કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે ?

 

 

 

 

 

 

 

 

જીવન એટલે વિરોધાભાસ. તનાવ પણ અને સંતુલન પણ પ્રકાશ અને અપકાર પણ. જન્મ છે તો મૃત્યુનો અનુભવ પણ છે. પણ આને વિરોધાભાસ ગણવો કે સહયોગ? તનાવનું વિરોધી છે સંતુલન, પણ તનાવને દૂર કરવામાં સહયોગી બને છે સંતુલન! પ્રકાશ તો અંધકારથી સાવ વિપરીત, પણ પ્રકાશ વગર અંધકારનું હટવું શક્ય છે ખરું? બસ, આવો જ અનુભવ છે જીવન અને મૃત્યુનો. મૃત્યુની ભૂમિમાંથી તો જીવનનું ફૂલ ખીલે છે. પૃથ્વીમાં છોડ ઊગે, ખીલે, વૃક્ષ બને અને એક દિવસ એ જ પૃથ્વી તેની કબર બને. મૃત્યુમાંથી જીવન પ્રગટે છે અને મૃત્યુમાં જીવન લીન થઈ જાય છે.

તિબેટમાં એક ફકીર હતો. મારપા એનું નામ. તેની પાસે આવીને કોઈએ પૂછ્યું : જીવન અને મૃત્યુ વિશે કંઈક કહો. મારપા તો અટ્ટહાસ્ય કરવા લાગ્યો. મારપાએ કહ્યું: “તમારે જીવન વિશે જાણવું હોય તો કહું, કારણ મને તો જીવનનો પરિચય છે! મૃત્યુની વાતમાં હું કંઈ ન જાણું, કારણ મૃત્યુ સાથે આજ સુધી મારો ભેટો નથી થયો. મૃત્યુ સાથે મારો કોઈ પરિચય નથી. મૃત્યુ વિશે જાણવું હોય તો એને પૂછો જે મરી ગયા છે અથવા મરી રહ્યા છે. હું તો જીવન છું, મૃત્યુની ઓળખાણ થવાની હજી બાકી છે.’

પણ તો પછી દુ:ખ કેમ થાય છે સ્વજનના મૃત્યુથી? કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે?…

આપણે કોઈકના મૃત્યુર્થી કદી દુઃખી થતા જ નથી ! સ્વજન ગયાનું એ દુઃખ નથી. આપણો ભ્રમ ભાંગ્યાનું દુઃખ છે. મારો અહમ્ તૂટ્યાનાં આંસુ છે. મારી ધારણા ખોટી પડયાનો વસવસો છે. ક્યો ભ્રમ? કેવો અહમ્ ? કઈ ધારણા …

મારા પ્રિયજન કે મારા આપ્તજન કદી મારાથી વિખૂટાં પડી જ ન શકે, ‘તે ભ્રમ, જે મા-બાપ-ભાઈ-બહેન-પતિ-ધની મર્યાં તે મરી જ કેમ શકે?’ તે અહમ્, ‘હજુ હમણાં તો હતાં, હવે નથી?’ તે ધારણા.

રડવું આવે છે તે ગયેલા માટે નહીં, ગયા તે જઈ જ કેમ શકે?” તેનું રડવું આવે છે. મેં માની લીધું હતું કે તેઓ તો રહેશે જ, કાયમ ! મારી આ ધારણા તૂટી તેનો વસવસો, તેનો વલોપાત, તેનું આકંદ. How can I be wrong: That too, death can make me fool? मृत्युनो १२ આપણને સતાવે છે. આપણને રડાવે છે. આપણે ક્યારે રડીએ છીએ? જયારે આપણે ડરીએ છીએ! કોઈને મરતા જોઈને, તેમની સાથે જીવતા હતા ત્યારે કરેલો અવિવેક, અન્યાય, અકર્મ આપણા માનસપટલ પર દૃશ્યમાન થાય છે, તેના પસ્તાવારૂપે આપણે રડી પડીએ છીએ. સ્વજનનું મૃત્યુ જોઈ મનમાં સરવૈયું મંડાય છે, Swot Analysis શરૂ થાય છે,… Analysisમાં સારપ ઝાઝી તો હર્ષનાં આંસુ અને ખારપ ઝાઝી તો દુ:ખનાં – વસવસાનાં આંસુ. કોઈકનું, બે સત્યો પ્રતિપાદિત કરતું મૃત્યુ. અશ્રુને આમંત્રે છે : (૧) ઓહો, આ આમ જતા રહ્યા? (૨) અરેરે,… હું પણ આમ જ જતો રહીશ… મૃત્યુનો આ અણદીઠ્યો ભય છે. મૃત્યુના ભયનો એક જ અર્થ છે : જીવનનો અપરિચય. મૃત્યુ જીવનનો વિરોધાભાસ નથી. મૃત્યુ જીવનનો સહયોગ છે. કાકાસાહેબ કાલેલકર સરસ વાત કરે છે : થાકેલો મજૂર વિસામો નથી લેતો? દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઊંઘની સોડમાં નથી ભરાઈ જતું? પાકેલું ફળ પોતે જ નીચે નથી પડી જતું? થાક્યો પાક્યો માણસ ઊંઘી જવાની ઇચ્છા કરે તો આપણે દેકારો કરીએ છીએ? આંસુ સારીએ છીએ? કે તેને ઊંઘવા માટે વ્યવસ્થા કરી આપીએ છીએ!’ મૃત્યુની ભૂમિમાં જીવનનું એક ફૂલ ઊગી રહ્યું છે; આ દિવ્યપળનું સ્વાગત કરો, કારણ જીવનની યાત્રાનું પહેલું ડગલું જ મૃત્યુના માઈલસ્ટોન તરફ છે.

જીવન જીવવાના માર્ગ કેટલા?

 

 

 

 

 

 

 

 

 

આ પ્રશ્નનો કોઈ પુસ્તકિયો જવાબ તો હોય જ નહીં. તેમ છતાં પ્રશ્ન છે કે : જીવન જીવવાના માર્ગ કેટલાં? પ્રશ્ન છે તો ઉત્તર પણ હશે. ઉત્તર હશે તો તેની શોધ પણ હશે. કદાચ આ શોષ જીવન જીવવાનો એક માર્ગ હોઈ શકે. વીજળીના ચમકારે મોતીડાં પરોવાઈ જાય એ જીવનનો એક માર્ગ અને સાત-સાત હેલોજનના ભડકા વચ્ચે સોય શોધી ના જડે તે જીવનનો બીજો એક માર્ગ. આ બંનેના અણધાર્યા અનુભવ થાય તે વળી નવો માર્ગ ! આપણી સામે દ્વન્દો ઊભાં કે કે હોય, પેરાડોક્સ હોય, વિકલ્પો હોય અને ત્યારે જ પ્રશ્ન વિશેષ સર્જાય કે : જીવન જીવવાના માર્ગ કેટલા? સાચા-ખોટાનો માર્ગ પકડવો કે સારા-ખરાબનો ? ‘એકામતા’ પર ધ્યાન આપવું ‘સજાગતા’ પર? ‘શ્રેષ્ઠ’ની ઉપાસના કરવી ‘શુભ’ ની ? ‘જાણકારી’નું જોર વધારવું ‘હિતકારી’નું ? ‘દુઃખ’થી ડરવું કે ‘દોષ’ થી? ‘સગવડ’ને વળગવું કે ‘સ્વતંત્રતા’ ને કે ? ‘જાણીએ’ તે મહત્વનું કે ‘સમજીએ’ તે ? આ રહ્યા સપ્ત માર્ગો. પણ પસંદગી મારે ને તમારે કરવાની. યોગ્ય શું ને અયોગ્ય શું તે નક્કી આપણે કરવાનું.

સાદી ને સીધી વાત કરું? જીવન જીવવાના બે રસ્તા : ‘ગણતરીનો રસ્તો’ અને ‘કવિતાનો રસ્તો’. કેલ્ક્યુલેશન અને પોએટ્રી. Step by step અને of its own. કેલ્ક્યુલેશનમાં સાયન્સ આવે, ટેકનોલોજી આવે, મેથેમેટિક્સ આવે, ઈકોનોમિક્સ આવે, ગોઠવેલું – પ્રયોજેલું બધું આવે. જયારે પોએટ્રીમાં આર્ટ આવે, મ્યુઝિક આવે, બ્યુટી આવે, લવ આવે, સહજ સ્ફુરતું બધું આવે. સમજી સમજીને જીવો તે ગણતરીનો માર્ગ અને જીવી જીવીને સમજો તે કવિતાનો રસ્તો… એ જુદી વાત છે કે નાનપણથી આપણને ગણતરીના બાદશાહ બનાવવાની કોશિશ આપણી સંસ્કૃતિ કરતી આવે છે. નાનું બાળક કોઈકનું જોયેલું શીખે છે, પછી તે મા-બાપ હોય, શિક્ષકો હોય, મુલ્લા-પાદરી-પૂજારી હોય કે પછી કહેવાતો નેતા-અભિનેતા હોય. બસ, અહીંથી બધું પ્રાયોજિત શરૂ થાય છે. તમને ગમે કે ન ગમે, પણ જે વ્યવસ્થા છે તેમાં ગોઠવાઈ જુઓ, ધીમે ધીમે ગોઠી જશે, તમે conditined થઈ જશો અને તમે કવિતાનો, ખળખળ વહેવાનો, ચીલો ચાતરવાનો, તમને ગમતી વ્યવસ્થા સર્જવાનો માર્ગ હંમેશ માટે ભૂલી જશો. સમાજનું, સંસારનું, કુટુંબનું, સંસ્કૃતિનું આ પ્રાયોજિત પડૂયંત્ર છે. આપણે તેમાં એવા સલવાઈ જઈએ છીએ કે આપણને સલવાઈ જવું વહાલું લાગે છે. !

આમાંથી બચી જવાનો કોઈ ત્રીજો માર્ગ છે?… હા, જરૂર છે. વિશ્વ આજે પણ જેને ખૂલીને સ્વીકારવા તૈયાર નથી તે તોફાની ચિંતક ઓશો ત્રીજો માર્ગ દર્શાવે છે. તમારી પાસે બે રસ્તા છે. પહેલા ગણતરીના માર્ગે તમે ચાલો તેવું પાકું પપંત્ર ગોઠવાયું છે, બીજા કવિતાના માર્ગે તમે ચાલવા ઈચ્છો છો પણ તમારી સમજ કે તમારી સ્વતંત્રતા ટૂંકી પડે છે, તો હવે શું કરવું ?.. ઓશો ત્રીજો માર્ગ ચીધે છે. અને તે છે ‘ધ્યાનનો માર્ગ’, ધ્યાનમાર્ગ આપણને જીવન બહુપરિમાણીય સ્તરે જીવવાની મોકળાશ કરી આપે છે. ધ્યાનનો માર્ગ અથરો નથી જ નથી. હા, ધ્યાનમાં પાટિયાં મારી દુકાનો ખોલી કેટલાય મહાનુભાવોએ પોતાના જીવનનો ‘ગણતરીનો રસ્તો’ હાઈવે કરી નાખ્યો છે. ધ્યાનમાર્ગે કશું જુદું કરવાનું નથી, જે કરીએ છીએ તે સજગતાથી કરવાનું છે. હું કરું છું તે મારે જોતાં શીખવાનું છે. આ જોતાં આવડે તો સહજતાથી જીવતાં આવડે. મારામાંથી બહાર નીકળી જઈને હું જોઉં કે હું કેમ જીવી રહ્યો છું, તે જીવન જીવવાનો ઉત્તમ માર્ગ. પણ આપણે આપણામાંથી બહાર નીકળી શકીએ ? હા. જરૂર. પણ તે પહેલાં આપણે આપણામાં પુરેપુરા અંદર ઊતરી જવું પડે. જે છે તે અંદર છે ને?

આ ‘નિમિત્ત’ વળી શું છે?

 

 

 

 

 

 

 

 

 

જો આ બે વૃક્ષો ન હોત તો શાંતિનિકેતન પણ ન હોત?

નિમિત્ત એ ‘કશુંક’ કે ‘કોઈક’ નથી, છતાં નિમિત્ત માત્રથી કોઈક કશુંક કરે છે!

અહીં સઘળું પૂર્વ નિર્ધારિત છે. હા, એ વાત અલગ છે કે પૂર્વ નિર્ધારિત શું છે તેની આપણને જાણ નથી હોતી. આમ જુઓ તો, શું થવાનું છે તેની જાણ નથી હોતી એનો જ આનંદ છે. વાનગી મોઢામાં મૂક્યા પહેલાં જ એના સ્વાદનો અહેસાસ થઈ જાય તો વાનગીનો ચાર્મ રહે ખરો? ખાધા પછી મીઠી લાગે કે કડવી, એ અનુભવની મજા જ કંઈક ઓર છે ! પણ હા, એ ‘પછી થયેલો અનુભવ’ પણ પૂર્વ નિર્ધારિત જ હતો તે ભૂલવા જેવું નથી.

જીવનમાં બે બાબત નક્કી છે : ‘કશુંક’ થાય છે, અને એ કશુંક ‘કોઈક’ કરે છે… આ ‘કશુંક’ એટલે શું તે અનુભવવાનું છે અને ‘કોઈક’ એટલે કોણ તે શોધતા રહેવાનું છે. અહીં કશુંક કશુંક થયા કરે અને તે કોઈક – કોઈક કર્યા કરે તેનો જ આનંદ છે. આ આનંદમાં એક નવું બળ ભળે છે, જેને ‘નિમિત્ત’ કહે છે. ‘કશુંક થાય છે’ અને ‘કોઈક કરે છે’ની વચ્ચે એક અદ્રશ્ય બળ છે તે નિમિત્તે છે. આ નિમિત્ત એ ઉદીપક છે.

નિમિત્ત તો કોઈ પદાર્થ હોય, કોઈ સ્મરણ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ ઘટના હોય, કોઈ દ્રશ્ય હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ જીવ હોય, કોઈ નિર્જીવ હોય, કોઈ વાત હોય, કોઈ અકસ્માત હોય, કોઈ શબ્દ હોય, કોઈની હાજરી હોય કે પછી કોઈની ગેરહાજરી હોય. નિમિત્ત નિમિત્ત માત્ર હોય, તે હોય છતાં ન હોય અને તે ન હોય છતાં હોય. નિમિત્તે એ કશુંક નથી, નિમિત્ત એ કોઈક નથી, છતાં નિમિત્તને કારણે કશુંક છે અને નિમિત્ત માત્રથી કોઈક કશુંક કરે છે!

સાંજનો પહોર હતો. સૂકા વેરાન વગડામાં જઈને એક પાલખી જઈ રહી હતી. અંદર ઋષિ જેવા એક ભવ્ય પુરુષ બેઠા હતા. વૃક્ષવિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષ દેખાયાં. એમને કુતૂહલ થયું. પાલખી થોભાવીને નીચે ઊતર્યાં. આ સ્થળ એમને જોતાંવેંત ગમી ગયું. બહુ શાંતિનો અનુભવ થયો. વળી આ જગ્યા તો કોલકત્તાથી માત્ર સો માઈલ દૂર હતી. ધર્મચિંતન કરવા માટે અહીંનું એકાંત સારું રહેશે. આવું વિચારીને બીરભૂમ જિલ્લાના બોલપુર ગામ પાસે આવેલી આ જમીન એમણે ખરીદી લીધી. એ ભવ્ય પુરુષ હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, રવીન્દ્રનાથના પિતા. મહર્ષિ અહીં અવારનવાર આવતા અને તંબૂ તાણીને રહેતા.

જમીન ૧૮૯૩માં ખરીદાઈ. ૧૮૬૪માં પેલાં બે વૃક્ષો નજીક મહર્ષિએ એક પાકું મકાન બંધાવ્યું અને તેનું નામ રાખ્યું ‘શાન્તિનનિકેતન’. રવીન્દ્રનાથ ત્યારે ત્રણ વર્ષના. પિતા જોડે અહીં આવતા. તેર વર્ષના થયા ત્યારે પિતા સાથે હિમાલય જતી વેળા આ મકાનમાં રહેલા. પછી તો પરિવાર સાથે પણ અહીં રહ્યા. વિસ્મયની વાત એ હતી કે આ સૂકા પ્રદેશમાં, જ્યાં એક પણ વૃક્ષ નહોતું ત્યાં આ બે વૃક્ષ કેમ કરીને ઊગ્યાં ? મહર્ષિને એ વૃક્ષોની નીચે બેસવાની ઈચ્છા કેમ થઈ ? આ પ્રશ્નોના કોઈ ઉત્તર નથી. ઉત્તર નથી તેની જ મજા છે. તો અહીં શાન્તિનિકેતન પણ ન હોત ! આજના કારણ કે એટલું ચોક્કસ કે આ બે વૃક્ષ જો ન હોત રમણીય આ લોકથી, આકાશથી, આનંદથી, શાંતિથી પરિપૂર્ણ શાન્તિનિકેતનના પૂર્વસૂરિઓ તો આ બે છાતિમ (સપ્તપર્ણ) વૃક્ષો ४.

શાન્તિકેતનમાં આ બે વૃક્ષનો મહિમા આજે પણ અકબંધ છે !… આ બે વૃક્ષ તે શાન્તિનિકેતનના સર્જનનું નિમિત્ત…! પંખીએ એક દિવસ આકાશને જોયું અને વિપીન પરીખે લખ્યું: ‘પિંજરામાં ગાતાંગાતાં નિમિત્ત દુઃખની શરૂઆત પણ હોઈ શકે અને ત્યારથી એના દુઃખની શરૂઆત થઈ…!” શાન્તિનિકેતનનું સર્જન પણ…!

 

 

 

ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર – શબ્દસૃષ્ટિ

 “મા જ્યાં મોકલે ત્યાં જવું.!”

કવિશ્રી અનિલ જોશીની વિદાયે શ્રદ્ધાંજલિ લેખ : 02 

 

ગાંસડી ઉપાડી શેઠની..ના નાયક અનિલ જોશી નામના પ્રેમીથી બોલાય જાય છે..

“હું જાઉં છું એમ કહેવા કરતા મને ‘આવજો’ કહ્યું હોત તો હું તારી પાછળ ના અવત પણ હૃદયને સારું લાગત.”

એમનું ખરું નામ અશોક.. અને એક જ્યોતિષની સલાહ મુજબ તેઓ ‘અશોક’ માંથી ‘અનિલ’ થયા અને આપણને ‘કવિ અનિલ જોશી’ મળ્યા. તેઓ પોતાની જીવન વીતક કથામાં બધાં જ પૃષ્ઠો ખોલીને વ્યક્ત થાય છે.

“ મારી જીભ હવે સાવ છૂટી થઇ ગઈ હતી. પણ છોકરીઓ સાથે વાત કરવાનો કોઈ મોકો જ મળતો નહીં. કોઈ છોકરી રિસેસમાં લોબીમાં સામે મળી જાય તો હું નીચું જોઈ જતો. એ દિવસોમાં ગુડ મોર્નિંગ કહેવાનો રિવાજ નહોતો. કેટલાક ઈશ્કી છોકરાઓ છોકરીને જોઈને ફિલ્મી ગીત ગાતા:: “આપ યુંહી અગર હમસે મિલતે રહે, દેખીએ એક દિન પ્યાર હો જાયેગા.” મને આવું બધું ગમતું નહીં. એ દિવસોમાં અઝીઝ નાઝાની કવાલી મશહૂર હતી. “હમે તો લૂંટ લિયા મિલ કે હુશ્નવાલોને, કાલે કાલે બાલોને ગોરે ગોરે ગાલોને.”

કોલેજમાં કાવ્ય સ્પર્ધા યોજાઈ એમાં ખાલી ગમ્મ્ત ખાતર મેં ભાગ લીધો. એક વાતનું મને પોતાને આશ્ચર્ય છે કે, મને છંદમાં બહુ રસ પડતો હતો. “છબીનો ભંગાર” નામે એક મંદાક્રાંતા છંદમાં કવિતા લખીને સ્પર્ધામાં મોકલી આપી પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એ કવિતાને પ્રથમ ઇનામ મળ્યું. ૧૯૬૧ માં મેં પહેલી ગુજરાતી કવિતા લખી. એ પછી એક નાનકડું કાવ્ય લખીને મેં કુમારના તંત્રી બચુભાઈ રાવતને મોકલી આપ્યું, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે બચુભાઈનો પત્ર મને મળ્યો. અને એ કાવ્ય ૧૯૬૨ ના કુમારમાં છપાયું. એ કાવ્ય હજી મને યાદ છે. કાવ્યનું શીર્ષક હતું ‘ગરિયો’

‘કેવો ગુમાને ગરિયો ફરે છે, આ ભોંય પાડી કમનીય રેખા,

ઉભી છ કાયા નિજની પ્રશાંત, બાકી ફરે છે મુજ પાસ માયા,

એવું વિચારે

પણ નવ જાણતો એ વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો.’

મારી પ્રથમ કાવ્ય રચના કુમાર સામાયિકમાં પ્રગટ થઇ એનાથી કોલેજમાં ને પ્રોફેસરોમાં મારું માન ખુબ વધી ગયું. ખાસ કરીને જયાનંદ દવે અને પ્રભાશંકર તેરૈયાએ મને પાનો ચડાવ્યો, પણ કવિતા લખવામાં મારી રુચિ બહુ નહોતી. મારું લક્ષ્ય તો સારા ક્રિકેટર થવાનું હતું. મોર્નિંગ કોલેજ હતી એટલે આખો દિવસ જીમખાનામાં પડ્યો રહું. મારો દોસ્ત વિનુ ઝગડા, ગની ઠાસરીયા, ધર્મેન્દ્ર પારેખ, હસમુખ ગોહિલ, શશી દવે, દિનેશ અધ્યારૂ, અનિલ ગુપ્તે અને ઇબ્રાહિમ મારા ટિમ ભેરુઓ હતા. હું ગાયકવાડ ટ્રોફી માટે રમ્યો, હિલશિલ્ડની મેચો રમ્યો. આ બધી મેચોમાં અમ્પાયર તરીકે ટેસ્ટ ક્રિકેટર ન્યાલચંદ હતા. મેચ પછી ન્યાલચંદે મને ખાસ બોલાવીને કહ્યું : “આજે ઇન્ડિયાને ઓફ સ્પિનરની બહુ જરૂર છે. તું રાજકોટના કેમ્પમાં આવ. તું સારો ઓફ સ્પિનર બની શકે છે.” મારા કોલર ઉંચા થઇ ગયા. મારા દોસ્ત વિનુ ઝગડાએ મને પાનો ચડાવ્યો પરંતુ ગાયકવાડ ટ્રોફીની એક મચમા હરીફ ટીમમાં રણજિત ટ્રોફીના ચાર ખેલાડીઓ હતા. આ ટીમે અમારા ગાભા કાઢી નાખ્યા. મેં બે વિકેટ લીધી પછી મને ધોઈ નાખ્યો. હું લેગ સ્લિપમાં બરાબર ફિલ્ડિંગ કરતો હતો. મેચ બરાબર જામી હતી, એવામાં કટ લાગી અને ફાસ્ટ દડો મારી આંખ ઉપર લાગ્યો. હું પેવેલિયનમાં પાછો ફર્યો, ખુબ લોહી નીકળ્યું, ટાકા લેવા પડ્યા બસ એ દિવસથી ક્રિકેટ છૂટી ગયું મનમાં એક બીક મને કાયમ માટે પેસી ગઈ!!

ત્યાર પછીના કવિ શ્રી ગોંડલના શ્રી નાથાભાઈના સંગે બરાબર જીવન વિતાવી રહ્યા હતા અને એમનો ભાવ સભર વર્ણન તેમણે આ કથામાં કર્યું છે. એક દિવસ સાંજે મકરંદ મને કહે, “ચાલ અનિલ, આજે તને હું નાથાભાઈ પાસે લઇ જાઉં.” નાથાભાઈ જોશીનું નામ તો મકરંદ પાસેથી મેં સાંભળ્યું હતું. નાથાભાઈને મેં જોયા પણ હતા. તેઓ સાયકલ ઉપર ફરતા કાળો કોટ પહેર્યો હોય, નીચે સફેદ લેંઘો હોય. લેંઘાનો પાયચો સાયકલની ચેનમાં ભરાઈ ન જાય એ માટે પાયચો બેવડ વાળીને એની ઉપર કલીપ લગાવેલી હોય ! શરીરનો સાવ પાતળો બાંધો. સાયકલ પાછળના કેરિયરમાં કેટલાક પુસ્તકો હોય. એક વાર નાથાભાઈ મકરંદને પુસ્તકો દેવા એમને ઘેર આવ્યા હતા એટલું મને યાદ છે. એ સાંજે હું અને મકરંદ નાથાભાઈને ઘેર ગયા. શ્રુતિ નામનું મકાન હતું. નાથાભાઈએ દરવાજો ખોલ્યો એ પછી મકરંદે મારી ઓળખાણ કરાવી ત્યારે નાથાભાઈએ મારી સામે જોયું કે તરત એમનો અવાજ બદલાઈ ગયો ! મને કહ્યું, “તું બહુ મોટો કવિ થવાનો છે.” આટલું બોલ્યા પછી નાથાભાઈનો અવાજ નોર્મલ થઇ ગયો.!! મકરંદ અને નાથાભાઈ વચ્ચે પ્લેઇન ટ્રુથ સામાયિકની આપ લે થઇ અને સામાયિક સાથે નોબલ ઇનામ નકારનાર સાર્ત્ર સંકળાયેલા હતા. એ વષે નાથાભાઈને મકરંદે કહ્યું: ‘સાર્ત્રની ટ્રુથફૂલનેસ માટે માન ઉપજે છે.’ એ પછી અમે શરબત પી ને નાથાભાઈની વિદાય લીધી. મને બહુ મોટું આશ્ચર્ય એ થયું કે, હું કવિતા બવિતા તો લખતો નથી છતાં મને જોઈને નાથાભાઈએ બિલકુલ જુદા અવાજમાં એમ કેમ કહ્યું કે તું બહુ મોટો કવિ થવાનો છે.?! આ સવાલ મેં મકરંદને પૂછ્યો પણ મકરંદ ખાલી હસ્યા જવાબ આપ્યો નહીં ! એ પછી તો મકરંદના ફળિયે સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા, ઉમાશંકર તેમજ અમૃત ઘાયલ જેવા સાહિત્યકારોનો આવરોજાવરો રહેતો. હું સાવ મૂંગો બેસીને બધાની વાત સાંભળ્યા કરતો પણ કવિતા લખવાનું બહુ મન થતું નહીં. પણ એ જ દિવસોમાં હું મારા ઘરની અગાશી ઉપર પડ્યો રહેતો. કાં તો રૂમના પલંગ ઉપર અર્ધ જાગૃત અર્ધ નિંદ્રામાં પડ્યો રહેતો. એ અવસ્થામાં મારાથિક એક પંક્તિ લખાઈ ગઈ, “કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી.” તરત જ એ ગીત પૂરું થઇ ગયું બીજે દિવસે મેં મકરંદને સંભળાવી દીધું તે તો રાજી રાજી થઇ ગયા.

હું ભાઈ પાસે મારી બધી મૂંઝવણ કહેતો હતો. ભાઈ બહુ સહજતાથી એક જ વાત કહેતા: આપણને મા નું બીમાર બાળક બની જવું એટલે મા બીમાર બાળકને પોતાના ખોળામાં જ રાખે. અનિલ, તું બધું મા ને સોંપી દે. એટલામાં કોઈ જિજ્ઞાસુ આવ્યા. ભાઈને પૂછ્યું ભાઈ, હવે અવતાર ક્યારે થશે ? ભાઈએ તરત જ જવાબ આપ્યો: જુઓ ભાઈ જમીન ઉપર રડતા બાળકને તેડી લેવા મા નીચે નમે એ જ અવતાર છે. ભાઈ સાથેના ઉપનિષદ (ઉપનિષદ એટલે પાસે બેસીને ધીમેથી વાત કરવી.) થી મારું મેટામોર્ફોસિસ થવા લાગ્યું. એની મને ખબર પડી નહીં. ભાઈ પાસે જાઉં ત્યારે મારો એક જ પ્રશ્ન હોય, મને મા ક્યારે મળશે ? ભાઈ તરત કહેતા: “ મા પાસે કોઈ કેલેન્ડર કે ઘડિયાળ નથી. મા અનંત છે. આ ઘડિયાળના બે કાંટા ખરી જાય પછી ઘડિયાળ કયો ટાઈમ બતાવે ? અનંતતા.” અહીં મકરંદ તરત ટહુકો કરીને કોઈ પ્રાચીન ભજનની પંક્તિ બોલતા: “અમે વખનાં માર્યા અવધિના બાંધેલા જીવડાં…” આ પંક્તિ કદાચ દાસીજીવણની હોય શકે. આઈ એમ નોટ શ્યોર !!   ભાઈનું શરીર એકવડિયા બાંધાનું. આખી બાંય નું ખમીસ પહેરે. ક્યાંક બહાર જવું હોય તો સાયકલ ઉપર જાય. સાધુતાનો કોઈ ડોળ નહીં. ઉપદેશોની કોઈ ભરમાર નહીં. તમે ભાઈ પાસે બેસો તો સાર્ત્રની પણ વાત આવે, કાફકાને યાદ કરે. એ દિવસોમાં અસ્તિત્વવાદ ખુબ ચર્ચામાં હતો. એ વિષે ભાઈ હસીને કહેતા: “અનંતની સામે આપણું અસ્તિત્વ કેટલું કહેવાય ? મા વિના અસ્તિત્વ શક્ય જ જ નથી. પશ્ચિમની ફિલસુફી પાસે દર્શન છે. પણ અનંતતાનો સ્પર્શ નથી.” એ વખતે મકરંદ તરત ટહુકો કરી કહેતા, “ અત્યારે રોજ સૂર્ય ઊગે છે પણ એવો જ એક સૂર્ય અનંતતામાં છે પરંતુ એ સૂર્યનાં કિરણો હજી આપણા સુધી પહોંચ્યા નથી. હજારો વર્ષથી સૂર્ય કિરણો મુસાફરી જ કર્યા કરે છે.” મને આ બધી વાતોમાં ખુબ રસ પડવા લાગ્યો. મારી મુંઝારી દિવસે દિવસે વધવા લાગી. મારા દિમાગમાં અનેક વિચારો આવતા હતા. વિચારોનો ટ્રાફિક એટલો બધો હતો કે, મારી સાયકલને પંચર પડી ગયું એ પછી એવું થયું કે હું આકાશમાં ઉડતા પંખી જોઉં એમ દિમાગમાં આવતા વિચારોને જોવા લાગ્યો. જેમ કે એક પછી એક દ્રશ્ય પસાર થાય એમ સતત વિચારો પસાર થયા કરતા હતા. જાણે કે હું કોઈ બીજી વ્યક્તિ હોઉં એમ વિચારોને જોવા લાગ્યો હતો. વિચારમાં એક ભાષા હોય છે. એ ભાષા મને પાંખના ટહુકા જેવી લગતી હતી. એ દિવસોમાં મેં એક કવિતા લખી.

મારા જીવને વળગી મુંઝારી રે કોઈ ભુવા ધૂણાવો,

જીવતરનું નામ ધ્રુજારી રે કોઈ ભુવા ધૂણાવો…

આ કવિતા મેં ભાઈને સંભળાવી હતી ત્યારે તેઓ મર્માળું હસ્યા હતા, કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. ફક્ત એટલું જ બોલ્યા હતા: “તને મા એ કીધું હતું કે, તું બહુ મોટો કવિ થઈશ. મારે પણ ગોંડલમાં એક મંદિર બાંધવું છે, પણ એ મંદિરમાં સાહિત્ય અને કવિતાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. એ બધું મેં મા ને સોંપી દીધું છે હું તો કંઈ કરતો નથી, બધું મા કરે છે. સાહિત્ય અને કવિતા વિનાનું મંદિર અધૂરું કહેવાય. તું એ મંદિરનું બાંધકામ ચાલે છે તે જોઈ આવ. એ પછી કોઈ મિત્રને ભાઈએ કહ્યું, ‘અનિલને મંદિર બાંધ્યું છે તે દેખાડવા લઇ જાઓ.’ હું એ નિર્માણ પામતા મંદિરને જોવા ગયો. એ પછીના દિવસોમાં મકરંદના ફળિયે રોજ સાહિત્યની ચર્ચાઓ થઇ. મકરંદની ઓસરીમાં બા નો ખાટલો, બા ને પેટનો દુખાવો ઉપડતો ત્યારે બા ના પેટ ઉપર સતત હાથ મૂકી રાખવો પડતો. એ રાતે વારાફરતી હું ને મકરંદ બા ના પેટ ઉપર હાથ રાખીને બેસતા. બા ઊંઘી જતા. પેટ ઉપરથી મારો હાથ ખસે તો બા જાગી જતા. આખી રાત હું ને મકરંદ બેસી રહેતા. મધરાતે અમને ભૂખ લાગતી ત્યારે રસોડામાં જઈને તીખા ગાંઠિયા પાણીમાં પલાળીને લાવતા જેથી ગાંઠિયા ખાતા મોમાં કરડ કરડ ન થાય ને બા જાગી ન જાય. મકરંદને બા બાબુ કહીને બોલવતા હતા.

કવિએ BA ની પરીક્ષા આપી દીધી. વર્ષ પૂરું થયું હવે તો એમણે ઉચાળા ભરીને પાછું હિંમતનગર જવાનું હતું. એ દિવસોમાં યશવંત સરને મળવા તેઓ ગયા અને રીતસર તેની પાસે રડી પડ્યા. એમણે કહ્યું કે મને એક અસલામતીનો એહસાસ થયો છે. BA ની પરીક્ષા આપીને હું પાછો હિંમતનગર પહોંચી ગયો. રીઝલ્ટની બહુ ચિંતા નહોતી. અમદાવાદમાં નિરંજનભગત પાસેથી ખુબ વાતો સાંભળી હતી એમાં ગ્રીક તત્ત્વવેત્તાના શબ્દો મારા લોહીમાં ભળી ગયા હતા. “જીવનને એવી રીતે ગ્રહણ કરો કે, તમે એક દાવત પાર્ટીમાં આવ્યા છો. તમારે આ દાવતમાં શાલીનતાથી પેશ થવાનું છે. તમારા હાથમાં ખાલી ડીશ છે. કોઈ વાનગીની ડીશ તમારા તરફ લાવે તો એમાંથી તમે ખપ પૂરતું ગ્રહણ કરો. સંભવ છે કે કોઈ વાનગીની ડીશ તમારા તરફ ન આવે તો તમારી પ્લેટમાં જેટલું છે એનાથી ચલાવી લો. ઝૂંટાઝૂંટ ન કરો. કોઈ સારી વાનગી તમારા સુધી હજી સુધી પહોંચી નથી, તો એની ધીરજ પૂર્વક પ્રતીક્ષા કરો. નમ્રતા, સંયમ અને કૃતજ્ઞતાના આ દ્રષ્ટિકોણથી તમે બાળકો, પતિ અથવા પત્ની તમારી કેરિયર અને આર્થિક સ્થિતિ સાથે જીવનની દાવતમાં પધારો. અધીરા થઈને કોઈનું ઝૂંટવી લેવાની જરૂર નથી, ઈર્ષા કરવાની જરૂર નથી, સમય આવશે ત્યારે તમારી ગમતી વસ્તુ તમારી પ્લેટમાં આવી જશે.” કવિ લખે છે કે મારી હોસ્ટેલ લાઈફ એક દાવત પાર્ટી જેવી હતી.

એક વાર તેઓ મહેંતાપુરાના બેઠો પુલ ઓળંગીને લાયબ્રેરીમાં જતા હતા ત્યારે રસ્તા વચ્ચે એક ચબુતરો આવતો હતો. ચબૂતરે થોડી વાર તેઓ ઉભા રહ્યા.. ચબુતરાનાની જીણી ધૂળ પર પંખીઓની સુંદર ભાત પડેલી હોય ત્યારે તેઓને ફીલ થયું કે, આ ધૂળને કોઈ શણગારી ગયું છે. શિશુ અવસ્થામાં તેઓએ ધૂળથી ઝાંખા પડી ગયેલા અરીસા ઉપર આંગળીથી પોતાનું નામ લખ્યું હતું તે હજીયે યાદ છે. ચબુતરો છોડીને તેઓ લાયબ્રેરી પહોંચ્યા. લાયબ્રેરી બહુ આધુનિક નહોતી. જુના પુસ્તકો ઉપર ધૂળ ચડી ગઈ હતી. એકાદું પુસ્તક લઈને ખુરશી પર બેસીને તેઓ વાંચવા લાગ્યા. થોડી વાર થઇ હશે ત્યાં એક સુંદર છોકરી લાયબ્રેરીમાં પ્રવેશે છે. લાયબ્રેરીમાં કવિ સિવાય બીજો કોઈ વાચક નહોતો. એ યુવતિ એમની સામેની જ ખુરશીમાં પોતાનું પર્સ મૂકીને જેવી બેઠી કે તરત જ કવિ તેમને ઓળખી ગયા. મળી દૃષ્ટોદ્રષ્ટ. “આ એ જ વિજ્ઞાનમાં ભણતી છોકરી હતી જેની સાથે મોરબીમાં હું પ્રેમમાં પડી ગયો હતો. મેં કહ્યું અરે તું ! એ છોકરી પણ બોલી તમે અહીં ?” લાયબ્રેરીમાં એક સન્નાટો ફરી વળ્યો. મારી સામે એક ફ્લેશબેકનું દ્રશ્ય છવાઈ ગયું. હું ફ્લેશબેકમાં ખોવાયેલો હતો. અહીં મને એવું ફીલ થયું કે હું શબ્દ દ્વારા વિચારવાનું છોડીને ચિત્ર દ્વારા વિચારું છું. હું બહુ આકર્ષક નહોતો કે, કોઈ સુંદર છોકરી મારા પ્રેમમાં પડી જાય. મારો મિજાજ પણ ઈશ્કી નહોતો. મારે એને ઘણું ઘણું કહેવું છે પણ શબ્દો હોઠે ચડતા પહેલા જ તૂટી જતા હતા.” અમે બંને લાયબ્રેરીમાં બેસી રહ્યા. એ છોકરી મારી સાથે હાથ મેળવતા એટલું જ બોલી, “વીંટી એની એ જ છે. મેં વીંટી બદલી નથી. મને અમદાવાદમાં મેડીકલમાં એડમિશન મળી ગયું છે, હું જાઉં છું તમારું ધ્યાન રાખજો.”   એ છોકરીએ હું જાઉં છું કહીને વિદાય લીધી ત્યારે હેમંત દેસાઈનું એક નાનકડું કાવ્ય એના ગયા પછી યાદ આવી ગયું. હું જાઉં છું એમ કહેવા કરતા મને આવજો કહ્યું હોત તો હું તારી પાછળ ના અવત પણ હૃદયને સારું લાગત. એ દિવસે બપોરે હું ઘેર આવીને માનસિંહ પાસેથી બે પેગ મહુડાનાં ચડાવીને સુઈ ગયો હતો.

મોડાસાની આવ જા દરમિયાન બસની બારીમાંથી સાબરકાંઠાની પ્રકૃતિને તેઓએ ખોબેખોબે પીધી છે, ઉડતા પોપટને જોવે તો એવું લાગે કે, કલરવની સુંદરી પોપટની પાલખીમાં બેસીને અભિસારે જઈ રહી છે. પસાર થતા વૃક્ષોના ફરકતા પાંદડા વચ્ચે ઝૂલતું આકાશ, બસ તો સડસડાટ ચાલતી હોય. કોઈ વાર સૂકા પાંદડા પવનની ઝપટે ચડીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે બસના ડ્રાઇવર ઉપર ગુસ્સો આવે કે, આ સૂકા પાંદડા રોડ ક્રોસ કરે છે, પણ ડ્રાઈવર હોર્ન કેમ નથી મારતો ? કવિની અભ્યાસ જાત્રામાં બે મુકામ હતા. નિરંજન ભગત પાસે બોદલેર અને મકરંદ પાસે બહોત લ્હેર . પિતાજીની બદલી અમરેલી થઇ એનો કવિને છૂપો આનંદ હતો. કારણ કે ગોંડલ હવે વારંવાર જવાશે. ફરી પાછું ગોંડલ હૃદયમાં ભરાઈ ગયું. સરકારી બદલીઓ ઘાટઘાટના પાણી પીવડાવે છે, એમાંથી કોઈવાર રમૂજ પણ થતી. “જિલ્લાના શિક્ષકો પિતાજીને બદલી માટે અરજી મોકલતા ત્યારે અરજીમાં વિષય તરીકે એવું મુકતા, ‘જોડું ભેગું કરવા બાબત’ આનો અર્થ એવો થાય કે, પતિ પત્ની એક જ શાળામાં નોકરી કરતા હોય અને પત્નીની બદલી બીજા ગામડામાં થઇ જાય તો જોડું તૂટી જાય. એ જોડાને ભેગું કરવાની અરજીઓ પિતાજી પાસે બહુ આવતી. અમે હિંમતનગરથી ઉચાળા ભરીને અમરેલી જવા નીકળી ગયા. મારા માટે અમરેલી સાવ નવું હતું. માણેકપુરમાં વસંતકુંજ નામના વિશાળ ઘરમાં રહેવાનું થયું, પરિસર સાવ નવો હતો, ચહેરાઓ નવા હતા, વૃક્ષો નવા હતા. થોડા દિવસ અમરેલી રહીને તેઓ સીધા બસમાં બેસીને ગોંડલ પહોંચી ગયા ને મકરંદને ઘેર ગયા. તરત મકરંદે ટહુકો કર્યો: “એક બિસ્તર બાંધતા હૈ, એક બિસ્તર છોડતા હૈ.” ફરી આનંદ મંગલ છવાઈ ગયો. ભાઈને મળ્યો. ભાઈ કહે, મા જ્યાં મોકલે ત્યાં જવું. ભાઈ રાજી થયા. મકરંદે ખાટ ઉપર ઝૂલતા ઝૂલતા બહુ સરસ વાત કરી કે, ઝટાધારી સાધુ એના શિષ્ય સાથે પગે ચાલી ને બીજે ગામ જતા હતા. રસ્તામાં સખ્ત પવન હતો એટલે વારંવાર સાધુની જટા આંખ ઉપર આવી જતી હતી, એટલે સાધુએ તરત દિશા બદલી નાખી. અનુકૂળ પવન સાથે ફરી ચાલવા લાગ્યા. એ પછી સાધુએ શિષ્યને કહ્યું: અનુકૂળ પવનમાં માથાની જટા આંખ ઉપર નહીં આવે. ક્યાં જવું છે કોઈ દિવસ નક્કી ના કરવું.” આ સાંભળીને ફરી મારા લોહીમાં અભિજ્ઞાન શાકુંતલ ઉછળ્યું. કણ્વ ઋષિ શકુંતલાની વિદાય વખતે એવો આશીર્વાદ આપે છે : પ્રવાસમાં તને શાંત અને અનુકૂળ પવન મળે.

એક નિખાલસ કબૂલાત કવિ કરે છે કે, તેમણે બે વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ઊંઘની ગોળીઓ વધુ પડતી લઈને તેઓ સુઈ ગયા હતા, પણ તેઓ જીવતા રહી ગયા. divine set back અસહ્ય હતો. તેઓ બીડી સિગારેટ પીતા અને તમાકુ પણ ખાવા લાગ્યા હતા. પિતાજીને અને તેમની બાને બહુ ચિંતા રહેતી. તેઓ તરત ભાઈ પાસે ગોંડલ ગયા. બધી વાત કરી તો ભાઈ કહે, મેં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ! કવિને હિંમત આવી અને તેઓ અમરેલી આવ્યા. એક દિવસ કવિના પિતાજીએ પાસે બોલાવીને કહ્યું અનિલ મારી ઓફિસમાં યુવાન છોકરો છે, ક્લાર્ક છે, એના અક્ષર બહુ સુંદર છે અને તે ચાંદનીમાં વાર્તા લખે છે. કાલે તું ઓફિસે આવ એટલે તને એની ઓળખાણ કરાવું. અમરેલીમાં તને કંપની રહેશે, બીજે દિવસે કવિ પિતાજીની જિલ્લાની ઓફિસે ગયા. પિતાજી જિલ્લાના શાસનાધિકારી હતા. પિતાજીએ પટાવાળાને બોલાવ્યા અને કહ્યું રમેશને અહીં મોકલો. ઉપર પંખો ફરતો હતો. એટલામાં સફેદ લેંઘો અને સફેદ ખમીસ પહેરેલો, સહેજ વાંકુ મોઢું, હાથમાં લાલ રૂમાલથી પરસેવો લૂછતો, પગમાં દેશી ચપ્પલ, માથે જથ્થાદાર વાળ અને માથે જાડી ફ્રેમના ચશ્મા તેમજ શ્યામ વર્ણ જેવા શરીરે પ્રવેશ કર્યો. પિતાજીએ કહ્યું : ‘આ રમેશ પારેખ. વાર્તાઓ ખુબ સરસ લખે છે.’ “રમેશની નજરે હું એક એના બોસનો દીકરો હતો. એટલે રમેશે વિનયપૂર્વક મને કહ્યું, હું ચાંદનીમાં વાર્તાઓ લખું છું, થોડી ઔપચારિક વાતો થઇ, પછી મેં કહ્યું ક્યારેક ઘેર આવો તો વાતો કરીએ. હું સાવ નવરો છું. શનિ રવિ MA ના પિરિયડ ભરવા રાજકોટ જાઉં છું.” આ અમારી પહેલી મુલાકાતનું દ્રશ્ય હતું.

મારી બા બહુ ધાર્મિક હતી પણ અમરેલીથી સાવ અજાણી હતી એવામાં ડોંગરે મહારાજની કથા બેઠી. બાને એ કથામાં જવાની બહુ ઈચ્છા હતી. મને બાએ કહ્યું : અનિલ, મને ડોંગરે મહારાજની કથામાં મૂકી જા ને. મેં કીધું: મને કથા બથામાં રસ નથી. હું અમરેલીમાં સાવ અજાણ્યો છું. એટલામાં ઓફિસે જવા તૈયાર થતા પિતાજીએ કહ્યું, ‘હમણાં હું રમેશને મોકલું છું એ તને કથામાં મૂકી જશે.’ બા તો ખુશ થઇ ગઈ. પિતાજી ઓફિસે જતા રહ્યા થોડી વાર થઇ જશે ત્યાં રમેશ સાયકલ ઉપર અમારા માણેકપરાના વસંતકુંજમાં આવ્યો. બા કથામાં જવા તૈયાર થઇ ગઈ. હું પણ તૈયાર થઇ ગયો અમે કથામાં ગયા. હું અને રમેશ પણ કથા સાંભળવા બેઠા. અકડે ઠઠ્ઠ મેદની હતી. ડોંગરે મહારાજની કથામાં ! અમને એક વાત બહુ સ્પર્શી ગઈ. મારી શોધ પ્રેમની હતી એટલે કદાચ વધુ સ્પર્શી હશે. ડોંગરે મહારાજ બહુ ભાવુક હતા. હૃદયથી કથા કહેતા કહેતા રડી પડતા હતા. શ્રોતાઓ પણ રડી પડતા. ડોંગરે મહારાજે જે વાત કરી એની અક્ષરશઃ સ્મૃતિ મને યાદ છે. “મનુષ્ય પોતાનું પ્રેમ પાત્ર હંમેશા બદલતો રહે છે, પણ એને શાંતિ મળતી નથી. બાળપણમાં તે માતાને પ્રેમ કરે છે, યુવાન થઈને મિત્રને પ્રેમ કરે છે, લગ્ન પછી પત્નીને પ્રેમ કરે છે એ પછી એના બાળકોને પ્રેમ કરે છે, પૈસાને પ્રેમ કરે છે, આબરૂને પ્રેમ કરે છે પણ જો ઈશ્વરને એક ને જ પ્રેમ કરશો તો વારંવાર પ્રેમ પાત્રો બદલાવા નહીં પડે. આજકાલ લોકો ભક્તિ તો બહુ કરે છે પણ ઈશ્વરને સાધન અને સાંસારિક સુખોને સાધ્ય માનીને ભક્તિ કરે છે. ઈશ્વર સાધન નથી. સાધ્ય છે.” ડોંગરે મહારાજના આ શબ્દો સાંભળ્યા ત્યારે મારી અને રમેશની આંખમાં આંસુ આવી ગયા હતા. ચિક્કાર મેદની પણ રડતી હતી. કથા પુરી થયા પછી મારી બા અને મને ઘેર મૂકીને જતા જતા મને રમેશ કહેતો ગયો: “અનિલભાઈ કાલે સાંજે હું આવું છું.” મેં કીધું જરૂર આવો, વાતો કરીશું. અમારા બંનેના દિમાગમાં ડોંગરે મહારાજના કથાના શબ્દો કોતરાઈ ગયા હતા. ડોંગરે મહારાજની કથા દિમાગી કથા નહોતી, સીધી હૃદય સુધી પહોંચતી એટલે કદાચ મારી અને રમેશની આંખોમાં આંસુ આવી ગયા હશે.!!

બીજે દિવસે સાંજે રમેશ કવિને ઘરે આવ્યા. એના હાથમાં એક પાક્કા પૂઠાંની નોટ હતી. થોડાક સંકોચ સાથે એણે નોટ કવિના હાથમાં મૂકીને કહ્યું, “મેં પણ કવિતા લખવાની ટ્રાય કરી છે, એ આ નોટમાં છે તમે જોઈ જજો.” કવિ કહે તમે નોટ મૂકી જાઓ હું જોઈ જઈશ. તેઓના ઘરની પાછળ જીમખાનાનું મોટું મેદાન હતું. તેઓ થોડી વાર અગાસીમાં બેઠા. કવિના બા એ ચા બનાવીને આપી. અમરેલીની થોડી ઘણી વાતો થઇ એ પછી રમેશને બીડીની તલબ લાગી. બહુ સંકોચ સાથે રમેશે કવિને પૂછ્યું, ‘બીડી પીઉં ?’ કવિએ કહ્યું, એક મને પણ આપ. સૌદર્યો પી ઉરઝરણ ગાશે આપ મેળે. ઉમાશંકરને યાદ કર્યા. થોડીક અલપ ઝલપ વાતો થયા પછી રમેશ જતા રહ્યા. તે રાતે રમેશે આપેલી નોટ કવિના હાથમાં હતી. આખી નોટ વાંચી ગયા. એ નોટમાં થોડું ડ્રોઈંગ પણ કર્યું હતું, ‘યાવર’ ઉપનામથી કવિતાઓ હતી. અક્ષરો તો ખુબ સુંદર હતા. બીજે દિવસે રમેશ ઘરે આવ્યો ત્યારે તેઓ રેલવે સ્ટેશનના બાકડા સુધી પગ મોકળો કરવા ગયા. સાંજનો સમય હતો. બીડીઓ સળગાવીને બેઠા. “રમેશે આપેલી નોટ વાંચ્યા પછી મારા મોઢામાંથી તુંકારો નીકળી ગયો. મેં કીધું, રમેશિયા તારી પાસે અફલાતૂન લય છે, તળપદી ભાષાનો વૈભવ છે, તારે તો કવિતાઓ જ લખવી જોઈએ. વાર્તાઓ લખવી બંધ કર. કવિતા જ તારી નિયતિ છે.” આ સાંભળીને રમેશની આંખમાં ચમક આવી ગઈ. “મારો તુંકારો સાંભળ્યા પછી રમેશે એના ગઝલ લખતા મિત્ર દિલહર સંઘવીનો એક શેર મને સંભળાવ્યો. “નક્કી હૃદયનું પીઠબળ એને મળ્યું હશે. નક્કી હૃદયનું પીઠબળ એને મળ્યું હશે હોઠે ચડીને શબ્દ તુંકારો બની ગયો.” એ વખતે મેં રમેશને કીધું, લય કોઈ દિવસ ખોટું નથી બોલતો. તારે કવિતાઓ જ લખવી જોઈએ. આ તારી કવિતા પરંપરાગત છે પણ એમાં લય અને ભાષાનો વૈભવ છે. આ સાંભળી રમેશે એક મજેદાર વાત કહી. મેં એકાદ બે કવિતાઓ જાણીતા મેગેઝિનોને છાપવા માટે મોકલી. પણ સંપાદક તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. છેવટે મેં એક છોકરીને નામે કવિતા મોકલી તો થોડા દિવસમાં તંત્રીએ મને લાંબો પત્ર લખ્યો. આટલું કહીને રમેશ એની સ્ટાઈલથી ખી… ખી… હસતો રહ્યો.

અમરેલી સ્ટેશનના બાકડા ઉપર આ બે મિત્રો ખુબ બેઠા. એ પછી રમેશ વસંતકુંજમાં કવિને મુકવા આવ્યો ત્યારે કવિએ તેને ‘સમર્પણ’માં છપાયેલી કવિતાનો અંક તેમજ પોતાના ફોટા સાથે પ્રસિદ્ધ થયેલો ‘કૃતિ’નો અંક આપ્યો. એ પછી કવિ પાસે સુરેશ જોશી સંપાદિત ‘મનીષા’નો એક અંક હતો તે આપ્યો. રમેશને કોઈ સલાહ ન આપી. ફક્ત એટલું જ કીધું: ઉત્તમ કવિતાઓ વાંચવી, માસ્ટરમાઈન્ડની સંગતિ રાખવી. અમારો રોજેરોજ મળવાનો સિલસિલો શરૂ થઇ ગયો. એવામાં ખબર આવ્યા કે, દિલ્હીમાં સાહિત્ય પરિષદનું અધિવેશન છે. કવિએ રમેશને કહ્યું, દિલ્હી આવવું છે ? રમેશનું મોઢું પડી ગયું. કહે મને ઓફિસમાંથી રજા નહીં મળે. મેં બધી રજા વાપરી નાખી છે. હું પરિષદનો મેમ્બર પણ નથી, કેવી રીતે આવું ? કવિએ તરત જ કીધું એની ચિંતા ન કર બસ તારે દિલ્હી આવવાનું છે. પિતાજીની લાગવગથી રમેશને રજા મળી ગઈ. અમરેલીથી બંને ગુજરાતના અધ્યાપક ભાનુબેન દેસાઈ સાથે ટ્રેનમાં બેસી ગયા. સાથે રાજકોટ રેડિયોના મૃદુલા જોશી પણ જોડાયા. તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે રમેશને દિલ્હીની પોલીસ જોઈને તરત ઉપમા સુજી અને કહે દિલ્હીની પોલીસ લાલ, બ્લ્યુ પેન્સિલ જેવી લાગે છે. અમે સૌ ખડખડાટ હસી પડ્યા. એવામાં પરિષદના દિવસે ચુનીલાલ મડીયા સહિત અનેક સાહિત્યકારો સાથે કવિએ રમેશનો પરિચય કરાવ્યો. રાજેન્દ્ર શુક્લ સાથે પણ રમેશનો પરિચય કરાવ્યો. એ વખતે રાજેન્દ્રે રમેશને કહ્યું, ‘કાં બચ્ચું ?’ આ બચ્ચું શબ્દથી રમેશ ભડકી ગયો. એક સાથે બે ત્રણ બીડીઓ પી ગયો, પછી કવિને કહે, મને બચ્ચું કેમ કહ્યો ? એના મનમાં સમજે છે શું ? કવિએ રમેશને શાંત પાડીને સમજાવ્યો. રાજેન્દ્ર શુક્લ બહુ મોટા કવિ છે. એનું એવું ખોટું ન લગાડવાનું હોય. એને ખબર નથી કે એ પોતે કોને બચ્ચું કહી રહ્યા છે. એને એ પણ ખબર નથી કે, તું કવિતા લખે છે.. માંડ માંડ રમેશ શાંત પડ્યો. આ આખો પ્રસંગ રમેશે પોતે જ દિવાળી અંકમાં લખ્યો હતો. એનો આપણી પાસે આધાર છે. એ પછી પરિષદ છોડીને એક ગુરુદ્વારામાં બંને ઉપડ્યા. ત્યાં શબદ કીર્તન ચાલતા હતા, એમાં જઈને બેસી ગયા. આ કીર્તનમાં એવા શબ્દો આવતા હતા કે, તુમ બિન કૌન હમારા??. કીર્તનમાં રમેશ ખુબ રોયો. કવિને પણ આંસુ આવી ગયા. એ પછી લંગરમાં તેઓ જમ્યા. પરિષદમાં રાતે કવિ સંમેલન હતું. એમાં કવિએ કવિતા વાંચવાની હતી. રમેશને તો નિમંત્રણ નહોતું. કવિની તો કોશિશ એવી પણ હતી કે, રમેશ કવિતા વાંચે. કવિએ સુરેશ દલાલને વાત કરી. સુરેશે કીધું, ભલે વાંચે. એ પછી રમેશે ‘યાવર’ નામથી લખેલી એક બે કવિતાઓ વાંચી. પઠનમાં થોડી તકલીફ પડી. પણ આત્મવિશ્વાસ એનો વધી ગયો.

દિલ્હીથી અમરેલી પાછા આવી ગયા પછી દરરોજ સ્ટેશનને બાંકડે બેસવાનું, ચિક્કાર બીડીઓ પીવાની, અને શ્રેષ્ઠ કવિતાઓ વાંચવાની ટેવ પડી ગઈ. એક સાંજે કવિએ બંગાળી કવિ જીવનાનંદદાસ ની કવિતા વાંચી. એ કવિતામાં વનલતા સેનનું પાત્ર આવે છે. આ કવિતા પુરી કર્યા પછી રમેશે બહુ ઉત્સુકતાથી પૂછ્યું, આ વનલતા સેન કોણ છે ? મેં કીધું, એ કવિતાનું પાત્ર છે, માત્ર પાત્ર. રમેશ નવી બીડી સળગાવે છે. એકાદ બે ફૂંક લઈને મને પૂછે છે, આવું પાત્ર હું ઉભું કરી શકું ? કવિએ કહ્યું અવશ્ય. એ પછી પગે ચાલતા ટાવર ચોક સુધી પહોંચી ગયા. કાશ્મીરી સોડા પીધી. પાન ખાધું. એકાદ બીડી સાથે પીને તેઓ છુટા પડ્યા. બીજે દિવસે વહેલી સવારે રમેશ વસંતકુંજમાં આવ્યો. નવાઈ લાગી કે અત્યારમાં ? રમેશે આવતાવેંત નવી લખેલી કવિતા કવિના હાથમાં મૂકી દીધી. એ કવિતા કવિના હાથમાં મૂકતા જ રમેશ બોલ્યો, મેં પણ કવિતામાં એક પાત્ર ઉભું કર્યું છે. એ કવિતાની ધ્રુવ પંક્તિઓ આ પ્રમાણે હતી::

લાવો લાવો કાગળિયો ને દોત, સોનલદેને લખીએ રે

કાંઈ ટેરવામાં તલપે કપોત સોનલદેને લખીએ રે.

કવિ શ્રી અનિલ જોશી બહુ સ્પષ્ટ લખે છે કે, રમેશ પારેખ ને મારી બહુ ચિંતા થતી હતી. એક પત્રમાં મને લખ્યું હતું કે, અનિલ તારું સન્માન કરીને પૈસાની થેલી અપાય એવું આયોજન કરવું છે. પરંતુ મેં સ્પષ્ટ ના પાડી હતી. જવાબને લખ્યો કે, માએ મને જે સ્થિતિમાં રાખ્યો છે એમાં હું ખુશ છું. એ પછી આગળ જતાં મારા વન પ્રવેશની ઉજવણી કરવાની દરખાસ્ત રમેશે એક પત્ર દ્વારા કરી. એ પત્રના જવાબમાં મેં એ જ વખતે સૂઝેલી બે કાવ્ય પંક્તિ રમેશને મોકલી આપી: “ઝાડવું તો પહેલેથી જંગલમાં હોય કંઈક ગુલમોરનો વન પ્રવેશ હોય નહીં !”

ભરચક્ક જીવન જીવીને, પોતાને ગમતું કહેવા અને કરવાની જીદ્દ સાથે જીવીને આપણા કવિ અનિલ જોશીએ વિદાય લીધી છે, ત્યારે મૃત્યુ વિશેના તેઓના વિચારો “ગાંસડી ઉપાડી શેઠની” નામધારી જીવાઈ ગયેલ જીવનની વીતક કથા ના અંતે જાણીએ અને આપણી શબદાંજલિ ને વિરામ આપીએ.

“મને ખબર નથી કે હું કેવી રીતે મૃત્યુ પામવાનો છું. એ સત્ય છે કે મનુષ્ય જન્મ લેતી વખતે માત્ર એક જ માર્ગથી સૃષ્ટિ પ્રવેશ કરે છે પણ મૃત્યુના અનેક માર્ગ હોય છે. અમર થઈ જવાની ભ્રાંતિમાં હું જીવ્યો નથી. ભાઈ અને મકરંદ સાથેની સંગતીએ મને હતો એના કરતાં વધુ બાળક બનાવ્યો છે. કોઈ મને બહુ સરળતાથી છેતરી શકે અને ઉપયોગ પણ કરી શકે. આજે ત્યાંસી વર્ષની ઉંમરે પણ હું પરિપક્વ નથી થયો. પાકેલું ફળ સડી પણ જાય, જીવાત પણ પડે એટલે જ હું કાચી કેરીની જેમ જીવી ગયો છું. મારા આત્મકથાનક ના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેણે મને ખૂબ પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે. મારી જિંદગી અનેક હાથથી ઘડાય છે, એનો જ મહિમા છે. મારા કેન્દ્રમાં મા મારી સાથે રહી છે, એની મને સતત અનુભૂતિ થઈ છે. મારા કેટલાક સમકાલીન મિત્રો પાસે હું મા વિશે વાતો કરવા જાઉં ત્યારે તેઓ મને બાળક માનીને હસી કાઢતા હશે. ગુજરાતી સાહિત્યમાં પરિપક્વ થવું એટલે વ્યવહાર ડાહ્યા થવું, આંખ આડા કાન કરવા, ખરે ટાણે મોઢું બંધ રાખવું, ચાવવાના અને દેખાડવાના દાંત અલગ રાખવા, સત્તાના વ્હાલા થવું અને જ્ઞાનપીઠ એવોર્ડની રાહ જોવી..

હું કેવી રીતે મરી જઈશ એની મને ખબર નથી. સૌ પોત પોતાની ભીડમાં જીવે છે. કોઈ નાણાંભીડમાં છે, કોઈ વિચારધારાની ભીડમાં છે, કોઈ હિન્દુની ભીડમાં છે, કોઈ મુસ્લિમની ભીડમાં છે, કોઈ સરઘસની ભીડમાં છે, કોઈ અનામતની તો કોઈ સંઘની ભીડમાં છે.. અહીં ભીડની સાથે સાથે ચાલતી મારી એકલતાનું સંવેદન છે. મારી એકલતા હવે સાર્વજનિક થઈ ગઈ છે. અહીં મેં થોડા તડકાના ટુકડાઓ ખિસ્સામાં ભર્યા છે, પણ અંધકારની ખામોશી મને બોલાવે છે. કોઈને થપ્પડ માર્યા પહેલાની ખામોશી, મારા ખમીસના તૂટેલા બટનની ખામોશી, સોય દોરાની ખામોશી, ગોળી છુટ્યા પહેલાંની બંદૂકની ખામોશી, કંઈક લખતા પહેલા કોરા કાગળની ખામોશી, મારા બોલ્યા પહેલાંની ખામોશી, અરીસો ફૂટતા પહેલાની ચુપકીદી, ઉમાશંકરની ખામોશી, સુરેશ જોશીની ખામોશી હજી મારી આંગળીઓમાં ટાચકાની જેમ સંતાઈને બેઠી છે. કાલિદાસની શકુંતલા તો નસીબદાર હતી કે એની આંગળીમાં પહેરેલી ઓળખની વીંટી નદીની માછલીના પેટમાં સંતાઈ ગઈ હતી એટલે શકુંતલાને આશા હતી કે વીંટી જરૂર પાછી મળશે, પણ મારી ઓળખની વીંટી તો એક્વેરિયમ ની માછલી ગળી ગઈ છે, એકવેરિયમમાં કોઈ માછીમાર નથી. ડ્રેમ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખે છે કે, જે પ્રેમ હતો જ નહીં એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું. જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું. જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી, એ સત્ય માટેનું ખૂબ જ આભારી છું. કેટલા જુઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે !! ઉમાશંકરે ‘છિન્ન ભિન્ન છું’ લખ્યું. સુરેશ જોશી એ ‘છિન્નપત્ર’ લખ્યું. સુરેશ જોશીના શબ્દો હજીયે મારા કાનમાં સંભળાય છે એ શબ્દો સાથે અહીં હું અપૂર્ણ વિરામ મુકું છું.

ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર – શબ્દસૃષ્ટિ

  1. “નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે ..” 
કવિશ્રી અનિલ જોશીની વિદાયે શ્રદ્ધાંજલિ લેખ : 01
ગાંસડી ઉપાડી શેઠની..અંગે કવિ અનિલ જોશી કહે છે કે, “આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે” 

ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ કહે છે : કવિશ્રી અનિલ જોશી એટલે  અંતરખોજી અને  શેડકઢા પ્રેમનો માનવી.!!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો….

આવી સૌનાં હૈયે વસેલી  ગીત રચના આપનાર આપણા વિરલ કવિ શ્રી અનિલ જોશીએ

વિદાય લીધી છે.  આપણને વિશ્વ કવિતા સાથે જોડી આપનાર સર્જકની વિદાય નાળ સંબંધ છેદી  નાખ્યા જેવું દર્દ આપે છે. અતિ સ્પષ્ટ વક્તા કે જેના જીવનમાં  શિક્ષણ અને સર્જન હારોહાર ચાલ્યાં. પોતાની  ફેસબુક વોલ પરથી ફોલોઅર્સ સાથે મુખોમુખ સંવાદ સતત સાધી રાખનાર અનિલ જોશી થોડા સમય પહેલાં દવાખાનાના બિછાના પરથી કવિવર્ય રૂમીની પંક્તિઓ ટાંકે કે છે અને આપણે  સમજવું હોય તો ‘અલવિદા’ કહી દે છે, પણ આપણે તો એને કવિની મસ્તી ગણીને વિચારતા નથી કે અનિલ જોશી રૂમીને વચ્ચે રાખીને આપણને પોતાના જતા રહેવાના અણસારા આપી રહ્યા છે….

રૂમી નામનાં ઇરાનનાં કવિએ બહુ સરસ કહ્યું છે કેઆપણે બધા ગેસ્ટહાઉસ જેવા છીએ. we are just like guest house. એમાં રોજ નવું એરાઇવલ હોય છે. જેમ જિંદગીમાં જીવતા હોઈએ તો રોજ નવું એરાઇવલ હોય. કોઈવાર બીમારી હોય, કોઈવાર સંતાપ હોય, કોઈવાર દુઃખ હોય, કોઈવાર યાતના હોય, કોઈવાર શરીર પીડા હોય, કોઈવાર ઓપરેશન હોય બધું જ હોય પણ તમે યાદ રાખજો કે ગેસ્ટહાઉસમાં જેનું એરાઇવલ છે ને એનું ડિપાર્ચર હોવાનું જ છે, એ પર્મેનૅન્ટલી રહેવાનું જ નથી. આ સત્ય કવિ રૂમીએ રજુ કર્યું હતું. એટલે દુઃખ આવે તો આવે ભઈ, એરાઇવલ છે એનો ટાઈમ છે આવીને જતું રહેશે.

એક ઉત્તમ કામ એ થયું કે કવિશ્રી અનિલ જોશીએ પોતાની આત્મકથા સમયસર લખી, તે પ્રકાશિત થઇ અને તેનાં એકથી વધુ નગરોમાં લોકાર્પણ પણ થયાં. પોતાના નિરાળા અંદાઝમાં અનિલ જોશીએ પોતાની જીવની લખી અને ક્યાંય શબ્દો ચોર્યા વગર જીવનયાત્રા વર્ણવી છે. એનું શીર્ષક છે, ગાંસડી ઉપાડી શેઠની. જરા વિશિષ્ટ કહી શકાય તેવા શીર્ષક સાથે આપણી સમક્ષ એક કવિના જીવનની યાત્રા સુંદર રીતે આપણને મળી.રાજકોટ ખાતે પ્રસિદ્ધ સર્જક શ્રી મધુ રાયની ઉપસ્થિતિમાં આ આત્મકથાનું ગરિમાભર્યું વાચકાર્પણ થયું અને તે સમારંભમાં અનિલ જોશીએ ખુદે મને કહ્યું કે, મારી યાત્રા વિષે તું માંડીને  વાત કરજે.  માતબર કવિ અને ઉમદા માનવનું આ સૂચન મારા માટે સોનેરી અવસર બની રહ્યો. બહુ ઊંડાણથી લખાયેલ આ યાત્રાનો  ઝીણી નજરે મેં અભ્યાસ કર્યો અને સમારંભમાં દિલથી પેશકશ કરી. બંને સર્જકો શ્રી મધુ રાય અને શ્રી અનિલ જોશીએ પોતાના વક્તવ્યમાં મારી પ્રસ્તુતિને નવાજી. એ મારા માટે સંતોષ અને ગૌરવની ઘડી હતી.

અનિલ રમાનાથ જોશી’ નામ છે, એનું જો કે તેઓ આ પુસ્તકના પાંચમા પાનાથી એવું કહે છે કે,  તમે મને જે નામથી બોલાવો છો તે ખરેખર મારું નામ નથી. અનિલ કોઈ ઈશ્વર નથી માનવી છે. હઝરત ઈનાયત ખાનના શબ્દોને આગળ ધરીને અનિલ જોશી કહે છે કે, “તમે મને જે નામથી બોલાવો છો તે નામથી હું સતત છેતરાતો રહ્યો છું. શું કંસારા પાસે ઘરના થાળી, વાટકા અને ચમચા ચમચીઓ પર મારું નામ કોતરાવા માટે મેં જન્મ લીધો છે ?” કવિ અનિલ જોશીનો આ પ્રશ્ન આપણને વિચારમાં નાખી દે છે. આપણને સૌને આપણા નામ માટે આવો પ્રશ્ન હવે થઈ શકે. “ભાષા હોય કે જીવન હોય એ સતત વહેતો પ્રવાહ છે. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે જીવનના પ્રવાહના પ્રુફ રીડર  બનવું છે કે પછી વહેતા જીવનની કથા લખવી છે ??”  આવી અતિ વિશિષ્ટ વાત કરીને આપણી સમક્ષ ગાંસડી ઉપાડી શેઠની એવી કથા લઈને કવિ અનિલ જોશી આવ્યા છે.

આ પુસ્તક અશોક ઉર્ફે અનિલ ઉર્ફે માનવના વહેતા જીવનની ખળખળ વહેતી કથા છે. કવિ અનેક ગાંસડીઓ ગણાવે છે કે જે આપણે જીવનભર માથે ઉપાડીને ફર્યા કરીએ છીએ. અને છેવટે આત્યંતિક વિધાન કરે છે કે, નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે.અને પછી પોતે ઉપાડેલી શેઠની ગાંસડી મા ના ચરણમાં ઉતારીને કવિ ગાંસડીમુક્ત થાય છે. આપણને પણ ગાંસડીપ્રિય અનિલ જોશી માર્ગ ચીંધે છે કે,  “ગાંસડીમુક્તિ જોઈતી હોય તો બધું મા જગદંબાને સોંપી દેવું જોઈએ.”  કવિ અહીં ભક્ત તરીકે પ્રસ્તુત થાય છે. પણ એક નિરાળો ભક્ત છે. શિવ અને શક્તિમાંથી શક્તિ પાસે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની જેની અંતરંગ ભાવના છે એવા આ કવિ વિષે પુસ્તકની પ્રસ્તાવના લખતા વડોદરાના ખ્યાત સર્જક ગુલામ મોહમ્મ્દ શેખના મતે “આ સર્જન એ ગોંડલની ભગવતપરાની શેરી નંબર ૧૧ થી માંડી ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે. એ બીડીના ઠુંઠા ફૂંકતા શીખે છે, સિગરેટ પણ ચડાવે છે, તમાકુનો નશો અને મૌલાનો મજો પણ તે લે છે.

તોતડાતી જીભે અનિલ જોશીને વર્ષો સુધી મૂંગા રાખ્યા છે. જય ભિખ્ખુ ની શિખામણથી રાડો પાડવાનું શરૂ કરે છે ત્યારે તો  જીભ છૂટી થાય છે. ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ બે સુંદર વિશેષણોનો  ઉપયોગ કરે છે. ૧) અંતરખોજી. નાથાલાલ જોશીની સંગતમાં મા નો મેળાપ થાય છે અને આપણા કવિ અંતરખોજી બને છે. ૨) શેડકઢા પ્રેમનો માનવી જયારે અનિલ જોશીને મકરંદ દવે મળી જાય છે ત્યારે એની ઓળખ પલટો મારી જાય છે. અને ત્યારે આ વિશેષણ યથાર્થ જોવા મળે છે. આઠ દાયકાની સફરમાં જીવનમાં મેં જોયું, માણ્યું, જાણ્યું અને વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણામાં રોજબરોજની બાનીમાં તળ કાઠિયાવાડી બોલીની આંગળી ઝાલીને નિખર્યો છે. એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે,” એવું આરંભે જ આપણને અનિલ જોશી કહે છે. આશ્ચર્ય થાય છે જયારે તેઓ અમુક વાતો આપણી સમક્ષ ભૂતકાળની કરે છે, અતિ નાના બાળપણની કરે છે. આપણને એ વાત જાણીને ઘણી બધી જિજ્ઞાસા જન્મે કે,  પોતાના જન્મ સમયની આ બધી વાતો કવિ ક્યાંથી લઇ લાવ્યા ??  “પૃથ્વી પર મેં ક્યારે પહેલી હવા શ્વાસમાં લીધી તે તો મને યાદ નથી. એ હવાને આંગળીથી ચીંધી શકતો નથી,  કારણકે હું તો કવચકુંડળ કે વીંટી સાથે ન્હતો જન્મ્યો. હું બિલકુલ શેડકઢા દૂધ જેટલો ફ્રેશ હતો. એ પછી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારામાં  ભેળસેળ વધતી ગઈ. મને ઓળી ઝૉળી પીપળ પાનનો હીંચકો નાખીને ‘અશોક’ નામ આપવામાં આવ્યું એટલે હું નામધારી થયો. મને પૃથ્વી પર લાવવાનો બધો યશ બબુ સોયાણીને જાય છે. બબુ સોયાણી  એક મુસ્લિમ ઔરત હતી. મધ્યમ બાંધો, ચમકદાર આંખો, પહેરવેશ બહુ સાદો પણ એના હાથમાં જાદુ.”

કવિનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે એમનું માથું પહેલું બહાર આવવાને બદલે પગ બહાર આવ્યા. એમના માતાને બહુ તકલીફ પડી. માથું બહુ મોટું હતું એટલે એને સૌ ડાલામથ્થો કહેવા લાગ્યા. પણ બબુ સોયાણીનો એક નિયમ કવિ જે નોંધે છે તે આપણા દિલને સ્પર્શી જાય છે. “જે કોઈ પ્રસુતાને વેણ ઉપડે અને બુલાવો આવે ત્યારે બબુ સોયાણી  બધા કામ છોડીને નમાજ પઢવા બેસી જાય એ પછી હાથ ધોઈને પ્રસુતિ કરાવવા જતી રહે.આ આખા વિસ્તારમાં બબુના હાથે જન્મેલું એક પણ છોકરું મર્યું નહોતું. મા ના ગર્ભમાંથી છોકરું ઉઆ…ઉઆ.. કરતું બહાર નીકળે કે તરત બબુ સોયાણી  નમાજ પઢવા બેસી જતી અને કહેતી, ‘અલ્લાહ આ તારું છે, એ તને જ આપું છું, મારું કંઈ  નથી.’ બબુ સોયાણીની આ વાત રજૂ કરે ત્યારે આપણને સર્વ ધર્મ સમભાવની અત્યારે ચાલતી ગુલબાંગો સાવ નિરાકાર લાગે અને કવિએ વર્ણવેલ બબુ સોયાણીની નમાજ  પઢવાની વાત આપણા દિલને સ્પર્શી જાય. દ્રશ્યો તો ઘણા બધા છે પણ દર્શન નથી. કવિ કહે છે કે,  મારી આંખ ઉઘડી નહોતી એ ભૂલકણી આંખનો ડોળો હજી પણ ફર્યા કરે. પૃથ્વી ફર્યા કરે છે, દિવસો ફર્યા કરે છે, ગ્રહ ફર્યા કરે છે અને બબુ સોયાણી પણ ક્યાંક ફર્યા કરે છે.  આત્મા એ રખડેલ ભટકતી ભવાની જેવો  છે, એટલે રખડેલ માણસની આત્મકથા ન હોય એટલે જ હું એને જીવનની વીતક કથા કહું છું.

આપણા ચહિતા કવિ અનિલ જોશીની બાળપણની વાતો આપણી આંખના ખૂણા ભીના કરે છે. એમની બા ભણેલી નહોતી પણ ઘરરખ્ખુ ગૃહિણી હતી. એકદમ વૈષ્ણવ ધર્મ પાળતા. મરજાદી કુટુંબમાં તે પરણી હતી, ઘરમાં દુજણી બે ગાયો હતી એનું ધ્યાન રાખતી, ખીલે નીરણ નાખતી, પોદળા ઉપાડીને છાણાં થાપતી. પંદર વાસણો લઈને ભગવતપરાના સાસરે આવી ત્યારે આપણા કવિ સાવ ધાવણાં હતા. બા તો ઘરકામની ચક્કીમાં ગોઠવાઈ જતી પણ આ ભવિષ્યના કવિને ઘોડિયામાં નાખીને એ કામે વળગી જતી. હાલરડું ગાઈને સુવડાવવા જેટલો બા પાસે સમય નહોતો. કવિ જયારે ભૂખ્યા થતા ત્યારે ઘોડિયાની ઝૉળીમાંથી રડતા. અને એને રડતા સાંભળી બા સત્તર કામ પડતા મૂકી અને અનિલ જોશીને  ધવડાવવા ખોળામાં લઇ લેતા. પણ એ સમયે આ સંવેદનાથી સભર એ વ્યક્તિને બા ના ખોળામાંથી ખાંડેલા મસાલાની વાસ આવતી. “બા ને મારા માટે બિલકુલ સમય મળતો નથી,”  એવું સાબિત કરવા માટે એમણે ટાંક્યું છે કે,  બા એ મને ધાવણ છોડાવવા માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો એટલે હું રડવા લાગ્યો અને એ રીતે બા ના ધાવણથી હું અલગ થઇ ગયો. ધાવણ છૂટ્યું એટલે બા એક તરફથી મુક્ત થઇ ગઈ. પણ બાના ઘરકામમાં પોતે ક્યાંય આડા ન આવે એટલે બાએ એક નવો નુસખો અમલમાં મુક્યો. અફીણનો ચમચો એ અનિલના મોઢામાં મૂકી દેતા અને અફીણના ઘેનથી તેઓ આખો દિવસ સૂતા રહેતા. પોતાની બા ને પોતે ઘરકામમાં  ડિસ્ટર્બ ન કરે એટલા માટે અફીણ આપીને સુવડાવી રાખવા સિવાય બા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એવું પણ તેઓ મોટા દિલથી કબૂલે છે. તેઓ કહે છે કે, એક તો પેટમાં હતો ત્યારે હું નવ મહિના ઘેનમાં રહ્યો અને જન્મ્યા પછી અફીણના ઘેનમાં ઊંઘતો રહ્યો. જાગૃતિ અને ઊંઘના ઉમરા  ઉપર હું ધીમે ધીમે ઉછરતો ગયો. આમ પોતાના બાળપણને બહુ જ સટીક રીતે,  આપણને ગળે ડૂમો ભરાય એવી વાત લખીને અનિલ જોશી વાચકને અચંબામાં નાખે છે કે, જે સમયે સમજ હજુ ઘણી દૂર માર્ગમાં ચાલી આવતી હતી ત્યારે આ અણસમજભરી વાતો કવિ લાવ્યા ક્યાંથી ??

અનિલ જોશી શિશુ બીમારીનો ભોગ બનનાર બાળક હતા અને નાનપણથી એને ખુબ બીમારી રહેતી. એટલે કોઈએ કહ્યું કે જ્યોતિષની સલાહ લો તો જ્યોતિષના કહેવા મુજબ ઘરના વડીલોએ નામ બદલીને અશોકમાંથી અનિલ કર્યું. અને એ જ્યોતિષની સલાહ મુજબ આપણને કવિ અનિલ જોશી મળ્યા. પિતાજી ફર્ગ્યુસન કોલેજમાંથી ભણીને પાછા આવ્યા હતા. એમનો મિજાજ બહુ તેજ હતો. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા હતા. એટલે પિતાજી પાસે આ અનિલને રમાડવાનો કોઈ સમય ન હતો. એ આખો દિવસ નિશાળે ભણાવે અને સાંજે ભગવદ્ગોમંડલ શબ્દકોશની કચેરીએ જાય. અને શબ્દકોશના સંપાદક ચંદુલાલ બેચરદાસ પટેલ સાથે મોડી  રાત સુધી કામ કર્યા કરે. પિતાજી ઘરે આવે ત્યારે અનિલ ઊંઘી ગયો હોય. જો કે કવિ લખે છે કે, રાતે પિતાજી મારી સાથે સૂતા અને મને વાર્તા કહેતા એવું મને થોડું સ્મરણ છે. ગોળકેરી ભીતરડી ને શેરડી કેરા ફુવારા, ટોપરડે ઘર છાયા બચ્ચા બારણાં ઉઘાડો હું તમારી મા છું.  મારા ગાલે હાથ ફેરવીને મારા પિતા મને સુવડાવી દેતા. જો કે મારા પિતાજી બહુ સારું ગાતા નહોતા. પૂનાની ફર્ગ્યુસન કોલેજની વાતો કર્યા કરતા. કેટલાય પ્રોફેસરને યાદ કરતા. અને પોતાના જીવનની એવી વાતો કરતા કે,  જેથી તેમને લશ્કરી તાલીમ લેવા માટે નસીરાબાદ જવું પડ્યું હતું અને તેના આધારે પોતે કેવા ઘડાયા હતા એ મને કહેતા. કવિના ઘરમાં પહેલીવાર રાયફલનો પ્રવેશ થયો હતો. મોટી બંધૂક ભીંતે લટકતી. લશ્કરી ગણવેશ પણ ખીંટીએ  ઉપર ટીંગાતો તેઓએ જોયો છે. આ બધા દ્રશ્યો તેઓ ચુપચાપ જોયા કરતા. અનિલની એક બીજી ખામી એ હતી કે,  જેની જીભ તોતડાતી હતી એટલે એ બોલતા નહીં. બા તો એક પછી એક સુવાવડ અને ઘરકામમાંથી ઉંચી નહોતી આવતી. બા ને એક નવું રમકડું મળ્યું ત્યારે બહેન કુમુદનો જન્મ થયો.  પિતાજી શિસ્તના બહુ આગ્રહી હતા. એકવાર મેજર શેષાદ્રી અમારે ઘરે જમવા આવવાના હતા તે દ્રશ્ય હું ભુલ્યો નથી. ઘરમાં સફાઈ થવા લાગી. કાબરી ગાયને મચ્છો ભરવાડ ધણમાં લઇ ગયો. મેજર શેષાદ્રી આવવાના હતા એ પહેલા પિતાજીએ બા સાથે રસોઈમાં શું બનાવવું એ વિષે ચર્ચા કરી. બા ને કડક સૂચનાઓ આપી. બા બિચારી ચિઠ્ઠીની ચાકર,  વળી અમારું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ મરજાદી એટલે નોનવેજ શબ્દ પણ બોલવાની મનાઈ. બા તો રસોઈમાં વળગી ગઈ. એ બધી રસોઈ પિતાને ચાખવા માટે પિતળની થાળીમાં અલગ કાઢી અને પિતાજીને ચખાડવામાં આવી. બા એ પિતાજીના હાથમાં થાળી આપી. પિતાજીએ જોયું એમાં એકાદ બટેટાનું ફોડવું થોડું કાચું હતું અને એકાદ રોટલી થોડી કાચી રહી ગઈ હતી. એટલે પિતાજીનો મિજાજ એવો કે,  એમણે પિતળની થાળીનો ઘા સીધો ફળિયામાં કર્યો અને બુટ પછાડતા પછાડતા ચાલ્યા ગયા. ઓસરીમાંથી ફળિયામાં ફેંકાયેલી થાળીનો રણકાર હજી મારા કાનમાં સચવાયો છે,  પરંતુ બા એ બધું સાંભળી લીધું હતું એ પણ ભાવ મનમાંથી જતો નથી,  આ બધી વાતોથી હું ડરી ગયો હતો. પિતાજીએ મારી ઓળખાણ શેષાદ્રી સાહેબ સાથે કરાવી ત્યારે હું થોડો ડર્યો,  શેષાદ્રીએ મને સીધો જ તેડી લીધો. મારું નામ પૂછ્યું નામ તો મને યાદ હતું પણ જીભ તોતડાતી હતી એટલે બોલી ન શક્યો. પિતાજીએ કહ્યું,  અનિલ..  બોલવાની બાબતમાં મારું એવું હતું કે પેઢા બોલતા અને જીભ સાંભળતી. એક પછી એક વર્ષ પસાર થવા લાગ્યા. હું રોડાબોડા  ની જેમ મોટો થતો ગયો અને મારું જીવન આગળ ચાલતું ગયું.

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ દરબારગઢમાં ૮૪ જ્ઞાતિનો જમણવાર ગોઠવેલો. બધી જ જ્ઞાતિઓ એક ભાણે જમે એવી રાજાની ઈચ્છા હતી, રાજાએ એવું પણ ફરમાન કર્યું હતું કે બ્રાહ્મણોને એક રૂપિયાની દક્ષિણા અપાશે. પણ શરત એટલી કે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બતાવવી પડશે. આ ફરમાનથી અનિલ જોશીના ઘરમાં પ્રોબ્લેમ થઇ ગયો. ઘરમાં કાકા, મોટાબાપાના ભાઈઓની સાથે અનિલ ઉછરતા હતા. એમને કોઈને યજ્ઞોપવિત આપેલું ન હતું. પણ પરિવારમાં નક્કી કરવામાં આવ્યું કે બધા ભાઈઓને ભગવાનનું નામ લઈને જનોઈ પહેરાવી દેવી. એ રીતે અનિલને પણ ખોટી રીતે જનોઈ પહેરાવી દીધી. હજી તો તે નિશાળે ભણવા પણ નહોતો બેઠો. રાજાની ૮૪ જ્ઞાતિના જમણવારના ટોળામાં તે ભળી ગયો અને એક રૂપિયો દક્ષિણા લઈને પાછો આવ્યો. પણ હવે જનોઈનું શું કરવું ? એવો પ્રશ્ન અનિલના મનમાં ઉભો થયો. જનોઈધારી મોટેરાઓને તે સતત નીરખ્યા કરતો. અનિલ જોશીના શબ્દોમાં કહું તો,… બધા ખર્ચુ જતી વખતે કે પેશાબ કરવા જતા ત્યારે જનોઈ કાને ચડાવતા હતા. પણ મને એ ક્યારેય ફાવ્યું નહીં. થોડા દિવસ પછી મારી જનોઈ ખોવાઈ ગઈ. ઘરમાં કોઈએ પૂછ્યું નહીં કે તારી જનોઈ ક્યાં ? આ દ્રશ્ય પછી એકાદ બે વર્ષે અમને બધા ભાઈઓને મોટો પ્રસંગ કરીને યજ્ઞોપવિત ધારણ કરાવ્યું. અમારી જ્ઞાતિનો મોટો જમણવાર કરવામાં આવ્યો. જમણવારની આગલી સવારે ડેલી બંધ ફળિયામાં ચુલયું ખોદાઈ ગઈ. મગ બાફણાનો ઢગલો થયો. સાંજે મોહનથાળ બનાવવાનું રસોઈયા હરિભાઈએ શરૂ કર્યું. પાતર દુના આવી ગયા હતા. ઘરમાં વડીલોને માથે માથું નહોતું. આખી નાતનો જમણવાર બીજા દિવસે  હતો એના ઉચાટમાં વડીલો હતા. વાત વાતમાં સૌ ખિજાઈ જતા હતા. એવામાં હરિ રસોઈઓ આવીને ડુમભાણું એકસાથે મૂકી ગયો કે મોહનથાળ થઇ ગયો છે પણ જામતો નથી. ચોકીમાં ઠાલવ્યો છે. મોહનથાળ એકનો બે થતો નથી. ઘરના બધા  તરત દોડ્યા. બરફના કારખાનેથી બરફની પાટો મંગાવી. મોહનથાળની ચોકીને બરફની પાટો પર મુકવામાં આવી. કોઈ વળી હાથમાં પંખો રાખી મોહનથાળને હવા નાખવા લાગ્યું પણ મોહનથાળ એકનો બે ન  થયો. આખું ઘર મોહનથાળના ટેંશનમાં હતું  ત્યારે હું ઓસરીની થાંભલી પાસે બેસીને બરફના ટુકડા ચગળતો હતો. દાદાજીએ કહ્યું કે,  મોહનથાળ ભલે નથી જામ્યો પણ સ્વાદમાં બહુ સારો છે. કાલે કમંડળમાં ભરીને પિરસજો અને દુનામાં આપજો. એ દિવસે મેં મોહનથાળ ખાધો નહીં,  પણ દુનામાં લઈને મોહનથાળ પીધો.  કવિની વિશિષ્ટ શૈલી કે જેની અંદર લોકબોલીના કેટલાય શબ્દો જોવા મળે અને એના આજે અર્થ કરવા મુશ્કેલ બને. ‘મગ બાફણાનો ઢગલો’ અથવા તો ‘ડુમ ભાણું’ અથવા તો ‘ખર્ચુ’  ‘ચુલ્યુ’  આ બધા શબ્દપ્રયોગો આજના વાચકને તો અર્થ માંગે એવા બની રહ્યા છે પણ આપણને એક બહુ જ સાચી તળપદી અને ગામતળની બોલાતી ભાષાનો કવિ અહીં પરિચય કરાવે છે જાણે અજાણે,  કારણકે એ સમયે એ જ બોલાતું હતું અને એમની જરા પણ વિશેષ ભાષાવિત થવાને બદલે એમણે જે અનુભવ્યું તે જ એમણે મૂક્યું છે.

રતિકુમાર વ્યાસ એ અનિલના માસા, તેઓ મોટા ગાયક. માસીનું ઘર દેવજી સરૈયાની પોળ સાંકડી  શેરીમાં. અનિલના બા એને એકવાર માસીને ત્યાં લઇ ગયા. બે બહેનો ઘણા વખતે મળી અને ખાંટે ઝુલવા લાગી. અનિલ એક ખૂણામાં ઉભો રહીને નવું ઘર જોતો હતો. ઉપર મેડી  હતી. લાકડાનો દાદરો હતો એ પછી માસી અનિલને ઉપર લઇ ગયા તો જોયું કે,  ત્યાં એક હુક્કો પડ્યો હતો. માસી બોલ્યા કાગબાપુ આવ્યા છે. કાગબાપુ એટલે લોકકવિ દુલાભાયા કાગ. રતિકુમાર કાયમ એમના યજમાન હોય. કાગબાપુ અમદાવાદ આવે ત્યારે માસાને ત્યાં જ ઉતરે. માસી અનિલને પહેલી વાર કાગબાપુ પાસે લઇ ગયા અને ઓળખાણ કરાવી ત્યારે તેઓ હુક્કો પીતા ગાદી તકિયે બેઠા હતા. કાગબાપુએ અનિલ માથે હાથ ફેરવ્યો પણ અનિલની નજર તો પેલા ગુડગુડ કરતા હુક્કા ઉપર હતી. એ હુક્કાથી અનિલને ઘણું વિસ્મય જન્મ્યું. થોડીવાર તો પીવાનું પણ મન થયું. હુક્કાનો દેતવા ફૂંકે ફૂંકે ઝગમગતો હતો એ જોવાની એને બહુ મજા પડી. માસા રતિકુમાર વ્યાસને ઘરે બાલાભાઈ દેસાઈ અચૂક આવતા. બાલાભાઈ દેસાઈ એટલે જયભિખ્ખુ. એ વખતે જયભિખ્ખુના નામથી એમના લેખો છાપામાં છપાતા. માસીને ઘેર અનિલ તોતડાતી જીભ હોવાથી બહુ બોલતો નહીં. બધું બા સંભાળી લેતી. પણ બાલાભાઈ આવતા ત્યારે ત્યારે તેઓ અનિલ સાથે વાતો કરવા ખુબ પ્રયત્નો કરતા. પણ અનિલના મોઢામાં મગ ભર્યા હોય એમ એ ચૂપ બેસી રહેતો. અનિલને બરાબર યાદ છે કે, બાલાભાઈએ એ મારી બાને પાસે બોલાવીને કહ્યું કે,  આ છોકરાને બોલતો કરવા માટે અક્કલ કરો વાટીને ખવડાવજે અને બહાર મેદાનમાં જઈને એની પાસે જોરથી બૂમો પડાવજે. તે બોલતો થઇ જશે. બાલાભાઈ અનિલ પાસે ખુબ સારી સારી વાતો કરતા કેટલીક ચોપડીઓ પણ વાંચવા આપતા. જો કે,  અનિલને વાંચતા નહોતું આવડતું,  કારણકે એ હજુ નિશાળે ભણવા બેઠો નહોતો. પણ બાલભાઈનો નેચર અનિલને બહુ સારો લાગ્યો હતો. એ આવતા ત્યારે અનિલ મનોમન રાજી થઇ જતો. માસીને ઘેર બધા ખાવાના બહુ શોખીન એ વખતે ચંદ્રવિલાસની દાળ માસીને ઘેર અચૂક આવે. માસા રતિકુમાર વ્યાસની કાયા પડછંદ  લાંબા વાળ રાખતા અને બીડીઓ પીધા કરતા. માસીને ઘરે અનિલે પહેલી વાર હૂકો અને બીડી એકસાથે જોયા. એને એમાં બહુ રસ પડ્યો,  કારણ એક જ હતું કે,  બીડી તેના જેટલી જ મૂંગી હતી અને હુક્કો બોલતો હતો. માસાનો કંઠ બુલંદ હતો. કાગબાપુના ગીતો ગાય ત્યારે હીબકા ભરતા હોય એવું લાગે. એમાંય વળી કાગપબાપુનું “વગડો  કહે છે વનરાઈ સળગી,  મેલી દિયો ને જુના માળા,  ઉડી જાવ પંખી પાંખોવાળા..હે જી જી રે..”  એ ગાતા ત્યારે તો માસા ખોવાઈ જતા. માસાનો મિજાજ બિલકુલ કાઠિયાવાડી તળપદો. ભાષા પણ બાખડબોલી પણ રોટલે બહુ પહોળા. કોઈ ઘરે આવે તો તરત પૂછે:  “રોટલા હાર્યે  ખાશું.”  આવનાર જો ના પડે તો માસા દેશી ભાષામાં તરત ચોપડાવી દે,  હવે વાયડીનો થામાં જોહટવા બેહી જા…દકાળમાં પેદો થ્યો  છો ? (ક્રમશઃ)

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ભદ્રાયુ વછરાજાની 

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

===========================================================

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”