

પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું !!
જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે.
“ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !” ચાચાજી ગુરુ દયાલ મલિક
“……સાંજનો વખત હતો. હું સમુદ્રના કિનારે અપાર ખામોશીની સાથે એવી રીતે બેઠો હતો કે જાણે હું ખુશ હોઉં અને આ ખામોશીમાં હું એકદમ સલામત હોઉં. જાણે કે એક નાનકડું બાળક પોતાની મા ની ગોદમાં બેઠું હોય અને નિરાંત જીવે નીડરતા અનુભવતું હોય !!. મને એવું લાગી રહ્યું હતું કે હું બાદશાહોના બાદશાહના ખુબસુરત દેવીમહેલના એક એકાંતને માણી રહ્યો છું.
એકાએક કોઈએ મને અંદરથી પૂછ્યું, “કેમ મિયાં, આરામનો અર્થ તને માલૂમ છે ?” આ સવાલ સાંભળીને હું જરા હસી પડયો, કારણકે મેં પોતાની જાતને કહ્યું કે, ‘એ પણ કંઈ પૂછવાનો સવાલ છે ? આરામ એટલે આરામ ! બીજું વળી શું ?’
જે મારી અંદર બેઠો હતો એમણે મારી આ છુપાવેલી વાત પણ જાણે સાંભળી લીધી..!! થોડીવાર પછી ફરીથી મેં કાનમાં કોઈના ગાવાનો અવાજ આવતો સાંભળ્યો. મેં ગાનારને ન જોયો પરંતુ એના ગીતની એકની એક તર્જ જે વારંવાર ગવાઈ રહી હતી, તેને મેં બહુ જ સુંદર રીતે અને એકદમ સ્પષ્ટ રીતે સાંભળી.
‘આ તો પ્રીતની રીત નથી તારી…વહ જાગત હૈ, તું સોવત હૈ.’ ત્યારે મારા દિલમાં એક સવાલ ઊઠયો, શું પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય છે ? મારા દિલના જનાનામાં જે હંમેશા પર્દાનશીન છે (એટલે કે જે મારા દિલના રાણીવાસમાં જે સતત પડદો રાખીને હાજર છે) એમણે જવાબ દીધો : હા, પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય !! પછી જરા અટકીને એમણે કહ્યું : “અરે મિયાં, મેં તો તમારા સવાલનો જવાબ દઈ દીધો હવે તમે પણ મારા સવાલનો જવાબ આપો…”
‘અરે, તમારો પણ કોઈ સવાલ છે? અને તમે જવાબ માંગી રહ્યા છો તમારા સવાલનો ?’
“અરે મિયાં ગુસ્સે ન થાઓ, જો તમને જવાબ આવડતો નથી તો સાફ સાફ કહી દો ને કે જવાબ નથી આવડતો !”
‘હા, તો એમ જ માનો હું તમારા સવાલનો જવાબ જાણતો નથી. બસ હવે તમને નિરાંત થઈ ?’
“હા, તો મેં તમને જવાબ આપી દીધો છે,, આરામ શબ્દ બે શબ્દોથી બન્યો છે આ અને રામ.. એનો અર્થ એવો થયો કે સાચો આરામ આ– રામ… આ – રામ કહેવામાં અને કરવામાં છે.”
હું આરામનો આવો કોઈ મતલબ સમજીને થોડી વાર તો હેરાન પરેશાન થઈ ગયો, એટલા માટે મેં એને પૂછ્યું, મેં તો મારા જીવનમાં એવો મતલબ ક્યારેય જાણ્યો નથી. જે હોય તે આ-રામ..આ-રામ એવું હું કહ્યા તો કરીશ પરંતુ તમારે મને એ સમજાવવું પડશે કે હું એવું કેવી રીતે કરી શકીશ કારણ કે તમે જે આરામને ‘આ – રામ’ કરવાનું કહો છો એ તો મારા માટે નવું છે, એ હું કેવી રીતે કરું ? ‘
“હા, મેં કહ્યું છે અને એનો મતલબ એ છે કે જે કંઈ પણ કામ તમે કરો એને એવી રીતે કરો કે એ રામને લાયક છે અને તમે એ કામને રામને લાયક એક ઘર સમજીને દિલથી કહી શકો આ-રામ.. આ-રામ… સમજાય છે મારી વાત ?”
મેં સમજી તો લીધું પણ તેમનું આમ કરવાનું મને બહુ મુશ્કેલ માલૂમ પડતું હતું.
“..તો એનો પણ તમને હું એક આસાન રસ્તો બતાવું મિયાં, જો તમે ઈચ્છો તો “
‘જરૂર જરૂર’, મેં કહ્યું.
એમણે કહ્યું : “દિલ કો છોડો ઓર દિલકો પકડો એટલે કે દિલને છોડો અને દિલને પકડો.”
મેં કહ્યું તરત જ કહ્યું કે: ‘જરા આસાન કરી દો ને, આ વાતને !’
“ખુશીથી જિંદગી જીવો તો તો એ એક બાજી છે ને ! કબીર સાહેબનું એક ભજન તમને યાદ છે.?? જેમાં તેઓ કહે છે કે, જિંદગી એક ચોપાટ ની બાજી છે, છતાં આ ખેલ બહુ અજીબો ગરીબ છે. જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે. એટલે કે હારમાં કે જીતમાં પ્રીતમ તો તમને જ મળે છે. એ જ રીતે હું તમને કહું મિયાં, પાર્ટીબાજી છોડો પ્રેમબાજી ખેલો એટલે કે પાર્ટીબાર્ટી છોડો અને પ્રેમ પ્રેમ પકડો.”
એટલી વારમાં મને કેટલોક શોરબકોર સંભળાવવા લાગ્યો. હું જ્યાં બેઠો હતો ત્યાંથી જરા દૂર એક સરઘસ નીકળતું હોય તેવું મને લાગ્યું. કેટલાય લોકોના હાથમાં ભાતભાતના ઝંડાઓ હતા અને જોરજોરથી તેઓ સૂત્ર પોકારી રહ્યા હતા : ‘ઝિંદાબાદ…ઝિંદાબાદ…ઝિંદાબાદ…’ હું મારી નિજી ખામોશીમાંથી બહાર નીકળીને ઘરે પાછો આવ્યો. અને વારંવાર મને એ ખ્યાલ આવતો રહ્યો કે દિલકી બાત રુપિયેમે સોલહ આના સચ હૈ.. દિલની વાત જે મને મારી અંદરથી સાંભળવા મળી તે તો સોળ આના સાચી છે………………”
*******************************
એક બહુ જૂનું પુસ્તક હાથ લાગ્યું. જૂના કબાટો ખંખેરતા એક સાધ્વી કક્ષાના ગૃહિણીના ઘરેથી.. એનું પ્રકાશન ખાસ્સું જૂનું એટલે કે 1954 માં કરવામાં આવ્યું છે. રામ આસર કક્ક્ડ, હિન્દી સાહિત્ય પ્રેસ, ઈલાહાબાદનું આ પ્રકાશન છે. અને પુસ્તકના લેખક છે ગુરુ દયાલ મલિક. નાના એવા પુસ્તકનું નામ છે “દિલ કી બાત”. આ પુસ્તક અજીબોગરીબ છે !! અહીં ઉપર જે વાત વાંચી એવી અનેક વાતો ૨૨૫ પાનની અંદર અહીં મુકવામાં આવી છે. તેમના અર્પણના પાનાં ઉપર સરસ શબ્દો લખ્યા છે –
“દિલની વાત દિલથી સાંભળી લો એ જ વિનંતી છે.
દિમાગને દલીલ કરવાની વળી ભલા શું જરૂરત ?” – ગુરુ દયાલ મલિક.
***************************
ચાચાજી નો જન્મ સાતમી, મે, 1896ના રોજ ડેરા ઈસ્માઈલ ખાન ખાતે થયો પરંતુ તેઓ જ્યારે અગિયાર વર્ષના થયા ત્યારે સાતમી મે 1907ના દિવસે એટલે કે એમના જન્મદિવસની તારીખે જ, ચાચાજીના બા પરલોકવાસી થયાં !! ચાચાજીના માતુશ્રીની વિદાય ચાચાજીના જીવન ઉપર બહુ મોટી અસર છોડી ગઈ.
એવું બન્યું હતું એ સમયે પ્લેગ ફેલાયો હતો અને આખું શહેર ખાલી કરાવવામાં આવતું હતું અને આજુબાજુના ગામમાં કે શહેરોમાં પોતાના સગા વ્હાલા મિત્રોને ત્યાં ચાલ્યા જવાનું સૌને કહેવામાં આવ્યું. સિકરપુર સિંધ માં આવેલી જગ્યા. જ્યાં ચાચાજીના મોટા કાકા રહે. દર્દીઓ માટે શહેરથી ૭ માઈલ દૂર કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો. દરેક દર્દીની સાથે એક સગું રહી શકે એવો તેમાં નિયમ. ચાચાજીનાં નાના મામી પ્લેગમાં સપડાયા અને એમને એક ધાવણું બાળક ! મામાને એ ચિંતા હતી કે જો મામી જતાં રહેશે તો આ બાળકને કોણ મોટું કરશે ? એ સમયે ચાચાજીની માએ કહ્યું : ભાઈ, આટલી બધી ચિંતા શું કામ કરો છો ? તમે બાળકને લઇને આપણી મોટીબેન ને ત્યાં જાવ. હું ભાભીની સેવા ચાકરી કરવા કેમ્પમાં રહીશ અને પ્રભુને રાતદિવસ પ્રાર્થના કરીશ કે, બાળકને ખાતર ભાભીને જીવાડે અને મારી પ્રાર્થનાના બદલામાં જો તને જરૂર હોય તો મારું જીવન લઈ લે… બા ચાચાજીને ડેરા ઇસ્માઈલ શહેરના છેડા સુધી મુકવા આવી. બા ની વિદાય વખતે સંતાનો રડવા લાગ્યા. બંનેને વળગીને માએ એમ કહ્યું કે: હું તમને જલ્દી પાછી મળીશ, તમારી મામી સારી થઈ જાય કે તરત શિકારપુર ચાલી આવીશ.
ગુરુદયાલજીના પિતાશ્રી નારાયણદાસ એ સમયે બલુચિસ્તાનમાં કવેટા માં એવી સરકારી નોકરી કરતા હતા કે, વર્ષમાં લગભગ દસ મહિના ઘોડા ઉપર કે ચાલતાં મુસાફરી કરવી પડે. જેથી ચાચાજીના માતુશ્રી તેજસ્વીદેવી બે ભાઈઓ અને બહેનને મૂકીને કેમ્પ તરફ વળ્યા. ઈશ્વરને કરવું હતું તે મામીનો જીવ બચી ગયો પણ મામીની સેવામાં રત ચાચાજીના માતુશ્રી એ પોતાનો પ્રાણ ત્યાગી દીધો.. કહે છે કે, ચાચાજીને પોતાની માતાના અવસાનનો અહેસાસ થઈ ગયો હતો. સાતમી મેના દિવસે ઉઠતાવેંત એમને એવું થયું કે, મારી બા આ દુનિયામાં હવે નથી અને તેઓ જોરશોરથી રડવા લાગ્યા .. એમનું રુદન સાંભળી ને એમના કાકાને ગુસ્સો આવ્યો અને એમણે એક થપાટ મારીને કહ્યું કે, “તું અપશુકનિયાળ છે, સવારે ઉઠતા પ્રભુનું નામ લેવાનું હોય કે રડવાનું હોય !!” ચાચા નું રુદન કોઈ સંજોગોમાં બંધ ના થાય. ચાચાજી રડતા રડતા બોલી ઉઠ્યા કે, મારી બા ગુજરી ગઈ છે.. એ સાંભળીને એમને બીજી થપાટ પડી !! આ ઘટનાને લઇને ધ્રૂજતા ધ્રૂજતા ડુસકા ભરતા તેઓ સુઈ ગયા પણ પાંચ કલાક પછી એમના કાકાને પોતાની ઓફિસમાં અગિયાર વાગ્યાના સુમારે તાર મળ્યો અને એમાં લખ્યું હતું કે: ગુરુદયાલનાં બા આજે સવારે ગુજરી ગયાં છે !!
લાહોરની શાળા. આ નિશાળમાં એક શિક્ષક ભણાવે. મુદ્દો નીકળ્યો બ્રહ્મચર્યનો !
શિક્ષક બ્રહ્મચર્ય વિષે સમજાવતા એક વિચિત્ર વાક્ય બોલ્યા : ‘બચ્ચાઓ, તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે સ્ત્રી તો એક શયતાન છે. તેથી તેના સંગથી તમે સદા દૂર રહેજો.’ ત્યારે એક વિદ્યાર્થી અકળાયો અને એકદમ બોલી ઊઠયો : ‘ગુરુજી, પણ તમારી માનુ શું ? એ પણ એક સ્ત્રી જ છે ને ?’
વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને તે શિક્ષક ક્રોધમાં આવી ગયા એ તેમણે પેલા પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને ક્રૂરતાથી ફટકાર્યો ! પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે ત્રણ દિવસ પછી એ શિક્ષકે સ્કૂલમાંથી રાજીનામું આપ્યું અને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા.
લગભગ પચ્ચીસેક વર્ષ પછી એક અજબ સંજોગમાં વિદ્યાર્થી અને આ શિક્ષક અચાનક જ મળી ગયા. વિદ્યાર્થી કરાંચીથી શાનથીનિકેતન જતો હતો. અમૃતસર સ્ટેશન પર જયારે ગાડી ઊભી રહી ત્યારે ઉજ્જવળ, પ્રસન્ન અને શાંત મુખવાળી ગેરુંવાં કપડાં પહેરેલ એક વ્યક્તિએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને બાજુમાં જ બેઠક લીધી. વાતો શરૂ થઈ. તેમણે પૂછ્યું : ‘તમે નાના હતાં ત્યારે કઈ નિશાળમાં ભણતા હતાં ?’ જવાબમાં લાહોરવાળી નિશાળનું નામ સાંભળી તેમણે ફરી પૂછ્યું : ‘ત્યારે એક અમુક નામના શિક્ષક તમારી શાળામાં હતા ?’ જવાબ મળ્યો : ‘હજુ’. તરત તેઓ ઊભા થઈ ગયા ને પેલા વિદ્યાર્થીને પગે પડયા અને કહેવા લાગ્યા : ‘દોસ્ત, તે શિક્ષક હું જ ! પણ બચ્ચા, આધ્યાત્મિક માર્ગ પર તું મારો પ્રથમ ગુરુ. હું તને પ્રણામ કરું છું.’
આ વિચિત્ર સ્થિતિને લઈને આશ્ચર્યમાં પડેલા વિદ્યાર્થીએ તે વ્યક્તિના પગ પકડી લીધા : ‘તમે આ શું કહો છો ? તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ ?’
પછી તો બન્ને વચ્ચે નિરાંતે વાતો થઈ. શિક્ષકે કહ્યું : બચ્ચા, તારો પ્રશ્ન સાંભળીને ક્રોધથી મેં તને ફટકાર્યો અને ઘરે જઈ હું મનમાં સંગ્રામમાં ફસાયો. ગડમથલ ઊભી થઈ અને મારા મનમાંથી પ્રશ્ન ઊઠયો કે બધી જ સ્ત્રીઓ શયતાન હોય તો મારી મને શું હું શયતાન ઘણું છું ? ઘરની બહાર ન નીકળ્યો કે ન તો નિશાળે ગયો ત્રણ દિવસ સુધી ! છેવટે આંતરિક અશાંતિ સમાવવા હરિદ્વાર જઈ એક ગુરુ પાસે દીક્ષા લઈ વર્ષો સુધી સાધના કરી. તેમણે કુબૂલ્યુ કે, બચ્ચા એક દિવસ સાધનાની ચરમસીમાએ સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થયાં, પણ તે ‘મા’ ના રૂપમાં ! બસ, ત્યારથી દર વર્ષે મારી કુટિયામાંથી એક મહિના માટે બહાર નીકળીને જુદાં જુદાં સ્થળોએ પ્રવાસે જઈ લોકોને એક જ વાત સમજાવું છું કે, ‘પ્રભુને જોવા હોય તો માતામાં નીરખવાની દ્રષ્ટિ કેળવો. એના જેવી સાધના બીજી કોઈ નથી.’
પોતાનાં વર્ષો પહેલાંની શિક્ષકની કેફિયત સાંભળી ચકિત થઈ ગયેલ એ સમયના એ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને તો જાણે જીવનસત્ય લાધ્યું. તેમણે નમ્રતાથી એ પૂર્વશિક્ષકનાં ચરણ સ્પર્શ કર્યા અને નિયતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ સત્ય ઘટના પછી સાધના માર્ગે વળેલા એ પૂર્વ શિક્ષક વિષે વિગતો નથી પણ પોતાનાં શિક્ષકને આધ્યાત્મ માર્ગે વાળનાર વિદ્યાર્થીએ તો ઉપાસના અને સાધનામાં જ જીવન વિતાવ્યું ! તે વિદ્યાર્થી તરીકે જ પ્રાણવાન હતા એટલે તેમના જીવનપથની ઉન્નતિ વિષે કોઈ શંકા ન હતી પણ એ વિદ્યાર્થી ગુરુદેવ રવીન્દ્રનાથ રાગોરના પ્રિય શિષ્ય બની રહ્યાં અને ભારતભરમાં ગુરુદયાલ મલ્લિકજીના નામથી ખ્યાત બન્યા !
શિક્ષક ભલે ભુલાય ગયા, વિસરાય ગયા, અજ્ઞાત થઈ ગયા પણ એ શિક્ષક પોતાને ચાંચઈડનારો પ્રશ્ન પૂછનાર વદ્યાર્થી પાસે જીવનની ઉત્તમ કબુલાત કરીને એ વિદ્યાર્થીને એક નવું બળ અર્પી ગયા. પંડિત ગુરુદયાલ મલ્લિકજી કહેતા કે : ‘હું શિક્ષકને સલામ કરું છું.’
શિક્ષકત્વનું આ ભાથું છે જે શિક્ષક મટી ગયા પછી કે શિક્ષકના માટીમાં મળી ગયા પછી તેની સાથે જ રહે છે ! એકાદ વિદ્યાર્થી તો એવો મળે જ મળે કે તમને વર્ષો પછી ‘ખરેખર મળી જાય !’ શિક્ષકને ય શીખવનારો એકાદ વિદ્યાર્થી તો મળી જ જતો હોય છે, અને ત્યારે વિદ્યાર્થી શિક્ષકનો ય ગુરુ બની રહે છે… આવા ગુરુ જેને મળ્યા હોય તેને તો કાયમ ગુરુપૂર્ણિમા !
આ ગુરુ દયાલ મલિક એ એક એવી વિભૂતિ કે જેમણે રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં સ્થાન મેળવ્યું, જેમણે આધ્યત્મ અને જીવનને હારોહાર જીવવાનું પસંદ કર્યું, જે મહાત્મા ગાંધીના સહકાર્યકર બની ઉમદા કામ બાપુની સાથે કરતા રહ્યા. ગુરુ દયાલ મલિકનું લખેલું આ “દિલકી બાત” પુસ્તક અચાનક જ હાથ લાગ્યું અને જાણે કેટલાય દિવસો સુધારી ગયું. થોડા સમય પહેલાં “મરુ ભૂમિના દિવ્ય દરવેશ” એવું ચાચાજી ગુરુ દયાલ મલિકનું પુસ્તક કે જેમનો અનુવાદ નલિન ઉપાધ્યાયે કર્યો છે અને જે અક્ષરભારતી પ્રકાશન, ભૂજ દ્વારા ૨૦૦૫ માં બહાર પાડવામાં આવ્યું છે તેના ૭૨ પાનામાંથી પસાર થયો ત્યારે એવું લાગ્યું કે, સુફીઝ્મ અથવા સૂફીવિચારની ખરી સમજ આટલા વર્ષો પછી ગુરુ દયાલ મલિકજી પાસેથી મળી.
ચાચાજીના માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ છે. તેઓ કિશોર હતા ત્યારથી અનેક આધ્યાત્મિક અનુભવોમાંથી પસાર થયા. સિંધી, પંજાબી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી ઉપર એમનું અદભુત પ્રભુત્વ હતું. “પ્રભુ કૃપા કિરણ” નામનું એક પુસ્તક મુકુલભાઈ અને નિરંજનાબેન કલાર્થીએ ચાચાજીની સાથે બેસીને એમના જીવનના પ્રસંગો અંગે પ્રશ્નો પૂછતાં પૂછતાં આલેખ્યું છે એ પણ ચાચાજીને સાંગોપાંગ સમજવાનો એક નમ્ર પ્રયાસ છે.
ગુરુ દયાળ મલિકજી એ સૂફી સંત હતા અને ગુજરાતી આધ્યાત્મિક ગુરુ હતા, એવું આપણે કહ્યું. આ વાત આપણને ચાચાજી ના બાલ્યકાળથી જોવા મળે છે. ચાચાજી જયારે સાતેક વર્ષના હશે ત્યારે ઝરમર વરસતા વરસાદની વચ્ચે એક વયોવૃદ્ધ ભિખારણ ભિક્ષા માગવા આવી. ચાચાજીએ એને બારણા પાસે બેસાડી, થોડું ખાવાનું ઘરમાંથી લઈ આવી ને આપ્યું. એમણે ઘણા પ્રેમથી ખાધું અને તેની આંખમાં આભારના આંસુ છલકાયા. પછી ભગવાન જાણે ચાચાજી ને શું થયું કે, તેઓ આવેશમાં આવી જઈને એમને વળગી પડયા ! તે પણ ચાચાજી ને વળગી પડીને વ્હાલથી બોલ્યા: “મારો દીકરો”.. પણ “મારો દીકરો” બોલ્યા સાથે જ ભિખારણ ત્યાં ને ત્યાં મરી ગયાં . ચાચાજી જીવનભર આ બાબતનું રહસ્ય શોધતા રહ્યા પરંતુ એમણે કહ્યું કે, “ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !”
ચાચાજી નાનપણમાં રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે એક ફકીરબાબા સામેથી આવતા હતા. તેમણે ચાચાજી ને ઊંચકી લીધા અને આંખમાં આંખ મેળવી બે ઘડી તેને જોઈ રહ્યા. પછી ચાચાજીને નીચે મુકી દીધા પરંતુ ફરી બે વખત એટલે કે કુલ ત્રણ વખત ચાચાજી ને ઊંચક્યા, આંખમાં આંખ પરોવી અને પછી ફકીરબાબાએ કહ્યું : બચ્ચા, મારી એક વાત હંમેશાં યાદ રાખજે,, જ્યારે તું કંઈ પણ કરે, બોલે કે વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પુછજે કે મારી માને આ ગમશે કે નહીં ?,,, એટલું કહીને એક ફકીરબાબા ચાલ્યા ગયા, પછી જીવનમાં એ ક્યારેય એમને ન મળ્યા, પણ આ વાત ચાચાના હૃદયમાં અંકાઈ ગઈ ! કશું જ કરવું હોય ત્યારે ચાચાજીના દિલમાંથી એક જ મંત્ર સદા જાગતો કે, મારી માને ગમશે કે નહીં ?
ચાચાજી પોંડિચેરીના કાયમ પ્રવાસી રહ્યા અને ત્યાંની એક વાત પણ તેમને હૃદયમાં બરાબર અંકાઇ ગઇ હતી. પોંડિચેરીમાં ઠેર ઠેર એવું લખ્યું હોય કે : મા જુએ છે ! ચાચાજી કહે છે કે, જ્યારે જ્યારે મને એવું લાગતું કે, હું આ શું કરી રહ્યો છું, ત્યારે અંદરથી કોઈ બોલતું કે : “મા જુએ છે !’
ચાચાજીના જીવન ઉપર કોલેજના દિવસોની અને એ સમયે ભણેલા વિષયોની ગહેરી અસર હતી. જસ્ટિસ ચંદાવરકર એ દિવસોમાં રવિવારે સાંજે ગીરગામમાં પ્રાર્થના સમાજ માં મુંબઈની જુદી-જુદી કોલેજોના થોડા વિદ્યાર્થીઓને અંગ્રેજ કવિ બ્રાઉનિંગ ની કવિતાઓ સમજાવતા. એમાં એક કવિતાનું શીર્ષક છે : રબિ બિન એઝરા.. એ કવિતામાં એક ઠેકાણે એવા શબ્દો આવે છે: ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. આના કરતાં પણ ઉત્તમ તો હજી બાકી છે ! . ચાચાજી જ્યારે પણ ખોટી નિરાશામાં સપડાય ત્યારે અંદરથી કોઈ આશ્વાસન આપતું હોય એવું લાગે અને કહે : ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. જીવનમાં જે કંઈ ઉત્તમ છે એનું દર્શન કરવાનું હજી તો બાકી છે !!!
કોલેજમાં ભણવાનું પૂરું થયું અને ચાચાજીએ શાંતિનિકેતનમાં ગુરુદેવ કવિવર ટાગોરના દર્શન માટે જવાની ઈચ્છા પિતાજી આગળ વ્યક્ત કરી. પરંતુ પિતાજીએ પહેલા તેમને મોટાભાઈ પાસે કરાંચી જઈને સ્વતંત્ર ધંધામાં મદદ કરવા માટે સૂચવ્યું. આ સમયગાળા દરમિયાન ૧૯૧૯ના મે મહિનામાં ચાચાજી બહુ સખત બીમાર પડ્યા. તેઓના બચવાની કોઇ આશા ન રહી ત્યારે ચાચાજીને એમના પિતાએ પૂછયું: તારી કંઈ અંતિમ ઇચ્છા છે કે જે અમે પૂરી કરી શકીએ ?? તરત ચાચાજીએ જવાબ આપ્યો: પિતાજી, જો હું જીવતો રહું તો આપ કૃપા કરીને મને શાંતિનિકેતન મોકલવાનો પ્રબંધ કરશો… પ્રભુની કૃપાથી ચાચાજી સાજા થઈ ગયા અને પૂરેપૂરા સ્વસ્થ થયા ત્યારે ગુરુદેવને એક તાર કર્યો અને પુછાવ્યું કે: હું શાંતિનિકેતન આપના દર્શન માટે આવી શકું છું ?? જવાબમાં ત્રણ શબ્દો આવ્યા : તમે ખુશીથી આવો.
ચાચાજી શાંતિનિકેતન ગયા. પાંચ દિવસની લાંબી મુસાફરી પણ જરાય થાક ન લાગ્યો, કારણ કે ચાચાજીના હૈયામાં અતિશય ઉમંગ અને આનંદ હતો. . તેઓ જ્યારે શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ ત્યાં નહોતા. માંદગીને કારણે થોડા દિવસ પહેલાં જ કલકત્તા સારવાર માટે ગયા હતા, પરંતુ દીનબંધુ એન્ડ્રુઝે ઘણા વ્હાલથી ચાચાજીનું સ્વાગત કર્યું. દસ દિવસ પછી ગુરુદેવ શાંતિનિકેતન આવ્યા અને બીજે દિવસે ( કે જે ચાચાજીનો ત્યાં રહેવાનો છેલ્લો દિવસ હતો) ગુરુદેવના દર્શન કરવા માટેની સૂચના મળી. જો કે દીનબંધુએ કહ્યું :ગુરુદેવ હજી બહુ અશક્ત છે, તેથી તેઓ તમને પાંચ મિનિટથી વધારે વખત નહીં આપી શકે. જ્યારે ચાચાજી દાખલ થયા ત્યારે પદ્માસનમાં બેસીને તેઓ બારીની બહાર જોઈ રહ્યા હતા. એક-બે-ત્રણ- ચાર મિનીટ પસાર થઇ ગઈ. ગુરુદેવે ચાચાજી ને ન તો બેસવા કહ્યું કે ન કંઈ વાત કરી !! ચાચાજીને મનમાં પાર વિનાનું દુઃખ થયું. સમય લગભગ પૂરો થવા આવ્યો, એટલે ગુરુદેવ પાસેથી વિદાય લેવા ચાચાજીએ પ્રણામ કર્યા અને ચમત્કાર થયો! કવિશ્રીએ પોતાનો જમણો હાથ ચાચાજીના માથા પર મૂક્યો અને એમની આંખોમાં જોઈ ને કહ્યું: હું તમને જન્મ જન્માંતર થી ઓળખું છું. મારા આશ્રમમાં તમારા માટે એક આસન ખાલી છે. તમે હવે એના ઉપર બેસી જાઓ .. આ શબ્દો સાંભળીને ચાચાજી ભાવવિભોર થઈ ગયા. થોડા જ વખત પછી ચાચાજી શાંતિનિકેતનમાં એક શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૮માં રવીન્દ્રનાથ ટાગોરે ચાચાજી ને શિક્ષા ભવનમાં અધ્યાપન કરાવવા માટે કહ્યું અને ફરીથી 1940માં પણ તેઓએ ત્યાંની શાળા અને કોલેજમાં વ્યવસ્થિત શિક્ષક તરીકે ભણાવ્યું. ચાચાજી એ ‘વિશ્વભારતી’ નામના મેગેઝીનનું વર્ષો સુધી સંપાદન પણ કર્યું. ચાચાજીને રવિન્દ્ર ભવન ના ઇન્ચાર્જ તરીકે પણ નીમવામાં આવ્યા. આમ શાંતિનિકેતનમાંથી ઘડાયને સંવર્ધિત થઈને ચાચાજી વિશ્વ પ્રવાસે નીકળ્યા.
ગુરુ દયાળ મલિક ચાચાજી નું સમગ્ર જીવન અનેક અનુભવો અને ચમત્કારોથી ભરેલું છે પરંતુ એ ચમત્કારોની તેઓની અનુભૂતિને તેઓએ ભાગ્યે જ ક્યાંક વ્યક્ત કરી છે. બારડોલીના સાક્ષર દંપતિ મુકુલ કલાર્થી અને શ્રીમતી નિરંજન કલાર્થી સાથેનો ચાચાજી નો આત્મીય ઘરોબો હતો અને તેમની સાથે તેમને ત્યાં રહીને ચાચાજીએ પોતાના સંસ્મરણોનું વર્ણન કરેલ. તેના ઉપરથી ૧૯૬૭માં “પ્રભુકૃપા કિરણ” નામથી એક સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે, જે વાંચવું એ જીવનનો એક લ્હાવો બની રહેશે.
ઇશોપનિષદ, બાઇબલ ,ગુરુદેવની ગીતાંજલિ , તુલસીકૃત રામાયણ, રસ્કિનનું સીસેમ એન્ડ લીલીઝ , જ્હોન ગ્લાસવોર્ધી ના નાટકો, કબીર-મીરાં અને દાદુના ભજનો, બાઉલના ગીતો, ખ્વાજા હસન આઝમીના ઉર્દુમાં નિબંધો તથા ખાસ કરીને તેમનું કૃષ્ણ ચરિત્ર, સિંધના સૂફી કવિ ઓ શાહ લતીફ , સચ્ચ કુતુબ અને સામી ની કવિતાઓએ પણ ચાચાજી ઉપર જબરો પ્રભાવ પાડ્યો છે.
અંગ્રેજીમાં ચાચાજીના પુસ્તક ઉપરથી અક્ષર ભારતી પ્રકાશન દ્વારા “મરુભૂમિના દિવ્ય દરવેશ” નામથી એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ છે અને એમાં સુફીઝ્મ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વિચારો મૂળ તો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આગ્રહથી વિશ્વભારતી શાંતિનિકેતનમાં તેઓએ સુફીઝ્મ ઉપર પ્રવચનોની એક માળા રજૂ કરી તેનો ગુજરાતી અનુવાદ છે. ચાચાજીને આધ્યાત્મિક પાસાંથી ઓળખવા હોય તો આ નાનકડી પુસ્તિકા બહુ જ સહાયક પુરવાર થઈ શકે તેમ છે.
ચાચાજીને ભજન ગાતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. એમણે પોતે ઘણા ભજનો રચેલા, પરંતુ એક ચોપડીમાં રાખેલા અને એ ચોપડી બીજા પુસ્તકોની સાથે પાકિસ્તાનમાં રહી ગઈ એટલે ચાચાજી પાસે કોઈ સંગ્રહ ઉપલબ્ધ ન હતો, પણ પોતાની યાદદાસ્તને આધારે ચાચાજી ભજન ઘણીવાર બોલતા અને એ “પ્રભુકૃપા કિરણ”માં નોંધવામાં આવ્યા છે. ચાચાજી પોતેજ પોતાના ભજનોનું અંગ્રેજી-હિન્દી-ગુજરાતી એમ કરતા હતા. આપણે ચાચાજીના જીવનને જાણવા માટે એ સમજવું જરૂરી છે કે, તેઓએ જે કોઈ રચનાઓ કરી એમની પાછળ પણ કોઈ દિવ્ય સંકેતો હતા. એક ઉદાહરણ લઈએ તો તેમનું એક સુંદર ભજન::
જિસને અપની ખુદી ગવાઈ, ઉસને જાની સચ્ચી ખુદાઈ,
ખુદા નહી દૂર બાદલોમેં , વો તો તેરે પાસ બગલમેં,
ખુદા નહીં મંદિર મસ્જિદ મેં, વો તો દર્દી કે દુખ દરદમેં ,
ઉસ દરદ દુઃખકો દૂર કરના, ઉસમેં ખુદા બસતા હૈ ભાઈ,,
આ ભજનની ભૂમિકા સમજાવતાં ચાચાજીએ કહ્યું : “આ ગીત મને પંજાબની એક હોસ્પિટલમાં સ્ફૂર્યું હતું .જ્યારે એક ગરીબ માણસનું ઓપરેશન એક મોટો સર્જન પૈસા લીધા વિના કરી રહ્યો હતો અને હું ઓપરેશન થિયેટરની બહાર પ્રાર્થનામાં બેઠો હતો, ત્યારે આ પંક્તિઓ મારા હૃદયમાં આવી હતી !”
ગુરુ દયાલ મલિક આમ તો જીવનભર “ચાચાજી’ ના નામે ઓળખાયા. કારણ તેઓ બાળસહજ હતા. બાલોચિત્ત વિનોદ, બાળક જેવું મુક્ત હાસ્ય, બાળમસ્તી, બાળકની જેમ નાચ કુદ અને જાતજાતના ચાળા. ચાચાજી જ્યાં હોય ત્યાં કિલ્લોલ જ કિલ્લોલ !! મન માં કશો ભેદભાવ નહીં , રાયરંક કે કાળા ગોરા, ઊંચનીચ એવું કશું જ ન મળે. ગુરુ દયાળજીની એક જ વાત કે : આપણે બધા એક જ પિતાનાં સંતાન !! આવા ચાચાજીને જોતા જ દેશ-વિદેશમાં સૌ ટોળે વળે.
ફિલાડેલ્ફિયામાં ચાચાજી એક બાલમંદિરમાં ગયા. જાન્યુઆરી મહિનો. ચાચાજી એક બાજઠ પર બેઠા અને એક પછી એક બાળક આવીને તેઓની સફેદ લાંબી દાઢી પર હાથ ફેરવી જાય. રૂપેરી સુંવાળી દાઢી પર હાથ ફેરવીને સૌ બોલે : ઓહો, સાન્ટા ક્લોઝ, યુ આર લેટ !! નાતાલ તો હમણાં જ ગઈ અને આ સાન્ટા ક્લોઝ જેવા ચાચાજી કેમ મોડા આવ્યા ???
માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના ‘શક્તિ’ અને મનોબળ ‘મહાશક્તિ’ છે. શાળાનું શિક્ષણ ચાચાજી એ ડેરા ઈસ્માઈલખાન અને કોલેજનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી લીધું હતું. કિશોરવયથીજ ગુરુ દયાલ મલિકને આધ્યાત્મિક અનુભવોમાં રસ હતો અને એવા અનુભવો તેઓને થતા પણ હતા. ચાચાજીના વ્યક્તિત્વ પર અનેક સંતો-ચિંતકો અને ઉત્તમ ગ્રંથોની અસર પડેલી. તેઓને ગાંધીજી અને ગુરુદેવ ટાગોર પ્રત્યે ઉત્કટ અનુરાગ હતો. શાંતિનિકેતનમાં તેમણે અધ્યાપન કરેલ. ચાચાજી અનેક ભાષાઓ જાણતા હતા. સિંધી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી ભાષાઓ ઉપર તો તેઓનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમના અનેક પુસ્તકોમાંથી (1) ધ ડિવાઇન ડવેલર્સ ઈન ધ ડેઝર્ટ (2) ઈન ધ કંપની ઓફ સૈન્ટ્સ (3) ગાંધી એન્ડ ટાગોર (4) સમ સ્ટોરીઝ ઓફ પ્રેમચંદ (5) દિલ કી બાત (6) ગાંધીજી સાથે જીવન યાત્રા અને કેટલાય સંતપુરુષો સાથેના તેઓના સંસ્મરણોનાં પુસ્તકો મુખ્ય છે. ચાચાજી શાંતિના ચાહક હતા, પ્રેમના વાહક હતા, અનાસક્ત યોગી હતા, જાણે કે સૂફી દરવેશ હતા. સુફી સંતનાં સુવાસ અને ઔદાર્ય તેમનામાં સહજ રીતે જોઈ શકાતા હતાં !
ચાચાજીનું સાચું સ્વરૂપ બહુ જ આધ્યાત્મિક.. તેઓશ્રી નાના-મોટા સૌના પ્રેમાળ વડીલ- ગુરુજન અને ચાચાજી જ હતા. તેથી સૌ કોઇ દુઃખમાં-સંકટમાં-મુશ્કેલીમાં-મૂંઝવણમાં- હતાશામાં-અકળામણમાં ચાચાજી પાસે દોડી જાય અને પોતાના હૈયાનું દુઃખ-અકળામણ- મૂંઝવણ તેઓની આગળ ઠાલવવા મંડી પડે.. ચાચાજી પણ વહાલસોઈ મા હોય એમ ધીરજથી-પ્રેમથી-સહાનુભૂતિથી-આંખમાં ઝળઝળિયા સાથે બધું સાંભળે અને દુખીયાના દુખને-અકળામણને અને મૂંઝવણને હળવી કરી દે. ચાચાજી આવા સમયે ભાગ્યે જ કશું બોલે કે માર્ગદર્શન આપે, પરંતુ તેમના ચહેરા પર સહાનુભૂતિભરી સમ-સંવેદનાત્મક રેખાઓ અંકાઈ જાય. મુખમાંથી ઊંડો નિશ્વાસ નીકળી જાય અને તેઓનું હૈયું ભગવાનને પ્રાર્થના કરતું થઇ જાય. એના પ્રભાવથી જ દુઃખી માણસને અંદરથી શાંત્વના મળી જતી હોય એવું આપણને લાગે !
ચાચાજીનું પોતાનું સૌથી મોટું પ્રેરક બળ પ્રભુપ્રાર્થના છે. આપણી વાત સાંભળીને તેઓ એમ જ છેવટે કહે: “પ્રભુને હું પ્રાર્થના કરીશ કે તમારું દુઃખ દૂર કરે” “હું આજે પ્રાર્થનામાં તમને યાદ કરીને પ્રભુના ચરણમાં અરજ ગુજારીશ.” કોઈ કોઈ વાર તો ઊંડા નિશ્વાસ સાથે તેઓ ઘેરા અવાજે ફક્ત એટલું જ બોલે: “મા, મા”.. ચાચાજી કહેતા: “ મારા જીવનમાં જે કંઈ બનવા પામ્યું છે એ પરમ કૃપાળુ પ્રભુની કૃપાનું કિરણ છે. ગુરુદેવ રવીન્દ્રનાથે “ગીતાંજલિ” માં ગાયું છે એમ, હું તો કહું છું કે હું માત્ર વાંસળી જેવો છું, એમાં સૂર પુરનાર તો કેવળ પ્રભુ જ છે !!”
આપણી ભાષાના સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર ગુરુદયાળજીને આ રીતે ઓળખાવે છે: “ગુરુદયાળજી અધ્યાત્મ માર્ગના પ્રતીક છે. એ માર્ગની એમણે ઠીક યાત્રા કરી છે. મુકામે પહોંચ્યા પણ હશે. પુરા પહોંચ્યા ન હોય તો એ મુકામ ની ઝાંખી એમને થઈ જ છે, કેમ કે એની મસ્તી એમના ચહેરા પર અને તેમના વર્તનમાં દેખાય આવે છે. ગુરુદયાળજી સ્વભાવે ભાવુક-ભક્ત છે અને એમની ભક્તિભાવના ખરેખર ચેપી છે. એ ભક્તિ ભાવનાં આવેગ અને આક્રમણ તળે એમની વિદ્વતા, એમનું જ્ઞાન અને દુનિયાનો વિશાળ અનુભવ બધું દબાઈ જાય છે, દટાઈ જાય છે અને કેવળ પ્રભુ આશિક-ભક્ત જ આગળ તરી આવે છે.
મલિકજી એક સુફી સંત પાસેથી ગૂઢ શક્તિઓ મેળવવાનો એક મંત્ર માગે છે પણ એ સાધના પોતે પૂરી કરી શક્યા નહીં, છતાં થોડાક ચમત્કારો થવા લાગ્યા અને એમાંથી અહંકાર જાગ્યો, એટલે અકળાઈને એમણે એ શક્તિઓ મંત્રના સ્વામી ભગવાન ને પાછી સોંપી દીધી !! ચમત્કારની બાબતમાં ચાચાજી જે નિર્ણય ઉપર આવ્યા છે તે ઘણું મહત્વનું છે એટલે એમના જ શબ્દોમાં અહીં ટાંકીએ:
“એક દિવસે એક ફકીર ઘર પાસેના રસ્તા પરથી ગીત ગાતો ગાતો પસાર થયો. તે ગીતનો અર્થ હતો: “સાધકોની સિદ્ધિ ઓ એક નૃત્યકારનાં નખરાઓ જેવી છે, તેથી તે પોતાનું બાહ્ય રૂપ દેખાડે છે એવા નખરાઓ અને સાચા નૃત્યમાં જમીન–આસમાનનો ફેર છે”.. તે દિવસથી કદી પણ સિદ્ધિ મેળવવાની મેં ઈચ્છા નથી રાખી અને સિદ્ધિઓની કાંઈ વિશેષ અગત્ય આધ્યાત્મિક જીવનમાં નથી એ પણ હું સમજી ગયો છું..!”
આવા ભાગ્યે જ મળે તેવા આધ્યાત્મિક સંત ફકીર ચાચાજી ને આપણે પ્રણામ કરીએ.
ભદ્રાયુ વછરાજાની,
24 કેરેટ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 404,
ક્રિસ્ટલ મોલ અને જ્યોતિ નગરની પાછળ,
રાજકોટ-360001.
