પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો.” 

અહીંથી રજનીશના જીવનના એ કાળની શરૂઆત થઈ. જેણે પહેલાં તો રજનીશને ‘ભગવાન રજનીશ’ બનાવ્યા અને પછી ‘ઓશો રજનીશ’ બનાવ્યા. મગ્ગાબાબાએ તેમને બોલવાનું કહ્યું હતું અને રજનીશે આ આદેશનું પાલન કરવાનું જ હતું એટલે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને બોલવાનો નિર્ણય લીધો. કેમ કે તેઓ જાણતા હતા કે ઘરે બેસી રહેવાથી કોઈ સાંભળવા નહીં આવે.

રજનીશના મનમાં સંપતિ અંગે બાળપણથી જ ઉપેક્ષાનો ભાવ રહ્યો હતો. જ્યારે હકીકત એ છે કે તેઓ પોતાના નાનાને ત્યાં વૈભવમાં મોટા થયા હતા. એ વાત અલગ છે કે તેઓ વૈભવથી દૂર ભાગતા રહ્યા અને વૈભવ તેમની પાછળ ભાગતો રહ્યો. એક રીતે તેઓ વૈભવની વચ્ચે રહીને વૈભવશાળી બન્યા નહીં. જો કે તેમણે પોતાનું જીવન ભવ્ય રીતે વિતાવ્યું. ઓશોએ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં તેમને અખૂટ સંપત્તિ મળી રહી હતી પરંતુ તેમણે ક્ષણભરમાં તેને ઠુકરાવી દીધી. આ પ્રસંગ મધ્યપ્રદેશના ભોપાલની રિયાસતની બેગમના મહેલનો પ્રસંગ છે.

રજનીશ જ્યાં મોટા થયા હતા તે ગાડરવાડા પણ ભોપાલની રિયાસતમાં આવતું હતું. એ વખતે ભોપાલ એટલે નાનકડું રજવાડુ હતું અને તે બ્રિટીશ સલ્તનતના તાબામાં હતું. ત્યાંની બેગમ રજનીશની નાનીને ખૂબ માનતી હતી અને આ જ કારણે રજનીશનો પણ આદર કરતી હતી. ઓશોએ કહ્યું હતું કે, આ પ્રસંગ એ દિવસોનો છે જ્યારે તેમણે હિમાલય જવાનું નક્કી કરી નાખ્યું હતું. એ જ દિવસે ભોપાલની બેગમના પુત્રનો રજનીશ પર ફોન આવ્યો અને કહ્યું કે તમે ઈચ્છો તો બેગમ તેમનો મહેલ તમને આપવા તૈયાર છે. રજનીશ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. કેમ કે ત્યાં સુધી ભોપાલનું રજવાડું ભારતમાં ભળી જવાને કારણે બેગમ પાસે ખાસ કોઈ સંપતિ બચી ન હતી. તેમની પાસે એક હજાર એકર જમીન અને આ મહેલ જ રહ્યો હતો.

જો કે રજનીશે સ્પષ્ટ જવાબ આપી દીધો કે મેં હવે હિમાલય જવાનો નિર્ણય લઈ લીધો છે એટલે આ પ્રકારની ઓફરનો સ્વીકાર કરી શકું તેમ નથી. આ ઉપરાંત રજનીશના આ જવાબ પાછળનું બીજું કારણ કદાચ એ હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી મધ્યપ્રદેશમાં જમીન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કેટલાક રાજકારણીઓને કારણે તે શક્ય બનતું ન હતું. આમ આ કડવા અનુભવને કારણે પણ તેમણે ઓફર ફગાવી હોઈ શકે. તેમને ખબર હતી કે આ ઓફર તેમણે સ્વીકારી લીધી તો હજારો મુશ્કેલીઓ સામે આવશે. રજનીશની આ દહેશત સાચી પણ પડી, કેમ કે તેમણે ઈનકાર કર્યો એ પછી ઘણા લોકો આ મહેલ હડપવા તૈયાર થઈ ગયા હતા.

તેમનામાં હંમેશા એકાંતની ભૂખ સવાર થયેલી રહેતી હતી. કેમ કે એકાંત તો બાળપણથી જ તેમનો માનસિક અને આત્મિક ખોરાક હતો. આથી જ તેમને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ સમય કાઢીને જબલપુર ભાગી જતા હતા. ૧૫-૨૦ દિવસ બહાર રહ્યા પછી ત્રણ-ચાર દિવસ જબલપુર પહોંચી જતા અને ફરીથી પ્રવાસ શરૂ થઈ જતો. હકીકતમાં જબલપુર તેમનું પ્રિય સ્થળ હતું. આમ તો તેઓ જબલપુરમાં ઘણાં વર્ષ રહ્યા હતા તેમ છતાં ત્યાં તેમને મળવા ભાગ્યે જ કોઈ જતું હતું. પરિણામે ત્યાં તેમને એકાંત મળી જતું હતું. જે તેમના માટે મહત્ત્વની બાબત હતી.

આ સમયમાં ઓશો સમગ્ર દેશમાં ‘આચાર્ય’ રજનીશ તરીકે ઓળખાતા હતા. એ સમયમાં તેમનાં પ્રવચનો પર આધારિત જે પુસ્તકો આવ્યાં તે પણ ‘આચાર્ય’ રજનીશના નામથી જ આવ્યાં હતાં. તેમણે નક્કી કર્યું કે ગામડે ગામડે જઈને ૧૦૦ લોકોને એકઠા કરશે. તેમને ધ્યાન અંગે એટલું શિક્ષણ આપશે કે તે તમામનો આત્મા એવરેસ્ટ જેટલો ઊંચો થઈ જશે. રજનીશના આ નિર્ણયના બે મુખ્ય આધાર હતા. પહેલું તો સ્વામી વિવેકાનંદનું એ વાક્ય જેમાં તેમણે કહ્યું હતું કે, “મને મારી સાથે કામ કરવા માટે ૧૦૦ લોકોની જરૂર છે.” તેમને વિશ્વાસ હતો કે જો તેમને એવા ૧૦૦ લોકો મળી ગયા તો તેઓ દુનિયાને બદલી નાંખશે. બીજો આધાર તેમની એ માન્યતા હતી કે બધા લોકો બદલાય તેનાથી દુનિયા બદલાતી નથી. આમ કોઈ ખાસ સમયમાં કેટલાક આત્મા જ ઉપર ઊઠે છે અને તેમનો એવો જબરદસ્ત પ્રભાવ હોય છે કે એ યુગ એક સુવર્ણયુગ બની જાય છે.

એ પછી પોતાના પ્રવાસો દરમિયાન તથા વિવિધ પ્રવચન દરમિયાન રજનીશ એ અનુભવ કરવા લાગ્યા કે “હું ૫૦ હજાર અથવા એક લાખ લોકોને સંબોધિત કરતો પણ મેં જોયું અને અનુભવ્યું કે લોકોનાં ટોળાં મારી વાતો સાંભળી તો લે છે પણ સમજી શકતાં નથી. તેઓ મને પ્રેમ તો કરે છે પણ મારી વાતો સમજી શકતાં નથી, કેમ કે તેમને મારી બોલવાની સ્ટાઈલ પસંદ છે પણ તેઓ જિજ્ઞાસુ નથી.” આનાથી રજનીશને ઘણી નિરાશા થઈ. તેમણે એક વખતના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, એ પછી તેમણે નહીં બોલવાનો નિર્ણય જ લઈ લીધો હતો.

એક વાર તેઓ કૃષ્ણ અંગે પ્રવચન આપી રહ્યા હતા. જ્યારે કૃષ્ણના રસપ્રદ પાત્ર અંગે વાત થતી હતી ત્યારે કેટલાક લોકો તેમની તરફ પીઠ ફેરવીને આરામથી ચાલ્યા જતા હતા. આ જોઈને રજનીશ અકળાયા. તેમને વિશ્વાસ બેસી ગયો કે આવી જગ્યાએ બોલવાનો કોઈ અર્થ નથી. તેમણે અધવચ્ચે જ પોતાની વાત અટકાવી દીધી અને સ્ટેજ છોડીને ચાલવા માંડ્યા. જ્યારે અધ્યક્ષે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો તો આચાર્ય રજનીશે કહ્યુંહું હંમેશાં માટે જઇ રહ્યો છું, કાયમ માટે જઈ રહ્યો છું.” અને તેઓ ખરેખર ચાલી નીકળ્યા. પણ બધા લોકોથી નહીં. આવા લોકો સાથે વાત કરતી વખતે રજનીશને લાગતું હતું કે તેઓ દીવાલ સાથે  વાત કરે છે. તેઓ સાંભળતા હતા પરંતુ તેઓ અર્થ પકડી શકતા ન હતા. તો હવે રજનીશ શું કરે ? તેઓ બોલવાનું તો બંધ કરી શકે તેમ ન હતા. આથી તેમણે નિર્ણય લીધો કે એક સ્થળે રોકાઈ જાય અને માત્ર એવા લોકો સાથે વાત કરે જે સમજવા માંગે છે અને માત્ર સમજવા જ નહીં પણ બદલાવા પણ તૈયાર છે. પરિણામે તેઓ આશ્રમ સ્થાપવાની દિશામાં આગળ વધ્યા.

ઓશો સતત ધ્યાન ઉપર પ્રયોગ કરતા આવ્યા હતા અને ૧૯૭૭ના એપ્રિલમાં તેમણે લોકોને ધ્યાનની એક ક્રાંતિકારી પ્રક્રિયાથી પરિચિત કરાવ્યા. આ વિધિને તેમણે ‘ઓશો સક્રિય ધ્યાન પ્રયોગ’ નામ આપ્યું. થોડા સમય પછી તેમણે કુંડલિની જાગ્રત કરવા માટે આ વિધિનો પ્રયોગ કર્યો. કુંડલિની જાગરણ સાથે સંકળાયેલો આ સૌ પ્રથમ ધ્યાન પ્રયોગ હોવાને કારણે વિવાદાસ્પદ પણ રહ્યો.

રજનીશનો આ પ્રયોગ મૂળ તો વિશ્રામમાં ચાલ્યા જવાનો પ્રયોગ છે. વ્યક્તિ કાં તો સીધી વિશ્રામમાં જાય અથવા તો અપ્રત્યક્ષ રીતે વિશ્રામમાં જાય. રજનીશ પહેલા સીધા જ વિશ્રામમાં જવાની તરફેણ કરતા હતા, કેમ કે એ તેમને સરળ માર્ગ લાગતો હતો, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે તે ભ્રમ હતો. સામાન્ય વ્યક્તિ માટે આ બાબત કઠિન હતી. આ માટે તેમણે વિશ્રામમાં ચાલ્યા જવાની પરોક્ષ રીત જારી કરી. આ વિધિ મુજબ પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો. ભૌતિક રીતે આ બાબત એ સિદ્ધાંત પર આધારિત છે કે પરાકાષ્ઠા પછી અથવા તો ચડાવની ચરમસીમા પછી ઉતારની શરૂઆત થાય છે. (ક્રમશ:)