મુદ્દાઓ વિચાર કરવા યોગ્ય તો ખરા જ….

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વર્ગખંડના અભ્યાસમાં સામેલ કરવા અંગે કેટલાક અલગ મતો પ્રત્યે ધ્યાન તો આપવું જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com

ખબર નથી શા માટે પણ ગુજરાત સરકારે ધોરણ છ થી બાર માં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની અચાનક જાહેરાત કરી નાખી છે. અલબત્ત, કહે છે કે ઉત્તરપ્રદેશમાં આવી જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ હજુ તેનો અમલ શક્ય બન્યો નથી. એ જે હોય તે પણ, આપણી રાજ્ય સરકારે બહુ પુખ્ત વિચારણા કરીને કે રાજ્યના શિક્ષાવિદો અને  બહુશ્રુત સંસ્કૃત પંડિતો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય ઘોષિત કર્યો હોવાનું બહાર આવ્યું નથી. કદાચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજે છે ત્યારે આવી જાહેરાત કરી નાખવાની ચેષ્ટા થઈ  હોય એવું પણ બને. અલબત્ત, આપણને તે જાહેરાત સાથે બહુ લેવાદેવા નથી પણ આ વૈશ્વિક પ્રશસ્ત ધર્મગ્રંથને વર્ગખંડમાં ભણાવાવવાના વિષય તરીકે લઇ જવો કેટલો ઉચિત છે તે અવશ્ય ચિંતાનો વિષય છે, અને તે પણ વળી અગિયાર વર્ષના વિદ્યાર્થી થી સત્તર વર્ષના તારૂણ્ય છલકતા  વર્ષોમાં તેનો વિષય તરીકે સમાવેશ ભવિષ્યમાં ઘણા પ્રશ્નાર્થો ઉભા કરશે તેવું ઘણા લોકોને  લાગે છે. 

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી અવશ્ય આત્મવિશ્વાસને દ્રઢ બનાવનાર ગ્રંથ છે પણ તેની પશ્ચાદભૂ માં  તો યુદ્ધ માટે આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ છે. ચચેરા ભાઈઓ ઝગડે છે, પછી ભલે એમાં એક ધર્મ પક્ષે અને બીજા અધર્મ પક્ષે હોય,  પણ છે તો ઝગડાની અને ભૂમિભાગની જ વાતો..તેમાં ‘ચચેરા ભાઈઓ કે ગુરુઓમાં તું દેહને નિહાળ  અને તેઓનો વધ કરવામાં હિચકિચાટ ન અનુભવ’ તેવો શ્રી કૃષ્ણ સંદેશ શુભના કલ્યાણ માટે છે તેવું વિદ્યાર્થીઓને કેમ અને કોણ સમજાવી શકશે , એ બહુ મોટો પડકાર છે. અર્જૂનને આત્મબળ બક્ષવા માટે જે જ્ઞાન શ્રી કૃષ્ણ દ્વારા અપાય છે તેને સામે પહોંચાડવું અતિ કપરું છે. આપણા સંસ્કૃતનાં શિક્ષકો જ નહીં પણ અધ્યાપકો પણ ગીતાજીનું પઠન  કે સહજ અર્થઘટન કરી શકવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવતા  નથી ત્યારે આપણે વર્ગખંડમાં ઉણા  ઉતરીએ એવું બનવાના ચાન્સીસ વધશે એ યાદ રાખવું પડે. આમ થશે તો એક ઉત્તમ ગ્રંથ આપણી ક્ષમતાને લઈને વગોવાશે અને તેનો દોષ આપણે સ્વીકારવો પડશે. 

આ ગ્રંથમાં ચાતુર્વણ્યવ્યવસ્થાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા વર્ગોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે.. આ ગ્રંથ ધર્મમૂલાંક  જરૂર છે પણ સાથેસાથે આ રાજકીય અને યુદ્ધ-પ્રેરક પણ છે ત્યારે  બાળકોના કુમળા માનસમાં ગુઢાર્થ પહોંચાડવાનું કામ યથાર્થ થશે તેની ખાતરી કેવી રીતે કરીશું? વળી, ભારતના બંધારણમાં ભારતને  બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ગણીને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે બદ્ધ  કરવામાં આવેલ છે. તારીખ 26મી નવેમ્બર,1949ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રીય આશાઓ-આકાંક્ષાઓ સાથે જે બંધારણ પ્રસ્તુત કર્યું હતું અને બંધારણને ભારતની પ્રજાએ સ્વીકાર્યું, કાયદાનું સ્વરૂપ આપીને સમર્પિત કર્યું હતું તે બંધારણના આર્ટિકલ-28માં જણાવેલ છે કે  Article -28(1) ‘No religious instruction shall be provided in any educational institution wholly maintained out of state funds. Article -28(3) અનુસાર ‘No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction that may be imparted in such institution or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached there to unless that person or, if such person is minor, his guardian has given his consent thereto.’ એ જ રીતે, ભારતના બંધારણના પાર્ટ -IV-A Fundamental duties (નાગરિકોના મૂળભૂત કર્તવ્યો) મુજબ Article-51-A(a), (e), (h) કહે છે કે : સંવિધાનનું પાલન કરવું અને તેના આદર્શો,  સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો,  ભારતના બધા લોકોમાં સમાન ભ્રાતૃભાવનું નિર્માણ કરવું જોઈએ.  ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગ પર આધારિત ભેદભાવોથી પર હોવું જોઈએ.  શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ જેથી માનવતાવાદની ભાવનાનો વિકાસ થાય. આજના વિકાસના યુગમાં  આપણા સહુની ભાવના, નિષ્ઠા, નિસબત, પ્રતિબદ્ધતા, વર્ણવ્યવસ્થા પ્રેરિત અસ્પૃશ્યતાનું નિર્મૂલન કરી એને અતલ તળિયામાં દફનાવી દેવાનું હોવું જોઈએ. હવે જુઓ,  અહીં એવી દલીલ થાય કે, બીજા ધર્મોના શિક્ષણમાં તો તેના ધર્મગ્રંથને શીખવવાની છૂટ સૌએ લઇ જ લીધી છે ને ?? આ દલીલ સો ટકા સાચી ગણીએ તો શું  એવી  સૌને છૂટ આપી દેવી ?? ના, બીજા ધર્મના નામે જે  આવું કરતા હોય તો તેને સજ્જડ રીતે બંધ કરાવવાની પણ  છૂટ આપણું આ જ બંધારણ આપે જ છે,, આપણે તેનો કડક અમલ કરાવીએ. 

એક દલીલ છે કે,ભગવદ ગીતામાં કેટલીક વાતો આજના સંદર્ભમાં વિરોધાભાસી બની રહેલ છે. ઉદાહરણ તરીકે ગીતાના – 9(20) શ્લોકમાં सोमपा: पूतपापा:I સોમરસ એટલે કે, દારૂ પીનારા શુદ્ધ થાય છે તેમ ગીતાના આ શ્લોકમાં કહેવાયું છે. દારૂડિયાઓનાં પાપ નાશ થાય છે અને તેમને તો સ્વર્ગ મળે છે. ઇંદ્રલોકમાં સ્થાન મળે છે. ગીતા ગ્રંથમાં સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોને પાપયોનિમાંથી પેદા થયેલાનું કહ્યું  છે. હવે  અહીં  આ વાતના સંદર્ભો ચકાસવા જરૂરી બને છે અને તેનો સંદર્ભ આપીને મૂળ વાતને સ્પષ્ટ કરવાની રહે છે. આટલું ઊંડાણથી આપણા શિક્ષકો વાત મૂકે તેવું અપેક્ષિત છે ખરું અને અપેક્ષિત હોય તો તેમ થશે તેવું માનવાને આજે કારણ છે ખરું ??  

ગીતાના અધ્યાય 18 ના શ્લોકો 41,42,43,44,45 માં, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોએ કયાં કયાં કામો કરવાં તે વર્ણ પ્રમાણે ભગવાને પોતે નક્કી કર્યા છે. વાસ્તવમાં તો એવું આજે રહ્યું નથી. ચાલો, આ અંગે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી બેસે તો વર્ગમાં શિક્ષક શો જવાબ આપશે ? શિક્ષક કશોક ભળતો જવાબ આપી બેસે તો ??   

ઊંડું ચિંતન અને તટસ્થ અભ્યાસ કરતાં, બે બાબતો તારવી શકાય :

  1. શ્રીમદ ભગવદ્દ ગીતા એક વિષય તરીકે દાખલ કરીએ તે પહેલા ખુબ બધું મંથન કરીએ અને હોમવર્ક કરીએ. ગીતાસાર રૂપે અર્જુનનું આત્મબળ વધારતા અને મનુષ્યને સ્વધર્મ-આચરણ અને સર્વ-ઈશ્વરાર્પણ બરાબર સમજાવતા શ્લોકો તારવીએ અને તેની પૂર્ણ સમજ ઉદાહરણ સાથે આપીએ.
  2. સમગ્ર ગીતાજીના અઢાર અધ્યાયોને શ્રુતિ અને સ્મૃતિના આધારે તબક્કાવાર ધોરણમાં વહેંચીને એક સુંદર પરિચય તો આપીએ જ  કે જેથી શાળેય ઉંમરમાં વિદ્યાર્થીના કાનમાં એ શબ્દો પડે. ભવિષ્યમાં પ્રત્યેક વિદ્યાર્થી ગીતા  શ્લોકોથી પરિચિત હશે તો તે પોતાનો માર્ગ શોધીને ગીતાજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આપણે જ્ઞાનની બારી ખોલી આપીએ તો ય શ્રેયકર રહેશે.

તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે.

ગુજરાતમાં ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે ગયું, ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. !!!

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com 

વાણી અને પાણી આ બે જોખીને વાપરવા જોઈએ. આપણે વાણીની વાત નથી કરવી પણ પાણીની વાત કરવી છે. 

શ્રી મિત્તલ પટેલ બહુ જાણીતું નામ છે, ગુજરાત માટે..તેમની સાથેની વાતચીતમાં પાણીની ભૂગર્ભ સ્થિતિ કેટલી વિકટ થઇ છે તે બહુ સ્પષ્ટ થયું. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ દ્વારા  આખા ભારતના ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક વિસ્તારોનો સર્વે થયો. બોર્ડે  ભૂગર્ભ જળની પરિસ્થિતિનો સર્વે કર્યો અને એ સર્વેમાં જે આંકડા  મળ્યા  એ બહુ ચોંકાવનારા છે. આપણે  તો ગુજરાતની જ વાત કરવી છે. ગુજરાતમાં સર્વેના કહેવા પ્રમાણે ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે જઈ રહ્યું છે. એમ કહે છે કે ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. ગુજરાતના કયા જિલ્લામાં પરિસ્થિતિ વધારે વણસી છે તે વિચારીએ તો એમાં ઉત્તર ગુજરાત મોખરે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને અમદાવાદ. પાટણ અને બનાસકાંઠા એકબીજાની પાસે આવેલા જિલ્લાઓ છે.

બનાસકાંઠામાં ભૂગર્ભજળ ઊંડા થયા છે એ તળ  ઉપર આવે એ માટે થઈને જળસંચયના કાર્યો કરવા રહ્યા.  બનાસકાંઠામાં શું પરિસ્થિતિ થઇ છે ? સર્વે કહે છે કે ૧૯૭૪ માં બનાસકાંઠામાં ભૂગર્ભજળ ૫૪ મીટરે હતું એ આજે ૧૬૦ મીટરે પહોંચ્યા છે. આ આંકડા વાંચીને  થોડી વાર માટે તો ખરેખર ગભરાઈ જવાય એવું છે. કેમ કે ૧૬૦ મીટરથી નીચે કેટલા જઈશું ?? એક સમય આવશે કે ભૂગર્ભમાં પાણી જ નહીં હોય અને પાણી જ નહીં હોય તો શું કરીશું ? હા, બોરવેલની ટેક્નોલોજી આવી તે આપણા માટે આશીર્વાદરૂપ થઈ અને એટલે જ અછતવાળા વિસ્તારોમાં ખેતી વધારે સમૃદ્ધ બની. આજે ત્રણ ત્રણ પાક આપણે ખેતીમાં બોરવેલની ટેક્નોલોજીને લીધે  લઇ શકીએ છીએ. પણ આપણે ધરતી  માતાનું દોહન જ કર્યું છે ને  પાણી બહાર કાઢ્યું છે. આપણે ભૂગર્ભમાં પાણી પાછું આપવાનું જેટલી માત્રામાં થવું જોઈએ એટલી માત્રામાં નથી કર્યું, એટલે આપણે આંકડાકીય પરિસ્થિતિને સમજી શકીએ છીએ અને એની ગંભીરતા પણ આપણને સમજાય છે. 

બનાસકાંઠામાં વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એન.જી.ઓ. દ્વારા  તળાવો ઊંડા કરવાનું કામ થયું. ગયા વર્ષથી કુવા અને બોરવેલ રિચાર્જનું કામ પણ શરૂ કર્યું,  પણ આ સંસ્થા તો મુખ્યત્વે તળાવો ઊંડા કરવાનું કામ કરે છે.  આનું કારણ પણ છે કે  તળાવ એ ખુબ મોટો જળસ્રોત છે અને વરસાદનું ટીપેટીપું જો આપણે એમાં બચાવી શકીએ અને  એ પાણી સંગ્રહી શકીએ તો બહુ જ મોટું કામ થઈ શકે. આપણા વડાપ્રધાન શ્રી એ હમણાં જ Catch the rain (કેચ ધ રૈન) અભિયાન પણ આ અંતર્ગત જ શરૂ કર્યું છે. બસ એ Catch the rain નું એક સ્ટેપ આગળ અથવા એની સાથેનું ગામમાં પડતું તમામે તમામ પાણી આપણે તળાવમાં અથવા ભૂગર્ભમાં એ જ ગામની સીમમાં અથવા ગામના ગોંદરે કે ઘરના આંગણામાં આપણે એને ઉતારીએ એ મિત્તલનો મુખ્ય ઉદ્દેશ છે. 

આ સંસ્થાએ ૧૬૦ જેટલા તળાવો છેલ્લા છ વર્ષમાં કર્યા. દર વર્ષે મનોરથ છે ૩૦-૪૦-૫૦ તળાવો કરવાનો અને આ જ સંસ્થાની  ભગવાનને અને મેઘરાજાને પ્રાર્થના છે  કે સરસ મજાની રીતે વરસે ત્યાં. બનાસકાંઠામાં વરસાદ પણ અનિયમિત છે પણ સારું એ થયું છે કે ક્યાંક નર્મદા કેનાલ કે નર્મદાની પાઈપલાઈન સાથે સરકારે તળાવો લિંક કર્યા છે અને જે તળાવો લિંક થયા છે એની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પણ તકલીફ એ છે તળાવો ગાળવાનું આપણે ભૂલી ગયા છીએ. મિત્તલ પટેલ તો હંમેશા કહેતી હોય  છું કે એક સમય એવો આવશે જો તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે. 

તળાવો ખોદાય તો શું ફાયદો થાય ? ભટાસણા ગામ છે ત્યાંનું તળાવ ઊંડું કર્યું એ તળાવ ઊંડું થતાં જ ત્યાં પાણીના તળ ખાસ્સા ઊંડા પહોંચી ગયેલા અને ગામનું નસીબ બાજુમાંથી જ નર્મદા પાણીની પાઈપલાઈન જતી હતી અને એ પાઈપલાઈન સાથે એ તળાવ લિંક થયું તો  એના કારણે એ છીછરું તળાવ ભરાવાનું શરૂ થયું, પણ તળાવ તો છીછરું હતું. રકાબીમાં કેટલું પાણી ભરાય ? સંસ્થાએ  એનો સરસ મજાનો વાટકો કરી આપ્યો.  ગામે સહયોગ કર્યો, માટી ઉપાડવાનું એમણે કર્યું, ખોદવા માટે JCB સંસ્થાએ  મૂક્યું અને એના પરિણામે આજે ગામમાં શું ફર્ક થયો અને શું ફાયદો થયો તે ત્યાંના રહેવાસી કીર્તિભાઈના મોઢેથી આપણે સાંભળીએ.

“જે તળાવ ગાળવામાં આવ્યું એનાથી મુખ્ય ફાયદો એ થયો કે ગામની અંદર આ બાજુ પાણીની ખુબ તકલીફ છે. અત્યારે હાલ ખેતરમાં ખાડા કરીએ તો ૫૦-૫૦ ફૂટે પાણી મળે છે, તળાવથી એક વર્ષમાં મુખ્ય ફાયદો એ થયો. આવા જો આજુબાજુ ના બે ત્રણ  તળાવ વર્ષો વર્ષ પાણીથી ભરાશે તો અમને એમ છે કે આ ગામની આજુબાજુની જમીનનું પાણીનું તળ ઉંચુ આવશે. કારણ કે એક  વર્ષમાં અમને આનો મુખ્ય ફાયદો દેખાયો છે. બીજું કે વરસાદ કદાચ લંબાય  તો ગામને નજીક તળાવ છે, તો ગામ લોકોને પીવા માટે, પશુપાલન માટે, ઘરગથ્થુ વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય. રખડતા પશુ પક્ષી ને લાભ થાય. આવનારી પેઢીના  નવયુવાનો  આ તળાવને જોઈ ને તળાવનું મહત્વ સમજે ને પાણીનું મહત્વ સમજે એ મુખ્ય ઉદ્દેશ છે.”  

આ એક માત્ર ભટાસણા ની આ વાત નથી.  આવા ઘણા ગામો છે કે જેમને ફાયદો થયો હોય. ઘણા એવું પણ કહે છે કે બનાસકાંઠામાં તો વરસાદ જ કેટલો અનિયમિત છે એટલે ગામ નર્મદા સાથે લિંક થાય તો જ અમારા પાણીના તળ ઉપર આવે. આ  વાત સાચી છે પણ નર્મદાની રાહ જોઈને બધા વસ્તારોમાં બેસી રહી તો નહીં શકાય ને જ્યાં નર્મદા કે પાઈપલાઈન નથી આવતી એવા વિસ્તારોમાં જાતે તો મથવું પડશે ને ? આજે ગામમાં ઘર છે,  એના કરતા બોરવેલ વધારે છે ત્યારે ટીપેટીપાને આપણે બચાવીશું તો ભૂગર્ભજળ ખાલી થવાના કદાચ દસ વર્ષમાં થવાનું હશે તો એ ટીપેટીપું આપણે તળાવના કે બોરવેલ રિચાર્જનાં માધ્યમથી બચાવ્યું હશે તો એ ૧૫ થી ૨૦ વર્ષ ચાલી શકે અને કોને ખબર કદાચ ત્યાં સુધીમાં નર્મદા આપણી જીવાદોરી બની રહેશે. તો આવી રીતે તળાવ ગાળવાથી  ભટાસણાના લોકોને જે ફાયદો થયો છે એ પ્રકારે ગામેગામની  ફાયદો થઈ શકે. મિત્તલ પટેલ તો જાહેરમાં અપીલ કરે છે કે,  તમારા ગામમાં તમને તળાવ ગળાવવા માટેની ઈચ્છા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો,  પણ ગામની ભગીદારી સાથે અમે તળાવ કરીએ છીએ,  એટલે JCB અમે મુકીશું અને માટી ઉપાડવાનું કામ તમારે કરવાનું છે. સાથે સાથે નાનકડો લોકફાળો તમારાથી જેટલો થાય એ ભેગો કરો. એ ફાળો ભેગો કરીશું જેને આપણે ખોદકામમાં જ ખર્ચ કરીશું. અને દરેક આમ જળકર સરકાર ઉઘરાવે છે એ નહીં પણ ગામ પોતાની રીતે જળકર ઉઘરાવાનું શરૂ કરે,  ઘરદીઠ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા બહુ મોટી રકમ નથી એટલી તો ભેગી કરી જ શકીએ તો પણ લાખ દોઢ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ અને દોઢ લાખ રૂપિયા જો આપણી પાસે ભેગા થાય છે તો દર વર્ષે ચોમાસા પછી તળાવોમાં આવતો કાપ, માટી કચરો જે પણ હોય એ આપણે સાફ કરીને તળાવને દર વર્ષે સાફ રાખી શકીએ. કોઈ સરકાર કે કોઈ સંસ્થા કે અમારા જેવાની તમને જરૂર નહીં પડે. આવનારી પેઢીને ધન દોલત તો ઘણી આપીને જઈશું પણ જમીનમાં પાણીના તળ સાબદા નહીં આપીએ તો એ આપણને  ક્યારેય માફ નહીં કરે. (મિત્તલ પટેલ, વિચરતા સમુદાય સમર્થન મંચ, હરિકુટિર, સદવિચાર પરિવાર કેમ્પસ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત-380015)

“પુસ્તક તમને પસ્તી થતા બચાવે છે..!!”

રાજકોટનું  સાહિત્યસેતુ અને નવસારીની લાઈબ્રેરી માર્ગ ચીંધે છે

ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

“આજે ક્યાં કોઈ વાંચે છે ?”

“બધા મોબાઈલમાં જ માથું નાખીને બેઠા છે ને !”

‘હવે પુસ્તકો સુધી તો કોઈ પહોંચતું જ નથી ..”

આ અને આવા અનેક ઉદગારો આપણે વારંવાર સાંભળ્યા  કરીએ છીએ અને ક્યારેક તો આપણે જ ઉચ્ચારીએ પણ છીએ…

પણ ખરું કહેજો,,, આપણે પોતે કેટલા પ્રયત્નો કર્યા  કે કોઈને વંચાવીએ ?? લાવો, કોઈના ઘર સુધી કે કોઈના હાથ સુધી પુસ્તકો પહોંચાડીએ ?? હા, આપણે પુસ્તક દિને ઢગલાબંધ મેસેજો ફોરવર્ડ કર્યા  અને પુસ્તક વાંચવા જોઈએ ને એવી બધી  સુફિયાણી  સલાહોના ધોધ વહાવ્યા અને તે દિવસે એ જ વોટ્સએપ પર સૌને વાંચતા કર્યા !! ખરું કે નહીં ?? કડવું છતાં સત્ય છે કે નહીં ??

હા, રાજકોટમાં સર્જક-લેખક-કવિ કે એવું કશું જ નથી એ અનુપમભાઇ દોશીએ ‘સાહિત્ય સેતુ’ના બેનર હેઠળ લોકો સુધી પુસ્તકને લઇ જવા માટે આખો દિવસ ફાળવ્યો. એ ‘પુસ્તક પરબ’ ચલાવે છે. કોઈ આવે ને પુસ્તક દઈ જાય અને કોઈ આવીને ગમતું પુસ્તક લઇ જાય !! મહિનામાં પહેલા રવિવારે કાલાવડ રોડ પર કોટેચા સ્કૂલના સભાખંડમાં..કોઈ ચાર્જ નહીં કોઈ ફોર્માલિટી નહિ..પુસ્તક દિને આ ‘સાહિત્ય સેતુ’ છેક પહોંચ્યું બાલાજી હનુમાનના મંદિરે , રાજશ્રી ટોકીઝની બાજુમાં, ગીર્દીવાળા સ્થળે..અને એ  પણ શનિવારે કે જ્યાં હનુમાન ભક્તોની જબરી ભીડ જામી હોય ત્યાં જઈને  પુસ્તકો પાથરી દીધા. દર્શન કરવા આવનારની નઝર પડી ને નજીક આવ્યા અને પુસ્તક હાથમાં લઇ જોવા લાગ્યા અને પછી પ્રેમથી ઘરે લઇ જવા લાગ્યા.. આ જોઈને અનુપમભાઈ અને તેની ટોળી તો રાજી રાજી… હા, તેઓએ  રાજકોટની અગિયાર શાળાઓને સો-સો પુસ્તકો ભેટ આપીને ત્રેવીસમી એપ્રિલનો પુસ્તક દિન સાચા અર્થમાં ઉજવ્યો. એવા વિરલા કો’ક કે જેમણે ન તો વોટ્સએપ જોયું કે ન તો કોઈને જોવા દીધું,,પુસ્તક દિને !!

આવી જ લાંબા ગાળાની અસર ઉભી કરતી પ્રવૃત્તિ થઇ નવસારીમાં. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી દ્વારા તો વેકેશન વાંચનોત્સવ નો પુસ્તક દિને શુભારંભ થયો. તેઓ દર વર્ષે બાળકોને વાંચન તરફ પ્રવૃત કરવા  માટે વેકેશનમાં સુંદર પ્રવૃત્તિ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુસ્તકાલય બાળકો-વિધાર્થીઓ માટે વેકેશન દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર છે. ૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનથી આરંભ થયેલ  “વેકેશન વાંચનોત્સવ”  અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ ૪ જુન ર૦રર સુધી ચાલશે. જેમાં વિવિધ શીર્ષક હેઠળ સુંદર કાર્ય થતું રહેશે.

એક) ચાલો વાચીએ – ચાલો લાઈબ્રેરીમાં

છેલ્લા એક દાયકાથી વેકેશનમાં યોજાતી આ પ્રવૃત્તિમાં સામેલ થતાં જ બાળકને એક નોટબુક મળશે. જેમાં વાંચેલ પુસ્તકોની નોંધ અને વિચારસાર લખવાના રહેશે. પાંચ પુસ્તકોના વિચારસાર  લખનાર વિદ્યાર્થીને એક ફુલસ્કેપ નોટબુક પુરસ્કાર રૂપે મળશે. વધુમાં વધુ 10 નોટબુકો એટલે આખા વર્ષની નોટબુકો વિદ્યાર્થી પોતે જ પુસ્તકો વાંચી મેળવી શકે.

બે) નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળાઓને

આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં વિધાર્થી આપણા ક્રાંતિવીરો અને વીરબાળાઓના જીવન, સંઘર્ષ, ત્યાગ, સમર્પણ, બલિદાન વિષયે જાણીને રાષ્ટ્રભાવનાનું મુલ્ય સમજશે, એમના વિશે પુસ્તકો વાંચીને લખશે. વેકેશનના અંતે એની પાસે પોતાના શબ્દોમાં લખાયેલો ઓછામાં ઓછા ૧૫ આવા ક્રાંતિવીરો અને વીરબાળાઓનો ઈતિહાસ હશે જે એમના માટે કાયમનું સંભારણું બનીને રહેશે. આ બધા  વિધાર્થીઓને પુસ્તકાલય આગવી રીતે પુરસ્કૃત કરશે.

ત્રણ) બુદ્ધિ, તર્ક, કલ્પના વિસ્તારનારી રમતો :: 

ધોરણ ૧ થી ૧૨ ના બાળકો માટે વેકેશન દરમિયાન દરરોજ સવારે ૧૦.૦૦ થી ૧ર.૦૦, પ્રોજેક્ટર સ્ક્રીન પર સંવેદના સંકોરતી, સંસ્કાર ઘડતરની ફિલ્મો બુધવાર અને શુક્રવાર સમય સાંજે ૪.૦૦ વાગ્યા થી.. જેવા  ૧૦ કે ૧૫ વિદ્યાર્થીઓ થયેથી ફિલ્મ બતાવાશે. ફિલ્મના અંતે એના વિશેની માહિતીસભર ચર્ચા વિદ્યાર્થીશ્રોતાઓ કરશે.

ચાર) વાર્તાકથન અને વાતલેખન વર્કશોપ

ધોરણ ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે મે મહિનામાં પુર્વ જાણ કરીને નક્કી કરેલી તારીખે એક દિવસીય એવા વાર્તાલેખન અને વાર્તાકથન અથવા વાચિકમના એવા બે અલગ વર્કશોપના આયોજન વિદ્વતજનના માર્ગદર્શન હેઠળ થશે. આ વર્કશોપ હેઠળ મળેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળાકીય ઈતર પ્રવૃત્તિઓમાં અને જીવનમાં પણ ખુબ ઉપયોગી નીવડશે.

પાંચ) પુસ્તક વિશ્વમાં પખવાડિયું

ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ બે થી ચાર સપ્તાહ દરરોજ ચાર થી પાંચ કલાક પુસ્તકવિશ્વ (પુસ્તકાલયમાં) આવશે. પુસ્તકો તથા મેગેઝીનોને જોવા, વર્ગીકૃત કરવા, નોંધવા એવા કાર્યો દ્વારા પુસ્તકાલયને જાણશે. બાળકોની ઈતર પ્રવૃતિઓમાં સહયોગ આપશે. આ પ્રવૃત્તિમાં જોડાનાર દરેક વિધાર્થીને પુસ્તકાલય આગવી રીતે  પુરસ્કૃત કરશે. આ સાથે વિદ્યાર્થી પોતાના જીવનમાં સારો બદલાવ આવ્યાનું અનુભવશે.

જે વિદ્યાર્થીઓની પરીક્ષા વહેલી પૂરી થાય છે તેઓ 23 એપ્રિલથી વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકે છે. વેકેશન વાંચનોત્સવનો શુભારંભ કરાવ્યો  જાણીતા કવિ-લેખક અને વિવેચક શ્રી વિનોદ જોશીએ.

વેકેશન વાંચનોત્સવનો ઉદેશ સ્પષ્ટ છે :: મોબાઈલ ટીવીથી દુર રહી લાયબ્રેરીમાં જઈશું.  લાયબ્રેરીમાંથી લાવેલ પુસ્તકોનું વાંચન કરી સ્વવિકાસ કરીશું

 

સોશ્યલ મીડિયા માં આ નવસારી વાળો મેસેજ બહુ વાઇરલ થયેલ છે, કારણ કે સૌને ભૂખ તો લાગે જ છે પણ કોઈ મેસેજ ફોરવર્ડ કરીને તે સંતોષે છે તો કોઈના માટે નવસારીની લાઈબ્રેરી અને સાહિત્યસેતુ જેવી સંસ્થાઓ પહેલ કરે છે.

 

મમ્મી-પપ્પા પોતાના સંતાનોને સ્વિમિંગ કે સ્કેટિંગ કે જિમ કરાવે તેનો વિરોધ નથી પણ શરીર સારું હશે પણ બુદ્ધિ બુઠ્ઠી હશે તો…? બુદ્ધિમાં સાત્વિક વિચાર હશે તો શરીર પ્રભાવશાળી બનશે,  આ વાત સમજીને મા-બાપ પણ વેકેશનમાં પોતાના સંતાનને કોઈ લાઈબ્રેરીના સભ્ય બનાવે તેવી વિનંતી એક શુભેચ્છક તરીકે કરું છું.

 

ભગવદ ગીતા ભણાવીશું કઈ રીતે ?

મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ?

ભદ્રાયુ વછરાજાની                                                           bhadrayu2@gmail.com

શિક્ષણમાં ધર્મના કોઈ પણ તત્વોને દાખલ કરતા પહેલા બહુ ઊંડો વિચાર કરવાની જરૂર રહે છે. આ ઊંડાણથી વિચાર કર્યા વગર જો કેવળ ભાવાત્મકતાથી કોઈ બાબત અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે તો તે મુદ્દો ભવિષ્યમાં બૂમરેંગ  થાય તેવી પૂરી શક્યતાઓ છે.

કહે છે કે  આપણા શિક્ષણ કાર્યમાં શ્રીમદ ભગવદ્દ  ગીતાને સ્થાન આપવામાં આવશે. જ્યાં સુધી શ્રીમદ ભાગવત ગીતાને સબંધ છે ત્યાં સુધી એ કોઈ ધર્મનો ગ્રંથ નથી,  પરંતુ  એ વૈશ્વિક વ્યવસ્થાપન માટેની આચારસંહિતા નક્કી કરતો ગ્રંથ છે એટલે ભગવદ્દ  ગીતાના અભ્યાસમાં દાખલ થવા અંગે કોઈ વિવાદી વાત કરવાની આવશ્યકતા કોઈ તરફથી રહેતી નથી. આપણે જો પંચતંત્રની વાર્તાઓ ભણાવીને અથવા બૌદ્ધ કથાઓ ભણાવીને તેમાંથી મૂલ્ય પ્રતિસ્થાપન કરી શકતા હોઈએ તો  તે જ રીતે શ્રીમદ ભગવદ્દ ગીતામાં વૈશ્વિક  સ્તરને સ્પર્શે તેવું જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને માધ્યમ બનાવીને આપણને આપવામાં આવ્યું છે તેનો વ્યાપક ફેલાવો શિક્ષણના નાના વર્ગથી થાય તે સર્વથા આવકાર્ય છે.

ધોરણ ૬ થી ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાનો પ્રસ્તાવ છે . અલબત્ત આ પ્રસ્તાવ મુકનાર અને તે અંગે અનુકાર્ય કરનાર ખૂબ સજાગ લોકો જ હશે.  મહાભારત મહાગ્રંથના એક પર્વમાંથી ૭૦૦ શ્લોક એ ભગવદ્દ  ગીતા છે. પણ ૧૮ અધ્યાયમાં વહેંચાયેલ આ ૭૦૦ શ્લોક મૂળ સંસ્કૃતમાં વાંચવા કે ઉચ્ચરિત કરવા એ પણ બહુ આવડત માંગે છે. એ માટે સજ્જતા જોઈએ અને એ સજ્જતા કેળવાય તેના માટે સક્ષમ શિક્ષકો જોઈએ. આપણી પાસે આ બંને નથી, તે સહજ સ્વીકારવામાં વાંધો નથી. મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ? વળી, છઠ્ઠા ધોરણથી ભગવદ્દ ગીતાના સંસ્કૃતના શ્લોકોને માત્ર ગોખાવી નાખવા અથવા તેના અર્થઘટનને જ ગોખાવીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એમ માની લેવું તે આપણી જાત સાથેની છેતરપિંડી બની રહેશે ત્યારે ભગવદ્દ  ગીતાને સરળતાથી વિદ્યાર્થીઓના હૃદય સુધી કેમ પહોંચાડી શકાય એ વિચાર માંગે તેવો મુદ્દો છે. આ અંગે નીતિ નિર્ણાયકો ખૂબ ઊંડો અભ્યાસ કરી રહ્યા હશે એ નક્કી.

શ્રીમદ  ભગવદ્દ ગીતા ઉપરના અનેકાનેક ભાષ્યો આપણી પાસે ઉપલબ્ધ છે. જો ગુજરાતની અને ગુજરાતીની વાત કરીએ તો આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ :

(૧) શ્રીમદ ભગવદ્દ ગીતાના ૧૮ અધ્યાયને ધોરણ ૬ થી લઈને ધોરણ ૧૨ સુધીમાં એમ જ વહેંચી દઈને ભણાવવાનું આપણને અઘરું પડશે, કારણકે મૂળ શ્લોકો બહુ જ તૈયારી માંગે છે અને તૈયારી છતાં સ્પષ્ટ સમજ ન થઇ શકે તેવા એ શ્લોકો છે.

(૨) આ મુશ્કેલીનો સરળ રસ્તો છે. ગુજરાતમાં કેટલાક સમર્થ ગુજરાતીઓએ શ્રીમદ ભગવદ્દ ગીતાનું  સમશ્લોકી ભાષાંતર કરેલું છે. એ સમશ્લોકી ભાષાંતરમાં સૌથી પહેલું અને પ્રખ્યાત નામ શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાલાનું આવે. જેમણે અતિ સુંદર રીતે સહજતાથી સમજાય જાય તે રીતે સમગ્ર ગીતાના ૭૦૦ શ્લોકોનું સમશ્લોકી ગુજરાતી એવી રીતે કર્યું છે કે જાણે તમે એ વાંચતા જાઓ અને તમને તેનો અર્થ સમજાતો જાય. ઉદાહરણ તરીકે નીચેના  શ્લોકો  જોઈએ જે અધ્યાય બીજામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં  કહેવામાં આવેલ   છે.

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?  

બોલે, રહે, ફરે, કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો.

 

ક્રોધથી મૂઢતા આવે ને મૂઢતા સ્મૃતિને હરે 

સ્મૃતિ લોપે બુદ્ધિ નાશબુદ્ધિ નાશે વિનાશ છે.

આ બે શ્લોક વાંચીશું તો તાત્કાલિક એના અર્થ કોઈ ન સમજાવે તો પણ આપણને સમજાઈ જશે. આ સમશ્લોકી ‘ગીતા ધ્વનિ’ના નામથી આજે  ઉપલબ્ધ છે.

(૩) પોતાના સહજભાવથી જેમણે ભગવદ્દ ગીતાને સ્મશ્લોકીમાં સુંદર રીતે ઉતારી આપ્યું તે શ્રી પૂજ્ય મોટા છે. પૂજ્ય મોટા દ્વારા ‘જીવનગીતા’ નામે સમશ્લોકી ગીતા  આપણને મળે છે.

અધ્યાય બીજાના કેટલાક શ્લોકો જે સમશ્લોકી પૂજ્ય મોટાએ તારવ્યા છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલા સરળતાથી એમાં હાર્દરૂપ વાત કહેવામાં આવી છે.

કૈંક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો;

આવો મોહ તને ક્યાંથી ? અરે, અર્જુન ! કાં ડગ્યો ?”

 

દેહ ને દેહમાં રહેતા આત્માનો ભેદ કાં ભુલ્યો ?

મરે છે, આત્મા તો કદી નાશ ન પામતો .

 

જો આપણે ‘જીવનગીતા’માંથી ગીતાગાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે સંસ્કૃતની કેટલીક આપણા પક્ષની મર્યાદાઓને ઉવેખીને આપણા સુધી ભગવદ્દ ગીતાને પહોંચાડવાનું કામ આ સમશ્લોકી ગીતા  કરાવી શકે એમ છે.  (ક્રમશ:)