વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે.” ઓશો 

હવે ઓશોએ સંન્યાસની એક નવી અને મૌલિક પરિભાષાની જાહેરાત કરી. તેમણે કહ્યું “મારા માટે સંન્યાસ એટલે ત્યાગ નહીં પણ આનંદ છે. સંન્યાસ એક ઉપલબ્ધિ છે. સંન્યાસીનો આત્મા સ્વતંત્ર છે આ માટે સંન્યાસ કોઇ મર્યાદા કે બંધન નથી. તેના માટે સંન્યાસ એ કોઈ નિયમ કે શિસ્ત નથી. તેના માટે સંન્યાસ એટલે સ્વતંત્રતાની શરૂઆત છે. વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે. તે કોઈ બંધન, શિસ્ત કે વ્યવસ્થા અપનાવતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉદંડ બની જાય છે. જે સ્વતંત્ર છે તે ક્યારેય ઉદંડ કે ઉચ્છંખલ હોતો જ નથી.”

ઓશોએ સંન્યાસની આ વ્યાખ્યા કરીને અત્યાર સુધીની માન્યતાઓ ખતમ કરી નાખી અને ભારતીય પરંપરાને પડકારી. દેખીતી વાત છે કે ભારતના સંન્યાસીઓનો એક મોટો વર્ગ અકળાઈ ગયો. જે ત્યાગ અને તપની મદદથી આ સંન્યાસીઓ ભારતીય પ્રજાની શ્રદ્ધાનો આધાર બનેલા હતા. તેને રજનીશે હલાવી નાખ્યા. પરિણામે આ વર્ગ સીધેસીધો જ રજનીશના વિરોધમાં ઉતરી પડ્યો અને આ વર્ગ સંન્યાસીઓની પરિભાષા તથા પોતાના શિષ્યોને ઉશ્કેરવામાં લાગી ગયો અને રજનીશ મોટા વિવાદનું કેન્દ્ર બની ગયા, પણ તેનાથી રજનીશને કોઈ ફરક પડતો ન હતો કે તેઓ પોતાની વ્યાખ્યા બદલી નાખે. તેઓ ત્યાં ને ત્યાં જ રહ્યા, એટલું જ નહીં પણ તેમના શિષ્યોએ રજનીશની વ્યાખ્યા, પરિભાષા મુજબ જીવન જીવીને તેમનો સાથ આપ્યો અને તેમણે પૂનાના આશ્રમની સ્થાપના કરી.

૧૯૭૪ ની ર૧ મી માર્ચે ઓશોએ પોતાના ‘સંબોધિ દિવસ’નો ઉત્સવ બે જગ્યાએ ઉજવ્યો. સવારે મુંબઇના વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં અને સાંજે પૂનામાં. આ સાથે જ રજનીશના પૂના આશ્રમનો વિધિવત પ્રારંભ થયો. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યાના બરાબર 21 વર્ષ પછી એટલે કે 1974ની 21 માર્ચે ઓશો કોરેગાંવ પાર્ક, પૂના આવી જાય છે અને ત્યાં કાયમી વસવાટ કરીને પોતાનાં કાર્યો તથા વિચારોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી જાય છે. આ એ કાર્યો અને વિચારો છે જેનું સ્વપ્ન તેમણે વર્ષોથી નિહાળ્યું હતું. પોતાના અગાઉના અનુભવને આધારે ઓશોએ પોતાની કાર્યપદ્ધતિમાં ઘણાં પરિવર્તન કર્યા. અગાઉ તેઓ કોઈ પણ વ્યક્તિને સરળતાથી મળતા હતા અને ઘણાં લોકોને મળતા હતા. ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે સરળતાથી મળી લેવાને કારણે તેઓ કોઈની મદદ કરી શકતા ન હતા. જે હંમેશાં ઉપલબ્ધ રહે છે તે હકીકતમાં કયારેય ઉપલબ્ધ હોતા નથી. આમ તેમણે લોકો માટે પોતાની મુલાકાત અઘરી બનાવી દીધી. હવે રજનીશને મળવા માટે તેમની શિષ્યા મુક્તા પાસે તારીખ અને સમય લેવો પડતો હતો. ખરેખર તો આમ કરવા પાછળ પણ રજનીશની એક સમજેલી -વિચારેલી યુક્તિ જ હતી. તેઓ માનતા હતા કે મળવાનો સમય નક્કી હોવાને કારણે મુલાકાતના સમય સુધી ખાસ્સો સમયગાળો મળી રહેતો હોય છે અને તેમાં જ ઘણી સમસ્યાનું સમાધાન જાતે જ મળી જાય છે. તેમનું માનવું હતુ કે મળવાની જિજ્ઞાસા જ ઘણું બધું મેળવી આપે છે.

ઓશો પૂના આશ્રમના લાઓત્સુ ભવનમાં રહેતા હતા. આ વર્ષના એપ્રિલમાં ગીતા ઉપર પ્રવચન આપવાની શરૂઆત કરી. ઓશોને કુદરતની વચ્ચે રહેવું વધારે પસંદ આવતું હતું. આથી તેમના આશ્રમમાં પક્ષીઓ અને વૃક્ષોની ભરમાર હતી. તે માત્ર બગીચો નહીં પણ એક રીતે જંગલ જ હતું. જે ઓશોને માફક આવતું હતું.

આ જ સમયે ઓશોએ જાહેર કરી દીધું કે તેઓ હવે તમામ માટે નહીં પણ કેટલાક પ્રમાણિક સાધકો માટે જ કાર્ય કરશે. ઓશોએ પહેલી વાર એક કામ કર્યુ અને તે એ કે ધ્યાનકક્ષમાં તેઓ ખુદ બેસતા ન હતા. તેમના સ્થાને તેમની ખાલી ખુરશી ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન લગભગ સાત વર્ષ સુધી રજનીશ દરરોજ સવારે આશ્રમમાં જ લોકોને પ્રવચન આપતા હતા. આ દરમિયાન તેમણે અનેક રહસ્યવાદી આધ્યાત્મિક સાધુઓ અને સંતો અંગે પ્રવચન આપ્યાં જેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું હતું. ઓશો બીજે દિવસે પ્રશ્નોના જવાબ આપતા હતા. આ ગાળામાં પ્રવચનની સંખ્યા એટલી બધી વધારે રહેતી હતી કે દર ૧૦ થી ૨૦ દિવસ વચ્ચે પ્રવચન અંગે એક પુસ્તક પ્રગટ કરાતું હતું. આ પ્રવચનોના સંકલન સ્વરૂપે લગભગ ૨૪૦ પુસ્તકો પ્રકાશિત થયાં.

ઓશો મનોવિજ્ઞાનની ત્રણ રીતમાં માનતા હતા. પહેલી રીત પશ્ચિમની છે. જે માનસિક રૂપના રોગીના મન પરના અધ્યયન અને વિશ્લેષણ પર આધારિત છે. બીજી પદ્ધતિ પૂર્વ દેશ એટલે કે ભારતીય પદ્ધતિ છે જે સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિઓના મન પર આધારિત છે. ત્રીજી પદ્ધતિને ઓશો બૌદ્ધોના મન પર આધારિત માને છે. જે હજી સુધી થઇ શક્યું નથી. કેમકે તેના અધ્યયન માટે આટલા બધા બૌદ્ધો એક સાથે કયાંથી મળી શકે. ઓશોએ પોતાના ધ્યાનપ્રયોગને બૌદ્ધોનું મનોવિજ્ઞાન એવું નામ આપ્યું છે.

પૂના આશ્રમમાં ઓશો પોતાના સાધકોને સંન્યાસની દીક્ષા આપવા લાગ્યા. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે સંન્યાસ લેવા આવે તો પહેલાં તો તેની ઉર્જાને પારખવામાં આવતી હતી. એ પછી તેઓ કોઈ એક પોઈન્ટને સ્પર્શ કરતા અથવા તો ઉર્જા ઉપર ફોકસ કરતા હતા. ક્યારેક ક્યારેક તેઓ તેના ત્રીજા નેત્રને પણ સ્પર્શ કરતા. તેના પરિણામે તે સંન્યાસીના શરીરમાં કંપન થવા લાગતું. ક્યારેક તો આ કંપન એટલી હદે વધી જતુ કે તે વ્યક્તિના મૂળમાંથી અલગ અને અસ્પષ્ટ અવાજો નીકળતા હતા. ક્યારેક તે સંન્યાસી પોક મૂકીને રડવા માંડતો હતો. જ્યારે આ ઉર્જા ચરમસીમાએ પહોંચી જતી તો સંન્યાસી બેભાન થઈને પડી જતો અને તેને સત્યના ટેકાની જરૂર પડતી હતી.

ધીમે ધીમે આ પૂના આશ્રમ દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો. આ સાથે આશ્રમનો ફેલાવો કરવો પડયો. ૧૯૭૬ માં તેમાં ઘણાં ભવનો બની ગયાં અને આ ભવનોના નામ ઓશોએ બુદ્ધ પુરુષોના નામ પરથી રાખ્યાં. જેમકે આવાસ માટે ફ્રાન્સિસ, જીસસ, એકહાર્ટ ભવન, કૃષ્ણ ભવન, ધ્યાન માટે રાધા હોલ, ચ્યાંગત્સુ ભવન, ચૈતન્ય થેરાપી ચેમ્બર્સ, કૃષ્ણા, વૃંદાવન અને મરિયમ કેન્ટીન વગેરે. જોતજોતામાં આ આશ્રમે એક વ્યવસ્થિત ઓફિસનું રૂપ ધારણ કરી લીધું અને તેના વિભાગો અલગ પાડીને તેને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. તમામ વિભાગ પ્રમાણિકતાથી કામગીરી કરવા લાગ્યા.

તો પછી પૂનાનો આશ્રમ ખરેખર શું છે? માનવીની પૂર્ણ સ્વતંત્રતાના ઓશો પ્રબળ હિમાયતી હતા અને આ ધરતી પર તેમણે એ જગ્યા બનાવી જ્યાં મનુષ્યને સંપુર્ણ સ્વંતત્રતા મળતી હતી અને દરેક પ્રકારની આઝાદી. અહીં આવીને કોઈએ પણ કોઈનાથી કાંઈ પણ છુપાવવાની જરૂર ન હતી. તમે જેવા છો તેવા રહો અને જે કરવા ઈચ્છો છો તે કરો. આથી જ અહીં એક જ સ્થળે કોઈ ગીત ગાતું, કોઈ પુસ્તકમાં ડૂબેલું હોય તો કોઈ ડાન્સ કરતું હોય. કોઈ વાંસળી વગાડતું હોય તો કોઇ વળી તિરંદાજીની પ્રેક્ટિસ કરતું હોય. આથી જ એ જોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કયાંક વળી બે વ્યકિત આલિંગન આપીને બેઠેલી પણ જોવા મળે.

વાસ્તવમાં આ સ્થળ અત્યાર સુધીના પ્રચલિત અને પરંપરાગત આશ્રમથી અલગ જ નહીં પણ સાવ ઉલટો આશ્રમ જ હતો. આ આશ્રમ ભાષા, જાતિ, ધર્મ, પ્રાંત, દેશ કે નર-નારીનો ભેદ જાણતો જ ન હતો. અહીં કોઇ પણ પ્રકારની રોક-ટોક ન હતી. અહીં કોઈ માલિક નથી કે કોઈ નોકર નથી. અહીં કોઈ વ્યક્તિ કોઇની પાછળ ચાલતી નથી પણ બધાં પોતાની જ પાછળ, ચૂપચાપ ચાલે છે, કેમકે અહીંની મુખ્ય ભાષા મૌન છે. આથી જ આશ્રમમાં તમને નીરવ શાંતિનો આભાસ થશે. કદાચ એટલે જ અહીં આવનારી વ્યક્તિનું રુદન ગીતમાં અને તરફડાટ નૃત્યમાં ફેરવાઈ જાય છે. (ક્રમશ:)