એક રાત્રે તેઓ સૂતા હતા, ત્યારે ગાઢ અંધકારને પોતા પર ધસી આવતો જોયો. એ અંધકાર એમની ચોતરફ ફરી વળ્યો ને તેમની અંદર પણ ઘૂસી ગયો.!!!            

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com                                      

                                          (04)

માતાશ્રી સ્વર્ણલતા દેવી કલકત્તામાં ડૉ. કૃષ્ણધન ઘોષના મિત્ર મનમોહન ઘોષને ત્યાં હતાં. ત્યાં તેમણે ઈ.સ. ૧૮૭ર પંદરમી ઓગષ્ટ સવારે ચાર ને વીસ કલાકે ત્રીજા પુત્રને જન્મ આપ્યો. તેમને બિનયભૂષણ અને મનમોહન એ બે પુત્રો હતા. સહેજ ભીનો વાન, લંબગોળ ચહેરો, વિશાળ લલાટ ને કોમળ આંખોવાળા આ પુત્રે ડૉ. કૃષ્ણધનના અંતરને આકર્ષી લીધું. પિતાએ નક્કી કર્યું કે પુત્રને પૂરેપૂરો “ઈંગ્લીશ મેન” જ બનાવવો. આથી પિતાએ એને અંગ્રેજી નામ આપવા વિચાર્યું. તે સમયે ડૉ. મનમોહનના મિત્ર કુમારી એક્રોઈડ ત્યાં હાજર હતાં. એમના નામ પરથી ડૉ. કૃષ્ણધને પુત્રનું નામ આપ્યું: “અરવિંદ એક્રોઈડ ઘોષ.” શ્રીઅરવિંદ સાથે આ નામ ઘણા વરસો જડાયેલું રહ્યું પણ પછી તેમણે પોતાના નામમાંથી એક્રોઈડ ઉડાવી દીધું.

પુત્રનો અંગ્રેજી ઢબે જ ઉછેર થાય એ માટે ડૉ. કૃષ્ણધને મિસ પેગેટ નામની અંગ્રેજી ગવર્નેસને રાખી. આથી માતૃભાષાને બદલે શ્રી અરવિંદ અંગ્રેજીમાં જ બોલતાં શીખ્યા. ઘરમાં માતા-પિતા પણ અંગ્રેજીમાં જ બોલતાં. આથી અંગ્રેજી એમના માટે માતૃભાષા જેવી સહજ બની રહી. નોકરચાકર અને ખાનસામાં ભાંગ્યુંતુટ્યું હિન્દુસ્તાની બોલતાં એટલે એ શબ્દો થોડા આવડ્યા પણ બંગાળી ભાષાનો પરિચય તેમને બિલકુલ થયો નહીં. બંગાળી ભાષા તો તેઓ ખૂબ પાછળથી શીખ્યા. નાનપણમાં બંગાળી વાતાવરણનો પરિચય તો તેઓ રજાઓમાં જ્યારે મોસાળમાં જતા ત્યારે જ થતો. મોસાળમાં, દેવધરમાં ત્રણેય ભાઈઓને ખૂબ મઝા પડતી.

ડૉ. કૃષ્ણધનની ધૂન હતી કે તેમનાં બાળકોને પૂરેપૂરા યુરોપિયન બનાવવા. એથી એમણે હવે પોતાના પુત્રોને સંપૂર્ણપણે અંગ્રેજી વાતાવરણ હોય એવી સ્કૂલમાં મોકલવાનું નક્કી કર્યું. દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલ ભારતમાં આવેલાં અંગ્રેજોનાં બાળકો માટે જ ખાસ બનાવવામાં આવી હતી. ત્રણ આઈરીશ સાધ્વીઓ આ સ્કૂલ ચલાવતી હતી. ત્યાં તેમણે પોતાના ત્રણેય પુત્રોને મૂક્યા. તે સમયે શ્રી અરવિંદની ઉંમર તો ફક્ત પાંચ જ વર્ષની હતી. પાંચ વરસનું બાળક તો હજુ માતા-પિતાની છત્રછાયામાં રહીને દુનિયાનો પરિચય મેળવી રહ્યું હોય. બાલમંદિરમાં જાય તેટલો વખત જ માતાથી વિખૂટું પડતું હોય, તેટલી ઉંમરે શ્રી અરવિંદને માતા-પિતાથી દૂર દૂર કોન્વેન્ટ સ્કૂલમાં અજાણ્યા વિદેશી વાતાવરણમાં રહેવાનું થયું. અલબત્ત તેમનાં બે મોટાભાઈઓ તેમની સાથે તો હતા, પણ તેઓ પણ હજુ બાળક જ હતા ! આ પાંચ વરસની વયે શ્રીઅરવિંદ માતા-પિતાથી છૂટા પડ્યા એ પછી ક્યારેય એમને માતા-પિતા સાથે રહેવાનું થયું નહીં.

દાર્જિલિંગમાં શ્રી અરવિંદ બે વરસ રહ્યા. આ સમય દરમિયાન એમને એક વિલક્ષણ અનુભવ થયો હતો. એક રાત્રે તેઓ સૂતા હતા, ત્યારે તેમણે ગાઢ અંધકારને પોતા પર ધસી આવતો જોયો. એ અંધકાર એમની ચોતરફ ફરી વળ્યો ને તેમની અંદર પણ ઘૂસી ગયો. તેઓ ઈંગ્લેન્ડમાં રહ્યા ત્યાં સુધી આ અંધકાર એમની સાથે જડાયેલો રહ્યો. જાણે વિદેશી સંસ્કૃતિએ એમને ઘેરી લેવા માટે આક્રમણ કર્યું ન હોય ! પણ ત્યારે તો તેઓ ખૂબ નાના હતા ત્યારે આ અનુભવ એ શું છે, તેની તેમને ખબર ન હતી.

શ્રીઅરવિંદ આઈ.સી.એસ. અધિકારી ન બની શક્યા એનું એમના પિતાને ઘણું દુ:ખ થયું. એમણે તો પોતાના પ્રિય અરો માટે બંગાળના સારા ગણાતા આરા જિલ્લાના ક્લેક્ટર તરીકેની નિમણૂંકની જોગવાઈ પણ પોતાના અંગ્રેજી મિત્રો મારફત કરાવી રાખી હતી. પણ બ્રિટિશ સરકારે શ્રી અરવિંદને આઈ.સી.એસ.ની પદવી ન આપતાં, ડૉ. કૃષ્ણધનની આશાઓના ચૂરેચૂરા થઈ ગયા. તેઓ ખૂબ નિરાશ થઈ ગયા હતા. શ્રીઅરવિંદ પણ હવે શું કરવું એની મૂંઝવણમાં હતા, એ માટે તેઓ પિતાના મિત્ર જેમ્સ કોટનને મળવા ગયા અને હિંદમાં ક્યાંય નોકરી મળી જાય તો સારું એવી પોતાની ઈચ્છા જણાવી. એટલે જેમ્સ કોટને કહ્યું: “તો તો હમણાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અહીં જ છે. તેમને વાત કરું.” અને થોડા દિવસોમાં જ મહારાજાએ શ્રીઅરવિંદને મળવા બોલાવ્યા. પહેલી જ મુલાકાતમાં મહારાજા પારખી ગયા કે આ કોઈ સામાન્ય હિંદી યુવાન નથી. પણ ભાગ્યે જ જોવા મળે એવું અમૂલ્ય રત્ન છે. એટલે એમણે તો નક્કી જ કરી લીધું કે કોઈ પણ રીતે આ યુવાનને વડોદરા રાજયમાં લઈ જ જવો. એટલે એમણે મુલાકાતને અંતે પૂછ્યું: “કહો, તમે કેટલો પગાર લેશો ?” પહેલી જ મુલાકાતમાં આમ નોકરી મળી જશે એનો તો શ્રીઅરવિંદને ખ્યાલ પણ નહોતો અને પગાર માટે તો એમણે કશું વિચાર્યું પણ ન હતું. એટલે એમણે મહારાજાને કહ્યું. “એ તો હું દાદાને (મોટાભાઈ) પૂછીને આપને જણાવીશ.” અને પછી મોટાભાઈ અને જેમ્સ કોટને એમને બસ્સો રૂપિયાનો પગાર બરાબર કહેવાય એમ જણાવ્યું. સાથે એમ પણ કહ્યું કે જો મહારાજાને બસ્સો રૂપિયા વધારે લાગે તો પછી દોઢસો સ્વીકારી લેવા.

આમ શ્રીઅરવિંદ મહારાજાની પાસે બસ્સો રૂપિયા પગારની માંગણી મૂકી અને કહેલી રકમ મહારાજાએ તુરત જ સ્વીકારી લીધી. મહારાજા તો શ્રીઅરવિંદ વધારે રકમ માંગી હોત તો પણ આપત. આમ મહારાજાએ શ્રીઅરવિંદને વડોદરા રાજ્યના અધિકારી તરીકે લંડનમાં જ નિમણૂંક આપી દીધી. આ નિમણૂંકથી મહારાજા ખૂબ પ્રસન્ન હતા. તેઓ પોતાના મિત્રોને કહેતા ફરતા કે જુઓ મને બસ્સો રૂપિયામાં રત્ન જેવો માણસ મળી ગયો અને તે પણ પાછો આઈ.સી.એસ. સિવિલિયન. એ ગૃહસ્થ બસ્સો રૂપિયામાં કેવી રીતે માની ગયા એ જ મને નવાઈ લાગે છે .” (ક્રમશ:)