જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.
“એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.
જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને એ સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.
આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું જે ધ્યેય પરમાત્માને મળવાનું છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે, આ આદત પણ એક યુક્તિ છે.
બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે, તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને પરમાત્મા સાથે એને જોડી દેવાનો પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.
અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે, દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે, જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.
