
ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેઓએ કહ્યું કે, “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલું જે મેં કર્યા જ નથી.”
એક દિવસ રજનીશ પોતાના મિત્રને ત્યાં આરામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ જ એરેસ્ટ વોરંટ વિના તેમની ઘરપકડ કરી દેવાઈ. તેમને ૧૨ દિવસ સુધી અમેરિકાની છ જેલોમાં રખાયા અને અલગ અલગ પ્રકારની તફલીફો, યાતનાઓ આપવામાં આવી. અમેરિકાના તમામ શિષ્યો અને વકીલ એ વાતથી દંગ હતા કે શા માટે ઓશોને જામીન અપાતા નથી. જયારે ખૂની અને હત્યારાઓને પણ જામીન અપાય છે. આ દરમ્યાન જેલમાં ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું જે ધીમે ધીમે અસર કરે છે અને મોડેથી થયેલી તપાસમાં એ વાતને સમર્થન પણ મળ્યું કે, રજનીશના જીવનનો અંત આ ઝેરને કારણે આવ્યો હતો. જેલમાં રજનીશને રેડિયેશનમાંથી પણ પસાર કરાયા હતા.
જેલમાં ઘકેલ્યા પછી રજનીશ ઉપર એકસો છત્રીસ જેટલા મનઘડંત આક્ષેપો લગાવવામાં આવ્યા. રજનીશના શિષ્યોમાં કેટલાક વકીલો હતા. તેઓ સરકારની મેલી મુરાદ જાણી ગયા હતા. તેમણે અનુમાન લગાવ્યું કે ઓશોના જામીન મંજૂર થશે નહીં અને આ મામલે દસ વર્ષ અથવા વીસ વર્ષ સુધી દલીલબાજી ચાલતી રહેશે. અમેરિકામાં ઓશોના જીવનનું પણ જોખમ હતું. આવી પરિસ્થિતિમાં એવો ઉપાય વિચારવામાં આવ્યો કે ૧૩૬માંથી રજનીશ કોઈ પણ બે ગુના કબૂલી લે તો તેમને જામીન મળી જાય અને તેઓ અમેરિકાની બહાર નીકળી જાય.
ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેમનું કહેવુ હતું કે “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલુ જે મેં કર્યા જ નથી.” પરંતુ તેમના શિષ્યો પગે પડી ગયા અને વિનંતી કરવા લાગ્યા કે અમને તમારી હાજરીની જરૂર છે. શિષ્યોની વિનંતી સામે ઓશો ઝુકી ગયા અને બે ગુના કબૂલી લીધા. પહેલો એ કે અમેરિકામાં તેમણે ઘણા શિષ્યોનાં બનાવટી લગ્નો કરાવ્યાં હતાં. બીજો ગુનો એ હતો કે તેઓ અમેરિકામાં કાયમી વસવાટનો ઈરાદો ઘરાવતા હતા અને મજાની વાત એ છે કે આ બંને ગુના માટે ઓશો ઉપર ૬૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જે આ ગુનાઓને જોતાં ઘણો વધારે હતો પરંતુ તેમના શિષ્યો માટે વધારે નહતા. શિષ્યોએ ગણતરીની મિનિટોમાં ૬૦ લાખ રૂપિયા જમા કરાવી દીધા. આમ ૧૯૮૫ની ૧૭મી નવેમ્બરે ઓશો ભારત આવી પહોચ્યા. અહીં હજારો ભારતીય સંન્યાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. પત્રકાર પરિષદ બાદ તેઓ પોતાના પ્રિય સ્થળ મનાલી પહોંચી ગયા.
રજનીશે આવી જ વિશાળ મશાલ પ્રગટાંવી હતી જેને કારણે તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધું ત્યારે ના થયું જ્યારે રજનીશ તેમના વિરોધીની આંખમાં કણાની માફક ખૂંચતા હતા પંરતુ ત્યારે થયું જ્યારે તેઓ ફકત સાત વર્ષના બાળક હતા. તેમની સાથે બે વખત આમ બન્યું. બીજી વખત તેમના નોકર ભુરાએ હવામાં ગોળીબાર કરીને અપહરણકારોને ભગાડી મૂક્યા ત્યારે બન્યું હતું.
જે લોકોએ રજનીશની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમાંની એક વ્યક્તિ પાછળથી તેમની સંન્યાસી બની ગઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે રજનીશ મુંબઇમાં વુડલેન્ડના પોતાના રૂમમાં એકલા જ લોકોને સંન્યાસ લેવડાવતા હતા. ઓશોએ જ્યારે એ વ્યક્તિને પૂછ્યું કે “તું મને શા માટે મારવા માગતો હતો? તું મને તેનું કારણ જણાવી દે તો હું અત્યારે જ શ્વાસ લેવાનો બંધ કરી દઈશ.” આ સાંભળીને તે સંન્યાસી રજનીશના પગમાં પડી ગયો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેણે એટલું જ કહ્યું કે “હું શું કહું ? કહેવા માટે કાંઈ નથી, હું પાગલ થઈ ગયો હતો.”
એવું ન હતું કે મૌખિક રીતે જ ઓશોનો વિરોધ થતો હતો. ઘણી વખત તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા. એ તો આપણે જોઇ ચૂક્યા છીએ કે તેમના મૃત્યુનું કારણ પણ ઝેર જ હતું. જે સોક્રેટિસના મૃત્યુનું પણ એક કારણ હતું. જો કે આપણે ઓશોના જ વિચારોને આધાર બનાવીએ તો કહી શકીએ છીએ કે લગભગ તમામ બુદ્ધ પુરુષોએ સાચી વાત કહેવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. બુદ્ધ પાછળ પાગલ હાથી દોડાવાયો હતો. ઈસા મસીહને શૂળીએ ચડાવી દેવાયા હતા, તો સરમદ અને મનસુરની ગરદન કાપી નખાઈ હતી. જ્યાં સુધી સોક્રેટિસનો સવાલ છે ત્યાં સુધી તેમનું મૃત્યુ તો ઝેર પીવાને કારણે થયું હતું. ફરક એટલો હતો કે સૉક્રેટિસ જાણતા હતા કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે જ્યારે રજનીશ જાણતા ન હતા.
રજનીશના વિરોધનો પ્રારંભ ત્યારથી થઈ ગયો હતો જ્યારથી તેમણે જાહેરમાં બોલવાનું શરૂ કર્યુ. ૧૯૬૬ માં ફરીદાબાદના એક સર્વધર્મ સંમેલનમાં તો તેઓ શંકરાચાર્ય સામે સીધા જ ટકરાઈ ગયા હતા. પરિણામે તેમની ઉપર હુમલો કરવા માટે ત્રણ ગુંડા મોકલવામાં આવ્યા. કહેવાય છે કે, જૈન સમાજ ઉપર ઓશોની સરખામણીએ પોતાનો પ્રભાવ ઘટેલો જોઈને એક જૈન મુનિએ ઓશોના પ્રવાસ દરમિયાન તેમની હત્યા કરવા માટે ચાર ગુંડા મોકલ્યા હતા. ૧૯૬૯ની ૧૩મી ફેબ્રુઆરીએ વડોદરામાં વિશાળ જનમેદનીમાંથી કોઈ વ્યકિતએ ઓશો તરફ જૂતાં ફેંક્યાં હતાં જેની સામે રજનીશે જવાબ આપ્યો હતો કે “વ્યકિતએ ચંપલ ફેક્યું છે તેનો અર્થ એ છે કે તે મને કાંઈક કહેવા માગે છે. હું તેને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું છું અને તે મને તર્કમાં હરાવી દે તો હું મારી હાર કબૂલી લઈશ. તેમણે પોતાનું એક ચંપલ ફેંક્યુ છે તો સ્ટેજ પર બીજુ ચંપલ પણ ફેંકે અથવા આ ચંપલ પાછું લઈ જાય જેથી તેનો યોગ્ય ઉપયોગ તો થઇ શકે.”
૧૯૬૯માં જ પટણામાં… બીજું હિન્દુ ધર્મ સંમેલન થયું ત્યારે ઓશોએ હિન્દુ ધર્મનાં વર્ણ અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કરતાં પુરીના શંકરાચાર્ય ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા. ઓક્ટોબર ૧૯૭૦માં ઓશો ધ્યાન શિબિર માટે અમૃતસર ગયા તો ઘણા લોકોએ તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા. ‘રજનીશ મુર્દાબાદ’ ના નારા પણ લગાવવામાં આવ્યા પણ ત્યાંના કેટલાક લોકોએ આ દેખાવકારોનો વિરોધ કર્યો તો તેઓ ભાગી ગયા.
૧૯૮૦ની ૨૨મી મેએ ઓશો ઉપર જીવલેણ હુમલો થયો. એ વખતે તેઓ બુદ્ધ હોલમાં પ્રવચન આપી રહ્યા હતા. તેમની સામે એક વ્યક્તિએ છૂરો ફેંક્યો હતો પરંતુ તે નિશાન ચૂકી ગયો અને રજનીશ બચી ગયા.
મુંબઈ પહોંચ્યાના બીજા દિવસથી ઓશોએ પોતાના દૈનિક પ્રવચન શરૂ કરી દીધા અને મીડિયામાં પણ તેમની મુલાકાતો પ્રકાશિત થવા લાગી. ઓશો અહીં લગભગ પાંચ મહિના રહ્યા અને સતત સરકારના દબાણ તથા કેટલાક અસામાજિક તત્ત્વોની ધમકીનો સામનો કરતા રહ્યા અને અંતે ૧૯૮૧ પછી ૧૯૮૭ની ચોથી જાન્યુઆરીએ ફરીથી પોતાના એ શહેરમાં આવી ગયા જયાં તેમણે પોતાના સૌપ્રથમ પ્રસિદ્ધ આશ્રમની સ્થાપના કરી હતી અને જે શહેર આજે પણ એક રીતે રજનીશના નામનો એક પર્યાય છે. આ શહેર છે પૂણે જેને લોકો વાતચીત અને બોલચાલમાં પૂના કહે છે.
રજનીશ સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શક છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો. (ક્રમશ:)
