“આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ”

 

 

 

 

 

 

 

ભાવસમાધિમાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું : “નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન જે નામ તે જ ઈશ્વર.. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.”

 

“સ્વામી શ્રી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 410 ઉપર એક વિગત છે.

શ્રી રામકૃષ્ણદેવ  કેટલીક વાર કહેતા,  “ઈશ્વર પર આધાર રાખજો, પવનની દયા પર રહેતા સુકા પાંદડાની જેમ રહેજો, તેની કૃપાનો પવન તો સતત ફૂકાય જ રહ્યો છે, જરૂર છે માત્ર તમારા સઢને ચઢાવવાની.”

“સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા” ના  ભાગ આઠના પૃષ્ઠ 407 ઉપર થી એક અવતરણ આપણે વાંચીએ.

વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે  હૈયું દળાય તેટલું માણસ ઉભરાતું હતું ત્યારે જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો  જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો,  તેનું કારણ શું? કારણ તેમની એટલે કે શ્રી રામકૃષ્ણદેવની કૃપા અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો છે,  આવું સ્વામી શ્રી વિવેકાનંદજીનું કહેવાનું છે.

આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ  ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિ મંત્રે દીક્ષિત યુવા સન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે,  જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે.  આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ.. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે, કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા” નો મંત્ર મેળવ્યો.  1884 ની સાલમાં એકવાર ક્યારેક સંઘના  એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ  પોતાના ખંડમાં ભક્તોથી વિટળાઈને બેઠેલા છે.  શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે.  અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત  મજાકની વાતચીત પણ ચાલી રહી છે.  વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા ::  ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે.  નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન.  જે નામ તે જ ઈશ્વર નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.  ભક્ત અને ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા તેમની પૂજા અને વંદના કરવી અને શ્રીકૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો ઉપર દયા દાખવવી. સર્વજીવો પર દયા એમ કહેતા જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા.  કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા,  જીવ ઉપર દયા,  જીવ ઉપર દયા,  હટ સાલા મગતરામાં મગતરૂ  તું કે જીવ પર દયા કરવાનો?? દયા કરનારો તું વળી કોણ ?? ના ના જીવ ઉપર દયા નહીં,  “શિવજ્ઞાને જીવની સેવા” ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણદેવના એ વચનો ભલે બધાએ સાંભળ્યા,  પરંતુ એનો ગુઢ મર્મ ત્યારે કોઈ ન સમજી શક્યા કે ન તો પકડી શક્યા.  ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ સમી ગયા પછી બહાર આવીને કહેલું: શું અદભુત પ્રકાશ આજે ઠાકુરના વચનોમાં હું જોવા પામ્યો છું.  શુષ્ક કઠોર અને નિર્મમ રીતે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગ સાથે ભેળવી દઈને કેવા તો સહજ રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે,  વનના વેદાંતને ઘરમાં લાવી શકાય. સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય.  માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું  ભલે કરે,  એમાં નુકસાન કાંઈ નથી.  માત્ર સૌથી પહેલા આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું અને તે એ કે,  ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે.  જીવનની પળેપળ  એ જેના સંપર્કમાં આવી રહ્યો છે,  જે જે બધાને પ્રેમ કરી રહ્યો છે,  જેમના પ્રત્યે શ્રદ્ધા સન્માન અથવા દયા દાખવી રહ્યો છે તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે.  દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ,  દ્વેષ,  દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે “શિવ જ્ઞાને જીવોની સેવા” કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળા તરીકે નક્કી જાણી શકશે.

ઠાકુરની એ વાત વડે ભક્તિ પથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશ કુસુમવત રહે છે.  શિવ અને નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે,  એ વાત કહેવાની જરૂર નથી.  જે હોય તે પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ.  પંડિત,  મૂર્ખ,  ધની,  દરિદ્ર,  બ્રાહ્મણ,  ચંડાળ સૌને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ.”

શ્રી ગંભીરાનંદજી લખે છે કે,  સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું.  આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી.  આ સન્યાસીઓ નવા યુગના સંદેશ વાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેવો મન મુખ એક કરીને સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ,  દરિદ્ર નારાયણ,  દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ સરળ અને સુગમ બનશે. આથી તે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે એટલે કે “આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ”  જીવન જીવશે.

 

‘તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી ?’

 

 

 

 

 

 

ઈતિહાસ ગવાહ છે છે કે,  ‘હું-તું કરનારા હણાયા છે, પરંતુ ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે અને હજુ જીતશે. 

“નિષેધ કોઈનો નથી, સર્વનો સમાસ છે.”…આ પંક્તિ નવા ભારતનો રાજધર્મ છે.

આફ્રિકાના એક ખોબા જેવડા પણ પ્રકૃતિસભર રમણીય દેશ રવાન્ડામાં પચીસ-ત્રીસ વર્ષો પહેલાં બે જાતિઓની આંખો વઢી. એક જાતિ “હૂતી”  નિર્દય બની તૂટી પડી બીજી જાતિ “તુત્સી” પર ને થયો જાતિસંહાર એટલે કે જિનોસાઈડ.

ત્યાંનું ‘હુ તુ’ એટલે આપણું “હું ને તું’ ને ‘તુત્સી’ એટલે ‘તું ત્વં અસિ’

હું-તું એટલે દ્વૈત, બે, અલગ, જુદારો, હુંસાતુંસી, દ્વેષ, વેર ને છેવટે વિનાશ,

પણ ‘તું ત્વં અસિ’  એટલે તત્ત્વમસિ, તું તે જ હું, હું તે જ તું, પ્રેમ, સમાસ, સ્વીકાર, એકત્વ ને છેવટે વિજય!

ઈતિહાસ ગવાહ છે કે,  ‘હું-તું’ કરનારા હણાયા છે ને ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે. કાળચક્ર કોઇપણ રીતે ફરે અંતે તો સર્વનો સમાસ કરનાર જ જીતશે, એ વિધિ નિર્માણ છે. જિનોસાઈડના પચીસ વર્ષથી હવે રવાન્ડામાં કોઈપણને પૂછો કે ‘તમારી જાતિ કઈ?” તો એક ને માત્ર એક જવાબ મળશે, ‘રવાન્ડિયન’! રવાન્ડામાં જે વસે છે તે બધા ‘રવાન્ડિયન’. આપણે પણ જો મોટા જાતિસંહાર કે નરસંહાર તરફ ન જવું હોય તો જ્ઞાતિ-જાતિના લેબલ તોડી એકમાત્ર ‘ઈન્ડિયન’ બનવું પડશે. હિન્દુસ્તાનમાં જે વસે તે બધા માત્ર ને માત્ર ‘હિન્દુસ્તાની’. નામ અનેક, પૂજા અનેક પણ જાતિ તો કેવળ ‘ઇન્ડિયન’ જ!..

1988માં મનુભાઈ  પંચોલી ‘દર્શક’ એ ‘સાચો હિન્દુ ધર્મ’ પુસ્તિકાના પ્રવેશમાં લખ્યું છેઃ કોઈ પણ લોકશાહીમાં તેના મતદારો કેળવાતા રહે તે બહુ મહત્ત્વની વાત છે. બંદૂક આપવાથી કામ પતતું નથી. બંદૂક કેમ વાપરવી તેની પણ તાલીમ આપવી અનિવાર્ય છે. નહીંતર બંદૂક નરહત્યા કે આત્મહત્યામાં વપરાય. તેવું  જ આપણા મતનું છે. આ અગત્યનું કામ આપણે કર્યું નથી ને કરવા ગયા તેમણે પ્રચાર કર્યો છે. કેવળ તટસ્થતા,  કડવી કે મીઠી પણ હકીકતોને જ પોતાના સાધન તરીકે વાપરે છે. ગમાઅણગમાને તે બાજુ પર મૂકે છે. આ નિયમ ન સમજાય ત્યાં પ્રચાર રહે અને પ્રચાર એટલે કોઈકના મગજનો કબજો લેવાનો પ્રયાસ.’ મતદારો ચૂંટણી વખતે મત આપનારા છે, પણ પછી તો તેઓ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ છે, તેઓ માતા-પિતા છે તો મિત્ર પણ છે. આવો સ્વીકાર એ બહુ મોટું ચઢાણ છે અને આવું મોટું ચઢાણ રાષ્ટ્રપ્રેમનો ઓક્સિજન માગે છે. રાષ્ટ્રપ્રેમ એટલે હું કેવળ ભારતીય, ન હિન્દુ ન મુસ્લિમ, ન ગુજ્જુ કે ન મલ્લુ, ન હું ન તું… રાષ્ટ્રપ્રેમ એટલે તું તે હું‘.

મોહમ્મદ ગઝની સાથે એક વિચક્ષણ અભ્યાસી અલબેરૂની આવેલો. તેણે તે વખતના હિન્દુ ધર્મનો અને હિન્દુઓનો સારો અભ્યાસ કર્યો હતો. તેણે બે ભારે લાક્ષણિક વાત કરેલી. તે કહેઃ હિન્દુઓ ભલા ને આતિથ્યશીલ લોકો છે, પણ તેમનામાં બે એબ છેઃ એક કે તેઓ એવું માને છે કે તેમણે બીજા પાસેથી કશું શીખવાનું નથી, તેમના વડવાઓએ બધું જાણી લીધું છે અને બીજું તેઓ પોતાને ઊંચા માની કોઇની જોડે ભળતા નથી. તેમના પૂર્વજો આવા નહોતા.’ તે વખતના ધર્મ દ્વારા આ બે એબ વિકસાવવામાં આવી છે અને આપણે આજ સુધી પોતાના કોચલામાં જ પુરાઈ રહેવામાં આપણું રક્ષણ માન્યું છે ! ધર્મના અધિપતિઓ આવ્યા ને તેમણે ‘ધર્મમાં રાજ્ય દખલ ન કરે તો…” એટલું સ્વીકારી બધું થવા દીધું. પરિણામે મંદિરો રહ્યાં, પણ દેશ ગયો, દેશ નિચોવાયો, દેશ વગોવાયો, પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોનો સાર અનુભવ્યો અને બતાવ્યું કે,બધા ઝઘડા નામના ને સ્થળકાળના છે. ધાર્મિક માણસ બધે જો ભગવાન છે તેમ કહેતો હોય તો તે બધાને માટે ઘસાય, કશાય ભેદભાવ વિના ઘસાય!’

તેમના અંતકાળે વિવેકાનંદે સમાધિસુખ માગ્યું તે ચપટીક દર્શાવ્યું ને ચોવીસ કલાક પછી તેમને જગાડ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું: ‘મને શા સારું જગાડયો? હું કેવા અપૂર્વ સુખમાં હતો?’ રામષ્ણદેવે તેને ઠપકો આપ્યો: ‘અલ્યા સ્વાર્થી, આટલા આટલા લોકો ઘોર તમસમાં છે અને તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી? હવે આ સમાધિસુખ હું તાળા કૂંચીમાં મૂકી દઉં છું. તારે જવાની વેળા આવશે ત્યારે ઉઘડશે.’  અને સમાજનું ધારણપોષણ કરવાની રીત બતાવે તેવા ધર્મનું પુનઃસંસ્થાપન થયું

એક વિશાળ ધર્મ કે જેમાં સંસાર છે, ત્યાં કર્મ છે, પણ બોજ નથી; ભક્તિ છે, પણ વેવલાઈ નથી; જ્ઞાન છે, પણ આડંબર કે ઈજારો નથી; પરંપરા મજબૂત છે છતાં સૌમ્ય છે. જ્યાં નિષેધવિરોધતિરસ્કાર કોઈનો નહીં, પણ સર્વનો આવકારસ્વીકાર ને સમાસ માત્ર છે ! પ્રજા અને રાજા વચ્ચે અદ્વૈતનો અનુબંધ રહે તેવા રાજધર્મનું પ્રભાત ખીલી રહે તેવી ઉદાત્ત ભાવના હતી, પરમહંસ શ્રી રામકૃષ્ણદેવની. શ્રી ઠાકુર ફરી ભારતવર્ષને આશિષો  આપે તેવી વિનમ્ર પ્રાર્થના.

 

 

આપણી પાછળ 5000 વર્ષોનો ઈતિહાસ છે.!!

 

 

 

 

 

 

વેદો આપણને જગતમાં સુખો અને મરણોપરાંત  સ્વર્ગનું વચન આપે છે.

શ્રીમદ ભગવત ગીતા અંગે આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.

પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને જગતમાં સુખો અને મરણોપરાંત  સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે,  જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે  તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ  કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે,  નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’  એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા  પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે

શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી. અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન  બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ  દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.

ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે  વિચારોનો એક પ્રબળ આદર્શ  અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે- સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.

(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત “ગીતા દર્શન” ના ત્રણ ગ્રંથો)

 

…ભક્તિ એટલે પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ…

 

 

 

 

 

 

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે

કોઈ એમ કહે કે,  ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે  સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ  તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.

સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’  જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ  વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.

ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ  શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી  શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક-તમુક સમુદાયનો  નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.

આપણા આધ્યાત્મિક સંત શ્રી રંગનાથાનંદજી નોંધ્યા પ્રમાણે :: સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે.  પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે,  તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.

 

આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ  સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે. (ક્રમશ:)

 

ચાલીસ પ્રશ્નોના ખોટા જવાબમાં ટીક કરો અને ડોક્ટર બનો??!!

 

 

 

 

 

 

નીટ અને જીની એક્ઝામમાં કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે??!!!

વહેલી સવારે એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના આઈસીયુ માંથી મને ફોન આવ્યો. એક યુવાન કમળાના દર્દથી પરેશાન હતો અને તેને આઈસીયુમાં ખસેડવો પડે તેવી સ્થિતિ હતી. એવા આગલા દિવસના વાવડ હતા. એ યુવાનનો ફોન મારા નંબર ઉપર જોતાં થોડીવાર મુંજાઈ ગયો. ફોન ઉપાડ્યો ત્યારે એમણે મુંજાતા એવું પૂછ્યું કે,  સર,  મને એ જાણવું છે કે, “આયુર્વેદ અને હોમિયોપેથીમાં બેચલર કરનાર ડોક્ટર હોય એ આઈસીયુમાં પણ આપણને ટ્રીટમેન્ટ આપી શકે?”  મને એમ થયું કે અત્યારે આ માથાકૂટમાં આ જુવાન  ન પડે તો સારું. એટલે મેં કીધું કે, “અત્યારે તું સાજો થઈ જા અને સાજો થઈ જા. પછી આવીને મળજે, નિરાંતે આપણે ચર્ચા કરીશું.”  થોડા દિવસો પછી એમનો ફોન આવ્યો કે,  હવે હું સ્વસ્થ છું અને તમને મળવા આવું છું. આવીને એમણે જે વાત કરી તે વાત મારા માટે પણ અજાણી હતી અને વાત સાંભળીને કદાચ સૌ ચોંકી જાય એવી વાત હતી.

એ યુવાને કહ્યું કે,  મને કમળો થયેલો અને કમળામાં વધુ ખરાબ હાલત થઈ એટલે મને આઈસીયુમાં દાખલ કર્યો.  એક દિવસ રાત્રે એક ડોક્ટર આવ્યા અને એમણે બધું તપાસીને એની સાથે જે કોઈ હોય એને સૂચના આપી કે,  આમને  એક ગ્લાસ દૂધ આપી દયો.. એટલે મેં મારી જાણકારી મુજબ કહ્યું કે,  સર,  દૂધ પીવાય ?? મને તો કમળો થયો છે… તો એણે જરા ઉડાવ જવાબ આપીને એમ કીધું કે, “ડોક્ટર હું છું કે તમે છો? દૂધ આપી દયો ભાઈને અને પીવરાવી દયો…”  એટલું કહીને જતા રહ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહતો.  બીજે દિવસે સવારના એક બીજા એટેન્ડન્ટ ડોક્ટર આવ્યા અને એમણે મારા  ડાયટનો ચાર્ટ જોઈને ઠપકાના સ્વરમાં કીધું કે,  “તમે એક દિવસ દૂધ પીધા વગર રહી ન શકો? કાલે રાત્રે તમે દૂધનો ગ્લાસ ઠપકારી દીધો.” એટલે મેં કહ્યું કે,  મેં નથી કહ્યું, રાત્રે ડોક્ટર આવ્યા હતા એમણે આ સૂચન કર્યું છે. એ કહે,  બને જ નહીં, એટલે મારા બેડ ઉપર રહેલો  ચાર્ટ  એમણે જોયો  અને જોઈને તેઓ અચંબિત થઈ ગયા. મેં એમને પૂછ્યું કે,  સર શું પ્રોબ્લેમ છે? તો એમણે  બહુ જવાબ અથવા ચોખવટ ના આપી,  પછી મેં આઈસીયુમાં જે કેરટેકર નર્સ હતી એને પૂછ્યું કે,  ગઈકાલે જે ડોક્ટર આવ્યા હતા એની ડિગ્રી શું ? તો એણે કહ્યું,  “બીએચએમએસ’  અને આજે આવ્યા તેની,, તો એણે કહ્યું “બીએચએમએસ”… એનો અર્થ એવો કે આયુર્વેદમાં અને બીજા હોમિયોપેથીમાં ગ્રેજ્યુએશન કરેલા ડોક્ટર આઈસીયુમાં મને દૂધ પાવું કે ન પાવું એની માથાકૂટમાં પડ્યા હતા. આ પ્રસંગ પછી મનમાં એ નર્સને  પણ પ્રશ્ન થયો અને મને પણ થયો કે શું આયુર્વેદ અને હોમિયોપેથી વાળા લોકો આઈસીયુ સુધી ટ્રીટમેન્ટમાં પરવાનગી ધરાવતા હશે?

એ જુવાનની વાત સાંભળી મને પણ ધક્કો પહોંચ્યો..મેં રાજકોટના બે ચાર જાણીતા એવા ફિઝીશિયન્સને પૂછ્યું અને મિત્ર દાવે ગંગારામ હોસ્પિટલ, દિલ્હીના એક પ્રખ્યાત મિત્ર સર્જન, જે ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે એની સાથે પણ આ પ્રશ્નની ચર્ચા કરી. રાજકોટના ડોક્ટર એમ કીધું કે,  હા હવે “એમબીબીએસ’ મળતા જ નથી,  એટલે આપણે કોઈ પણ ચાલે છે અને ગંગારામના ડોક્ટરે તો એવું કહ્યું કે,  સરકારનો પરિપત્ર આવી ગયો છે કે,  “એમબીબીએસ” નથી મળતા એટલે “બીએએમએસ”  ને “બીએચએમએસ” ને ડોક્ટર તરીકે સ્વીકારી લેવા. આ વાત અહીયા પૂરી થઈ ગઈ.

જે કાંઈ ધક્કો લાગ્યો  હતો તે લાગી ગયો.. ત્યાં  થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે,  નીટ અને જીની એક્ઝામની અંદર કટઓફ માર્ક  માયનસ  40 સુધી માન્ય ગણાશે. આ વાત ઝડપથી કોઈને સમજાય એમ  નથી કારણ કે,  કટઓફ તો હાઈએસ્ટ માર્કમાં કરવાનું હોય,  લોએસ્ટ માર્ક એટલે કે નીચામાં નીચા માર્ક ગણીએ  એને કટઓફ ન કહેવાય.  ઊંચામાં ઊંચા માર્કમાં તમે ક્યાંક બાંધણું કરો તો એને કટઓફ કહેવાય..  પણ સરકારના અને પ્રચાર મીડિયા પર બધી દલીલો સાંભળી ત્યારે એટલું બધું આંકચકો લાગ્યો  કે,  ભારત દેશની અંદર હવે એવો કાયદો બન્યો છે કે નીટ અને ઝી ની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી બેસે અને બીજું કાઈ ન કરે અને 40 પ્રશ્નોના ખોટા જવાબ આપી આવે તો એના માઇનસ 40 માર્ક થાય અને તેમ છતાં એ ડોક્ટર થવાના લિસ્ટમાં પસંદગીની યાદીમાં ગોઠવાઈ જઈ શકે..!!!!  બહુ જ આંચકો લાગે એવા સમાચાર છે. મેડિકલ એજ્યુકેશન સદંતર તૂટી ગયું છે,  ભાંગી ગયું છે,  એવું તો ઘણા વખતથી સાંભળતા હતા.  શિક્ષણમાં જિંદગી કાઢી છે એટલે આવી બાબતો ન ઈચ્છીએ તો પણ આપણા કાને પડી જતી હોય છે એટલે  મને થયું કે,  સરકારે શું વિચાર કર્યો છે ?? ભવિષ્યમાં ડોક્ટરો જિંદગી બચાવે એની બદલે ડોક્ટરો જિંદગી પતાવે એવો આઈડિયા એસ્ટાબ્લિશ કરવાનો ખ્યાલ છે કે શું ?? કારણ કે જેને માયનસ 40 આવે એટલે કે ઝીરો થી પણ નીચે પરીક્ષાના ગુણનું તાપમાન જાય,  40 સુધી નીચું જાય તો પણ એને પ્રવેશ મળી શકે!!! આવો કાયદો અમલમાં મુકવાની ઘોષણા થઇ છે..

એવું લાગે  છે કે,  સરકાર ડોક્ટરોની કમીને દૂર કરવા માટે પોતાની બગડેલી સિસ્ટમને સુધારવાને બદલે નાપાસ થતા અથવા તો માઇનસમાં જતા વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનાવી દઈને આપણી સમક્ષ ધાબડી દેવા માંગે છે.!! આ બાબતે બહુ હોબાળો મચાવ્યો છે, ચર્ચાઓ ચાલી છે, ટીવી ચેનલો અત્યારના ભરચક છે આ મુદ્દાથી.. પણ મને તો એક જ પ્રશ્ન છે કે,  સરકાર કોઈ નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારતી હશે કે નહી વિચારતી હોય ??  રાજ્યની કે કેન્દ્રની ચૂંટણી વખતે જેટલી ચાયત આપણા સ્વાસ્થ્ય પ્રધાન કે ગૃહ પ્રધાન કે આપણા વડાપ્રધાન કે આપણા શિક્ષણ પ્રધાન ચૂંટણી જીતવા માટેની રાખતા હોય છે,  એટલી ચાયત એ આવા બોગસ જેવા નિર્ણયો લેતી  વખતે નહીં રાખતા હોય,  નહિતર આવો નિર્ણય લેવાય જ  કેવી રીતે ??

ધર્મના નામે હોબાળો કરવાને બદલે આ મુદ્દો આંદોલનનો મુદ્દો બની શકે એટલું પોટેન્શિયલ એમાં છે.  એ દ્રષ્ટિએ જોઈએ તો આપણને સ્પષ્ટ લાગે છે કે ભારત દેશમાં તબીબી શિક્ષણને ઊંડી ખાઈમાં નાખી દેવા માટે થઈને પ્રયાસો થઈ રહ્યા છે.  ડોક્ટરોની ઘટ છે એટલે જીલ્લે જીલ્લે મેડિકલ કોલેજ ખોલો,  મેડિકલ કોલેજની સીટ વધારો અને સીટ વધારીને એટલી સીટ વધારી કે બત્રીસ કે છત્રીસ હઝાર  બેઠકો ખાલી રહેવા માંડી !!  ખાલી રહે તો એ વિચાર કરવો જોઈએ કે,  આપણે કેમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ તરફ નથી વાળી શક્યા ?  એના ગુણ કેમ ઓછા આવે છે ? વ્હેર  શુ પિન્ચીઝ ? એ ચેક કરવાને બદલે આપણે નક્કી એવું કર્યું કે, સ્તરમાં  નીચે ઉતરી જાવ અને નીચે ઉતરીને જવાય એટલા નીચે જાવ અને નપાસ થયેલાને પણ પ્રવેશ આપી અને એમને મેડિકલની એવી ડિગ્રી અપાવી દયો કે, પછી એ ડોક્ટરો કમળાના દર્દીને પણ દૂધ પાઈ દે !! ઓસ્ટ્રેલિયા જેવો એક ગુજરાત જેવડો દેશ ભારતને પ્રવેશ માટે ભયજનકની યાદી મૂકે દે છે ત્યારે ખ્યાલ આવે છે કે,  ભારતમાં ચાલતી  આવી વાત કોઈ વિદેશમાં તો આપણું નાક કપાય એવી આ સ્થિતિ કરે છે. જે બેઠક નક્કી છે એ ન ભરાય એટલે તમે જો  તમે તમારું ગુણવત્તાનું ધોરણ તળીએ લઈ જવા માંગતા હો તો,  તમને બીજું શું કહીએ ? તમને તમારી ફિલસુફી મુબારક…