તું જેને ગાળ દઈને ગયો તે હું આજે જીવતો નથી અને તું પણ ગઈકાલે હતો તેનો તે માણસ તું આજે નથી.

ભદ્રાયુ વછરાજાની          bhadrayu2@gmail.com 

                    (27) 

 `શ્રીમદ ગીતાજી આપણને યાદ અપાવે છે કે, દરેકે દરેક ક્ષણ જન્મે છે ત્યારે એક જૂની ક્ષણ મરી જાય છે. રોજ રાત પડે ને આપણે સુઈ જઈએ છીએ એટલે આપણે મૃત્યુ પામીએ છીએ અને બીજે દિવસે સવારે ઉઠીએ છીએ ત્યારે નવો જન્મ લઈને આપણે ઉઠીએ છીએ. સ્પષ્ટ વાત છે કે તમે જે પળ વિતાવી એ ફરી આવવાની નથી. શ્રી માતાજી કહે છે કે,  ‘એ પળ ફરી આવવાની નથી,  હા, નવી  પળ જરૂર આવશે પણ તે એ  પળ નહીં હોય’ અને પરિણામે દરેક પળને એવી રીતે જીવવી જોઈએ કે આ હવે આખરી પળ છે. 

બહુ જાણીતી વાત છે. એક સંત હતા એને કોઈએ ખુબ ગાળો દીધી. આજુબાજુના શિષ્યોને બહુ ચિંતા થઇ પણ થયું એવું કે બીજે દિવસે એ ગાળો દેનારો માણસ પસ્તાવો પામ્યો એટલે એણે આવીને એ સંતની માફી માંગી લીધી. પણ સંતે એને આશ્વાસન આપતા કહ્યું કે તું જેને ગાળ દઈને ગયો તે હું આજે જીવતો નથી અને તું પણ ગઈ કાલે હતો તેનો તે માણસ તું આજે નથી. એટલે કે તારે માફી માંગવાની જરૂર નથી.’ 

પ્રત્યેક ક્ષણ જો એક અર્થમાં પુનર્જન્મની ક્ષણ હોય તો પછી કેવું જીવવું, કેટલી માત્રામાં જીવવું એ એક ક્ષણનો યોગ છે અને એ પ્રત્યેક ક્ષણે આપણે યાદ રાખવું પડશે કે હવેની ક્ષણ કદાચ મારી છેલ્લી હોઈ  શકે. નિર્ભયપણે મરણનો વિચાર કરીને તેનો તોડ  કાઢવાની હિંમત માણસ કરતો નથી. પરિણામે એ મૃત્યુથી આઘો આઘો ભાગ્યા કરે છે. આ તો કેવું છે કે, હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણ છે ચપળ પણ તેનું જોર ક્યારેક તો ઓછું પડે જ છે. એક પળ એવી આવે છે કે હરણ થાકી જાય છે, પણ પેલો વાઘ એટલે કે પેલું મરણ પાછળ પાછળ આવતું હોય છે. એ જયારે નજીક આવી પહોંચે ત્યારે પેલા હરણની કેવી સ્થિતિ થાય ? વાઘ તરફ જોઈ ન શકાય અને આગળ ભાગી ન શકાય. જમીનમાં મોઢું અને શીંગડા ખોસીને આંખ મીંચીને ઉભા રહી જવું પડે. અને મનોમન કહેવું પડે કે,  ‘આવ ભાઈ હવે મને ઝટ માર…’ બસ,  આવી જ હાલત છેલ્લી મિનિટે આપણી ન થાય તેવું કહેવા માટે આઠમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. 

અહીં બહુ જ સ્પષ્ટ રીતે કહેવાયું  છે કે,  તમે કોઈ પણ સ્વરૂપે વેદ જાણનાર હો કે ન જાણનાર હો, આસક્તિ સાથેના હો કે આસક્તિ વિનાના હો,  તમે જેમ જીવ્યા હો ગમે  તેમ પણ તમારે એક વખત તો મરણ પામવાનું છે એ નિશ્ચય રાખો.  એટલા માટે આઠમા અધ્યાયના આગળના ૧૧ થી ૧૪ શ્લોકની અંદર કેવી રીતે મરણ પામો તો હું તમને તાત્કાલિક મળી શકું ?  એ વિશેની   કેટલીક વાત શ્રી કૃષ્ણ  આપણને કરે છે.

‘હે અર્જુન,  બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર,  મને પામ્યા પછી પુનર્જન્મ થતો નથી. કારણ કે હું કાલાતીત  છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત છે તેથી અનિત્ય છે. બ્રહ્માનો એક જ દિવસ એટલે  સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ ચાર યુગના એકહજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એની રાત્રી પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર્યુગના સમય જેટલી,  જેઓ આ  તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. આપણે આટલા ઊંડા ઉતરી શકવાના નથી. અર્જુનને કહે છે કે,  હે અર્જુન,  અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમગતિ કહે છે. અર્જુનને વધુ એક સંબોધન કરે છે,  હે પૃથાપુત્ર,  સર્વભૂતો છે જે સચ્ચિદાનંદ પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન એટલે કે કાયમ ટકી રહેનારું અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાશે. અનન્ય ભક્તિનો સીધો અને સાદો અર્થ એ, ‘બીજું નથી તે એક માત્ર.’ 

અર્જુનને બે મુક્તિ માર્ગ શેઇ ભગવાન દર્શાવે છે :  

  1. જે સમયે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે તે કાળ અને
  2. જે સમયે શરીર છોડીને જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળ … એટલે કે બેય માર્ગો હું તને દર્શાવું છે. તને યોગ્ય લાગે તે માર્ગ ઉપર તું આગળ વધ..

ખૂબી જુઓ કે, ભગવાન બે માર્ગનો નિર્દેશ કરીને પછી આપણા પર છોડે છે કે,  તને યોગ્ય લાગે તે માર્ગ તું પસંદ કર. (ક્રમશ:)