વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી.ભગવાન સ્પષ્ટ કહે છે. 

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

(19)

કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા સમગ્ર ગીતાનું ગુજરાતીમાં સમશ્લોકી થયેલ છે, જેના દ્વારા શ્રીમદ ભાગવત ગીતાને સમજવામાં અતિ સરળતા થઇ ગઈ છે.આપણે આપણા સંવાદમાં તેના કેટલાક શ્લોકો ટાંકીને  વધુ સ્પષ્ટતા  કરી રહ્યા છીએ.

સાતમા અધ્યાયના  કેટલાક અગત્યના શ્લોકો જોતાં જોતાં આ અધ્યાયનું સારતત્ત્વ તારવીએ તો… અહીં ભગવાન ચોખ્ખું કહે છે કે હું કહું છું તેમાં શંકા કર્યા  વગર સાંભળ.

શ્રી ભગવાન બોલ્યા

આસક્ત મુજબ મારા આશ્રયે યોગ યોજતો,

જેમ સમગ્ર નિઃશંક મને જાણીશ, તે સુણ.

સાતમા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ એવું નામ આપવામાં આવ્યું છે, અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન છે. અહીં અધ્યાત્મ એટલે જ્ઞાન છે અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે બનપ નથી એવું જે કહે છે તેણે સમજી લેવું જોઈએ  કે જેટલો નાતો ગાય અને ગોચર વચ્ચે છે એટલો જ જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે છે, કૃષ્ણ એ આ વાતને સ્પષ્ટ કરી છે.  આ અધ્યાયના એક શ્લોકમાં ભગવાન કહે છે કે,

વિજ્ઞાન સાથ આ સંપૂર્ણ કહું છું તને,

જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે.

એટલે વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી  રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ પણ શ્રી કૃષ્ણે બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી આપ્યો છે.

ભૂ, જળ, અગ્નિ, વા, વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ

આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી.

એમણે આઠ બાબતો ગણાવી છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ બાબતોનો સરવાળો કરો એટલે અષ્ટધા ભક્તિ બને છે,  એવું તેઓ આ અધ્યાયમાં ખુદ કહે છે.

પોતે રચેલી પ્રકૃતિનો ખ્યાલ આપતા તે ઉમેરે છે …

આ તો અધર છે, અન્ય પર પ્રકૃતિ તે થકી.

જીવરૂપ થઇ જેણે, જાણ આ જગને ધર્યું.

એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સમન્વય જેણે સમજવો હોય તેણે આ શ્લોકને આત્મસાત કરવો પડે. અહીં પ્રકૃતિના સ્પષ્ટ બે વિભાગ પાડ્યા છે, અપરા અને પરા. અપરા પ્રકૃતિની અંદર જળસૃષ્ટિ આવે,  વિજ્ઞાનગમ્ય બાબતો આવે, અવિદ્યા  એટલે કે ઈશોપનિષદમાં જે વાત કરી તે આવે અને ચિત્ત સાધના  પણ આવે. જયારે પરા પ્રકૃતિમાં ચેતનસૃષ્ટિ, જ્ઞાનગમ્ય વિદ્યા અને સત્ય સાધના આવે. નોન લિંવિંગ એટલે કે જડ  અને લિવિંગ એટલે કે ચેતન,  આ વિજ્ઞાનના બે ભાગ સજીવ અને નિર્જીવ. અવિદ્યાનો સંબંધ વૃત સાથે છે,  જયારે વિદ્યાને સત્ય સાથે લેવા દેવા છે. વૃતનું સંશોધન અપરા પ્રકૃતિ પૂરતું મર્યાદિત છે. સત્યનું સંશોધન પરા પ્રકૃતિના પ્રદેશની સાધના છે. આ બે પ્રકૃતિનું કોઈ મિલન સ્થળ ખરું ? એવો પ્રશ્ન એક માનવ તરીકે આપણને થાય તો કૃષ્ણ સરસ જવાબ આપે છે…

આ બેથી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે,

આખા જગતનો, પાર્થ હું જ ઉત્પત્તિ ને લય.

બીજું કોઈ નથી તત્વ મારાથી પર જે ગણો

હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.

સર્વ ભૂતો આ બે પ્રકૃતિ વડે જ ઉત્પન્ન થાય છે. આખા જગતનો પાર્થ હું જ ઉત્પત્તિ ને લય. વિદ્યા અને અવિદ્યા બંનેને  સાથે રાખીને અહીં મુકવામાં આવી  છે. જ્ઞાન વિજ્ઞાનની સમજણની ખૂબી શું તે સમજાવવા બે પંક્તિઓ  આપની  સામે મુકું.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂ ધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે

વિવિધ રચના કરી અનેકરસ લાભ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે.

નરસિંહે આ વાત આપણને  સમજાવી છે,  જે ગીતાના સાતમા અધ્યાયમાં સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણી સમક્ષ મૂકી આપી છે. અહીં સાચો રસ ચાખવા મળે તે માટેનું એક સાધન ભક્તિ છે, તેવું કહેવામાં આવ્યું છે. ભગવાન આપણને ભક્તિ શીખવે છે. ભગવાને ભક્તિના ત્રણ પ્રકાર કહ્યા ૧) સકામ ભક્તિ કરનારો, ૨) નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને ૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર પડે. એકને કહેવાય આર્ત, બીજાને કહેવાય જિજ્ઞાસુ અને ત્રીજાને કહેવાય અર્થાર્થી. ભક્તિના વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ડાળીઓ છે. (ક્રમશ:)