હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા.’

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com

                                              (40)

ભગવાન શ્રી કૃષ્ણ જયારે એમ કહે છે કે,  ‘મુજ વાસુદેવમાં તેઓ નિરંતર રમ્યા કરે છે’, ત્યારે તે યાદીમાં તેઓ આટલા વ્યક્તિત્વોને જોડે છે:

૧) નિરંતર મારામાં મન પરોવી રાખનારા

૨) મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો

૩) મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા

૪) ગુણ અને પ્રભાવ સહિત મારું કથન નિત્ય, નિરંતર સંતોષી રહેનારા છે એ સદાય મારામાં જ રહે  છે.

ભગવાન કહે છે કે, “નિરંતર  મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા હોય અને પ્રેમથી ભજનારા હોય એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું કે જેનાથી એ ભક્તો મને જ પામે છે. તમે જો પૂર્ણ રીતે સમર્પિત થાઓ તો ઈશ્વર પણ પૂર્ણરૂપે તમારી પાસે આવી વસે છે.” ભગવાન કહે છે કે,  “હે અર્જુન, મેં હમણાં વર્ણવ્યા તે અનુગ્રહ કરવા માટે એમના અંત:કરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનથી જન્મ થયેલા અંધકારને ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દિપક દ્વારા નષ્ટ કરવાની જવાબદારી લઉં છું.” અર્જુન બોલ્યા કે, ‘ભગવાન આપની બધી વાત સાચી છે. હું સંમત છું. આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમપવિત્ર છો, કારણ કે આપને બધા જ ઋષિજનો, સનાતન દિવ્ય પુરુષો, દેવોના આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે, એવું જ દેવર્ષિ નારદ, અસિત, દેવલઋષિ મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને આપે મને પણ કહ્યું છે તો હવે હે કેશવ,  મને આપ જે કંઈ  કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા. આપ કહો છો તે શબ્દો  બધા બરાબર છે પણ આપ કેટલી લીલા કરો છો અને લીલામય સ્વરૂપ શું છે તે કોઈ જાણતું નથી. તેથી હે સર્વના સર્જનહાર, હે સર્વભૂતોનાં ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરષોતમ, આપ પોતે પોતાના વડે પોતાને જાણો છો પણ આપ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણ કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ સકળ લોકોને વ્યાપી રહ્યા છો.’  અર્જુન કહે છે હે યોગેશ્વર,  હું ક્યાં પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું ? આપ ક્યા ક્યા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો આ મને સમજાવો. હે જનાર્દન, પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, મને અસંતોષ રહે છે. આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને જાણે તૃપ્તિ જ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજીયે વધતી જ રહે છે એટલે હે જનાર્દન, આપની આ લીલા સ્વરૂપની અને સમગ્ર વિભુતિતત્વની વાત વર્ણનપૂર્વક મને કહો.’ 

શ્રી ભગવાન કહે છે, “કુરુશ્રેષ્ઠ,  હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું. કારણકે મારા વિસ્તારનો તો અંત જ નથી. કેટલું કહું તને ! કેટલું ન કહું પણ મુખ્ય મુખ્ય વિભૂતિઓ મારી દિવ્ય વિભૂતિઓ છે તેનો ટૂંકમાં સાર આપું.” એ કહે છે કે, તેં  તો નિંદ્રાને ત્યજી છે. એ નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. સર્વભૂતિનો આદિ હું છું, મધ્ય હું છું અને અંત પણ હું જ છું. હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલિ સૂર્ય છું. તથા ૪૯ વાયુદેવતાઓનું તેજ અને નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા હું પોતે છું.”  ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ સ્વરૂપે પોતાનું વર્ણન કરતા જાય છે અને કહે છે કે, “વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓની ચેતના એટલે કે એની જીવન શક્તિ જ હું છું. (આ પ્રાણીમાં આપણે પણ આવી જઈએ.) હું ૧૧ રુદ્રમા શંકર છું. યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું ૮ વસુઓમાં અગ્નિ છું. અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું. પુરોહિતોનો મુખ્ય બૃહસ્પતિ હું છું, તું મને એ રીતે ઓળખ. હે અર્જુન, હું સેનાપતિઓમાં સ્કંદ  અને જળાશયોમાં વિશાળ સમુદ્ર છું.  હું મહર્ષિઓમાં ભૃગુ  અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર ૐકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું.” (આ જપયજ્ઞ શબ્દ આવ્યો એના વિષે એક જ વાક્યમાં એટલું ઉમેરવું પડે કે, કળિયુગની અંદર કોનો મહિમા વધશે ? ત્યારે જવાબમાં કહેવાયું છે કે, કળિયુગમાં નામજપનો એટલે જે જપયજ્ઞનો બરાબર મહિમા વધશે કારણ કે કર્મો દ્વારા, વચન દ્વારા જે નહીં થઇ શકે એ સતત જપ એટલે કે ઈશ્વર સ્મરણથી થઇ શકશે.) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, “બધા વૃક્ષોની વાત કર તો પીપળાનું વૃક્ષ હું છું, દેવર્ષિઓની વાત કર તો નારદમુનિ હું છું. ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિધ્ધો થઇ ગયા એમાં કપિલમુનિ પણ હું છું. તું એમ કહે છે પ્રાણીમાત્રમાં હું વસું  છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચે:શ્ર્વા નામનો અશ્વ હું છું. ગજેન્દ્રો એટલે કે હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યમાં રાજા હું છું, માટે એ રીતે તું મને ઓળખ. હું શસ્ત્રોમાં વજ્ર  અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું. (શાસ્ત્રોક્ત પ્રકારે બરાબર અહીં સમજવું પડશે. ‘શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો હેતુ છે એ કામદેવ હું છું.’ અશાસ્ત્રીય રીતે જો વાસના પૂરી કરવા કામનો ઉપયોગ કરવામાં આવે તો એમાં એ નથી. આ સ્પષ્ટતા ખાસ જાણી લેવા જેવી છે.) સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણદેવતા હું છું. તેમજ પિતૃઓમાં અર્યમા  નામનો પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ હું છું. (નાગ અને સર્પ એ બે પ્રકારની સર્પોની જ જાતિઓ છે.) ભગવાન કહે છે, “કેટલું જાણવું છે તારે.? હું દૈત્યોમાં પ્રહલાદ છું અને ગણના કરનારાઓનો  સમય છું. પશુઓમાં મૃગરાજ સિંહ છું અને પ્રાણીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું, માછલીઓમાં મગર છું અને નદીઓમાં ભાગીરથી ગંગાજી હું છું. હે અર્જુન, આ  બધી જ સૃષ્ટિનો આદિ કહે , અંત કહે કે મધ્ય કહે જે કહે તે બધું હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું. અક્ષરોમાં આકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, અક્ષયકાળ એટલે કે કાળનો ય મહાકાળ અને સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ભરણપોષણ કરનાર કોઈ નથી, પણ  હું છું.”