‘હે ઈશ્વર, જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(42)
આ અગાઉ દસમા અધ્યાયમાં આપણને સમજાયું છે કે ,
‘પહેલાં સહેજે વર્તાઈ આવે એવો મોટો,,,પછી નાનો,,પહેલાં સાદો ને પછી ભેગવાળો,,,, એમ સર્વ વસ્તુઓમાં રહેલા પરમાત્માને જોવો,,તેનો સાક્ષાત્કાર કરવો,,, રાત અને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતા શીખવું.’
શ્રીમદ ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપદર્શનયોગ, સહજતાથી તેને વિરાટદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘હે ઈશ્વર, તમારું પેલું સંપૂર્ણ રૂપ જોઉં એમ મને થાય છે. જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો,’ આમ અર્જુને વિશ્વરૂપદર્શનની માંગણી કરી.
આપણું જગત એ વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. વિશ્વ સાથે સરખાવીને જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારું આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે, એમ જણાશે. આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે અને સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે,,આપણને ભલે તે વિશાળ લાગે. જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ??
અહીં કુલ પંચાવન શ્લોકો છે, જેમાં ભગવાન, અર્જુન અને સંજય એમ ત્રિપદીમાં સંવાદ ચાલે છે. જેમાં શ્રી ભગવાન તો કેવળ દસ જ શ્લોક બોલ્યા છે. સંજયે દુભાષિયા પણું નીભવવા આઠ જ શ્લોકનો ઉપયોગ કર્યો છે, જયારે બાકીના સાડત્રીસ શ્લોક તો અર્જુન જ બોલે છે !! ભગવાનના વિરાટદર્શનમાં શું શું જોવું છે તેની કલ્પના કરીને અર્જુન ભગવાનને કહે છે કે, મારે તમારું આ અને પેલું અને તે અને અન્ય એવું રૂપ જોવું છે.
અહીં યાદ રાખીએ કે ભગવાન સમક્ષ માંગણી કરી ત્યારે શ્રી ભગવાન પોતાનું વિરાટદર્શન કરાવવા તૈયાર થાય છે.
પહેલા ચાર શ્લોકોમાં અર્જુન કહે છે ::
મારા અનુગ્રહ અર્થે જે તમે આધ્યત્મજ્ઞાનનું
પરં ગૂઢ઼ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો…1
ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા,
તેમ અક્ષય માહાત્મ્ય, તમારા મુખથી પ્રભુ !….2
નિજને વર્ણવો જેમ, તેવું જ, પરમેશ્વર !
ઈશ્વરી રૂપ જોવાને ઈચ્છું છું, પુરુષોત્તમ ! ….3
મારે તે રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !
તો, યોગેશ્વર, દેખાડો નિજ અવ્યય રૂપ તે…..4
એક અધિકારી શિષ્ય તરીકે અર્જુન સૌ પ્રથમ પોતાને શો લાભ અત્યાર સુધી થયો છે તે કહે છે અને પછી હળવેકથી વિનયપૂર્વક કહે છે કે, ‘જો આપને યોગ્ય લાગે તો મને આપનું અવ્યય રૂપ દેખાડો.’ દસ અધ્યાય સુધીમાં અર્જુન હવે નક્કી કરી શક્યો છે કે, યુદ્ધ તો લડવું પડશે અને મને આના માટે મારો સખા અને હાલનો મારો સારથી સલાહ આપે છે તે ભારે સક્ષમ વ્યક્તિત્વ તો છે જ..
ભગવાન વાતમાં થોડું મોણ નાખતાં આરંભે કહે છે કે,”મારા તો સેંકડો ને હજારો રૂપ છે. મારા રૂપના ઘણા પ્રકાર છે, આકાર છે અને વર્ણ પણ છે. અરે એમાં ઘણા આશ્ચર્યો પણ છે. તને ખ્યાલ છે કે મારા દેહમાં આજે અહીં એકસાથે સમગ્ર સચરાચર જગત આખું હાજર છે, પણ હા,,,એક શરત છે…”
મને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું
દિવ્ય દૃષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ…8
ભગવાને શરત એવી રીતે મૂકી કે અર્જુને તે સ્વીકારી એમ પણ ભગવાને માની લીધું. જો કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ વિરાટ રૂપને સર્વ દ્રશ્ય બનાવવા ઇચ્છતા ન હતા, એ લાભ તો કેવળ અને કેવળ સ્વયં સખા અર્જુનને જ મળે તે માટે તેઓએ અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ આપી. સંજય પાસે તો પહેલેથી દિવ્ય દ્રષ્ટિ હતી જ. એટલે એ રીતે ભગવાનનાં વિશ્વરૂપદર્શનનો સીધો લાભ અર્જુન અને સંજયને મળ્યો અને બાકી સૌને સંજયવાણીથી મળ્યો.
શ્રી વ્યાસજીએ અહીં જાણી જોઈને દિવ્ય દ્રષ્ટિવાળું ત્રીજું પાત્ર હાજર રાખ્યું છે. કારણ સંજય ધૃતરાષ્ટ્રને લાઈવ કોમેન્ટરી આપી રહ્યો છે અને તેના દ્વારા વ્યાસજી આપણને પણ વિરાટદર્શનથી લાભાન્વિત કરે છે. દિવ્ય ચક્ષુ આપ્યા પછીના છ શ્લોકમાં સંજય મારફતે આપણને ભગવાનના વિરાટ રૂપનું મોટું મોટું વર્ણન સાંભળવા મળે છે. સંજય આરંભે જ બે શબ્દો ઉચ્ચારે છે તેની આપણે નોંધ લેવી જોઈએ. મહાયોગેશ્વર અને ઈશ્વરી રૂપ. એટલે કે આ હવે કેવળ કૃષ્ણ નથી, પરંતુ એ મહાયોગેશ્વર છે અને તેનું રૂપ કોઈ રીતે સામાન્ય નથી પરંતુ એ ઈશ્વરી રૂપ છે. વળી, અર્જુનને પોતાના પક્ષના નામ પાર્થથી અહીં ઉચ્ચારાયો છે. સંજય કહે છે, “તેઓને ઘણા મોઢા છે, ઘણી આંખો છે, ઘણું અદભુત રૂપ છે. તેમણે દિવ્ય આભૂષણો પહેર્યા છે તો કેટલાય દિવ્ય આયુધોથી તેઓ સજ્જ છે. દિવ્ય માળા -વસ્ત્રો ધારણ કરેલ છે અને દિવ્ય ગંધની અર્ચા ઓથી સૌને આશ્ચ્ર્યમાં મૂકી દે તેવું વિશ્વવ્યાપક દેવનું પૂર્ણ સવરૂપ પાર્થની સમક્ષ છે, મહારાજ.”
