આ લૌટ કે આજા મેરે મિત..

આ લૌટ કે આજા મેરે મિત..

Image 2

આ લૌટ કે આજા મેરે મિત..

નરસૈંયાના મારગે ચાલ્યા બાપુ….

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

આદિ કવિ નરસિંહ મહેતાને નાત બહાર મુકવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ હરીજનવાસમાં જઈને ભજનો ગાયા હતાં. એને આ આરોપ બદલ નાગરી નાતે નાત બહાર મૂક્યા હતા. પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ.

પણ આજે છસો વર્ષ પછી ફરી એકવાર કોઈ વિભૂતિતત્ત્વએ નરસૈંયાને ગમે તેવું વર્તન કરવાનું પસંદ કર્યું છે અને સમાજને ફરી એકવાર નરસિંહ જેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ એવા લોકોની વચ્ચે જઈને બેઠા છે કે જેમને સામાન્ય સમાજ સાથે ભળવામાં અસુખ લાગે છે અથવા એમ કહો કે સામાન્ય સમાજમાં તેઓ સ્વીકૃત નથી થયા.

વાત કરી રહ્યા છીએ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારની… અને ધરમપુરથી દુર લગભગ પંદરેક કિમી થી શરૂ થતો આખો આદિવાસીઓનો પટ્ટો. અહીં આઠ દસ નાનાં ઘરોથી એક ફળિયું બને છે. અને આવા પંદરેક ફળિયામાંથી એક નાનું ગામ બને છે. ગામમાં કોઈ પ્રશ્ન નથી પણ ગામમાં એવા લોકો ચોક્કસ છે કે, જે ઉજળિયાત ગણાતા નથી. અહીંના લોકોની ઉદારતા ગણો તો એ છે કે કોઈ તમને પગે લાગવા આવે અથવા તો રામ રામ કહેવા આવે ત્યારે વાંકા વળીને જમીનને સ્પર્શ કરે છે. કોઈના પગને સ્પર્શ કરતા નથી. તમારાથી દૂર રહીને જમીનને સ્પર્શે છે અને પછી માથે હાથ ચડાવીને રામ રામ બોલે છે. તમને મળે તો એ તાત્કાલિક કહેશે અમે તમને નહીં ટચ કરીએ – એમ કરીને પોતે જ પોતાની જાતને સંકોચી લે છે. આટલો ભાવ જેની અંદર ઊંડો ઉતર્યો છે, એનો અર્થ એ કે એમને આપણે કેટલા પાછળ રાખ્યા હશે એ આપણે સૌ સમાજના લોકોએ જરા વિચારવા જેવું છે.

છેલ્લા થોડા દિવસોથી ધરમપુરથી દૂર ખન્ડેવન અથવા તો ખાંડા ગામના એક સુંદર મજાના વિસ્તારમાં આપણા વૈશ્વિક કથાકાર અને ગુણીસંત શ્રી મોરારીબાપુ રામકથાનું ગાન કરી રહ્યા છે. આ કથાના પ્રારંભના દિવસે જ એમણે કહ્યું હતું કે, અમે તમારા સુધી પહોંચવામાં બહુ મોડા પડ્યા છીએ. અમે તમને મળવાનું ચૂકી ગયા છીએ, એનું પ્રાયશ્ચિત કરવા આજે હું તમારી વચ્ચે આવ્યો છું. મારે તમારી વાત સાંભળવી છે, તમારી સાથે સંવાદ કરવો છે. અમે ન આવી શક્યા એટલે તમે અન્ય તરફ વળી ગયા. અને પરિણામે તમે અમારા ધર્મને મૂકીને બીજા ધર્મને પાળવા માંડ્યા ,એમાંથી તમને સૌને હું આપણા ઘરે પાછા બોલાવવા આવ્યો છું. બાપુએ પોતાની નિજી શૈલીમાં ‘આ લૌટ કે આજા મેરે મીત તુજે મેરે ગીત બુલાતે હૈ’ – એ ફિલ્મી ગીત ગાઈને તેઓને ઈજન આપ્યું કે તમે ફરી એકવાર સનાતન ધર્મમાં પાછા આવો. તમારી ઘરવાપસી કરાવવા હું અહીંયા આવ્યો છું. તમે સૌ એવા પારેવાં છો કે તમને કોઈએ પ્રલોભનો આપ્યા, તમને કોઈએ ભૂખનો ખાડો પૂરીશું એમ કહ્યું, તમને કોઈએ પહેરવા ઓઢવા માટે વસ્ત્ર આપ્યું, હાથમાં બ્રેડ આપી અને તમારો ધર્મ છીનવી લઈ એમના ધર્મમાં ભેળવી દીધા. જે થયું તે અમારી ભૂલ હતી, અમે તમારાથી દૂર રહ્યા એમાં અમારો વાંક હતો. પણ હવે અમને સમજાયું છે અને અમે ફરી એકવાર તમારી વચ્ચે આવ્યા છીએ. આ પારેવા જેવા સૌ આપ લોકોને મારે તો એટલું કહેવાનું કે, તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

શ્રીરામ કથાનું ગાન અનેક પ્રકારના ભેદ ભાંગી રહ્યો છે, ભેદની દીવાલો ભેદવાનું કામ પૂજ્ય મોરારીબાપુ બહુ જ અસરકારક રીતે કરી રહ્યા છે, એ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે અહીંયા એક આદિમ જૂથ છે. જે આદિમ જૂથ પોતાની જાતને સામાન્ય લોકો સાથે ભેળવતું નથી. અને એ લોકો મનથી એવું માને છે કે અમે અછૂત છીએ, અસ્પૃશ્ય છીએ. પણ એમના મનમાં સંકોચ છે કે બાપુ અમને બોલાવે છે પણ અમારે બાપુ પાસે કેવી રીતે જવું. આ વાત જ્યારે બાપુના કાને પડી ત્યારે બાપુએ તાત્કાલિક પગલું ભરીને એમ કહ્યું કે, એ લોકોને કહો કે તમારા આંગણામાં આવીને હું તમને મળીશ. તમે કદાચ અહીંયા આવવામાં સંકોચ અનુભવો છો તો કોઈ ચિંતા ન કરશો. દિલ ન દુભાવશો. હું તમારી પાસે આવીને બેસવા તૈયાર છું અને ખરેખર બાપુ એ આદિમ જૂથની વચ્ચે જેની અંદર કુળચા વર્ગના લોકો છે, જે બહુ જ ગરીબ છે અને પોતાની જાતને આખા સમાજથી અલિપ્ત માનીને જીવી રહ્યા છે. કોઈની સાથે ભળવું એના સ્વભાવનો વિષય નથી રહ્યો. એની સાથે ભળવાનું કામ શ્રી મોરારીબાપુએ બહુ જ આદરપૂર્વક કર્યું છે. એ આદિમ જૂથના લોકો નીચે બેસીને બાપુની સાથે દૂર દૂરથી વાતો કરતા રહ્યા. એમના મનની અંદર એમ જ હતું કે અમે માત્ર બાપુના દર્શન કરીએ. બાપુ ત્યાં ગયા, એમની વચ્ચે જઈને બેઠા એમનો સારા શબ્દોમાં આવકાર કર્યો અને એમને કહ્યું કે, અમે તમને અમારા ગણીએ છીએ તો તમે આવીને અમારી સાથે ભળો. જો માણસ માણસ સાથે ભળવાનું ચૂકી જશે, તો ઈશ્વર આપણને મદદ ક્યાંથી કરશે? –

ફળીએ ફળીએ જઈને બાપુનું આ લોકોને મળવું અને ત્યાંથી ભિક્ષા મળે તેમાંથી વાળુ કરવું એ સૌ વિચારકોના, ચિંતકોના, શાસકોના, સમાજ સેવીઓના બંધ આંખોના દરવાજા ખોલી નાખ્યા છે. ક્યાં સુધી આપણે કોઈને અછૂત ગણ્યા કરીશું? ક્યાં સુધી આપણે કોઈને અસ્પૃશ્ય કહેશું? ક્યાં સુધી આપણે એનાથી દૂર રહ્યા કરીશું? ક્યાં સુધી આપણે એને જુદા ચોકામાં રાખીશું? એમની અંદર પરમ તત્વ વસ્યું છે એવું સિદ્ધ કરવાનું કામ આજે પ્રિય મોરારીબાપુએ કર્યું છે.

કદાચ અત્યારે આ વાતનું મૂલ્ય આપણને નહીં સમજાય પણ પેઢીઓ પછી એવું બનશે કે જેમ નરસિંહને આપણે યાદ કરીયે છીએ, એમ મોરારીબાપુને પણ લોકો યાદ કરશે અને યાદ કરીને કહેશે કે આ એક ઓલિયો ફકીર આવ્યો હતો કે જેણે સૌને સાથે જોડ્યા હતાં.

નિષેધ કોઈનો નહીં, સર્વનો સ્વીકાર આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પ્રિય બાપુ પરમ પ્રિય હો એવી પ્રાર્થના

જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો....

ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો.
 
ધરમપુર તાલુકા નું અંતરિયાળ ગામ છે ખાંડા. અને આ આદિવાસી લોકોનો વિસ્તાર. આ લોકોને આદિતીર્થવાસી લોકો એવું નામાભિધાન કરવાનું પુણ્ય પૂજ્ય શ્રી મોરારીબાપુને મળ્યું છે. પોતાની નવ દિવસની રામકથા લઈને તેઓ આદિ તીર્થ વાસીઓની વચ્ચે બેઠા છે.
કથાના આયોજનમાં પણ પહેલે દિવસે જબાપુએ ટકોર કરી કે, “જે લોકો મને કાયમ સાંભળવા આવે છે, દૂર-દૂરથી આવે છે, પરદેશથી આવ્યા છે, એને મારી વિનંતી છે કે તેઓ પાછળના ભાગમાં બેસે અને અહીંના જે આદિવાસી વિસ્તારના લોકો છે એને મારી ખૂબ નજીક આવવા દે અને એને બેસવા દે. કારણ કે હું એમને મળવા આવ્યો છું. હું એમની વચ્ચે જઈને વાતો કરવા આવ્યો છું, હું એમના ખોયડે-ખોયડે જવાનો છું અને ત્યાં જઈને હું એમની વચ્ચે એમની વાત સાંભળવાનો છું, એમના ઘડેલા રોટલા ખાવાનો છું. મારે એ લોકોની સાથે ભળી જવું છે, જેથી કરીને એ લોકોને એવું લાગે નહીં કે કોઈ સનાતન ધર્મનો એક ભૂખ્યો એનાથી દૂર રહ્યો છે. હું આ મારા સૌ કુટુંબીજનોને, મારા પરિવારને ફરી એકવાર જોડવા માટે અહીં આવ્યો છું.” અને આનંદની વાત એ હતી કે બીજા જ દિવસથી આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી અને બાપુની સન્મુખ આ આદિ તીર્થવાસીઓ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે, દૂરનો વિસ્તાર છે, સખત ગરમીની આગાહી છે, હીટવેવ ની પણ આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે કદાચ કથામાં એટલા શ્રોતાઓ ઉપસ્થિત નહીં થાય, પણ બીજા જ દિવસથી કથાનો મંડપ છલો-છલ છલકે છે. બાપુએ કથા ન સાંભળો તો પણ ભોજનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે ખુલ્લું ઈજન આપ્યું છે. માત્ર ખાંડા નહિ, આજુબાજુનાં ગામના લોકોને કહ્યું છે કે, નવ દિવસ સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળુ તમારે અહીંયા કરવાનું છે. કોઈ ગામની અંદર ચૂલો પેટાવાની મનાઈ છે. બાપુએ પોતાના મનોરથ પ્રમાણે ખાલી ઈશારો કર્યો અને એના મનોરથી યજમાને સવાર-સાંજ શેરડીનો રસ પાઈને ઠંડક કરવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે જમતા પહેલા અને જમ્યા પછી તમે ભાવે તેટલો શેરડીનો રસ અહીં પી શકો છો. બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેના એક માત્ર ઇશારાથી એમના યજમાનો બાપુ શું કહેવા માંગે છે તે પારખી જાય છે, અને બાપુની ઈચ્છાથી સવાયું કરીને એ પાછું આપે છે.
ખાસ કરીને બાપુએ આયોજન એવું કર્યું છે કે, રોજ સાંજે તેઓ એક-એક ફળિયામાં જાય, અને એમ કરીને નવ દિવસમાં નવ ફળિયા આ ગામના જે મુખ્ય છે, ત્યાં જઈને રાત્રે રોટલો ખાય, જેથી કરીને એ લોકોને એમ લાગે કે બાપુ અમારા ઘર સુધી આવ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે બાપુએ અનેક વખત કથામાં કહ્યું છે કે, ‘તમારા ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી’, અને પાંચ વસ્તુઓ ગણાવતા તેઓ કહે છે કે, તમે બે- બે ની જોડમાં પાંચ વસ્તુઓ રાખજો, બે પાદુકા રાખજો, બે દીવા કરજો, બે માળા રાખજો, બે ગ્રંથ રાખજો, અને બે અક્ષરનું નામ ‘રામ’ તમારા ઘરમાં રાખજો.’ બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો. બાપુની આ વાત પહેલેથી પારખી ગયેલા આ કથાના વ્યવસ્થાપકો, ડો. પ્રજ્ઞાબેન કલાર્થી, અને પરેશભાઈ ફાફડાવાળા વગેરેએ નક્કી કર્યું કે, આ ગામના ઘરે-ઘરમાં આપણે ‘ભગવદગીતા’ અને ‘શ્રીરામચરિત માનસ’ પહોંચાડીએ. બાપુના આવતા પહેલા આ કામ પૂર્ણ થયું. આ વિસ્તારના લોકોની સજગતા જોવા જેવી છે, એમણે બાપુના આવ્યા પછી એ રામચરિત માનસમાં બાપુના હસ્તાક્ષર લેવા માટે લાઇન લગાડી. બાપુની પાસે રોજ લગભગ પચાસેક લોકો આવે અને ‘રામચરિત માનસ’ આપે કે “બાપુ આમાં આપના હસ્તાક્ષર કરી આપો”.
ગમે તેટલા મોટા ઉધામા કરીએ તો જે ન થઈ શકે એવું કામ બાપુ અત્યારના ખાંડામાં કરી રહ્યા છે. કથા જેમ જેમ આગળ વધતી ગઈ એમ બાપુને અહેસાસ થતો ગયો કે આદિવાસી વિસ્તારોમાં પહોંચવું હોય તો એક કથાથી કામ પાર નહીં પડે. બીજે જ દિવસે બાપુએ પોતાની કથામાં જાહેરમાં એવું કહ્યું કે, “અમે તમારા સુધી નથી પહોંચી શક્યા, અમે તમારી વાત નથી સમજી શક્યા એ બદલ ક્ષમા યાચના કરવાનું મને મન થાય છે. હું તો રવેચીની કથાથી ક્ષમા હું યાત્રાએ નીકળ્યો હોઉં એવું મને લાગે છે, એટલે રવેચી પછી આ મારું ક્ષમાયાચનાનું બીજું સોપાન છે. અને મારા મનમાં આવા સાત સોપાન કરવાનો મનોરથ છે. બાપુએ એમ કહ્યું કે નેવું ટકા ઈશ્વરનો સાથ રહેશે તો હું પ્રતિવર્ષ એક વખત કોઈ આદિતીર્થવાસી વિસ્તારની અંદર રામકથા લઈને આવીશ. બાપુએ એવું પણ કહ્યું કે, તમે મને સૂચન કરજો કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી?, એ વિસ્તારમાં ઊંડે જઈને પણ રામકથા કરવાનો મારો મનોરથ છે. ત્રણ દિવસમાં બાપુએ આ વાતને માત્ર કહી એટલું નહીં, એ વાતને ચાલતી કરી દીધી, એના ચક્રો ગતિમાન કરી દીધા, અને કથાના ત્રીજા દિવસે તો બાપુએ ઘોષણા કરી દીધી કે, “એક વર્ષની અંદર, આવતા ડિસેમ્બર સુધીમાં હું સોનગઢના આદિતીર્થવાસીઓની વચ્ચે કથા કરવા આવવાનો છું. “
આ આખી કથાનો રણકો એવો ઉભો થયો છે કે સનાતન ધર્મના જે મુખ્ય ધુરંધરો છે, એના સામે એક નવા સૂર્યના ઉદયનો પ્રસંગ જાણે આવ્યો છે. હવે ધર્મ પરિવર્તન કરવું એટલું સહેલું નહીં બને, કારણ કે ઘર-ઘરની અંદર વ્યાસપીઠ પહોંચી છે. ઘર-ઘરની અંદર કથા પહોંચી છે, અને આ આપણને બહારથી અબુધ લાગતા લોકો ખૂબ સમજવાળા છે, ઓછામાં ઓછું બોલે છે, તમે બોલો ત્યારે એની આંખોથી એ સાંભળે છે, તો એ આંખોથી સાંભળતા લોકો સુધી બાપુ બરાબર પહોંચ્યા છે. અને પ્રતિવર્ષ આદિતીર્થક્ષેત્રમાં જઈને તેઓ કથા કરવાના છે, એ બાપુનો વૈશ્વિક સ્પૃશ્યતા માટેનો યજ્ઞ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળક સાથેની જીણી-જીણી વાતોનો  સરવાળો એટલે  ‘પેરેન્ટીંગ’.

બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’.

ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. 

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં  જે કંઈપણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઈટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.  

જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર તેને જ અનુસરવાનું.  આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લઈ લેજે’,આમ કહેવું તે  અસ્થાને કહેવાય. બાળક બધુ  બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે , પાણી લઇ લેજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો- પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી. ઉભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે ત્રણ મિનિટ પછી એણે કીધું, પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય, અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી  શકે, ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે? અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે  બેય સાથે પીશું.’ જુઓ,  પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી,એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે? બેસને બાલ્કનીમાં.’  બાળક આ વાત પણ ઓબઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં  સાચું શું? 

એક નાનકડી એક ટીપ ,, આપણે  પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખએ  જરા. આ આપણે  તુંકારા ઉપર આવી ગયા  છીએ  ને, એમાં ક્યારે  તુંકારામાથી  ‘તારો બાપ ને મારો બાપ’ ઉપર  આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય  સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’   That means it is a tradition of the family . એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. આ જેના પપ્પા કહ્યા વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઇ ને ક્યાં જવાનો હોય એ  કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે,  પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં  સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.  

તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન  રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર  નીકળી ને ઝઘડવું, રેસકોર્સની પાળી એ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો , ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં , પછી પાછા હસતાં-રમતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે. 

ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું. Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જેને ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા,પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. બાર વર્ષની ઉમર સુધીનો જે ગાળો છે, એ હીરોવર્શીપનો ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે. અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી સાહેબ, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી,તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે આપણે  હજી બાકી છે. 

બીજી એક વાત , દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતાં-રમતાં ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું,અત્યારે એને કોલ્ડસ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે આ દીકરી અહિયાંતો હેરાન થવાની, ત્યાં જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની,. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે, ત્રણ સીટી વગાડજે હો,’ કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit formation.તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય. ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય, આ બધી પ્રકિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો . ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’  અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઉભા રહો , તમે જો જો દીકરો તરત કહેશે કે,  પપ્પા મને આપો ને , When you involve them, they are eager to work . જયારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે. ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’  આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ  ખોલતું નથી. તો શું કરવું જોઈએ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ  છે, એ એને એકવાર કરવા માટે આપો.કરતાં-કરતાં જે શીખાય એને  કેળવણી કહેવાય. (ક્રમશ:)

સમગ્ર કથા મંડપને લીંપણ !?! – Pujya Morari Bapu Ram Katha

સમગ્ર કથા મંડપને લીંપણ !?! – Pujya Morari Bapu Ram Katha

સમગ્ર કથા મંડપને લીંપણ !?!

ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.

ધરમપુર તાલુકાનું ખંડેવન એટલે કે ગામ ખાંડા. પ્રિય મોરારિ બાપુ અહીં કથા ગાન માટે પધાર્યા છે. કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે.

કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધું જ કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. અહીંયા ગામના લોકોમાંથી કોણે કોણે કર્યું તે ખબર નથી, પણ સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસે રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય.

છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. એક કણ પણ નીચે ન પડે તેની કાળજી રાખે છે.

આપણે અમસ્તા આ લોકોને આદિવાસી કહીએ છીએ, પણ આપણા કરતાં એ લોકો વધુ સ્વચ્છ, સુઘડ અને સાચા દિલના છે. પ્રિય બાપુએ પહેલે જ દિવસે ગામની સ્વચ્છતાની વાતે રાજીપો વ્યક્ત કર્યો.

જાણીને આશ્ચર્ય થાય તેવી એક વાત કરું. કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની અંદર ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત ડૉ. પ્રજ્ઞાબેન કલાર્થી, પરેશભાઈ ફાફડાવાળા અને અન્ય મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, આટલી બધી મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ?? પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો અને સૌના અચંબા વચ્ચે ગામ લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લિંપવાનું કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગાર થી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને તો છાણથી લીપવો જ પડે.’ આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..!!

બોલો, આ લોકોને આપણે આદિવાસી કહી ને અલગ ગણીએ છીએ,,,એટલે તો પ્રિય બાપુએ કથારંભે કહ્યું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

@ખાંડા, ધરમપુર. તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
 
ચૈત્ર નવરાત્રીની આજે શરૂઆત થઈ. આજે ગુડી પડવો પણ અને સનાતન ધર્મનું આજે નવું વર્ષ હતું. સવારથી એવી ઈચ્છા હતી કે આજની સવાર દિવ્ય હોય એવું કશુંક વિચારું. ત્યાં તો જાણવા મળ્યું કે, ધરમપુરથી ૧૫ કિમી દૂર ખાંડા ગામે ગઈકાલથી પ્રિય મોરારીબાપુ પધારી ચૂક્યા છે. તાત્કાલિક આપણા ચરણ ધરમપુર થી ખાંડા તરફ દોડ્યા. જ્યારે ખાંડા ગામમાં વનરાજીઓની વચ્ચે બાપુની એક કુટીયામાં પહોંચ્યો ત્યારે બાપુ એ ય ને નીજી આનંદથી હિંડોળે હિચકતા હતા, બાજુમાં યજ્ઞ કુંડ હતો, સુંદર મજાની ગાદી બિછાવેલી હતી અને ઉપર હનુમાનજીની હાજરી પૂરતી તસવીર હતી.
શ્રી ગુણવંત શાહ વારંવાર એમ કહે છે કે, ‘આભિજાત્ય ની બાબતમાં તો મોરારીબાપુને કોઈ ન પહોંચે’ ,, એ વાત મેં અનેક વખત અનુભવી છે અને આજે પણ અનુભવી. આપણને દરવાજામાં પ્રવેશતા જોઈને દૂરથી બાપુ એમ કહે કે, ખુરશી લઈ લ્યો અને ખુરશી પોતાની બાજુમાં મૂકી, આપણે હજી દાખલ થઈને પ્રણામ કરીએ એ પહેલાં તો, ‘બેસો બેસો’ એવો આવકારો આપે અને પૂછે, ‘બધું બરાબર છે ને દીકરો મજામાં છે ને ??’ આવા ખબર આજકાલ કોઈ પૂછતું નથી. કુટુંબમાં પણ નહીં ને ! (જો કે, કુટુંબમાં તો કોઈ એકબીજાને મળતું જ નથી તો પૂછે ક્યાંથી ??) બાપુની આ સુંદર મજાની પૃચ્છાથી ચૈત્ર નવરાત્રીનો પહેલા દિવસનો આરંભ ભર્યો ભર્યો થઈ ગયો.
શાંત ચિત્તે બાપુ પાસે બેસવાની ખૂબ મજા આવે છે. ઘણા લોકો બાપુને મળવા આવે ત્યારે ખૂબ વાતો કરતા હોય છે. પોતાની કેટલીક વાત બાપુની જાણમાં મૂકે અને એ બહાને બાપુને થોડું બોલતા કરે,, પણ કોણ જાણે કેમ, મને તો બાપુ પાસે જઉં ત્યારે મૌન રહેવું બહુ પસંદ પડે છે. મને તો એવો ભાવ થાય કે, આવડું મોટું રામચરિત માનસ આપણી સમક્ષ બેઠું હોય ત્યારે આપણે શું બોલીએ એની માત્ર કલ્પનાથી આપણે મૌન થઈ જઈએ. ખરેખર આજે ય એવું જ બન્યું.
એક પછી એક આદિવાસી બહેનો, ભાઈઓ, નાના બાળકો આવી રહ્યા હતા અને બાપુને પ્રણામ કરતા હતા. બાપુની બાજુમાં હંમેશા કોઈ એક સેવક હોય છે. (નોંધવા જેવું એ છે કે, બાપુ ની બાજુમાં કોઈ દિવસ એકનો એક સેવક હોતો નથી, સેવક બદલતા રહે છે છતાં બધાનો સેવ્ય ભાવ એક સરખો હોય છે…) એ સેવક રામનામી બાપુને આપતા જાય અને બાપુ બહેનોના હાથમાં રામનામી મુકતા જાય અને બાળક આવે એટલે ₹500 ની નોટ આપે. અને બાપુ બાળકના હાથમાં નોટ પકડાવીને તેનું નામ પૂછે ને કહે, આને ભણાવજો હો.. કોઈ વળી આવીને કહે કે, બાપુ મારું નામ અહીંયા લખવું છે’, તો બાપુ તાત્કાલિક એનો હાથ પકડી લીલી પેન લઈને નામ લખી આપે.
આજે વળી એક આશ્ચર્ય થાય તેવું બન્યું. એક આદિવાસી બહેન બાપુને માથું ટેકવી પગે લાગ્યા ને બાપુએ રામનામી આપી. ત્યાં તો એ આદિવાસી બહેને બાપુના હાથમાં ભૂંગળી વાળેલી બે નોટ મૂકી. નિલેશભાઈ એ બહેનને રોકે ત્યાં બાપુએ આંખથી કહી દીધું કે, એને ના ન પાડજો. નિલેશ ભાઈ તો બાપુનો ઈશારો તરત સમજી ગયા. બાપુએ સ્મિત સાથે બે નોટ લઈ લીધી અને નોટને સરખી કરીને પોતાની ગાદી નીચે દબાવી દીધી. એક છેવાડાના માણસની લાગણીને માન આપવા પોતાના નિયમને એક બાજુ રાખી દીધો. હું મનોમન બોલ્યો, ‘વાહ, બાપુ, તમે તો તમે જ છો હો..’
અને હા, બાપુએ વચ્ચે એક સેવક ચોકીદારને બોલાવીને કહ્યું કે, ‘જે આવે ને એને આવવા દેજો, એને કહેજો ચાલો મેળવી દઉં, બસ પછી તમે કશું નહીં કેજો. હું એમને મળી લઈશ પણ કોઈને ના નહીં પાડતા. હું આજથી અહીંયા સૌને મળવા આવ્યો છું. મારે એ લોકો સાથે વાતચીત કરવી છે….’ આ વાત જ્યારે સાંભળી ત્યારે બાજુમાં મૌન રીતે બેઠેલા મારા મનને એમ લાગ્યું કે આભિજાત્ય તો ક્યાં, બાપુની કરુણાની તોલે પણ કોઈ ન આવી શકે !!
બાપુ એટલા બધા સહજ છે કે ક્યારેય કોઈને આશીર્વાદ દેતા જોયા નથી, બાપુ ક્યારેય કોઈને ધબ્બો મારતા જોયા નથી, બસ, કોઈ આવે એટલે દૂરથી બાપુ હાથ જોડી નીચા ઝૂકી પોતે પ્રણામ કરે. મેં તો આજે એવું પણ અનુભવ્યું કે આદિવાસી બહેનો માથું ટેકવીને જ્યારે પગે લાગે ત્યારે બાપુ પોતાના પગ અંદર ખેંચી લે. કોઈ ચરણસ્પર્શ કરે તો એને ગમતું નથી. બાપુની બેઠક જ એવી રીતે હોય કે કોઈ એના ચરણસ્પર્શ ન કરી શકે.
આજના વિપથગામી સમયમાં જ્યારે કેટલાય લોકો પોતાના ચરણસ્પર્શ કરાવવા માટે તલ પાપડ હોય છે, ત્યારે એક વિશ્વખ્યાત વ્યક્તિત્વ પોતાના ચરણોને દૂર કરી લે છે એ જાણીને આપણા મનમાં સાનંદાશ્ચર્ય થાય , પણ બાપુની આ જ તો સહજતા છે અને તે બેનમૂન.
અર્ધો કલાક થયો ત્યાં બાપુની ચા આવી. બાપુની ચા બહુ અલગ છે. તમે બાપુની ચા જ્યારે પીવો ત્યારે કોઈ પણ ઋતુ હોય પણ એની અંદર અદ્રક કે સૂંઠ બરાબર નાખેલ હોય.. એ ભલે બે ઘૂંટડી પીએ, પણ એ બે ઘૂંટડીમાં તો આખા શરીરની અંદર ઉઘાડ ઉઘાડ થઈ જાય. સંતરામભાઈ ચા લઈને આવ્યા કે બાપુનો વિવેક બોલ્યો, ‘ સૌને આપો.’ #સનાતન_ધર્મનું કોઈ પીણું ઘોષિત કરવું હોય તો બાપુની સંતરામભાઈએ બનાવેલી ચા ઘોષિત કરવી જોઈએ, (એવો મારો મનોરથ છે.) બાપુ કાયમ ચાની સલ્લા કરે જ અને તેની મને પ્રતિક્ષા પણ હોય.
પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
ભદ્રાયુ વછરાજાની
@ખાંડા, ધરમપુર
તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback