‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

મૂળ નામ નારાયણ ઠોસર. શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ સ્વામીનો !

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com

‘શ્રી મનાચે શ્લોક’  અને તેના સમશ્લોકી અનુવાદનો લેખ અનેક વાચકોની જિજ્ઞાસાને જન્માવી ગયો અને આ સ્વામી સમર્થ રામદાસ વિષે  વધુ જાણવાની માંગણી આવી. આવો, આજે સ્વામી સમર્થનના  જીવનનું વિહંગાવલોકન કરીએ.

મનને આપણે બહુ વખોડયું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે, જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!

સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્રગુરુ’નું સન્માન પામ્યા.

સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની કૃતિનેસોનાની લગડીગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.

‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોને  કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં જઈને સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું :  “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી જય જય રઘુવીર સમર્થનો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!

મના ક્રોધને વ્હેંત છેટો રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’

 “મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’

મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે સંવાદ સાચો.”

 

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. 

ભદ્રાયુ વછરાજાની                   (66)            bhadrayu2@gmail.com 

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું  સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે : 

+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. +  માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન  થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. +  કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.

સત્તરમાં અધ્યાયનું  સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :  

+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને    જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું  હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.

અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર  મળે છે કે : 

+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. +  ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. +  ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી  દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. +   હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. +  હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ

                       (અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )

સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’

ભદ્રાયુ વછરાજાની                     (64)                       bhadrayu2@gmail.com 

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર..આપણને  જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે. 

સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશા એમ જ કહેશે કે,  આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે  જેને જીવનનું  અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ?  મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે. 

પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.  મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે. અને મોક્ષ તને શોધતો-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, माते संगोध्व कर्मणि माहो राग अकर्ममा , અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘अहं त्वां सर्वपापेभ्यो मोक्ष ईष्यामि मा सुच:  હું તને સર્વ પાપોથી છોડાવીશ, તુ નચિંત થઈજા. મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે, અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે.’ 

નિરપેક્ષ વૃતિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે, તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છોકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે.આવી એ નીતિશૂન્ય અવસ્થા છે, આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધના ની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે. 

આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદગાર છે ને! ‘આ વિશ્વમાં જે-જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતા ની અવસ્થા છે. જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને આખા જગતના દોષ પોતાની માથે લે છે. ત્રણે ભુવનના પાપથી પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શતો નથી. 

આ ભાવાવસ્થા ની માફક જ્ઞાની પુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે,? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી, આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરાકાષ્ટાની દશામાં સંભવે છે.

આ જે અક્રિયા અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત માત્ર છું, કર્મનું કર્તુત્વ મારી પાસે નથી, એ મનન કરતા રહેવું. આ  અકર્તુત્વ  વાતની ભૂમિકા પહેલા નમ્ર પણે સ્વીકારવી. પછી પણ ય  બધું એ કર્તુત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાની ની અવસ્થા પ્રાપ્ત થશે.

એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ, તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં, બધાય કર્મોને ભસ્મસાત કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકાશે.

અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધુ બરાબર સમજ્યો હોઈશ, હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર. ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે. ભગવદ ગીતાની આ વિશેષતા છે. પણ આ વિશેષતામાં પછી લાગણી ઉમેરાઈ ગઈ, એટલે એમને આપેલું ઈચ્છા નું સ્વાતંત્ર ભગવાને પાછું ખેંચી લીધું. અને અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’ પોતાને શરણે આવવાનું કહી  આપેલું ઈચ્છા સ્વાતંત્ર ભગવાને પાછું લઈ લીધું, એનો અર્થ સમજવા જેવો છે, કે ‘તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા જ ન દઈશ,’ પોતાની ઈચ્છા ચલાવવાની જ નથી, તેની જ ચલાવવાની છે, એવું કહેવાય. 

અંતે શ્રી વિનોબાજીએ કરેલું ઉત્તમ સમાપન યાદ કરીએ : જેમ બકરું જીવતું હોય ત્યારે ‘મેં-મેં’ કરે, મરી ગયા પછી તેની તાંત પીંજણ ને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, ‘તુંહી…તુંહી…તુંહી…’ એટલે કે ‘તુંજ… તુંજ… તુંજ…’ એવું બોલે છે. અર્જુન છેલ્લે તારી અવસ્થા ‘તુંજ… તુંજ… તુંજ…’ ઉપર થાય, એવી મારી પ્રાર્થના છે. આવો, આપણે સૌ પણતું હી, તું હીનું નામ સ્મરણ કરતા કરતા જ અમર ગતિ પામીએ. 

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’

બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

ભદ્રાયુ વછરાજાની                          (63)                bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે. 

કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કેકર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ  જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત  પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો  સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’ 

સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી  તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના  નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’  આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?

ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે

1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.

2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.

3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.

4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.

5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.

6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.

7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.

8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.

શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને  શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક  ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું  બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની  બદબો છૂટવા લાગશે.

કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે,  આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે. 

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે

ભદ્રાયુ વછરાજાની                 (62)              bhadrayu2@gmail.com   

આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક  આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે. 

ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં  અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે. 

આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર  માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’  

કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં  ભગવાને એક વાત સાફ કહી દીધી કે,  ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે. 

હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’  એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી. 

વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે  વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે. 

ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર  સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે  કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.

એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં  જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”

સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય.

ભદ્રાયુ વછરાજાની           (61)             bhadrayu2@gmail.com

ગીતાજીના સત્તરમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે  ચાલે એ મુજબ  વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણે સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો આપણો  સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જ કહી શકીએ કે “હે  ઈશ્વર ! તેં  મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે.” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી – સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ – સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. 

આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં. કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં, દાનથી સમાજમાં અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ સત્તરમાં અધ્યાયમાં દર્શાવેલ છે.

આપણા જન્મ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ માટે કશોક ભોગ પણ આપવાનો છે. ભોગ આપવો એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતા આહાર કહે છે. આ શરીરરૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો પડશે. દેહ ને આહાર આપીએ તો જ એ કામ કરે. આ બધી વાતોના મૂળમાં વળી શ્રધ્ધા જ હોય છે. બધી જ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે. પણ આપણે ક્રિયાઓ ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક હોય તો જ અર્પણ કરી શકીએ. આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાથે જ થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણને 14 માં અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું. 17માં અધ્યાયમાં ગીતા તે તત્વોનો અમલ શી રીતે  કરવો તે બતાવે છે. આ સત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બે પ્રકારનો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. બંનેને માટે એક જ પ્રયત્ન, એક જ કર્મ છે. તેવું જે કર્મ કર્યું હોય, તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. 

કહેવાય છે કે યજ્ઞ સાત્વિક થાય તે માટે બે બાબતો જરૂરી છે. એક નિષ્ફળ પણાંનો અભાવ, અને બે, સકામ પણાંનો અભાવ. યજ્ઞમાં સકામ પણું હોય તો એ ‘રાજસુ  યજ્ઞ’ બને છે. અને નિષ્ફળ પણું હોય તો ‘તામસ યજ્ઞ’ બને છે. સાથે-સાથે એ પણ યાદ રાખવું પડે કે, આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહિન કર્મ વ્યર્થ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. લેસ માત્ર પણ મારો સ્વાર્થ  જેમાં ન હોય, એવું કામ લગભગ-લગભગ કરી શકાતું નથી. તેથી દિવસે-દિવસે  વધારે ને વધારે નિષ્કામ, વધારેને વધારે નિસ્વાર્થ સેવા, આપણે હાથે થાય એવું ઈચ્છતા રહેવું જોઈએ. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ. ‘ઓમ-તત્સત’ એ વૈદિક નામ લઇ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે. પાપમાંથી નિસ્પાપતા તરફ લઈ જઈ શકે. જીવનની આસ્તે-આસ્તે  શુદ્ધિ કરવી જોઈએ, પરમાત્મા જરૂર એમાં મદદ કરતો હોય છે. અને આપણી નિર્બળતામાં તે આપણો હાથ પકડતો હોય છે.

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની           (60)          bhadrayu2@gmail.com 

       સત્તરમાં  અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ  “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો  સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે. 

શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે  જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? 

આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; 

આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; 

અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. 

આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું,  સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું  છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ કે મોક્ષ નથી મળતો.

ભદ્રાયુ વછરાજાની          (59)       bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભગવત ગીતાના 16 માં અધ્યાયના કુલ 24 શ્લોકોમાં આપણને દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. આપણને ગણાવવામાં આવ્યું છે કે દૈવી બાબતો કઈ અને આસુરી બાબતો કઈ છે? મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ જેવો  એક સુંદર આયોજિત કાર્યક્રમ કર્યો હતો અને એ ગીતા શિક્ષણ દરમ્યાન તેમણે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા. એ મુદ્દાઓની નોંધમાંથી આપણને ઘણું બધું તથ્ય જાણવા મળે છે. એ સમયે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ દ્વારા એ શબ્દબદ્ધ જે વાત હતી તેનું પ્રકાશન કરવામાં આવ્યું. જેના સંપાદક હતા નરહરી દ્વારકાદાસ પરીખ. ગાંધીજી દરેક શ્લોકની સાથે પોતાની વિગત આપતા આપતા, તેઓ જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે, ત્યાં ત્યાં આ જીવનની  કેટલીક બાબતોને વણી લઈને આપણને  મુદ્દો સમજાવે છે.

‘આજે મેં આટલું મેળવ્યું, કાલે આટલું મેળવીશ,’ ‘આટલું તો મારી પાસે છે જ અને બીજું ધન પણ મારું જ થવાનું છે.’ ‘આ શત્રુને મેં માર્યો છે, બીજાને હવે હણવાનો છું.’ ‘હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું સુખી છું, જુઓ જુઓ હું કેટલો  ધનવાન છું! કેટલા ઊંચા કુટુંબનો છું!  મારા જેવો બીજો કોણ છે?’ ‘હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ માણીશ.’.. અજ્ઞાનથી આંધળા થયેલા માણસો આવી આવી વાતો કર્યા કરે છે.  આમ કરીને માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.  યુધિષ્ઠિર પણ આવો સટ્ટો કરીને દ્રૌપદીને હારી ગયો હતો. પાંડવો અને કૌરવો કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા કોઈ દંભમાં અથવા તો મોહમાં આવી જતા હોઈએ છીએ. આપણે તો સૌ મિશ્રણથી ભરેલા છીએ. પણ ગમે તેમ કરીને ગીતા આપણને ઉર્ધ્વ ગતિ તરફ આગળ જવાનું સૂચવે છે. અનેક પ્રકારની વૃત્તિ મનમાં ઉછળ્યા  જ કરે એટલે વિભ્રાન્ત  થયેલા, મોહની જાળમાં વીંટળાયેલા, કામ ભોગમાં આસક્ત રહેલા અત્યંત અપવિત્ર એવા નરકમાં પડે છે. કેટલાક પોતાની બડાશ મારનારા હોય છે. અક્કલ , ધન, માન અને મદથી ઘેરાયેલા હોય છે, દંભથી વિધિ વિનાના, કેવળ નામના યજ્ઞ કર્યા કરે છે. યજ્ઞ કરવાનું નામ રાખે  પણ ઈચ્છા તો પોતાનો સ્વાર્થ સાધવાનો આવી રીતે કેટલાક જીવો જીવતા હોય છે. ભગવાન ધ્યાન દોરે છે કે અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તથા બીજાઓમાં રહેલા હું નો તેઓ દ્વેષ કરનારા, એ પણ આસુરી શક્તિઓ અથવા સંપત્તિઓના પ્રતિનિધિઓ છે. આવી રીતે જે દ્વેષ કરે છે એવા ક્રૂર-નરાધમોને અને અશુભોને હું નિરંતર આસુરી યોની માં નાખી દઉં છું – એવું ભગવાન સ્પષ્ટ કરે છે. આવા મૂઢ માણસો જન્મો-જન્મ આસુરી યોનિને પામીને, મને મેળવ્યા વિના અધમ-યોનિમાં જતા રહે છે.

આત્માનો  નાશ કરવાનું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે. એ ત્રણ છે – કામ, ક્રોધ અને લોભ. એટલા માટે આ ત્રણેયને ત્યજવાનું આપણને કહેવામાં આવ્યું છે. આવો માણસ પ્રેયને નથી આચરતો પણ શ્રેયને આચરે છે. કામ, ક્રોધ, લોભ – એ પ્રેય તરફ ખેંચી જાય છે. આ ત્રણેય તમોદ્વારથી વિમુક્ત થયેલો માણસ જ પોતાનું શ્રેય આચરીને પરાગતિને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ નથી મળતી, મોક્ષ નથી મળતો અને સુખ પણ નથી મળતું. એટલે જ કાર્ય અને અકાર્ય ઠરાવવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ માનીને શાસ્ત્રમાં ઠરાવેલા વિધિ જાણીને આપણે કર્મ કરવું જોઈએ, એવો બોધ આપણને આપવામાં આવ્યો છે. 

આપણે આ વ્યવસ્થિતિમાં અંતરનાદને વશ થશું એમ કહેવું જોઈએ. પણ એમ તો રાવણ પણ કહે છે કે હું અંતરનાદને વશ હતો. જે માણસનું ચિત્ત  શાસ્ત્ર જ્ઞાનથી સંસ્કારી થયેલું છે, તે જ માણસ આમ કહી શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર શું છે? વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણાદિ  બધું જ શાસ્ત્ર છે. પણ એમાં ઘણી વાતો એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીજી નોંધે છે કે, ગીતા જેવાના પ્રતિ તેવા થવાનું કહે છે એમ કોઈએ નોંધ્યું છે અને પોતાના પ્રમાણમાં શેખ સાદીને ટાંકે છે, ‘જે નઠારા પ્રતિ જે સારો થશે તે સારા પ્રતિ નઠારો થવાનો.’  શાસ્ત્ર સત્ય-અહિંસા ને આધીન છે. શાસ્ત્ર રાજ્ય ચલાવે છે. અરાજકતા  પાથરવાનું એમનું કામ નથી. પણ એ શાસ્ત્રનો આપણે વધુ વિચાર કરીને ઊંડાણથી એને અનુસરવું રહ્યું. ભગવત ગીતાના 16 માં અધ્યાયનું જો સાર તત્ત્વ  આપણે મેળવવું હોય તો એ સાર તત્ત્વ  બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવે છે. એમ કહેવાય છે કે હિંસા છે તો તેની સામે અહિંસાની એક સેના પણ છે. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ છે તો બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે, જેનું નામ છે અભય. 16 માં અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદગુણની કિંમત નથી. નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી થાય અને પાછલી બાજુથી છુપો હુમલો થવાનો સંભવ છે. સદ્ગુણોને આગળને મોરચે નિર્ભયતા પોતાનું થાણું જમાવીને ખડી છે, તો પાછળનો મોરચો નમ્રતા સાચવે છે. આવી બહુ સુંદર રચના થયેલી છે. એકંદરે જોઈએ તો બધા મળીને 26 ગુણો આ 16માં અધ્યાયમાં ગણાવ્યા છે. એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય, પણ એ વાતનો અહંકાર વળગ્યો, તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ નમ્રતા નામના સદ્દગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હાર માં પલટાઈ જશે.

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું  આસુરી લશ્કર !!

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું આસુરી લશ્કર !!

કહે છે કે, ક્રોધમાં તેર સ્નાયુનો વ્યય થાય છે, હસવામાં નવનો વ્યય થાય છે

ભદ્રાયુ વછરાજાની                    (58)             bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભાગવત ગીતાનો સોળ મો અધ્યાય આપણને એવું કહે છે કે, જીવનની ચડતી કળા એ દૈવી સંપત્તિનું નામ છે અને એના વિરુદ્ધની જે કોઈ અવસ્થા તે અસુરી સંપત્તિ કહેવાય છે. ખરેખર સોળ  માં અધ્યાયમાં દૈવી અને આસુરી શક્તિનો ઝઘડો બરાબર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામ-સામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સોળ માં અધ્યાયમાં એકબીજાની સામે ઊભા કરી દીધા છે. 

માનવીના મનમાં સત્ત  પ્રવૃત્તિઓનો અને અસત્ત  પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ રીતે રામ અને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહૂરમઝદને અહરી માનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ અને શૈતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇબ્લિસનો, આવા કેટલા ઝગડા ધર્મમાં દર્શાવેલા છે. ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવવામાં આવે છે. જાણવાનો મુદ્દો એ છે કે,સોળ માં અધ્યાયના પહેલા લગભગ ચાર શ્લોકોમાં જ આપણને એક યાદી ભગવાન આપી દે છે અને એ યાદીમાં કયા ગુણો  દૈવી છે, અને કયા ગુણો  આસુરી છે, તે આપણને સમજાવી દે છે. અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, ઈન્દ્રીય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તક,સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપયશુન (કોઈની ચાડી ન ખાવી), ભૂત દયા, અલોપલુપ્તા (લાલસાનો ત્યાગ), મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન… આટલા ગુણો તે દૈવી સંપત્તિનું  પ્રતિનિધિત્વ કરે છે, એટલે જે આ ગુણો લઈને જન્મ્યો હોય છે, તે દૈવી ગુણ તરફ આગળ ધપે છે. સત્વ સંશુદ્ધિ ( આત્મશુદ્ધિ અથવા તો આપણે જેને અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ), જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે કે સ્થિર જ્ઞાનની વ્યવસ્થિતિ, બધા કાળ માટે અનુભવ જ્ઞાનએ જ્ઞાન વ્યવસ્થિતિ. યોગ વ્યવસ્થિતિ એટલે સદાય ઈશ્વર જ્ઞાન અને ઈશ્વરનું તાદાત્મ. અહિંસામાં જ્ઞાનપૂર્વક દયાભાવથી કરેલી હિંસા પણ આવી જાય છે. 

મહાત્મા ગાંધી પોતાના ગીતા શિક્ષણના પાઠમાં સુંદર રીતે નોંધે છે કે, ડોક્ટર નાનજી ઓપરેશન કરવાનું હોય તેને આગલે દિવસે ઉપવાસ કરતા. એ હેતુથી કે પોતાના ક્રોધ વગેરે વિકારોની દર્દી ઉપર કોઈ અસર ન થાય. ક્રોધ વિના મારનારો માસ્તર તો આંખમાંથી આંસુ પાડતો પાડતો મારશે. યુધિષ્ઠિરની ક્ષમા કેવી ? વિરાટ રાજાને ત્યાં વિરાટે તેને માર્યો ત્યારે તેણે  નાકમાંથી ભૂમિ ઉપર લોહી ન પડવા દીધું. ક્ષમા એટલે અપકાર ઉપર ઉપકાર !! ક્ષમા આટલી તીવ્ર છે.. આ બધા દૈવી ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન એ આસુરી સંપત્તિ લઈને જન્મેલા હોય છે. અહીંયા સમજવાની જરૂર છે કે, દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો તે, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી તે, અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાકો રાખવો તે.. નારદજી એ કામદેવને હરાવ્યો ત્યારે તેણે અભિમાન કર્યું, અને એ અભિમાન થી તે પડ્યા. પારુષ્ય એટલે કઠોરતા.. દૈવી સંપત્તિ વાળો માણસ મોક્ષ તરફ ગતિ કરે છે, અને  આસૂરી સંપત્તિ બંધનમાં નાખે છે. ભગવાન કહે છે,  તારે શોક કરવાની જરૂર નથી. તું તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. આ જગતની અંદર લોકોના સ્વભાવ બે જાતના હોય, દૈવી અને આસુરી. દૈવી સ્વભાવ તો વિસ્તાર પૂર્વક આપણે  જાણ્યો.હવે આપણે આસૂરી સ્વભાવ ની વિગત મેળવીએ. 

પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવી એ આસુરી સંપત્તિ વાળા લોકો જાણતા નથી. તેઓ નથી જાણતા શૌચ, નથી જાણતા આચાર કે નથી જાણતા સત્ય, જેનામાં શૌચ નથી, સત્ય નથી, આચાર નથી, એ માંદા લોકો છે એવું ગાંધીજી કહે છે. માનસિક અને શારીરિક દોષ વિના માંદગી આવતી નથી. ચોવીસે કલાક જેનો આત્મા જાગ્રત રહે છે, તે તો નિરંતર પોતાનામાં તેજનો સંચાર માગે છે. કહેવાય છે કે લાધા મહારાજ કોઢ થી મુક્ત થયા. કેવી રીતે મુક્ત થયા? એ પોતાના કોઢ ઉપર બીલીપત્ર લગાડતા હતા ત્યારે તે પોતાનામાં તેજનો સંચાર માંગતા હતા. આપણે આપણા શરીરને વિકારવશ  થતું ત્યારે જ અટકાવી શકીએ કે આપણે તેજનો સંચાર રોજ માગ્યા કરીએ. ગાંધીજી કહેતા કે, હું તો દરેક માંદા ને પૂછીશ કે તમારામાં રાગ-દ્વેષ છે કે નહીં? બહારથી આપણામાં શૌચ અને આચાર હોય પણ સત્ય ન હોય તો તે બહાર ઢોલ અને માહે પોલ જેવું છે. આપણે એ સત્ય કેળવવા માટે ગીતાનું પઠન કરી શકીએ છીએ. આવી આસૂરી પ્રકૃતિવાળા લોકો જગતને અસત્ય, આધાર વિનાનું, અને ઈશ્વર વિનાનું કહે છે. સ્ત્રી-પુરુષના મૈથુનથી જ ઉત્પન્ન થયેલું કહે છે. એમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય એવી પણ બડાશ મારે છે. આ દૃષ્ટિનો આશ્રય લઈને એ નષ્ટાત્માઓ મંદમતી અને ઉપગ્રહ કર્મ કરવાવાળા, જગતનું અહિત અને નાશ કરનારા બને છે. કોઈ દિવસ તૃપ્ત ન થાય એવા કામનો આશ્રય લઈને દંભ, માન  અને મદવાળા, મોહથી ખરાબ નિશ્ચય  કરીને, અશુચિ વ્રતો એટલે કે પાપી બુદ્ધિ વાળા આ જગતમાં કેટલાય લોકો પડ્યા છે. જેનું માપ ન થઈ શકે એવી અને પ્રલય સુધી પહોંચવા વાળી ચિંતા નો આશ્રય લેવાવાળા, કામ અને ઉપભોગમાં ચોંટી રહેલા, ભોગ એ જ સર્વસ્વ છે એવા નિશ્ચયવાળા, સેંકડો આશા-પાસ થી બંધાયેલા, કામ અને ક્રોધ કરવાવાળા, કામ ભોગ માટે અન્યાય વડે અર્થ સંચય કરવા ઈચ્છે છે. ક્રોધ થી જેટલી શક્તિઓનો વ્યય થાય છે તે  આનંદથી જેટલી શક્તિનો વ્યય થાય તેના કરતાં અનેક ઘણો વધારે છે. ગજા ઉપરાંતની શક્તિનો વ્યય થાય છે, એટલે જગતમાં અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. કહેવાય છે કે ક્રોધમાં તેર સ્નાયુ નો વ્યય થાય છે. હસવામાં નવ નો વ્યય થાય છે. ભોગમાં મૃત્યુ છે, બ્રહ્મચર્યમાં અમરત્વ છે. એકવાર રાયચંદભાઈ (શ્રીમદ ) નું માથું દુખતું હતું, ત્યારે ગાંધીજીએ  એમને પૂછ્યું, તમે ક્યાં નાટક જોવા ગયા હતા? રાયચંદભાઈ એ કહ્યું, હું રાત્રે ઘરમાં પડયો-પડ્યો નાટક જોતો હતો. મારું દુખતું માથું મટાડવા મારે મારી શક્તિ નથી વાપરવી. સારું છે એવું જુઓ છો,  તેવો જ તમે મને જુઓ છો. ઈશ્વરના કાયદા કરતાં હું ઉતરતો છું. વિષય ઉપભોગ નું પરિણામ મૃત્યુ છે. વિષય ઉપભોગ કર્યા જ કરીએ તો જગતમાં ઈશ્વરનું રાજ્ય ન રહે પણ શૈતાન નું રાજ્ય આવીને ઊભું રહે.

કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન

કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન

જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ભદ્રાયુ વછરાજાની                 (57)                     bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના સોળમા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે. અહીં પ્રભુ અર્જુનને દૈવી અને આસુરી વૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે અને તે વૃત્તિઓ અંગે સાવધાન રહેવા અર્જુનને કહે છે.

શ્રીમદ ગીતા વિશેના અનેક ભાષ્યોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે કે જે આપણને આજે વિચારતા કરી મૂકે. ઉદાહરણ તરીકે, ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને અલિયાબાડાના મહર્ષિ ડૉ કાકા ( શ્રી ડોલરરાય માંકડ) ના મત મુજબ તો, ખરી ગીતા એટલે ગીતાનો કેવળ બીજો અધ્યાય. અને પછીનું બધું તો ઉમેરણ…જયારે વિનોબાજી તો પંદરમાં અધ્યાયને ગીતાનો છેલ્લો અધ્યાય કહે છે અને તેઓએ ગીતા પ્રવચનોમાં સોળ, સત્તર અને અઢાર અધ્યાયોને તો ‘પરિશિષ્ટ’ કહ્યા છે…આ આકલનને સાદર સ્વીકારીને પણ આપણે ગીતા યાત્રા આગળ ધપાવીએ. 

ગીતાના પહેલા પાંચ અધ્યાયમાં જીવનની યોજના કેવી છે અને તેમાં આપણો  જન્મ કેમ સફળ થાય તેની વાત થઈ તો છઠ્ઠા અધ્યાયથી તે અગિયારમાં અધ્યાય સુધી ભક્તિના વિવિધ રૂપોનો વિચાર થયો. બારમાં અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની તુલના થઈ અને કર્મ તથા ભક્તિ તત્ત્વોને જાણ્યા. તેર, ચૌદ અને પંદરમાં અધ્યાયમાં  જ્ઞાનની વિશાળ છણાવટ થઇ. આત્માને દેહથી છુટ્ટો પાડવો અને  તેમ કરીને ગુણોને જીતી લેવા અને કણેકણમાં અત્ર, તત્ર, સર્વત્ર પ્રભુના દર્શન કરવા તેવું કહીને જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર આપણે જાણ્યું અને દિલમાં ઉતાર્યું.

વિનોબાજી બહુ સ્પષ્ટ કહે છે કે, “કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે. જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ, અને કેવળ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું, કર્મ-ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઊતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોમાં મૂકું છું તે જ ક્ષણે એકીવખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું. ત્રણ ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફકત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરુષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારુ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.”

સોળમા અધ્યાયમાં સૂર્યોદય પહેલાની પ્રભા ફેલાયેલી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણથી પૂર્ણ થયેલ પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા લાગે છે. આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી કેટલી સદ્વૃત્તિ ઊંડી ઉતારી , આપણે કેટલા કેળવાયા, જીવન ખરેખર સેવામય બન્યું કે નહીં ?? તે બધું તપાસી લેવા માટે આ સોળમો અધ્યાય છે. જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ફરી વિનોબાજીનું સ્મરણ કરીએ. તેઓ કહે છે કે, “એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “હું શીખવનારો, બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરુ કોણ?” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા, “આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ,” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “પીઠ પર મારજો પણ પેટ પર મારશોમાં એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું . “આ ઘન મારું છે, અને પેલું પણ મારું થશે.” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને “સ્વરાજ જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો .” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે, જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.”

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. 

ભદ્રાયુ વછરાજાની                             (56)                 bhadrayu2@gmail.com 

પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ. 

પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ  વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય  રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે.   છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ  અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે. 

શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે. 

  1. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે. 
  2.   જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની  ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે. 

આવો આજન્મ સેવક તે અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે  દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે

પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા  રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે  કે કોઈની  અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન છીએ

ભદ્રાયુ વછરાજાની                     (55)                bhadrayu2@gmail.com   

શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા  માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે  એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે. 

શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.

આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’

જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું  છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

આ  પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવતત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો  છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે,  હે અર્જુન,  સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે?  અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં  શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય પોતાના હ્રદયમાં સ્થિત આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું. 

પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે.  એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં  છે, અને જે પ્રકાશ  અગ્નિમાં  સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર  જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે. 

‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી

‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી

અશ્વસ્થ ને પાંદડેપાંદડે વેદ લખેલા છે, એટલે પાંદડેપાંદડે રામ નામ લખેલું છે.

ભદ્રાયુ વછરાજાની                (54)             bhadrayu2@gmail.com 

આપણે પંદરમાં અધ્યાય પ્રારંભે વિનોબાજીને યાદ કરીએ. 

પંદરમાં અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂર્ણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપે છે અને અધર્મો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર નામ આપ્યું છે. ‘અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું,’ – એમ ભગવાન છેવટે કહે છે.’… આ અધ્યાયમાં પરમાર્થની વાત પુરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. આવો આપણે બધાયે વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જતા અધ્યાય અંગે વિગતે સમજીએ. 

આ અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આ પંદરમાં અધ્યાય રૂપે આપણી સમક્ષ શ્રી ભગવાન બહુ મહત્વની વાત કરી રહ્યા છે  મહાત્મા ગાંધીએ ગીતા  શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના આધારે શ્રી નરહરી દ્વારકાદાસ પરીખે પુસ્તક તૈયાર કર્યું. જેમાં ગાંધીજીના પ્રવચનોની સદગત મહાદેવભાઇ દેસાઈએ લીધેલી નોંધ મૂકવામાં આવી છે. જેમાં  તારીખ 24 ફેબ્રુઆરી 1926 થી તારીખ 27 નવેમ્બર 1926 સુધીની નોંધનો તેમાં સમાવેશ છે. “ગુજરાત વિદ્યાસભા અમદાવાદ” દ્વારા તે 1955 ની સાલમાં એટલે કે સંવત 2012માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ એવું એક પુસ્તક આપણા હાથમાં છે કે જેના સારરૂપે એમની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર વાત આપણને કરવામાં આવી છે, જે જરા જોઈ-જવી જરૂરી બને છે. ‘જે રાગ-દ્વેષ રૂપી વિષ ની પીડાથી ઉપજતા મોહથી રહિત છે, પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપાથી પ્રેરાયેલો છે, અને જે સર્વગુણોથી સંસ્કારમાં છે તેને સર્વદા નમસ્કાર છે.’ બાપુએ આરંભ કરતા એવું લખ્યું કે, ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણ માંથી મળી છે. એમાં એની વિનંતી પણ છે, અને ત્રાગું  બંને પણ છે. જેનો અર્થ એવો થાય કે, ‘તું વિષ્ણુ હોય, ત્રિપુરારી શિવ હોય, ગમે તે હોય જો તું રાગ-દ્રેષાદીથી મુક્ત હોય તો તને નમસ્કાર છે.’ આ બહુ જ સિદ્ધ વાત છે કે ‘આપણા નમસ્કાર કોને થઈ શકે,?  મહાભારત ઐતિહાસિક ગ્રંથ નથી, પણ ધર્મગ્રંથ છે. બનેલી વાતને કહેવાનું સામર્થ્ય કોનું છે,? એક પાણીનું બિંદુ જોયું તેનું વર્ણન આબેહૂબ આપવાનું માણસમાં સામર્થ્ય નથી. એવો પામર ઈશ્વરે મનુષ્યને બનાવી મૂક્યો છે. ત્યાં બનેલી ઘટનાનું પુરૂ વર્ણન તો કોણ આપી શકે ? તેમાં આ યુદ્ધમાં તો લડનારા ધર્મથી, વાયુથી, ઇન્દ્રથી, અશ્વિનીકુમારથી ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો અને એક સમયે ઉત્પન્ન થયેલા 100 પુત્રો વચ્ચે છે એવી વાત ક્યાંય સંભવિત જાણી છે?’ એવો પ્રશ્ન ગાંધી પૂછે છે. 

દુર્યોધન અધર્મને રથે બેઠેલો હતો અને અર્જુન એ ધર્મને રથે ચડેલો હતો, એમ આ યુદ્ધ ધર્મ-અધર્મનું છે. સંજય ભક્ત હૃદય  છે. યુદ્ધ તો દૂર થાય છે તે જોવાની તેની શક્તિ નથી. એટલે તે જોવાને વ્યાસ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પણ એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે, જે યુદ્ધ આપણા શરીરમાં રહેલા અનેક કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહ્યું છે તેનું જ વર્ણન આમાં છે. અનેક ગુણો અને અવગુણો મૂર્તિમંત થાય છે તે ગુણ-અવગુણો નું આ યુદ્ધ છે. હિંસા-અહિંસા નો પ્રશ્ન વેગળો  રાખવો જોઈએ કારણ કે આ દ્વંદ્વ યુદ્ધમાં મનુષ્યનું કર્તવ્ય શું છે એ બતાવવા માટે આ ધર્મગ્રંથ લખવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. પંદર  માં અધ્યાયના 20 શ્લોકના વિવરણમાં ઉતરતા પહેલા આપણે એટલું જાણી લઈએ કે કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા તૈયાર થયેલ ‘ગીતા ધ્વનિ’ માં સમશ્લોકી નાની પુસ્તિકા જે ગ્રંથ સમાન છે તેમાં એમનું ગુજરાતી અક્ષરસ: થયું છે, અને તે વધુ પાચ્ય બન્યું છે. 

જાણવાનું એ છે કે શ્રી ભગવાન સૌ પ્રથમ અહીં અર્જુનને કહેવા માગે છે કે, સંસારરૂપી અશ્વસ્થવૃક્ષ નું સ્વરૂપ કેવું છે? સ્વ: એટલે આવતીકાલ, તેથી અશ્વસ્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, તેથી તે અશ્વસ્થ  છે. આ સંસારનું જેને યથાર્થ જ્ઞાન છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે’, આવો પહેલા શ્લોકનો અર્થ થાય છે. પહેલા શ્લોકમાં સંસારને તરી જવાનું સાધન બતાવ્યું છે, તો બીજા શ્લોકમાં સંસારને દિવ્ય-દ્રષ્ટિ એ વર્ણવ્યો છે. અજ્ઞાની દૃષ્ટિ વાળું વર્ણન બીજા શ્લોકમાં છે. 

આ જગતમાં કર્મ કરવા છતાં અલિપ્ત તો ત્યારે જ રહેવાના છીએ જ્યારે આ જગતને ઈશ્વરની લીલા ન સમજતાં તેને ભોગભૂમિ માની અસહયોગરૂપી શસ્ત્ર વડે મૂળમાંથી છેદી નાખીશું. એના મૂળ બીજી રીતે તો છેદી શકાય તેમ નથી, કારણ એ અનાદિ છે અને અનંત છે. એટલે અસહયોગનું શસ્ત્ર વાપરવાનું અહીં કહેવામાં આવ્યું છે. અશ્વસ્થ ને પાંદડે-પાંદડે વેદ લખેલા છે. એટલે પાંદડે-પાંદડે રામ નામ લખેલું છે. જગત ઈશ્વરની પ્રસાદી છે અને જગતરૂપી ઝાડ બ્રહ્માની નાભીમાંથી થયેલું છે. બીજું જગત એવું છે કે જેનું મૂળ નીચે છે, તેના પાંદડા વગેરે વિષયાદી છે એ જગત કામનામય છે. ‘પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જીવોને હું મારા તેજ વડે ધારણ કરું છું. સર્વ ઔષધિ , અન્ન, પાક માત્રને રસોનો ઉત્પન્ન કરવાવાળો સોમ થઈને હું પોષણ આપું છું.’

 

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે.

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે.

કોઈપણ ગુણ ત્યારે પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે

ભદ્રાયુ વછરાજાની                     (53)                 bhadrayu2@gmail.com 

ચૌદમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુણત્રયવિભાગયોગ શીર્ષક આપીને આપણને આપણા જીવનના મુખ્ય ત્રણ ગુણનો પરિચય કરાવે છે. તેનાથી શું શક્ય બને અને શું ન શક્ય બને તેની ટૂંકમાં વાત કરે છે અને ત્રણેય ગુણને સાથે મેળવીને કેવી રીતે એકબીજાને દબાવીને એક બીજાને બહાર લઇ આવવાના છે એની સ્પષ્ટતા કરે છે 

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તેઓ નિર્વિકાર જીવાત્માને દેહને સાથે બાંધે છે. કેવી રીતે બાંધે છે ? તેમાં..

1) સત્વગુણ સ્વ્ચ્છપણાને લીધે પ્રકાશક અને ઉપદ્રવથી રહિત છે. અનામય છે તે જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, સત્વગુણ છે એ જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. સત્વગુણ સુખમાં જોડે છે. રજોગુણ અને તમોગુણને દબાવી દઈને જયારે સત્વગુણ વૃદ્ધિ પામે છે ત્યારે સત્વગુણ પોતાના કાર્ય કરે છે. અહીંયા યાદ રાખવા જેવું એ છે કે રજોગુણ અને તમોગુણને દબાવવા પડે તો જ સત્વગુણ વૃદ્ધિ પામી શકે. જયારે આ દેહમાં બધી જ ઇન્દ્રિયો વિષે જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ માની શકાય છે. મહર્ષિઓ સાત્વિક કર્મનું ફળ સાત્વિક તથા નિર્મળ કહે છે. એટલે તમે સાત્વિક બનો તો નિર્મળ રહી શકો. સત્વગુણથી જ્ઞાન ઉત્પ્ન્ન થાય. સાત્વિક આચરણમાં રહેલા મનુષ્ય ઉંચા લોકને પામે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

2)તૃષ્ણા અને સંઘને ઉત્પન્ન કરનારા રજોગુણને રાગરૂપ જાણવાનો છે. તે રજોગુણ જીવાત્માને કર્મસંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, રજોગુણ છે એ કર્મસંગથી બાંધે છે. રજોગુણ કર્મમાં જોડે છે. સત્વગુણને તથા તમોગુણને દબાવી દઈને જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે રજોગુણ પોતાના કાર્યને કરે છે. જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ તથા સ્પૃહા એવા ચિન્હો આપણને દેખાઈ આવે છે. મહર્ષિઓ રાજસ કર્મનું દુઃખનું ફળ કહે છે. એટલે તમે રાજસિક બનો તો કર્મનું દુઃખ તમને વળગી શકે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય. રાજસિક આચરણમાં રહેલા લોકો મનુષ્ય લોકમાં રહે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

3) તમોગુણને અજ્ઞાનથી ઉત્પ્ન્ન થયેલો તથા સર્વ પ્રાણીઓનો મોહ ઉપજાવનારો તમારે જાણવાનો છે. તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ તથા નિદ્રા વડે બાંધે છે. તમોગુણ જ્ઞાનને આવૃત કરી એટલે કે ઢાંકી દઈને પ્રમાદમાં આળસ વાદી બાબતોમાં જોડી દે છે. સત્વગુણ અને રજોગુણને દબાવી દઈને જયારે તમોગુણ વૃદ્ધિ પામે ત્યારે તમોગુણ પોતાનું કાર્ય કરે છે. જયારે તમોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે અપ્રકાશ તેમજ અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ એ ચિન્હો ઉત્પન્ન થયેલા જોવા મળે છે . મહર્ષિઓ તામસ ક્રમનું અજ્ઞાનરૂપ ફળ કહે છે. એટલે તમે તામસિક બનો તો કર્મનું અજ્ઞાન તમને છેતરી જઈ શકે. તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. કનિષ્ઠ એટલે કે નીચું આચરણમાં રહેલા તમોગુણીઓ પશુ વગેરે મૂઢ યોનિઓમાં ફરે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

અર્જુનને સતર્ક કરીને સતત એવું કહેવાયું એક આ ત્રણ ગુણથી તારે સાવધાન રહેવાનું છે. કોઈ પણ ગુણ ત્યારે જ પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે. તમારા અંતના સમયે તમારા ઉપર ક્યાં ગુણોનું આધિપત્ય છે તે પ્રમાણે તમે મૃત્યુ પછી કશીક પ્રાપ્તિ કરી રહ્યા છો. જયારે દ્રષ્ટા ગુણોથી ભિન્ન બીજા કર્તાને જોતો નથી.  તે ગુણોથી આત્માને પર જાણે છે ત્યારે તે પૂર્ણત્વને પામે છે. આ જરા સમજવા જેવું છે. જેમ હાથી ઉપર બેઠેલો પુરુષ હાથીનું ગમન જુએ છે, પોતાનું ગમન જોતો નથી તેમ જે અધિકારી પુરુષ આંખ જુએ છે, કાન સાંભળે છે, મન મનન કરે છે, બુદ્દિ નિશ્ચય કરે છે, વાણી બોલે છે, ‘હું કઈ પણ કરતો નથી કેવળ તેમનો સાક્ષીરુપ છું’ એ જુએ છે તે બ્રહ્મભાવને પામી શકે છે. 

આ ત્રણ ગુણોને ઓળંગી ગયેલો પુરુષ ક્યાં ચિન્હોથી જાણી શકાય ? એ કેવા આચરણ વાળો હોય ? ભગવાન કહે છે કે, હે પાંડવ, જ્ઞાની પુરુષ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણનું કાર્ય એવી  પ્રવૃતિઓ અને તમોગુણનું  કાર્ય એવા મોહની પરિસ્થિતિમાં પણ તેમનો દ્વેષ કરતો નથી અને વળી  નિવૃત થાય તો તેમની આકાંક્ષા રાખતો નથી, એ ગુણાતીત છે. 

ગુણાતીત  શબ્દ અતિ મહત્વનો છે, તેથી ભગવાન આપણી સમક્ષ વારંવાર તેની સ્પષ્ટતા

 કરે છે. આનો અર્થ એવો કે,  

જે ઉદાસીન સાક્ષીવત રહીને ગુણોથી વિચલિત થતો  નથી,  

ગુણો વર્તે છે એવું જાણીને જે સ્થિર રહે છે

કોઈપણ સ્થિતિથી વિચલિત થતો નથી ગુણાતીત છે

જે માન અને અપમાનમાં સમાન છે

જે મિત્રપક્ષ અને શત્રુપક્ષમાં સમાન છે 

તથા જેણે સર્વ આરંભોનો પરિત્યાગ કર્યો છે ગુણાતીત છે

ગુણાતીત પુરુષના લક્ષણો મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સંપાદન કરવા જોઈએ. ભગવાન કહે છે કે, જે મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મભાવને પામવાને યોગ્ય થાય છે. એટલે કે એની પ્રગતિ થતી થતી છેક બ્રહ્મભાવ સુધી આગળ વધી રહી છે. મારી મારી ભક્તિ વડે મારો ભક્ત મોક્ષને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે અને તે યોગ્ય છે.

ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષ એટલે કે જે આ ગુણો જીતી લઇ શકે છે એવા ગુણાતીત પુરુષના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સ્વરૂપમાં સ્થિત સુખદુઃખમાં સમાન રહે,  માટી, પથ્થર અને સોનુ બધું એક સરખું માને છે, એના માટે પ્રિય અને અપ્રિય બંને  સમાન છે, નિંદા અને આત્મસ્તુતિ એ પણ એના માટે કોઈ અસરકારક પરિબળો નથી. તૃષ્ણા અને આસક્તિના જગતમાંથી પોતાને અલગ રાખીને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે એવું કહેવનો  અહીં એક ભાવ છે. ભગવાન કહે છે કે, અનન્ય ભક્તિયોગ દ્વારા જે મારી સેવા એટલે કે ઉપાસના કરે છે તે આ ગુણોથી અતીત થઈને બ્રહ્મ બનવા માટે યોગ્ય બની જાય છે. આ અધ્યાયના  છેલ્લા શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે,  સાધક સ્વયં બ્રહ્મ કઈ રીતે બની શકે ? જવાબ આપ્યો કે અમૃત, અવ્યય, શાશ્વત ધર્મ અને એકાંતિક અર્થાત પારમાર્થિક સુખસ્વરૂપ બ્રહ્મનો આશ્રય હું છું. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. બ્રહ્મ શબ્દથી સગુણ બ્રહ્મ કહેવામાં આવ્યું જેની પ્રતિષ્ઠા ઉપાધિરહિત બ્રહ્મ તરીકે હું કરું છું. નિર્વિકલ્પ, અમૃત, અવ્યય, અનિર્વચનીય આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. હું બ્રહ્મ છું તેથી તે સાધક બ્રહ્મ બની જાય છે એવો આપણને ઈશારો કરીને બ્રહ્મના માર્ગે વળવાનો બહુ મોટો રસ્તો અહીં બતાવવામાં આવ્યો છે. 

વિનોબાજી આ અધ્યાયમાં છેવટની વાત  સુંદર વાત લખે છે કે, તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લ્યો, ફળની આસક્તિ પણ છોડી દ્યો, છતાં જ્યાં  સુધી આ દેહ વળગેલો છે ત્યાં સુધી વચ્ચે પેલા રજ અને તમ ના હુમલા થયા વગર રહેવાના નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગે છે,  પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગૃત રહેવું પડશે. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતનું નિર્માણ થાય છે તેમ રજ અને તમના જોરદાર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતોનું નિર્માણ કરે છે તેથી જરાયે છિદ્ર ન રહેવું જોઈએ તેની કાળજી લેવી. 

વિનોબાજી તો આદેશ આપે છે કે કડક પહેરો રાખજો અને ગમે તેટલા ખબરદાર રહેશો તો પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી તો કેવી રીતે બનશે ? અભ્યાસથી બનશે ? ના, એક જ ઉપાય છે અને એ ઉપાય છે હૃદયની અત્યંત ઊંડી લાગણીથી ખુબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો. રજ, તમ ગુણોને જીતી લેશો છતાં એટલાથી કામ સરશે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એવું નહીં બને. છેવટે તો   પરમેશ્વરની કૃપા જોઈશે. તેવી કૃપા માટે અંતરની ઊંડી લાગણી વાળા ભક્તિપાત્ર બનવું પડશે. એ વિના બીજો કોઈ ઉપાય વિનોબાજી કહે છે કે મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે,  અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર અને મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલી પાર જઈ શકે છે એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ લાગતું નથી. ભક્તિનો આ સહેલો ઉપાય છે અને આ એક જ માર્ગ છે.

“વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.” તુકારામ

“વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.” તુકારામ

ચૌદમાં અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે.

ભદ્રાયુ વછરાજાની                    (52)         bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૪, જેનું શીર્ષક છે, ગુણત્રયવિભાગયોગ. વિનોબાજી  એમ કહે છે કે, આ ચૌદમો અધ્યાય એ પાછળના અધ્યાયની પૂર્તિ કરે છે. તેરમા અધ્યાયમાં આપણે  જોઈ ગયા કે  ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા  પરની સત્તા દૂર થવી જોઈએ. સુખ દુઃખ વિદેશી છે, તે પારકાં છે. તેમનો  આતમની સાથે જરા પણ સબંધ નથી, એવું સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું છે. દેહ તૂટીને પડી જતો  હોય તે વખતે પણ અત્યંત શાંત તેમજ આનંદમય કેવી રીતે રહી શકાય તે ભગવાન ઈશુ  બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ એકબાજુથી વિવેકનું છે, એવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. તુકારામ કહેતા કે, વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ. 

આ વિવેક અને વૈરાગ્ય એ બે બાબત સમજવા જેવી છે. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં આપણને નિગ્રહની દિશા બતાવી છે. હોડી  ચલાવવાનું કામ તો હલેસા મારનારો કરે છે, પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસા અને સુકાન બંનેની જરૂર છે, એ જ પ્રમાણે દેહના સુખ દુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ એ બંનેની જરૂર આપણને રહે છે. મારી, તમારી, સર્વે જીવની બધાએ ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજ છે. વિનોબાજી સરસ સરખામણી કરે છે. તેઓ કહે છે, આયુર્વેદમાં જેમ વાત પિત્ત અને કફ છે, તેમ અહીં ગીતા આપણને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં મળેલા છે તેવું કહે છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો  એટલો કે ક્યાંક એકાદો થોડો, તો ક્યાંક એકાદ વધારે આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણ ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતા જીતતા મુખ્ય વસ્તુની પાસે આપણે પહોંચવાનું છે. 

આ અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે. આપણને આ ત્રણ બાબતો માણવા જીવનના અનેક માર્ગો દેખાડવાનું કામ અહીં ભગવાન કરી રહ્યા છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી કહે છે કે, આ અગાઉના અધ્યાયમાં જીવનના અનુભવોની વિચિત્રતાનું કારણ આપણને સમજાવવામાં આવ્યું, પણ જરા ઉતાવળથી થયું. પુરુષ પ્રકૃતિમાં સ્થિત થઈને પ્રકૃતિજન્ય ગુણોનો ભોગ કરે છે, આ વિધાનમાં આ વિવિધતાનો વાસ્તવિક, વૈજ્ઞાનિક આધાર બતાવેલ છે, પણ એને સ્પષ્ટતા સંક્ષેપમાં છે. તેઓ ઉદાહરણ આપે છે કે ગંગાજળને જુદા આકારો અને રંગોની શીશીઓમાં રાખવામાં આવે તો એ જળ વિવિધ રંગોનું બનશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ રંગ અને આકારની વિવિધતા એ શીશીઓના કારણે છે, જળના કારણે નથી, કારણ કે ગંગાજળ તો બધા એક સરખું છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા જુદી જુદી ઉપાધિઓમાં જુદા જુદા જીવોના રૂપમાં પ્રગટ થાય છે. જો કે પ્રકૃતિના તત્વો સમાન છે, છતાં ભેદનું કારણ છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો. આ જે ગુણ શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે, તે બહુ સાંકેતિક છે. ગુણ શબ્દનો અર્થ કોઈ એક વસ્તુની વિશિષ્ટતાઓ એવો થતો નથી. એનો અર્થ થાય છે મનોવૃત્તિ. એના પ્રભાવથી મન કાર્ય કરે છે. દરેક જીવનનું આંતરિક વ્યક્તિત્વ ત્રણ ગુણો અથવા ત્રણ ભાવોથી પ્રભાવિત છે અને આ ત્રણ ગુણ એટલે સત્વ, રજ અને તમ. પોતાના જ અંતઃકરણમાં કાર્ય કરી રહેલા આ ત્રણેય ગુણોને ઓળખવાની કળા આપણને જ્ઞાત હોવી જોઈએ. સામાન્ય રીતે રોગીમાં દેખાતા લક્ષણોને જોઈને તેના રોગનું નિદાન કરવામાં આવે છે. ચિકિત્સા શાસ્ત્રમાં લક્ષણાત્મક ઉપચારની એક માન્યતા પ્રાપ્ત વિધિ છે. આ અધ્યાયમાં ગીતાના આચાર્યએ આ ગુણોના થોડા લક્ષણોનું થોડું વર્ણન કર્યું છે. જે તે ગુણની અધિક્તાના કોઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી ટકોર કરે છે કે, આ અધ્યાયનું સાવધાનીપૂર્વક અધ્યયન કરવાથી આપણને એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે કે, જેના દ્વારા પોતાની તે પ્રબળ પ્રવૃતિઓ જાણી શકીએ છીએ, જે આપણા માનસિક જીવનને સાહસિક કરે છે. જે ગુણોના વશમાં થઈને મનુષ્ય વારંવાર વિભિન્ન પ્રકારના વ્યવહાર કરે છે, તેમના પ્રત્યે જો તે જાગૃત થઇ જાય તો તે પોતાની દુષ્પ્રવૃત્તિ, અનૈતિક ઈચ્છાઓ અને હીન વાસનાઓને છોડીને આત્મસંયમ, સદાચાર અને પૂરું પૂરું શુદ્ધ જીવન જીવવામાં સમર્થ બની શકે છે. 

આ અધ્યાય એક વિસ્તૃત માર્ગદર્શિકા છે, જે આપણને શરીરની કાર્યપ્રણાલીનો બોધ કરાવે છે. સાથે સાથે આપણને એવી સૂચના પણ આપે છે, જેના દ્વારા આપણે તે સમયે પોતાને સાવધાન કરી શકીએ છીએ. અત્યારે આપણી અંદરની રચના રૂંધાઈને સારી રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કારના યંત્રોના કાર્યો અને ગુણદોષથી તદ્દન અજાણ હોય તો તેની યાત્રા સુખદ ન હોય. કારણ કે જયારે એન્જીન કામ કરવાનું છોડી દે ત્યારે  તો તે વ્યક્તિ એને સુધારી શકવાની નથી. જયારે ગાડીની બધી જ જાણકારી રાખનાર અનુભવી ચાલક આવી પરિસ્થિતિમાં ગાડીને રોકીને તેના યાંત્રિક દોષો દૂર કરીને ફરીથી પોતાના ગંતવ્ય તરફ આગળ વધી શકે છે. આપણને આપણા શરીર નામના વાહનની બધી યાંત્રિક સ્થિતિઓથી  વાકેફ કરવાનો ખ્યાલ આ અધ્યાયમાં જોવા મળે છે.

 ચૌદમા અધ્યયન પહેલા પાંચ શ્લોકો આ અધ્યાયનો માર્ગ નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે કે, ઉત્પત્તિ અને સર્જનનું કારણ એકમાત્ર હું છું. તેઓ અર્જુનને અનેક નામોથી સંબોધન કરીને એ સ્પષ્ટ કહે છે કે હું તને ફરીથી સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ જે જ્ઞાન છે તે કહેવાનો છું કે એને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે, એવું આ જ્ઞાન છે. હે અર્જુન, આ જ્ઞાનને આચરીને મારા સ્વરૂપને પામેલા સૃષ્ટિકાળમાં ઉત્પન્ન થતા નથી અને પ્રલયમાં વ્યથા પામતા નથી. હે ભારત, મૂળ પ્રકૃતિ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે તેમાં હું ગર્ભને મુકું છું, તેથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વયોનીઓમાં જે શરીરે ઉત્પન્ન થાય છે તેમની પ્રકૃતિ માતા છે અને હું ગર્ભાધાન કરનારો પિતા છું. આટલી સ્પષ્ટ વાત કર્યા પછી પાંચમા શ્લોક થી આપણામાં રહેલા ત્રણ ગુણો તેની વાત આપણે અગાઉ કરી તેના તરફ અંગુલી નિર્દેશ કરવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે કરતા એ ત્રણેય ગુણોના લક્ષણો અને તેના બાધ્ય અબાધ્ય સ્વરૂપો વિષે વિસ્તૃત પરિચય અને સૂચના અહીં આપવામાં આવે છે. 

એક જ કામમાં લીન થઈ  જવું એ એકાંત સેવવાની વાત છે.

એક જ કામમાં લીન થઈ જવું એ એકાંત સેવવાની વાત છે.

પરમેશ્વર અવિનાશી છે, પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે.

ભદ્રાયુ વછરાજાની           (51)           bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના તેરમા અધ્યાય ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ માં વિવિધ વિભાગો તારવીને આપણે તેની સમજૂતી મેળવી રહ્યા છીએ. વિભાગ જ્ઞાનનું ફળ અઢારમો શ્લોક છે, જેમાં ભગવાન કહે છે કે મને ઓળખી રહેશે એનો નિવાસ મારી પાસે થવાનો છે.
વિભાગ પુરુષ અને પ્રકૃતિમાં ઓગણીસ, વીસ અને એકવીસમાં ક્રમના શ્લોકોનો સમાવેશ થાય છે. આપણે જાણવાના છે બે અનાદિને અને તે છે પ્રકૃતિ (જડ ) અને પુરુષ (ચૈતન્ય). આ બંને ઈશ્વરની મોટી શક્તિ છે, કારણ કે આ બંનેમાંથી તો સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. પુરુષ બે : ઈશ્વર અને પરમેશ્વર તો પ્રકૃતિ પણ બે : પરા અને અપરા. દેહ રૂપી નગરી એ પ્રકૃતિ અને તેમાં વસનાર એ પુરુષ. પ્રકૃતિ જ કાર્ય અને કારણનો હેતુ કહેવાય છે અને પુરુષ સુખ દુઃખના ભોગનો હેતુ મનાય છે. પુરુષ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે. આ ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ.
વિભાગ પરમાત્મામાં બાવીસ અને ત્રેવીસમો શ્લોક સમાવિષ્ટ છે. આપણા દેહની અંદર બીજો પુરુષ એ જીવાત્માથી પર છે અને બીજા પરમ પુરુષને પરમાત્મા કહે છે. જે ભોક્તા છે, ભર્તા છે, મહેશ્વર છે, અનુમંતા છે અને ઉપદ્રષ્ટા પણ છે. શ્રી ભગવાન અહીં અભય વચન ઉચ્ચારતાં કહે છે કે, અગાઉ કહ્યું તેમ પુરુષને તથા ગુણો સાથે રહેનારી પ્રકૃતિને બરાબર જે જાણે છે, તે ગમે તે પ્રકારે રહે, તો પણ તેને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.
ત્યારબાદ વિભાગ છે આત્મદર્શન અને ઉપાસના જેમાં ચોવીસ, પચ્ચીસ બંને શ્લોકનો સમાવેશ છે. પરમેશ્વર ચોતરફ છે પણ કેટલાક સાધકો જ્ઞાનયોગથી તેને જુએ છે તો કેટલાક સાધકો કર્મયોગથી ઈશ્વરને અનુભવે છે. ભગવાન અહીં અતિ સરળ થઈને કહે છે કે, જેઓ જ્ઞાન કે કર્મનો માર્ગ જાણતા નથી તેઓ અન્ય વિદ્વાનો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે અને તેમાં તલ્લીન થનાર પણ મૃત્યુને ઓળંગી જાય છે.
પછી આવે છે સમદર્શનનું ફળ, જેમાં છવ્વીસ, સત્યાવીસ, અઠ્ઠાવીસ એમ ત્રણ શ્લોક આવે છે.અહીં સમદર્શી બનવા માટેની અર્જુનને પ્રેરણા આપે છે. આ જગતની ઉત્પત્તિ જડ અને ચેતન મળવાથી થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જ બધું નિર્માણ કરે છે. પરમેશ્વર અવિનાશી છે પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે. જે સર્વમાં અને સર્વને સમભાવથી ઈશ્વરને જુએ છે, તે સ્વયં પરમ ગતિ મેળવે છે.
અકર્તા આત્મા વિભાગમાં ઓગણત્રીસ અને ત્રીસ બે શ્લોકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ દ્વારા જ બધા કામ થાય છે અને આત્મા તો અકર્તા છે તેમ માને છે તે સત્ય જુએ છે. સાધક તરીકે મારે એક જ આધારમાં પ્રાણીઓના ભેદને સ્થિત અને વિસ્તરેલ જોવાનો છે અને તો જ હું બ્રહ્મને પ્રાપ્ત કરીશ.
આત્માની નિર્લેપતા એ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ એ ત્રણ શ્લોકનો સમાવેશ કરે છે . કુન્તીપુત્રને ભગવાન યાદ અપાવે છે કે, હું અનાદિ છું, નિર્ગુણ છું અને તેથી અવિનાશી છું. તે શરીરમાં છે છતાં તે કશું કરતો નથી અને કોઈથી લિપ્ત થતો નથી.
પરમપદ-પ્રાપ્તિ એવા વિભાગમાં એક છેલ્લો ચોંત્રીસમો શ્લોક છે. અહીં પરબ્રહ્મને પામવાનો રાજમાર્ગ ફરી નિર્દિષ્ટ કર્યો છે. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષ્રેત્રજ્ઞ એ બે વચ્ચેના ભેદને તથા ભૂત, પ્રકૃતિ અને મોક્ષ આ બધું જ્ઞાન ચક્ષુથી જે જાણે છે એ પ્રમાણે પરમાત્માને જાણી શકે છે અને પરમગતિ પામે છે.
આમ વિભાગવાર શ્લોકોની વહેંચણી અને તેની સમજૂતી એ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ગીતાજ્ઞાન આપનાવાની એક રીત છે, જેનો આપણે રસાસ્વાદ કર્યો.
શ્રીમદ ભગવદ ગીતાના આ તેરમા અધ્યાયને શ્રી વિનોબાજીએ શીર્ષક આપ્યું છે ‘આત્મા વિવેક.’ આત્મા અને અનાત્મા આ બંને સમજવું અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આ તેરમો અધ્યાય છે, એવું વિનોબાજી કહી રહ્યા છે. શરીર એક ક્ષેત્ર છે અને જે શરીરને સાચવીને જાણી શકે છે એને ક્ષેત્રજ્ઞ કહ્યો. એમનો યોગ કરવા માટેની આ તેરમા અધ્યાયની જે મથામણ છે એમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે, જે એક પરમેશ્વર સિવાય બીજો કોઈ નથી એવા અનન્ય ભાવથી મારામાં જોડાયેલો રહે, જેને મારામાં પ્રેમ છે, ભક્તિ છે પણ તે સ્વાર્થવાળી નથી, ‘મારું અમુક કામ થશે તો હું તારા દર્શન કરવા આવીશ’ એવી ભક્તિ નહીં પરંતુ ‘તેં મને તારી ભક્તિ કરવા માટે જ જન્મ આપ્યો છે,’ એવી ભક્તિ ખપે છે. મા છોકરાને ઉછેરે છે, પોષે છે. છોકરાને ખબર નથી કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર એ તો મા કહે તેમ કરે,, તેમ જ ઈશ્વર આપણી મા છે અને એ જેમ કહે છે તેમ આપણે કરવાનું છે એ આપણી ભક્તિ છે.
સેવા કરવાની વાત આવે કે સેવવાની વાત આવે ત્યારે પવિત્ર એકાંત સ્થળની વ્યાખ્યા અહીં આપી છે. એકાંત એટલે બહારનું નહીં પણ માણસના દિલમાં રહેતું એકાંત. એકાંત માટે જંગલમાં જવું જરૂરી નહીં, આપણી પાસે અનેક માણસો બેઠા હોય, ખોટી વાતો કરતા હોય તો તે ન સાંભળવી અને સારી વાત જ સાંભળવી એ એકાંત છે. એક સુંદર દ્રષ્ટાંત ગાંધીજીના જીવનમાંથી શ્રી રવિશંકર મહારાજ ટાંકે છે. મદ્રાસમાં ગાંધીજીનું હજારો લોકો સ્વાગત કરવા આવ્યા હતા. ગાંધીજીને યંગ ઇન્ડિયાનો લેખ લખવાનો બાકી રહી ગયો હતો. ગાંધીજી બહાર આવ્યા અને કહ્યું કે, મારે લેખ લખવાનો બાકી રહી ગયો છે એટલે લખી નાખું છું, એમ કહીને એક બાજુ બેસીને લેખ લખવાનું શરૂ કરી દીધું. મહાદેવભાઈ દેસાઈએ એ લેખ વાંચીને કહ્યું કે, ગાંધીજીએ સુંદર લેખ લખી નાખ્યો હતો. ગાંધીજીએ એ લેખ લખવામાં લીન થવાનું નક્કી કર્યું હતું. લેખ લખવા સિવાય એ સમયે બીજી કોઈ ચીજ એના મનમાં નહોતી. આમ એક જ કામમાં લીન થઇ જવું એ એકાંત સેવવાની વાત છે.
અહીં જનસમૂહમાં ભળવાનો અણગમો એવું પણ આપણને કહ્યું છે, તો આપણને ચેતવ્યા છે. ટોળામાં પ્રેમ ન હોય. ટોળામાં ભળવું હોય તો પણ એકલા એકલા ભળવું. જે ધમાલિયા ટોળાં છે એની સાથે ક્યારેય સબંધ ન રાખવો. આનો ઉપાય શો ? તમે ટોળાને ન સુધારી શકો પણ એ ટોળાથી તમે તો દૂર થઇ શકો ને ? ભગવાન કહે છે કે, નિત્ય હંમેશા અધ્યાત્મ જ્ઞાનનો વિચાર કરવો. તત્વજ્ઞાનનો વિચાર કરવો એ જ જ્ઞાન છે આ બધાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. ગીતા આપણને કહે છે કે, સ્થિર નિષ્ઠા અંગેનું જીવાત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. આત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. જેને જાણવાથી જીવ અમરપણું પામે તે જ્ઞેય, તે અનાદિ પરમબ્રહ્મ, તેને સત અથવા અસત કઈ કહેવામાં આવતું નથી એવા જ્ઞેયની અહીં વાત કરી છે. અર્જુન, તને જ્ઞાનની વાત તો કરી પણ આ જ્ઞેય શું છે ? જાણવા જેવું છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ છે તે. તું જ્ઞેય ને જાણીશ તો તને અમૃત મળશે. એને તું જાણતો થઇ ગયો તો અમૃત જાણતો થઇ ગયો. ભગવાન એમ કહે છે કે તે જ્ઞેય આત્મા અવિભક્ત હોવા છતાં પણ ભૂત માત્રમાં વિભક્ત જેમ રહે છે. છૂટો ન પડી શકાય એવો છે, છતાં છૂટો જ હોય, એમ રહે છે. ભગવાન આપણને સીધા રસ્તા બતાવે છે. ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. બધાના હૃદયમાં છે જ તું શોધી કાઢ.

શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?

શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?

આપણી અંદર છે ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે ક્ષેત્ર છે અને ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની                    (50)                     bhadrayu2@gmail.com 

શ્રીમદ ગીતાના ૧૩ માં અધ્યાયમાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ’ એવા શીર્ષકથી આપણી સમક્ષ શ્રી ભગવાન ૩૪ શ્લોકોમાં એક વિશિષ્ટ વાત નિરૂપી રહ્યા છે. 

આ અધ્યાયને શ્રી રવિશંકર મહારાજ કેટલાક નાના નાના વિભાગોમાં વહેંચે છે. આ તકે મને એ નોંધતા બહુ આનંદ થાય છે કે શ્રી રવિશંકર મહારાજ દ્વારા લખાયેલા ગીતાબોધવાણી એ મારા તમારા જેવા લોકોને સરળતાથી મગજમાં ઉતરી શકે તેવી રીતે લખાયેલું ભાષ્ય છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ તો એ ઘણું સારું કહેવાય  

ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર આ પહેલા ક્ષેત્રમાં પહેલા બે શ્લોકનો સમાવેશ છે. અહીં વાત ક્ષેત્રની છે. બીજી વાત ક્ષેત્રજ્ઞની છે અને ત્રીજી વાત એ બંનેના યોગની છે. ક્ષેત્ર એટલે કે શરીર. ક્ષેત્ર એટલે ખેતર, ખેતર એટલે જેમાં વાવીએ એ,  ઊગે જેવું વાવીએ તેવું ઊગે અને પછી એ આપણે ભોગવવું પડે.  આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે આવી ચોખ્ખી અને સાદી વાત પહેલા શ્લોકમાં શ્રી ભગવાન કહે છે. હે ભારત ક્ષેત્રજ્ઞ એ કોણ એવો પ્રશ્ન થાય તો એના જવાબરૂપે સુંદર રીતે આપણને કહેવામાં આવ્યું કે સર્વક્ષેત્રોમાં બધા શરીરોમાં જે ચૈતન્ય છે એને તું ક્ષેત્રજ્ઞ જાણજે, જેને ક્ષેત્રજ્ઞ કહે છે તે હું પોતે છું માટે મેં ઓળખ. આ બધું મારાથી થાય છે. મારો અંશ તેમાં રહેલો છે તેનો મલિક હું છું. શરીર અને માલિકને ઓળખી જાય એનાથી કોઈ દિવસ પાપ ન થાય. આ બંનેને પુરેપુરા ઓળખી લે તેને જ્ઞાન કહેવામાં આવે. શરીરને સાચવવું જોઈએ શા માટે ? કારણકે કામ કરવા માટે એની જરૂર પડવાની છે અને કામ કરી શકે એટલે સાચવી રાખવું જોઈએ. શરીરને સાચવવું પડે એટલે શું ? જમવું પડે પણ શું ખાવું, શું ન ખાવું, કોની પાસે જમવું, કોની પાસે ન જમવું, એને કામ સોંપવું હોય તો કયું સોંપવું, કયું ન સોંપવું આ બધી બાબતો જે છે એને જાણે છે તેને યોગી કહ્યો છે.

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ જેમાં ત્રીજો અને ચોથો શ્લોક સમાયો છે. શરીર એક ક્ષેત્ર છે, પણ એ કેવું ક્ષેત્ર છે, ક્ષેત્ર એ કેવા વિકારવાળું છે, એનો પ્રભાવ શું છે, એની તાકાત કેટલી છે આ બધી જ બાબતોનું વર્ણન ભગવાન અહીં કરે છે. આખા શરીરની ઉત્પત્તિ, એના વિકારો અને શરીરના રહસ્યની વાતો હે અર્જુન, હું તને ટૂંકમાં કહું છું. વિકાર એટલે ફેરફાર. દૂધમાં દહીં છે એની ખબર નથી, દૂધમાં દહીં ભેળવવા થોડું નાખવાથી દૂધનું દહીં થાય જેને આપણે મેળવણ કહીએ છે. દહીંમાં માખણ છે અને ઘી પણ છે, એની ખબર નથી પરંતુ એને વલોવી નાખીએ એટલે માખણ થાય અને પછી એને બરાબર તાવીએ એટલે ઘી નીકળે તો એનો અર્થ એવો કે દૂધમાંથી દહીં, ઘી, માખણ થાય એ હકીકતમાં તો વિકાર કહેવાય. દૂધમાં થયેલો વિકાર. એક સુંદર ઉદાહરણ બહુ ટૂંકમાં નોંધીએ તો મુંબઈમાં એક પારસી સ્ત્રી હતી. એમના નોકરે દહીંમાંથી ઘી બનાવ્યું એ જાણીને તો એ ખુશ ખુશ થઇ ગઈ ! એ બધાને કહેવા લાગી કે, મારા નોકરે ઘી બનાવ્યું. એ બહેનને ખબર નહોતી કે, આ ઘી નોકરે બનાવ્યું નથી. ઘી દૂધમાં હતું જ, માખણ દૂધમાં હતું જ, દહીં દૂધમાં હતું જ, એમ આ ક્ષેત્રમાં ઘણા વિકાર છે. એમ જ આપણું શરીર વિકારવાળું છે. 

ક્ષેત્રનું સ્વરૂપ  જેમાં પાંચમો અને છઠ્ઠો શ્લોક આવે છે . જુદા જુદા પદોમાં તો દ્રષ્ટાંતો અને નિશ્ચિત દલીલો આપીને એનું વર્ણન થયું છે,… છતાં ભગવાન કહે છે કે,  હું તને શરીર વિષે પહેલા થોડી વાતો કરું. પાંચ મહાભૂત છે પૃથ્વી, આકાશ, વાયુ, જળ(પાણી) અને પ્રકાશ (તેજ). હવે પ્રશ્ન થાય કે આ પંચમહાભૂત શેમાંથી બન્યા ? પરા પ્રકૃતિમાંથી તે ઉત્પન્ન થયા અને એમાંથી  અહંકાર થયો. આ પાંચ મહાભુતો અને દસ ઇન્દ્રિયોને અહંકાર પોષણ પૂરું પાડી રહ્યો છે. દસ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂત અને એના પાંચ વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા મળીને વીસ થાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ ઉમેરીએ તો ચોવીસ થાય. ઇન્દ્રિયોને ચાલવાનો પણ એક માર્ગ હોય છે જેને ગોચર કહેવામાં આવે છે. જીભને ચાખવાનો રસ્તો, નાકને સૂંઘવાનો રસ્તો, કાનને સાંભળવાનો રસ્તો, આંખને જોવાનો રસ્તો, ચામડીને અડવાનો રસ્તો આ બધા રસ્તામાંથી વિકાર ઉત્પન્ન થાય, ઈચ્છા, દ્વેષ, સુખ, ધૃતિ, સંઘાત અને ચેતન શક્તિ આ વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે. શ્રી રવિશંકર મહારાજે સરસ કહ્યું છે કે, ઇન્દ્રિયો આપણા શરીરમાં ઈંદ્રિયોરૂપી ગોખલા  છે, એમાં બહારથી આવેલા વિકારો ભરાય જાય એટલે આ ક્ષેત્ર વિકારવાળું કહેવાય. 

જ્ઞાનનું સ્વરૂપ જેમાં સાત થી સત્તર  શ્લોકોનો સમાવેશ થાય છે. જ્ઞાન તો અદ્રશ્ય છે તો જ્ઞાનને જાણીશું કઈ રીતે ? શરીરને ચલાવવું છે તો ચલાવવા માટે જ્ઞાન જોશે. બધામાં જ્ઞાન તો હોય છે,  હવે જ્ઞાનની વ્યાખ્યા શી ? જ્ઞાન તો અદ્રશ્ય વસ્તુ છે પણ જ્ઞાનીનાં લક્ષણ પરથી એમ કહી શકાય કે, આને જ્ઞાન કહેવાય. મને ઘરમાં સંજવાળી કાઢતા કોઈ જોઈને કહી શકે કે મને ઘરમાં સંજવાળી કાઢવાનું જ્ઞાન છે. શું એવું છે કે બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?  ના ના એવું કશું નથી. જ્ઞાન સાચવવાના કેટલાક સાધનો છે. અને જ્ઞાન પ્રાપ્તિના કેટલાક સાધનો છે. જ્ઞાનના  લક્ષણો અહીં શ્લોક સાત થી અગિયારમાં  દર્શાવ્યા છે અને જ્ઞાનીનાં વીસ લક્ષણો  પણ અહીં આપણી સમક્ષ ભગવાને મૂકી આપ્યા છે. સમજવા જેવી વાત એ છે કે કેટલાક શબ્દો જ આપણને લક્ષણોની સમજ આપે છે. દા.ત. શ્રેષ્ટતાના અભિમાનનો અભાવ (અમાનીપણું), દંભાચરણનો  અભાવ (અદંભીપણું), પ્રાણી માત્રને કોઈપણ રીતે ન સતાવવું (અહિંસા), ક્ષમાભાવ, મનની વાણીની સરળતા, શ્રદ્ધા ભક્તિ સહિત ગુરુદેવની સેવા, બહાર ભીતરની શુદ્ધિ, અંત:કરણની સ્થિરતા અને મન તથા ઇન્દ્રિયો સહિત  શરીરનો નિગ્રહ …આ થયા જ્ઞાનના મૂળભૂત લક્ષણો. વળી, ઈદ્રિયોના વિષયમાં વૈરાગ્ય, અહંકાર ન કરવો, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિમાં દુઃખ કે દોષોનો વિચાર ન કરવો, અનાસક્તિ, સ્ત્રી-પુરુષમાં મમતા ન રાખવી, પ્રિય અને અપ્રિય બાબતોમાં સમભાવ રાખવો, ઈશ્વર પ્રતિ અનન્ય ભાવથી અટલ ભક્તિ, એકાંત દેશનું સેવન, જન  સમૂહમાં જવાની અરુચિ, નિત્ય અધ્યાત્મજ્ઞાનનો અને તત્ત્વજ્ઞાનનો વિચાર કરવો …આ સઘળું જ્ઞાન છે અને આનાથી ઉલટું અજ્ઞાન છે. શ્રી ભગવાન કહે છે કે, જેને જાણવાથી અમરપણું પામી શકાય  છે તે જ્ઞેય  હું તને કહી રહ્યો છું. તે જ અનાદિ પરબ્રહ્મ છે. તે બધે વ્યાપી  રહેલ છે. તેનામાં  બધી ઇન્દ્રિયોનો આભાસ છે,  છતાં તે ઇન્દ્રિયો રહિત છે. તે ગુણ  રહિત છે,  છતાં ગુણોનો ભોક્તા છે. આ કેવી રીતે શક્ય બને ? તેવો પ્રશ્ન આપણને થાય તે સ્વાભાવિક છે. યાદ કરો તે વેદનો મંત્ર : પૂર્ણ મદ: પૂર્ણ મિદં … પૂર્ણ છે ને પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો શેષ રહેલું પણ પૂર્ણ હોય છે.” અરે ઉપનિષદમાં પણ એક મંત્રનો અર્થ એવો થાય છે કે, કેટલાક ખુબ દોડે છે પણ બેઠેલો છે, છતાં દોડનારથી આગળ છે

બસ એમ જ અહીં અન્યોન્યથી વિપરિત દ્વન્દ્વો છે. તે ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે, તે સ્થિર છે અને તે ચલિત પણ છે, તે દૂર છે ને તે પાસે પણ છે. આ જ્ઞેય  આત્મા અવિભક્ત છે,  છતાં વિભક્ત જેમ ભૂત માત્ર માં રહે છે. અને સત્તરમાં  શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે, તે જ્યોતિઓની જ્યોતિ છે, તે અંધકારથી પર છે, તે જ્ઞાન છે, તે જાણવા યોગ્ય છે , તે બધાના હૃદયમાં રહે છે

એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !

એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !

બારમા અધ્યાયને અંતે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

(49)

આપણે શ્રીમદ ભગવદ ગીતાના છાસઠ ટકા ભાગની સમજ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આવો, આપણે વિનોબાજીની દ્રષ્ટિએ અધ્યાય સાતથી અધ્યાય બાર સુધીનું વિહંગાવલોકન કરી લઈએ

અધ્યાય સાત : 

આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે જ એક જ છે. આમ હોવા છતાં

માણસ મોહમાં પડે છે. વાનગીઓ જોઈ આપણે વિવિધ પ્રકારના વિરોધી તેમ

જ સારા નરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ

અનુભવવી હોય તો વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને

ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ

ટાળવાનું બની શકે.

ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મની તુષ્ટિપુષ્ટિ

થતી નથી. સાચા આનંદનો પત્તો લાગ્યો નથી તેથી માણસ પડછાયાથી ભૂલીને

તેની પાછળ પડ્યો છે. સાચું સ્વરૂપ તમે જો સમજશો, તેનો આનંદ એકવાર

ચાખશો એટલે પછી બીજું બધું ફિકું લાગશે. એ ખરા આનંદને શોધી કાઢવાનો

ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે.

ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનારો (૨) નિષ્કામ

પણ એકાંગી ભક્તિ કરનારો (૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો.

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારમાં ત્રણ પ્રકાર છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી..કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે. આર્ત (નિષ્કામ) ભક્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો. તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. જિજ્ઞાસુ (નિષ્કામ) ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય. તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. અર્થાર્થી (નિષ્કામ) ભક્ત હરેકેહરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે. તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે. જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ જ હશે. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષી બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે. એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે તેનો જ અભ્યાસ કરતાં કરતાં જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે.

 અધ્યાય આઠ 

જીવન એટલે સંસ્કારસંચય ! સંસ્કાર સારા-નરસા હોય છે અને બંનેની       માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે.

મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ?? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાતદિવસ ચાલતું હોય તે અંતઘડીએ સાથે રહે.

હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ, એવી હંમેશ મેહનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું.

સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહાઆનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે.

નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં. નામસ્મરણ તત્ત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ.

અધ્યાય : નવ

હરિનામ નો અપૂર્વ મહિમા નવમાં અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે.

વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો ?  આપણું રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. “તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે…” નવમો અધ્યાય એવું કહે છે. ટૂંકમાં, બધાંય કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધભાવના થી કરેલું અને સેવા નું હોય તો તે યજ્ઞરૂપ જ છે.

નવમાં અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો.

ઈન્દ્રિયો પણ સાધન છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. ઈન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે તેથી હરેક ઈન્દ્રિય ઇશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે.

શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો એટલે બધું યે રુચિકર અને સુંદર બનશે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. છોકરાં પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓ ની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ??

સર્વે કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે, એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું.

અધ્યાય :દસ 

દસમા અધ્યાયમાં ઇશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે નીચેના મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે:

અ) બાલબોધ રીત: પહેલાં મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ‘ક’ તેનો તે જ, પણ પહેલાં તે મોટો ને પછી તે જ નાનો. પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવા ને પછી ગૂંચવણભર્યા જોડાક્ષરો.

બ) માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલાં તો મા, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો..આ ક્રમમાં સ્વીકાર કરતાં જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય.

વિનોબાજીએ આપણને  સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યાં :ü  પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે. ü  સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. ü  પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. ü  વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. ü  અગ્નિ એ નારાયણ છે. કેવો હૂંફાળો ! કેવો તેજસ્વી !

વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન  કરાવે છે : ü  વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઉભા છે. ü  ઘોડો, કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! ü  સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. ü  વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ, આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો.

આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો ને પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલાં પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાય વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવ્યાં :: સર્પમાં,,વાનરમાં,, મોરમાં,, કોકિલમાં,, કાગડામાં,, અને છેવટે દુષ્મનમાં પણ,,,!!

આમ, આપણે તો સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

અધ્યાય :અગિયાર 

આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે.

આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે.

ત્રણ કાળમાં અને ત્રણ ય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઇચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે.

જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થલાત્મક જગત આખુંય એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ, ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું છે.

અધ્યાય : બાર 

અધ્યાય છ થી અધ્યાય અગિયાર એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે.

સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે. સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે. બંનેની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે.

સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે. સગુણ ઉપાસકને સારુ ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. ટૂંકમાં, બન્ને રીત ઇન્દ્રિયનિગ્રહની છે. ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો.

સગુણ પૂજા સહેલી છે. નિર્ગુણ પૂજા અઘરી છે. બાકી બન્નેનો અર્થ એક જ છે. નિર્ગુણ જ્ઞાનમય છે ને સગુણ પ્રેમમય-ભાવનામય છે. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે.  નિર્ગુણમાં સ્વાવલંબન છે.

ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવા જોઈએ. ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી: (૧) વ્યક્તિનિષ્ઠા (૨) તત્ત્વનિષ્ઠા (૩) સંઘનિષ્ઠા.

નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો !!  ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બન્નેનો અંતિમ અનુભવ એક જ છે. ટૂંકમાં, સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. છેવટે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં .

“મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”

“મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”

લક્ષ્મણની ભક્તિ સગુણ હતી, જયારે  ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતા.

ભદ્રાયુ વછરાજાની                     (48)               bhadrayu2@gmail.com 

શ્રી ગીતાનો બારમો અધ્યાય ભક્ત અને ભક્તિને ચોતરફથી સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે, ‘ખરેખર યોગી પુરુષ કે ભક્ત પુરુષને કશું ભાન હોતું નથી.. તે બધા કર્મો મને સમર્પણ કરીને મારું ધ્યાન કરતા કરતા અનન્ય યોગથી મારી ઉપાસના કરે છે. તે મને ખુબ ગમે છે. માત્ર ભક્તિમાં લીન થઇ જવાનું. હે પાર્થ, મારામાં જ જેમનું ચિત્ત લાગેલું હોય છે તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરું છું.’ 

ભગવાનના ગુણ કેવા છે ? આપણામાંથી કોઈ એક ગુણ તમસ, રજસ, કે સત્વમાંથી ચળી જાય તો તેનું સંતુલન રહેતું નથી. ભગવાન કહે છે કે, “ મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને સ્થિર કર એમ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ એ બાબતમાં કોઈ સંદેહ રાખ નહીં.” એને ખબર છે કે અર્જુન સંદેહ કરનારો છે એટલે ખાસ આદેશાત્મક રીતે કહે છે, “હે ધનંજય, જો તું મારામાં તારું ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો મને અભ્યાસયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”  જે કંઈ કરીએ એ ભગવાનને માટે કરવાનું છે અને એમ કરશું તો એ પાપ નહીં થાય. એક વાત સતત ગીતામાં કહેવાણી છે કે, ‘કર્મ કરવું  એ આપણો ધર્મ છે પણ એનું ફળ છોડતા રહેવું  એ ધર્મ સાચો છે.’

ધીમે ધીમે કરતા એક એક શ્લોકની અંદર અર્જુનને અહેસાસ કરાવતા જાય છે કે ભક્તિયોગ શું છે ? ભક્ત કેમ બનાય ? કહે છે,  

  1. સદા સંતુષ્ટ યોગનો અભ્યાસ કરનાર સંયમી અને દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે મારો ભક્ત મને પ્રિય છે.

પૂર્ણતઃ  શરણે જવાની વાત અહીં ભગવાન કરે છે. 

  1. જે મારો ભક્ત ઈચ્છા રહિત, પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથારહિત અને સકામ કર્મોનો આરંભ નહીં કરનારો છે એ મને પ્રિય છે. 
  2. જે હર્ષ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી, જે શોક પણ કરતો નથી, કોઈની આશા કરતો નથી એ શુભ તથા અશુભ બંનેનો ત્યાગ કરે છે એવો જે ભક્તિમય છે તે મને પ્રિય છે. 
  3. જે શત્રુ અને મિત્રની બાબતમાં, માન અને અપમાનની બાબતમાં સમભાવ રાખે છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખની બાબતમાં પણ સમભાવ ધારણ કરે છે જેને ભોગો ઉપર આસક્તિ નથી તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. 
  4. જે સ્તુતિ અને નિંદાની બાબતમાં સમાન છે. જે મૌન ધારણ કરે છે, જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, જેને પોતાનું કોઈ સ્થાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે એવો જે ભક્તિમાન મનુષ્ય છે તે મને પ્રિય છે. 
  5. ભગવાન છેલ્લે બહુ દ્રઢપણે કહે છે કે જે શ્રદ્ધા રાખનારા અને  મને પરમ શ્રેષ્ઠ માનનારા ભક્તો અહીં ધર્મયુક્ત અમરજ્ઞાનનું સેવન કરે છે તે મને અત્યંત પ્રિય હોય છે. 

ભક્તિયોગમાં પ્રવેશેલા અર્જુનને સતત રીતે ભક્તના એક પછી એક લક્ષણો જે ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યા છે એ આમ જોઈએ તો અગાઉના બધા જ બે થી અગિયાર અધ્યાય સુધીમાં કહેવાઈ  ગયા છે. અહીં પ્રશ્ન બહુ બુદ્ધિપૂર્વક પુછાયો છે, એટલે એનો જવાબ વિસ્તૃત રીતે આપણને મળ્યો છે. 

માછલી જેમ પાણીથી અળગી રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, સ્ટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે કે ? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારુ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી.

ભરત નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, “મારે રામને મળવું જોઈએ.” રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું, જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. “હે રામ, તમારું આ રાજય છે. તમે…” એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, “ભરત, તું જ રાજ ચલાવ.” ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે, “તમારી આજ્ઞા મને કબૂલ છે.” રામ કહે તે કબૂલ, તેણે બધું જ રામને સોંપી દીધું હતું.

પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજ જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડો ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું. બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી. એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. આમ, ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો, એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.

જગતમાં એક જ લક્ષ્યની સાધના કરવાના બે માર્ગ છે. કોઈ સાધક પરમાત્માના સગુણ સાકાર વ્યક્તરૂપની આરાધના ઉપાસના કરે છે, એને ખબર છે કે એક મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેની પૂજા કરે છે, તેને જમાડે છે, તેને સુવાડે, તેને ઉઠાડે છે,, જયારે બીજા સાધકો નિર્ગુણ નિરાકાર અવ્યક્તનું ધ્યાન કરે છે. એને મન કોઈ મૂર્તિની જરૂર નથી, એને મન કોઈ મંત્ર કે ભજનની જરૂર નથી, એ આંખ બંધ કરે છે, પોતાનામાં ઊંડા ઉતરે છે અને તેને જે શાંતિ પ્રાપ્ત થાય છે એના આધારે તે ઈશ્વરની પૂજા કરે છે. યાદ એ રાખવાનું છે કે બંને નિષ્ઠાવાળા છે અને પોતપોતાના માર્ગ પર આગળ વધે છે પણ અર્જુન અહીં પૂછે છે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ ? આપણે અગાઉ પણ કહેલું છે કે જયારે સરખામણી આવીને ઉભી રહે છે ત્યારે એ સરખામણી ઘણી બધી રીતે આપણને વ્યગ્ર કરે છે. ભગવાન વ્યગ્ર થયા વગર સતત એવું કહે છે કે, તમારે સાચા ભક્ત થવું હોય તો ત્રણ ગુણ જરૂરી છે. પરમ શ્રદ્ધા, ઉપાસનામાં સાતત્ય અને ધ્યેય સ્વરૂપમાં મનની એકાગ્રતા. આ યુકતતમ વાત સાથે બારમા અધ્યાયનું સમાપન થઇ રહ્યું છે.

ઉત્તમ કોણ ? નિરાકારને ભજનાર કે સાકારની સેવા કરનાર ?

ઉત્તમ કોણ ? નિરાકારને ભજનાર કે સાકારની સેવા કરનાર ?

શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધાથી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે મારો ભક્ત શ્રેષ્ઠ છે

ભદ્રાયુ વછરાજાની                         (47)                  bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવત ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ પર છે. અહીં કુલ ૨૦ શ્લોક છે અને ૨૦ શ્લોકમાંથી પહેલો શ્લોક અર્જુનના પ્રશ્નનો છે. અર્જુન એ પૂછવા માંગે છે કે જેમાં ભક્તિના સ્વરૂપોની અને ભક્તના પ્રકારોની વાત છે અને સતત ભક્તિમય રહેવા માટે ક્યાં માર્ગો સારા છે તેની ચર્ચાની અપેક્ષા છે. એમ કહી શકાય કે અર્જુનના એક પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બીજા ૧૯ શ્લોકનો ઉપયોગ કરે  છે. 

જાણવાનું એ રહે છે કે તપશ્ચર્યા શું છે ? સૌથી પહેલા તો અર્જુન જાણે કે આપણા મનનો પ્રશ્ન પૂછી નાખે છે, હે ભગવાનજે ભક્તો તમારી નિરંતર સગુણ ઉપાસના કરે છે ને જેઓ તમારા નાશ પામે એવા અવ્યક્તરૂપની ઉપાસના કરે છે એમાં ઉત્તમ કોણ ?  કેટલાક યોગીઓ ખુબ તપશ્ચર્યા કરે છે તેને ભક્તિ કહેવાય. અવ્યક્તની પૂજા કરીએ તો ધ્યાન વડે થાય અને વ્યક્તિની પૂજા કરવી હોય તો જેમાં પગ ચાપવાના, મંદિરમાં જવાનું, મૂર્તિની પૂજા કરવાની વગેરે બાબતો હોય. લક્ષ્મણ વ્યક્તિની પૂજા કરે છે અને ભરત અવ્યક્તની ભક્તિ કરે છે. 

નિરાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે સાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે એ મને કહો એમ ખરેખર અર્જુનનો પૂછવાનો અર્થ છે. ઉપાસના એટલે ભગવાનની પાસે બેસવું. ગુરુ ઉપાસના એટલે ગુરુની પાસે બેસવું અને ગુરુમય થઇ જવું. ગુરુ જે કહે તે કરવું એ ઉપાસના છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને થોડીવાર એકબાજુ રાખીને એવું કહે છે કે,  તું વ્યક્ત અવ્યક્તની વાત છોડ પણ પહેલા  જાણી લે કે,  શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને,  પરમ શ્રદ્ધા (પરમ શ્રદ્ધા એટલે ખુબ શ્રદ્ધા, એવી શ્રદ્ધા કે આ જ મારો ઉદ્ધાર કરનારો છે એવી શ્રદ્ધા) થી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનના ગુણ કેવા છે ? ભગવાનની મૂર્તિને  કોઈના પર આસક્તિ નથી, આરતી ઉતારીએ કે ન ઉતારીએ મૂર્તિને ખોટું ન લાગે. નૈવેદ્યમાં લાડુ મુકો કે ના મુકો તેમાં ફર્ક  પડતો નથી. પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ પોતાના ભાષ્ય ગીતા બોધવાણીમાં કહે છે કે, જે ભગવાનના ગુણોમાં જે ગુણોમય થઇ ગયો છે, તન્મય થઇ ગયો છે એમ પુજનાર મારી પાસે આવે છે, ચોક્સી ઘરેણાં દેખાવ જોઈને નહીં લે, પણ તે સોનુ છે કે નહીં તે પહેલા જોશે. એવી રીતે મારામાં મન પરોવે છે પછી એ માટીનો ઢગલો હોય કે પથ્થર હોય બધામાં મને જોઈને પૂજા કરે છે. હું જ છું એમ માનીને પૂજા કરે છે એ ભક્ત મારા માટે શ્રેષ્ઠ છે, એટલે પૂજાની વિધિને અહીં ભગવાને  પોતે , ભગવાનથી લઈને વ્યાપક જીવ સુધી વિસ્તૃત કરી આપી છે. 

‘જે મનુષ્યો મારા અવ્યક્ત, અચિંત્ય, અવર્ણનીય, સર્વવ્યાપક, સર્વોપરી, સ્થિત, અચંચળ, સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે.’  ભેદ કોઈ પ્રકારનો પાડવા માટે ગીતા સમર્થ નથી, કારણ કે  ગીતા સમન્વયવાદી છે એવું આપણે પાંચમા અધ્યાયમાં કહ્યું છે. જે બધા પ્રાણીઓનું હિત કરવામાં તત્પર છે, સર્વત્ર સમબુદ્ધિ રાખીને બધી ઇન્દ્રિયોનો સંયમ કરે છે,  સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે એ બધા મને પ્રાપ્ત કરે છે. અહીં સ્પષ્ટ થયું છે કે,  તમે સગુણની ભક્તિ  કરો છો કે નિર્ગુણની, નિરાકારને ભજો છો  કે સાકારને, મારી પાસે બેસીને પૂજા કરો છો કે નથી કરતા એને હું ભક્તિ ગણતો નથી. મને તો તે પ્રાપ્ત કરે છે કે, જે પોતાનું ઉપાસના કર્મ પૂર્ણભાવથી કરે છે, એકરૂપ થઈને કરે છે અને આ બધું કરવા માટે પોતે દશે ઇન્દ્રિયો ને મનને કાબુમાં લે છે,  પરિણામે એ સમબુદ્ધિ થાય છે. 

સમબુદ્ધિ એટલે બધાને સરખા ગણવા, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. આપણને ખ્યાલ છે કે ગાંધીજી પાણી પણ કરકસરથી વાપરતા. નાની લોટીમાં પાણી ભરે અને એમાંથી મોઢું ધોવે, કોગળા કરે આમ ગાંધીજી સર્વ ભૂતોના હિતમાં  રત થઇ ગયેલા, રમમાણ થઇ ગયેલા હતા તેથી એ આપણા સૌ માટે આજે પણ સ્મરણીય બન્યા છે. હનુમાન રામના અનન્ય ભક્ત. રામે સુગ્રીવ, અંગદ , વિભીષણ વગેરે બધાને  એમની સેવા બદલ રાજ્ય આપ્યું.  હનુમાને રામની ઘણી સેવા કરી એટલે સીતા મા એ હનુમાનને પોતાનો કિંમતી હાર આપ્યો, તો હનુમાને તે હાર તોડી નાખ્યો. હનુમાનને હાર તોડવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે,  આ હારમાં હું રામ જોતો હતો પરંતુ એક પણ મોતીમાં રામ ન દેખાયા. એટલે એક પછી એક મોતી  તોડી નાખ્યા. ‘રામ વગરનો હાર મારે શું કામનો ?’ તેથી નાખી દીધી. જો એવો કિંમતી હાર લે તો એમાં આખો સંસાર આવી જાય અને પછી એ સંસારને  સાચવવો પડે, એના માટે પેટી કરવી પડે, ઘર જોઈએ વગેરે વગેરે…હનુમાનજીએ એક જગ્યાએ શ્રી રામને સરસ કહ્યું છે કે,  તમે જેમને તરછોડી એ તરે કે ડૂબે ? પથ્થર કેમ રામ લખ્યા પછી તરે છે ? ડૂબતા નથી ? ત્યારે બહુ સુંદર જવાબ મળે છે કે,  ‘ભગવાન રામનું નામ જે પથ્થર ઉપર લખાય તે કદી ડૂબે ખરા ?’ આવી ભક્તિ જેનામાં છે એ સહેલાઈથી બધું પ્રાપ્ત કરી શકે. 

“હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

“હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ

ભદ્રાયુ વછરાજાની                  (46)                     bhadrayu2@gmail.com 

પોતાના નિત્ય નિરાળા ગીતા પ્રવચનોમાં શ્રી વિનોબાજી એક સરસ વાત કરે છે : આરંભથી અંત સુધી ગીતા પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. બારમો અધ્યાય તો ખુબ જ પાવન તીર્થ સમાન છે. ખુદ ભગવાને તેનેઅમૃતધારકહેલ છે. અમૃત જેવો મીઠો છે, સંજીવની રૂપ છે કારણ આ અધ્યાયમાં ભગવાનના મુખેથી ભક્તિરસના મહિમાનું તત્ત્વ ગવાયેલું છે.” 

આમ જોઈએ તો પાંચમા અધ્યાય પછીથી સતત ભક્તિયોગની જ વાત આવ્યા કરે છે પણ આ બારમાં અધ્યાયમાં ભક્તિરસની સમાપ્તિ કરવાની હોય તેમ લાગે છે. 

       પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ફરી નાના છતાં નક્કર પ્રશ્ન સાથે અર્જુન હાજર છે.  શ્રીમદ ગીતાના બારમાં અધ્યાયના આરંભે અર્જુન પૂછે છે કે, “નિયુક્ત  થઈને તમને ભજે તે અને અક્ષર-અવ્યક્ત થઇ તમને ભજે એ બંનેમાંથી કહો તો કે કોણ ચડે ??” 

બસ, આ એક જ પ્રશ્નના જવાબમાં ભગવાન પુરા અધ્યાયને સમર્પિત કરે છે અને ઓગણીશ શ્લોકોમાં વિસ્તૃત જવાબ આપે છે. જેનો ટૂંકો સાર એટલો છે કે “મારામાં મન પરોવીને જે  મને હમેશા સાથે રાખીને પરમ શ્રધ્ધાથી ભજે તે યોગીથી પણ ચડી જાય છે.” 

         અર્જુન પ્રશ્ન પૂછે છે કે, કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

ભગવાન શો જવાબ આપે? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આધીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય, માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શકતો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઇ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારુ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તો આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને સવાલ પૂછો તો તે શો જવાબ દેશે? તેને તમે કહો, “હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે.” મા શો જવાબ આપશે? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોળવા બેસશે? કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી મા કહેશે, “વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ.” નાનાને એણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનાનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો, એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ તેટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.

  શ્રી વિનોબાજી એક ટકોર કરે છે જે આજના સમયમાં બહુ જ નિર્ણાયક નીવડે તેમ છે. તેઓ કહે છે, ‘ જુદાં જુદાં કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે. તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્ત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્ત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો – પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા દયનીય થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્ત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.’ આજે  ગાંધી સંસ્થાઓ જે રીતે કંગાળ થતી જાય છે તેની પાછળ નું  આ કારણ હોઈ શકે. 

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી નીકળી  શંકરની જટામાંથી પણ નીકળી,  ત્યાં જ રહી નથી. એણે જટા છોડી, હિમાલયનાં પેલા કોતરો ને ખીણો છોડયા, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાના હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી છૂટ્યો એ સાચું પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.

 

“હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું.”

“હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું.”

મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેને  હું પ્રાપ્ત થાઉં છું.’

ભદ્રાયુ વછરાજાની                        (45)            bhadrayu2@gmail.com  

શ્રીમદ ભગવદ ગીતાનો અગિયારમોં  અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન. તેના ચાલીસમાં શ્લોક સુધીમાં વિરાટરૂપ દર્શન કર્યા પછી અર્જુન પોતે પામી જાય છે કે જેને હું મારો બાળસખા ગણું છું તે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને તે દિવ્ય અનંતરૂપધારી છે, જેનું રૂપ વધતા વધતા એ કક્ષાએ પહોંચે છે કે હું અને ઋષિઓ અને સૌ માનવો ભયભીત થઇ જઈએ છીએ. ચાલીસમાં શ્લોકમાં તે ભગવાનને સર્વ દિશાઓમાંથી પોતાના નમસ્કાર પાઠવે છે. 

શ્લોક ૪૧ અને ૪૨ એ બે શ્લોક વડે અર્જુન ભગવાનના મહાત્મ્યના અજ્ઞાનથી કરેલા અપરાધોની ક્ષમા માંગે છે અને કહે છે, “આપના વિરાટ સ્વરૂપ મહિમાને હું જાણતો ન હતો. આપને હું મારા સખા જ માનતો હતો. ચિત્તની ચંચળતાથી કે સ્નેહથી પણ હું તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું કહ્યા કરતો હતો, એ અનુચિત હતું એ મને હવે સમજાય છે એટલે તે સર્વ બાબતો માટે આપ મને ક્ષમા કરો. વળી હે અચ્યુત, આપણે વિનોદ કરતા હતા , રમતા હતા, સુતા હતા, બેસતા કે ખાતા હતા ત્યારે એકલા અથવા મિત્રોની સમક્ષ મારાથી આપનો જે અસત્કાર થયો હોય તેને માટે અચિંત પ્રભાવવાળા આપની હું ક્ષમા માંગુ છું.” આ જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે છે કે જે વ્યક્તિને આપણે  ઓળખતા હોઈએ તેની ઓળખ કરતાં  તે અનેક ગણો મહાન નીકળે ત્યારે આપણે ક્ષમાભાવમાં આવી જતા હોઈએ છીએ. આગળના શ્લોકમાં હવે ભક્ત અર્જુન ભગવાનના અચિંત્ય પ્રભાવનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરે છે. એ કહે છે કે, ‘હે અપ્રતિમ પ્રભાવવાળા ભગવાન, આ સ્થાવર જંગમ લોકના આપ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો, સર્વ પ્રકારે અધિક ગૌરવવાળા છો. આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. ત્યારે આપના કરતા અધિક તો બીજો ક્યાંથી હોય ? તેથી નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું અને સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને એ પ્રસન્ન થાઓ એવી હું પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતાને પુત્રના અપરાધની, મિત્રને મિત્રના અપરાધની અને પતિને પત્નીના અપરાધની ક્ષમા આપવી  યોગ્ય છે તેમ આપને મારા અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેવું મને લાગે છે આપ મને ક્ષમા આપો.” 

શ્લોક ૪૫ અને ૪૬ વડે ભક્ત અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનો ઉપસંહાર કરી સમેટી લઇ પૂર્વવત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ  થવા માટે હવે પ્રાર્થના કરે છે. એક સમયે જે ઉત્ક્ટતા હતી વિશ્વરૂપી જોવાની એનાથી પુરેપુરો સંતૃપ્ત થઈને અર્જુન હવે કહે છે કે, ‘પૂર્વે ન જોયેલા આ વિરાટ સ્વરૂપને જોઈને હું હર્ષ પામ્યો છું. તથા ભયથી મારું મન વ્યાકુળ થયું છે.’  બંને મિશ્રિત ભાવ એના મનમાં છે, એ હર્ષ પણ પામ્યો છે કે ઓહો હો હો આ વિરાટ સ્વરૂપ ! અને બીજી રીતે એને ભય પણ થાય છે કે શું વાત છે આ હા….હા.. આવું ભયભીત કરે એવું વિરાટ સ્વરૂપ ! એટલે પોતે સ્વીકારે છે કે બંને હું પામ્યો છું. મારું મન ભયથી વ્યાકુળ થયું છે માટે હે દેવ મારા પ્રાણના કરતા પણ પ્રિય આપનું પૂર્વનું સૌમ્યરૂપ હવે મને દેખાડો. ‘હે દેવેશ, હે જગન્નિવાસ, આપ હવે પ્રસન્ન થાઓ.. મને આપનું  પૂર્વનું  સૌમ્યરૂપ દેખાડવા યોગ્ય કૃપા કરો તો સારું’,  એવું અર્જુન વિનવે છે. ‘હું આપને પહેલાની જેમ મુકુટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું, માટે હે સહસ્ત્ર બાહુ, હે વિશ્વમૂર્તિ આપ ચતુર્ભુજ  રૂપ ધારણ કરો.’ આથી એ અર્થ સૂચિત કર્યો છે કે, ભક્ત અર્જુન સર્વ કાળે ભગવાનનું ચતુર્ભુજાદિસ્વરૂપ જોતો હતો એટલે એ સ્વરૂપ પાછું લઇ આવવાની તેણે વિનંતી કરી. ભક્ત અર્જુનને ભય પામેલો જોઈ હવે ભગવાન વિરાટ સ્વરૂપ સમેટી લઇ રહ્યા છે અને તેને  આશ્વાસન આપતા ભગવાન કહે છે, ‘હે અર્જુન, હું પ્રસન્ન થયો છું. મારા અસાધારણ યોગ સામર્થ્યથી તને આ મારું તેજોમય, વિશ્વવ્યાપી , અનંત અને અનાદિ શ્રેષ્ઠ રૂપ મેં દેખાડ્યું છે જે મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વ જોયું નથી. તું પણ મને અત્યંત પ્રિય છે, તેથી તું આ વિશ્વરૂપ દર્શન રૂપી પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયો છે. મારી બાલ્યાવસ્થામાં યશોદા માતાએ, ગોકુળમાં અક્રૂરે તથા કૌરવ સભામાં ભીષ્મપિતા વગેરેએ મારા અનુગ્રહથી મારું જે સ્વરૂપ જોયું હતું તે તને બતાવેલા આ વિશ્વરૂપનું એક અવાંતર રૂપ જ હતું. તે મારું ઉત્તમ સ્વરૂપ ન હતું.  જે આ સર્વોત્તમ સ્વરૂપ મેં તને બતાવ્યું છે તે તને તારા ભાગ્યથી  એટલે કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. મારા વિશ્વરૂપ દર્શનથી તું કૃતાર્થ થયો છે.’  હવે ભગવાન વિશ્વરૂપ દર્શનથી દુર્લભતાનું પ્રતિપાદન કરે છે અને કહે છે કે,  ‘હે કુળશ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય લોકમાં મારા વિરાટ સ્વરૂપને જોવા તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. મારા વિરાટ સ્વરૂપના દર્શન વેદાભ્યાસથી, યજ્ઞોથી, તુલાપુરુષ વગેરે દાનોથી, અગ્નિહોત્રી વગેરે સ્ત્રોત કર્મોથી કે ચાંદ્રાયણ વગેરે ઉગ્ર તપોથી કે બીજા સાધનોથી આ મનુષ્યલોકમાં શક્ય નથી. તું તો કેવળ મારા અનુગ્રહથી જ આ મારું વિરાટ સ્વરૂપ જોવા સમર્થ બન્યો છે.’ 

હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધીમે ધીમે સમેટી લઇ રહ્યા છે. અને એ કહે છે કે, ‘આ મારા ઘોર  વિરાટ સ્વરૂપને જોઈને તને વ્યથા કે વ્યાકુળતા ન થાઓ અને તું ભયરહિત તથા પ્રસન્ન ચિત્તવાળો થા.  મારા તે આ પૂર્વના રૂપને તું જોઈ શકે એટલે હવે હું મૂળ રૂપ પ્રાપ્ત કરી રહ્યો છું.’  હવે ભગવાને ભક્ત અર્જુનને પોતાનું પૂર્વ સ્વરૂપ દેખાડ્યું. એ સમયે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા કહે છે કે, ભગવાને ભક્ત અર્જુનને પુનઃ પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવ્યું અને પુનઃ સૌમ્ય શરીર ધારણ કરી મહાત્મા ભગવાને ભય પામેલ ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ભક્ત અર્જુન નિર્ભય થઇ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે, હે જનાર્દન, આપના આ સૌમ્ય માનુષી સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારી પ્રકૃતિને એટલે કે મૂળ સ્વભાવને હું પામ્યો છું. 

હવે ચાર શ્લોકો વડે વિરાટ સ્વરૂપના દર્શનરૂપ અનુગ્રહની દુર્લભતાનું વર્ણન થઇ રહ્યું છે. ભગવાન બોલ્યા છે, ‘મારું જે વિરાટ રૂપ તે હમણાં જોયું તેનું દર્શન અત્યંત દુર્લભ છે. દેવ પણ એ જોવા નિરંતર ઈચ્છા કરે છે. મેં તને જે સ્વરૂપવાળો જોયો તે સ્વરૂપવાળો હું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોવાને શક્ય નથી. હે અર્જુન, જેમ અગ્નિ કાષ્ટ ને બાળીને ભસ્મ કરે છે તેમ મારી ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિ મને જે પ્રકારે વશ કરે છે તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ, કે ત્યાગ પણ મને વશ કરવા સમર્થ થતા નથી. હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું. મારે વિષે નિષ્ઠા પામેલી ભક્તિ ચાંડાળોને પણ જાતી દોષથી પવિત્ર કરે છે. આ સંસારમાં મારી ભક્તિ અત્યંત દુર્લભ છે કારણકે જો અંતઃકરણ વિષે મારી ભક્તિ ઉત્પ્ન્ન થાય તો તે અવશ્ય મુક્તિ આપનારી છે. આ અધ્યાયના  સમાપનમાં સુંદર વાત કહી ને સમાપન તરફ જઈ રહ્યા છીએ.. ‘હે પાંડવ, મારે અર્થે કર્મ કરનારો મન જ પ્રાપ્ત માનનારો મારો ભક્ત જેણે સંગનો ત્યાગ કર્યો છે તે તથા સર્વભૂતોમાં જે વેર રહિત છે તે મને પામે છે. હું પ્રાર્થના કરું છું કે મારે  અર્થે જે કર્મ કરે છે, મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેનું હું પ્રાપ્ત થાઉં છું.’ 

અર્જુનની વિનંતી ઉપરથી પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને ફરી અર્જુનની વિનંતી  ઉપરથી મૂળ પોતા ચતુર્ભુજધારી રૂપને પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે આપણને ઉત્તમ સંદેશ આપે છે કે, ‘તમે મારી ભક્તિમાં રત રહો.’

“તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;”

“તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;”

હે અનંત, આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો.”

ભદ્રાયુ વછરાજાની                            (44)                  bhadrayu2@gmail.com 

અર્જુનની વિનંતીને ધ્યાનમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મૂળ સ્વરૂપ જે વિરાટ છે, જે વિશ્વ સ્વરૂપ છે એનું દર્શન અર્જુનને, ભગવાન તરફથી મળેલી દિવ્ય દ્રષ્ટિથી કરાવી રહ્યા છે.

અર્જુન શરૂઆતમાં પ્રભાવિત થઇ રહ્યો છે, આનંદિત થઇ રહ્યો છે પણ જેમ જેમ એ પ્રભુના વિરાટ દર્શનને પામતો જાય છે અને પ્રભુ પણ ધીમે ધીમે ધીમે કરતાં પોતાના રૂપના અનેક અધ્યાયો એક પછી એક અર્જુન સામે ખોલી રહ્યા છે ત્યારે અર્જુન પોતે પણ થોડો ભયભીત થઇ જાય છે. એને કલ્પના નહોતી કે મારો બાળસખા, મારો સારથી જેને હું કૃષ્ણ સમજુ છું એ આવો સ્વરૂપધારી એક મહામાનવ છે, મહાયોગેશ્વર છે. અને પરિણામે એનાથી બોલાય છે,  ‘હે મહાબાહો, ઘણા મુખ અને આંખોવાળા, ઘણા હાથ, જાંઘ, પગ અને પેટવાળા અને ઘણી દાઢોથી ભયંકર એવા આપના વિશાળ વિશ્વરૂપને જોઈને પ્રાણીઓ ભયથી વ્યાકુળ થઇ ગયા છે તેમ જ હું પણ અત્યંત વ્યાકુળ થઇ ગયો છું.’

એનાથી બોલી જવાય છે કે, ‘ભગવાન અત્યાર સુધી તો ઠીક છે, હું  દર્શન કરતો હતો પણ હવે હું ભય પામું છું અને થોડો થોડો  વ્યાકુળ થઇ રહ્યો છું. હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા સ્વર્ગ સુધી વ્યાપ્ત સર્વરૂપી, પ્રજવલ્લિત, અનેક રંગવાળા, ઉઘાડા મુખવાળા અને તેજસ્વી નેત્રવાળા આપના વિરાટ સ્વરૂપને જોઈને મારું મન ભયથી વ્યાકુળ છે. હું દેહ ધારણ કરવાના સામર્થ્યને અને મનની શાંતિને, મનના સ્વાસ્થ્યને, મનની પ્રસન્નતાને પામતો નથી. આપના સ્વરૂપને જોઈ હું અત્યંત ચકિત થઇ ગયો છું.’  એ કહે છે કે, ‘મને આપનું સ્વરૂપ જોઈને મનની શાંતિ કે મનનું સ્વાસ્થ્ય કે મનની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી. હે વિષ્ણુ, હું તો એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો છું કે, હું કોને જોઈ રહ્યો છું ! એક પછી એક વર્ણન કરતા કરતા જયારે પોતાની વાત સામેના સ્વરૂપને જોઈને ટોચ ઉપર પહોંચે છે ત્યારે અર્જુન જુદી વાત કરી રહ્યો છે. વચ્ચે શ્રી ભગવાન પણ કહે છે,

છું કાળ ઉઠ્યો જગનાશકારી, સંહારવા લોક અહીં પ્રવર્ત્યો

તારા વિનાયે  બચશે કોઈ, જે ખડા સૈનિક સામસામા.

તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ

પૂર્વે છે મેં હણેલ તેને, નિમિત્ત થા માત્ર તું સવ્યસાચી

શું ભીષ્મ, કે દ્રૌણ, જયદ્રથેય, કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,- 

મેં છે હણ્યાં, માર તું, છોડ શોક, તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ.”

ભગવાન તક ઝડપી લે છે અને તક ઝડપીને ભગવાન પાનો  ચડાવતા એવું કહી દે છે કે, ‘તું ઉભો થા, આ બધાને હું અગાઉ મારી ચુક્યો છું, તારે કશું  નવું કરવાનું નથી. તારે તો માત્ર મેં જે કાર્ય કર્યું છે એના માટે સાહસ કરવાનું છે. લોકોનો સંહાર કરનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો કાળ હું છું. લોકોને સંહાર કરવા પ્રવર્તેલો હું છું. આ શત્રુઓની સેનામાં જે શત્રુઓ ઉભા છે ને તે સર્વે તારા સિવાય, તું યુદ્ધ ન કરી શક તો પણ બચશે નહીં, એટલું તું બરાબર સમજી લે.’ પોતાના વિરાટ રૂપની સાથે પોતાની વિરાટ શક્તિનું વર્ણન ભગવાન કરી રહ્યા છે.

કાળનું સામર્થ્ય કેટલું છે, એ સામર્થ્ય વર્ણવવા માટે ભગવાન પોતાની વાત પોતાના દ્વારા કરી રહ્યા છે. અહીં ભગવાન એવો અંગુલી નિર્દેશ કરે છે કે સર્જનહાર તરીકે હું પોતે હણવા નીકળેલું  વ્યક્તિત્વ છું. શ્રીમદ ભગવદ ગીતા સંજીવનીનામના ભાષ્યમાં એક સુંદર વાત કાળના સામર્થ્ય અંગે કરવામાં આવી છે… પંપા સરોવરમાં સ્નાન કરતી વખતે ભગવાન રામે સરોવરની બાજુમાં એક સ્થળે પોતાન ધનુષ્ય વગેરે દાટી રાખ્યા. સ્નાન કર્યા પછી લક્ષ્મણે ધનુષ્ય આદિ બહાર કાઢ્યા ત્યારે તે લોહીથી ખરડાયેલા હતા. આ જોઈને ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, જરૂર કોઈ જીવ માર્યો ગયો હશે.’  શ્રી લક્ષ્મણે થોડી માટી ખોદી જોયું તો એક મોટો દેડકો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો. ભગવાન રામે દેડકાને પૂછ્યું, ‘ધનુષ્ય દાટવામાં આવ્યું ત્યારે તેં બૂમ કેમ ન પાડી ? સાપ કરડે છે અથવા કોઈ પણ જાતનો ભય જણાય છે ત્યારે તો તું તત્કાલ મારા નામનો પોકાર કરે છે. તો પછી આ વેળા બિલકુલ શાંત રહેવાનું શું પ્રયોજન ? જો તેં  ચીસ પાડી હોત તો હું તને જરૂર બચાવી લેત.’  દેડકાએ જવાબ આપ્યો તે કાન ખોલીને સાંભળવા જેવો છે, ફાટી આંખે વાંચવા જેવો છે. ‘હે પ્રભુ, સાપ કરડવા આવે કે ભય કે સંકટ સમયે આપને પોકારું એ સ્વાભાવિક છે, કારણકે આપ સમાન બીજો કોઈ રક્ષક નથી. પણ જયારે આપ જ મારવા પ્રવૃત થાઓ ત્યારે સહાય કે રક્ષણ માટે આપને પોકારવાનું શું પ્રયોજન ? કાળ જેનો ગ્રાસ કરવા પ્રવૃત થયો છે, તેનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ?’  આપણે પણ કેટલાય લોકોને માટે એવું કહીએ છીએ કે, હમણાં તો એની સાથે હું વાત કરતો હતો આટલી વારમાં એને શું થયું ? ચપટી વગાડતા જન્મ આપનારો મહાન વ્યક્તિ આપણને ઉઠાવી જનાર પણ બને છે, એ સત્ય અત્યારે અહીં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ રૂપથી દર્શિત થઇ રહ્યું છે.

ભગવાનનું આ વિરાટ રૂપ અને ભગવાનનો  શાબ્દિક પડકાર કે, “ઉભો થા મેં જેને હણ્યાં છે એને તું શોક છોડીને મારવા ઉભો થા, તું જૂજવા માંડ. તું રણે સ્વશત્રુઓને જીતીશ એવી હું તને બાંહેધરી આપું છું.” આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ જયારે થોડો સમય રોકાય છે ત્યારે સંજય બે હાથ જોડીને  એવું બોલે છે કે,  ‘હે ભગવાન હું આપને વિનંતી કરું છું, ફરી ફરીને વંદન કરું છું, હું ડરી ગયો છું એટલે હું નમું છું, હું આપને નમન કરું છું અને હું મારા ગદગદ કંઠે આપને કહેવા માંગુ છું કે બરાબર હું આપની વાતને અનુસરી શકતો નથી,  પરંતુ સમજી શકું છું. સમજવું મારા માટે સરળ છે પણ જયારે અનુસરણની વાત આવે છે તે હું કરી શકતો નથી.’ અર્જુને કહ્યું એ યોગ્ય છે કે, ‘આપના કીર્તનથી જગત અતિ હર્ષિત થાય છે. અને અનુરાગને પણ પ્રાપ્ત થાય છે. ભયભીત થયેલા રાક્ષસો સર્વદિશાઓમાં ભાગે છે અને સઘળા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરે છે. હે મહાત્મન,  બ્રહ્માના પણ આદિ કરતા અને સર્વશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ન કરે ? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસઃ આપ અવિનાશી છો જે વ્યક્ત અને અવ્યક્તથી પર છો. એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને બાબતોથી તમે પર છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી જ આ વિશ્વ પ્રાપ્ત થયું છે. આપ જ વાયુ છો, યમ છો, અગ્નિ છો, વરુણ છો, ચંદ્રમા છો, પ્રજાપતિ બ્રહ્મા છો અને પ્રપિતામહ બ્રહ્માજીના પણ કારણ છો. આપને હજારો વાર નમક્સર હો, નમસ્કાર હો… પુનઃ આપને નમસ્કાર કરું છું અને હું બહુ જ આનંદ પૂર્વક બહુ જ સંતોષપૂર્વક આપને અનુસરવા માટેની મારા જીવની તૈયારી માટે પ્રવૃત થઇ રહ્યો છું.’

“આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો.”

“આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો.”

આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે.’

ભદ્રાયુ વછરાજાની                                (43)                      bhadrayu2@gmail.com 

અગિયારમો અધ્યાય વિરાટ રૂપ દર્શનનો અધ્યાય છે અને આપણે જોયું કે શ્રી અર્જુનની વિનંતીને લઈને આ વિશ્વરૂપ દર્શન મહાનાયક યોગેશ્વર કરાવી રહ્યા છે. વિચારવાનું એ છે કે, ત્રણ કાળમાં અને ત્રણ સ્થળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે અને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જ જોવાનો મળે અને પરમેશ્વરના તે રૂપનું  દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે અને એ ઇચ્છામાંથી આ અગિયારમો પ્રગટ થયો છે. 

ભગવાન આપણને ઈચ્છા, અપેક્ષા, કામ, વાસનાથી દૂર રહેવાનું કહે છે પણ તેઓ અર્જુનની એક સદ્ ઈચ્છાને અહીં માન આપીને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો એમ ભાષ્યકારો કહે છે. આ આખી વાત આપણને જાણવા, સમજવા, જોવા મળી એ સંજયને લઈને.. કારણકે સંજય પાસે અગાઉથી દિવ્ય દ્રષ્ટિ હતી અને સંજયનું  પોતાનું કાર્ય ધૃતરાષ્ટ્રને રણમેદાનમાં શું બની રહ્યું છે, કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેનું જીવંત પ્રસારણથી માહિતી આપવાનું  છે, જે ખરેખર ધૃતરાષ્ટ્રની સાથે આપણને સૌને પણ લાભાન્વિત કરે છે. સંજયે વાત કરી કે કેવા પ્રકારનું સ્વરૂપ ઘડાઈ રહ્યું છે, પણ સાથે સાથે એમણે  એવું પણ કહ્યું કે આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે. સંજય કહે છે કે, પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક પ્રકારે વિભક્ત થયેલા સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થાન પર સ્થિત થયેલું જોયું છે. અનંત ભાતનું વિશ્વ આખુંયે એક ભાગમાં દેવાધિદેવના દેહે અર્જુને જોયું તે  સંજય કહે છે, 

પછી અર્જુન આશ્ચર્યે હર્ષ, રોમાન્ચ ગાત્રથી

દેવને હાથ જોડીને નમાવી શિરને વદ્યો

આ સ્વરૂપ જોયા પછી આશ્ચર્યચકિત થયેલો, રોમાંચિત થયેલો અર્જુન શ્રદ્ધા ભક્તિ સાથે વિશ્વરૂપ દેવને પોતાનું  મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે અને હાથ જોડીને ઉભો રહીને બોલે છે,,,  

હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવતાઓને તથા અનેક પ્રકારના પ્રાણીઓના સમુદાયોને અને કમળ જેવા આસાન પર સ્થિત સૃષ્ટિના સ્વામી બ્રહ્માજીને, ઋષિઓને, દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.’ 

હે વિશ્વેશ્વર, હું આપને અનેક બાહુ, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા બધી બાજુથી અનંતરૂપોવાળા જોઉં છું.’ 

હે વિશ્વરૂપ, હું ન આપના અંતને જોઉં છું અને ન મધ્યને અને ન આદિને. હું આપને મુગટધારી, ગદાધારી, ચક્રધારી તથા બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્ય જેવા પ્રકાશમય જોવામાં બહુ કઠિન અને અપ્રમેય સ્વરૂપ બધી બાજુથી જોઉં છું.’ 

અર્જુન ગદગદ થઈ રહ્યો છે. અર્જુન પોતાના શબ્દો શોધી રહ્યો છે. અને એ શબ્દો શોધીને તે ભગવાનના સ્વરૂપનું આપણને વર્ણન કરી રહ્યો છે. 

આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો એવું મને લાગે છે. હું આપને આદિ, અંત અને મધ્યરહિત તથા અનંત સામર્થ્યથી ભરેલા અનંત બાહુઓવાળા તથા  સૂર્ય, ચંદ્ર રૂપી નેત્રોવાળા અને પ્રજવલ્લિત  અગ્નિમય મુખવાળા તથા પોતાના તેજથી આ વિશ્વને તપાવતા હોય તેવા આપને હું જોઈ રહ્યો છું.’ 

હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની મધ્યનું આ આકાશ તથા સમગ્ર દિશાઓ એક માત્ર આપથી જ વ્યાપ્ત છે. આપના આ અદભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક ભયભીત થઈ ગયા છે.’ 

વીસમાં શ્લોકમાં જે વાત અર્જુન કહે છે તે જ વાતને શ્રી વિનોબા ભાવે, વિનોબાજી જરા જુદી રીતે કહે છે. તેઓ એમ કહે છે કે,  ‘ભગવાનના દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે, આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને જાજુ ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે રૂડું, રૂપાળું, નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી, પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે એનો એક કકડો છે અને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે, તેવું મને જરાય લાગતું નથી.’ 

વિનોબાજી આપણને સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે,  જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરો પૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં માટીના એકાદ કણમાં પણ છે અને જરાય ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે એક ટીપામાં પણ છે. અમૂર્તનું નાનું સ્વરૂપ ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે.’  અને પરિણામે વિનોબાજી સતત સતત કહે છે કે,  મને વિરાટરૂપ જોવામાં રસ પડે છે એના કરતા એના સૂક્ષ્મ એક કણ કે એક બિંદુમાં રૂપ જોવાનું વધુ ગમે છે. હર એક ચીજની સાથે પરમેશ્વરનો સબંધ બાંધવાનો છે. મારામાં પરમેશ્વર છે તે પેલી વસ્તુમાં છે. આવો સબંધ વધારવો તેનું નામ આનંદ. આનંદની બીજી ઉત્પત્તિ જ નથી. પ્રેમનો સબંધ બધે બાંધવા લાગીએ અને પછી જોઈએ કે, શું થાય છે પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુ વેણુમાં પણ દેખાશે. 

એક વખત આ દ્રષ્ટિ કેળવાય પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળગણ  પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જવી જોઈએ અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હર એક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ  નજરે નહીં પડે. વિનોબાજી અર્જુનથી સાવ બીજા છેડા  ઉપર રહીને આપણને કહે છે કે, ‘અર્જુને વિરાટ સ્વરૂપ માટે ભલે પ્રાર્થના કરી ને એણે જોયું, પણ હું અને તમે તો આખું વિરાટ સ્વરૂપ જોઈ શકીએ એવી આપણી શક્તિ જ નથી.’ સ્વામી સચ્ચિદાનંદજી તો એવું પણ કહે છે કે વિરાટ સ્વરૂપ જોવા જઈએ તો આપણે તો ભયભીત થઈ ઉઠીએ. એટલે આપણે તો અર્જુનની દિવ્ય દ્રષ્ટિથી જોવાયેલું અને સંજયની દિવ્ય દ્રષ્ટિથી વર્ણવાયેલું જે વિશ્વરૂપ દર્શન છે એને જ માન્ય ગણીને આગળ વધવાનું  છે. એના જ દર્શનથી સંતૃપ્ત થવાનું છે. 

ત્રણેય લોક ભયભીત છે એવું વીસમાં શ્લોકમાં કહેવામાં આવ્યું એ વાત સંદર્ભે  સ્વામીશ્રી સચ્ચિદાનંદજી પણ કહે છે કે,  આ સ્વરૂપ જાણ્યા પછી તો ત્રણેય લોકની અંદર એક ભય પ્રાપ્ત થયો છે કે આપણે જેને ભગવાન કૃષ્ણ કહીએ છીએ એનું આ વિરાટ સ્વરૂપ ? આવું ? એટલે અર્જુન કહે છે કે, સમસ્ત દેવતાના સમૂહો આપમાં જ પ્રવેશ કરી રહ્યા છે. અને બીજા કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમુદાયો ‘કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ’ એમ કહીને ઉત્તમ સ્તોત્રો  દ્વારા આપની સ્તુતિ કરે છે. અનેક દિવ્ય સમુદાયો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે. 

એક પછી એક અર્જુન વિષરૂપ દર્શન કરતો જાય છે અને તેની સ્તુતિ કરતો જાય છે. અર્જુનની સ્થિતિ મોં ખોલતા પતાસું મળ્યા જેવી થઈ ગઈ છે.

જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ??

જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ??

હે ઈશ્વર, જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો.

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

                                          (42)                                                   

આ અગાઉ દસમા અધ્યાયમાં આપણને સમજાયું છે કે ,

‘પહેલાં સહેજે વર્તાઈ આવે એવો મોટો,,,પછી નાનો,,પહેલાં સાદો ને પછી ભેગવાળો,,,, એમ સર્વ વસ્તુઓમાં રહેલા પરમાત્માને જોવો,,તેનો સાક્ષાત્કાર કરવો,,, રાત અને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતા શીખવું.’

શ્રીમદ ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપદર્શનયોગ,  સહજતાથી તેને વિરાટદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘હે ઈશ્વર, તમારું  પેલું સંપૂર્ણ રૂપ જોઉં એમ મને થાય છે. જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો,’ આમ અર્જુને વિશ્વરૂપદર્શનની માંગણી કરી. 

આપણું જગત એ વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. વિશ્વ સાથે સરખાવીને જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારું આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે, એમ જણાશે. આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે અને સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે,,આપણને ભલે તે વિશાળ લાગે. જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ?? 

અહીં કુલ પંચાવન શ્લોકો છે, જેમાં ભગવાન, અર્જુન અને સંજય એમ ત્રિપદીમાં સંવાદ ચાલે  છે. જેમાં શ્રી ભગવાન તો કેવળ દસ જ શ્લોક બોલ્યા છે. સંજયે દુભાષિયા પણું નીભવવા આઠ જ શ્લોકનો ઉપયોગ કર્યો છે, જયારે બાકીના સાડત્રીસ શ્લોક તો અર્જુન જ બોલે છે !! ભગવાનના વિરાટદર્શનમાં શું શું જોવું છે તેની કલ્પના કરીને અર્જુન ભગવાનને કહે છે કે, મારે તમારું  આ અને પેલું અને તે અને અન્ય એવું રૂપ જોવું છે.

અહીં યાદ રાખીએ કે ભગવાન સમક્ષ માંગણી કરી ત્યારે શ્રી ભગવાન પોતાનું વિરાટદર્શન કરાવવા તૈયાર થાય છે.

પહેલા ચાર  શ્લોકોમાં અર્જુન કહે છે ::

મારા અનુગ્રહ અર્થે જે તમે આધ્યત્મજ્ઞાનનું 

પરં ગૂઢ઼ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો…1     

ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા,

તેમ અક્ષય માહાત્મ્ય, તમારા મુખથી પ્રભુ !….2

નિજને વર્ણવો જેમ, તેવું જ, પરમેશ્વર !

ઈશ્વરી રૂપ જોવાને ઈચ્છું છું, પુરુષોત્તમ ! ….3

મારે તે રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !

તો, યોગેશ્વર, દેખાડો નિજ અવ્યય રૂપ તે…..4

એક અધિકારી શિષ્ય તરીકે અર્જુન સૌ પ્રથમ  પોતાને શો લાભ અત્યાર સુધી થયો  છે તે કહે છે અને પછી હળવેકથી વિનયપૂર્વક કહે છે કે, ‘જો આપને  યોગ્ય લાગે તો મને આપનું  અવ્યય રૂપ દેખાડો.’ દસ અધ્યાય સુધીમાં અર્જુન હવે નક્કી કરી શક્યો છે કે, યુદ્ધ તો લડવું પડશે અને મને આના માટે  મારો સખા અને હાલનો મારો સારથી સલાહ આપે છે તે ભારે સક્ષમ વ્યક્તિત્વ તો છે જ..

ભગવાન વાતમાં થોડું મોણ નાખતાં આરંભે કહે છે કે,”મારા તો સેંકડો ને હજારો રૂપ છે. મારા રૂપના ઘણા પ્રકાર છે, આકાર છે અને વર્ણ પણ છે. અરે એમાં ઘણા આશ્ચર્યો પણ છે. તને ખ્યાલ છે કે મારા દેહમાં આજે અહીં એકસાથે સમગ્ર સચરાચર જગત આખું હાજર છે, પણ હા,,,એક શરત છે…” 

મને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું 

દિવ્ય દૃષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ…8

ભગવાને શરત એવી રીતે મૂકી કે અર્જુને તે સ્વીકારી એમ પણ ભગવાને માની લીધું. જો કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ વિરાટ રૂપને સર્વ દ્રશ્ય બનાવવા ઇચ્છતા ન હતા, એ લાભ તો કેવળ અને કેવળ સ્વયં સખા અર્જુનને જ મળે તે માટે તેઓએ અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ આપી. સંજય પાસે તો પહેલેથી દિવ્ય દ્રષ્ટિ હતી જ. એટલે એ રીતે ભગવાનનાં  વિશ્વરૂપદર્શનનો સીધો લાભ અર્જુન અને સંજયને મળ્યો અને બાકી સૌને સંજયવાણીથી મળ્યો. 

શ્રી વ્યાસજીએ અહીં જાણી જોઈને દિવ્ય દ્રષ્ટિવાળું ત્રીજું પાત્ર હાજર રાખ્યું છે. કારણ સંજય ધૃતરાષ્ટ્રને લાઈવ કોમેન્ટરી આપી રહ્યો છે અને તેના દ્વારા વ્યાસજી આપણને પણ વિરાટદર્શનથી લાભાન્વિત કરે છે. દિવ્ય ચક્ષુ આપ્યા પછીના છ શ્લોકમાં સંજય મારફતે આપણને ભગવાનના વિરાટ રૂપનું મોટું મોટું વર્ણન સાંભળવા મળે છે. સંજય આરંભે જ બે શબ્દો ઉચ્ચારે છે તેની આપણે નોંધ લેવી જોઈએ. મહાયોગેશ્વર અને ઈશ્વરી રૂપ. એટલે કે આ હવે કેવળ કૃષ્ણ નથી, પરંતુ એ મહાયોગેશ્વર છે અને તેનું રૂપ કોઈ રીતે સામાન્ય નથી પરંતુ એ ઈશ્વરી રૂપ છે. વળી, અર્જુનને પોતાના પક્ષના નામ પાર્થથી અહીં ઉચ્ચારાયો છે. સંજય કહે છે, “તેઓને ઘણા મોઢા છે, ઘણી આંખો છે, ઘણું અદભુત રૂપ છે. તેમણે  દિવ્ય આભૂષણો પહેર્યા છે તો કેટલાય  દિવ્ય આયુધોથી તેઓ સજ્જ છે. દિવ્ય માળા -વસ્ત્રો ધારણ કરેલ  છે અને દિવ્ય ગંધની અર્ચા ઓથી સૌને આશ્ચ્ર્યમાં મૂકી દે તેવું વિશ્વવ્યાપક દેવનું પૂર્ણ સવરૂપ પાર્થની  સમક્ષ છે, મહારાજ.”

મોકો કહા ઢૂંઢે રે બંદે, મૈં  તો તેરે પાસ મેં

મોકો કહા ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં

ભગવાન શ્રીકૃષ્ણએ અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે. 

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

(41)

વિનોબાજી દસમા અધ્યાયને વધુ સ્પષ્ટ કરતા કરતા આપણને કેટલાક પગથિયાં આપે છે. માણસમાં રહેલો પરમેશ્વર કેવો છે અને એને કેમ ઓળખી શકાય ?  તેઓ બહુ જ સુંદર મજાના ઉદાહરણથી આ વાત આપણને સમજાવે છે. મા શબ્દથી  ચડિયાતો બીજો શબ્દ ક્યાં છે ? મા એ સહેજે ઓળખાઈ આવે એવો પહેલો અક્ષર છે. મા, બાપ, ગુરુ અને સંતોમાં પરમેશ્વરને જુઓ. તેવી જ રીતે નાનાં બાળકોમાં પણ પરમેશ્વર જોતાં આવડી જાય તો કેવું મજાનું ! ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, સનક, સનંદન, સનકુમાર, બધાંયે નાનાં નાનાં બાળક હતાં. પણ પુરાણકારોને અને વ્યાસજી વગેરેને એમને ક્યાં મૂકીએ ને ક્યાં ન મૂકીએ એવું થયા કરે છે. શુકદેવ અને શંકરાચાર્ય બાળપણથી વિરક્ત હતા. જ્ઞાનદેવ પણ તેવા જ હતા. એ બધાંયે બાળકો. પણ તેમનામાં જે શુદ્ધ સ્વરૂપે પરમેશ્વરનો અવતાર થયો છે તેવો  શુદ્ધ સ્વરૂપે તે બીજે પ્રગટ થયો નથી.

ઈશુને બાળકોનું ખૂબ ખેંચાણ હતું. એક વખતે તેમના એક શિષ્યે તેમને પૂછ્યું, “તમે હંમેશ ઈશ્વરના રાજ્યની વાતો કરો છો. એ ઈશ્વરના રાજયમાં પ્રવેશ કોને મળશે?” પાસે જ એક છોકરું હતું. ઈશુએ તેને મેજ પર ઊભું રાખીને કહ્યું. “આ બાળકના જેવા જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે.” ઈશુએ જે કહ્યું છે તે સત્ય છે.

રામદાસ સ્વામી એક વખત બાળકો સાથે રમતા હતા. છોકરાંઓની સાથે સમર્થને રમતા જોઈ કેટલાક પીઢ લોકોને નવાઈ લાગી. તેમાંના એકે તેમને પૂછયું, “અરે, આજે આપ આ શું કરો છો ?સમર્થે કહ્યું, “ઉંમરે જે છોકરા જેવા હતા તે મોટા થઈ ગયા અને જે ઉંમરે જે મોટા હતા તે ચોર થઈને રહ્યા.” ઉંમર વધે છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે, પછી ઇશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે. બાળકને શીખવાય છે કે, “જૂઠું ન બોલવું.” તે સામો પૂછે છે, “જૂઠું બોલવું એટલે શું કહેવું ?” પછી તેને સિદ્ધાંત સમજાવવામાં આવે છે, “જેવું હોય તેવું કહેવું.” તે બાળકને બિચારાને મૂંઝવણ થાય છે. જેવું હોય તેવું કહેવાની રીત કરતા બીજી પણ કોઈ રીત છે કે શું? જેવું ન હોય તેવું કહેવું કેવી રીતે? ચોરસને ચોરસ કહેજે, ગોળ ન કહીશ એવું શીખવવા જેવી એ વાત થઈ. બાળકને નવાઈ થાય છે. બાળકો વિશુદ્ધ પરમેશ્વરની મૂર્તિ છે, મોટાં માણસો તેમને ખોટું શિક્ષણ આપે છે. ટૂંકમાં, મા, બાપ, ગુરુ, સંતો, બાળકો એ બધાંમાં આપણને પરમેશ્વર જોતાં ન આવડ્યું તો પછી તે ક્યા રૂપમાં દેખાશે ? પરમેશ્વરનાં ચડિયાતાં સ્વરૂપો બીજાં નથી. પરમેશ્વરનાં આ સાદા, સૌમ્ય રૂપો પહેલાં શીખવાં. એ બધે ઠેકાણે પરમેશ્વર નજરે તરી આવે એવા મોટા અક્ષરે લખેલો છે.

પછીની વાતમાં કહે છે સૃષ્ટિમાં રહેલો પરમેશ્વર જુઓ. સૃષ્ટિમાં છેક પહેલી ઉષા અને સૂર્યોદયની આગળ પ્રગટ થનારી એ દિવ્ય પ્રભાથી વિનોબાજી સૃષ્ટિમાં પરમેશ્વરને જોવાની શરૂઆત કરે છે. આપણને વૈદિક ઋષિએ કહ્યું હતું કે, પરમેશ્વરનો સંદેશો લઈને આવનારી એવી જે તું, તને જોઈને પરમેશ્વરરૂપ મારે ગળે ન ઉતરે તો તારું રૂપ મને ન સમજાય તો પરમેશ્વરને બીજું કોણ મને સમજાવી શકવાનું હતું ?  આવું સુંદર રૂપ ધારણ કરતી ઉષા ત્યાં ખડી છે પણ આપણી દ્રષ્ટિ ત્યાં જાય તો પરમેશ્વર દેખાય ?!?  ત્યાર પછી સૂર્ય માટેની વાત, ત્યાર પછી પાવની ગંગામાં ઈશ્વરને જોવાની વાત, પેલા વાયરાઓમાં દેખાતો અને સતત હાજર રહેતો ઈશ્વર જોવાની વાત, વેદના અગ્નિની ઉપાસનામાં ઈશ્વરને જોવાની વાત, અગ્નિને નારાયણ તરીકે સ્વીકારવાની વાત.. આમ ધીરે ધીરે કરતા એકોએક સૃષ્ટિના તત્વોમાં આપણને  ઈશ્વર દેખાવો જોઈએ.

વિનોબાજી પછી પ્રાણીઓમાં રહેલા ઈશ્વરની વાત કરે છે. આપણું કામકાજ કરનારા પેલા ઢોર, પેલી ગાય કેટલી બધી વત્સલ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાના વાછરડાને સારું બબ્બે બબ્બે ત્રણ ત્રણ માઈલથી સીમમાંથી અને વગડામાંથી તે દોડતી આવે છે. એવી જ નદીઓ ચાલતી જાય છે. ઋષિ નદીને કહે છે, હે દેવી દૂધના જેવું પવિત્ર પાવનને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી જેમ વનમાં રહેવાતું નથી તેમ તમે નદીઓ પણ ડુંગરોમાં રહી શકતી નથી. તમે કુદકા મારતી તરસ્યા બાળકોને મળવા આવો છો. વત્સલ ગાયને રૂપે ભગવાન આપણા આંગણામાં ઉભો છે. પેલો ઘોડો કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર. આ ઘોડામાં આપણે ઈશ્વરને જોયો છે ? અને હા સિંહ.,સિંહ એટલે આપણને હજુ પણ આશ્ચર્ય પમાડે એવું એ પ્રાણી છે. સિંહ એ પરમેશ્વરની પાવન વિભૂતિ છે એવું લાગે તેવું પ્રાણી છે. એંડ્રૉક્લિસ અને સિંહની વાત વિનોબાજી કહે છે મેં બચપણમાં વાંચેલી. કેવી મજાની વાર્તા છે. તે ભૂખ્યો સિંહ એંડ્રોકલીસના પહેલાના ઉપકાર યાદ કરીને  તેનો દોસ્ત બની જાય છે અને તેના પગ ચાટવા માંડે છે. આ શું છે ? એંડ્રોકલીસે સિંહમાં પરમેશ્વરને જોયો હતો. શંકરની પાસે સિંહ હંમેશા હોય છે. સિંહ ભગવાનની દિવ્ય વિભૂતિ છે. અને વાઘની શું મજા ઓછી છે ? તેનામાં ઘણું ઈશ્વરી તેજ પ્રગટ થયું છે. આમ કરતા કરતા વિનોબાજી સાપની સાથે આપણી દોસ્તી કરાવે છે અને છેલ્લે તો થાકી હારીને એમ કહે છે કે, આવી કેટલી વાત તમને ગણાવું. રામાયણનો  આખો સાર આવી જાતની રમણીય કલ્પનાઓમાં સમાયેલો છે. રામાયણમાં પિતા પુત્રનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બધું છે. રામની વાનરો સાથેની દોસ્તી થઇ એટલા ખાતર  આપણે નાના નાના જીવના પરિચયમાં આવ્યા અને આપણને ખ્યાલ આવ્યો કે પ્રત્યેક જીવમાં ભગવાન બેઠા છે.

એક વિચિત્ર શીર્ષક બાંધીને વિનોબાજી કહે છે કે, દુર્જનમાં પણ પરમેશ્વરનું દર્શન કરવું. સૃષ્ટિના વિવિધ રૂપો તો ખરા. પણ સાથે સાથે અર્થ એવો રાખવાનો કે દુર્જન વ્યક્તિ છે,  ડાકુઓની સરદાર છે, ક્રૂર છે, હિંસક લોકો છે, ઠગ છે, દુષ્ટ છે, ચોર છે પણ ના, બધાય બ્રહ્મ છે. વેદમાં કહ્યું કે,

નમો નમઃ સ્તેનાનં પતયે નમો નમઃ 

નમઃ પુંજિષ્ઠયેભ્યો નમો નિષાદેભય

બ્રહ્મ દાશા બ્રહ્મ દાસા બ્રહ્મેમે કિતવા

સૌને નમસ્કાર કરો. એનો અર્થ એટલો કે સહેલા અક્ષરો પચાવ્યા, તેમ અઘરા અક્ષરો પણ પચાવવાના,. સ્થૂળ અને સૂક્ષ્મ, સાદું અને ભેગવાળું, સહેલા અક્ષરો અને જોડાક્ષરો ઓળખતા શીખવાના,.છેવટે પરમેશ્વર વગરનું એક પણ સ્થળ નથી તેની આપણે પાકેપાકી અનુભૂત થાય ત્યાં સુધી બધું આત્મસાત કરતા રહેવાનું. સૌની એક સરખી રીતે સંભાળી રાખનારો  કૃપાળુ, જ્ઞાન વત્સલ, જ્ઞાન મૂર્તિ, સમર્થ, પાવન, સુંદર એવો પરમાત્મા સર્વેની આસપાસ સર્વત્ર ઉભો છે. એવો સાર આ દસમા અધ્યાયમાં આપણી સમક્ષ છે. ભગવાન શ્રીકૃષ્ણએ  અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે.  આપણને ઈશ્વર એ કહેવા માંગે છે કે, હું ક્યાં નથી ? તમે શોધ શોધ ન કરો. મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. ક્યાં છે ઈશ્વર ? બધે જ ઈશ્વર છે.

“અક્ષરોમાં આકાર હું છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું,,,,”

“અક્ષરોમાં આકાર હું છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું,,,,”

હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા.’

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com

                                              (40)

ભગવાન શ્રી કૃષ્ણ જયારે એમ કહે છે કે,  ‘મુજ વાસુદેવમાં તેઓ નિરંતર રમ્યા કરે છે’, ત્યારે તે યાદીમાં તેઓ આટલા વ્યક્તિત્વોને જોડે છે:

૧) નિરંતર મારામાં મન પરોવી રાખનારા

૨) મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો

૩) મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા

૪) ગુણ અને પ્રભાવ સહિત મારું કથન નિત્ય, નિરંતર સંતોષી રહેનારા છે એ સદાય મારામાં જ રહે  છે.

ભગવાન કહે છે કે, “નિરંતર  મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા હોય અને પ્રેમથી ભજનારા હોય એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું કે જેનાથી એ ભક્તો મને જ પામે છે. તમે જો પૂર્ણ રીતે સમર્પિત થાઓ તો ઈશ્વર પણ પૂર્ણરૂપે તમારી પાસે આવી વસે છે.” ભગવાન કહે છે કે,  “હે અર્જુન, મેં હમણાં વર્ણવ્યા તે અનુગ્રહ કરવા માટે એમના અંત:કરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનથી જન્મ થયેલા અંધકારને ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દિપક દ્વારા નષ્ટ કરવાની જવાબદારી લઉં છું.” અર્જુન બોલ્યા કે, ‘ભગવાન આપની બધી વાત સાચી છે. હું સંમત છું. આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમપવિત્ર છો, કારણ કે આપને બધા જ ઋષિજનો, સનાતન દિવ્ય પુરુષો, દેવોના આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે, એવું જ દેવર્ષિ નારદ, અસિત, દેવલઋષિ મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને આપે મને પણ કહ્યું છે તો હવે હે કેશવ,  મને આપ જે કંઈ  કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા. આપ કહો છો તે શબ્દો  બધા બરાબર છે પણ આપ કેટલી લીલા કરો છો અને લીલામય સ્વરૂપ શું છે તે કોઈ જાણતું નથી. તેથી હે સર્વના સર્જનહાર, હે સર્વભૂતોનાં ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરષોતમ, આપ પોતે પોતાના વડે પોતાને જાણો છો પણ આપ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણ કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ સકળ લોકોને વ્યાપી રહ્યા છો.’  અર્જુન કહે છે હે યોગેશ્વર,  હું ક્યાં પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું ? આપ ક્યા ક્યા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો આ મને સમજાવો. હે જનાર્દન, પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, મને અસંતોષ રહે છે. આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને જાણે તૃપ્તિ જ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજીયે વધતી જ રહે છે એટલે હે જનાર્દન, આપની આ લીલા સ્વરૂપની અને સમગ્ર વિભુતિતત્વની વાત વર્ણનપૂર્વક મને કહો.’ 

શ્રી ભગવાન કહે છે, “કુરુશ્રેષ્ઠ,  હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું. કારણકે મારા વિસ્તારનો તો અંત જ નથી. કેટલું કહું તને ! કેટલું ન કહું પણ મુખ્ય મુખ્ય વિભૂતિઓ મારી દિવ્ય વિભૂતિઓ છે તેનો ટૂંકમાં સાર આપું.” એ કહે છે કે, તેં  તો નિંદ્રાને ત્યજી છે. એ નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. સર્વભૂતિનો આદિ હું છું, મધ્ય હું છું અને અંત પણ હું જ છું. હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલિ સૂર્ય છું. તથા ૪૯ વાયુદેવતાઓનું તેજ અને નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા હું પોતે છું.”  ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ સ્વરૂપે પોતાનું વર્ણન કરતા જાય છે અને કહે છે કે, “વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓની ચેતના એટલે કે એની જીવન શક્તિ જ હું છું. (આ પ્રાણીમાં આપણે પણ આવી જઈએ.) હું ૧૧ રુદ્રમા શંકર છું. યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું ૮ વસુઓમાં અગ્નિ છું. અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું. પુરોહિતોનો મુખ્ય બૃહસ્પતિ હું છું, તું મને એ રીતે ઓળખ. હે અર્જુન, હું સેનાપતિઓમાં સ્કંદ  અને જળાશયોમાં વિશાળ સમુદ્ર છું.  હું મહર્ષિઓમાં ભૃગુ  અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર ૐકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું.” (આ જપયજ્ઞ શબ્દ આવ્યો એના વિષે એક જ વાક્યમાં એટલું ઉમેરવું પડે કે, કળિયુગની અંદર કોનો મહિમા વધશે ? ત્યારે જવાબમાં કહેવાયું છે કે, કળિયુગમાં નામજપનો એટલે જે જપયજ્ઞનો બરાબર મહિમા વધશે કારણ કે કર્મો દ્વારા, વચન દ્વારા જે નહીં થઇ શકે એ સતત જપ એટલે કે ઈશ્વર સ્મરણથી થઇ શકશે.) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, “બધા વૃક્ષોની વાત કર તો પીપળાનું વૃક્ષ હું છું, દેવર્ષિઓની વાત કર તો નારદમુનિ હું છું. ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિધ્ધો થઇ ગયા એમાં કપિલમુનિ પણ હું છું. તું એમ કહે છે પ્રાણીમાત્રમાં હું વસું  છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચે:શ્ર્વા નામનો અશ્વ હું છું. ગજેન્દ્રો એટલે કે હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યમાં રાજા હું છું, માટે એ રીતે તું મને ઓળખ. હું શસ્ત્રોમાં વજ્ર  અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું. (શાસ્ત્રોક્ત પ્રકારે બરાબર અહીં સમજવું પડશે. ‘શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો હેતુ છે એ કામદેવ હું છું.’ અશાસ્ત્રીય રીતે જો વાસના પૂરી કરવા કામનો ઉપયોગ કરવામાં આવે તો એમાં એ નથી. આ સ્પષ્ટતા ખાસ જાણી લેવા જેવી છે.) સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણદેવતા હું છું. તેમજ પિતૃઓમાં અર્યમા  નામનો પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ હું છું. (નાગ અને સર્પ એ બે પ્રકારની સર્પોની જ જાતિઓ છે.) ભગવાન કહે છે, “કેટલું જાણવું છે તારે.? હું દૈત્યોમાં પ્રહલાદ છું અને ગણના કરનારાઓનો  સમય છું. પશુઓમાં મૃગરાજ સિંહ છું અને પ્રાણીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું, માછલીઓમાં મગર છું અને નદીઓમાં ભાગીરથી ગંગાજી હું છું. હે અર્જુન, આ  બધી જ સૃષ્ટિનો આદિ કહે , અંત કહે કે મધ્ય કહે જે કહે તે બધું હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું. અક્ષરોમાં આકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, અક્ષયકાળ એટલે કે કાળનો ય મહાકાળ અને સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ભરણપોષણ કરનાર કોઈ નથી, પણ  હું છું.”

હું વાસુદેવ છું અને હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું

હું વાસુદેવ છું અને હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું

શ્રીમદ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ તરીકે પ્રસિદ્ધ છે અને તેમાં શ્રી ભગવાનની  એક દિવ્ય વિભૂતિ તરીકે ઓળખાણ થાય છે.

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com

                                            (39) 

આપણે ગીતાના દસમા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગળના નવ અધ્યાય કે જેમાં ગીતાનો અડધો ભાગ સમાયો છે તેને ફરી એકવાર વિહંગાવલોકનથી જાણી લઈએ.

પહેલા અધ્યાયમાં ગીતા મોહ નાશને અર્થે અને સ્વધર્મની પ્રવૃત્તિમાં પ્રેરવાને અર્થે આપણને વાત કરે છે. બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંત કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞ એ બધાનું આપણને દર્શન થાય છે. ત્રીજો, ચોથો અને પાંચમો એ ત્રણ અધ્યાયોમાં કર્મ, વિકર્મ અને અકર્મ બાબતોનો ખુલાસો કર્યો છે. કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરવું તે, વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલે ત્યારે અંદરનું માનસિક કર્મ તેને સહાય કરવા ચાલે વિકર્મ છે. અને કર્મ વિકર્મ બંને એકરૂપ થતા ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય, વાસનાઓ શમી જાય ત્યારે આવે તે અકર્મ દશા છે. અકર્મ દશા એ અંતિમ સાધ્ય છે. આ સ્થિતિને  જ મોક્ષ કહેવામાં આવ્યો છે.. તેથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઇ ગયો છે.

હવે છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન યોગ બતાવી, અભ્યાસ અને વૈરાગ્યનો સાર  આપણને સમજવવામાં આવ્યો છે. સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન આપણને બતાવ્યું છે. વિનોબાજી  સાતમા અધ્યાયને પ્રપત્તિયોગ કહે છે,  તો આઠમાં અધ્યાયને સાતત્ય યોગ કહે છે. તેઓ એવું કહે છે કે,  ક્યાં સુધી સાધના કર્યા કરવી ? એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં, ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ જ રાખવાની છે.

આ સાતત્યયોગની વાત કર્યા પછી નવમા અધ્યાયમાં તદ્દન સાદી છતાં જીવનનો આખો રંગ પલ્ટી નાખનારી વસ્તુ ભગવાને આપી અને એ છે રાજયોગ. જે જે કર્મો ક્ષણે ક્ષણે થયા કરે તે બધાને ઈશ્વરાર્પણ કર,  એમ નવમો અધ્યાય આપણને કહે છે. આ એક જ વાતથી શાસ્ત્ર સાધન બધાએ કર્મો, વિકર્મો બધું ડૂબી જાય છે. અને સર્વ કર્મ સાધના આ સમર્પણ યોગમાં ડૂબી ગઈ. સમર્પણ યોગ એટલે રાજયોગ.

હવે દસમા અધ્યાયની શરૂઆત થાય છે. દસમા અધ્યાયમાં કુલ ૪૨ શ્લોકો છે. અને આ ૪૨ શ્લોકોને આપણે  ત્રણ ભાગમાં અવશ્ય વહેંચી શકીએ.  દસમા અધ્યાયને  વિભૂતિ યોગ કહેવામાં આવ્યો છે.  એમને જો સમજવા માટે સરળ બનાવવું હોય તો આપણે એને ત્રણ ભાગમાં મૂકી શકીએ. પહેલા ભાગની અંદર પરમ પવિત્ર વાણીની વાત થઇ છે. વાણી દ્વારા આપણી ઘણી બધી શંકાઓ સ્પષ્ટ થઇ જાય. ઈશ્વર અહીં આપણને ખાતરી પણ આપે છે કે, આ બધું મેં જાણ્યું છે, સમજ્યું છે અને અનુભવ કર્યો છે, પછી તમને કહું છું.  ભૂતિ, વિભૂતિ અને યોગ એવા ત્રણ નામથી બીજા  ભાગને ઓળખી શકીએ  અને એમાં  મૂળ વ્યાખ્યા આપ્યા પછી આપણને યોગ સુધી લઇ જવાનું કામ આવે  છે. ત્રીજો ભાગ એ વિભૂતિ યોગનો છે જે  ભાગ થોડો વિસ્તૃત છે.  આ ત્રણ ભાગ ૪૨ જેટલા શ્લોકોથી સભર છે. 

શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર ખાતરી આપીને કરે છે કે,  “ હું જે અત્યારે કહું છું તે મારી પરમ વાણી છે,  હું તારો હિતેચ્છુ છું અને તું મારામાં પ્રેમ શ્રદ્ધાભાવ ધરાવે છે એથી તારા હિત માટે મેં જેટલી પહેલા વાત કરી છે તેમાં તને પ્રીતિ લાગી હોય એવું મને દેખાય છે,  તેથી હું ફરીને ટૂંકમાં તને બધી વસ્તુ કહી જાઉં તે તું ધ્યાનથી સાંભળ.”  એટલે કે, આ દસમા અધ્યાયની શરૂઆત આપણને ફરી એકવાર શ્રદ્ધાપૂર્વક પોતાની વાતને માનવા માટે  પ્રેરે છે. ભગવાન ઉમેરે છે કે, “મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌલિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા. કારણ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું એટલે કે એમના જન્મનું કારણ એમની ઉત્પત્તિનું કારણ પણ હું છું. જે મને અજન્મા કહે છે, એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ કહે છે, જે સર્વ લોકોના  મહાન ઈશ્વર તત્વથી મને જાણે છે એ અન્ય બધા માણસોમાં એ જ્ઞાની માણસ છે અને એ સર્વ પાપોથી છૂટી જાય છે. નિશ્ચય  કરવાની શક્તિ,  યથાર્થ જ્ઞાન, ક્ષમા, અસંમૂઢતા, સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ કરવો, સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અને અભય અહિંસા, સમતા, સંતોષ તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ આ પ્રાણીઓના વિવિધ પ્રકારના ભાવ ખરેખર જે દેખાય છે તે મારાથી જ દેખાય છે.” 

“સાત મહર્ષિજનો,  ચાર એમની પણ પૂર્વે થયેલા સનકાદિ અને સ્વંયમભુ આદિ ૧૪ મનુઓ, (આ બધાની વાત આપણા શાસ્ત્રમાં બહુ આવે છે), મારામાં ભાવ રાખનારા આ બધા  મારા સંકલ્પથી જન્મેલા છે. જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે.  એટલે કે મહર્ષિ હોય કે સનકાદિ ઋષિઓ હોય એ બધા ભગવાન કહે છે કે, “ મારે લઈને જન્મેલા લોકો છે. જે માણસ મારી પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિયોગથી ભરપૂર થઇ જાય છે,  એમાં તારે લેશમાત્ર શંકા રાખવાની જરૂર નથી. હું વાસુદેવ છું અને આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રકારે તું  સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા જે બુદ્ધિમાન ભક્તો છે એ મુજ પરમેશ્વરને નિરંતર ભજતાં હોય છે.”

ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી

ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી

સન્યાસ એટલે અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ  અને કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                 (38)

આપણને હંમેશ  એવી મૂંઝવણ હોય છે કે ભગવાન પાસે તો બધું છે, તેને વળી આપણે શું અર્પણ કરી શકીએ ? ભગવાન આપણી મૂંઝવણનો ઉકેલ આપે છે. મનુષ્ય જે કોઈ સ્થૂળ પદાર્થો અર્પણ કરે તેનું વિશ્વપતિને કોઈ મહત્વ નથી ; પરંતુ તે અર્પણ પાછળ રહેલા પ્રેમ અને ભક્તિને જ ઈશ્વર સ્વીકારે છે, પછી ભલે પત્ર, ફળ, ફૂલ, સોનાનું મંદિર કઈ પણ હોય તેનું મહત્વ નથી. ભગવાન બહુ સ્પષ્ટ છે કે, “શુદ્ધ અંત:કરણવાળા ભક્ત ધ્વરા ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવેલી ભેટનો હું સ્વીકાર છું. તેથી હે કુંતી પુત્ર, તમે જે કંઈ કર્મ કરો છો, જે કંઈ કહો છો, જે કંઈ હવન કરો છો, જે કંઈ દાન આપો છો અને જે કંઈ તપ કરો છો, તે બધું તમે મને અર્પણ કરો. તમે આ પ્રમાણે કરશો તો કર્મના બંધનોથી મુક્ત થઇ જશો અને સન્યાસયોગથી સભર અંત:કરણવાળા બનીને તમે પ્રાપ્ત થઇ જશો,” અહીં સન્યાસ શબ્દની ગીતા વ્યાખ્યા સમજી લેવા જેવી છે. સન્યાસ એટલે સંસાર છોડવાનો નથી પણ, (1) અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ કરવાનો છે અને (2) કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ કરવાનો છે.

આ તકે વિનોબાજીએ ટાંકેલ એક પ્રસંગ જાણવા જેવો છે: 

“નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, “આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે.” ગીતામાંનો ‘देशे काले च पात्रे च’  દેશ, કાળ ને પાત્ર જોઈ, એ શ્લોક પણ મે ટાંકી બતાવ્યો. માએ કહ્યું, “જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે.” માના આ ઉત્તરનો જવાબ હજી મને સુઝુયો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત-ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારું  માનવો? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું?”

વિનોબાજીના ગીતા પ્રવચનો તો અદભુત છે એવું આપણે અગાઉ પણ કહી ચુક્યા છીએ, પરંતુ તેઓના કેટલાક અવલોકનો તો કાબિલેદાદ છે. તેઓ કહે છે : થોડું પણ મીઠાશભર્યું .અને પછી ઉમેરે છે : “पत्रं पुष्पं फलं तोयम – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ સવાલ નથી, કઈ ભાવનાથી આપો છો એ મહત્વનું છે. એકવાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસર કહ્યું, “અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરું છે.” તો પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણનું કામ કરું છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, “અઢાર વરસ સુધી બળદ ઘાણીમાં ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ?” યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. જે સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો અનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફેસરે ડંફાશ મારી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ ડંફાશથી કંઈ સત્ય સાબિત થાય છે? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્ત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્ત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.”.

આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાધકને થાય ત્યારે એ સ્વીકારી શકે કે, ઈશ્વર સમસ્ત પ્રાણીઓમાં સમાન છે, ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. જે ભગવાનને ભક્તિપૂર્વક ભજે છે તેઓ ઈશ્વરમાં છે અને ઈશ્વર તેઓમાં છે. શ્રીકૃષ્ણ તો છેક અંતિમ પર જઈને ચોખવટ કરે છે કે, “તે ભલે દુરાચારી રહ્યો હોય, દુષ્ટ અને ઘાતકી હોય, સ્વચ્છંદી અને કંઈ હોય પણ જે ક્ષણે તે ભક્તિપૂર્વક આત્મચિંતન ના માર્ગે પ્રથમ ચરણ મૂકે છે તે જ ક્ષણથી તે સાધુ માનવ યોગ્ય છે.” ભગવાનની આ વાત પર અર્જુન પ્રશ્નાર્થ દર્શાવે છે ત્યારે ફરી સ્પષ્ટતા સાથે ભગવાન આવે છે અને કહે છે કે, હે કુંતી પુત્ર, મને ભજનાર દુરાચારી હોય તો પણ શીઘ્ર ધર્માત્મા બની જાય છે અને તે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. તું મારા વચનમાં શ્રદ્ધા રાખ કારણ કે મારો કોઈ ભક્ત કદી નષ્ટ થતો જ નથી. અરે પાર્થ, સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર કે કોઈ પાપીયોનિ વાળા વ્યક્તિ મને શરણે આવીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે.” અહીં ‘સ્ત્રી’ એટલે ભાવુક પ્રકૃતિના સ્ત્રી જેવા મન વાળા, વૈશ્ય એટલે મનની વૈશ્યવૃત્તિવાળા ( ગણતરીબાજ) અને શુદ્ર એટલે આળસ, નિદ્રા અને પ્રમાદ જેવી મનની વૃતિવાળા. મનની અશુદ્ધિઓ અથવા નબળાઈઓને અહીં સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રા:શબ્દો દ્વારા સૂચિત કરવામાં આવી છે તેવો મત સ્વામીશ્રી ચિન્મયાનંદજીએ ગીતા ભાષ્યમાં દર્શાવેલ છે. 

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે આ અનિત્ય અને સુખરહિત લોકને પ્રાપ્ત થઈને હવે તેણે નિત્ય અને આનંદસ્વરૂપ આત્માની પૂજામાં પ્રવૃત્ત  થવું જોઈએ. અર્જુન ફરી ગૂંચવાયો છે એટલે પૂછી નાખે છે કે, હે મારા પ્રભુ, જયારે મારે યુદ્ધભૂમિમાં શત્રુઓનો સામનો કરવાનો હોય, ત્યારે હું આપની  પૂજા કઈ રીતે કરું ? ભગવાન અર્જુનને તરત આશ્વાસન આપે છે કે, ‘તમે મને પરમ લક્ષ્ય તરીકે સ્વીકારી લેશો ત્યારે તમે મને પ્રાપ્ત થઇ જશો.’ 

કેવળ અર્જુનને નહીં પરંતુ આપણને સારતત્વ કહીને નવમાં અધ્યાયનું સમાપન કરે છે કે, ‘તમે મારા ભક્ત થઇ જાઓ, મારામાં માનવાળા થઇ જાઓ, મારું પૂજન કરવાવાળા બનો અને મને નમસ્કાર કરો. આ રીતે ચિત્તને મારામાં જોડીને મારા પરાયણ થઈને તમે મને જ પ્રાપ્ત થશો.’ આ નવમાં અધ્યાયને રાજવિદ્યા કહેલ છે, તે યથાર્થ છે, કારણ કે જેના પ્રકાશમાં બીજી બધી અપરા વિદ્યા કે વૃતિજ્ઞાન સંભવ છે. મુંડકોપનિષદ તો ત્યાં સુધી કહે છે કે, સર્વવિદ્યાનું અહીં પ્રતિષ્ઠાન થયું છે તેથી એને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.   

સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’

સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’

ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                 (37)

ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો વિશિષ્ટ પરિચય એવી  રીતે આપી રહ્યા છે કે જેથી સખા અર્જુનના મનમાં કોઈપણ  સંશય ન રહે. 

અર્જુનને સ્પષ્ટ કહે છે કે, હું જ સૂર્ય રૂપે તપું  છું, જળ એટલે વર્ષાને ગ્રહણ કરું છું અને પછી વરસાવું છું, હું જ અમૃત અને મૃત્યુ છું અને સત અસત પણ હું જ છું.  અહીં અમૃત એટલે આત્મા અને મૃત્યુ એટલે પરિવર્તન. સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’. એક અર્થ એવો પણ થઇ શકે કે સત એ બાહ્ય વિષય અને અસત  એ મનની વિચાર વૃત્તિ. જો કે, આ બંનેનું જ્ઞાન  પ્રકાશક ચૈતન્ય આત્મા વિના સંભવી ન શકે. 

 શ્રી કૃષ્ણ અહીં પૂરેપૂરી ચોખવટ કરવાના મુડ માં છે એટલે કહે છે કે, ‘ જેમણે વેદોનું ઝીણવટથી સેવન કર્યું છે અને જેમણે સકામ ભાવથી શ્રદ્ધા રાખીને એ સઘળું કર્મ રૂપે આચર્યું છે, તેઓ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે. તો વેદોના અનુષ્ઠાન વડે ભોગોની જેમણે કામના કરેલ છે તેઓ વારંવાર સ્વર્ગમાં જાય છે અને પુણ્યો ખૂટે એટલે સંસારમાં આવતા રહે છે.’ 

કેવળ વ્યાખ્યા આપીને ભગવાન વાત પુરી નથી કરતા પણ  તેઓ ખાતરી  ઉચ્ચારે છે કે, ‘અનન્ય ભાવે મારું  ચિંતન કરતા રહીને જે ભક્ત મારી જ ઉપાસના કરે છે, તેવા ભક્તોના યોગક્ષેમ ની સંપૂર્ણ કાળજી હું લઉ છું.’  અહીં ‘મારું ચિંતન’ એટલે આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. યોગક્ષેમ શબ્દ પણ ગીતાની દ્રષ્ટિએ સમજી લઈએ. યોગ એટલે વધારેમાં વધારે આધ્યાત્મિક શક્તિ અને ક્ષેમ એટલે પરમ આનંદની પ્રાપ્તિ (અધ્યાત્મનું અંતિમ ફળ). સદગુરુ  શ્રી શંકરાચાર્ય જી યોગક્ષેમનો અર્થ આમ કરે છે : અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી તે યોગ અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવું તે ક્ષેમ.સફળતાનાં રહસ્ય માટે હવે ત્રણ ચાવીઓ આપણને મળે છે :(1) સંકલ્પનું સાતત્ય (2) એક નિશ્ચિત લક્ષ્યને માટે પોતાનું સર્વસ્વ અર્પણ  કરવું (3) આત્મસંયમ..  અહીં ભગવાન શ્રીકૃષ્ણ વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ સફળતાની આ ત્રણ ચાવીઓને સમજીને તત્પરતાથી તેનું પાલન કરશે તેણે યોગ અને ક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેને પૂર્ણ  કરવાની જવાબદારી ‘સ્વયં ભગવાન’ સ્વેચ્છાપૂર્વક નિભાવે છે. 

મોક્ષ વિદ્વત્તા પર કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદી-ભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રી ‘હું’ , ‘હું’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દે  છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં “જનક-સુલભા સંવાદ” નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારું  એક સ્ત્રી પાસે જાય છે, એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાનાં ચરણે પકડાવ્યાં છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું  જાય છે. તુલાધાર કહે છે, “ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે.” તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરીને વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું : “મારું આ કર્મ જેટલું થઇ શકે તેટલું હું ધર્મમય કરું છું . જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરું છું. અને માબાપની સેવા કરું છું.” આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.

ભગવાન હવે આશ્વાસન આપે છે કે, શ્રદ્ધાપૂર્વક જે ભક્તો કોઈ અન્ય દેવતાઓને પૂજે છે , તેઓ પણ મને જ અવિધિપૂર્વક  પૂજે છે. પ્રત્યેક મનુષની અભિરુચિ ભિન્ન હોય છે. તેથી વિશ્વના તમામ લોકો એક જ દેવની ઉપાસના કરે તે શારીરિક દ્રષ્ટિથી અશક્ય અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તર્કસંગત જ નથી. ભગવાન આપણને ખાતરી આપે છે કે કોઈ જુદા દેવ પૂજે તો ચિંતા કે દ્વેષ તમે ન કરતા,  કારણ બધા જ યજ્ઞનો સ્વામી હું છું, તેઓ  તત્ત્વત: મને જાણતા નથી તેથી તેઓ સંસારને પ્રાપ્ત થાય છે. એક સરસ વિશ્લેષણ કરી આપીને શ્રીકૃષ્ણ  કહે છે કે,જે દેવતાઓને પૂજે તે દેવતાઓને , પિતૃઓને પૂજે તે પિતૃઓને, ભુતોનું યજન  કરે તે ભૂતોને અને મારું પૂજન કરે તે મને પ્રાપ્ત થાય છે. જગતનો નિયમ છે કે તમે જેવા વિચાર કરો એવા તમે બનો. અહીં પૂજા એટલે સાદા ક્રિયાકાંડ નહીં , તે સમજી લઈએ. પૂજા એ સાધના છે, જેના દ્વારા સંપૂર્ણ વૃત્તિઓને સંગઠિત કરીને તેને ધ્યાનમાં દિવ્ય લક્ષ્ય તરફ વાળવામાં આવે છે. ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે. આમ કરવાથી ભક્ત પોતાના આરાધ્ય સાથે તદ્રુપ થઇ જાય છે એવો અહીં પૂજાનો અર્થ છે. 

ચારેય  વેદો પરમેશ્વર છે, કારણ કે એ જ્ઞાનના ભંડાર છે

ચારેય વેદો પરમેશ્વર છે, કારણ કે એ જ્ઞાનના ભંડાર છે

ૐકારનું સતત રટણ,ચિંતન,મનન કરનારા પાપમુક્ત થઈ  જતા હોય છે, તેથી તે પવિત્ર છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com

                                         (36)

શ્રીમદ ભાગવત ગીતાએ  એવું કહ્યું કે, મહાત્માઓ સતત કીર્તન કરતા રહે એ પ્રભુ સેવાનો એક માર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ પણ છે ? એવો જયારે પ્રશ્ન થયો ત્યારે એક નવી વાત લઈને ભગવત ગીતા આવે છે. કહે છે, ‘જ્ઞાનયજ્ઞ દ્વારા ઈશ્વરનું આહુતિઓ આપીને  યજન કરનારા છે. મારું મુખ પૂરું વિશ્વ છે એટલે કે  કોઈ મુખમાં મને ખવડાવે તો હું ખાઉં છું.’ આ યાજકોએ અગ્નિ મુખને જ મહત્વ આપી દીધું અને યજ્ઞ દ્વારા આહુતિઓ આપવામાં વ્યસ્ત બની ગયા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી યજ્ઞના બધા ઘટકોમાં ઈશ્વર તત્વ કેવી રીતે છે અને ગીતા શું દર્શાવે છે તેની વાત સ્પષ્ટ કરે  છે. દેવનું મુખ માત્ર અગ્નિ ન હતું, એના સિવાય દરિદ્ર મુખ, અનાથ મુખ, વિધવા મુખ, લાચાર મુખ તરફ પણ ધ્યાન જવાની જરૂર હતી. પણ આપણે માણસોએ અગ્નિ સિવાયના આ  બધા મુખને  આહુતિ વિનાના રાખી દીધા. કેટલાય યજ્ઞમાર્ગીઓની શક્તિ અગ્નિ તરફ વળી ગઈ. બધું ભવ્યાતિભવ્ય અગ્નિમાં હોમાતું રહ્યું પણ આપણા જગતમાં ગરીબ. નિર્ધન, કંગાળ તરફ એઠવાડનો કોળિયો પણ ન હોમાયો. પરિણામે દરિદ્રો વિદેશીઓ અને વિધર્મીઓ તરફ વળ્યાં. કારણ કે ત્યાં તેમને કોળિયો  મળતો હતો. કોળિયો એ તો જાણે મોટો ભગવાન મળ્યો. આ બંને માર્ગોની કચાશનો લાભ પેલા કોળિયાવાદીઓને મળ્યો અથવા તો મળી રહ્યો છે.

ભગવાન અહીં પોતાની વિશેષ ઓળખ આપે છે. એ કહે છે, આ જગતનો પિતા હું છું, માતા હું છું, ધાતા હું છું, પિતામહ હું છું, પવિત્ર ૐકાર હું છું, ઋગ્વેદ-યજુર્વેદ- સામવેદ પણ હું જ છું. પરમેશ્વર પોતાનું અસ્તિત્વ બધામાં બતાવે છે. તે એટલી હદે કે તે તે મહત્વની વસ્તુઓ જ પરમેશ્વર છે,એવું કહી દે છે.  પિતાનો પિતા એને પિતામહ કહેવામાં આવ્યો છે. પવિત્ર ૐકાર તત્વ પણ પરમેશ્વર છે, એવું સોળમા શ્લોકમાં કહ્યું છે. પવિત્ર ઓમકારની વ્યાખ્યા માંડુક્ય ઉપનિષદે કરી છે. ચારે વેદ તેનું વ્યાખ્યાન છે તેમાં બધું જ્ઞાન આવી જાય છે. અર્થાત જો ૐ કારને સારી રીતે  જાણવામાં આવે તો બધું જાણી શકાય. ૐકારના જપથી પાપી પણ પાપ મુક્ત થાય છે તેથી તેને પવિત્ર કહ્યો. પાપ જ અપવિત્ર તત્વ છે. પાપમાંથી મુક્ત કરાવે તેને પવિત્ર કહેવાય. ૐકારનું સતત રટણ, ચિંતન, મનન કરનારા પાપ મુક્ત થઇ જતા હોય છે તેથી તેને પવિત્ર કહ્યા છે. ચારેય  વેદો પરમેશ્વર છે,  કારણ કે એ જ્ઞાનના ભંડાર છે. જ્ઞાનબ્રહ્મ છે તેથી આ બધું જ બ્રહ્મમય છે. હજુ ભગવાન પોતાનું વધુ રૂપ બતાવી રહ્યા છે.

નવમાં અધ્યાયના  અઢારમાં શ્લોકમાં પરમેશ્વર એમ કહે છે કે,  ગતિ અને લક્ષ્યપ્રાપ્તિ હું છું, ભર્તા  હું છું, પ્રભુ હું છું, સાક્ષી હું છું, નિવાસ હું છું, શરણ હું છું, સુહૃદ  હું છું, પ્રભુત્વ હું છું,  પ્રલય હું છું, સ્થાન હું છું, નિધાન હું છું, બીજ હું છું અને અવ્યય પણ હું જ છું. આ બધા જ તત્વો પરમેશ્વરની વિશિષ્ટ વિભૂતિઓ છે તેમ માનવાનું અથવા તો તે બધા તત્વો પરમેશ્વરમય છે એમ માનવાનું આપણને કહેવામાં આવ્યું છે. ભગવાનના જુદા જુદા જે રૂપો દેખાડ્યા છે તેની થોડી સમજ આપણે મેળવી લઈએ.

ગતિ એટલે ગમન કરવું. ગતિના ત્રણ પ્રકાર. અધોગતિ, સ્થગતિ અને ઉર્ધ્વગતિ.. અધોગતિ એટલે જળને નીચે વહાવવા પ્રયત્ન ન કરવો પડે. તે આપોઆપ વહે છે. તેમ જીવાત્માને પણ ભોગસુખ તરફ વાળવો નથી પડતો તે આપોઆપ વળી જાય છે તેને અધોગતિ કહ્યું છે. સ્થગતિ એટલે જ્યાં છે ત્યાંને ત્યાં ટકી રહેવું તે સ્થગતિ છે. તેમાં પણ ખાસ મહેનત કરવી ન પડે. જયારે ઉર્ધ્વગતિ જ્યાં છે ત્યાંથી ઉપર ઉર્ધ્વ તરફ જવું તે ઉર્ધ્વગતિ છે. આ પ્રયત્ન સાધ્ય હોય છે, એટલે કે તે આપોઆપ થતું નથી.

ભગવાન કહે છે કે,  ભર્તા  હું છું. ભરે તેને ભર્તા કહેવાય છે. પતિ પત્નીને ભરે છે તેથી પતિને ભર્તા  કહેવામાં આવ્યો છે. પરમેશ્વર ભર્તા  છે બંને રીતે. તે પ્રકૃતિરૂપી પત્નીને સામગ્રીઓથી ભરી દે છે અને બીજ પ્રદાતા હોવાથી પણ તે ભર્તા  છે.

પ્રભુ એટલે સ્વામી શાસક, તે જગતનો શાસક છે, તેથી પ્રભુ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, બ્રહ્માંડ, અણુ અણુ તેના શાસનમાં શિસ્તબદ્ધ વર્તી રહ્યા છે તેથી તે પ્રભુ છે.

સાક્ષી એટલે જોનારું આપણું નાનું અથવા મોટું, ગુપ્ત અથવા જાહેર કશું જ એવું નથી જેનો ઈશ્વર સાક્ષી ન હોય.

નિવાસ એટલે રહેવાની જગ્યા. ગીતા કહે છે કે, ભક્ત માટે ભગવાન નિવાસરૂપ છે, ધામ છે, પરમધામ છે, જ્યાંથી કદી કોઈને જાકારો મળતો નથી.

શરણ એટલે રક્ષણ આપનારું,, રક્ષણ આપી શકે તેવો આશરો. પરમેશ્વર ભક્તો માટે શરણ સ્થળ છે. જેને કોઈનું શરણ ન હોય તે પરમેશ્વરના શરણે રક્ષિત રહી શકે છે.

સુહૃદ એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જેનું હૃદય સારું અને ભલું વિચારે તે. ભક્ત માટે ભગવાન સુહૃદ પણ છે. તે કદી પણ ભક્તનું અહિત ન કરે. ન ઈચ્છતાં પણ  ભલે ભક્ત ભૂલ કરે તો કરે, ભગવાન તો સુહૃદ જ રહે છે.

પ્રભવ એટલે વિશેષ સત્તાવાળો. અહીં અસ્તિત્વનું નામ સત્તા છે.

પ્રલય એટલે લીન થવું અથવા લીન થવાની જગ્યા. અંતમાં બધું ભગવાનમાં જ લીન થવાનું છે.

જ્યાં સ્થિર થવાય તેને સ્થાન કહેવાય. સાધુઓ પરસ્પર મળે છે ત્યારે પૂછે છે આપકા સ્થાન કહા હે ? જેને સ્થાન નથી હોતું તે વિચરતા રહે છે. વિચરતા રહેવાની ત્રણ કક્ષા છે. ૧) ભટકવું રખડવું, ૨) માંગતા ફરવું અને ૩) ભ્રમણ કરવું.

નિધાનમ એટલે નિધિ ખજાનો. ભક્ત માટે ભગવાન નિધિ છે. એવી જ રીતે બીજ એટલે ફરી ફરીને છોડ, વૃક્ષ, ખેતી, બાળક વગેરેને ઉત્પન્ન કરે છે તેવું વીર્ય એ બીજ છે. આ બધું જ કાર્ય એ ઈશ્વર કરી રહ્યા છે.

એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું, એ કીર્તન

એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું, એ કીર્તન

ઈશ્વરની સત્તાના ત્રણ રૂપ છે: ) તે માત્ર નિરંજન નિરાકાર છે, ) તે સગુણ સાકાર જ છે, ) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

                                                      (35)

સૃષ્ટિની ઉત્પત્તિ વિશે અહીં ત્રણ પ્રશ્નો કર્યા છે: ૧) સૃષ્ટિ શામાંથી થઇ ? ૨) ચેતન જીવાત્માઓ ક્યાંથી આવ્યા ? ૩) સૃષ્ટિ કોણે કરી ? ગીતા સૃષ્ટિ ઉત્પત્તિના વિષયને માત્ર ઈશ્વરની ઈચ્છા પર છોડી દેતું નથી. તે વિચાર કરે છે અને આપણને વિચાર કરવાની છૂટ આપે છે. પરમેશ્વર કહે છે કે, મારી દૈવી પ્રકૃતિ અર્થાત ઈશ્વરીય શક્તિમાં વિલીન થઈને રહેલા જીવાત્માઓને યથાયોગ્ય ક્રમપૂર્વક હું પ્રગટ કરું છું. જેમાંથી આ સંપૂર્ણ ભૂતગ્રામ રચના આપોઆપ ઉત્પન થાય છે અને પછી વિલીન થાય છે. એટલે કે પરમેશ્વરે પ્રકૃતિમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો છે. નવમા શ્લોકમાં  કર્મની વાત આવે છે કે આ બધા કર્મો પરમેશ્વરને બાંધતા નથી. કર્મ એટલે બંધન. પછી તે પાપ પુણ્ય ગમે તે હોય, કર્મનું બંધન હોય જ,  તે ન ભોગવો તો જ તે બંધનમાંથી છુટકારો થાય, આવી ધારણા આપણી છે તેને ગીતા નકારી કાઢે છે. કર્મનું બંધન જીવાત્માને હોય,  પરમાત્માને ન હોય. કારણ કે બંધનનું મૂળ રાગ અને  આસક્તિ હોય. પરમેશ્વર ઉદાસીન થઈને કર્મ કરે છે એટલે કે કર્મ, કર્મફળ વગેરે પ્રત્યે કોઈ રાગ તે રાખતો નથી. આપણને ખ્યાલ છે કે આપણો  ડ્રાઈવર ટ્રેન ચલાવતો હોય એમાં કદાચ નાનો મોટો જીવ ઝડપાઇ જાય તો તેની જવાબદારી બનતી નથી. ખેડૂત ખેતી કરે એમાં નાના મોટા જીવો મરી જાય તો તેની જવાબદારી ખેડૂતની થતી નથી. આ સહજ કર્તવ્ય કર્મ છે. ગીતા કહે છે, સૃષ્ટિની રચના એ પરમેશ્વરનું સહજ કર્મ  સ્વયંભૂ આપોઆપ થતું રહે છે. પરમેશ્વરને પરસેવો પાડવો પડતો નથી. તે તો ઉદાસીન જેવો અનાસક્ત થઈને આ કર્મ કરતો રહે છે. તેથી કર્મોના બંધનો તેને થતા નથી. 

પ્રકૃતિ સૃષ્ટિની જનેતા છે, જેના જનક પરમેશ્વર છે. અહીં તેના માટે શ્લોક ૧૦ માં ‘ અધ્યક્ષ’ શબ્દ વાપર્યો છે. જનક અને જનની વિના સૃષ્ટિ રચના થઇ શકે નહીં. તેથી પરમેશ્વર જનક છે અને પ્રકૃતિ જનની છે. અધ્યક્ષ એટલા માટે કે આ બે માં પરમેશ્વર ઉપરી છે. પ્રકૃતિ ઉપરી નથી. જેની સત્તા ચાલે તેને અધ્યક્ષ કહેવાય છે. આપણને ખ્યાલ છે કે, ઈશ્વર હંમેશા સજોડે હોય છે. શિવ – શક્તિ, લક્ષ્મી – નારાયણ વગેરે દંપતીઓ છે. તે સૌને સંદેશો આપે છે કે જીવન તો જોડામાં છે. એકાગી વીતરાગી ને જીવન હોતું નથી. અગિયારમા શ્લોકમાં ઈશ્વરની સત્તા વિશેની વાત કરી છે. અને ઈશ્વરની સત્તાનો સ્વીકાર કર્યા પછી તેના ત્રણ રૂપ દર્શાવ્યા છે. ૧) તે માત્ર નિરંજન નિરાકાર છે, ૨) તે સગુણ સાકાર જ છે ૩) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે. ભગવાન માનવીય દેહધારણ કરીને લોકોને માર્ગદર્શન આપે છે તેવી ધારણા એક યા  બીજી રીતે ઘણા ધર્મોમાં જોવા મળતી હોય છે. એ માન્યતાનો અહીં સ્વીકાર કર્યો છે. 

શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે નહીં માનનારા લોકોને ગીતા થોડો ફિટકાર પણ વરસાવે છે. એમ કહે છે કે આવા જે માનુષી ભગવાનને નથી માનનારા તે ખોટી આશાઓ ધરાવનારા છે, તેથી તે ખોટા કર્મો કરનારા છે, તેમનું જ્ઞાન ખોટું છે. તે ચિત્ત વિકારી થઈને મોહ પમાડનારી રાક્ષસી આસુરી પ્રકૃતિનો આધાર લઈને જીવન જીવતા હોય છે, એવું ગીતા એકધારું આપણને કહી બતાવે છે. તેરમા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જે દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને જીવે છે તે મહાત્મા છે. આવા મહાત્માઓ અનન્ય મનથી શ્રીકૃષ્ણ ભગવાનને અવિનાશી ભગવાન માનીને ભજતાં રહે છે. કેટલાક મહાત્માઓ સતત કીર્તન કરતા રહે છે. કીર્તનનો અર્થ એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું. આવું બોલતા બોલતા ભક્ત ભાવવિભોર અવસ્થાને પ્રાપ્ત થઇ જાય તો નાચવા કૂદવા લાગે તે સહજ વૃત્તિ કહેવાય. 

 આ અંગે નોખી માટીના સંત સ્વામીશ્રી સચ્ચિદાનંદજી કહે છે કે, પછી તો ભાવ હોય કે ન હોય, જોરજોરથી કીર્તન કરવું અને નાચવું કુદવું એ એક રિવાજ થઇ ગયો છે. આને  સાંપ્રદાયિક ચોકઠું કહેવાય, જે તેજહીન થઇ જાય, મૂળ પુરુષ તીવ્ર ત્યાગની અવસ્થામાં વસ્ત્રો ત્યાગી દે તે અવસ્થા કહેવાય. પણ પછી તેનો સંપ્રદાય બનાવી ફરજીયાત વસ્ત્રો ત્યાગી દેવડાવે તેને ચોકઠું કહેવાય. સંપ્રદાયો ચોકઠાં વિનાનાં નથી હોતા. પછી તો તે રિવાજ જ બની જાય છે આવો સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનો સ્પષ્ટ મત છે. કોઈ એક પતિવ્રતા સ્ત્રી તીવ્ર પતિપ્રેમમાં આત્મવિલોપન કરી દે તે તેની અવસ્થા કહેવાય. પણ પછી પ્રત્યેક સ્ત્રીએ આવું જ કરવું જોઈએ તે પ્રથા કે  ચોકઠું કહેવાય. ધર્મ ચોકઠાંથી મુક્ત હોય. સમ્પ્રદાય ચોકઠાંથી યુક્ત હોય. બંનેમાં આટલો ફર્ક સ્વામીશ્રી સચ્ચિદાનંદજી આપણને દર્શાવે છે. આવો ભક્ત સતત કીર્તન કરતો કરતો દ્રઢવ્રતધારી થઈને સાધના કરતો રહે છે. તે વારંવાર ભગવાનને નમસ્કાર કરતો કરતો ભગવાનની નિત્ય સમીપમાં રહીને ઉપાસના કરતો રહે છે.

અશુભોથી છૂટવું તે મોક્ષ છે

અશુભોથી છૂટવું તે મોક્ષ છે

શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય.

ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

                        (34)

શ્રીમદ ભગવત ગીતાના નવમા અધ્યાયની એક વિશેષતા એ છે  કે તેના પ્રારંભમાં જ એક શરત મૂકી છે. જે કોઈની ઈર્ષા ન કરે તેને જ આ રહસ્ય જ્ઞાન પ્રાપ્ત થઇ શકે. તેમાં શબ્દ પ્રયોગ કર્યો છે અસૂયા. અસૂયા શબ્દ ઈર્ષાને મળતો તો છે, પણ થોડો જુદો છે. ઈર્ષા એટલે સ્પર્ધામાં આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષ થવો. પણ અસૂયા એટલે વિરોધીના સદગુણોમાં પણ દોષ દ્રષ્ટિ રાખવી તે. જે વ્યક્તિ ગુણોમાં પણ દોષ જુએ છે તે દોષોમાં તો દોષ જોવાનો જ છે. આ રીતે અસુયાવાળો તો ઈર્ષાળુ કરતા પણ હીન કહેવાય. આવી અસૂયાવૃત્તિ જેમાં નથી તેવા અર્જુનને આ રહસ્યજ્ઞાન પ્રાપ્તિનો અધિકારી માનવામાં આવ્યો છે. તેથી ગુહ્યતમ જ્ઞાનમ વિજ્ઞાન  સહિત આપવાની પ્રસ્તાવના ભગવાન કરે છે. 

સૌથી પહેલા શ્લોકમાં બીજી એક મહત્વની વાત પણ કરી છે કે મોક્ષ એટલે શું ? બહુ ટૂંકમાં કહીએ તો અશુભોથી છૂટવું તે મોક્ષ છે. અહીં જન્મ મરણના ચકકરની વાત કરી નથી. અશુભ એટલે શું ? જેનું પરિણામ દુઃખદાયી હોય તે અશુભ કહેવાય. આનાથી ઉલટું શુભ કહેવાય. જેનું પરિણામ સુખદાયી, કલ્યાણકારી તે શુભ. શુભથી સુખી થાય તો સુખ શાંતિદાયક બની શકે. અશુભથી કદાચ કોઈ સુખી થાય તો પણ તે શાંતિદાયક ન હોય. એટલે સંત પુરુષો કોઈને આશીર્વાદ આપે તો શુભમ ભવતુ એવું બોલે છે, કારણ કે શુભમાંથી જ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, અશુભથી નહીં. 

વિજ્ઞાન  સહિત  જ્ઞાનનો અર્થ થાય છે માત્ર ઉપરછલ્લું જ્ઞાન નહીં પણ જ્ઞાનના આગળ પાછળના ઊંડાણથી વિજ્ઞાન સહિતનું જ્ઞાન,  હે અર્જુન,  હું તને હવે કહી રહ્યો છું. પુરુષના જીવનને  ધન્ય જીવન પાંચ ઐશ્વર્યથી ગણ્યું છે. ધન ઐશ્વર્ય, રૂપ ઐશ્વર્ય, કંઠ ઐશ્વર્ય, મેધા ઐશ્વર્ય અને શ્રદ્ધા ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે જેનાથી પુરુષમાં ઈશ્વરભાવ અથવા તો શ્રેષ્ઠભાવ આવે તે ઐશ્વર્ય, જેમાં ધન વધુ  છે,  માન સન્માન ધનને લઈને બને છે તેને ધન ઐશ્વર્ય કહે છે. જેને રૂપ મળ્યું છે તેને રૂપ ઐશ્વર્ય કહ્યું છે, જેને મધુર કંઠ મળ્યો છે તેને કંઠ ઐશ્વર્ય કહ્યું છે.  જેને પ્રચંડ મેધા પ્રાપ્ત થઇ છે તે મેધા ઐશ્વર્ય છે અને શ્રદ્ધા ઐશ્વર્યમાં શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય. આ પાંચ ઐશ્વર્યોમાંથી જેને પાંચે પાંચ મળેલ  હોય તે તો ધન્ય ધન્ય કહેવાય,  પણ કદાચ પાંચ ન મળ્યા હોય અને એકાદું મળ્યું હોય તો પણ જીવન મૂલ્યવાન થઇ જાય. ગીતા કહે છે કે,  જે શ્રદ્ધા વિનાના છે તે દુર્ભાગી છે,  કારણ કે તે ઐશ્વર્ય વિનાના છે. જેમની પાસે હૃદયનું ઐશ્વર્ય નથી હોતું તેવા પુરુષો આ રાજવિદ્યાને પ્રાપ્ત કરી શકતા નથી,  તેથી ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ તે મૃત્યુ સંસારમાં ભટકતા રહે છે. 

પરમેશ્વર અવ્યક્ત નિરાકાર છે. તેણે જ આ વ્યક્ત થયેલા જગતની રચના કરી છે. તે વિશ્વવ્યાપી છે. નિરાકાર જ વ્યાપક થઇ શકે,  સાકાર હંમેશા એકદેશીય હોય, તે બધે ન હોય.  રાજા રાજધાનીમાં હોય,  પુરા રાજ્યમાં ન હોય.  પુરા રાજ્યમાં તો તેની સત્તા હોય,  તે પોતે ન હોય. પણ તેના નોકરો, તેના નોકરોની આધીનતા સાથેના કેટલાક લોકો અને અમલદારો હોય તો જ રાજ્ય શક્ય બને. પણ નિરાકાર ઈશ્વર સર્વત્ર હોય. તેની  પોતાની સત્તા હોય તેથી તેના નોકરો કે અમલદારોની જરૂર ન રહે,  એવો અવ્યક્ત ઈશ્વર સચરાચર વ્યાપક બધા બ્ર્હ્માંડોનો આધાર બને છે. ઈશ્વરી વ્યાપકતાનું ઉદાહરણ પણ નવમા અધ્યાયના પ્રાથમિક શ્લોકોમાં આપ્યું છે. પરમેશ્વર સૌનો આધાર છે તેવું વારંવાર કહેવાયું છે. તેને ઉદાહરણથી સમજાવીને કહે છે કે,  જેમ અનંત આકાશમા વાયુ વહેતો રહે છે, વાયુમાં ગતિ છે તેથી વહે છે. આકાશમાં ગતિ નથી તેથી સ્થિર છે. આવી જ રીતે પરમેશ્વર અનંત છે, તેનો છેડો નથી,  તેમાં અનંતકોટી બ્રહ્માંડો આવેલા છે, તેમાં બધા જીવાત્માઓ વહેતા રહે છે. 

સૌની પોતપોતાના કાર્યો  પ્રમાણે ગતિ થાય છે. સાતમા શ્લોકમાં જીવાત્માઓનું શું થશે એવો જયારે વિચાર કર્યો ત્યારે વિલીન શબ્દપ્રયોગ કર્યો છે. વિલીન એટલે નષ્ટ થઇ જવું નહીં. જેમ પાણીમાં મીઠું વિલીન થાય તો એ નષ્ટ નથી થયું પણ એ પાણીને ખારું બનાવી દે છે. તેનું  અસ્તિત્વ માત્ર સ્વતંત્ર રીતે દેખાતું નથી,  પણ હોય તો ખરું. આવા  કલ્પ ક્ષય એટલે પ્રલયકાળમાં બધા જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઇ જાય છે. અર્થાત સુષુપ્ત દશામાં રહે છે અને જયારે સૃષ્ટિ રચનાનો કાળ આવે ત્યારે તે બધા પ્રગટ થાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે જીવાત્મા નિત્ય છે. તે ઉત્પન કે નષ્ટ થતા નથી, પણ વિલીન અને પ્રગટ થાય છે.

રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુર મિશ્રણ

રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુર મિશ્રણ

કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવા માટેનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                             (33)

તુકારામજી કહે છે કે, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આપનારો, દામાજીને ખાતર અંત્યજ  બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવા ખાંડવામાં હાથ દેનારો એવો એ ભગવાન સજન કસાઈને પણ એટલા જ પ્રેમથી મદદ કરતો જોવા મળે છે. ટૂંકમાં કૃત્યોનો સબંધ ઈશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નવમા અધ્યાયમાં આ જ વાત ખાસ છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો એ.. કર્મ એવી ખૂબીથી કરવાનું કે ફળની વાસના જ ન વળગે. અખરોટનું ઝાડ રોપવા જેવી આ વાત છે. અખરોટના ઝાડને ૨૫ વર્ષ પછી ફળ આવે. રોપનારને ફળ ચાખવાના ન હોય તો પણ ઝાડ રોપવું અને તેને  પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું અને તેના ફળની અપેક્ષા ન રાખવી તે... તો ભક્તિયોગ એટલે શું ? ભાવથી  ઈશ્વર સાથે  જોડાવું એનું નામ ભક્તિયોગ. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ બંને એકસાથે ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ + ભક્તિયોગનું મધુર મિશ્રણ એવી વ્યાખ્યા વિનોબાજી આપે છે અને તેની સાથે સંમત થયા વગર આપણે રહી શકતા નથી.

એવું માનવાને કારણ નથી કે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણએ જે કઈ કહ્યું તે અર્જુને સમજ્યા વગર સ્વીકારી લીધું છે. અહીં ભક્ત અને ભગવાનનો સબંધ તો છે જ પણ હકીકતમાં કૃષ્ણ અને અર્જુન સખા છે. અને આ સખ્યભાવમાં એ સંશય ઉભો કરીને પ્રશ્ન પૂછી શકે છે કે આવું કેમ છે. નવમા અધ્યાયમાં આવો ઉલ્લેખ આપણને સ્પષ્ટ જોવા મળે છે. જયારે શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે છે કે,  હે પાર્થ હું આત્મસ્વરૂપ છું અને મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ આખું જગત વિસ્તરેલું છે. પરંતુ  મારામાં  સર્વભૂતો છે પરંતુ તેઓમાં હું નથી. આ વાત સાંભળીને અર્જુનને પ્રશ્ન થયો છે અને પ્રશ્નનો જવાબ પણ ભગવાન શ્રીકૃષ્ણએ બરાબર આપ્યો. એક સુર્વણનું ઉદાહરણ પ્રચલિત છે.  જેમ પૃથ્વી વગેરે તમામ વસ્તુઓ આકાશમાં રહેલી છે,  પરંતુ આકાશ તેમાં નથી. જેમ તપાવેલા લાલ લોખંડની અંદર અગ્નિ હોય છે, પણ તે અગ્નિમાં લોખંડનો અંશ હોતો નથી. આ બેય વાતોનો આપણને અનુભવ છે. દાગીનામાંથી તમે સુવર્ણનો અંશ કાઢી લો તો પાછળ શું રહે ? બસ એ જ ન્યાયથી  દાગીનાઓમાં સુર્વણનો અંશ છે પણ સુવર્ણમાં દાગીના નથી, એ જેમ સમજી શકાય છે તેમ મારામાં સર્વભૂતો છે છતાં હું તેનામાં નથી એવા બે વિરોધી વિધાનો ભગવાન કરે છે અને તેને સમજાવવાનો ઈશારો  અર્જુન બહુ સ્પષ્ટ રીતે ઈશ્વરને કરે છે. 

કોઈ એક અંધ વ્યક્તિએ સાંભળ્યું  કે આ ઝાડમાં ભૂત છે અને તે ઘણું ખરાબ છે, બધાને ખાઈ  જાય છે. હવે આ વાત તેમણે બીજાને કહી, બીજાએ ત્રીજાને કહી અને થોડા સમયમાં તો બધા જ અંધ લોકોના કાને વાત પહોંચી ગઈ.  પરિણામે તેઓ ભયભીત થઇ ગયા.  આક્રોશ કરવા લાગ્યા. આ આક્રોશ સાંભળીને એક બુદ્ધિશાળીએ તેને સાંત્વન આપ્યું, ભાઈ,  આમાં ભૂત રહે છે તે તમારામાંથી કોઈએ જોયું છે ? આસપાસમાં એકબીજા બધાને પૂછવા મંડયા અને કહેવા લાગ્યા કે મને તો આમણે કહ્યું, બીજાએ કહ્યું મને તો આ ત્રીજાએ કહ્યું એમ કરતા કરતા જેણે સૌ પહેલા વાત કરી હતી એનો વારો આવ્યો. તેણે  કહ્યું,  મેં જોયું તો નથી કારણ  કે મારે તો આંખ જ નથી. પણ હું સંધ્યાકાળે રોજ આ ઝાડ નીચે વિશ્રાંતિ માટે બેઠો હોઉં તે વખતે કેટલાક છોકરાઓ ‘ જલ્દી નાસો નહીં તો આ ઝાડ નીચે ભૂત બેઠું છે એ બધાને પકડીને ખાઈ જશે’  એમ કહીને દોડવા લાગ્યા. હવે તેમનું સાંભળીને હું  પણ હાંફતા હાંફતા પાછળ પાછળ દોડવા લાગ્યો. પેલા છોકરાઓને એમ લાગ્યું કે ઝાડ નીચે બેઠેલું ભૂત ઉઠ્યું અને આપણી પાછળ દોડી રહ્યું છે. એ લોકો પથરા મારવા મંડયા એટલે હું તો મહામુસીબતે મારી પાછળ પડેલા કહેવાતા ભૂતના પંજામાંથી છટકીને અહીંયા પહોંચી ગયો. અહીં આવીને આ વાત બધાને કહી. આ વાત સાંભળીને અંધ પરંપરા ન્યાય શરૂ થયો. હકીકતમાં ત્યાં ભૂત વગેરે કઈ હતું જ નહીં. પરંતુ છોકરાઓ પેલા ઝાડ નીચે બેઠેલા અંધ વ્યક્તિને જ ભૂત સમજ્યા અને પેલો માણસ બીજું કોઈ ભૂત બેઠું હશે એમ માનીને દોડવા લાગ્યો. વાસ્તવિક રીતે જુઓ તો કોઈએ ભૂત જોયું જ નહોતું,  એટલે ભૂતની વાત સાવ ખોટી હતી એવું જયારે નક્કી થયું ત્યારે સૌનો સંશય દૂર થયો. 

સર્વ જગત શુદ્ધહું ના અશુદ્ધહું રૂપ સ્ફુરણના આધારે મારી અવ્યક્ત પ્રકૃતિ વડે વ્યાપેલું છે,’  એમ જયારે ભગવાન કહે છે ત્યારે તેમાં આ વાત સમાયેલી છે. હું એટલે શરીરધારી કૃષ્ણ નહીં, પરંતુ અનિર્વચનીય  એવો તે સ્વરૂપ છે એમ જાણવાનું છે. વેદ આને જ તત્ત્વમસિ  કહે છે. ‘તું તે છે’  એમ કહે છે. અહમ બ્રહ્માસ્મિ નો ઉદ્દેશ પણ આ ‘ હું બ્રહ્મ છું’  એમ કહેવાનો છે. અયમાત્મા  બ્ર્હ્મમ એ ‘ આત્મા જ બ્રહ્મ છે’, પ્રજ્ઞાનમ બ્રહ્મ ‘જ્ઞાન એ જ બ્રહ્મ છે’  એટલે જે જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે માટે જ્ઞાન એટલે જ આત્મા કે બ્રહ્મ છે. આ બધા મહા વાક્યો છે જે આ વાતને સમજાવે છે કે વ્યક્ત સ્વરૂપ અને અવ્યક્ત સ્વરુપ એ  કેવળ શ્રી ભગવાનનું છે.

 

વેદ ધર્મના સારનો એ સાર તે આપણી  ગીતા છે

વેદ ધર્મના સારનો એ સાર તે આપણી ગીતા છે

તુકારામ મહારાજ કહે છે:  વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો…એક જ શબ્દ હરિ નામ.

ભદ્રાયુ વછરાજાની    bhadrayu@@gmail.com

                                (32) 

શ્રીમદ ગીતાજીના નવમા અધ્યાયના સંદર્ભમાં ટાંકી શકાય તેવી ગોસ્વામી તુલસીદાસજીની બે પંક્તિઓ : 

કો જાને કો જેહિ જમપુર, કો સુરપુર પર ધામકો 

તુલસી હી બહુત  ભલો લાગત, જગજીવન રામ ગુલામ કો. 

એટલે કે મરણ પછી મળનારું સ્વર્ગ તેની બધી કથા અહીં શા કામની ? સ્વર્ગમાં કોણ જાય છે, નરકમાં કોણ જાય છે તે તો કોણ કહી શકે ? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઇને રહેવામાં જ મને આનંદ છે,  એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ જેટલી હોય એટલી મીઠાશ આ નવમા અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં આ જ આંખો વડે અનુભવાય એવું ફળ જીવતાં જીવ અનુભવ આવે તેવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાઈએ તો તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં પ્રસ્તુત છે. આવી મૃત્યુલોકના જીવનની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યાની વાતો આ નવમા અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે. પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપી રહ્યા છે.

જે ધર્મનો ગીતાસાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો  ધર્મ. પૃથ્વીના પડ  પર જે કઈ પ્રાચીન મોજુદ છે તેમનું વેદ પહેલું લખાણ માનવામાં આવે છે. તેથી ભાવિક લોકો તેને અનાદિ માને છે અને આથી વેદ પૂજ્ય ગણવામાં આવ્યા છે. આવા એ વેદમાં જે ધર્મ બીજરૂપે હતો  તેનું વૃક્ષ વધતા વધતા છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ ? વેદ ધર્મના સારનો એ સાર તે આપણી  ગીતા છે, પણ વેદને એમ ને એમ તો નહીં સમજી શકાય એટલે કેટલાક કૃપાળુ સંતોએ કહ્યું કે, લાવો આપણે આ વેદોનો રસ કાઢીએ અને વેદોનો સાર ટૂંકમાં કાઢીને દુનિયાને આપીએ. તુકારામ મહારાજ કહેતા કે વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો ? એક જ શબ્દ હરિ નામ. હરિ નામ એ વેદનો સાર છે. રામનાથી મોક્ષ અવશ્ય મળશે સ્ત્રીઓ, છોકરા, શુદ્ર, વૈશ્ય, અણઘડ, રોગી, દુબળા, પાંગળા સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઇ. વેદના કબાટમાં પુરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ ઉપર લાવીને મૂકી આપ્યો. મોક્ષની સીધી સાદી યુક્તિ એમણે બતાવી. જેનું જે સાદું જીવન, જે સ્વ ધર્મ કર્મ તેને જ યજ્ઞમય કાં ન કરી શકાય ? બીજા યજ્ઞોની શી જરૂર છે ? તારું રોજનું સાદું જે સેવાકર્મ છે એ જ તું યજ્ઞરૂપે ઈશ્વરને ધરી દે. 

પરમેશ્વર ક્યાંય છુપાઈને બેઠો છે એવું નથી. ઈશ્વરને ક્યાંકથી ખોદી કાઢવાનો છે એવું પણ નથી. ઈશ્વર સામે જ ઉભા છે. તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. શ્રી ભગવાન કહે છે, આ માનવરૂપે પ્રગટ થયેલી હરિ મૂર્તિનો તું અનાદર કરીશ નહીં. ઈશ્વર પોતે સચરાચરમાં પ્રગટ થઈને રહેલા છે. તેને શોધવાના કોઈ કૃત્રિમ પ્રયાસો કરવાની જરૂર નથી. સીધો સાદો ઉપાય છે તું જે જે સેવા કરે તેનો સબંધ રામની સાથે જોડી દે એટલે તારું કાર્ય પૂરું. રામનો ગુલામ થા.  પેલો કઠણ વેદમાર્ગ, પેલો યજ્ઞ, પેલા સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ એ બધું મોક્ષ તરફ લઇ તો જશે પણ તેમાં અધિકારી અને અનાધિકારીની ભાંજગડ  ઉભી થાય છે. આપણે એમાં પડવા જેવું નથી તું એટલું જ કર કે જે કઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી પ્રત્યેક કૃતિનો સબંધ તું એની સાથે જોડી દે. નવમો અધ્યાય બહુ ટૂંકમાં આ વાત આપણને સમજાવે છે, તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે તેની મીઠાશની વાત હવે આપણાં  ગળે ઉતરી જશે.

શ્રી ભગવાનનો  અને શ્રી વ્યાસજીનો અનુભવ એક જ છે એનું કારણ એ છે કે હકીકતમાં શ્રી કૃષ્ણ અને શ્રી વ્યાસ બંને એકરૂપ છે.  બંનેના જીવનનો સાર એક અને એ કોઈ જાતની વિદ્વતા  કે કર્મકલા નહીં પરંતુ સાદી સીધી ભોળી ભક્તિ. ભોળી ભવિક સ્ત્રી ‘ હું હું’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી, તેવું અહીં કહેવામાં આવ્યું છે. યાદ હોય તો મહાભારતમાં જનકસુલભા સંવાદ નામે એક પ્રકરણ છે.  જનક રાજા જ્ઞાનને સારું એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઉભો કર્યો છે. આપણે ભલેને સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નથી એવું આજે પણ ચર્ચા કર્યા કરીએ પણ સુલભા ખુદ રાજા જનકને બ્રહ્મ વિદ્યા આપે છે, એ વાત વ્યાસજીએ કહી. સુલભા એક સામાન્ય સ્ત્રી છે અને જનક કેવડો મોટો સમ્રાટ છે !! કેટલી વિદ્યાઓથી સંપન્ન છે!! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા. એવું જ પેલી તુલાધાર વૈશ્યની વાત. પેલો જાજલી બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું જાય છે. તુલાધાર કહે કે, ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે. એટલે કે બીજું હું કઈ જાણતો નથી ‘ જે કર્મ કરી રહ્યો છું તેનો સાક્ષી ઈશ્વર છે એમ માનીને હું મારો ધર્મ જાળવું છું.’  એક વ્યાધની કથા પણ હતી. વ્યાધ મૂળમાં કસાઈ પશુઓને મારી સમાજની સેવા કરે. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી, કસાઈ તે વળી કેવું જ્ઞાન આપતો હશે ? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો ?  એ તો પોતાનો  ધંધો કરતો હતો, માંસ કાપતો હતો. માંસને ધોતો હતો, સાફ કરીને માંસ વેચવાનું ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, મારું આ કર્મ જેટલું થઇ શકે તેટલું હું ધર્મમય કરું છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડીને હું કર્મ કરું છું અને મા બાપની હું સેવા કરું છું.’  આવા આ વ્યાધીને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઉભી કરી. આ વાતો દ્વારા આ ઘટનાઓ દ્વારા એટલું જ કહેવાનો અર્થ છે કે ક્રિયાક્લાપમાં  કે કર્મકાંડમાં કે યજ્ઞ યજ્ઞાદિના શાસ્ત્રોમાં અટવાવાને બદલે તમે જે કરો છો તે ઈશ્વરની સાક્ષીએ કરો અને એમાં જે પ્રાપ્ત થાય છે એ બધું ઈશ્વરને અર્પણ કરો તેવું આપણને આ અધ્યાય કહી રહ્યો છે.

 

“મેં પ્રત્યક્ષ અનુભવ્યું હોય તેવું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન,  હે અર્જુન,  હું તને કહું છું.”

“મેં પ્રત્યક્ષ અનુભવ્યું હોય તેવું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન, હે અર્જુન, હું તને કહું છું.”

રાજવિદ્યા મહાગુહ્ય ઉત્તમોત્તમ પાવન,’ શબ્દમાં ન સમાય પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી ઉપર કસાઈ ગયેલી આ વાત નવમા અધ્યાયમાં છે. 

ભદ્રાયુ વછરાજાની       bhadrayu2@gmail.com 

 (31) 

શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયમાં હરિ નામનો અપૂર્વ મહિમા કહેવામાં આવ્યો છે. આ નવમો અધ્યાય આમ જોઈએ ગીતાની મધ્યમાં ઊભો છે, આખા મહાભારતની મધ્યમાં ગીતા છે અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. અનેક કારણો એવા  છે કે જેને લઈને આ અધ્યાયને પાવન તત્વ પ્રાપ્ત થયું છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા સંતવર્ય જ્ઞાનદેવે છેવટે જયારે સમાધિ લીધી ત્યારે તેઓ આ અધ્યાયનો જાપ કરતા કરતા સમાધિસ્થ થયા હતા. આ નવમા અધ્યાયના  સ્મરણ માત્રથી આંખો છલકાઈ જાય અને હૃદય ભરાઈ જાય એવી લાગણી  શ્રી વિનોબાજી  અનુભવે છે. વિનોબાજી તો એવું પણ કહે છે કે એકલા ભરતખંડ પર નહીં,  પણ આખી માનવજાત ઉપર આ અધ્યાય એક ઉપકાર છે. 

જે વસ્તુ ભગવાને અર્જુનને  કહી તે એટલી અપૂર્વ છે કે તેને શબ્દોથી કહી શકાય તેમ ન હતી. પરંતુ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃતભાષામાં પ્રગટ કરી અને તેથી તેમણે  ગુહ્ય  વસ્તુને વાણીનું રૂપ આપી દીધું છે. આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે:  ‘રાજવિદ્યા મહાગુહ્ય  ઉત્તમોત્તમ પાવન. આ રાજવિદ્યા છે જે અપૂર્વ વસ્તુ છે તે કહેવાની નહીં પણ અનુભવવાની વાત છે. શબ્દમાં ન સમાય એવી પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી ઉપર કસાઈ ગયેલી આ વાત આ નવમા અધ્યાયમાં કરવામાં આવી છે. આ વાત કહેવામાં આવી હોવાથી એમાં ઘણી બધી મીઠાશ જોવા મળે છે. આપણને આ અધ્યાયની અંદર ભગવાન હકીકતમાં જ્ઞાન આપવા માંગે છે. અને એ જ્ઞાન પણ નિરર્થક અથવા તો સાદું જ્ઞાન નથી. એ આત્મજ્ઞાનની કક્ષાએ ઉભું રહી શકે એવું જ્ઞાન છે અને એટલા માટે ભગવાન એવું કહે છે કે,  “ મેં પ્રત્યક્ષ અનુભવ્યું હોય તેવું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન હે, અર્જુન હું તને કહું છું.”  ભગવાન કહે છે, “ હે અર્જુન, તું તો સતનો આગ્રહી છે,  તેથી મેં પ્રત્યક્ષ અનુભવેલું એવું આ વિજ્ઞાન હું તને હવે સ્પષ્ટ કરીને કહું છું, તે તું સાંભળ. જે જાણવાથી તું મોક્ષરૂપ શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત થઈશ.”  શ્રી ભગવાન આગળ કહે છે,  “ આને રાજવિદ્યા એટલે કે સર્વ વિદ્યાઓનો રાજા કહેવામાં આવેલ  છે.”  રાજગુહ્ય  એટલે કે વ્યવહારમાં જે જે વસ્તુ અતિ ગોપનીય છે તે સર્વ ગોપનીયમાં  પણ અત્યંત ગોપનીય એટલે કે સર્વ ગુહ્યોનો  રાજા એમ આ અધ્યાયને કહેવામાં આવેલ છે. પરંતુ આ તો રાજવિદ્યા અને રાજગુહ્યનો સામાન્ય અર્થ થયો તેને આમ કહેવાનું બીજું પણ એક કારણ છે. 

 

સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાની લોકો જેઓને શ્રેષ્ઠ માનતા હોય તેમના માર્ગનું જ અનુકરણ તેઓ કરે છે. આ ન્યાય પ્રમાણે રાજા એ લોકોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તેથી મહર્ષિઓએ આ અત્યંત ગુહ્ય  એવી બ્રહ્મવિદ્યાનો પ્રચાર સૌથી પહેલા રાજામાં કર્યો. આથી વ્યવહારમાં આ જ્ઞાન રાજવિદ્યા રાજગુહ્ય  એવા નામથી પ્રસિદ્ધ થયું. તો પછી આ જ્ઞાન જગતમાં કેવી રીતે ઉતરી આવ્યું હશે ? તે સબંધે શાસ્ત્રોમાં થયેલો નિર્ણય જાણવા જેવો છે. વાત જરા લાંબી છે પણ એમ કહેવાય છે કે શ્રી રામ પૂછે છે શ્રી વશિષ્ઠને કે,  આ બધું જ્ઞાન જગતમાં ઉતારવા માટે શા માર્ગો અજમાવવામાં આવ્યા કે જેથી તે જગતમાં પ્રવર્તીને રહ્યું છે ? શ્રી વશિષ્ઠ એનો લાંબો જવાબ આપે છે અને છેક ચૌદ લોકના વિસ્તારવાળી સૃષ્ટિઓ ઉત્પન્ન કરનાર બ્રહ્માના ઉદ્દભવથી વાત શરૂ કરે છે. એ મુજબ સૌથી પહેલો સત્યયુગ જેને કૃતયુગ પણ કહ્યો તે પૂરો થયા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો. તેથી બ્રહ્મદેવની આજ્ઞા મુજબ જગતમધ્યે મર્યાદાની સ્થાપના માટે પ્રવર્તમાન દેશોના જુદા જુદા વિભાગો કર્યા અને તેમાં રાજાઓની સ્થાપના કરી. પૃથ્વી ઉપર સુવ્યવસ્થિત રાજ્યની સ્થાપના કરનારો સૌથી પહેલો રાજા પૃથુ છે,  તેઓ પરથી એનું નામ પૃથ્વી પડ્યું છે.  બધા મહર્ષિઓએ તે તે ક્રિયાક્રમના વિધાન માટે તેમ જ પૃથ્વીમાં ધર્મ, કર્મ અને અર્થની સિદ્ધિઓને માટે યોગ્ય ધર્મશાસ્ત્રો તથા વિવિધ યોગ્યક્રિયાઓને સબંધી શાસ્ત્રોની રચના કરી છે. કેટલોક કાળ આમ ને આમ ચાલ્યો છે. પણ વળી પાછો ધર્મ આદિનો ક્રમ તૂટ્યો અને તમામ લોકો વિષયમાં લંપટ થવા લાગ્યા. રાજાઓમાં ધર્મનું રક્ષણ અને પ્રજાપાલનની ભાવના નહીં રહેતા માલિકપણાનો ભાવ ઉત્પન્ન થયો અને પછી અરાજકતા ફેલાતી ગઈ. રાજા અને પ્રજા બંને અત્યંત કંગાળ થઇ ગયા. તેઓની આ દીનતાને મટાડવા માટે અને લોકોમાં આત્મજ્ઞાનના પ્રચારને માટે વશિષ્ઠ ઋષિ અને બીજા મહર્ષિઓએ આત્મજ્ઞાન સબંધી ગુહ્ય અને શ્રેષ્ઠ એવા વિચારો લોકોમાં પ્રગટ કર્યા અને તે જ્ઞાન સૌથી પહેલાં  રાજાઓને આપ્યું. આ રીતે આ ગુહ્ય એવી આત્મવિદ્યાનો પ્રચાર પ્રથમ રાજાઓમાં થયો અને પછી તે લોકોમાં વિસ્તારને પામી. આથી આ ઉત્તમ એવું આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું છે,  એવી વાત આપણને મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મજી  મહારાજના ‘ ગીતા દોહન’ માંથી પ્રાપ્ત થાય છે.

‘મારી દેખરેખ નીચે પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતને પેદા કરે છે.’

‘મારી દેખરેખ નીચે પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતને પેદા કરે છે.’

મહાત્મા ગાંધીજીએ નવમાં અધ્યાયના  ચોંત્રીસ શ્લોકોનો એક વાક્યમાં ભાવાનુવાદ કરેલ છે. આવો, વિહંગાવલોકન કરીએ.

ભદ્રાયુ વછરાજાની    bhadrayu2@gmail.com 

                                         (30)

શ્રીમદ ગીતાજીના નવમાં અધ્યાયમાં પ્રવેશ કરીએ ત્યારે આવો, આજે આપણે જરા નવી રીતે અધ્યાયની સમાજ મેળવવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ મહાત્મા ગાંધીજીએ કરેલ આ અધ્યાયના  ચોંત્રીસ શ્લોકોનો એક વાક્યમાં ભાવાનુવાદ જાણી લઈએ જેથી આ અધ્યાયનું વિહંગાવલોકન થઈ  જાય. 

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનો રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ નામનો નવમો અધ્યાય :: શ્રી ભગવાન કહે છે : 

(૧.) અદેખાઈ કરનારો દોષદર્શી તું નથી,  તેથી તેને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવવાળું જ્ઞાન આપીશ, જે જાણીને તું અકલ્યાણમાંથી બચશે.

(૨.) વિદ્યાઓમાં આ રાજા છે; ગૂઢ વસ્તુઓમાં પણ શ્રેષ્ઠ છે. આ વિદ્યા પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવી અને ધર્માનુકૂલ છે. તેમ જ આચરણમાં મૂકવામાં સહેલી અને અવિનાશી છે.

(૩.) હે પરતંપ ! આ ધર્મને વિશે જેને શ્રદ્ધા નથી,  એવા લોકો મને ન પામતાં મૃત્યુમય સંસારમાર્ગમાં ફરી ફરીને અથડાય છે.

(૪.) મેં જ મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્યું છે. મારામાં-મારે આધારે-સર્વ પ્રાણી છે; હું તેમને આધારે નથી.

(૫.) છતાં પ્રાણીઓ મારામાં નથી એમ પણ કહેવાય. એ મારું યોગબળ તું જો. હું જીવોનું ભરણ કરનારો છું; છતાં હું તેમનામાં નથી. પણ હું તેમની ઉત્પત્તિનું કારણ છું.

(૬.) જેમ બધે ઠેકાણે વિચરતો મહાન વાયુ નિત્ય આકાશને વિશે રહેલો છે જ, તેમ બધાં પ્રાણી મારે વિશે છે એમ જાણ.

(૭.) હે કૌંન્તેય ! બધાં પ્રાણી કલ્પને અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, કલ્પનો આરંભ ફરી થતાં હું તેમને પાછાં સરજું છું.

(૮.) પ્રકૃતિના તાબામાં હોવાથી પરવશ એવાં પ્રાણીઓના આ તમામ સમુદાયને, મારી જ એ માયા-પ્રકૃતિને હાથમાં લઈને હું ફરી ફરી ઉત્પન્ન કરું છું.

(૯.) હે ધનંજય ! એ કર્મો મને બંધન કરતાં નથી, કેમ કે હું તેમને વિશે ઉદાસીન જેવો અને આસક્તિરહિત વર્તું છું.

(૧૦.) મારી દેખરેખ નીચે પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતને પેદા કરે છે અને એ કારણસર હે કૌંન્તેય ! જગત (ઘટમાળની જેમ) ફર્યા કરે છે.

(૧૧.) પ્રાણીઆદિ ભૂતમાત્રના મહેશ્વરરૂપ મારા શ્રેષ્ઠભાવને ન જાણીને મૂર્ખ લોકો મનુષ્યરૂપ ધારણ કરેલાની મારી અવજ્ઞા કરે છે.

(૧૨.) મોહ ઉપજાવનારી એવી રાક્ષસી કે આસુરી પ્રકૃતિનો આશ્રય લઈને રહેલા, અવળી બુદ્ધિવાળા એ લોકોની આશાઓ, એમનાં કર્મો તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે.

(૧૩.) એથી ઊલટું, હે પાર્થ ! ભૂતમાત્રના આદિકારણ એવા અવિનાશી મને જાણીને મહાત્માઓ દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ એકનિષ્ઠાથી મને ભજે છે.

(૧૪.) દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરનારા તેઓ નિરંતર મારું કીર્તન કરે છે, મને ભક્તિપૂર્વક નમન કરે છે, અને નિત્ય ધ્યાન ધરતા મારી ઉપાસના કરે છે.

(૧૫.) વળી બીજા અદ્વેતરૂપ્ર કે દ્વેતરૂપે કે બહુરૂપે બધે રહેલા મને જ્ઞાનયજ્ઞ વડે ઉપાસે છે.

(૧૬.) [એવા] યજ્ઞનો સંકલ્પ હું છું, યજ્ઞ હું છું, યજ્ઞ દ્વારા પિતરોનો આધાર હું છું, યજ્ઞની વનસ્પતિ હું છું,મંત્ર હું છું, ઘીની આહુતિ હું છું, અગ્નિ હું છું અને હવનદ્રવ્ય પણ હું છું.

(૧૭.) આ જગતનો પિતા હું, માતા હું, ધારણ કરનાર હું, પિતામહ હું, જાણવાયોગ્ય પવિત્ર હું, ૐકાર હું, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.

(૧૮.) (બધાનું) છેવટનું સ્થાન હું, પોષક હું, પ્રભુ હું, સાક્ષી હું, નિવાસ હું, આશ્રય હું, હિતેચ્છુ હું, ઉત્પત્તિ હું, સ્થિતિ હું, ભંડાર હું અને અવ્યય બીજ પણ હું છું.

(૧૯.) તડકો હું આપું છું, વરસાદને હું જ રોકી રાખું છું કે પડવા દઉં છું. અમરતા હું છું, મૃત્યુ હું છું અને હે અર્જુન ! સત અને અસત પણ હું જ છું.

(૨૦.) ત્રણ વેદનાં કર્મો કરીને, સોમરસ પીને પાપરહિત થયેલા જનો યજ્ઞ વડે મને પૂજીને સ્વર્ગલોક માગે છે. અને પુણ્યથી મળતા ઈન્દ્રલોકને પામીને તેઓ સ્વર્ગમાં દિવ્ય ભોગ ભોગવે છે.

(૨૧.) એ વિશાળ સ્વર્ગલોકને ભોગવ્યા બાદ પુણ્ય ક્ષીણ થતાં તેઓ મૃત્યુલોકમાં પાછા પ્રવેશ કરે છે. આમ ત્રણ વેદનાં કર્મ કરનારા, ફળના લોભીઓને જ્ન્મમરણના ફેરા ફરવા પડે છે.

(૨૨) જે લોકો અનન્યભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. ( નોંધ : આમ યોગીને ઓળખવાની ત્રણ સુંદર નિશાનીઓ છે-સમત્વ, કર્મમાં કૌશલ, અનન્યભક્તિ. આ ત્રણે એકબીજામાં ઓતપ્રોત હોવાં જોઈએ. ભક્તિ વિના સમત્વ ન મળે, સમત્વ વિના ભક્તિ ન મળે, અને કર્મ-કૌશલ વિના ભક્તિ અને સમત્વ આભાસમાત્ર હોવાનો ભય રહે છે.) 

(૨૩.) યોગક્ષેમ શબ્દમાં યોગ એટલે ન મળેલી વસ્તુ મેળવવી તે અને ક્ષેમ એટલે મળેલી સાચવી રાખવી તે. વળી હે કૌન્તેય ! જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવોને ભજે છે તેઓ પણ, ભલે વિધિ વિના છતાં, મને જ ભજે છે.

(૨૪.) હું જ બધા યજ્ઞનો ભોગવનારો સ્વામી છું. પણ આમ મને તેઓ સાચે સ્વરૂપે નથી ઓળખતા તેથી તેઓ પડે છે.

(૨૫.) દેવતાઓનું પૂજન કરનાર દેવલોકને પામે છે, પિતરોનું પૂજન કરનારા પિતૃલોકને પામે છે, ભૂતપ્રેતાદિને પૂજનારા ભૂતગણોના લોકોને પામે છે, અને મને ભજનારા મને પામે છે.

(૨૬.) પત્ર, ફૂલ, ફળ કે જળ જે કાંઈ મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તે શુદ્ધ હૃદય મનુષ્યે ભક્તિપૂર્વક અર્પણ કરેલાનું હું સેવન કરું છું.

(૨૭.) તેથી હે કૌંતેય ! જે કરે, જે ખાય, જે હવનમાં હોમે, જે દાનમાં દે, અથવા જે તપ કરે તે બધું મને અર્પીને કરજે.

(૨૮.) આથી તું શુભાશુભ ફળ દેનારા કર્મબંધનથી છૂટી જઈશ, અને ફલત્યાગરૂપી સમત્વને પામી, જન્મમરણથી મુક્ત થઈ મને પામીશ.

(૨૯.) બધાં પ્રાણીઓને વિશે હું સમભાવે રહું છું. મને કોઈ અપ્રિય કે પ્રિય નથી. છતાં જેઓ મને ભક્તિપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું.

(૩૦.) મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે.

(૩૧.) એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી.

(૩૨.) હે પાર્થ ! જે મારો આશ્રય લે છે તેઓ પાપયોનિ હોય કે સ્ત્રીઓ, વૈશ્યો કે શૂદ્રો હોય પરમગતિએ પહોંચે છે.

(૩૩.) તો પછી પુણ્યવાન અને ભક્ત એવા બ્રાહ્મણો તેમ જ રાજર્ષિઓ વિશે તો કહેવું જ શું ? માટે આ અનિત્ય અને સુખરહિત લોકમાં જન્મીને તું મને ભજ.

(૩૪.) મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારે નિમિત્ત યજ્ઞ કર, મને નમસ્કાર કર, એટલે પોતાને મારી સાથે જોડી દઈ, મારામાં પરાયણ થઈ મને જ શ્રેષ્ઠ સ્થાન માનનારો તું મને પામીશ.

અહીં ભાષા સરળ છે અને સામાન્ય વાચનથી પ્રત્યેક શ્લોકનો અર્થ ઘણો ખરો સમજાય જાય છે. જરા ફરી એકવાર વાંચી જઈએ તો ? 

 

નિરાશ થવું એનો અર્થ  કે નાસ્તિક થવું

નિરાશ થવું એનો અર્થ કે નાસ્તિક થવું

જેણે મને રેંટિયો સુઝાડ્યો તે તેની ફિકર રાખવાને પુરેપુરો સમર્થ છે. રેટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તૈયાર રહેવું જોઈએ.’ …ગાંધીજી 

ભદ્રાયુ વછરાજાની     bhadrayu2@gmail.com 

                                               (29) 

શુક્લ કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;

એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી.     

 આવા બે માર્ગ જાણે તે યોગી મોહી પડે નહીં;

તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે.        

 શ્રીમદ ભગવત ગીતાના આઠમા અધ્યાયના સમાપનમાં બે બાબતો આપણી સમક્ષ સ્પષ્ટ થઇ છે: 

1) બહારથી એકધારું સ્વધર્મનું આચરણ કરવાનું છે. 

2) અંદરથી હરિસ્મરણ દ્વારા ચિત્તશુદ્ધિની પ્રક્રિયા સતત કરતા રહેવાની છે. 

આમ બંનેને સાથે જોડીએ તો અંતર્બાહ્ય કર્મ વિકર્મોના પ્રવાહનું કામ થશે અને  તો આપણું મરણ આનંદની વાત બની રહેશે, આવું ભગવાન સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે. ઈશ્વરીય પ્રેમથી જયારે અંતર્બાહ્ય રંગાઈ જઈએ અને તે રંગ જયારે આખાય જીવન ઉપર ચડી જાય ત્યારે પવિત્ર વાતોમાં હંમેશા આનંદ આવવા લાગે. બુરી વૃત્તિ પછી સામે ઉભી રહી શકતી નથી. સુંદર સુંદર મનોરથના અંકુર મનમાં ફૂટવા લાગે છે અને સારી કૃતિઓ સહેજે આપણે હાથે થવા લાગે છે. ઈશ્વરના સ્મરણની સારી કૃતિઓ સહેજે થવા લાગશે એ વાત સાચી છે,  પણ આપણે કાયમ લડતા રહેવાનું છે, એવી ભગવાનની આજ્ઞા છે. એક બાજુ મન છે અને બીજી બાજુ અંદરનું અને બહારનું જગત છે. તો અંદર અને બહાર અનંત સૃષ્ટિ ભરી પડી છે, એ સૃષ્ટિની સાથે મનની એકધારી લડાઈ ચાલુ છે. એ લડાઈમાં દરેક ક્ષણે જીત થાય એવું કઈ જરૂરી નહિ. જે છેલ્લે જીત્યો તે સાચો. છેવટનો નિકાલ હોય તે જ ખરો ગણવો. 

સફળતા અને નિષ્ફ્ળતા અનેકવાર મળે. અપજશ મળે તેથી નિરાશ થવાનું  કોઈ કારણ નથી. પથ્થર ઉપર ૧૯ વાર ઘા કર્યા પણ તે ફૂટ્યો નહીં. પણ ધારો કે વીસમાં ઘાએ ફૂટ્યો તો શું પહેલા આગળના ૧૯ ઘા ને નકામા ગણવા ? ના, વીસમાં ઘા ની સફળતાની તૈયારી એ આગળના ૧૯ ઘા હતા એમ માનવું રહે. નિરાશ થવું એનો અર્થ  કે નાસ્તિક થવું. આપણને ભરોસો હોવો જોઈએ કે પરમેશ્વર બધું સંભાળી લેશે. છોકરાઓમાં પણ હિંમત આવે એટલા ખાતર મા આમ તેમ છૂટું ફરવા દે,  પણ તેને પડવા દેતી નથી. છોકરું જરાક પડતું દેખાશે કે આસ્તેકથી આવીને તેને ઉંચકી લેશે. ઈશ્વર પણ આપણા તરફ જોયા કરે છે. આપણા જીવનના પતંગની દોરી તેના હાથમાં છે તે સાચું, એ પતંગની દોરી કોઈ વાર એ ખેંચી રાખે છે તો કોઈ વાર ઢીલી છોડે છે. પણ દોરી આખરે તો તેના હાથમાં છે તેની ખાતરી રાખવા જેવી છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખી મન, વચન અને કાયાથી રાત દિવસ લડતા રહેવાનું તો અંત ઘડી રુડી થશે. એ વખતે બધા દેવતાઓ અનુકૂળ થઇ આપણને મદદે આવશે. 

સૌને સ્વસ્થતાથી અને સહજતાથી મૃત્યુ મળે તેવી અપેક્ષા હોય છે. પણ તેના માટે આપણા જીવનભરની પ્રવૃતિઓની એકરૂપતા, પ્રામાણિકતા અને દિવ્યતા જેટલી વધુ તેટલી  શક્યતાઓ એવા મૃત્યુની વધુ. ન્યાયમૂર્તિ રાનડે કહેતા હતા કે, ‘એકધારું કર્તવ્ય કરતાં કરતાં આવનારું મરણ ધન્ય છે. કંઈક વાંચતો હોઉં, કંઈક લખતો હોઉં, કર્મ કરતો હોઉં,  એમ કામ કરતાં કરતાં મને મરણ આવી મળે એટલે થયું. હકીકતમાં આ સળગતા અગ્નિનો આ અર્થ છે. મરણકાળે પણ કર્મ કરતાં રહેવાય એ અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા છેવટ સુધી ઝગમગતી રહે, ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવના વધતી જાય. ચંદ્ર મનનો અને ભાવનાનો દેવતા છે. શુક્લપક્ષના ચંદ્રની માફક મનમાંથી પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, પરોપકાર, દયા વગેરે શુદ્ધ ભાવનાઓનો પુરેપુરો વિકાસ થાય. આકાશની કૃપા એટલે હૃદયાકાશમાં આસક્તિના વાદળાંનું પૂમડું  સરખું ન હોય. એકવાર ગાંધીજીએ કહેલું, ‘હું એકસરખો રેંટિયો રેંટિયો કર્યા કરું છું. એ રેટિયાને હું પવિત્ર વસ્તુ માનું છું, પણ અંતકાળે એની પણ વાસના ન હોવી જોઈએ. જેણે મને રેંટિયો સુઝાડ્યો તે તેની ફિકર રાખવાને પુરેપુરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. રેટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તૈયાર રહેવું જોઈએ.’ ઉત્તરાયાણનું હોવું એટલે હૃદયમાં આસક્તિના વાદળાની ગેરહાજરી !  આપણે છેવટના શ્વાસ સુધી હાથ પગ વડે અન્યની સેવા કરતાં રહીએ અને હ્ર્દયમાં જરા જેટલી પણ આસક્તિ ન રહે, બુદ્ધિ પુરેપુરી સચેત રહે એવી રીતે મરણ પામીએ  તો પરમાત્મામાં ભળી જઈશું. પરમેશ્વરની પ્રાર્થના કરતાં રહેવું, નામ સ્મરણ, તત્વોનું સ્મરણ ફરી ફરી કરતાં રહેવું. 

આઠમા અધ્યાયના સમાપનમાં આપણી સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુ, મૃત્યુની સંકલ્પના, મૃત્યુ આવે કેવી રીતે , એના માટેના ઉપાયો અને સરળતાથી સહજતાથી મૃત્યુને કેવી રીતે ભેટી શકાય એના માટેના બધા જ આધારો એમણે સ્પષ્ટ કર્યા છે. અર્જુન કરૂક્ષેત્રના મધ્યમાં  ઉભો છે અને એના રથના સારથી  દ્વારા અત્યારના આ ગીતા કહેવાય રહી છે. 

વેદો તણાં, યજ્ઞ – તપો તણાયે, દાનો તણાં પુણ્ય ફળો કહ્યા જે;

તે સર્વ આ જ્ઞાન વડે વટાવી, યોગી લહે આદિ મહાન ધામ.

છેલ્લે પોતાના ૨૮ માં  શ્લોકમાં બહુ જ સ્પષ્ટ વાત કરી. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે. અને શાશ્વત પરમપદને પામે છે. 

આપણે ગીતાના આઠ અધ્યાય પૂર્ણ કર્યા છે અને હવે નવમા અધ્યાયમાં જઈ રહ્યા છીએ ત્યારે અર્જુનને રાજવિદ્યાનો ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ આપી રહ્યા છે. તૈયાર કર્યો છે અર્જુનને પુરેપુરો ડર હતો તે દૂર કર્યો છે. લાડવા માટે સામર્થ્ય છે તે યાદી આપી છે અને એ થયા પછી એ પોતે હવે તેમને રાજવિદ્યાના ઉપદેશ તરફ લઇ જઈ રહ્યા છે. આમ પણ બીજી રીતે વિચારીએ તો મૃત્યુ પછી જે પ્રાપ્ત થાય છે એ જ વિદ્યા રાજવિદ્યા છે. જયારે અન્ય બધું છૂટી જાય ત્યારે જે રહી જાય એ રાજયોગ છે. (ક્રમશ:)

જે મુસાફર વચ્ચે અટકી જાય  તેના માટે સૂર્ય કે પવન થોભેલો રહેવાનો છે ખરો?

જે મુસાફર વચ્ચે અટકી જાય તેના માટે સૂર્ય કે પવન થોભેલો રહેવાનો છે ખરો?

કોઈપણ ખરાબ કે ભૂંડો શબ્દ તમે ઉચ્ચારો છો કે તરત જ ખોટા સંસ્કાર પડવાની શરૂઆત થાય છે. 

ભદ્રાયુ વછરાજાની        bhadrayu2@gmail.com 

                (28) 

જન્મ એ જીવનનો પહેલો છેડો છે,  તો મરણ એ જીવનનો છેલ્લો છેડો છે. આ વાત ખ્યાલમાં રાખી જેટલી કાળજી પહેલા છેડાની લઈએ છીએ એટલી જ કાળજી અને એટલી જ તૈયારી બીજા છેડા માટે પણ કરતા રહેવી જોઈએ. જન્મથી મોટા થવાની પ્રક્રિયામાં જેટલો આપણો રસ છે, તેટલો  મોટા થયા પછી ફરી એકવાર મરણ તરફ ચાલતી  ગતિમાં પણ હોવો જોઈએ. એકે એક પળ આપણા માટે મહત્વની છે.  એક પણ ક્ષણ ફોગટ ન જાય એની આપણે કાળજી લેવી પડે. પ્રત્યેક ક્ષણે  એક સારો સંસ્કાર બંધાઈ જાય, એક નવો વિચાર આપણને પ્રાપ્ત થઇ જાય તે જરૂરી છે. કોઈપણ ખરાબ કે ભૂંડો શબ્દ તમે ઉચ્ચારો છો કે તરત જ ખોટા સંસ્કાર પડવાની શરૂઆત થાય છે. 

મનોવિજ્ઞાન કહે છે કે, દિવસ સારો ગયો હોય તો પણ ખરાબ કલ્પનાઓ સ્વપ્નમાં આવીને ઉભી રહી જાય છે. વિનોબાજી પોતાના વાત યાદ કરતા કહેતા કે : “ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી. તે મને કહે, “વિચા, હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર જ પાછી આવું છું.” પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી. પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું કારણ શું? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો હતો. તે વાત જીવનને ચોંટી ગઈ, જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું, ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલે થયું.”

જીણી જીણી બાબતોમાં સંભાળ રાખવી પડે. ડૂબનારો હોય તેને તણખલાનો પણ આધાર થાય છે. સંસારમાં આપણે ડૂબી જઈએ છીએ. જરા સારું બોલ્યા હોય તો એટલો જ આધાર થશે. સારું કરેલું કદી ફોગટ ન જાય,  એ તમને ને મને તારશે. લેશમાત્ર પણ ખરાબ સંસ્કાર ઉમેરવા ન જોઈએ. મારી આંખ પવિત્ર રાખીશ, મારાં  કાન નિંદા સાંભળશે નહીં, મારી જીભ સારું બોલશે એવું  સતત રટણ મારે કરવું  પડે. પવિત્ર સંસ્કાર જેમ જેમ પડતા જાય એમ ઉદ્દાત વિચારો મનમાં વાગોળવા લાગે. હાથને પવિત્ર કામ કરવાની ઈચ્છા થાય, અંદર ઈશ્વરનું સ્મરણ થાય અને પરિણામે બહાર સ્વ ધર્મનું આચરણ થાય. હાથથી સેવા, કર્મ અને મનમાં વિકર્મ એમ રોજ કરતા રહેવું જોઈએ. 

ગાંધીજીનું જીવન ઉદાહરણ લેવા જેવું છે. રોજ કાંતે,  રોજ કાંતવાની વાત પર તેઓ ભાર દીધા કરે. આપણને વિચાર આવે કે રોજ શા માટે કાંતવું જોઈએ ? કપડાં જેટલું કાંતિ લઈએ તો ચાલે નહીં ? પણ એ વ્યવહાર થયો. રોજ કાંતવામાં આધ્યાત્મિકતા છે. વિનોબાજી સરસ સમજાવે છે કે,  દેશને ખાતર મારે કશુંક કરવું છે એનું એ ચિંતન છે એટલે એ રોજ ખાદી કાંતે છે. એ સુતર દરિદ્રનારાયણની સાથે આપણને રોજ જોડી આપે છે. એટલે કે એ સંસ્કાર આપણા દ્રઢ થાય છે. આપણને  ખ્યાલ છે કે ડોક્ટર દવા આપે પાંચ દિવસની,  એ દવા તો સપ્રમાણ પાંચ દિવસમાં પીવાની હોય કે ખાવાની હોય. એક સાથે આપણે પાંચેય દિવસની દવા ખાઈ જઈએ તો પછી રોગમાં કઈ ફર્ક પડે ? દવાનો હેતુ સરે  ખરો ? એ જ રીતે રોજરોજ સંસ્કાર કરીને આપણી પ્રકૃતિ માંહે ની વિકૃતિ દૂર કરવાનું કામ આપણે કરવું જોઈએ. 

વિનોબાજી કે સુંદર વાત તરફ આપણું ધ્યાન દોરે છે. એ કહે છે કે, ‘પૂજા કરતી વખતે ભગવાન શ્રી શંકરની પિંડી ઉપર ધીરે ધીરે અભિષેક કરવામાં આવે છે. આ મને બહુ ગમી ગયેલું દ્રષ્ટાંત છે.  નાનપણમાં એ ક્રિયા હું રોજ જોતો. ચોવીસ કલાકનું ભેગું કરો તો તે માંડ બે બાલ્દી  પાણી થાય. ઝટ બે બાલ્દી  શિવ લિંગ પર રેડી દીધી હોય તો શો વાંધો આવે ? આ સવાલનો જવાબ મને બચપણમાં જ મળી ગયો હતો. પાણી એકદમ સીધું  રેડી દેવાથી કર્મ સફળ થતું નથી. ટીપે ટીપે કે  સતત ધાર ધાર થાય છે તેનું જ નામ ઉપાસના છે. સમાન સંસ્કારોની એકસરખી સતત ધાર ચાલવી જોઈએ. જે સંસ્કાર સવારે, તે જ બપોરે તે જ રાતે, જે દિવસે તે જ રાતે, જે કાલે તે આજે. જે આજે તે આવતીકાલે. જે આ વર્ષે તે આવતા વર્ષે અને જે આ જન્મે તે આવતા જન્મે. અને જે જીવતા તે જ મરતા. આવી એક હારમાળા દર્શાવીને વિનોબાજી કહે છે એક જ દિશામાં સંસ્કારનો પ્રવાહ વહે તેની મારે ને તમારે કાળજી લેવી જોઈએ. ચારે કોર વહી જતું પાણી સુકાઈ જાય. સંસ્કારનું પણ એવું જ છે. સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહે તો જ છેલ્લે મરણ સમયે મહા આનંદનો ભંડાર બની રહે. જે પ્રવાસી રસ્તામાં ઝાઝું ન થોભે, અથવા રસ્તામાં આવતા મોહથી દૂર રહે મહેનત કરીને પગલાં માંડતો માંડતો શિખર તરફ  ચાલ્યા જ કરે તો તે ઉપર જઈને  છાતી પર લગાવેલા સર્વ બંધનો ફેંકી દઈ ત્યાંના વાતાવરણનો મોકળાશથી  અનુભવ કરશે. તેના આનંદનો બીજા લોકોને ખ્યાલ સરખો આવશે નહીં. જે મુસાફર વચ્ચે અટકી જાય  તેના માટે સૂર્ય કે પવન થોભેલો રહેવાનો છે ખરો  ? (ક્રમશ:)

દરેકે દરેક ક્ષણ જન્મે છે ત્યારે એક જૂની ક્ષણ મરી જાય છે.

દરેકે દરેક ક્ષણ જન્મે છે ત્યારે એક જૂની ક્ષણ મરી જાય છે.

તું જેને ગાળ દઈને ગયો તે હું આજે જીવતો નથી અને તું પણ ગઈકાલે હતો તેનો તે માણસ તું આજે નથી.

ભદ્રાયુ વછરાજાની          bhadrayu2@gmail.com 

                    (27) 

 `શ્રીમદ ગીતાજી આપણને યાદ અપાવે છે કે, દરેકે દરેક ક્ષણ જન્મે છે ત્યારે એક જૂની ક્ષણ મરી જાય છે. રોજ રાત પડે ને આપણે સુઈ જઈએ છીએ એટલે આપણે મૃત્યુ પામીએ છીએ અને બીજે દિવસે સવારે ઉઠીએ છીએ ત્યારે નવો જન્મ લઈને આપણે ઉઠીએ છીએ. સ્પષ્ટ વાત છે કે તમે જે પળ વિતાવી એ ફરી આવવાની નથી. શ્રી માતાજી કહે છે કે,  ‘એ પળ ફરી આવવાની નથી,  હા, નવી  પળ જરૂર આવશે પણ તે એ  પળ નહીં હોય’ અને પરિણામે દરેક પળને એવી રીતે જીવવી જોઈએ કે આ હવે આખરી પળ છે. 

બહુ જાણીતી વાત છે. એક સંત હતા એને કોઈએ ખુબ ગાળો દીધી. આજુબાજુના શિષ્યોને બહુ ચિંતા થઇ પણ થયું એવું કે બીજે દિવસે એ ગાળો દેનારો માણસ પસ્તાવો પામ્યો એટલે એણે આવીને એ સંતની માફી માંગી લીધી. પણ સંતે એને આશ્વાસન આપતા કહ્યું કે તું જેને ગાળ દઈને ગયો તે હું આજે જીવતો નથી અને તું પણ ગઈ કાલે હતો તેનો તે માણસ તું આજે નથી. એટલે કે તારે માફી માંગવાની જરૂર નથી.’ 

પ્રત્યેક ક્ષણ જો એક અર્થમાં પુનર્જન્મની ક્ષણ હોય તો પછી કેવું જીવવું, કેટલી માત્રામાં જીવવું એ એક ક્ષણનો યોગ છે અને એ પ્રત્યેક ક્ષણે આપણે યાદ રાખવું પડશે કે હવેની ક્ષણ કદાચ મારી છેલ્લી હોઈ  શકે. નિર્ભયપણે મરણનો વિચાર કરીને તેનો તોડ  કાઢવાની હિંમત માણસ કરતો નથી. પરિણામે એ મૃત્યુથી આઘો આઘો ભાગ્યા કરે છે. આ તો કેવું છે કે, હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણ છે ચપળ પણ તેનું જોર ક્યારેક તો ઓછું પડે જ છે. એક પળ એવી આવે છે કે હરણ થાકી જાય છે, પણ પેલો વાઘ એટલે કે પેલું મરણ પાછળ પાછળ આવતું હોય છે. એ જયારે નજીક આવી પહોંચે ત્યારે પેલા હરણની કેવી સ્થિતિ થાય ? વાઘ તરફ જોઈ ન શકાય અને આગળ ભાગી ન શકાય. જમીનમાં મોઢું અને શીંગડા ખોસીને આંખ મીંચીને ઉભા રહી જવું પડે. અને મનોમન કહેવું પડે કે,  ‘આવ ભાઈ હવે મને ઝટ માર…’ બસ,  આવી જ હાલત છેલ્લી મિનિટે આપણી ન થાય તેવું કહેવા માટે આઠમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. 

અહીં બહુ જ સ્પષ્ટ રીતે કહેવાયું  છે કે,  તમે કોઈ પણ સ્વરૂપે વેદ જાણનાર હો કે ન જાણનાર હો, આસક્તિ સાથેના હો કે આસક્તિ વિનાના હો,  તમે જેમ જીવ્યા હો ગમે  તેમ પણ તમારે એક વખત તો મરણ પામવાનું છે એ નિશ્ચય રાખો.  એટલા માટે આઠમા અધ્યાયના આગળના ૧૧ થી ૧૪ શ્લોકની અંદર કેવી રીતે મરણ પામો તો હું તમને તાત્કાલિક મળી શકું ?  એ વિશેની   કેટલીક વાત શ્રી કૃષ્ણ  આપણને કરે છે.

‘હે અર્જુન,  બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર,  મને પામ્યા પછી પુનર્જન્મ થતો નથી. કારણ કે હું કાલાતીત  છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત છે તેથી અનિત્ય છે. બ્રહ્માનો એક જ દિવસ એટલે  સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ ચાર યુગના એકહજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એની રાત્રી પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર્યુગના સમય જેટલી,  જેઓ આ  તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. આપણે આટલા ઊંડા ઉતરી શકવાના નથી. અર્જુનને કહે છે કે,  હે અર્જુન,  અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમગતિ કહે છે. અર્જુનને વધુ એક સંબોધન કરે છે,  હે પૃથાપુત્ર,  સર્વભૂતો છે જે સચ્ચિદાનંદ પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન એટલે કે કાયમ ટકી રહેનારું અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાશે. અનન્ય ભક્તિનો સીધો અને સાદો અર્થ એ, ‘બીજું નથી તે એક માત્ર.’ 

અર્જુનને બે મુક્તિ માર્ગ શેઇ ભગવાન દર્શાવે છે :  

  1. જે સમયે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે તે કાળ અને
  2. જે સમયે શરીર છોડીને જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળ … એટલે કે બેય માર્ગો હું તને દર્શાવું છે. તને યોગ્ય લાગે તે માર્ગ ઉપર તું આગળ વધ..

ખૂબી જુઓ કે, ભગવાન બે માર્ગનો નિર્દેશ કરીને પછી આપણા પર છોડે છે કે,  તને યોગ્ય લાગે તે માર્ગ તું પસંદ કર. (ક્રમશ:)

‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે.’

‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે.’

આપણે ખાતા રહીએ, પીતા રહીએ, સુંઘતા રહીએ, સાંભળતા રહીએ, જોતા રહીએ, સ્પર્શતા રહીએ એ બધું યજ્ઞની આહુતિરૂપ છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(26)
શ્રીમદ ભાગવત ગીતાના આઠમા અધ્યાયમાં આપણે ત્રણ વિશિષ્ટ શબ્દો વિષે જાણ્યું છે. અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ. આપણા ચિંતક, શાસ્ત્રોના ભાષ્યના માહિર કલમનવેશ શ્રી ગુણવંત શાહ આ ત્રણ શબ્દો માટે બહુ ટૂંકી વાત સમજાવે છે તે જોવાનું ગમશે.
અધિભૂત એટલે આ સૃષ્ટિમાં જે કંઈ નાશવંત છે તે અધિભૂત છે. જે નાશવંત હોય તેને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિયમ લાગુ પડે. એટલે કે આપણું શરીર ગમે તેટલું સારું હોય, ઘાટીલું હોય, રૂપાળું હોય તોય નાશવંત છે. એટલે એ ગઢપણ અને મરણથી મુક્ત નથી.
બીજો શબ્દ છે અધિદૈવ. પ્રકૃતિ અને પુરુષ એમ કહેવાયું છે, એમાં જે પુરુષ છે તે અધિદૈવ છે. અધિદૈવ એટલે પુરુષાર્થ. જીવાત્મા એ અધિદૈવ છે. આપણે એ યાદ રાખવું પડે કે આપણું શરીર હાડમાંસનો ઢગલો ન રહેતા એક સુસંવાદી તંત્ર બની રહે. અધિદૈવ એટલે આંખ પાછળની આંખ, કાન પાછળનો કાન અને નાક પાછળનું નાક. આ અધિદૈવ વિદાય લે કે તરત બધું ઠપ્પ થઇ જાય.
અધિયજ્ઞની ચર્ચા કરતા આપણને ગુણવંતભાઈ ત્રીજા અધ્યાયની યાદી આપે છે. યજ્ઞ એટલે વિષ્ણુ. વિષ્ણુ એટલે આ સૃષ્ટિને ધારણકર્તા. કર્મ યજ્ઞરૂપ છે. અને એ યજ્ઞનો અધિષ્ઠાતા વિષ્ણુ છે. એ અધિયજ્ઞ ‘હું’ પોતે એવું શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે. આ દેહની વેદી ઉપર આગળ સતત યજ્ઞ ચાલી રહ્યો છે. નિરંતર કશુંક હોમાતું જ રહે છે. શ્વાસ લઈએ તો એ આહુતિ ગણાય. ખાતા રહીએ, પીતા રહીએ, સુંઘતા રહીએ, સાંભળતા રહીએ, જોતા રહીએ, સ્પર્શતા રહીએ એ બધું આહુતિરૂપ છે. યજ્ઞમાં કેવું દ્રવ્ય હોમવું તે આપણે વિચારી લેવાનું છે. આ ત્રણ શબ્દોની વિશિષ્ટ પલાખ આપણે એટલા માટે ફરી કરી કારણ કે આ ત્રણ શબ્દોના અર્થમાં આ અધ્યાયનો અને પછીના અધ્યાયનો ભાર છે. આ ત્રણ શબ્દો જાણ્યા પછી આપણને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે મૃત્યુના મહોત્સવની તૈયારી કરો.
આપણા દૂર દૂરના કોઈ ઓળખીતાના ઘરે કોઈનું અવસાન થાય તો આપણને થોડી ક્ષણ માટે આંચકો લાગે છે, પણ એટલું બધું દુઃખ નથી થતું કે જેથી કરીને આપણે અવસાનના સમાચાર સાંભળીને રડવા લાગીએ. કારણ કે આમ જુઓ તો સીધી કોઈ લેવા દેવા આપણે એની સાથે નથી. પણ એ જ સ્થાને આપણા જ નજીકના કુટુંબી સગાનું અવસાન થયું જાણવા મળે તો તરત જ આપણી આંખમાંથી અશ્રુધારા વહે છે. નજીકનો જે સગો છે, કુટુંબી છે, સબંધી છે એ એક પ્રકારની આસક્તિ છે. એ આસક્તિ છે એટલે આપણને રડવું આવે છે. દૂરનાની આસક્તિ ન હોત એટલે રડવું આવતું નહોતું. કોઈકે બુદ્ધને કહ્યું, ‘અમને મૃત્યુનું રહસ્ય કહો’. બુદ્ધે ખુબ સરસ ટૂંકો છતાં ધારદાર જવાબ આપ્યો જવાબ આપ્યો. ‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે. જીવન અને મૃત્યુ પ્રતિપળ એકબીજામાં એવા તો ઓતપ્રોત છે કે એમને જુદા જુદા સમજી ન શકાય, સાથે જ સમજવા પડે.’ આત્માને દેહધારી કહ્યો છે એટલે કે આત્માએ જે દેહનું ધારણ કર્યું છે, જે દેહ ધર્યો છે તે ક્યારેક સુકાઈ પણ જશે. આપણે દિવસમાં કેટલી વખત શર્ટ બદલીએ છીએ કે સાડી બદલીએ છીએ ? જો છેક સૂક્ષ્મભાવે વિચારીએ તો જયારે જયારે શર્ટ બદલીએ છીએ ત્યારે ત્યારે નાનકડું મૃત્યુ છે. જયારે જયારે સાડી બદલાય છે ત્યારે પણ નાનું નાનું મૃત્યુ છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે, ‘રાત્રે સૂઓ છો તો એ મૃત્યુ છે અને સવારે ઉઠો તો એ જન્મ છે.’

આપણે લોકો જીવન જીવવામાં એટલા બધા મશગુલ થઇ જઈએ છીએ કે એમાં વચ્ચે થોડોક શ્વાસ લઈને પણ આપણે વિચારતા નથી કે મૃત્યુ મારી રાહ જોવે છે. આ જે જીવન જીવાઈ રહ્યું છે એમાં જ અંતે તાત્કાલિક એક ક્ષણ એવી આવશે કે જયારે મારો શ્વાસ બંધ થઇ જશે અને એ ક્ષણ પણ આવવાની છે એવી ખાતરી એવી યાદદાસ્ત મારે રાખવી પડે. તમે ચાલતી ગાડીમાં બેઠા હો અને તમારી ગાડી પુરપાટ દોડતી હોય ત્યારે તમે વિચારતા નથી પણ તમારે જ્યાં ઉતરવું છે તે સ્ટેશન નજીક આવવા લાગે છે કે તરત જ તમે ઉતરવાની તૈયારી કરવા લાગો છો. એનો અર્થ એવો છે કે તમારે ઉતારવાનું સ્ટેશન આવે એની ખબર પડે છે. જીવન અને મૃત્યુમાં ફરક એટલો છે કે એમાં સ્ટેશન ક્યારે આવશે તેની આપણને ખબર પડતી નથી એટલે સ્ટેશન આવ્યું અને તમે તૈયારી કરવા રોકાયા એવી તક આપણને મળતી નથી. (ક્રમશઃ)

‘તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું.  તું ચિંતા ન કરીશ.’

‘તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું. તું ચિંતા ન કરીશ.’

જે માણસ અંતકાળે ઈશ્વરનું સ્મરણ કરતો કરતો શરીર છોડીને જાય છે એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી, આવું ભગવાન કહે છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(25)
મૃત્યુનો ભય આપણને સૌને ઓછો કે વધુ પણ લાગે તો છે જ. હવે એ ડર સાચો છે કે ખોટો એનું કોઈ વિશ્લેષણ કરી આપે તેથી એમાં કશો ફર્ક ન પડે. પણ શ્રીમદ ગીતામાં શ્રી ભગવાને કાળજી લઈને આપણા ભયને ઘટાડવાના રસ્તા બતાવ્યા છે. ભગવાન આપણી મર્યાદા જાણે છે. તેથી મૃત્યુનો ભય ઓછો થાય એટલા માટે તેઓ આઠમા અધ્યાયમાં આપણને મૃત્યુ વિશેની વાતોમાં દોરી જાય છે.

એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે નાથને પૂછ્યું, “મહારાજ, તમારું જીવન કેટલું સાદું ને નિષ્પાપ ! અમારું એવું કેમ નથી? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો !” નાથે કહ્યું, “મારી વાત હમણાં રહેવા દે. તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે. તારું આજથી સાત દિવસ પછી મરણ છે.” નાથે કહેલી વાત ખોટી કોણ માને ? સાત દિવસ પછી મરવાનું ! ફક્ત એકસો ને અડસઠ કલાક બાકી ! અરેરે ! હવે શું થાય? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં. બધી આપ-લેની વાત, સોંપણનોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડ્યો. પથારીએ પડ્યો. છ દહાડા એમ ને એમ જતા રહ્યા. સાતમે દહાડે નાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. નાથે પૂછ્યું, “કેમ છે?” તેણે કહ્યું, “જાઉં છું હવે.” નાથે પૂછ્યું, “આ છ દિવસમાં કેટલું પાપ થયું? પાપના કેટલા વિચાર મનમાં ઊઠ્યા ?” તે મરણ પથારીએ પડેલા માણસે જવાબ આપ્યો, “નાથ ! પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો ? નજર સામે મરણ એકસરખું ઘૂમ્યા કરતું હતું.” નાથે કહ્યું “અમારુ જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો.” મરણનો વાઘ હમેશાં સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું. એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરશે?

આપણે રોજબરોજની વાતચીતમાં ધર્મ, અધ્યાત્મ, બ્રહ્મ આ બધા શબ્દોને આપણી રીતે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. શ્રી કૃષ્ણએ આઠમા અધ્યાયમાં આપણને સાચી વ્યાખ્યા કરી આપી છે.
જે પરમ અક્ષર છે તે બ્રહ્મ છે.
જે પોતાનું સ્વરૂપ એટલે કે જીવાત્મા છે તેને અધ્યાત્મ કહેવામાં આવે છે
અને
આ સમગ્ર જગત ઉપર પ્રાણીઓનો ઉદભવ થાય અને એના આધારે જે સૃષ્ટિની રચના અથવા ત્યાગ થાય એ કર્મ તરીકે ઓળખાય છે.
ત્રણ શબ્દો બીજા પણ આપણે સ્પ્ષ્ટ કરી લઈએ.
અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ એવા ત્રણ શબ્દો આ અધ્યાયની શરૂઆતના શ્લોકોમાં આપવામાં આવ્યા છે.
ઉત્પત્તિ અને વિનાશ જે બંનેના નક્કી છે એવો પ્રત્યેક પદાર્થ અધિભૂત કહેવાય છે.
જયારે જેને શાસ્ત્રમાં સૂત્રાત્મા, પ્રજાપતિ, બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ કહીને ઉચ્ચારવામાં આવે છે એ અધિદેવ છે.
તો પછી પ્રશ્ન થાય કે અધિયજ્ઞ શું છે ? એમનો જવાબ આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અર્જુનને ઉદ્દેશીને ભગવાન શ્રીકૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે આપે છે. એ અર્જુનને પણ સંબોધન કરે છે કે, હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામીરૂપે અધિયજ્ઞ છું. એટલે કે આપણને એ દેખાતા નથી એવા અંતર્યામી સ્વરૂપે તેઓ આપણામાં વસેલા છે.
કુલ ૨૮ શ્લોકોનો આ આઠમો અધ્યાય મૃત્યુ તરફની વિભાવનામાં આપણને લઇ જાય છે. કહેવાયું છે કે જે માણસ અંતકાળે ઈશ્વર સ્મરણ કરતો કરતો શરીર છોડી જાય છે એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકાને રાખવાની જરૂર નથી આવું ભગવાનના શબ્દોમાં કહેવાયું છે. એ ફરી એકવાર અર્જુનનું સંબોધન બદલીને છઠ્ઠા શ્લોકમાં અર્જુનને ‘હે કુંતીપુત્ર’ એવું સંબોધન કરે છે. માણસ અંતકાળે જે જે પ્રકારના ભાવને સ્મરણ કરતા કરતા શરીર ને છોડે છે તેને તે જ પામે છે. કારણકે સદા તેજ ભાવથી તે ભરપૂર રહ્યો છે. અહીં સમજવાનું એ થાય છે કે મૃત્યુ સમયે તમારા ચિત્તમાં જે ઈચ્છા, વાસના, અપેક્ષા, કામના રહેલી છે, દૃઢ થયેલી છે એ તમને હવે પછીના જન્મમાં પણ મળવાની છે. અને પરિણામે સમજાવ્યું છે કે, ‘હે અર્જુન, તું સર્વ કાળે નિરંતર મારું સ્મરણ કર્યા કર અને હું કહું તેમ યુદ્ધ પણ કર્યા કર. આમ કરવાથી તું ચોક્કસ મને જ પામવાનો છો. એટલે કે તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું. તું ચિંતા ન કરીશ.’ આટલો ભરોસો આપ્યા પછી નિયમ રૂપે ત્રણ વાતો સમજાવે છે.
1) પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગ. યોગ એટલે ઠાલો યોગ નહીં, કસરત નહીં, હાથ પગ ઉછાળવા તે નહીં, પેટ અંદર બહાર લઇ જવું તે નહીં પણ પરમેશ્વરનું ધ્યાન ક્ષણે ક્ષણ હોય એવા અભ્યાસરૂપ યોગયુક્ત તારે રહેવું પડે.
2) બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતન ચિંતન કરતો માણસ બની રહેવાનું એ બીજું સ્વરૂપ છે.
3) અને પરિણામે પરમ પ્રકાશ જેવા દિવ્ય સ્વરૂપ પરમેશ્વરને માણસ પામી શકે છે.
તમે જો પહેલા બે પગલાંને બરાબર આત્મસાત કરીને એમની સાથે જીવતા રહેશો તો ઈશ્વર તમને પ્રાપ્ત થવાના છે.
જે માણસ સર્વજ્ઞ, અનાદિ, અંતર્યામી રૂપે સઘળા પ્રાણીઓના શુભ અને અશુભ કર્મોનું શાસન કરનાર છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, સૌનું ધારણ પોષણ કરનાર છે, અચિંત્ય સ્વરૂપ છે, સૂર્ય સમાન સદાય ચેતનરૂપી પ્રકાશ આપનાર છે અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ, સત ચિત્ત અને આનંદને વરેલ છે એવા પરમેશ્વરનું મારે અને તમારે સ્મરણ કરવાનું છે, સ્વીકારવું પડશે પહેલા મનમાં કે, હા આવું કોઈ સ્વરૂપ છે. આવો જે ભક્તિયુક્ત માણસ અંતકાળે પણ યોગબળથી બે ભમ્મરોની વચ્ચે મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચલ મનથી સ્મરણ કરતા કરતા દિવ્ય સ્વરૂપ પરમાત્માને જ પામે છે તેની ખાતરી અર્જુનને દસમાં શ્લોકમાં શ્રી ભગવાન આપે છે.(ક્રમશઃ )

બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ?

બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ?

આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ?

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(24)

શ્રીમદ ભગવદ ગીતાનો આઠમો અધ્યાય હકીકતમાં આપણને મૃત્યુ માટેની તૈયારી કરતા શીખવવા માટેનો અધ્યાય છે. એક અર્થમાં એ ભવ્ય મૃત્યુ માટેની જીવન સાધના પણ ગણી શકાય. આમ તો આ અધ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ છે. સમશ્લોકી ગીતા અનુવાદમાં શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા આઠમા અધ્યાયના શીર્ષકનો ભાવાનુવાદ કરે છે “યોગીનો દેહત્યાગ.”

ભગવાનને અર્જુન સતત પ્રશ્નો પૂછવા લાગ્યા છે. અને એ પ્રશ્નો પૂછવામાં તે દૈનંદિન બાબતોની સાથે ધર્મ, અધ્યાત્મ, કર્મ વગેરે સુધી પહોંચી ગયા છે. અર્જુન આઠમા અધ્યાયના આરંભમાં સીધો જ પ્રશ્ન પૂછે છે કે, બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? હે, પુરુષોત્તમ, તમે મને એ જણાવો કે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ એ વળી શું છે ? અંત વેળાએ યતિએ એટલે કે યોગીએ તમને જાણવા હોય તો કેમ જાણવા ? મને સ્પષ્ટ ભાષામાં તે જણાવો. અને આટલા બધા પ્રશ્નોના જવાબમાં શ્રી ભગવાન ટૂંકાને ટચ જવાબ આપે છે:

જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ છે,

પ્રાણીમાત્રને વિષે સ્વસત્તાથી જે રહે છે તે અધ્યાત્મ છે,

પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિ વ્યાપાર તે કર્મ કહેવાય છે.

અધિભૂત તે મારુ નાશવંત સ્વરૂપ છે.

અધિદૈવત તે તેને વિષે રહેલું મારું જીવસ્વરૂપ છે.

હે મનુષ્યમાં શ્રેષ્ઠ ! અધિયજ્ઞ આ દેહને વિષે રહેલું, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું, જીવસ્વરૂપ છે.

વાત જરા વિગતે જાણવા જેવી છે. માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું છે. આપણા દ્વારા અસંખ્ય ક્રિયાઓ થયા જ કરે છે. સ્થૂળ પ્રમાણમાં ગણતરી કરીએ તો ચોવીસ કલાકના દિવસમાં કેટલી ક્રિયાઓ થઇ આપણને જોવા મળે. આમ ઝડપથી ગણીએ તો પણ ખાવું, પીવું, બેસવું, બોલવું, ઊંઘવું, ફરવા જવું, લખવું, કામ કરવું, વાંચવું આમ બોલતા જ રહીએ. વળી ક્રિયાઓ કરતા રહીએ છીએ તે દરમિયાન તરહ તરહના સ્વપ્નાઓ, રાગ અને દ્વેષ, માન અને અપમાન, સુખ અને દુઃખ એમ ક્રિયાના અનેક પ્રકારોનો આપણને પરિચય થાય છે. એક નાનકડું ઉદાહરણ લઈએ ઊંઘી જવાનું, તો ઊંઘતી વખતે એક કલાક પછી મને ઉઠાડજો એવી સૂચના આપીને આપણે ઊંઘી જઈએ અને દોઢ બે કલાક સુધી કોઈ ઉઠાડે નહીં તો જેને ઉઠાડવાની જવાબદારી, એ જવાબદાર માણસ છે એમ માનીને આપણે પોતે સોંપી હતી એના પ્રત્યે તાત્કાલિક મનની અંદર રાગ દ્વેષની ભાવના ઉભી થશે. ક્રિયા ખુબ નાની છે. છતાં એક પ્રકારનો પ્રતિભાવ આપણા મનમાં રજીસ્ટર થાય છે. મન ઉપર આ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા જ કરે છે. એટલે કોઈ એમ પૂછે કે જીવન એટલે શું ? તો જીવન એટલે સંસ્કાર સંચય એવી વ્યાખ્યા શ્રી વિનોબાજી કરે છે.

વિચારનો મુદ્દો એ છે કે સંસ્કાર સારા પણ હોય અને નરસા પણ હોય અને બંનેની માણસના જીવન ઉપર અસર હોય. હવે જુઓ બાળપણની ક્રિયાઓ છે એનું તો બહુ સ્મરણ રહેતું નથી. પાટી ઉપર જેમ લખેલું ભૂંસી નાખ્યું હોય એવું બચપણનું થઇ જાય. માની લઈએ કે પૂર્વ જન્મ જેવું કશું છે તો પૂર્વ જન્મના સંસ્કારો તો સાવ ભુલાય ગયેલા હોય. તે એટલે સુધી કે આપણે શંકા કરવા લાગીએ કે ખરેખર પૂર્વ જન્મ હતો કે નહોતો. આ જન્મનું બાળપણ પણ યાદ ન આવતું હોય તો પૂર્વ જન્મની વાત કેવી રીતે કરવી ? આપણે જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઇ છે એવું નથી. કેટલીક ક્રિયાઓ અને કેટલાક જ્ઞાન એવા હોય છે કે જે આપોઆપ થયા જ કરે છે. એક પ્રયોગ કરીએ. રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાન બનેલી બધી જ ક્રિયાઓ યાદ કરવા જઈએ તો આપણને ખબર પડશે કે બધું યાદ હોતું નથી. જે જે નજર સામે દેખાય છે એવા કામ તાત્કાલિક યાદ આવી જશે, કોઈની સાથે ખુબ તકરાર થઇ હોય તો એ યાદ આવશે, તે દિવસની મબલક કમાણી થઇ હોય તો તે યાદ આવશે. જે બહાર તરી આવતી મોટી મોટી વાતો છે એના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઉતરી જાય છે. એટલે કે મુખ્ય ક્રિયા યાદ રહે છે અને બાકીની છે એ ધીમે ધીમે ઝાંખી થતી જાય છે.

જરા વિચારો તો કે આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ? છ મહિનાનું આપણને યાદ રહે, અથવા વર્ષનું યાદ રહે, અથવા પાંચ વર્ષનું યાદ રહે તો એ તારણ રૂપે બહુ થોડી મહત્વની વાતો આપણને ચિરસ્થાયી નોંધાય છે. અને આ નોંધાયેલી વાતો છે એના સંસ્કાર બને છે. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર સંપત્તિની છે. અનેક સંસ્કારોના સરવાળા બાદબાકી કરતા કરતા તદ્દન ચોખ્ખું અને માપસરનું કશું જમા રહે તો એ આપણા જીવનની સિલક કહેવાય. જીવનની છેલ્લી ક્ષણ આવે ત્યારે આપણો આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આ જન્મારામાં શું કર્યું ? કેમ કર્યું ? કેટલો નફો થયો ? કેટલી ખોટ થઇ ? આ બધી જ વાત એ સમયે યાદ આવે છે. અને ગીતાનો આઠમો અધ્યાય આપણને એવું સમજાવવા માંગે છે કે તમે મૃત્યુની પળે જે વિચાર લઈને બેસી ગયા છો અથવા તો તમારું મન જે વિચાર સાથે અનુબંધ બાંધીને બેસી ગયું છે એ વિચાર લઈને તમે આવતા જન્મમાં પણ આવવાના છો. ગીતા એને વાસના કહે છે. ખાવાની ચીજ ઉપર વાસના બેસી જાય, ઘરના કોઈ વ્યક્તિ પ્રત્યે આપણી વાસના બેસી ગઈ હોય. લાગણી હોય, પ્રેમ હોય પણ અધૂરપ હોય, પૂર્ણતા ન હોય અને એના પ્રત્યે જો આપણને અભાવ રહી ગયો હોય તો આ એ અભાવ સાથે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે ભવિષ્યમાં પણ અભાવ લઇને જન્મે છે. એટલે યાદ રાખવું એ પડે કે જીવનના છેલ્લા તબક્કામાં આપણા જીવનનો સાર મધુર હોવો જોઈએ.

જીવનની છેલ્લી ઘડી રુડી બનવી જોઈએ. અને એ બનાવવા માટે આપણે આખું જીવન મહેનત કરવી જોઈએ. આપણામાં કહેવત છે કે, ‘જેનો અંત રૂડો તેનું સઘળું રૂડું’. એટલે કે છેવટે શું આપણી પાસે રહેવાનું છે વિચારમાં, ક્રિયામાં અથવા રોજબરોજના વ્યવહારમાં એ યાદ રાખીને આજે વ્યવહાર કરવો જોઈએ. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રભાહ વહાવીએ. રાત દિવસ મનનું એવું વલણ બનાવીએ તો આપણા દેહનો ત્યાગ એક યોગીના દેહત્યાગ જેવો સફળ બને. (ક્રમશ:)

સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી.

સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી.

દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે !

ભદ્રાયુ વછરાજાની                                            bhadrayu2@gmail.com 

(23) 

વિનોબાજી કહે છે કે, “એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો. પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, “મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નકામા પૈસા ફેંકી દે છે.” મેં તેમને કહ્યું, “તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બેચાર પૈસા ખરી કે નહીં? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારું દાન થાત. પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરુણા વહી રહી છે એમ માની એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન કરું કે ? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું, એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ.” દેશભક્તિ એટલે શું કેવળ રોટલો? દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે ! આવડો મોટો આ સૂર્ય ઊગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે ? પેલો અંગ્રેજ કવિ વડર્ઝવર્થ દુઃખી દિલથી ગાય છે, “પહેલાં હું મેઘધનુષ્ય જોતો ત્યારે નાચી ઊઠતો. મારા દિલમાં ઉમળકો આવતો. આજે હવે હું કેમ નાચી ઊઠતો નથી ? પહેલાંના જીવનની માધુરી ખોઈને હું જડ પથરો તો નથી બની ગયો?”

ટૂંકમાં, જીવ ગમે તે હોય અને ગમે તેવડો હોય પણ પરમેશ્વરના દરબારમાં એક વાર પેઠો એટલે તે માન્ય થઇ જાય છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તે જ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ આગળ વધે છે. 

હવે નિષ્કામ ભક્તિ કરનારની વાત જાણીએ. એમાં વળી એકાંગી અને પૂર્ણ એવા બે પ્રકાર છે, એકાંગીના  પાછા ત્રણ પ્રકાર છે, પહેલા આર્ત ભક્તો. આર્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, બેબાકળો થનારો જેમ કે નામદેવ. એમાં બીજો પ્રકાર છે જિજ્ઞાસુ એમાંના  કોઈને ગૌરીશંકર ફરી ફરીને ચડવો છે, તો કોઈને ઉત્તર ધ્રુવની  શોધમાં નીકળી પડવું છે, તો કોઈને વળી જ્વાળામુખીની અંદર ઉતરી પડવું છે જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે દરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદીમુખેથી સાગરને મળે છે તેમ જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળે છે. ત્રીજો પ્રકાર તે અર્થાર્થી. અર્થાર્થી એટલે દરેકે દરેકે વાતમાં અર્થ શોધનારો. યાદ રાખજો હો,  અહીંયા અર્થ એટલે પૈસો નહીં અર્થ એટલે હિત, કલ્યાણ. આનાથી સમાજનું કલ્યાણ થશે તે પ્રશ્ન તેનો કસોટી પ્રશ્ન છે, મારું લખાણ, મારું ભાષણ, મારું બધું કર્મ જગતના માંગલ્ય માટે છે કે નહીં એ વાત તે જોશે. બધી પ્રક્રિયાઓ તરફ પ્રેમની દ્રષ્ટિથી જોનારો હોય તે આર્ત છે, જ્ઞાનની દ્રષ્ટિથી જોનારો હોય તે જિજ્ઞાસુ છે અને સર્વના કલ્યાણની દ્રષ્ટિથી જોનારો હોય તો તે અર્થાર્થી છે. આ ત્રણેય ભક્તો નિષ્કામ ભક્ત ગણાય પણ એકાંગી…. એક કર્મ મારફતે, બીજો હૃદય મારફતે અને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો. આમ તો એને  જ્ઞાની ભક્ત કહી શકાય. ‘નર, નારી, બાળ બધાય નારાયણ છે એવું હે પ્રભુ મારું મન બનાવી દે..’. આવી સંત તુકારામ પ્રાર્થના કરતા . એને ગમે તે મળે કીડી, મંકોડી થી લઈને  ચંદ્ર સૂર્ય સુધી સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે ને તેનું દિલ આનંદથી ઉભરાય જાય છે. પછી તેને પાર  વગરનું સુખ મળે છે. આનંદથી તેના હૃદયનો સાગર હિલોળે ચડે છે. આમ એક પરમાત્મા જ સર્વત્ર રમી રહ્યો છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે, અને એવો અભ્યાસ કરતા કરતા એક દિવસ તે ઈશ્વરમાં મળી જાય છે. (ક્રમશ:)

ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.

ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.

ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com

                                                                (22)

સકામ ભક્તિ કરનારો એટલે શું ? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો સકામ ભક્તિ કરનારો કહેવાય. આમ એવું લાગે કે આ ભક્તિ ઉતરતા પ્રકારની છે. પણ ઘણા લોકો માન આબરૂ મળે એટલા સારું સાર્વજનિક સેવામાં જોડાય છે. માન મળવું જોઈએ તેવું લાગે છે તેનો અર્થ શું હોઈ શકે ? એનો અર્થ એટલો જ કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારું છે એવી માન મળવાની ખાતરી જોઈએ છે. મા દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે. સકામ ભક્તિનું બસ આવું જ છે સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે, ‘આપ…’ 

ઈશ્વર પાસે જઈને બધું માંગવું એ વાત સામાન્ય નથી એ અસામાન્ય વાત છે. જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, ‘યાત્રાએ આવે છે ?’ નામદેવે પૂછ્યું, ‘યાત્રા ? શા સારું ?’ જ્ઞાનદેવે કહ્યું, ‘સાધુ સંતોને મળવાનું થશે.’ નામદેવે કહ્યું,  ‘દેવને પૂછીને આવું.’ નામદેવ મંદિરમાં જઈને દેવની સામે ઉભો રહ્યો.  તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.  દેવના બંને ચરણ તે તાકી રહ્યો. છેવટે રડતા રડતા એણે પૂછ્યું,  ‘દેવ,  હું જાઉં ?’ હવે જ્ઞાનદેવ તો પાસે જ હતા. આ નામદેવને આપણે શું કહેશું ? ગાંડો કહીશું ? પણ ઈશ્વરની પાસે જઈને રડનારો ભક્ત સકામ હશે તો પણ તે અસામાન્ય હશે. ખરેખર માંગવા જેવી વસ્તુ તે માંગતો નથી એ તેનું અજ્ઞાન છે. પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય છે એવું સાબિત થતું નથી. 

તુલસીદાસના કુળમાં રામતીર્થ જનમ્યા. રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, “તુલસીદાસના કુળમાંના તમે અને તમને સંસ્કૃત ન આવડે એ કેવું?” રામતીર્થના મન પર આ વચનની અસર થઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ભગવાન કહે છે, “મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દ્રઢ કરીશ. તેના મનમાં ગોટાળા પેદા નહીં કરું. હે ઈશ્વર ! મારો રોગ મટાડ, એવું તે તાલાવેલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે નિમિત્તે તે મારી પાસે આવશે તો તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ.” ધ્રુવની વાત યાદ કરો. બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે, “ઈશ્વર પાસે માગ.” તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તોયે શું થયું? માણસ કોની પાસે જાય છે, ને કોની પાસે માંગે છે, એ વાત મહત્ત્વની છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે.

આ સાતમા અધ્યાયને સ્ફટિક સ્પષ્ટતાથી સમજી લેવા જેવું છે અને તે માટે આપણે સંત શ્રી વિનોબાજીના વચનોનો સહારો લઈએ…

“ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ, અર્જુન બધા રસ્તામાં ગળી પડ્યા. સ્વર્ગને બારણે પહોંચતાં ધર્મને કહેવામાં આવ્યું, “તમને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાઈ છે.” મેં કહ્યું, “મારા કૂતરાને દાખવે થવાનું નહીં મળતું હોય તો મારે ય દાખલ થવું નથી.” અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય, પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતો છે. તે કૂતરો ભીમ ને અર્જુન કરતાં પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારું જીવડું કેમ ન હોય પણ ન જનારા ભલભલા મોટાઓ કરતાં પણ મોટું છે. મંદિરમાં પેસતાં જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠિયો હોય છે. તેમને સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી. તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તોયે તે ઈશ્વરનો છે એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાહ્યા કરતાં તે ચડિયાતો છે. ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.” (ક્રમશ:) 

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે

જે જાણ્યા પછી જગતમાં બીજું જાણવા જેવું બાકી રહેતું નથી , તેવા જ્ઞાનની સાધના કરવી,”  એ સાતમા અધ્યાયનો સંદેશ છે. 

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

                                                      (21) 

 

શ્રીમદ ભગવદ ગીતાના સાતમા અધ્યાયને પૂર્ણતા  તરફ લઇ જતાં કેટલીક પાયાની વાતોનો  વિચાર કરી લઈએ. 

ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: 

(૧) પ્રભુનું સતત નામસ્મરણ અને 

(૨) સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના.

ભક્તિના નવ પ્રકાર છે: 

શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન.

દયારામે ભક્તિના દશ પ્રકાર કહેલ છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે.

ભક્તિ તો હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. નિષ્કામભાવે, નિષ્કપટભાવે ભગવાનને ભજવાથી પ્રેમ પ્રકટ થાય છે.

વિનોબાજી લખે છે કે: ખુદ ભગવાન પણ ભક્તિને  અમૃતધારા કહે છે.

ભક્તિ બે પ્રકારની છે: સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ સુલભ અને

સુરક્ષિત છે, પરંતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે.

નિર્ગુણ, સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નથી. 

ભક્ત એટલે  ભક્તિ કરનારો માણસ; પૂજારી; ઉપાસક.

શ્રીમદ્ ભગવદ ગીતામાં  ભક્તનાં લક્ષણ સંબંધી ભગવાન કહે છે કે: જે સર્વ ભૂતોનો દ્વેષ નહિ કરનાર,  સર્વ તરફ મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો,  અહંકાર રહિત, સુખદુ:ખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે.

 જેનાથી લોક ગભરાતા નથી અને જે લોકથી ગભરાતો નથી તથા જે હર્ષ ક્રોધ, ભય અને ગભરાટ કે કંટાળા વગરનો છે, તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, પક્ષપાત રહિત, ભય વિનાનો અને સર્વ આરંભોને છોડનારો છે તે ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઇચ્છા કરતો નથી અને શુભ અશુભ તજનાર તથા ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. 

જે શત્રુ કે મિત્ર ઉપર, માન કે અપમાનમાં, ટાઢ, તાપ, સુખ કે દુ:ખમાં સમાન ભાવવાળો અને સંગ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મૌનધારી હોય,

જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, ઘરબાર વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે

ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની.

જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા,

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા.

જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે. જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ ..

જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે, તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ.

ભક્તના જે ચાર પ્રકારો ગણાવ્યા એમાં પહેલા ત્રણ એટલે કે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એમની ભક્તિને  સકામ ભક્તિ કહેવાય.  ત્રણેયને કશુંક કશુંક પામવું છે. એક આશ્વાસન પામવા ઈચ્છે છે. બીજાને પંડિતાઈ પામવી છે, તો ત્રીજો લાભ ઈચ્છે છે. ચોથો વર્ગ છે તે જ્ઞાનીઓનો છે અને તેઓ નિષ્કામ ભક્ત છે. તેઓ પણ કંઈક પામવા ઈચ્છે છે. પણ તે પરમેશ્વર છે. 

સાતમા અધ્યાયમાં ગીતાકારનું કથન મહત્વનું બની રહે છે. “જે જાણ્યા પછી જગતમાં બીજું જાણવા જેવું બાકી રહેતું નથી”,  તેવા જ્ઞાનની સાધના કરવી એ સાતમા અધ્યાયનો સંદેશ છે. 

આમ માણસે…. 

1) જે પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, 

૨) જે જાણ્યા પછી બીજું જાણવાનું બાકી ન રહે, 

૩) જ્યાં ગયા પછી ક્યાંય જવાનું બાકી ન રહે અને 

૪) જ્યાં પહોંચ્યા પછી બીજે ક્યાંય પહોંચવાનું બાકી ન રહે એવા કશાકની શોધ કરવાની છે. 

આપણે અમૃતના સંતાનો છીએ એટલે આ શોધ કરવામાં આપણું જીવન આપણે વ્યતિત  કરવાનું છે. (ક્રમશ:) 

ભગવાન આપણને ભક્તિ શીખવે છે.

ભગવાન આપણને ભક્તિ શીખવે છે.

જીવનમાં સાચો આનંદ મળ્યો નથી એટલે પછી માણસ કૃત્રિમ આનંદ શોધવા ફર ફર કરે છે. આનંદનો જાણે કે દુકાળ છે. 

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

                                                     (20)

ગીતાજીના સાતમા અધ્યાયમાં પોતાના જીવનનો પ્રસંગ ટાંકીને વિનોબાજી તો એવું કહે છે કે,  “નાનપણમાં એક વાર હું સિનેમા જોવા ગયો. જતી વખતે ગુણપાટ લેતો ગયો હતો. મારો આશય એ કે ઊંઘ આવે તો એના ઉપર સુઈ જવું. પડદા પર આંખને આંજી નાખનારી આગ હું જોવા લાગ્યો. બે ચાર મિનિટ સુધી જે જગજગતી સંજ્ઞા ચિત્રો જોઈ મારી આખો થાકી ગઈ અને હું ગુણપાટ પાથરીને સુઈ ગયો ને મેં કહ્યું કે પૂરું થાય એટલે ઉઠાડજો. રાતને પહોરે, ખુલ્લી હવામાં, આકાશમાં અને ચંદ્ર ને તારા વગેરે જોવાનું છોડીને શાંત સૃષ્ટિનો પવિત્ર આનંદ  છોડીને એ બંધિયાર થિયેટરમાં આગનાં ઢીંગલા નાચતા જોઈને લોકો તાળીઓ પાડે છે.  મને પોતાને તો એમાં કઈ સમજાણું નહીં. માણસ એટલો બધો નિરાનંદ કેમ છે એવો પ્રશ્ન આપણને થાય.”   

જીવનમાં આનંદ નથી એટલે પછી માણસ કૃત્રિમ આનંદ શોધવા ફર ફર કરે છે. આનંદનો જાણે કે દુકાળ છે. આવા આનંદમાં માણસ તલ્લીન થઈ જાય છે,  એનું કારણ શું ? સાચા આનંદનો તેને પત્તો લાગ્યો નથી એટલે તલ્લીન થઈ જાય છે. માણસ પડછાયાથી ભૂલીને તેની પાછળ પડ્યો. આજે પાંચ જ્ઞાનેન્દ્રિયોના આનંદનો જ તેઓ ભોગ કરે છે. જોવાની આંખની ઇન્દ્રિય ન હોત તો એમ માનત  કે દુનિયામાં ચાર ઇન્દ્રિયનો આનંદ છે. કાલે મંગળના ગ્રહ પરથી છ જ્ઞાનેન્દ્રિયવાળો માણસ પૃથ્વી ઉપર ઉતરે તો આ પાંચવાળો દિલગીર થઈને કહેશે અરે, આને મુકાબલે આપણે તો કેટલા બધા દુર્બળ છીએ? 

આપણે સરખામણી કરવા લાગ્યા એટલે તમને તમારી જાત દુર્બળ લાગવા લાગી. આપણે એવું માનીએ છીએ કે શુકન છે અને અશુકન છે, શુભ અને અશુભ છે. ઘણીવાર રાત્રે કુતરા ભસે અથવા તો ગધેડા ભુકે તો આપણે એને અપશુકનિયાળ માનીએ છે. વડોદરાની એક કોલેજમાં વિદ્યાર્થી તરીકે ભણતા હતા ત્યારે  યુરીપિયન ગવૈયા  આવ્યા હતા.  સારું ગાતા હતા. પોતાની કળા બતાવવામાં કમાલ કરતા હતા. પણ વિનોબાજી કહે છે ત્યાંથી ક્યારે નાસવાનું મળે એની હું રાહ જોતો હતો. એવું ગાયન  સાંભળવાની મને ટેવ નહોતી એટલે તેને મેં નાપાસ કરી નાખ્યા.  આપણા ગવૈયા ત્યાં જાય તો કદાચ ત્યાં નાપાસ થાય. સંગીતથી એક જણને આનંદ થાય છે તો બીજાને થતો નથી એટલે સાચો આનંદ નથી એ નકલી આનંદ છે. 

ખરા આનંદનું દર્શન થયું નથી ત્યાં સુધી છેતરનારા આનંદ ઉપર જોલા ખાઈએ છીએ. તો ખરો આનંદ ક્યાંથી મળે એનો ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતા જતા પરમેશ્વરી કુશળતા સમજાતી જશે. તે દિવ્ય કલ્પના આવ્યા પછી બાકીની બીજી બધી જ કલ્પનાઓ આપોઆપ ઓસરી જશે. મીઠાઈની સેંકડો દુકાન હોય છતાં મીઠાઈનો પ્રકાર એકનો એક હોય છે. જ્યાં લગી સાચી વસ્તુ મળી નથી ત્યાં સુધી ચંચળ ચક્ર ની જેમ એક એક દાણો અહીંથી ખાશું, ત્યાંથી ખાશું અને રાજી થયા છીએ એમ માનીશું. તમે કોઈ પુસ્તક વાંચતા હો રાત્રે દિવા પાસે બેસીને તો દીવાની આસપાસ જીવડાં આવે. જીવડાં આવે એટલે ગરોળી આવે, જીવડાં જોઈને તેના આનંદનો પર ન રહે. ગરોળી રાજી થઈ જાય. પણ તે જીવડું ઝડપી લેવા જતી હતી એ જ સમયે જો જરાક તમારો હાથ હલી ગયો તો ગરોળી ભાગી જાય તેનું ધ્યાન જીવડાંમાં હતું. આપણને એમ થાય કે એ જીવડું ખાશે કે નહીં ખાય ? મને જે રસ મળ્યો તેવો જ રસ ગરોળીને મળે ખરો ? એ સમયે તમે ધારો કે રામાયણ વાંચતા હતા તો રસ ચાખતા આવડતું નહોતું છતાં પણ તમને આનંદ મળતો. સાચો રસ ચાખવા મળે તે માટેનું એક સાધન ભક્તિ છે. ભગવાન આપણને ભક્તિ શીખવે છે. 

ભગવાને ભક્તિના ત્રણ પ્રકાર કહ્યા: 

૧) સકામ ભક્તિ કરનારો, 

૨) નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને 

૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. 

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર પડે. ભક્તિના વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ડાળીઓ છે.

ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની.

જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા.

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે.

જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા.

 જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે.

જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ.

જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને

બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે,

તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ. (ક્રમશઃ)

 

 

 

‘હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.’

‘હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.’

વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી.ભગવાન સ્પષ્ટ કહે છે. 

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

(19)

કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા સમગ્ર ગીતાનું ગુજરાતીમાં સમશ્લોકી થયેલ છે, જેના દ્વારા શ્રીમદ ભાગવત ગીતાને સમજવામાં અતિ સરળતા થઇ ગઈ છે.આપણે આપણા સંવાદમાં તેના કેટલાક શ્લોકો ટાંકીને  વધુ સ્પષ્ટતા  કરી રહ્યા છીએ.

સાતમા અધ્યાયના  કેટલાક અગત્યના શ્લોકો જોતાં જોતાં આ અધ્યાયનું સારતત્ત્વ તારવીએ તો… અહીં ભગવાન ચોખ્ખું કહે છે કે હું કહું છું તેમાં શંકા કર્યા  વગર સાંભળ.

શ્રી ભગવાન બોલ્યા

આસક્ત મુજબ મારા આશ્રયે યોગ યોજતો,

જેમ સમગ્ર નિઃશંક મને જાણીશ, તે સુણ.

સાતમા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ એવું નામ આપવામાં આવ્યું છે, અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન છે. અહીં અધ્યાત્મ એટલે જ્ઞાન છે અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે બનપ નથી એવું જે કહે છે તેણે સમજી લેવું જોઈએ  કે જેટલો નાતો ગાય અને ગોચર વચ્ચે છે એટલો જ જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે છે, કૃષ્ણ એ આ વાતને સ્પષ્ટ કરી છે.  આ અધ્યાયના એક શ્લોકમાં ભગવાન કહે છે કે,

વિજ્ઞાન સાથ આ સંપૂર્ણ કહું છું તને,

જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે.

એટલે વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી  રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ પણ શ્રી કૃષ્ણે બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી આપ્યો છે.

ભૂ, જળ, અગ્નિ, વા, વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ

આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી.

એમણે આઠ બાબતો ગણાવી છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ બાબતોનો સરવાળો કરો એટલે અષ્ટધા ભક્તિ બને છે,  એવું તેઓ આ અધ્યાયમાં ખુદ કહે છે.

પોતે રચેલી પ્રકૃતિનો ખ્યાલ આપતા તે ઉમેરે છે …

આ તો અધર છે, અન્ય પર પ્રકૃતિ તે થકી.

જીવરૂપ થઇ જેણે, જાણ આ જગને ધર્યું.

એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સમન્વય જેણે સમજવો હોય તેણે આ શ્લોકને આત્મસાત કરવો પડે. અહીં પ્રકૃતિના સ્પષ્ટ બે વિભાગ પાડ્યા છે, અપરા અને પરા. અપરા પ્રકૃતિની અંદર જળસૃષ્ટિ આવે,  વિજ્ઞાનગમ્ય બાબતો આવે, અવિદ્યા  એટલે કે ઈશોપનિષદમાં જે વાત કરી તે આવે અને ચિત્ત સાધના  પણ આવે. જયારે પરા પ્રકૃતિમાં ચેતનસૃષ્ટિ, જ્ઞાનગમ્ય વિદ્યા અને સત્ય સાધના આવે. નોન લિંવિંગ એટલે કે જડ  અને લિવિંગ એટલે કે ચેતન,  આ વિજ્ઞાનના બે ભાગ સજીવ અને નિર્જીવ. અવિદ્યાનો સંબંધ વૃત સાથે છે,  જયારે વિદ્યાને સત્ય સાથે લેવા દેવા છે. વૃતનું સંશોધન અપરા પ્રકૃતિ પૂરતું મર્યાદિત છે. સત્યનું સંશોધન પરા પ્રકૃતિના પ્રદેશની સાધના છે. આ બે પ્રકૃતિનું કોઈ મિલન સ્થળ ખરું ? એવો પ્રશ્ન એક માનવ તરીકે આપણને થાય તો કૃષ્ણ સરસ જવાબ આપે છે…

આ બેથી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે,

આખા જગતનો, પાર્થ હું જ ઉત્પત્તિ ને લય.

બીજું કોઈ નથી તત્વ મારાથી પર જે ગણો

હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.

સર્વ ભૂતો આ બે પ્રકૃતિ વડે જ ઉત્પન્ન થાય છે. આખા જગતનો પાર્થ હું જ ઉત્પત્તિ ને લય. વિદ્યા અને અવિદ્યા બંનેને  સાથે રાખીને અહીં મુકવામાં આવી  છે. જ્ઞાન વિજ્ઞાનની સમજણની ખૂબી શું તે સમજાવવા બે પંક્તિઓ  આપની  સામે મુકું.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂ ધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે

વિવિધ રચના કરી અનેકરસ લાભ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે.

નરસિંહે આ વાત આપણને  સમજાવી છે,  જે ગીતાના સાતમા અધ્યાયમાં સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણી સમક્ષ મૂકી આપી છે. અહીં સાચો રસ ચાખવા મળે તે માટેનું એક સાધન ભક્તિ છે, તેવું કહેવામાં આવ્યું છે. ભગવાન આપણને ભક્તિ શીખવે છે. ભગવાને ભક્તિના ત્રણ પ્રકાર કહ્યા ૧) સકામ ભક્તિ કરનારો, ૨) નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને ૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર પડે. એકને કહેવાય આર્ત, બીજાને કહેવાય જિજ્ઞાસુ અને ત્રીજાને કહેવાય અર્થાર્થી. ભક્તિના વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ડાળીઓ છે. (ક્રમશ:)