાથી થયું. સાયન્સ સેન્ટરનું થોડા વર્ષ પછી લગભગ ૭૭ સુધીમાં સેટલ થયું.. મને થયું કે થલતેજ ટેકરા ઉપર વૃક્ષો વાવવાનું આપણે શરૂ કરીએ. અને એ વખતે અમ્માએ પણ થોડું શરૂ કરેલું. પરંતુ  કશું પણ વાવીએ તો રહે નહીં,  કારણ કે આજુબાજુમાં બધા માલધારીઓ હતા (એ વખતે થલતેજ બહુ દૂર ગણાતું હતું આજે શહેરની વચ્ચે આવી ગયું. એટલે)  પણ થલતેજ ટેકરા ઉપર પછી નક્કી કર્યું કે કામ શરૂ કરવું અને વિક્રમભાઈના વિચાર છે એને કઈ રીતે આગળ લાવવા. એમાં એક આ પહેલો પ્રશ્ન વૃક્ષો ઉગાડવાનો હતો. એટલે ચોકીદારો રાખ્યા પણ કશું વળ્યું નહીં. મને  લાગ્યું કે એ લોકોની સાથે વાત કેમ ન કરવી. એટલે આજુબાજુના બધા માલધારીઓ હતા એને આપણે બોલાવ્યા. અમે કીધું કે, જો અમે અહીંયા એક સંસ્થા ઉભી કરવા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા વૃક્ષો અમારે વાવવા છે પણ તમારા ઢોર આવે છે તો કંઈ બચતું નથી અને અમારા જમાદાર એમ કહે કે,  તમે આવીને પાણીની ચોરી કરી જાઓ છો. મેં કીધું આપણે પડોશી છીએ એટલે  ચોરીની વાત  હોય નહીં. એટલે તમે મુખ્ય બારણેથી આવો, સવારે અને સાંજે જેટલું પાણી લેવું હોય એ ભરીને લઇ જાઓ. તમારા બાળકોને ચણી બોર ભાવતા હોય અને બોર ખાવા હોય તો એ ખાઓ અને ઘાસ ઉગ્યું હોય તો આવીને કાપીને લઇ જાઓ,  પણ ઢોર અંદર ન આવે. ..એ લોકો આમ થોડા દૂર જઈને વાત કરી આવ્યા. પછી આવીને કહે કે, તમારી આ શરત અમને મંજુર છે. બીજે દિવસેથી એકેય ઢોર આવે નહીં આપણે ત્યાં… આવી પરિસ્થિતિ આટલી વાતચીતથી જ સર્જી શકાઈ.  

એક બે મહિના પછી આવ્યા તો બધા સવારે બહાર લાઈન થઇને ઉભા હતા, મેં કીધું શું થયું ? મેં તો ગાડી ઉભી રાખી. મને કહે છે કે એવું છે કે,  આપણે ત્યાં કચ્છથી કોઈ માલધારી આવ્યા છે,  એને આપણી વાતની ખબર નહીં,  આપણી line of control ની ખબર નહીં એટલે એના ઢોર પાછળથી આવીને પેસી ગયેલા નુકસાન પણ તમારે થયું છે પણ અમારે એટલું જ કહેવું છે,  આ અમારો ભંગ નથી,  આ ભૂલ થઇ ગઈ છે અને કાલથી નહીં થાય એટલે એક અમારા કુટુંબને ત્યાં પણ રાખ્યું છે. અને શરૂ થયું બીજે દિવસથી  …અને આજે તમે જોશો તો એક નાનું ઉપવન જેવું છે. આપણી પાસે ૧૧૦ કે ૧૧૫ જેટલા જુદા જુદા વૃક્ષો છે  અને આજે કોઈ આવીને જુએ તો કહે કે,  આટલું સરસ પર્યાવરણ. પણ એક વૃક્ષ હતું અને આ જે વાતચીત થઇ એના શબ્દોએ  સોશિયલ ફેન્સીંગ એટલે લોકોની વાડ બાંધી. લોકોની સમજથી વાડ બાંધી. પણ આ જે બધા કોન્સેપટ અમારા કામમાં આવેલા એ બધા થયા છે આવા બનાવોથી. એ વખતે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં મેં કામ ચાલુ રાખેલું અને એ કામમાં રજોડા કરીને ગામ છે બોડકા પાસે તો દર ગુરુવારે અમે જઈએ,  હું ને જયશ્રીબહેન. ત્યાં ત્રીજા અને ચોથા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન શીખવાડીએ. ચોક લઈને શીખવાડવાનું.

મેં એક દાખલો આપ્યો ૨૫ ગુણ્યા ૫,  તો ઘણા ખરા વિદ્યાર્થીઓના જવાબ ખોટા પડ્યા જવાબ.  પહેલો જવાબ હતો ૩૦. એટલે ગુણાકાર અને સરવાળો વચ્ચે નો ભેદ સમજાયો નહીં, ગુણાકારનો સરવાળો થઇ ગયો. બીજો  હતો  ૪૫..એને  વદી લેતા આવડ્યું પણ ગુણાકાર ન કર્યો. ત્રીજો જવાબ હતો  અને ચોથો  હતો ૧૨૫. હવે શિક્ષક બહેન એ વખતે બધાને ઉભા કરે. ગણિતમાં ભૂલ થાય ને એટલે બધાની પાસે ફરી વાર આ બોલાવડાવે એક પણ વિદ્યાર્થીએ આંકની ભૂલ નથી કરી એ પ્રોસેસ સમજતા નહોતા પણ આંકની ભૂલ નથી કરી. પણ એ શિક્ષકને સમજણ જ ના પડી કે, આ બાળકો મૂળ ગણિતમાં જ ભૂલ કરે છે અને હું આ બધું કરાવડાવું છું ફરીથી,  તો પણ આ કેમ ભૂલ કરે છે.  હવે મેં પછી સમજાવ્યું કે ભાઈ ત્રીસ વાળા અહીંયા જાઓ,  બધા ૪૫ વાળા આ બાજુ જાઓ, ૧૦૫ વાળા પેલી બાજુ અને ૧૨૫ વાળા બીજી તરફ. ૧૨૫ જવાબ આપનાર બાળકોમાંથી એક એકને બાકીના ત્રણ જૂથમાં મોકલી કહ્યું કે હવે તમે તમારા જૂથમાં જે છે તેને શીખવો. પેલા બેન કહે કે,  આ તો ગજબનું થઇ ગયું ક્લાસમાં બાળક બાળક પાસે શીખવવાનું કરો છો અને અને બધાને individual attention  મળે છે હું તો એવું ઈચ્છું છું કે શિક્ષણમાં જે ફેરફાર કરવાના છે તે આ જ પ્રકારના કરવાના છે.  જયારે એ બાળકોને સમજણ પડી ગઈ કે શું કરવાનું છે તો બધાના  જવાબ સાચા. પછી એ સૌને એવા જ બીજા દાખલા આપ્યા  તો બધા સાચા પડયા. કારણ કે એ લોકોની  ભૂલ આંકની તો નહોતી પણ સમજની હતી.  એટલે શિક્ષિકાબેનને તો  સ્કૂલ સાથે જાદુ કરી ગયા હોય એવું લાગે ને  કહે તમે આવીને આટલું શીખવાડી ગયા જે વસ્તુ હું ફરી ફરીને શીખવાડતી એ આવડે નહીં,  પણ તમે શીખવ્યું એ આવડી ગયું એટલે એ વખતે વિશ્વાસ પડ્યો.   

બાળક કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કરતી હોય ને તો સૌથી પહેલા એ ભૂલ છે એવું ના સમજે. એની વિચાર કરવાની શ્રેણી જુદી છે. એ વિચાર જુદી રીતે કરે છે પણ ભૂલ નથી હોતી. એક વાર અમારે ઘરે એક નાની  પૂજા છે,  તો એક મંજુબેન કરીને હતા એ ફૂલ ગોઠવે.  બહુ સરસ રીતે શણગાર થાય અને હું દીવો કરું. એ મંજુબેન આવ્યા નહોતા એટલે અમારે રામકુમારી ઉત્તરપ્રદેશના બેન છે એટલે એમણે ગોઠવ્યા બધા ફૂલ ઉત્તર દિશામાં એટલે મંજુબેન આવીને કહે કે,  જોયું આ લોકોમાં  અક્કલ જ નથી,  કશી ખબર જ નથી.. કેવી રીતે ફૂલ ગોઠવવા એ પણ નથી ખબર. મને  પેલો મારો રજોડાનો ખ્યાલ ખરોને એટલે  મને થયું કે  અક્કલ નથી એવું બોલાય નહીં. એટલે મંજુબેન માટે ફૂલ એ શણગાર છે. શણગાર હોય એટલે આપણા તરફથી આવે છે. આ રામકુમારી માટે એક અર્પણ છે ફૂલ એટલે એ પેલી બાજુ જુએ છે. એટલે એ ભૂલ નથી પણ એ બંનેનો ભાવ જુદો હતો. આમાં ફૂલ મુકવાનો ભાવ જુદો હતો !!  અને આ બે નાના ઉદાહરણ આપ્યા પણ એ હું છેક climate change ના discussion માં આ વસ્તુ વાપરૂં છું.”

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

અખંડ આનંદ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સામે રહેતા નંદીશને પૂછ્યું કે,  નંદીશ, તારા દાદાબાપુ શું કામ કરે છે? તો છ સાત વર્ષનો નંદીશ બોલ્યો કે, ‘મારા દાદા છે ને એ પ્રસાદ વેચવાનું કામ કરે છે.’  હવે અમને આશ્ચર્ય થયું કે દાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, એટલે ખરેખર શું કરતા હશે? પણ આ નાનકડા છોકરા પાસેથી મળેલો જવાબ છે તે કેટલો નિખાલસ  અને ખુલ્લા હૃદયનો હતો એ અમને બહુ છેલ્લે સમજાયું.

ધીમે ધીમે કરતાં અમારો ઘરોબો અમારા પાડોશી સાથે વધવા લાગ્યો. એમની એક નાનકડી દીકરી જે ચાલતા શીખી રહી હતી એને આંગળી પકડીને ચલાવવાનું કામ અમારા ફળિયામાં થયું. એ વખતે નવરાત્રીના ગરબા અમારે ત્યાં થતા. એટલે એ ગરબાઓની વચ્ચે એ દીકરીને આંગળી પકડીને ચલાવે અને પછી એ તબલા અને ઢોલના તાલે નાચતી-નાચતી ચાલે એનો ખૂબ આનંદ હતો, સૌ રાજી થતા હતા. બસ, એમાંથી જ એ ચાલતા શીખી. આ બે કુટુંબ વચ્ચેનો અમારો નાતો.

પણ, મુદ્દો એ હતો કે મનુદાદા ખરેખર શું કરે છે? મનુદાદાનું  કુટુંબ ખમતીધર.  સરસ મજાનું મકાન. અમારી સામે જ બરાબર મકાન, ઘરમાં બે ગાડી, નંદીશના પપ્પાને કારખાનું, અને પતિ-પત્ની એટલે કે મનુદાદા અને લલિતામાસી બંને એકબીજાથી જુદા ઉચ્ચારણ થી એકબીજાને બોલાવે. મનુદાદા ને ‘જય સ્વામિનારાયણ’ કહેવાનું અને લલિતામાસીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાનું. અમને આનંદ થયો કે વાહ ! પતિ-પત્ની પણ પોતાની વિચારધારા પ્રમાણે સંબોધન કરી શકે છે, આવું નિખાલસ એવું આ કુટુંબ અમારી સામે રહે.

મનુદાદા બહુ એક્ટીવ, લગભગ લગભગ તમને દોડતા દેખાય. સીડી ના પગથિયાં ચડે તો એક ડગલામાં  બે-ત્રણ પગથિયા ઠેકી જાય. એની ઉંમર કાંઈ એટલી બધી નાની ન હતી. એમની ઉંમર ૬૦-૬૫ વર્ષ તો  થઈ ગઈ હતી.પણ એ પ્રવૃત બહુ ને હસમુખા ય બહુ .., જ્યારે જુઓ ત્યારે બે હાથની આંગળીઓ વાંકી વાળી અને નખ એકબીજા સાથે ઘસ્યા કરે અને સાથે સાથે હસતા ચહેરે  વાતો  કર્યા કરે. ખાદી જેવા, પણ અપટુ ડેટ ઇસ્ત્રી કરેલા સરસ મજાના સફેદ કપડાં પહેરે. ગાડીમાં અવરજવર કરે, ડ્રાઇવર એને લઈ જાય ને મૂકી જાય, પણ અમારા મનમાં એક જ પ્રશ્ન હતો કે નંદીશ કહે છે કે આ મનુદાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, તો મનુદાદા ખરેખર શું કરતા હશે? અમે પ્રયાસ તો બહુ કર્યો કે, એમનેમ જાણી શકાય તો જાણીએ. પણ પછી ખ્યાલ આવ્યો કે મનુદાદા છે એ અમારા શહેરના રાજમાર્ગ ઉપર રહેલા એક સ્વામિનારાયણના મંદિરના ભગત છે. પરિણામે ‘જય સ્વામિનારાયણ’ બોલે છે. ક્યારેક, નિયમિત નહીં પણ કપાળમાં તિલક પણ કરે છે, ક્યારેક ચાંદલો પણ કરે છે. એટલે અમને એમ થયું કે, પ્રસાદવાળી વાત આ મંદિર સાથે જોડાયેલી હશે.

અમારી વચ્ચે ઘરોબો વધ્યો અને ધીમે ધીમે કરતાં બે ચાર વર્ષ થયા. મનુ દાદા વાતોડિયા બહુ.. વાતો  કરવા ઊભા રહે અથવા તો ઉભા રાખે. એ વાત કરતા હતા તેમાં મેં હિંમતથી પૂછી કાઢ્યું કે, મનુદાદા તમે શું કરો છો? તો એણે  કીધું કે,  હું બિલ્ડર છું.  મકાનો બધા ભાઈબંધો ભેગા થઈને બાંધે એમાં હું નાનો પાર્ટનર. હું સાઈટ ઉપર રહું, એ મારી જવાબદારી. અને જેનું કામ પડે એને ફોનથી બોલાવીને સાઈટ ઉપર લઈ આવવા એ જવાબદારી મારી. આમ તો મનુદાદા ભૂતકાળમાં આજે જે કોમોડિટી માર્કેટ કહેવાય છે, એવા અનાજના સટ્ટામાં પણ હતા ધોરાજી બાજુ. પણ એ બધું બહુ જામ્યું નહીં એટલે આ બાજુ આવી ગયા અને બિલ્ડીંગ બાંધવાનું કામ એ બહુ સારી રીતે કરે. હજુ  મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો નહોતો કે, આ પ્રસાદ વાળી વાત ક્યાં છે? મનુદાદા અમારું ઘર બંધ હોય તો પોતાને ત્યાં કુરિયર વાળા ને બોલાવીને લઈ લે. પછી તો ટેવ પડી ગઈ કે, અમારું ઘર ખુલ્લું હોય તોય કુરિયર વાળો સામે ઘરે જઈને મારા નામની બૂમ પાડે અને મનુદાદા પ્રેમથી આવે અને આવીને પોતે કુરિયર લઈ લે. અમે બહારથી આવીએ એટલે ‘જય સ્વામિનારાયણ’ કહીને હાથ ઊંચો કરે  પણ અમને હાથમાં કુરિયર ના આપે. અમે દાદરો ચડીને ઘર ખોલીએ એટલે મનુદાદા અમારો દાદરો ડાંફ ભરતા ચડીને આવીને કહે કે, ‘લો આ તમારૂં કુરિયર’. અમે કહીએ,  દાદા અમે નીચે હતા તો આપી દેવું હતું ને, તો કહે, ના રે ના એ  બહાને આપણે  સત્સંગ થયો, મળવાનું થયું. બાકી તો આપણે  ક્યાં મળીએ છીએ !

એમાં એક વખત દાદા  ઘરે આવ્યા, અને મેં કીધું, બેસો-બેસો. મારે તમારી હારે એક અગત્યની વાત કરવી છે. તો કહે, બોલો-બોલો. અને પછી મેં કીધું કે ખોટું ના લગાડતા, તમે તો બહુ હસમુખા છો. પણ નંદીશ કહેતો હતો કે, તમે પ્રસાદ વેચવાનું કામ કરો છો, તો એ શું ? તમે પ્રસાદ વેંચો છો? એટલે એ મોટા અવાજે ખડખડાટ  હસી પડ્યા. એ કહે,  “નંદીશ ખોટો નથી સાચો જ છે. પ્રસાદ વહેંચવાનું એટલે એમ કે  છેલ્લા વર્ષોથી આ મારો નિત્યક્રમ છે. સાંજ પડે એટલે હું સ્વામિનારાયણ મંદિરના ઓટલે બેસી જાઉં, અને જેવી આરતી પુરી થાય એટલે અંદરથી સ્વામી મને થાળી આપે, એટલે હું ઉભો રહી ને ત્યાં બસો કે ચારસો કે પાંચસો  માણસોને ધીમે ધીમે પ્રસાદ આપતો જાઉં. પ્રસાદ આપતો જાઉં અને હરિ નું નામ લેતો જાઉં. એટલે મળે બહું  લોકો આપણને, સૌની સામે આપણે  ‘જય સ્વામિનારાયણ’ કહીએ, સ્મિત કરીએ, એટલે આપણા પ્રત્યે બધાની લાગણી વધે, અને બીજું એ કે,  એક દોઢ કલાક હરિનું સ્મરણ થાય અને સૌને હરિનો  પ્રસાદ વહેંચી શકાય. આમ તો ભદ્રાયુભાઈ, આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને ! તો આપણે પ્રસાદ ન વહેંચીએ તો બીજું શું વહેંચીએ ? નંદીશ ખોટો નથી, નંદીશ સાચો છે હો…”

સાવ જ ગામડાના લાગે એવા પણ મોટા ગજાના મનુદાદા ભણીને મોટા હોવાનો વ્હેમ રાખનાર ભદ્રાયુભાઈને ગજબની ફિલસુફી સમજાવી ગયા હો….

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

#શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

|| મૈં ગયા નહીં, યહાઁ હું ||

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અક્કલકોટ ખાતે શ્રી સ્વામી સમર્થનું સમાધિ મંદિર નજદીકથી માણીને હવે જઈએ શ્રી સમર્થ સ્વામી વટવૃક્ષ મંદિર ના પરિસરમાં…

સ્વામીનાં અઢળક સ્વરૂપો અહીં છે, શ્રદ્ધાળુઓએ આપણા પ્રત્યેક અવતાર સાથે સ્વામીને નિહાળ્યા છે, અને તેથી તેને તે સ્વરૂપે નીરૂપ્યા છે… સાથેના ફોટાઓ પરથી તેનો ખ્યાલ આવશે.
જે વટવૃક્ષનું સાનિધ્ય જીવનભર સ્વામીશ્રી સમર્થ પામ્યા તે વટવૃક્ષ એમની જિંદગીનો milestone હતું. ત્યાં જ બેસવું, ત્યાં જ મૌન રહેવું, ત્યાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું !! એ વટવૃક્ષ એટલું જબરું વિશાળ છે કે તેને સમગ્રપણે આવરી લેતું મંદિર અતિ ભવ્ય ભાસે છે. વળી, મંદિરને સજાવ્યું છે પણ ખૂબ જ પ્રભાવક શૈલીથી. પણ જ્યાં જાઓ ત્યાં વટવૃક્ષની કોઈ શાખા તો તમારું સ્વાગત કરે જ કરે..!!
મંદિરમાં ધસારો ખાળવા ને ભક્તો નિરાંતે બેસીને ધૂન ભજન કરી શકે તેવી વિશાળ પરશાળો પણ છે.
અન્નપૂર્ણા ભવનમાં સવાર સાંજ પ્રસાદ લેવા હજારો ભક્તો કતારબદ્ધ ઊભા હોય છે…કોઈ વિશેષ દિવસ ન હોય તો પણ દોઢ થી બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે ખરું !! હા, અહીં બધેય બે પ્રકારે દર્શન થઈ શકે : મુખદર્શન અને પૂર્ણદર્શન. દૂરથી કેવળ મુખ નિહાળી શકાય અથવા ખૂબ નજદીકથી પૂર્ણ મૂર્તિના દર્શન થઈ શકે.
આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા સમર્થ સ્વામી રામદાસના પરિસરમાં પણ પોતાના મોટા ફોટા કે નામ કોતરવનારા છે !! તે દુન્યવી સમર્થીઓ પોતાની મોટી ચમકતી કાર પાર્ક પણ અહીં પરિસર માં જ કરે છે..!!
ઉતારાની, પાર્કિગની અને ભોજનની બહુ વિશાળ સગવડતા છે તે અવશ્ય આવકાર્ય છે.
સ્વામી સમર્થ રામદાસ નાં બન્ને સ્થાનકો ને પ્રેમથી નિહાળી એટલું લાગ્યું કે કોઈપણ આધ્યાત્મિક આત્માને પણ લોકો ધાર્મિક બનાવી દેવામાં પાવરધા છીએ. શ્રી મનના શ્લોકોને સમજો અને જીવનમાં ઉતારો તો ચોક્કસ સમજાય કે શ્રી સ્વામી સમર્થ આપણને આધ્યાત્મિકતા નો પથ દેખાડી ગયા છે,, આપણે આપણી અંદરની યાત્રા શરૂ કરવાની છે… બહારનાં કેવળ ધાર્મિક આભૂષણોથી જીવન સાર્થક થઈ શકે તેમ નથી. આ આધ્યાત્મિક આત્મા ખુદ કહે છે કે : #મૈં_ગયા_નહીં_યહીં_હું.
પ્રશ્ન થાય કે “શ્રી મનાંચે શ્લોક” ખરેખર શું કહે છે ?!?
થોડીક રાહ જુઓ તો ટુંકમાં સમજીશું.
ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

#શ્રી_મનાંચે” શ્લોકના ઉદ્દગાતા સમર્થ સ્વામી રામદાસની પૂણ્ય ધરતી પરથી..

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અત્યારે મહારાષ્ટ્રના અક્કલકોટ નામનાં ગામમાં છું. સર્વત્ર એક જ નાદ ગુંજે છે અને તે છે : ‘જય જય રઘુવીર સમર્થ ‘ અને હર ઍક જગ્યાએ એક જ વાત વંચાય છે : ‘ શ્રી સ્વામી સમર્થ પ્રસન્ન’. ..હું સ્વામી સમર્થનાં આ સ્થાનક પર એક દિવસ વિતાવવા આવ્યો છું.

 
મનને આપણે માંકડું કહી વખોડીએ છીએ પણ એક વિશ્વસંત સમર્થ સ્વામી રામદાસે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું ! મને આ ‘#શ્રી_મનના_શ્લોકો’નો પરિચય થયો વડોદરાના #કવિશ્રી_મકરંદ_મુસળે દ્વારા થયેલ ગુજરાતી સમશ્લોકી દ્વારા અને વિશેષ ઊંડાણથી જ્ઞાન કર્યો #શ્રી_અરુણાતાઈ એટલે કે શ્રી અરુણબા જાડેજાના પુસ્તકે.. બંનેનું અહીંથી સ્મરણ કરું છું અને પ્રણામ કરું છું.
સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘#સાવધાન‘ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘#રાષ્ટ્રગુરુ‘નું સન્માન પામ્યા.
સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી’ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે.
‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુ સામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોએ કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું : “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો ! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે તો વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો !
આ રહી મનના શ્લોકોની ઝલક….
“મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’
“મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’
“મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.”
અક્કલકોટમાં બે સ્થાનકોનું જબરું માહાત્યમ્ય છે : #સ્વામી_શ્રી_સમર્થનું_સમાધિ_મંદિર અને #સ્વામી_શ્રી_સમર્થ_મંદિર.
ચાલો, આજે પહેલાં તસ્વીરી ઝલકથી સ્વામી શ્રી સમર્થ સમાધિ મંદિર નિહાળીએ. અને હા, તેમાં બહુ જ આમ આદમીઓ તરફથી ભાવથી નિયમિત રોજ સાંજે ગવાતા સમર્થ ભજનો અને અભંગની ઝલક મેળવીએ.. શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી વહેતો રહ્યો અને હું ભક્તો ગવાતા અભંગી ટિપિકલ ભજનો સાથે વહેતો ગયો.. હા, ફરી મળીશું સ્વામી શ્રી સમર્થ વટવૃક્ષ મંદિરને નિહાળવા માટે …

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’

બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

ભદ્રાયુ વછરાજાની                          (63)                bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે. 

કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કેકર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ  જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત  પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો  સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’ 

સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી  તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના  નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’  આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?

ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે

1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.

2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.

3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.

4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.

5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.

6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.

7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.

8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.

શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને  શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક  ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું  બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની  બદબો છૂટવા લાગશે.

કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે,  આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે. 

#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

Amitabh Bachchan @Symbiosis

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.
જન્મ્યો ત્યારથી જેને પડદા પર માણતો આવ્યો છું તે અને જેમના અભિનયે તથા પેશકશે મને સદા અભિભૂત કર્યો છે તે ભારતીય સિનેમાના મહાનાયક #શ્રી_અમિતાભ_બચ્ચન ને દસ ફૂટ દૂરથી લગભગ બે કલાક સુધી જોવાનો – તેઓનાં ભાવપૂર્વક દર્શન કરવાનો – તેઓનો ઘેઘૂર અવાજ સાંભળવાનો અને તેઓની અંગત પળોના સાક્ષી બનવાનો આજે લહાવો મળ્યો, તે પળને મારા જીવનની ધન્યતાની પળ ગણું છું.
#શ્રી_અમિતાભજી symbiosis પૂના આવે છે તેવું હાર્દિક – જેલમે કહ્યું કે મારી પૂનાની ફ્લાઈટ તરત જ બુક કરવા મેં હાર્દિકને કહી દીધું. ૨૪-૧-૨૪ નાં પૂના પહોંચી ગયો. ભારતની Top Most Symbiosis International Deemed University , Puna ખાતે બે વર્ષથી હાર્દિક Prof. Director તરીકે contribute કરે છે. તેનું lavale campus એક હિલ પર છે,,એટલે હિલ સ્ટેશન જવાની જરૂર જ ન રહે. આપણે તો હિલ સ્ટેશન પર દીકરાનું ઘર એટલે સોનામાં સુગંધ !!!
આજે સવારે Symbiosis International Deemed University નાં Faculty of Media and Commucation દ્વારા Symbiosis Film Festival નું ઉદઘાટન કરવા SIU ના “Prof. Emeritus” શ્રી અમિતાભ બચ્ચન પધારવાના હતા. ઓડિટોરિયમમાં હું અને જેલમ આગળ વહેલા ગોઠવાય ગયા.
ગળે દુપટ્ટો વિટાળેલ કાળા વસ્ત્રોમાં સજ્જ એક ખુમારીએ પ્રવેશ કર્યો અને સભાખંડ ગુંજી ઉઠ્યો. હું પણ બહુ જ નજદીક રહી એ દંપતીને સતત નિહાળતો રહ્યો અને મારો પ્રેમભાવ છલકાવતો રહ્યો. શ્રીમતી જયાજી પાછળ રહી જાય એવી સ્ફૂર્તિ અને ચુસ્તિથી અમિતાભ સ્વસ્થ અને જીવંત રહી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા ખંડ પર છવાય ગયા.
તેમણે પોતાની નીજી અદાયગીસભર style થી પ્રવચન કર્યું. તેમનાં વક્તવ્યમાંથી કેટલાક સ્પાર્ક્સ :
#મને કોઈ વિશેષણો કે status કે ખીતાબની હવે કોઈ ખેવના નથી. હું સંતુષ્ટ છું.
#હું જીવતાં જીવતાં સહજતાથી જે અનુભવું છું તેમાંથી કેટલુંક બુદ્ધિ ઉપરાંત હૃદયમાં સ્થાન જમાવી લે છે અને તે મારા અભિનયમાં reflect થઈ જાય છે.
#સિનેમા ક્ષેત્રે થઈ રહેલ ટેકનોલોજીકલ advancement ને આવકારું છું. પણ અમારી પેઢીને કશો લોસ નથી ગયો. ઉદાહરણ આપું…અમારા સમયમાં સેલ્યુલોડ ની ફિલ્મ હતી તેથી કોઈ સીન ના ટેક વધુ થાય તો પ્રોડ્યુસરને ફિલ્મ મોંઘી પડતી તેથી આગ્રહ રહેતો કે ઓછામાં ઓછા ટેકમાં સીન ઓકે થાય. તેથી અમારી એકાગ્રતા, ગાંભીર્ય અને ચોક્કસાઈ વધતી,,આજે મને કામ કરતો જોઈ ને યંગ જનરેશન આશ્ચર્ય અનુભવે છે, તેનું કારણ અમને પડેલી ટેવ છે…આજે તો ચિપ આવી ગઈ એટલે ગમે તેટલા રી ટેક કરો કિંમતમાં કોઈ ફરક નથી પડતો.
#અહીંની મેડિકલ ફેકલ્ટી નું કામ જોઈ પ્રભાવિત થયો. હું તો વિનંતી કરીશ કે મેડિકલ ક્ષેત્રે એવું કોઈ સંશોધન કરો કે મારા જેવો ૮૦ – ૮૨ વર્ષનો માણસ ૨૦ કે ૩૦ નો થઈ જાય કે જેથી હું અહીં મંચ પર નહીં પણ તમારી વચ્ચે આવીને બેસી શકું.
અમિતજી સાથે વિદ્યાર્થીઓની રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ જેમાં તે વધુ ખીલ્યા. એક વિદ્યાર્થીની AI અંગેની જિજ્ઞાસા વિશે તેમણે ટકોર કરી કે, “આવતા વખતે તમે અમિતાભ ને બદલે AI Amitabh ને invite કરો તો નવાઈ નહીં.”
શ્રીમતી જયાજી પ્રત્યેનું માન વારંવાર પ્રદર્શિત કરવાનું અમિતજી ચૂક્યા નહીં, પરંતુ બંનેની body language ઘણું જાહેર કરી જતી હતી.
પ્રેક્ષકોની ફરમાઈશ પર તેઓએ #અગ્નિપથ ના પિતાશ્રીએ લખેલ ડાયલોગ પેશ કરી સભાગૃહને ચિચિયારીઓથી ભરી દીધું હતું.
હા, અમિતાભ બચ્ચનની ઉંમર અને સતત પરિશ્રમ વર્તાય છે પણ તેઓનો ભુક્કા કાઢી નાખે તેવો આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ તેને ગમતીલો રાખે છે. આપણે તો એ જ પામવા તેમને milestone ગણવાના. અને ખાસ તો પોતાનાં અભિનય કૌશલ્યને કારણે આટલી લોકપ્રિયતા મેળવનાર આ વ્યક્તિત્વની આગળ પાછળ કે આજુબાજુ કોઈ કમાન્ડો નહીં કે બંદૂકધારીઓ નહીં કે કોઈ બાઉન્સર નહીં કે કોઈ સિક્યોરિટી પણ નહીં. Popularity ઇસે કહતે હૈં, બોસ.
મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે

ભદ્રાયુ વછરાજાની                 (62)              bhadrayu2@gmail.com   

આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક  આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે. 

ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં  અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે. 

આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર  માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’  

કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં  ભગવાને એક વાત સાફ કહી દીધી કે,  ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે. 

હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’  એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી. 

વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે  વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે. 

ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર  સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે  કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.

એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં  જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”

સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

તા. બાવીસ, જાન્યુઆરી, ૨૦૨૪ રાષ્ટ્ર માટે અને સર્વે શ્રી રામ ભક્તો માટે સ્મરણીય બની રહી..અને અમારાં પ્રેમમંદિર માટે તો ચમત્કારિક પણ…

સૌ દેશવાસીઓ અયોધ્યા પર દૃષ્ટિ સ્થિર કરીને એકાગ્ર હતા ત્યારે પ્રેમમંદિર ની દ્વારઘંટડી રણકી..અત્યારે કોણ ?? એવાં પ્રશ્નાર્થ સાથે અતિથિઓને આવકાર્યા તો સાનંદ આશ્ચર્ય થયું… શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માં અમ દંપતી પાસે ભણી ગયેલ શ્રી પરેશ ડાહ્યાભાઈ ખૂંટ, તેમનો પુત્ર અને તેમનો જમાઈ મલકતા પ્રવેશ્યા ને ઈલા ટીચર ની તસવીરે આંખ ઝુકાવી.

હા, ૨૧ મીએ પરેશ ત્રણ ભાઈઓ જેનું સંચાલન કરે છે તે રણછોડનગરમાં ચાલતી બે સ્કૂલ ના વાર્ષિક સમારોહમાં મારે જવાનું હતું પણ શરદી તાવે જવા ન દીધો..

આ પરેશ ભાઈઓ એટલે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ૬૦ વર્ષ પહેલાં અમારી સાથે જ ભણીને સેવક બન્યા પછી શિક્ષણ પ્રાપ્ત કરી એ જ સ્કૂલમાં ક્લાર્ક બનેલ શ્રી ડાહ્યાભાઈ વશરામભાઇ ખૂંટ ના ત્રણ દીકરાઓ..!! આજે રણછોડનગરમાં બે સ્કૂલ અને પ્લે હાઉસ નું સંચાલન કરે છે. અને ખાસ તો,,,,અમારી જેમ જ પ્રિય મોરારિબાપુ ના અનન્ય flowers છે.

થોડીવાર ગપસપ કરીને બરાબર બાર વાગ્યા એટલે તેઓએ એક ગિફ્ટ પેક ખોલ્યું ને મને ભેટ ધર્યું.. જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન સૌને થઈ રહ્યાં હતાં ત્યારે જ તે ઘડીએ જ પ્રેમમંદિરે અમારા પ્રિય પરિશ્રમી વિદ્યાર્થી પરેશ અને પરિજનોએ મારા હાથમાં શ્રી રામ મંદિર, અયોધ્યાની ધાતુની વજનદાર પ્રતિકૃતિ મૂકી…અમે ઉપસ્થિત સૌ ગદગદિત હતાં અને અવાચક પણ!!

શ્રી રામ આમ પ્રેમમંદિરે પધારશે તેવી તો કલ્પના ય ક્યાંથી હોય ?? હું તો શ્રી મોદીજી જેટલો જ ઉત્સાહિત હતો..અને છું પણ…

આજની શિક્ષા વ્યવસ્થામાં પણ આવા વિદ્યાર્થીઓ દીવાદાંડી સમાન છે કે જે પૂરા આદરથી સતત શિક્ષક દંપતિની સાથે ને સાથે જ છે.

એક વાત ખાસ નોંધું: શ્રી પરેશ પરિવાર પોતાની સાથે મારા માટે શરદી અને તાવના ઉપચાર સમ ટેબ્લેટ પણ લાવેલા અને ટેબ્લેટ લીધા પછી પીવા માટે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ…!!!

પ્રેમમંદિરે થી જ્યારે તેઓએ મગજની પ્રસાદી લઈને વિદાય લીધી ત્યારે અમને અયોધ્યા જઈ આવ્યા જેટલો સંતોષ હતો.
ભદ્રાયુ (પ્રેમમંદિરેથી)

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

રામદૂત મોરારિબાપુ@75

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

૧૯૭૬થી બાપુની કથાઓ વિદેશમાં થવા લાગી વિદેશની કથાઓમાં આવતા ભાવિકોમાં ભક્તિ કરતા આદર વધુ હોય છે, વિદેશ વસતા યુવાનો બાપુને ધ્યાનથી સાંભળે છે ને બાપુથી પ્રભાવિત પણ છે !

૧૯૬૦ના ચૈત્રમાસમાં પોતાનાં વ્હાલા ગામ તલગાજરડામાં મોરારિબાપુએ પહેલી કથા કર્યાની નોંધ “માનસ યાત્રા” પુસ્તકમાં છે, તો સવા સો કથાઓ દેશની ધરતી પર કર્યા પછી એકસો છવ્વીસમી કથા એપ્રિલ ૧૯૭૬માં પહેલવહેલીવાર વિદેશની ધરતી પર બાપુએ કરી. પોતાનાં જીવનનાં ચૌદ વર્ષે પહેલી કથા અને ત્રીસમાં વર્ષે પરદેશમાં પહેલી કથા ! પરદેશ પહોંચતાં સોળ વર્ષ લાગ્યાં પરંતુ એ સમયના ‘યંગસ્ટર કથાકાર’ તરીકે બાપુ દેશ બહાર કથા કહેનાર પ્રથમ હતા અને પછી એ યાત્રા અવિરત ચાલી. ૧૯૭૬ની પ્રથમ કથા આફ્રિકાના નૈરોબી ખાતે યોજાયા પછીનાં છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં બાપુએ વિદેશની ધરતી પર સવા સો કથાનું ગાન કર્યુ છે ! સ + આંકડા = સાંકડા થઇને ગણતરી માંડીએ તો બાપુએ કહેલી આજ સુધીની કુલ કથાઓમાંથી પંદર ટકા કથાઓ દેશ બહાર યોજાયેલ છે. કથા નિમિત્તે પોથીના પ્રતાપે બાપુ આફ્રિકા, કેનેડા, લંડન, કેન્યા, સિંગાપુર, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, યુગાન્ડા, મોરેશિયસ, પોર્ટુગલ, બ્રાઝીલ, બાલી, શ્રીલંકા, દુબઇ, મસ્કત, ભૂતાન, થાઇલેન્ડ, જેરુસલેમ, જાપાન, રોમ, કમ્બોડીયન, ગ્રીસ, અબુધાબી, મ્યાનમાર, સ્વીત્ઝર્લેન્ડ, રવાન્ડા સહિતના દેશોની ધરતીને શ્રી રામકથાનો મંગળ સ્પર્શ કરાવી ચૂકયા છે. છેલ્લાં પંદરેક વર્ષોથી તો બાપુએ વિદેશની કથાઓ દરમ્યાન ભારતીય સંસ્કૃતિ- કલા-સાહિત્યનો પ્રસાર થતો રહે તેની વિશેષ કાળજી લીધી છે અને હજારો સર્જકોને પોતાની સંગાથે વિદેશ લઇ ગયા છે ! શ્રી રામકથાનાં માધ્યમથી અનેક દેશોમાં ભારતીયતાને પહોંચાડવાનું બાપુનું યોગદાન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું છે.

કથા- બાપુ અને વિદેશી ધરતીનાં સાંખ્યયોગનું દર્શન કર્યા પછી વિદેશની કથાઓ ક્યાં અલગ પડે છે તે નોંધવાનો પ્રયાસ કરીએ. અહીં સ્પષ્ટ થઇ જઉં કે ભારતમાં અને વિદેશમાં ગવાતી બાપુની શ્રી રામકથાઓને ત્રાજવે તોળવાની કોઇ ચેષ્ટા અહીં કરવી નથી. જ્યાં સરખામણી આવે ત્યાં સત્યની કસોટી થાય અને એવું આપણે કરવું નથી. પણ આપણે વિસ્મયથી એ ચકાસવું છે કે વિદેશમાં વસતા કથાપ્રેમીઓ પર બાપુની વાણીની કેવી અસર ઊભી થઇ રહી છે. આપણે મુદ્દાસર વાત કરીએઃ

-આયોજનની વાત કરીએ તો સ્વાભાવિકપણે જ વિદેશમાં યોજાતી કથાઓ વિશિષ્ટ આયોજન કૌશલ્ય માંગી લે. સીમિત સંશાધનોમાં કથાનાં મૂળ તત્વો જળવાય રહે અને બધું જ શિસ્તબદ્ધ થાય તેની કાળજી ઊડીને આંખે વળગે છે. કથા સ્થળ, મહેમાનોના ઉતારા અને તેમનું ટ્રાન્સપોર્ટેશન, કથા બાદ સર્વે માટે પ્રસાદ, સાંધ્ય ગોષ્ઠિમાં દિગ્ગજ કલાકારોને નોતરાં અને તેમની સરભરા વગેરે અનેક પાસાંઓ સઘન આયોજન માંગી લે છે. જો કે, તેમાં વિદેશમાં કથા યોજનાર ‘નિમિત્ત માત્ર યજમાનો’ સર્વાંગ સફળ થાય છે એટલું જ નહીં, તેઓના વિવેક, પ્રત્યાયન સૌમ્યતા અને સદા સ્મિત કાબિલે દાદ હોય છે.

-નાણાંકીય પાસાંને બાપુએ ભાવપૂર્ણ શબ્દ આપ્યો છે ‘વિત્તજા સેવા’ ! એટલે નાણાંની અછત અંગે કદી વિચારાતું જ નથી, કારણ આ તો ‘સેવા’ છે, સેવા તો સીમિત ક્યાંથી રહી શકે ? જો કે, બાપુ દ્વારા વિદેશની કથાઓમાં દેશના અતિ છેવાડાના સર્જકને સથવારો કરવાની જે અદ્વિતીય પ્રણાલિ શરૂ થઈ છે તેને લઈને આર્થિક વિશાળતા યજમાને રાખવી રહે છે, પણ બહુ નજીકથી એ નિહાળ્યું છે કે હૃદયના પૂરા ઉમળકાથી બાપુની પોતા તરફની અમીદ્રષ્ટિ ગણીને યજમાનો નાણાંની પોટલી ખુલ્લી મુકી દે છે. અરે, નવા દેશની શોધ કરીને ત્યાં બાપુની કથા થાય તે માટેની વિનંતી બાપુ પાસે સતત થતી રહે છે. એ વિનંતી બાપુ સ્વીકારે અને બાપુ કથા આપે ત્યારે યજમાનોની આંખો હર્ષથી ભીની થાય છે! આવો નાતો બાપુ સાથે ધરાવનાર યજમાન કોઇપણ બાબતનો વિચાર કરે જ ક્યાંથી?

– માનવ સંશાધન એટલે કે કાગળ પર થયેલાં મહિનાઓનાં આયોજન અને નાણાંકીય ઉપલબ્ધતાને વાસ્તવમાં ‘ઓન ફ્લોર’ મૂકવા માટે ‘મેન પાવર’ની તો અવશ્ય જરૂર પડે. કથા પહેલાં, કથા દરમિયાન અને કથા પછી દોડતા રહે તેવા યુવા સ્વયંસેવકોની એક  ફોજ હોવી જોઇએ તો જ બધાં આયોજનો વ્યવહારમાં ખરાં ઉતરે. બાપુની વિદેશની કથાઓ આ પાસાંમાં તો મેદાન મારી જાય છે.

આ ત્રણ મુદ્દાઓ તો વ્યવસ્થાપન અંગેના થયા, કથાના પ્રભાવ પર એની અસર પડે જરૂર, પણ વિદેશની કથાઓની કેવી અસર ઊભી થાય છે કે બાપુની વિદેશની થતી કથાઓ કેવો ઇમ્પેકટ ઊભો કરે છે કે તેનો પ્રભાવ કેટલો અલગ પડે છે તેની વિગતો વધુ મહત્વની છે.

૧: દેશની કથાઓમાં બહુધા શ્રાવકો બાપુનાં દર્શન માટે કથા ‘સાંભળવા’ આવે છે, એમાં ભક્તિભાવ કે આદરભાવ વિશેષ દર્શાય છે..વિદેશની કથાઓમાં ઘણાખરા શ્રાવકો બાપુને ’સમજવા’ ને પોતાનાં જીવનમાં બાપુના સહજ સુચનોને ‘ઉતારવા’ ના ભાવથી આવે છે, તેઓમાં ‘ભક્તિ’ કરતાં ‘આદર’ વધુ છે અને ‘આદર’ કરતાં “બાપુવાણી’નો ‘સ્વીકાર’ વધુ છે.

 ૨: ‘કથાતત્ત્વ’ દેશના ભક્તોને આકર્ષે છે, કથાની ‘બાપુ- પ્રસ્તુતિ’ એમને ભીંજવે છે. વિદેશની કથાઓમાં સ્પષ્ટ નોંધી શકાય છે કે બાપુના ‘ચાહકો’ ઝાઝા છે એટલે તેઓને ‘કથામર્મ’ વધુ સ્પર્શી જાય છે. કથાની રજૂઆત જે રીતે બાપુ કરે છે તેનાથી તો એ અભિભૂત છે જ પણ રામકથાનાં સાત્ત્વિક બીજની પ્રબળતા અહીં વધુ છે.

૩: વિદેશની કથાઓમાં બાપુનાં ખીલવા મથતાં ‘ફ્લાવર્સ’ વિશેષ માત્રામાં છે તો દેશમાં બાપુની ઇચ્છા જરાપણ ન હોવા છતાં બાપુનાં ચરણસ્પર્શ કરવા મથતાં ‘ફોલોઅર્સ’ વધુ છે. 

૪: ઊડીને આંખે વળગે એવું પાસું એ છે કે વિદેશની બાપુની કથાઓમાં ‘માનસ’નું ગાન કરનાર કે ‘માનસ’ સંગાથે જીવનારની સંખ્યા નોંધપાત્ર છે. મહત્તમ કથા શ્રાવકોના હાથમાં થેલો હોય છે અને કથા દરમ્યાન તેમના હાથમાં ‘રામચરિત માનસ’ હોય છે… માત્ર સ્પર્શ નહીં પણ માનસની ચોપાઇઓ તેઓને કંઠસ્થ પણ હોય છે. ઘણીવાર મેં અનુભવ્યું છે કે બાપુ વ્યાસપીઠ પરથી કોઇ ચોપાઇનું ગાન આરંભે ત્યાં જ કથામંડપમાં એ ચોપાઇપૃષ્ઠ ખુલી જાય છે અને એ ચોપાઇનું સમૂહગાન ગૂંજી ઉઠે છે. આ સહજ અવલોકન સ્વીકારીને કહેવું પડે કે બાપુની વિદેશની કથાઓ પ્રબળ સાત્વિક્તાનાં સ્પંદનો સર્જી રહેલ છે.

પ: સમાજ માટે બહુ જ જરૂરી મુદ્દો એ છે કે બાપુની વિદેશની કથાઓમાં તરોતાજા (અને છતાં સૌમ્ય) યુવાનોને યુવતિઓ મહત્તમ છે. ફેશનપરસ્ત અને પૂર્ણ વિદેશી શૈલેથી ઘડાયેલા યુવાનો બાપુની કથાઓનાં આયોજનથી લઇને પ્રસાદ વિતરણ સુધી ભારે સક્રિય હોય છે. ખૂબી એ છે કે આ યુવાનો સસ્મિત હોય છે, તેમનાં હાથમાં શક્યત: બાપુનો બેરખો હોય છે કાં તો ખભ્ભે રામનામી હોય છે, તેઓમાં કોઇપણનું કામ કરવા માટે દોડવાની તત્પરતા હોય છે અને બાપુ પ્રત્યે અપાર પ્રેમ છલક્તો હોય છે. વિશ્વભરનાં કોઇપણ ધાર્મિક કે સાંપ્રદાયિક આયોજનોમાં ‘મુક્તિ માણતો ઉત્સાહભર્યો યુવાન’ તમને ભાગ્યે જ જોવા મળશે જે અહીં બાપુકથાયજ્ઞમાં હાજરાહજુર હોય છે ! જરાપણ અણગમો નહીં ને ભારોભાર વિનમ્રતાની ક્ષમતા બાપુએ યુવાનોમાં પ્રવાહિત કરી છે તે સ્પષ્ટ દેખાય છે અને અનુભવાય પણ છે.

૬: દેશની કથાઓમાં કથામંડપમાં વધુ સિનિયર સિટીઝન અગ્રે બેઠેલા કે સોફા ખુરશી પર બેઠેલા ભાળી શકાય છે. વિદેશની કથાઓમાં તરણ- તરુણીઓ- યુવાન-યુવતીઓ કે મધ્યવયના શ્રોતાઓ આગળ ‘નીચે બેસી’ બાપુએ ઘૂંટડે ઘૂંટડે હૃદયસ્થ કરી રહ્યા હોય છે. વયસ્ક શ્રોતાઓ નાની ટેકણવાળી ફોલ્ડીંગ ચેર અગાઉથી ગોઠવી રાખી આગળ બેસી બાપુની આંખમાં આંખ પરોવવાનું ચૂકવા તૈયાર નથી હોતા.

૭: વિદેશની કથાના શ્રાવકો કથા સિવાયની બાપુની એકેએક ગતિવિધિથી વાકેફ રહેવાનું પસંદ કરે છે અને શક્ય બને ‘જયાં બાપુ ત્યાં અમે ‘નાં સૂત્રને વળગી રહી કથા માટે પધારેલ બાપુની પ્રત્યેક પળના સાક્ષી બની રહેવાનું ગોઠવી જ લે છે. કથા દરમ્યાન યોજાતી સાંધ્ય ગોષ્ઠિઓ કે બાપુનિવાસી સહજ થતી પ્રેમ મહેફિલો માણવાનું તેઓ ચૂકતા નથી. તેઓ માટે પૂરા નવ દિવસો ‘બાપુમય’ રહેવું જીવનનો લ્હાવો છે.

૮: બાપુ માટે તો સૌ સમાન છે અને સર્વેનો સહજતાથી સ્વીકાર છે. પણ બાપુ વિદેશની કથાઓ દરમ્યાન યુવાન-યુવતિઓને મળવાનું, તેમની સાથે સંવાદ કરવાનું, તેમના પ્રશ્નોને વધુ સ્થાન આપવાનું અવશ્ય પસંદ કરે છે. વેમ્બ્લી, લંડનની એક કથામાં સમગ્ર કથા- આયોજનમાં ત્રણસો યુવાનો સામેલ હતા, એ સૌને પ્રત્યક્ષ મળી તેમની સાથે નજદીકી સંવાદ કરવાનું વિશેષ નિમિત્ત બાપુએ ગોઠવાવેલું. રોજ પચાસ યુવાનો બાપુ સમીપે બેસી પ્રેમનો ભાવપ્રસાદ પામી શકયા. નવે નવ દિવસે પળેપળ ભરચક્ક કાર્યક્રમો અને ભારતથી બાપુસંગાથે ગયેલા દોઢસો ક્લાસર્જકોની પ્રસ્તુતિને માણવાની રોજની સાંધ્ય મહેફિલો છતાં બાપુ છ દિવસમાં ત્રણસો યુવાનોને લાગણીપૂર્વક મળ્યા અને ‘હું તો સંવાદનો માણસ છું’ એવું ‘ખુદકથન’ સિદ્ધ કર્યુ !

૯: અરબી કહેવત પ્રમાણે ‘જે નજદીક હોય તેની સાચી ઓળખાણ ચૂકી જવાય છે’, તેમ જ બાપુ તો ‘આપણા જ છે’ ને ‘આપણા માંહેના જ છે’ ને ‘આપણી વચ્ચે જ છે’ને એવી સહજ મનોવૃત્તિ દેશના શ્રાવકોમાં હોય, પણ વિદેશ વસતા ભારતીયો માટે તો ‘બાપુ વર્ષે-પાંચ વર્ષે પધારે છે’ કે ‘બાપુ કથનનો પ્રત્યક્ષ લાભ કયારે મળે?’ કે ‘બાપુ સમીપે રહેવાની તક ફરી મળે- ન મળે’ જેવી લાગણી બાપુની વિદેશની કથાઓને એક ઉત્સવનું સ્વરૂપ આપી દે છે. એથી જ તો આફ્રિકામાં કથા હોય તો અમેરિકા, ગલ્ફ કે લંડનના ભાવકો પહોંચી જ જાય. અરે, ભારતમાં એન.આર.આઇ. મહીના ગાળવા આવેલા ગુજરાતી- વિદેશીઓ બાપુની એ સમયની કથાઓમાં અવશ્ય જોવા મળે છે. હા, જો કે, તમને એવા કેટલાય વિદેશીઓ મળે કે જેમને ત્યાં બાપુ એક-બે વાર જઇ આવ્યા હોય! વિદેશમાં એવા કેટલાય ભવન કે હવેલી જેવા નિવાસો છે કે જયાં ‘બાપુ-કુટિયા’ કે ‘બાપુ-કક્ષ’ ખાસ બનાવવામાં આવ્યા છે અને તેમાં ‘બાપુ હાજર છે’ તેવો ભાવ સદા એ નિવાસમાં પ્રવર્તે છે !!

૧૦: બાપુની વિદેશની કેટલીય કથાઓમાં ખરા અર્થમાં વિદેશી શ્રાવકો શ્રવણાર્થે ઉપસ્થિત રહે છે. તેઓ હિન્દી કે ગુજરાતી ન જાણતા હોવા છતાં કથામાં બાપુ દ્વારા સર્જાયેલ ભાવાવરણની સુગંધથી તેઓ પ્રસન્નતા અનુભવે છે. ક્યાંક તો કથાના યજમાન આ વિદેશી માટે ટ્રાન્સલેટીયર ઉપકરણની સગવડતા પણ કરે છે. કયોટો, જાપાનની કથામાં કેટલાક જપાનીઓ લગભગ રોજ કથાશ્રવણ કરતા અને રોજ પૂર્ણ શાકાહારી ભોજન-પ્રસાદ પણ રસપૂર્વક આરોગતા હતા. એમાંથી કેટલાક સાથે સંવાદ કરવાનો મને મોકો મળેલો ત્યારે તેઓની એક વાત જચી ગયેલી: ‘બાપુ કથા કહે છે તે બધું નથી સમજાતું, પણ અમને બહુ આનંદ આવે છે કારણ કે બાપુના બોલાયેલા શબ્દો પાછળનો ભાવધ્વનિ અમે પકડી શકીએ છીએ અને કથામંડપમાં પડતો તેનો પ્રભાવપડથો અમે નોંધી શકીએ છીએ.’

એક જ વાક્યમાં સમાપન કરું: ‘વિદેશની કથાઓમાં બાપુના શબ્દો પાછળનો ભાવધ્વનિ ભારોભાર ઝીલાય છે અને તેનો સાત્વિક પડઘો ચોતરફ પડઘાય છે.” 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

અજવાળું એટલે  જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે... જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

ફૂલછાબ : દીપોત્સવી અંક : 2023

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધના.

II ૐ શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II

અમારા નિવાસ ‘પ્રેમમંદિર’ ના પડોશમાં એક બુઝુર્ગ નારી રોજ સવારે બહાર ડોકાયા કરે અને જમણી દિશામાં કશુંક શોધ્યા કરે. મારી સવાર હિંચકે વીતે અને હું રોજનો પેલી ઘટનાનો સાક્ષી. શરુ શરૂમાં મને વિસ્મય હતું કે એ સન્નારી કોને શોધે છે ?? પરંતુ એક દિવસ હું તેમની શોધ પૂર્ણ થયાના આનંદનો પણ સાક્ષી બન્યો અને મારું  વિસ્મય વ્યક્તિગત ન રહેતા શાશ્વત બની ગયું.!!

જમણી દિશામાં જરાક સુરજ ડોકાયો ને તે સન્નારી અંદર ઉતાવળા પગલે દોડયાં અને પાણી ભરેલો ત્રામ્બાનો કળશયો (લોટો) લઈને બહાર બાલ્કનીમાં આવ્યાં, એમણે  જમણી દિશામાં હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી પેલા લોટામાંથી ધીમી ધારે પાણી રેડતા ગયાં અને બોલતા ગયાં ‘II શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II’ !! બસ પછી મુખ પર સંતોષનું સ્મિત ફરકાવતા અંદર જઈ  કામે લાગી ગયાં.

મારા મનને ઘડીક શાંતિ થઇ પણ પેલું વિસ્મય વ્યાપક બનીને જિજ્ઞાસામાં ફેરવાયું કે, આખો દિવસ તપતા આ સૂરજદેવ સામે પાણી રેડવાથી શો લાભ થાય ?? જિજ્ઞાસા ઝાલી ન રહી એટલે સાંજે એ સન્નારી ફળિયે બેસી સમવયસ્કો સાથે ગોઠડી કરતા હતા ત્યાં જઈને પૂછી નાખ્યું : ‘હેં, બા, તમે સવાર સવારમાં સૂર્યને શોધો ને જેવો દેખાય એટલે તરત તેની સામે પાણી રેડીને શ્લોક જેવું બોલો છો, તે આનો શો અર્થ ?’  તેઓ તો

                                                          (2)

અચંબામાં પડ્યા કે આ પાડોશી આવું શા સાટું પૂછવા આવ્યા હશે, પણ તરત તેઓએ ઠાવકાઈથી કહ્યું, ‘ભાઈ, એવું વિચારો તો કે સુરજ ઉગવાનું જ ભૂલી જાય તો,,, આપણું શું થાય ?  મને કયો તમે કે આપણો દિવસ શરુ થયો ક્યારે કહેવાય ? ઘોર અંધારી રાતમાંથી પહેલા પહોરે ઉજાસ થાય જ નહિ તો આપણી સવાર પડે ખરી ?? ભાઈ, જે આપણને સવારે ઉજાસ પાથરી ધીમેકથી કહે કે, ઉઠો વ્હાલા, એક નવો દિવસ તમારી ઝીંદગીને  ભેટ મળ્યો છે તે આનંદ કરી લ્યો !!! કહો જોઈએ, આવું કોઈ કહે તો  આપણે એનો આભાર માનવો જોઈએ કે નહીં  ?? તમે વાતે વાતે Thank You નથી કહેતા એકબીજાને ?? બસ, એમ જ, હું સવારમાં સુરજદેવને હાથ જોડી પ્રણામ કરું છું અને થોડું પાણી તેને અર્ઘ્ય  રૂપે ચડાવી  તેને ટાઢક વળે એવો ભાવ કરું છું, એને આપણા માટે આખો દિવસ તપવું સહેલું પડે ને ભાઈ..!! મારું વિસ્મય  હવે શાશ્વત બની ગયું અને મને સમજાયું કે, સૂર્ય બહાર પ્રકાશ પાથરે છે પણ કોઈ સજગ સન્નારીના હૃદયમાં અજવાળું અજવાળું કરી દે છે.

મને સ્વામી બ્રહ્મવેદાંતજીનું એક વિધાન યાદ આવ્યું : જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધનામને સમજાયું કે મારા પડોશી સન્નારી તો જાણ્યે અજાણ્યે સાધના કરી રહ્યા છે અને તેમણે મને કેવળ વાત નથી કરી પરંતુ મને સાધનાના માર્ગ તરફ આંગળી ચીંધી  છે.

ચીન નિવાસી અને વિશ્વના આધ્યાત્મ જગતના વિરલ પથદર્શી લાઓ ત્સુ  ત્રણ ખજાનાની વાત કરે છે:

મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત.

પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા,

ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ.

પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર,

અતિરેક હોય એટલે રહી શકે ભરપૂર

દુનિયાની આગળ થઈ જવાનો અભરખો હોય

                                                             (3)

એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર

પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી,

અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા,

તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ અને 

બધું લઈ જાય માત્ર મૃત્યુ તરફ.”

અને આમ જુઓ તો મૃત્યુ એ આખરી અજવાળું જ છે ને !! બહારનો  દીપ બુઝાય ત્યારે અંદરના દીપનું પ્રાગટ્ય થાય..બહાર પ્રકાશ ગયો અને અન્તઃકરણમાં અજવાસ થયો.

ગુરુ નાનક નિરંતર ઈશ્વરમાં મગ્ન રહેનાર સંત હતા. તેમને બાલ્યાવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ અવસર ઉપર દૂરના નજીકના સબંધીજન આવ્યા અને સૌ ભેગા થયા અને છેલ્લા તબક્કે એક વિસ્ફોટ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે નાનકડા નાનકજીએ કહ્યું કે, ‘હું યજ્ઞોપવિત પહેરીશ નહીં.’ કુટુંબના સૌ વડીલો એને સમજાવવા લાગ્યા અને પૂછ્યું કે, ‘એવું કેમ ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘જે જનોઈ મેલું થઇ જાય, તૂટી જઈ શકે, બળી જઈ શકે અને જે મનુષ્યના સાથે જીવનની સીમા પછી પણ આવે નહીં એવું જનોઈ પહેરવાનો અર્થ શું છે ?’ બધા વિમાસણમાં પડી ગયા ત્યારે કોઈ એક બુઝૂર્ગે પૂછ્યું કે, ‘બરાબર છે એ નહીં  તો, તારે કેવું જનોઈ જોઈએ છીએ કે જે આલોક અને પરલોકમાં પણ તારું સાથીદાર બને ?’  આ લોકોની જિજ્ઞાસા હતી. બધા પ્રતીક્ષા કરતાં હતા કે, શું જવાબ મળે છે ત્યારે નાનકદેવજીએ કહ્યું, ‘જેમાં જ્ઞાનની કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ અને સત્યનો અર્ક હોય એ જનોઈ હું પહેરીશ કે જે આત્મા માટે આદર્શ હોય.’  એક નાનકડાં બાળકની આટલી  ઊંડાણભરી વાત ત્યારે જ બહાર આવે કે જયારે  અંદર અજવાળું અજવાળું હોય.

પ્રશ્ન થાય કે, આવું ક્યારે શક્ય બને ?? જવાબ તાઓ ઉપનિષદમાંથી મળે છે :

તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે,

ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે.

                                                     (4)

પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે,

ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિવિધાન આવે,

વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે,

ધૂંધળાને નહીં, સજ્જન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે.

વર્ધાથી બહાર પડતા સામાયિક ‘મૈત્રી’નાં ઓગસ્ટ-2023ના અંકમાં એક કોલમમાં કહેવાયેલી વાત કાલિંદીના શબ્દોમાં જાણીએ:

સર્વ શક્તિદાયિની પદયાત્રાનો એ ચોથો ભાગ છે. એમાં એક સરસ પ્રસંગ ચિત્ર મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી હવે જઈશું પૂર્વ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. અહીં બે જિલ્લાઓમાં કુલ સોળ  દિવસ સુધી પદયાત્રા થઈ. અહીંની સભાઓ એક આશ્ચર્ય પમાડે તેવી થઈ. નાના નાના ગામોમાં હજારોની સભા થતી હતી. કોણ કહેતું હશે લોકોને આ સભા અંગે કે આટલા બધા ઉમટી પડતા હશે ! ત્યારે કાર્યકર્તાઓની ફોજ નહોતી, પ્રચારની કોઈ યોજના નહોતી પરંતુ કોણ પહોંચાડી રહ્યું હતું આ વાત લોકો સુધી ? કોણ હતો તેનો સંદેશાવાહક ? કાનમાં કોઈ હળવો અવાજ બોલતો  હતો.  ચારો ઓર સે હવા આઈ, લોગો કે કાનોમેં બોલી,, આયા હે ફકીર ભારતકા લેકર પૈગામ મહોબ્બતકા. હવામાંથી સંદેશ મેળવીને લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ હતી, પણ શાંતિથી, એકાગ્રતાથી તેઓ વિનોબાજીને સાંભળતા હતા. આશાવાદી આર્ય નાયકમ પણ સાથે હતા. તેઓ કહેતા :  બાબા ભૂમિ તપ્ત છે, એને વરસાદનું પાણી મળી રહ્યું છે. વાત પણ સાચી હતી. પૂર્વ પાકિસ્તાનની હાલત એવી હતી કે, ત્યાં આવી જાહેર સભાઓ ક્યારેય થતી ન હતી. સંત ફકીરોની આહલેક  સાંભળીને ત્યાં ભેગા થવાનો મોકો પણ મળતો ન હતો. ખરેખર એ ભૂમિ પ્યાસી હતી, તપ્ત હતી. એવી શાંત એકાગ્ર શ્રોતાઓની આટલી વિશાળ પણ સભા ભારતમાં ક્યાંય થઇ ન હતી, પણ તેના ઉપર ફકીર વિનોબાજીનો મહોબ્બતનો પૈગામ જાણે મીઠો વરસાદ વરસાવી રહ્યો હતો.

                                                        (5)

વિનોબાજીની ભૂદાન પદયાત્રા ચાલી રહી હતી એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો હતો કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી તેઓને ઈચ્છા હતી કે તેઓ સંત ઋષિ વિનોબાજીને મળે અને તેના આશીર્વાદ લે. વિનોબાજીની યાત્રા એ સમયે વર્ધા જિલ્લામાં ચાલી રહી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કહેવડાવ્યું કે, ‘વિનોબાજીની ભૂદાન યાત્રા પૂર્વ નિયોજિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલે. મારા કારણે તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. હું તેઓ જે સ્થાન ઉપર હશે તે સ્થાન ઉપર જઈને તેમને મળીશ.’ એ દિવસે વિનોબાજીનો  મુકામ એક બહુ નાનકડા ગામમાં હતો. એ ગામમાં સ્કૂલ નહોતી, પંચાયત નહોતી. એનો કોઈ રૂમ ન હતો  કે કોઈ એવી વ્યક્તિનું મોટું મકાન પણ નહોતું. પ્રશાસન અધિકારીઓ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે આ બંને મળી શકે એવું સ્થાન કયું ? વિનોબાજીની વાત તો ઠીક છે પરંતુ તેમને ચિંતા હતી પ્રધાનમંત્રીની. આખરે એક ઘર પસંદ કરવામાં આવ્યું. ઘર એટલે માટીવાળી દિવાલોનો એક ઓરડો અને એના આગળના ભાગમાં ઉપર છાપરા મૂકેલ એક ઓસરી કહી શકીએ એવું. ઘરનો માલિક બહુ ખુશ હતો કે, એક સંત આજે આખો દિવસ આ ઘરમાં રહેવાના હતા. અને એમણે ૨૪ કલાક માટે પોતાના પરિવાર અને બળદને લઈને ખસી જવાનું પસંદ કર્યું. પ્રશાસનના  અધિકારીઓએ ઘરની સફાઈ કરી. વિનોબાજીના સાથીઓ પણ એ રૂમને સજાવવા લાગ્યા. ચાદર પાથરી, ચટાઈ પાથરી, ઓરડાના એક ખૂણામાં ચૂલો હતો એને સારા કપડાથી ઢાંકી દઈને એની ઉપર ફાનસ મૂકી દીધું. કારણ કે બહાર વાદળો હતા અને ઓરડામાં અંધારું. નક્કી થયેલા સમય ઉપર પ્રધાનમંત્રી આવ્યા. તેઓ પોતાની ગાડી અડધો માઈલ દૂર રાખીને ચાલીને આવ્યા. વિનોબાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સ્વાગત માટે રસ્તા ઉપર ઉભા રહ્યા. તેઓ શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના રૂમ માં લઇ ગયા. એક દોઢ કલાક સુધી બંનેએ એકાંતમાં વાતો કરી. વિદાય માટે જેવા તેઓ ઉભા થયા કે  એકદમ ચારે તરફથી આંધી શરૂ થઈ.  હવાનું એક બહુ મોટું વહેણ એ ઓરડામાં પણ ઘુસ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ગરીબ ઘરની આસપાસ જે સારું ઐશ્વર્ય હતું એ આ બંને મહાનુભવો પર પડયું  અને બંનેનું સન્માન કર્યું. ઐશ્વર્ય એટલે શું ? એ સમયે લાલ મરચું અને ડુંગળીના

                                                    (6)

છાલકાઓની વર્ષા  બંને ઉપર થઇ !  એમ કહેવાય કે ગરીબ ઘરની વિદાય લેતી વખતે ગરીબોની  સર્વોત્તમ ચીજથી બંનેનું સન્માન થયું. સામાન્ય રીતે તો પ્રધાન મંત્રીનું સન્માન કરવા માટે તો ફૂલ હોય, ગુચ્છા હોય, ફૂલમાળા હોય, નોટોની માળા હોય પણ આજે એવું નહોતું. પ્રધાનમંત્રી અને વિનોબાજી રૂમની બહાર આવ્યા ત્યારે બંને ઉપર કચરાના અંશો પડ્યા હતા. પ્રધાનમંત્રીની ટોપી ઉપર અને ખભા ઉપર પડેલો કચરો પ્રશાસકીય લોકો દૂર કરવા લાગ્યા,  પણ પ્રધાનમંત્રીએ આસ્તેથી તેઓનો હાથ દૂર કર્યો અને જઈને કારમાં બેસી ગયા. પ્રધાનમંત્રીનું આ પ્રકારનું સ્વાગત કે વિદાય બીજે ક્યાંય  હોય શકે ? સંભવ જ નથી લાગતું. કોઈ ઉત્તમ લેખકની  કલ્પના શક્તિ ન ચાલે એવી રીતે આ બનાવ બન્યો હતો. તેમ છતાં તે ચક્ષુ રેવ સત્યમ હતું. અદ્વિતીય હતું. આવું તો પદયાત્રામાં જ થઇ શકે. પરમભાગ્ય પદયાત્રીઓના કે આ બધું જોયું અને ચોતરફ ભૂદાનયાત્રાનું અજવાળું અજવાળું થઈ  રહ્યું.

સંત ફઝીલ એક દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા. ત્યારે એક નિર્દોષ બાળકે પૂછ્યું, તમે મને દોસ્ત માનો છો ? ફઝીલે કહ્યું, હા. બાળકે ફરી પૂછ્યું,.. ‘અને ખુદને પણ દોસ્ત માનો છો ? બંનેની દોસ્તી એક દિલમાં રહી શકે નહીં હો !’ ફઝીલ સમજી ગયા.  આ ચેતવણી કદાચ ખુદા જ આપી રહ્યા હતા. એમણે તરત જ બાળકને ખોળામાંથી ઉતાર્યો અને પલાંઠી મારીને આરાધનામાં લીન થઇ ગયા. સંત સાફિયાન એક રાત્રે ફઝીલ પાસે આવ્યા અને પ્રેમ પૂર્વક અધ્યાત્મ ચર્ચા કરવા લાગ્યા. વિદાય લેતી સમયે સંતુષ્ટ સ્વરમાં તેઓએ કહ્યું કે, આજની રાત બધી રાતોથી વધુ સારી રહી છે અને આજનો જલસો બધા જલસામાં ખુબ ઉત્તમ રહ્યો છે. પ્રત્યુત્તરમાં ફઝીલે  કહ્યું : “આજ કી રાત સબ રાતો સે બુરી ઓર આજકા જલસા સબ જલસોસે બુરા રહા.’  તરત સાફિયાને પૂછ્યું,  કેમ એમ ? જવાબ મળ્યો :  આ આખી રાત તમે એ ચિંતામાં રહ્યા કે એવી વાત કહો જે મને પસંદ આવે અને હું એ ફિકરમાં રહ્યો કે એસી બાત કહું કી તુમ્હે પસંદ આયે. હમ દોનો અલ્લાહ સે કાફીર રહૈ. બંદે કે લિયે તન્હાઈ હી અચ્છી થી જહાં ઉસકા ખુદા કે સાથ સીધા વાસતા હે આ વિચારને લઈને સંત અબ્દુલ્લાએ કહ્યું

                                                          (7)

પરત જાઓ. તુમ ઇસલિયે આયે હો ના કિ  તુમ મુજસે બાતેં  કરો ઓર મેં તુમસે બાતેં  કરું. સત્સંગ ઉતના હી અચ્છા જીતને મેં રાહી કો રાહ બતાયી જાએ !!

એકનાથે કહ્યું છે: જબ તક રસનાકો જીત નહીં લિયા સમૂચિત બોલના આતા નહીં. એમાંથી પ્રશ્ન થયો કે,  કોઈ ખોટું બોલે તો પણ આપણે ચૂપ રહીને સહન કરતાં શીખવું જોઈએ,  પણ એવું થતું નથી. માનો કે,  આપણે એને વળતો જવાબ ન દઈએ, પરંતુ મનમાં તો પ્રતિવાદ રહેતો જ હોય છે. સૂફીનો જવાબ મળ્યો :  ચુપચાપ સહન કરવું પર્યાપ્ત નથી દોસ્ત,  કટુ બોલનારને આશીર્વાદ આપો,  એમનું શુભ ચિંતન કરો,  એમના ઉપર ઈશ્વરની કૃપા હો, એવું પણ વિચારવા લાગો ત્યારે વાત પુરી થશે. ફરી પ્રશ્ન થયો કે, ‘શૂન્ય બનવાની વાત સૌ કરે છે તો આ શૂન્ય બનવું એટલે શું ?’  જવાબ મળ્યો: શૂન્ય બનવું સહેલું છે. તમારા ચિત્તમાં ન કોઈ વિકાર હોય કે ન કોઈ વિચાર હોય એ સ્થિતિ શૂન્યાવસ્થા છે. 

 આપણે જાતને પૂછવાનું છે :

તમારાથી વધુ નિકટ શું ? કીર્તિ કે તમે સ્વયં ?

તમને વધુ વહાલું શું ? તમે સ્વયં કે સંપત્તિ ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ;

ધનના સંગ્રહની પાછળ પાછળ આવી જાય મોટી લૂંટ

એટલે જે જાણે સંતોષને, તે રહેશે, ના થશે કદી માનભંગ;

જે જાણે ક્યાં અટકી જવું, તે રહેશે કદી નાશવંત

પ્રાપ્ત કરો લક્ષ્ય પ૨મ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિમાં

અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી

જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ;

                                                           (8)

પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં.

પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;

તેનો અર્થ થયો : જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

…અને એ પૂર્વસ્થિતિમાં મળી આવશે અજવાળું અને તેનું એકમાત્ર લક્ષ્ય હશે  કે પૂર્ણતાની દિશામાં  સતત ચાલતા જ રહેવાનું, સતત ચાલતા જ રહેવાનું…Just Let Go .

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય.

ભદ્રાયુ વછરાજાની           (61)             bhadrayu2@gmail.com

ગીતાજીના સત્તરમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે  ચાલે એ મુજબ  વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણે સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો આપણો  સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જ કહી શકીએ કે “હે  ઈશ્વર ! તેં  મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે.” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી – સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ – સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. 

આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં. કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં, દાનથી સમાજમાં અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ સત્તરમાં અધ્યાયમાં દર્શાવેલ છે.

આપણા જન્મ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ માટે કશોક ભોગ પણ આપવાનો છે. ભોગ આપવો એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતા આહાર કહે છે. આ શરીરરૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો પડશે. દેહ ને આહાર આપીએ તો જ એ કામ કરે. આ બધી વાતોના મૂળમાં વળી શ્રધ્ધા જ હોય છે. બધી જ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે. પણ આપણે ક્રિયાઓ ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક હોય તો જ અર્પણ કરી શકીએ. આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાથે જ થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણને 14 માં અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું. 17માં અધ્યાયમાં ગીતા તે તત્વોનો અમલ શી રીતે  કરવો તે બતાવે છે. આ સત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બે પ્રકારનો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. બંનેને માટે એક જ પ્રયત્ન, એક જ કર્મ છે. તેવું જે કર્મ કર્યું હોય, તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. 

કહેવાય છે કે યજ્ઞ સાત્વિક થાય તે માટે બે બાબતો જરૂરી છે. એક નિષ્ફળ પણાંનો અભાવ, અને બે, સકામ પણાંનો અભાવ. યજ્ઞમાં સકામ પણું હોય તો એ ‘રાજસુ  યજ્ઞ’ બને છે. અને નિષ્ફળ પણું હોય તો ‘તામસ યજ્ઞ’ બને છે. સાથે-સાથે એ પણ યાદ રાખવું પડે કે, આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહિન કર્મ વ્યર્થ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. લેસ માત્ર પણ મારો સ્વાર્થ  જેમાં ન હોય, એવું કામ લગભગ-લગભગ કરી શકાતું નથી. તેથી દિવસે-દિવસે  વધારે ને વધારે નિષ્કામ, વધારેને વધારે નિસ્વાર્થ સેવા, આપણે હાથે થાય એવું ઈચ્છતા રહેવું જોઈએ. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ. ‘ઓમ-તત્સત’ એ વૈદિક નામ લઇ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે. પાપમાંથી નિસ્પાપતા તરફ લઈ જઈ શકે. જીવનની આસ્તે-આસ્તે  શુદ્ધિ કરવી જોઈએ, પરમાત્મા જરૂર એમાં મદદ કરતો હોય છે. અને આપણી નિર્બળતામાં તે આપણો હાથ પકડતો હોય છે.

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની           (60)          bhadrayu2@gmail.com 

       સત્તરમાં  અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ  “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો  સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે. 

શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે  જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? 

આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; 

આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; 

અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. 

આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું,  સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું  છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ કે મોક્ષ નથી મળતો.

ભદ્રાયુ વછરાજાની          (59)       bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભગવત ગીતાના 16 માં અધ્યાયના કુલ 24 શ્લોકોમાં આપણને દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. આપણને ગણાવવામાં આવ્યું છે કે દૈવી બાબતો કઈ અને આસુરી બાબતો કઈ છે? મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ જેવો  એક સુંદર આયોજિત કાર્યક્રમ કર્યો હતો અને એ ગીતા શિક્ષણ દરમ્યાન તેમણે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા. એ મુદ્દાઓની નોંધમાંથી આપણને ઘણું બધું તથ્ય જાણવા મળે છે. એ સમયે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ દ્વારા એ શબ્દબદ્ધ જે વાત હતી તેનું પ્રકાશન કરવામાં આવ્યું. જેના સંપાદક હતા નરહરી દ્વારકાદાસ પરીખ. ગાંધીજી દરેક શ્લોકની સાથે પોતાની વિગત આપતા આપતા, તેઓ જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે, ત્યાં ત્યાં આ જીવનની  કેટલીક બાબતોને વણી લઈને આપણને  મુદ્દો સમજાવે છે.

‘આજે મેં આટલું મેળવ્યું, કાલે આટલું મેળવીશ,’ ‘આટલું તો મારી પાસે છે જ અને બીજું ધન પણ મારું જ થવાનું છે.’ ‘આ શત્રુને મેં માર્યો છે, બીજાને હવે હણવાનો છું.’ ‘હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું સુખી છું, જુઓ જુઓ હું કેટલો  ધનવાન છું! કેટલા ઊંચા કુટુંબનો છું!  મારા જેવો બીજો કોણ છે?’ ‘હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ માણીશ.’.. અજ્ઞાનથી આંધળા થયેલા માણસો આવી આવી વાતો કર્યા કરે છે.  આમ કરીને માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.  યુધિષ્ઠિર પણ આવો સટ્ટો કરીને દ્રૌપદીને હારી ગયો હતો. પાંડવો અને કૌરવો કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા કોઈ દંભમાં અથવા તો મોહમાં આવી જતા હોઈએ છીએ. આપણે તો સૌ મિશ્રણથી ભરેલા છીએ. પણ ગમે તેમ કરીને ગીતા આપણને ઉર્ધ્વ ગતિ તરફ આગળ જવાનું સૂચવે છે. અનેક પ્રકારની વૃત્તિ મનમાં ઉછળ્યા  જ કરે એટલે વિભ્રાન્ત  થયેલા, મોહની જાળમાં વીંટળાયેલા, કામ ભોગમાં આસક્ત રહેલા અત્યંત અપવિત્ર એવા નરકમાં પડે છે. કેટલાક પોતાની બડાશ મારનારા હોય છે. અક્કલ , ધન, માન અને મદથી ઘેરાયેલા હોય છે, દંભથી વિધિ વિનાના, કેવળ નામના યજ્ઞ કર્યા કરે છે. યજ્ઞ કરવાનું નામ રાખે  પણ ઈચ્છા તો પોતાનો સ્વાર્થ સાધવાનો આવી રીતે કેટલાક જીવો જીવતા હોય છે. ભગવાન ધ્યાન દોરે છે કે અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તથા બીજાઓમાં રહેલા હું નો તેઓ દ્વેષ કરનારા, એ પણ આસુરી શક્તિઓ અથવા સંપત્તિઓના પ્રતિનિધિઓ છે. આવી રીતે જે દ્વેષ કરે છે એવા ક્રૂર-નરાધમોને અને અશુભોને હું નિરંતર આસુરી યોની માં નાખી દઉં છું – એવું ભગવાન સ્પષ્ટ કરે છે. આવા મૂઢ માણસો જન્મો-જન્મ આસુરી યોનિને પામીને, મને મેળવ્યા વિના અધમ-યોનિમાં જતા રહે છે.

આત્માનો  નાશ કરવાનું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે. એ ત્રણ છે – કામ, ક્રોધ અને લોભ. એટલા માટે આ ત્રણેયને ત્યજવાનું આપણને કહેવામાં આવ્યું છે. આવો માણસ પ્રેયને નથી આચરતો પણ શ્રેયને આચરે છે. કામ, ક્રોધ, લોભ – એ પ્રેય તરફ ખેંચી જાય છે. આ ત્રણેય તમોદ્વારથી વિમુક્ત થયેલો માણસ જ પોતાનું શ્રેય આચરીને પરાગતિને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ નથી મળતી, મોક્ષ નથી મળતો અને સુખ પણ નથી મળતું. એટલે જ કાર્ય અને અકાર્ય ઠરાવવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ માનીને શાસ્ત્રમાં ઠરાવેલા વિધિ જાણીને આપણે કર્મ કરવું જોઈએ, એવો બોધ આપણને આપવામાં આવ્યો છે. 

આપણે આ વ્યવસ્થિતિમાં અંતરનાદને વશ થશું એમ કહેવું જોઈએ. પણ એમ તો રાવણ પણ કહે છે કે હું અંતરનાદને વશ હતો. જે માણસનું ચિત્ત  શાસ્ત્ર જ્ઞાનથી સંસ્કારી થયેલું છે, તે જ માણસ આમ કહી શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર શું છે? વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણાદિ  બધું જ શાસ્ત્ર છે. પણ એમાં ઘણી વાતો એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીજી નોંધે છે કે, ગીતા જેવાના પ્રતિ તેવા થવાનું કહે છે એમ કોઈએ નોંધ્યું છે અને પોતાના પ્રમાણમાં શેખ સાદીને ટાંકે છે, ‘જે નઠારા પ્રતિ જે સારો થશે તે સારા પ્રતિ નઠારો થવાનો.’  શાસ્ત્ર સત્ય-અહિંસા ને આધીન છે. શાસ્ત્ર રાજ્ય ચલાવે છે. અરાજકતા  પાથરવાનું એમનું કામ નથી. પણ એ શાસ્ત્રનો આપણે વધુ વિચાર કરીને ઊંડાણથી એને અનુસરવું રહ્યું. ભગવત ગીતાના 16 માં અધ્યાયનું જો સાર તત્ત્વ  આપણે મેળવવું હોય તો એ સાર તત્ત્વ  બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવે છે. એમ કહેવાય છે કે હિંસા છે તો તેની સામે અહિંસાની એક સેના પણ છે. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ છે તો બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે, જેનું નામ છે અભય. 16 માં અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદગુણની કિંમત નથી. નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી થાય અને પાછલી બાજુથી છુપો હુમલો થવાનો સંભવ છે. સદ્ગુણોને આગળને મોરચે નિર્ભયતા પોતાનું થાણું જમાવીને ખડી છે, તો પાછળનો મોરચો નમ્રતા સાચવે છે. આવી બહુ સુંદર રચના થયેલી છે. એકંદરે જોઈએ તો બધા મળીને 26 ગુણો આ 16માં અધ્યાયમાં ગણાવ્યા છે. એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય, પણ એ વાતનો અહંકાર વળગ્યો, તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ નમ્રતા નામના સદ્દગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હાર માં પલટાઈ જશે.

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું  આસુરી લશ્કર !!

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું આસુરી લશ્કર !!

કહે છે કે, ક્રોધમાં તેર સ્નાયુનો વ્યય થાય છે, હસવામાં નવનો વ્યય થાય છે

ભદ્રાયુ વછરાજાની                    (58)             bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભાગવત ગીતાનો સોળ મો અધ્યાય આપણને એવું કહે છે કે, જીવનની ચડતી કળા એ દૈવી સંપત્તિનું નામ છે અને એના વિરુદ્ધની જે કોઈ અવસ્થા તે અસુરી સંપત્તિ કહેવાય છે. ખરેખર સોળ  માં અધ્યાયમાં દૈવી અને આસુરી શક્તિનો ઝઘડો બરાબર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામ-સામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સોળ માં અધ્યાયમાં એકબીજાની સામે ઊભા કરી દીધા છે. 

માનવીના મનમાં સત્ત  પ્રવૃત્તિઓનો અને અસત્ત  પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ રીતે રામ અને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહૂરમઝદને અહરી માનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ અને શૈતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇબ્લિસનો, આવા કેટલા ઝગડા ધર્મમાં દર્શાવેલા છે. ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવવામાં આવે છે. જાણવાનો મુદ્દો એ છે કે,સોળ માં અધ્યાયના પહેલા લગભગ ચાર શ્લોકોમાં જ આપણને એક યાદી ભગવાન આપી દે છે અને એ યાદીમાં કયા ગુણો  દૈવી છે, અને કયા ગુણો  આસુરી છે, તે આપણને સમજાવી દે છે. અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, ઈન્દ્રીય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તક,સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપયશુન (કોઈની ચાડી ન ખાવી), ભૂત દયા, અલોપલુપ્તા (લાલસાનો ત્યાગ), મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન… આટલા ગુણો તે દૈવી સંપત્તિનું  પ્રતિનિધિત્વ કરે છે, એટલે જે આ ગુણો લઈને જન્મ્યો હોય છે, તે દૈવી ગુણ તરફ આગળ ધપે છે. સત્વ સંશુદ્ધિ ( આત્મશુદ્ધિ અથવા તો આપણે જેને અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ), જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે કે સ્થિર જ્ઞાનની વ્યવસ્થિતિ, બધા કાળ માટે અનુભવ જ્ઞાનએ જ્ઞાન વ્યવસ્થિતિ. યોગ વ્યવસ્થિતિ એટલે સદાય ઈશ્વર જ્ઞાન અને ઈશ્વરનું તાદાત્મ. અહિંસામાં જ્ઞાનપૂર્વક દયાભાવથી કરેલી હિંસા પણ આવી જાય છે. 

મહાત્મા ગાંધી પોતાના ગીતા શિક્ષણના પાઠમાં સુંદર રીતે નોંધે છે કે, ડોક્ટર નાનજી ઓપરેશન કરવાનું હોય તેને આગલે દિવસે ઉપવાસ કરતા. એ હેતુથી કે પોતાના ક્રોધ વગેરે વિકારોની દર્દી ઉપર કોઈ અસર ન થાય. ક્રોધ વિના મારનારો માસ્તર તો આંખમાંથી આંસુ પાડતો પાડતો મારશે. યુધિષ્ઠિરની ક્ષમા કેવી ? વિરાટ રાજાને ત્યાં વિરાટે તેને માર્યો ત્યારે તેણે  નાકમાંથી ભૂમિ ઉપર લોહી ન પડવા દીધું. ક્ષમા એટલે અપકાર ઉપર ઉપકાર !! ક્ષમા આટલી તીવ્ર છે.. આ બધા દૈવી ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન એ આસુરી સંપત્તિ લઈને જન્મેલા હોય છે. અહીંયા સમજવાની જરૂર છે કે, દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો તે, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી તે, અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાકો રાખવો તે.. નારદજી એ કામદેવને હરાવ્યો ત્યારે તેણે અભિમાન કર્યું, અને એ અભિમાન થી તે પડ્યા. પારુષ્ય એટલે કઠોરતા.. દૈવી સંપત્તિ વાળો માણસ મોક્ષ તરફ ગતિ કરે છે, અને  આસૂરી સંપત્તિ બંધનમાં નાખે છે. ભગવાન કહે છે,  તારે શોક કરવાની જરૂર નથી. તું તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. આ જગતની અંદર લોકોના સ્વભાવ બે જાતના હોય, દૈવી અને આસુરી. દૈવી સ્વભાવ તો વિસ્તાર પૂર્વક આપણે  જાણ્યો.હવે આપણે આસૂરી સ્વભાવ ની વિગત મેળવીએ. 

પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવી એ આસુરી સંપત્તિ વાળા લોકો જાણતા નથી. તેઓ નથી જાણતા શૌચ, નથી જાણતા આચાર કે નથી જાણતા સત્ય, જેનામાં શૌચ નથી, સત્ય નથી, આચાર નથી, એ માંદા લોકો છે એવું ગાંધીજી કહે છે. માનસિક અને શારીરિક દોષ વિના માંદગી આવતી નથી. ચોવીસે કલાક જેનો આત્મા જાગ્રત રહે છે, તે તો નિરંતર પોતાનામાં તેજનો સંચાર માગે છે. કહેવાય છે કે લાધા મહારાજ કોઢ થી મુક્ત થયા. કેવી રીતે મુક્ત થયા? એ પોતાના કોઢ ઉપર બીલીપત્ર લગાડતા હતા ત્યારે તે પોતાનામાં તેજનો સંચાર માંગતા હતા. આપણે આપણા શરીરને વિકારવશ  થતું ત્યારે જ અટકાવી શકીએ કે આપણે તેજનો સંચાર રોજ માગ્યા કરીએ. ગાંધીજી કહેતા કે, હું તો દરેક માંદા ને પૂછીશ કે તમારામાં રાગ-દ્વેષ છે કે નહીં? બહારથી આપણામાં શૌચ અને આચાર હોય પણ સત્ય ન હોય તો તે બહાર ઢોલ અને માહે પોલ જેવું છે. આપણે એ સત્ય કેળવવા માટે ગીતાનું પઠન કરી શકીએ છીએ. આવી આસૂરી પ્રકૃતિવાળા લોકો જગતને અસત્ય, આધાર વિનાનું, અને ઈશ્વર વિનાનું કહે છે. સ્ત્રી-પુરુષના મૈથુનથી જ ઉત્પન્ન થયેલું કહે છે. એમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય એવી પણ બડાશ મારે છે. આ દૃષ્ટિનો આશ્રય લઈને એ નષ્ટાત્માઓ મંદમતી અને ઉપગ્રહ કર્મ કરવાવાળા, જગતનું અહિત અને નાશ કરનારા બને છે. કોઈ દિવસ તૃપ્ત ન થાય એવા કામનો આશ્રય લઈને દંભ, માન  અને મદવાળા, મોહથી ખરાબ નિશ્ચય  કરીને, અશુચિ વ્રતો એટલે કે પાપી બુદ્ધિ વાળા આ જગતમાં કેટલાય લોકો પડ્યા છે. જેનું માપ ન થઈ શકે એવી અને પ્રલય સુધી પહોંચવા વાળી ચિંતા નો આશ્રય લેવાવાળા, કામ અને ઉપભોગમાં ચોંટી રહેલા, ભોગ એ જ સર્વસ્વ છે એવા નિશ્ચયવાળા, સેંકડો આશા-પાસ થી બંધાયેલા, કામ અને ક્રોધ કરવાવાળા, કામ ભોગ માટે અન્યાય વડે અર્થ સંચય કરવા ઈચ્છે છે. ક્રોધ થી જેટલી શક્તિઓનો વ્યય થાય છે તે  આનંદથી જેટલી શક્તિનો વ્યય થાય તેના કરતાં અનેક ઘણો વધારે છે. ગજા ઉપરાંતની શક્તિનો વ્યય થાય છે, એટલે જગતમાં અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. કહેવાય છે કે ક્રોધમાં તેર સ્નાયુ નો વ્યય થાય છે. હસવામાં નવ નો વ્યય થાય છે. ભોગમાં મૃત્યુ છે, બ્રહ્મચર્યમાં અમરત્વ છે. એકવાર રાયચંદભાઈ (શ્રીમદ ) નું માથું દુખતું હતું, ત્યારે ગાંધીજીએ  એમને પૂછ્યું, તમે ક્યાં નાટક જોવા ગયા હતા? રાયચંદભાઈ એ કહ્યું, હું રાત્રે ઘરમાં પડયો-પડ્યો નાટક જોતો હતો. મારું દુખતું માથું મટાડવા મારે મારી શક્તિ નથી વાપરવી. સારું છે એવું જુઓ છો,  તેવો જ તમે મને જુઓ છો. ઈશ્વરના કાયદા કરતાં હું ઉતરતો છું. વિષય ઉપભોગ નું પરિણામ મૃત્યુ છે. વિષય ઉપભોગ કર્યા જ કરીએ તો જગતમાં ઈશ્વરનું રાજ્ય ન રહે પણ શૈતાન નું રાજ્ય આવીને ઊભું રહે.

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન

કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન

જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ભદ્રાયુ વછરાજાની                 (57)                     bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના સોળમા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે. અહીં પ્રભુ અર્જુનને દૈવી અને આસુરી વૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે અને તે વૃત્તિઓ અંગે સાવધાન રહેવા અર્જુનને કહે છે.

શ્રીમદ ગીતા વિશેના અનેક ભાષ્યોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે કે જે આપણને આજે વિચારતા કરી મૂકે. ઉદાહરણ તરીકે, ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને અલિયાબાડાના મહર્ષિ ડૉ કાકા ( શ્રી ડોલરરાય માંકડ) ના મત મુજબ તો, ખરી ગીતા એટલે ગીતાનો કેવળ બીજો અધ્યાય. અને પછીનું બધું તો ઉમેરણ…જયારે વિનોબાજી તો પંદરમાં અધ્યાયને ગીતાનો છેલ્લો અધ્યાય કહે છે અને તેઓએ ગીતા પ્રવચનોમાં સોળ, સત્તર અને અઢાર અધ્યાયોને તો ‘પરિશિષ્ટ’ કહ્યા છે…આ આકલનને સાદર સ્વીકારીને પણ આપણે ગીતા યાત્રા આગળ ધપાવીએ. 

ગીતાના પહેલા પાંચ અધ્યાયમાં જીવનની યોજના કેવી છે અને તેમાં આપણો  જન્મ કેમ સફળ થાય તેની વાત થઈ તો છઠ્ઠા અધ્યાયથી તે અગિયારમાં અધ્યાય સુધી ભક્તિના વિવિધ રૂપોનો વિચાર થયો. બારમાં અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની તુલના થઈ અને કર્મ તથા ભક્તિ તત્ત્વોને જાણ્યા. તેર, ચૌદ અને પંદરમાં અધ્યાયમાં  જ્ઞાનની વિશાળ છણાવટ થઇ. આત્માને દેહથી છુટ્ટો પાડવો અને  તેમ કરીને ગુણોને જીતી લેવા અને કણેકણમાં અત્ર, તત્ર, સર્વત્ર પ્રભુના દર્શન કરવા તેવું કહીને જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર આપણે જાણ્યું અને દિલમાં ઉતાર્યું.

વિનોબાજી બહુ સ્પષ્ટ કહે છે કે, “કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે. જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ, અને કેવળ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું, કર્મ-ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઊતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોમાં મૂકું છું તે જ ક્ષણે એકીવખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું. ત્રણ ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફકત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરુષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારુ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.”

સોળમા અધ્યાયમાં સૂર્યોદય પહેલાની પ્રભા ફેલાયેલી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણથી પૂર્ણ થયેલ પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા લાગે છે. આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી કેટલી સદ્વૃત્તિ ઊંડી ઉતારી , આપણે કેટલા કેળવાયા, જીવન ખરેખર સેવામય બન્યું કે નહીં ?? તે બધું તપાસી લેવા માટે આ સોળમો અધ્યાય છે. જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ફરી વિનોબાજીનું સ્મરણ કરીએ. તેઓ કહે છે કે, “એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “હું શીખવનારો, બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરુ કોણ?” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા, “આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ,” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “પીઠ પર મારજો પણ પેટ પર મારશોમાં એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું . “આ ઘન મારું છે, અને પેલું પણ મારું થશે.” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને “સ્વરાજ જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો .” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે, જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.”

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. 

ભદ્રાયુ વછરાજાની                             (56)                 bhadrayu2@gmail.com 

પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ. 

પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ  વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય  રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે.   છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ  અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે. 

શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે. 

  1. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે. 
  2.   જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની  ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે. 

આવો આજન્મ સેવક તે અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે  દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે

પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા  રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે  કે કોઈની  અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

એક વિશેષ અનુભવ સાથે જૂનાગઢની ગિરી કંદરાઓની વચ્ચે પારસધામ ખાતે ચાતુર્માસ ગાળી રહેલ પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબનો અનુકૂળ સમય લઈને હું અસ્મિતા વિશેષ સંવાદ માટે પહોંચ્યો અને એક શીતળ ઝરણાની જેમ મહારાજ સાહેબની વાણીથી શાંતિ અનુભવી. તેઓશ્રીએ પૂર્ણ નિખાલસતાથી પોતાના પૂર્વાશ્રમની જીવન યાત્રા વર્ણવી. તેમાંથી થોડો ભાગ માણીએ  : 

“અમે બહુ નાની ઉંમરમાં એટલે કે ૧૩ – ૧૪  વર્ષની ઉંમરમાં લાઠીની અંદરમાં એક જનતા તાવડો કરીને એક દુકાન ખોલેલી. કેમ ? તો એ સમયે ફરસાણના ભાવ એટલા બધા વધી ગયેલા હતા કે સામાન્ય વ્યક્તિને જેની શાક લેવાની કેપેસીટી ન હોય એ, ખાલી સેવ નાખીને પોતાનું નાનકડું શાક બનાવીને જીવતા હોય એને  એ પણ મળી ન શકે એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને એ સમયે અમે પોતાના હાથેથી બનાવી બનાવી અને હજારો ગરીબોને વેંચતા. લાઇનોની લાઈનો લાગતી. અને અડધી કિંમત કરતા પણ અડધી કિંમતમાં એ સમયે આપતા હતા. ૧૩ – ૧૪ વર્ષની ઉંમરમાં, કેમ કે મૂળભૂતતામાં અમારો નેચર જ એ હતો કે પોતના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થાઓ. હું જયારે કલ્પના કરું ને ત્યારે સમજાય કે પોતાના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થવું એ કોઈ સ્કૂલના પાઠથી શીખાતું નથી એ તો આપણા અંતરમાં જનમ જનમના પાઠ  ભણાવાયેલા હોય છે અને તો જ એ આપણને સમજાતું હોય અને તો જ એ આપણને realize  થતું હોય અને તો જ આપણને કોઈના દુઃખ વખતે… મને યાદ છે કે  જયારે સાતમું પાસ કર્યું લાઠીમાં,  ત્યાર પછી હું આઠમા ધોરણમાં સ્ટડી કરવા માટે મારે અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં જવાનું હતું. અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પ્રવેશ  લેતી વખતે આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે જેમાંથી આવવાનો, જવાનો અને ભણવાનો આ ત્રણે ત્રણ ખર્ચ હું કાઢી શકું. મેં જયારે ઘરમાં આ વાત મૂકી કે કોઈ વાતની ના નથી પણ કોઈ વાતની હા કહેવા માટેની ક્ષમતા નહોતી. મને યાદ છે કે મેં અમરેલી પાંચ દસ પચીસ લોકોને વાત કરી કે મારે ભણવું પણ છે, પણ સાથે ક્યાંક મારી આ તેર વર્ષની ઉંમરમાં, કારણકે 8th  std  માં કોઈ બાળક ભણતું હોય એની ઉંમર તેર વર્ષની હોય તો, મારા તેર વર્ષની ઉંમરમાં જોબ જોઈએ છે.  મને આજે પણ યાદ છે કે અમરેલીની અંદર ટાવર રોડ પર એક સુવાસ બુકસ્ટોર કરીને એક બુકસ્ટોર જે આજે પણ છે એ બુકસ્ટોરમાં હું જોબ કરતો. સવારે સાડા  ચાર વાગે ઉઠું, સદા પાંચે રેડી થઈને છ વાગે લાઠીના બસ સ્ટોપ સુધી પહોંચી જાઉં. તેર વર્ષની ઉંમરે પાછળ દફ્તર હોય, હાલ્ફ કે ફૂલ પેન્ટ પહેરેલું હોય, mostly તો હાલ્ફ પેન્ટ જ પહેરેલું હોય અને બસમાં ચડવાનું અને જે અડધો કલાકનો ટાઈમ હોય ત્યારે પાછી બાકીની ઊંઘ પુરી કરી લેવાની  અને  બસ સ્ટોપ આવે એટલે ઉતરીને સીધો જયારે હું સુવાસ બુકસ્ટોર પર પહોંચું ત્યારે હજી તો સવારના માત્ર સાડા સાત જ વાગ્યા હોય.  દુકાનો બધી બંધ હોય, મારે જવાનું અંદર, ઉપર શેઠ પાસે જવાનું, ચાવી લેવાની, લોક ખોલવાના, લોક ખોલી અને જેટલા દરવાજા હોય ફૂલ સાઈઝના એને ઉપાડવાના ઉપાડીને અંદર મૂકી દેવાના એટલે આખી દુકાન ઓપન થઇ જાય,. બધા કાઉન્ટર બહાર કાઢવાના. ઝાડું મારવાનું, પોતું મારવાનું, બધા કાઉન્ટર ચમકાવવાના, બધી વસ્તુ લટકાવવાની ને બધું પ્રદર્શન કરવાનું, ત્યાં સુધીમાં એ અડધી કલાકમાં મારા સ્કૂલનો ટાઈમ થઇ જાય. ત્યાંથી ભાગી અને રાઈટ પોણા બે કિમી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ પહોંચવાનું,  ત્યાં દુકાને શેઠ આવી ગયા હોય એને દુકાન સોંપવાની અને નીકળી જવાનું. બાર વાગ્યા સુધી સ્ટડી કરી અને સાડા બાર વાગ્યે જેવો ક્લાસ પૂરો થાય એટલે ત્યાંથી ભાગતા. એક વાગે જોબ ચાલુ થઇ જતી હતી. એક વાગેએ પહેલા પહોંચી જવાનું. અને જે પાંચ સાત મિનિટનો સમય ભાગતા ભાગતા વધે ત્યાં  પહોંચી એ સમયમાં દફ્તરમાં નાનકડો લંચ બોક્સમાં ત્રણ ચાર થેપલા હોય,  એ થેપલા ફટાફટ ખાઈ લેવાના કેમ કે એક વાગે એટલે જોબ સ્ટાર્ટ થઇ જાય. એક ને પાંચ થાય તો પ્રોબ્લેમ થઇ જાય. 

થેપલાંની સાથે છુન્દો હોય તો હોય, ક્યારેક શેઠને એમ થાય કહે કે, જા  ઉપરથી દહીં લઇ આવ. દહીં લઇ આવું  ને થેપલા સાથે ખાવા મળે. હું સુવાસ બુકસ્ટોર વાળનો ઉપકાર એમ માનીશ કે એણે મને સેલ્સમેનશિપ કરતા શીખવાડી. કોઈ પણ વસ્તુની રજુઆત કેમ કરાવી, એ વસ્તુને કેવી રીતે સામે વાળાના હાર્ટ સુધી પહોંચાડવી.  હું એ તેર વર્ષની ઉંમરે (લગભગ આઠ નવ મહિના જોબ કરી હશે પણ) હું શીખી ગયો. એમણે મને બહુ સરસ રીતે શીખવાડ્યું. જીવનના આવા કેટલાય પ્રસંગોને મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

હું રોજ જયારે સુવાસ બુકસ્ટોરમાં શેઠનો બપોરનો આવવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો અને ત્રણ વાગે એટલે મારે એમની માટે દુકાને ચા લઈ આવવાની. એટલે ચાની લારી હતી ત્યાં હું જાઉં,  ઉભો રહું, એ ચાનો કપ આપે એ હું લઈને ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખીને ભીડની વચ્ચેથી આવીને હું શેઠને ચા પીવડાવું. મન તો મને પણ બહુ થાય પણ… હું જયારે પાછો કપ આપવા માટે જાઉં ત્યાં જ બરોબર એક લોટરી વાળાની દુકાન પર લોટરી વેચાતી હતી. એ સમયે ગુજરાત સરકારની ગુર્જર લક્ષ્મી લોટરી ચાલતી એ સમયે અને બન્યું એવું કે હું લોટરીની દુકાન ઉપર લોટરીની ટિકિટને ચેક કરું અને પછી એક દિવસ લોટરી લેવા માટે જે ઉભેલા હતા એ ભાઈઓને કીધું,  આ નંબરની લોટરી લઈ લે તને લોટરી લાગી જશે. પણ હું તને ટિપ્સ આપું તો તારે મને દસ રૂપિયા આપવાના કારણ કે એ સમયે પગાર હતો સુવાસ બુકસ્ટોરના કામનો માત્ર  ૭૫ રૂપિયા !!. એ ભાઈને કીધું તારે દસ રૂપિયા મને દેવાના.  તને ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા તો ઇનામ લાગશે જ.. અને બરોબર તે દિવસ થાય ને મને ક્યારે શેઠ ચા લેવા જવાનું કહે એની રાહ જોતો હોઉં. એ જેવું મને ચા લેવાનું કહે એટલે હું ઉભો રહી જાઉં, પેલા ભાઈની રાહ જોઉં. મેં એને કહી રાખ્યું હતું કે મને આ જ સમયે આવવા મળશે, બાકી નહીં મળે. પછી તો એને  પણ ખબર પડી ગઈ કે આ જ ટાઈમે આ છોકરો આવે છે. જેવી એની લોટરી લાગી ગઈ કે તરત કહે, લે, તારા દસ રૂપિયા. હું કહેતો કે, તમને એટલા બધા મળ્યા તો દસ વધારે આપોને. તો કહે : નહીં. બીજો નંબર કહે  તો આપીશ. એટલે હું પાછો બે ત્રણ દિવસ ચેક કરું એટલે એમાં કઈ હોય નહીં એટલે પેલો વ્યક્તિ ગુસ્સે થાય, પણ હું કહું કે એમાં કોઈ લાગવવાળો નંબર જ નથી. એ બહુ ગુસ્સે થાય,  નહીં તારે આજે કહેવાનું જ છે. આમ કે તેમ કે.. મેં કીધું મારે દુકાન જવાનું મોડું થાય છે. મોડું થાય તો  શેઠ મારશે,  કેમ કે શેઠની પડતી હતી  જો જરાક પણ મોડું થાય તો.  જરાક પણ ભૂલ થાય એટલે ફટાક.. જોરદાર પડતી. એટલે રોતા રોતા અંદર જઈને ફરી પાછો કામમાં લાગી જતો.  મને ખબર હતી કે જો જોબ નહીં હોય તો સ્ટડી નહીં થાય. .. મારા  જીવનના આવા કેટલાય પ્રસંગો મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન છીએ

ભદ્રાયુ વછરાજાની                     (55)                bhadrayu2@gmail.com   

શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા  માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે  એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે. 

શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.

આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’

જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું  છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

આ  પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવતત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો  છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે,  હે અર્જુન,  સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે?  અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં  શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય પોતાના હ્રદયમાં સ્થિત આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું. 

પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે.  એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં  છે, અને જે પ્રકાશ  અગ્નિમાં  સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર  જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે.