રોહીન્ટન નરીમન કેરાવાલાએ નવ વર્ષ લડત આપી પણ સાવ સહજ ભાવે,,જાણે કાંઈ બન્યું જ નથી !!
******************************************************************
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
==========================================================

અસહાય પરિસ્થિતિમાં માણસ આનંદીત રહી શકે ખરો ? લગભગ ૯ વર્ષ હાથ-પગ ચલાવી ન શકાય, ૫૦ વર્ષની ઉંમરથી ૫૯ વર્ષની ઉંમર સુધી નર્સીગ સ્ટાફની મદદથી બધા જ સંદેશ વ્યવહાર કરવાના , અરે, આજે શું ખાવું છે તે ઘર આખા માટે નક્કી કરવાનું તેમજ બધા સાથે ફોન ઉપર વાત કરવાની અને આ પાછો નિયમિત ક્રમ !! શક્ય છે ?? નહીં ને,, પણ રોહીન્ટન માટે આ બધું સહજ હતું. આવૈ લાગશે પણ, દિવસમાં બે થી ત્રણ સારા પિક્ચર જોવા અને અગત્યની સિરીયલો જોવી એ પણ એનો નિત્યક્રમ હતો.

નાની ઉંમરમાં બે’ક વર્ષની ઉંમરે તેને મેનેન્ઝાઈટીસ થયો અને પરિણામે અભ્યાસમાં વિઘ્ન આવ્યું , છતાં તે મહેનત કરીને એસ.એસ.સી. પસાર થયો. આ શક્ય બન્યું કારણ કે એમના માતુશ્રી વ્યવસાયે શિક્ષક હતા અને તેથી એમને મૂળભૂત વાંચવા, લખવા અને સમજવાની જરૂરીયાત તો મારા પાસે જ પુરી થાય. ડાબા પગમાં ચાલવાની થોડી તકલીફ રહી ગયેલી. અમદાવાદના અંધજન મંડળમાં સેવાભાવ કર્યો અને થોડો હુન્નર શીખ્યો ત્યારે આનંદ અને ઉલ્લાસ સાથે એવા પ્રજ્ઞાચક્ષુઓ સાથે તેણે મૈત્રીના સંબંધ કેળવ્યા. તે પરગજુ એટલો કે પોતાની પાસેથી કોઈ નાની વસ્તુ કોઈને ગમે તો તુર્ત જ તે આપી દેતો.

લગભગ ૪૮ – ૪૯ વર્ષની ઉંમરે તેના પગમાં અને હાથમાં તાકાત ઓછી થવા માંડી. તપાસ કરતાં માલુમ પડયું કે મેનેન્ઝાઈટીસની પગને જે અસર થયેલી અને કરોડરજ્જુનો જે સ્તંભ હોય તે ધીમે ધીમે ખવાઈ ગયો. હવે ધીમે ધીમે હલનચલન મુશ્કેલ થવા માંડયું. સ્વાભાવિક રીતે તેમના માતુશ્રી અને બહેનને ચિંતા થવા લાગી અને ભારતના નિષ્ણાંત ડોક્ટરને પણ આ અંગે પુછવામાં આવ્યું તો એમ.આર.આઈ. દ્વારા જાણવા મળ્યું કે આનું ઓપરેશન તો લગભગ અસંભવ છે અને તે બધું ખોલવા જતાં બાકીની ચેતનાઓ પણ ગુમાવી દેવાય એવું બને અને ભય રહે કે વ્યકિત જીવીત ન રહે.

ભગવાને આપણા શરીરની એવી સુંદર રચના કરી છે કે કરોડરજ્જુ અને મગજ દ્વારા આપણા શરીરના દરેક અંગોને સૂચના મળતી હોય છે. રોહીન્ટનની હાથપગ ચલાવવાની શકિત ક્ષીણ થવા માંડી અને એક તબક્કે એવી પરિસ્થિતિ આવી કે અમદાવાદની સ્ટર્લીગ હોસ્પીટલમાં શ્વાસ લેવાની તકલીફ માટે ઈમરજન્સી રૂમમાં તેને દાખલ કરવામાં આવ્યો. ઈમરજન્સી ટીમના વડા ડૉ.પ્રતિભા દિલીપ અને તેમની ટીમે ત્રણ-ચાર દિવસ પછી કુટુંબને કહ્યું કે તેના ગળામાં એક સાધન બેસાડવું પડશે કે જેના દ્વારા એ વાત કરી શકે. ધીમે ધીમે ઓક્સીજન દ્વારા ફેફસાંમાં સતત શ્વસનતંત્રને ધબકતું કરવાનું શક્ય બન્યું. આ પધ્ધતિને મેડીકલ ભાષામાં ટ્રેકીયોસ્ટોમી કહેવામાં આવે છે અને એક બાયપેપ મશીન દ્વારા શરીરમાં ઓક્સીજન જાય અને તેને પરિણામે વ્યકિત શ્વસનતંત્ર ચાલુ રાખી શકે. તેમના માતુશ્રી અને બહેન દ્વારા ૨૪ કલાકનો વારાફરતી નર્સીગ સ્ટાફ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે ઓક્સીજનની જરૂર ઓછી થતી ગઈ અને બોલવાનું પણ વધવા માંડ્યું. જો કે, ડોક્ટર્સ એવું માનતા હતા કે એક ફેફસાંમાં અસર થઈ હોવાથી અને હાથપગ ન ચાલતા હોય લાંબો સમય આ દર્દી કાઢી શકશે નહીં.

રોહીન્ટનની જવામર્દીની વાત હવે શરૂ થાય છે. એમણે આનંદથી અસહાય પરિસ્થિતિમાં પોતાની રીતે દુઃખમાં મોજ માણી અને જીવન પસાર કર્યું. આ નવ વર્ષમાં કોઈપણ દિવસ એમણે કોઈ કાગારોળ મચાવી નહી અને કોઈ નિરાશા કે અફસોસ કર્યો નહીં. તેમનાથી પથારીમાં પણ હલનચલન થઈ શકાતું ન હતું. કોઈને કોઈ ફિઝીયોથેરાપીસ્ટ નિયમીત રીતે એમને હાથપગની કસરત કરાવવા આવતા હતા તેની સાથે પણ હસતાં હસતાં એ બધું કરતા. દરરોજ તેમના બેન પુછે કે આજે શું ખાવું છે તો એ એની ફરમાઈશ કરે. બધું ખાવાની છૂટ હતી પણ કોઈએ ખવડાવવું પડતું. જો કોઈનો સવારનો ગુડ મોર્નીગનો મેસેજ અથવા ફોન ન આવે તો એ સામેથી કહેતા કે ‘ગુડ મોર્નીગ કેમ કર્યું નહીં ?’. તેમનું કામ ઘડીયાળના ટકોરે ચાલતું અને સમયસર એમનું શરીર સાફ કરવામાં આવતું. સમયના ટકોરે ફિઝીયોથેરાપી અને ભોજન લેવામાં આવતાં અને પછી થોડો આરામ કરીને હિન્દી અને સબટાઈટલવાળા બીજી ભાષાના પિક્ચરો પલંગમાંથી જ જોવાનાં. એમને ફિલ્મી સંગીતનો અને ખાસ કરીને કિશોરકુમાર તથ્ય અન્ય કલાકારોના ગીત સાંભળવાનો એટલો શોખ હતો (કે તેમના નિધન બાદ તેમનો ફિલ્મ-સંગીતનો સમગ્ર સંગ્રહ જયારે એક વિડીયો – ઓડીયો લાયબ્રેરી ચલાવતા ભાઈને આપ્યો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને એમનાથી સહજ કહેવાય ગયું કે, “વાહ દોસ્ત તું તો મારાથી આગળ નીકળી ગયો”. એમને લાગ્યું કે આ એવા ફિલ્મ સંગીતનો સંગ્રહ છે કે જે ભાગ્યે જ કોઈની પાસે મળે. આ સંગ્રહ તેમને અમે ભેટ તરીકે આપ્યો ત્યારે તેને સ્વીકારતાં તેઓ ગળગળા થઈ ગયા.)
એમને ધીમે ધીમે મોટુ સ્કીન અને હેડફોન પણ આપવામાં આવ્યા. દર દોઢ – બે મહિને ટ્રેકીયોસ્ટોમી બદલવાવાળા ડોક્ટર આવે તો તેને નાસ્તો કરાવ્યા વગર તે જવા ન દે. તેમના માહરૂકબેને ઓફિસે જવું કે નહીં તેની અસમંજસમાં હતા ત્યારે તેમને કહ્યું, “જાઓ અને સાંજે સમયસર આવજો.” તેમનો ભાણો ઉર્વાક્ષ તેમને અતિપ્રિય હતો. તેને લંડન, સીંગાપોર અને દુબઈ જવું પડ્યું પરંતુ મામો-ભાણેજ નિશ્ચિત સમયે ઓડીયો – વિડીયો દ્વારા વાત કરે અને દિવસ દરમ્યાન તેમના દિલમાં જે વાતો કહેવાની હોય તે કરે અને એ વાત પછી એ ઘણા આનંદમાં આવી જાય. એમને દરેકનું હુલામણું નામ પડવાનો શોખ હતો. જ્યારે તેમને ખબર પડી કે નિયમીત કપડાં નહીં પહેરાય ત્યારે તેમણે તેમના બધાં જ કપડાં એમના નસીંગ સ્ટાફને ભેટ આપી દીધાં. એમને જે કોઈ મળવા આવે તેમની સાથે હંમેશાં વિનોદમાં રહેતા. બધાંના જન્મદિવસ એ આનંદથી ઉજવે અને કોઈ દિવસ પોતાના ભાગ્યની અને પોતાના શરીરની વાત ન કરે.

જેને આપણે ‘જીજીવિષા’ કહીએ છીએ તે તેમનામાં ભારોભાર અને ફરીયાદ નામનો શબ્દ એમના શબ્દકોષમાં જ નહીં. આ રોહીન્ટન નરીમન કેરાવાલાની સેવા – સુશ્રુષા તેમના માતુશ્રી ઝરીનબેન અને બેન મારૂકબેન કરતા. કમનસીબે એમના માતુશ્રીને પાછલી ઉંમરે અલ્ઝાઈમરનો રોગ થયો. જયારે ડોક્ટરોએ જણાવ્યું કે હવે લાંબું નહીં ખેચી શકે ત્યારે એમના માતુશ્રી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે, મારા દિકરા પહેલાં મને લઈ લેજે અને ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. બે જ વખત ભાઈ રોહીન્ટનની આંખમાં આંસુ જોયેલા તે ૧૯૯૯ માં જયારે તેમના પિતાશ્રી અવસાન પામ્યા અને ર૦૦૧ માં જયારે એમના માતુશ્રી અવસાન પામ્યા.
માતા સાથેનો દીકરાનો નાતો કેવો દિવ્ય હશે કે માતાની વિદાય પછી બરાબર એક અઠવાડીયા પછી રોહીન્ટને દુનિયાથી વિદાય લીધી.
આ વ્યકિતનો નવ વર્ષનો સંઘર્ષ જે લોકો માંદા હોય અને ટર્મીનલ માંદા હોય તેના માટે બોધપાઠ જેવો છે. ન કોઈ ફરીયાદ કરવી અને જીંદગી માણવી એ જવામર્દીની કહાની છે.
એ સાચું છે કે ‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં. ગંભીર માંદગી પછી તો જીવન માં વર્ષો કે દિવસો નહીં ઉમેરવાના, પણ વર્ષો અને દિવસોમાં જીવન ઉમેરાતા રહેવાનું.