બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.!!! 

રાજકોટને આંગણે બાર વર્ષ પછી શ્રી રામકથા થઇ રહી છે ત્યારે જિજ્ઞાસાવશ ઘણા ભાવકો પ્રશ્નો પુછાતા હોય છે. પ્રિય બાપુનો અનુગ્રહ છે કે તેઓએ આપણને પોતાની કરુણા સાથે સાંકળ્યા છે એટલે પૂછનારની પણ અપેક્ષાઓ હોય તે સમજી શકાય. સદભાવના સંસ્થા જે રીતે કથા યોજે છે તે તો બરાબર છે પણ બાપુ કેટલીક કથાઓ કોઈ ઉદેશ્યને લાભાર્થે કરતા હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષાન્તે બાપુએ લોકભારતી સણોસરા ખાતે જે કથા કરી તે એવી કથા હતી કે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેનાર કોઈ યજમાન હતા. હવે તે તો અમેરિકા નિવાસી હતા. એમ જ આદિતીર્થવાસીઓ માટે બાપુએ કરુણા સાથે કથા ખાંડા ખાતે યોજવાનો સંકલ્પ કર્યો તે કથાનું ખર્ચ પણ અમેરિકાવાસી યજમાને માંગ્યું  હતું.

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો પચાસ  હજાર  લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે, એવો અંદાજ છે.

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે પચાસ હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં યથાર્થ સાબિત થાય  એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.

બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુ સલાહ કરે છે. આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે.

બાપુ પોતે ઘણીવાર કહે છે કે,મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય. કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ બધું  વર્ણન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે કે, બાપુએ જે પરિવારને લોક્ભારતીની કથાના અને ખાંડા ની કથાના યજમાન તરીકેની  જવાબદારી જેમના શિરે મૂકી તેમણે જે તે કથા પૂર્ણ થાય તે પહેલા બીજી કથા બાપુ ક્યારે આપો છો, એવું પૂછીને વિનંતી કરી !! એક ત્રીજા પુરુષ એક વચન તરીકે હું આ વિગત જાણું છું ત્યારે મને ચોક્કસ લાગે છે કે, બાપુને જેવા યજમાન કે મનોરથી મળે છે તેવા અન્ય કથાકારોને ભાગ્યે  જ મળતા  હશે. 

કથાના આયોજનની આટલી વિગ તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.