
એકત્ર ફાઉન્ડેશન અને શ્રી અતુલ રાવલ
ગુજરાતી ભાષા માટે આર્કાઇવલ અને એક્સેસિબિલિટીનો અદભૂત સફળતા પામેલો ભાવનામંત્ર
શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા આજે પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન-2026 શ્રી અતુલ રાવલ અને શ્રી રાજેશ મશરૂવાળા અને એકત્ર ફાઉન્ડેશનને અર્પણ થઈ રહ્યું છે, ત્યારે ઝડપથી ઓળખી લઈએ એ વ્યક્તિવિશેષોને અને તે સંસ્થાને કે જે આપણી માતૃભાષાને અમેરિકામાં બેસીને સંવર્ધિત કરી તાહ્ય છે.
મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકા જઈને વસેલા યુવાન શ્રી અતુલ ગોવિંદભાઈ રાવલ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના શ્રી ગોવિંદભાઈ રાવલ અને વિશ્વમંગલમ, અનેરાના સુમતીબેન રાવલના પુત્ર તે અતુલ રાવલ. ત્યાં વિચારો તો સ્વદેશ અને સ્વભાષાના જ આવે એટલે તેમની માન્યતા બંધાણી કે, માનવીના જીવનનું કોઈ સ્વપ્નું, ખૂબ નિષ્ઠાભર્યા અથાગ પરિશ્રમ બાદ સાકાર થાય ત્યારે માનવીના મનમાં જે આનંદનો આવિર્ભાવ થાય તે અવર્ણનીય હોય છે. આ આનંદ, ખુશી અને સંતોષ તો આપે જ છે પરંતુ જીવનને નવા ઉત્સાહ અને ઉમંગથી પણ ભરી દે છે. આ ઉત્સાહ એને નવા સ્વપ્નાં આપે છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દોરી જાય છે.
એકત્ર ફાઉન્ડેશનના તંત્ર-સંવાહક અતુલભાઈ રાવલ સાથે વાત કરતા બસ મને લાગ્યું કે, એમના જીવનમાં પણ આવો જ એક મુકામ આવ્યો છે કે, જેના કારણે એમનું જીવન સંતોષ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. જેમના મૂળિયાં ગુજરાતમાં છે પણ કર્મભૂમિ અમેરિકા છે તેવા અતુલભાઈ રાવલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર તેમના મનોભાવને સ્પષ્ટ વાંચી શકાતા હતા. એમના સ્વપ્નાં અને સિદ્ધિઓની વાત એમના મુખેથી જ સાંભળીએ:
‘‘માનવીનું જીવન માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષા સંયોજનથી ઘડાય છે. માતૃભાષામાં રચાયેલું સાહિત્ય આપણા વિટંમણાઓથી ભરેલાં જીવનમાં સમજ અને આનંદને ટકાવી રાખવા માટેનું બળ પૂરું પડે છે. આપણી ગુજરાતી ભાષા વિશ્વમાં બોલાતી અસંખ્ય ભાષાઓમાં પ્રથમ ત્રીસ માં ઊંચા સ્થાને છે. પરંતુ આજે ગુજરાતમાં મોટા ભાગે બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો માહોલ બની ગયો છે અને પરદેશમાં તો ત્યાં જન્મેલી પેઢી માટે ગુજરાતી જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે. સમયાંતરે આપણા સાહિત્યનો પ્રસાર સંકોચાતો જાય છે. આ અંગે હું વિચારતો હતો ત્યારે સ્મૃતિપટ ઉપર દેખાયું કે આપણી પુરાણી અગણિત હસ્તલિખિત પ્રતો તો નાશ પામી છે પરંતુ આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓ પણ આપણે સાચવીને ઓનલાઇન લાવી શક્યાં નથી. ગુજરાતના ગ્રંથાલયોમાં તમને પુસ્તકો મળશે પણ મોટા ભાગના જૂના અને સમૃદ્ધ પુસ્તકોના પાના પીળા પડી ગયેલાં છે. વળી, બધું સાહિત્ય એક સાથે મેળવવું લગભગ અશક્ય છે. એક બાજુ આવી સ્થિતિ છે અને બીજી બાજુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ ‘અને ગૂગલે દુનિયાભરના અપ્રાપ્ય અને જૂના, લાખ્ખો પુસ્તકો સ્કેન કરી દુનિયાભરના લોકો માટે વિજાણુ માધ્યમથી વિના મૂલ્યે વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. ૧૨ વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી પુસ્તકો માટે આવું કેમ ના કરી શકીએ? આ સ્વપ્નું મારો સંકલ્પ બની ગયો. આ વિચારને મૂર્તિમંત કરવા મિત્રો સાથે મળી અમે ૨૦૧૨મા ‘એકત્ર ફાઉન્ડેશન’ની સ્થાપના અમેરિકામાં કરી અને નોન-પ્રોફિટ ટ્રસ્ટનું રજિસ્ટર કરાવ્યું.”
અતુલભાઇનો સંકલ્પ હતો કે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને પ્રશિષ્ટ રસપ્રદ પુસ્તકોને વિજાણુ – ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરના ગુજરાતી વાચકોને પોતાના મોબાઇલ, આઇપેડ કે કોમ્પ્યુટરમાં વાંચી શકાય તેવી સુવિધા આપવી. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને મમતાને કારણે ૨૦૦ વર્ષથી પણ જુના અને સાથે સાથે તદ્દન નવા સંપાદનો પણ આંગળીના વેઢે હાથવગાં બનાવ્યાં છે. આ સિવાય દુર્લભ પુસ્તકો કાયમ માટે ઉપલબ્ધ રહે એ એમનો બીજો હેતુ પણ અગત્યનો છે.
એમણે પુષ્પોના ગજરાની જેમ, ગુજરાતી સાહિત્યનો ગજરો બનાવી જગતભરના ગુજરાતી લોકો માટે જાણે કે એક અદભૂત ખજાનો ખોલી આપ્યો છે. તેમના સંગ્રહમાં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, અનુવાદો, મુલાકાતો, સ્મરણો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ગાંધી સાહિત્ય, વિવેચન, નાટક, નિબંધ, પ્રવાસ અને બાળ સાહિત્ય પણ સમાવિષ્ટ છે. આ બધું તમારી હથેળીમાં મળી જાય એવી એપ બનાવી છે જે તમે તમારા ગેઝેટમાં ડાઉનલોડ કરી લો અને મન થાય ત્યારે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મનભરીને માણી શકો. અનેક પ્રશ્નોના ઉત્તરનો સાર એમના શબ્દોમાં માણીએ:
“મારી પાસે વિચાર હતો પણ શરૂઆતમાં સાથીદારોની સંખ્યા ઓછી હતી એટલે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ઘણાં મિત્રો અને સાહિત્ય રસિકો સહાય માટે આગળ આવ્યા છે એટલે સરળતા વધી છે. અમે જે પુસ્તકો કોપીરાઇટ ના ધરાવતાં હોય કે લેખકની મંજૂરી મળે તેવાં પુસ્તકોનું નવેસરથી ટાઈપિંગ અને સ્કેનિંગ કરીએ છીએ. આ સ્કેન પુસ્તકોને Optical Character Recognition technology ના માધ્યમથી મૂળ સ્વરૂપે મૂકીએ છીએ. ઓનલાઇન કરવા જુદા જુદા પ્લેટફોર્મની સહાય લઈએ છીએ. હું ટેકનોલોજીમાં રસ ધરાવતો માણસ છું એટલે કળા અને ટેકનોલોજીનો જ્યાં મેળાપ થાય એવી ભૂમિ મને ગમે છે. જેમ કે પાંચ જુદા જુદા પુસ્તકોમાં પડેલી ૨૫ વર્ષોની સામયિક લેખ સુચિની વિગતોને રિલેશનલ ડેટાબેઝની મદદથી શીર્ષક, કર્તા, સમીક્ષક, વિભાગ અને સામયિક પ્રમાણે મળી રહે તે પ્રમાણે ઓન લાઇન મૂકી છે.
અત્યાર સુધીમા ૫૦૦૦થી વધુ ઉત્તમ સાહિત્યમાંથી પસાર થઈ ૫૦૦ જેટલાં પુસ્તકો અમારી એપ અને વેબસાઈટ પરથી વાંચી શકાય છે. અમારો આશય વેચવાનો નથી પરંતુ વહેંચવાનો છે એટલે ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોની પસંદગી ચાખી ચાખીને કરીએ છીએ. અમે સાહિત્યની જૂથબંધી અને વિવાદોથી પર રહી કામ કરીએ છીએ કારણ કે અમારે આપણી માતૃભાષાના પુસ્તકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી છે. મેં કહ્યું તેમ અમારો ભાવમંત્ર છે ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસરાવવી. અમારા પ્રેરકબળ છે: આર્કાઇવલ અને એક્સેસિબિલિટી. અત્યારના ચાલી રહેલાં થોડાં પ્રકલ્પોની વાત કરું. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં આપણી નોંધપાત્ર નવલકથાઓમાંથી ૨૫૦ પસંદગીની નવલકથાઓનો પરિચય આપવાનું કામ હમણાં જ આટોપાયું. ઉપરાંત ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, કાવ્ય-આચમન શ્રેણી, અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા, શક્ય એટલાં સાહિત્યિક સામયિકોને સ્કેન કરી સૂચિઓ બનાવવી, વડોદરાના યુવાનો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઓડિયો રેકોર્ડિંગ, તથા ‘ગ્રંથસાર’– વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કેલીડોસ્કોપ તૈયાર કરવો વગેરે…
ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોનાં ઈ-રૂપાન્તરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈ. ૨૦૧૧માં અમે પહેલો ઈ-ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં અમે ઉત્તમ સર્જકોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ ઉપરાંત ૩૦૦ ઉપરાંત પુસ્તકો હાલ પ્રકાશન-પ્રક્રિયામાં છે. અમને હવે સમજાયું છે કે, the future of books lies in audio. એટલે ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ-વાર્તા, નિબંધ, પ્રવાસનિબંધ અને અંગત નિબંધો ઑડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન વાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઑડિયોબુક્સની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઈઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હવે, અમે તેમાં ઇન્ટરએક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્યિક કામોને ઑડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.”
અતુલભાઈની આટલી લાંબી યાત્રા પ્રેરક છે. એમને પરિશ્રમનો થાક નથી, કારણ કે અસંખ્ય વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પુસ્તકો વાંચી અનહદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અભ્યાસુ માટે અહીં અપાર સામગ્રી છે. આપણા વિશાલ સાહિત્યના બધાં જ વિભાગોમાંથી નોંધપાત્ર સામગ્રી અહીં મળી રહી છે. અતુલભાઈ જાણે છે કે છપાયેલું પુસ્તક દૂરના વાચક સુધી નહીં પહોંચે એટલે ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે. એકત્ર ઉપર પ્રીતિ સેનગુપ્તાનું પુસ્તક ‘આમંત્રિત ‘વાંચી શકો કે જે કદાચ બજારમાં લેવા જઈએ તો ન મળે!
અતુલભાઈનું કાર્ય મોટો ખર્ચ માંગી લેનારું છે પણ અહી એક નવતર વાત બની છે. પહેલા કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીનો વાસ સાથે સાથે નથી હોતો પરંતુ અહીં સરસ્વતી પૂજક અતુલભાઈને કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન રાજેશ મશરૂવાળાનો જબરજસ્ત સાથ મળ્યો છે. કેલિફોર્નયામાં વસતા રાજેશભાઈએ એકત્રનો ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીજી ખુદ સરસ્વતીની સાથે વસી ગયા છે. ધન્ય છે ગુજરાતીને જીવંત રાખવા અને લોકોપયોગી બનાવવાના અતિ પરિશ્રમ કરનાર અતુલભાઈ અને એમના સખાવતી રાજેશભાઇને…. સંપર્ક: અતુલભાઈ રાવલ: atulraval@ektrafoundation.org : https://www.ekatrafoundation.org
