ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(25)
મૃત્યુનો ભય આપણને સૌને ઓછો કે વધુ પણ લાગે તો છે જ. હવે એ ડર સાચો છે કે ખોટો એનું કોઈ વિશ્લેષણ કરી આપે તેથી એમાં કશો ફર્ક ન પડે. પણ શ્રીમદ ગીતામાં શ્રી ભગવાને કાળજી લઈને આપણા ભયને ઘટાડવાના રસ્તા બતાવ્યા છે. ભગવાન આપણી મર્યાદા જાણે છે. તેથી મૃત્યુનો ભય ઓછો થાય એટલા માટે તેઓ આઠમા અધ્યાયમાં આપણને મૃત્યુ વિશેની વાતોમાં દોરી જાય છે.
એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે નાથને પૂછ્યું, “મહારાજ, તમારું જીવન કેટલું સાદું ને નિષ્પાપ ! અમારું એવું કેમ નથી? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો !” નાથે કહ્યું, “મારી વાત હમણાં રહેવા દે. તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે. તારું આજથી સાત દિવસ પછી મરણ છે.” નાથે કહેલી વાત ખોટી કોણ માને ? સાત દિવસ પછી મરવાનું ! ફક્ત એકસો ને અડસઠ કલાક બાકી ! અરેરે ! હવે શું થાય? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં. બધી આપ-લેની વાત, સોંપણનોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડ્યો. પથારીએ પડ્યો. છ દહાડા એમ ને એમ જતા રહ્યા. સાતમે દહાડે નાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. નાથે પૂછ્યું, “કેમ છે?” તેણે કહ્યું, “જાઉં છું હવે.” નાથે પૂછ્યું, “આ છ દિવસમાં કેટલું પાપ થયું? પાપના કેટલા વિચાર મનમાં ઊઠ્યા ?” તે મરણ પથારીએ પડેલા માણસે જવાબ આપ્યો, “નાથ ! પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો ? નજર સામે મરણ એકસરખું ઘૂમ્યા કરતું હતું.” નાથે કહ્યું “અમારુ જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો.” મરણનો વાઘ હમેશાં સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું. એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરશે?
આપણે રોજબરોજની વાતચીતમાં ધર્મ, અધ્યાત્મ, બ્રહ્મ આ બધા શબ્દોને આપણી રીતે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. શ્રી કૃષ્ણએ આઠમા અધ્યાયમાં આપણને સાચી વ્યાખ્યા કરી આપી છે.
જે પરમ અક્ષર છે તે બ્રહ્મ છે.
જે પોતાનું સ્વરૂપ એટલે કે જીવાત્મા છે તેને અધ્યાત્મ કહેવામાં આવે છે
અને
આ સમગ્ર જગત ઉપર પ્રાણીઓનો ઉદભવ થાય અને એના આધારે જે સૃષ્ટિની રચના અથવા ત્યાગ થાય એ કર્મ તરીકે ઓળખાય છે.
ત્રણ શબ્દો બીજા પણ આપણે સ્પ્ષ્ટ કરી લઈએ.
અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ એવા ત્રણ શબ્દો આ અધ્યાયની શરૂઆતના શ્લોકોમાં આપવામાં આવ્યા છે.
ઉત્પત્તિ અને વિનાશ જે બંનેના નક્કી છે એવો પ્રત્યેક પદાર્થ અધિભૂત કહેવાય છે.
જયારે જેને શાસ્ત્રમાં સૂત્રાત્મા, પ્રજાપતિ, બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ કહીને ઉચ્ચારવામાં આવે છે એ અધિદેવ છે.
તો પછી પ્રશ્ન થાય કે અધિયજ્ઞ શું છે ? એમનો જવાબ આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અર્જુનને ઉદ્દેશીને ભગવાન શ્રીકૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે આપે છે. એ અર્જુનને પણ સંબોધન કરે છે કે, હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામીરૂપે અધિયજ્ઞ છું. એટલે કે આપણને એ દેખાતા નથી એવા અંતર્યામી સ્વરૂપે તેઓ આપણામાં વસેલા છે.
કુલ ૨૮ શ્લોકોનો આ આઠમો અધ્યાય મૃત્યુ તરફની વિભાવનામાં આપણને લઇ જાય છે. કહેવાયું છે કે જે માણસ અંતકાળે ઈશ્વર સ્મરણ કરતો કરતો શરીર છોડી જાય છે એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકાને રાખવાની જરૂર નથી આવું ભગવાનના શબ્દોમાં કહેવાયું છે. એ ફરી એકવાર અર્જુનનું સંબોધન બદલીને છઠ્ઠા શ્લોકમાં અર્જુનને ‘હે કુંતીપુત્ર’ એવું સંબોધન કરે છે. માણસ અંતકાળે જે જે પ્રકારના ભાવને સ્મરણ કરતા કરતા શરીર ને છોડે છે તેને તે જ પામે છે. કારણકે સદા તેજ ભાવથી તે ભરપૂર રહ્યો છે. અહીં સમજવાનું એ થાય છે કે મૃત્યુ સમયે તમારા ચિત્તમાં જે ઈચ્છા, વાસના, અપેક્ષા, કામના રહેલી છે, દૃઢ થયેલી છે એ તમને હવે પછીના જન્મમાં પણ મળવાની છે. અને પરિણામે સમજાવ્યું છે કે, ‘હે અર્જુન, તું સર્વ કાળે નિરંતર મારું સ્મરણ કર્યા કર અને હું કહું તેમ યુદ્ધ પણ કર્યા કર. આમ કરવાથી તું ચોક્કસ મને જ પામવાનો છો. એટલે કે તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું. તું ચિંતા ન કરીશ.’ આટલો ભરોસો આપ્યા પછી નિયમ રૂપે ત્રણ વાતો સમજાવે છે.
1) પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગ. યોગ એટલે ઠાલો યોગ નહીં, કસરત નહીં, હાથ પગ ઉછાળવા તે નહીં, પેટ અંદર બહાર લઇ જવું તે નહીં પણ પરમેશ્વરનું ધ્યાન ક્ષણે ક્ષણ હોય એવા અભ્યાસરૂપ યોગયુક્ત તારે રહેવું પડે.
2) બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતન ચિંતન કરતો માણસ બની રહેવાનું એ બીજું સ્વરૂપ છે.
3) અને પરિણામે પરમ પ્રકાશ જેવા દિવ્ય સ્વરૂપ પરમેશ્વરને માણસ પામી શકે છે.
તમે જો પહેલા બે પગલાંને બરાબર આત્મસાત કરીને એમની સાથે જીવતા રહેશો તો ઈશ્વર તમને પ્રાપ્ત થવાના છે.
જે માણસ સર્વજ્ઞ, અનાદિ, અંતર્યામી રૂપે સઘળા પ્રાણીઓના શુભ અને અશુભ કર્મોનું શાસન કરનાર છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, સૌનું ધારણ પોષણ કરનાર છે, અચિંત્ય સ્વરૂપ છે, સૂર્ય સમાન સદાય ચેતનરૂપી પ્રકાશ આપનાર છે અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ, સત ચિત્ત અને આનંદને વરેલ છે એવા પરમેશ્વરનું મારે અને તમારે સ્મરણ કરવાનું છે, સ્વીકારવું પડશે પહેલા મનમાં કે, હા આવું કોઈ સ્વરૂપ છે. આવો જે ભક્તિયુક્ત માણસ અંતકાળે પણ યોગબળથી બે ભમ્મરોની વચ્ચે મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચલ મનથી સ્મરણ કરતા કરતા દિવ્ય સ્વરૂપ પરમાત્માને જ પામે છે તેની ખાતરી અર્જુનને દસમાં શ્લોકમાં શ્રી ભગવાન આપે છે.(ક્રમશઃ )
