ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાતમાંથી ત્રણ સર્જકો કચ્છના !! અરે, પુરસ્કૃત  બે યુવાનો તો સોનીકામ કરે છે ને ઉત્તમ સર્જક છે !!

તાજેતરમાં અમદાવાદ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહમાં સાક્ષીભાવે જવાનું થયું. પ્રસંગ હતો ધૂમકેતુ નવલિકા-પુરસ્કાર પ્રદાન કરવાનો. જ્ઞાનપીઠ સર્જક શ્રી રઘુવીર ચૌધરીની વરિષ્ટ નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન ધૂમકેતુ  પરિવાર અને ગુર્જર પરિવાર દ્વારા થયું. 2016 થી 2023 સુધીના સાત વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્યને મળેલ નવલિકાઓમાંથી વર્ષવાર ઉત્તમ નવલિકાઓને પુરસ્કૃત કરવામાં આવી. ધૂમકેતુ જી ના પુત્રી અને પૌત્રીની હાજરી સ્મરણ માર્ગે દોરી ગઈ. પ્રત્યેક સર્જકનો અને તેમની પુરસ્કૃત નવલિકાનો પરિચય પ્રખર વાર્તાકાર શ્રી કિરીટ દુધાતે આપેલ.

નોંધવા જેવી ત્રણ  બાબતો અંગે ખાસ ધ્યાન દોરવું છે :

આ કાર્યક્રમના આયોજક ગુર્જર પરિવાર છે એટલે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે સન્માન પ્રાપ્ત નવલિકાઓના પ્રકાશકોમાં એક પણ પુસ્તક ગુર્જર  પ્રકાશનનું નથી, તે સાદર નોંધવું રહે. સાહિત્યના ક્ષેત્રમાં પારદર્શકતા ગુર્જરે આચરી બતાવી, કારણ ગુર્જર સાહિત્ય પ્રકાશન ક્ષેત્રમાં શતાબ્દી વટાવી  ગયેલ છે.

પુરસ્કૃત સાત સર્જકોમાંથી ત્રણ કચ્છના સર્જકો હતા. અંજારના અજય સોની (તેંત્રીસ વર્ષ), અંજારના જ જયંત રાઠોડ ( અઠઠાવન વર્ષ) અને ભુજ કચ્છના રાજેશ અંતાણી (પંચયોતેર વર્ષ). કચ્છમાંથી યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ એમ માનવજીવનની ત્રણેય અવસ્થાઓ ધૂમકેતુ પુરસ્કારથી નવાજવામાં આવી તે દર્શાવે છે કે સાહિત્ય સર્જનને ઉંમરનો કોઈ બાદ નથી.

સાતમાંથી બે સર્જકો વ્યવસાયે સોની કામ કરે છે અને તેઓ ઉત્તમ સર્જક તરીકે પુરસ્કૃત થયા છે. મૂળ અંજારના અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે વાર્તા, નિબંધ, કોલમ, નવલકથા અને સંપાદનો પણ કર્યાં  છે. અમદાવાદના વિજય સોની ઇન્સ્ટ્રુમેન્ટશન એન્ડ કંટ્રોલમાં ઇજનેરીનો ડિપ્લો મેળવીને સોનાના  દાગીના બનાવવાનો કૌટુંબિક વ્યવસાય કરે છે. સોનીકામ કરતાં કરતાં વિજયે વાર્તાઓ અને નવલિકાઓમાં અનેક પુરસ્કૃત પ્રદાન કરેલ છે. શ્રી રમણલાલ સોની ગુજરાતી સાહિત્યનું ગુરુવર્ય નામ પણ તેઓ વ્યવસાયે સોની ન હતા. સાહિત્ય સર્જનને વ્યવસાયના બંધનો રોકી શકતા નથી, તે આનું નામ.

સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્ય રણપ્રદેશનું  સાહિત્ય કહેવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે.

ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌ પ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. આમ દરિયાઈ અને રણ પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે. અને આથી ઉપર ઉઠીને, વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. ડૉ. ધીરેન્દ્ર મહેતા  અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. તો ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.

આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણય કથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે.

કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. ટૂંકી વાર્તામાં ડૉ. જયંત ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.

૨૦૦૧ માં થયેલા ભૂકંપ વિષયક સાહિત્ય પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની કે પાણીની કે અન્ય સમસ્યાની વાત ન કરી હોય. કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.

કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ પછી  ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે.  ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે.

બાલવાર્તા લેખનમાં તો મૂળ કચ્છના આજીવન શિક્ષક ઈશ્વર  પરમારનું પ્રદાન દિલ્હી સાહિત્ય  અકાદમી દ્વારા પણ પોંખાયું છે અને હજુ પણ એ દ્વારિકાવાસી ઈશ્વર ઝીણું ઝીણું કાંત્યા જ કરે છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.

સાતમાંથી ત્રણ કચ્છી સર્જકો સનમાન પામ્યા તે જાણી ઉમળકો આવ્યો એટલે સાહિત્ય વિહાર કર્યો તો જાણવા મળ્યું કે, સાહિત્યમાં પણ કચ્છડો બારે માસ  છે !!