કોઈપણ ખરાબ કે ભૂંડો શબ્દ તમે ઉચ્ચારો છો કે તરત જ ખોટા સંસ્કાર પડવાની શરૂઆત થાય છે. 

ભદ્રાયુ વછરાજાની        bhadrayu2@gmail.com 

                (28) 

જન્મ એ જીવનનો પહેલો છેડો છે,  તો મરણ એ જીવનનો છેલ્લો છેડો છે. આ વાત ખ્યાલમાં રાખી જેટલી કાળજી પહેલા છેડાની લઈએ છીએ એટલી જ કાળજી અને એટલી જ તૈયારી બીજા છેડા માટે પણ કરતા રહેવી જોઈએ. જન્મથી મોટા થવાની પ્રક્રિયામાં જેટલો આપણો રસ છે, તેટલો  મોટા થયા પછી ફરી એકવાર મરણ તરફ ચાલતી  ગતિમાં પણ હોવો જોઈએ. એકે એક પળ આપણા માટે મહત્વની છે.  એક પણ ક્ષણ ફોગટ ન જાય એની આપણે કાળજી લેવી પડે. પ્રત્યેક ક્ષણે  એક સારો સંસ્કાર બંધાઈ જાય, એક નવો વિચાર આપણને પ્રાપ્ત થઇ જાય તે જરૂરી છે. કોઈપણ ખરાબ કે ભૂંડો શબ્દ તમે ઉચ્ચારો છો કે તરત જ ખોટા સંસ્કાર પડવાની શરૂઆત થાય છે. 

મનોવિજ્ઞાન કહે છે કે, દિવસ સારો ગયો હોય તો પણ ખરાબ કલ્પનાઓ સ્વપ્નમાં આવીને ઉભી રહી જાય છે. વિનોબાજી પોતાના વાત યાદ કરતા કહેતા કે : “ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી. તે મને કહે, “વિચા, હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર જ પાછી આવું છું.” પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી. પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું કારણ શું? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો હતો. તે વાત જીવનને ચોંટી ગઈ, જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું, ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલે થયું.”

જીણી જીણી બાબતોમાં સંભાળ રાખવી પડે. ડૂબનારો હોય તેને તણખલાનો પણ આધાર થાય છે. સંસારમાં આપણે ડૂબી જઈએ છીએ. જરા સારું બોલ્યા હોય તો એટલો જ આધાર થશે. સારું કરેલું કદી ફોગટ ન જાય,  એ તમને ને મને તારશે. લેશમાત્ર પણ ખરાબ સંસ્કાર ઉમેરવા ન જોઈએ. મારી આંખ પવિત્ર રાખીશ, મારાં  કાન નિંદા સાંભળશે નહીં, મારી જીભ સારું બોલશે એવું  સતત રટણ મારે કરવું  પડે. પવિત્ર સંસ્કાર જેમ જેમ પડતા જાય એમ ઉદ્દાત વિચારો મનમાં વાગોળવા લાગે. હાથને પવિત્ર કામ કરવાની ઈચ્છા થાય, અંદર ઈશ્વરનું સ્મરણ થાય અને પરિણામે બહાર સ્વ ધર્મનું આચરણ થાય. હાથથી સેવા, કર્મ અને મનમાં વિકર્મ એમ રોજ કરતા રહેવું જોઈએ. 

ગાંધીજીનું જીવન ઉદાહરણ લેવા જેવું છે. રોજ કાંતે,  રોજ કાંતવાની વાત પર તેઓ ભાર દીધા કરે. આપણને વિચાર આવે કે રોજ શા માટે કાંતવું જોઈએ ? કપડાં જેટલું કાંતિ લઈએ તો ચાલે નહીં ? પણ એ વ્યવહાર થયો. રોજ કાંતવામાં આધ્યાત્મિકતા છે. વિનોબાજી સરસ સમજાવે છે કે,  દેશને ખાતર મારે કશુંક કરવું છે એનું એ ચિંતન છે એટલે એ રોજ ખાદી કાંતે છે. એ સુતર દરિદ્રનારાયણની સાથે આપણને રોજ જોડી આપે છે. એટલે કે એ સંસ્કાર આપણા દ્રઢ થાય છે. આપણને  ખ્યાલ છે કે ડોક્ટર દવા આપે પાંચ દિવસની,  એ દવા તો સપ્રમાણ પાંચ દિવસમાં પીવાની હોય કે ખાવાની હોય. એક સાથે આપણે પાંચેય દિવસની દવા ખાઈ જઈએ તો પછી રોગમાં કઈ ફર્ક પડે ? દવાનો હેતુ સરે  ખરો ? એ જ રીતે રોજરોજ સંસ્કાર કરીને આપણી પ્રકૃતિ માંહે ની વિકૃતિ દૂર કરવાનું કામ આપણે કરવું જોઈએ. 

વિનોબાજી કે સુંદર વાત તરફ આપણું ધ્યાન દોરે છે. એ કહે છે કે, ‘પૂજા કરતી વખતે ભગવાન શ્રી શંકરની પિંડી ઉપર ધીરે ધીરે અભિષેક કરવામાં આવે છે. આ મને બહુ ગમી ગયેલું દ્રષ્ટાંત છે.  નાનપણમાં એ ક્રિયા હું રોજ જોતો. ચોવીસ કલાકનું ભેગું કરો તો તે માંડ બે બાલ્દી  પાણી થાય. ઝટ બે બાલ્દી  શિવ લિંગ પર રેડી દીધી હોય તો શો વાંધો આવે ? આ સવાલનો જવાબ મને બચપણમાં જ મળી ગયો હતો. પાણી એકદમ સીધું  રેડી દેવાથી કર્મ સફળ થતું નથી. ટીપે ટીપે કે  સતત ધાર ધાર થાય છે તેનું જ નામ ઉપાસના છે. સમાન સંસ્કારોની એકસરખી સતત ધાર ચાલવી જોઈએ. જે સંસ્કાર સવારે, તે જ બપોરે તે જ રાતે, જે દિવસે તે જ રાતે, જે કાલે તે આજે. જે આજે તે આવતીકાલે. જે આ વર્ષે તે આવતા વર્ષે અને જે આ જન્મે તે આવતા જન્મે. અને જે જીવતા તે જ મરતા. આવી એક હારમાળા દર્શાવીને વિનોબાજી કહે છે એક જ દિશામાં સંસ્કારનો પ્રવાહ વહે તેની મારે ને તમારે કાળજી લેવી જોઈએ. ચારે કોર વહી જતું પાણી સુકાઈ જાય. સંસ્કારનું પણ એવું જ છે. સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહે તો જ છેલ્લે મરણ સમયે મહા આનંદનો ભંડાર બની રહે. જે પ્રવાસી રસ્તામાં ઝાઝું ન થોભે, અથવા રસ્તામાં આવતા મોહથી દૂર રહે મહેનત કરીને પગલાં માંડતો માંડતો શિખર તરફ  ચાલ્યા જ કરે તો તે ઉપર જઈને  છાતી પર લગાવેલા સર્વ બંધનો ફેંકી દઈ ત્યાંના વાતાવરણનો મોકળાશથી  અનુભવ કરશે. તેના આનંદનો બીજા લોકોને ખ્યાલ સરખો આવશે નહીં. જે મુસાફર વચ્ચે અટકી જાય  તેના માટે સૂર્ય કે પવન થોભેલો રહેવાનો છે ખરો  ? (ક્રમશ:)