સ્વામી સમર્થ રચિત ” શ્રી મનાંચે શ્લોક”

ગાગરમાં સાગર ભરીને અપાયેલ  સાર્થક જીવન બોધ !

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

મહા પ્રતાપી શ્રી શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાંચે શ્લોક’નું  મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્ર્લોકી કર્યું વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે એ.

બાર વર્ષોનું તપ હતું એમનું, કારણ કુલ ૨૦૫ શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકોના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતા ચાલ્યાં. કેટલાક તજજ્ઞો – સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રી મનના શ્ર્લોક.’ 

બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’ નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી…માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે : મારું ગમન સદા રામપંથે થાય !’

ચતુર્વાણી મા શારદાને નમન હો 

સદા રામપંથે મારું ગમન હો

મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ?

જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું,

અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’

મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ..બસ, એ જ અદાથી મન ને ઉદ્દેશીને કહે છે :

કદી સારી નીતિને ત્યાગો મનવા, હજો અંતરે સદ્દવિચારો મનવા.

હવે પાપસંકલ્પ  ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા.

વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં.

‘મનુષ્ય ‘ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે અને એ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શા થી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે.

કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી.

મના બધાંને તો અંગિકારો, તો દંભ મત્સરને મોટો થવા દો.

સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો.

મુખે સર્વદા નમ્ર વાણી રેજો, મના સર્વને શાંતિ સંદેશ દેજો.

નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદભુત પ્રતીતિ આ ‘શ્રી મનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે.

પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી !

ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું.

સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો.

પડે કષ્ટ તેને સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું !

મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન – સંવાદ કરી આપ્યો છે.

આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણાં રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને !. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે.

 

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ગ્રામસેતુ એપ્રિલ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

R Mankad all.3

આયકરની નોકરી છોડી શિક્ષણનો કર ઝાલનાર સમાંતર શિક્ષણ વ્યવસ્થાના શિક્ષક શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ન ચોર હાર્યું ન ચ રાહાર્ય  ન ભાતૃભાજ્યમ્ ન ચ ભારકરિ વ્યયે કૃતે વર્ધત એવ નિત્ય, વિદ્યા ધર્મ સર્વ ધનમ્ પ્રધાનમ્।

એ માતાશ્રીની રોજની પ્રાર્થનાના શિડ્યુલનો પહેલો શ્લોક! દિવસનું ફૉર્મલ ઍજ્યુકેશન પૂરું થાય પછી ઘરે ઇન્ફૉર્મલ ઍજ્યુકેશન શરૂ થાય. શ્લોકથી શરૂઆત અને એમાં પણ વિદ્યાનું જ પ્રાધાન્ય અને મહત્ત્વ! તેથી જ તો શિક્ષણ સાથે જાણે નાળસંબંધ બંધાયો. સૉર્સ ઑફ ઇન્સ્પિરેશન ઍન્ડ ઍન્કરેજમૅન્ટ એટલે માતા અને પિતા. એમનું આખું જગત સમાય ગયું એ વિભૂતિઓમાં. શ્રી હરખલાલ વસંતરાય માંકડ અને સૌ. બાળાબહેન માંકડ. સૌથી મોટા પુત્ર રમેશભાઈ માંકડ. સંસ્કાર પિંડ ઘડાયો ભારતીય સંસ્કૃતિના ભાતીગળ માહેલમાં. માતા તેર વર્ષે પરણેલા. માત્ર ત્રણ ગુજરાતી ભણેલાં. જીવન કથા-કીર્તન-ધાર્મિક ગ્રંથોનું વાચન કરવામાં વીત્યું. માંડ માંડ ઉકલે તેવા અક્ષરોમાં બાળાબહેને ગ્રંથોનો નિચોડ પણ લખેલો. સંતાનોને વહાલથી કહેતા જાય : જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચી જજો.’ પિતાશ્રી નૉનમૅટ્રિક. પણ એ સમયમાં નૉનમૅટ્રિક એક લાયકાત ગણાતી, કારણ કે તે સમયના નૉન-મૅટ્રિક આજના અનુસ્નાતકને પરસેવો પડાવે તેવા હોંશિયાર. પિતાશ્રીએ ગુજરાતી માધ્યમમાં ફોર્મ (આજનું આઠમું ધોરણ) શરૂ કરનારા દીકરા રમેશને આદેશ કર્યો : “From today onward you will speak with me in English for half an hour daily.’ ધીમે ધીમે સમય વધતો ગયો. સ્પેલિંગ-ઉચ્ચાર-રજૂઆત અંગે પિતાશ્રી સાથે રીતસર શાસ્ત્રાર્થ થતો ગયો.

બન્યું એવું કે રમૂજી પ્રકૃતિવાળા કાકા અમારા ઘરે આવેલા, રોકાયેલા. એમના ગયા બાદ પિતાજીને મેં કહ્યું : હીઝ કમ્પની ગેવ મી ગ્રેટ જૉય… પિતાજીએ મુદ્દો પકડ્યો. જોય’ શબ્દનો ઉપયોગ તો યોગ્ય કર્યું… પણ આપણે ક્યાંક બહાર ઘૂમતા હોઈએ ત્યારે ઊડતાં પંખીઓ (ફ્લાઇંગ બર્ડ્સ), વહેતી સરિતાઓ (ફ્લોઇંગ રિવર્સ), ડોલન કરતાં પુષ્પો (ડાન્સિંગ ફ્લાવર્સ) કે કોઈ અદ્ભુત શિલ્પ નિહાળવા મળે તો જોય’ શબ્દના સ્થાને કર્યો શબ્દ વાપરશો? એમણે જ જવાબ આપ્યો : “ડિલાઇટ” કે પ્લેઝર’ કે ‘જોય’ તો છે જ પણ તમે કુદરતી સૌંદર્યના મૂક ભાવે પ્રેક્ષક થાવ છો ત્યારે હૃદયના આનંદનું ઝરણું બહાર આવ્યું છે તે દર્શાવતો શબ્દ છે ‘રેપ્ચર’ (Rapture)… અને આનંદની માત્રા વધતી જાય તેમ શબ્દો બદલાતા જાય : રેપ્ચર’ પછી ‘એક્સટસી’ અને બ્લીસ’ મારી ઉંમર ન હતી આ બધું સમજી શકવાની, પણ ઉમેરાતું હતું બધું. પિતા વર્ણન કરી સમજાવતા. વિશાળ લલાટ હોય – લગભગ કાન સુધી અડે એવી લીંબુની ફાડ જેવી આંખો હોય – મુખારવિંદ પર તેજ હોય, નૂર હોય, આભા હોય

સમથિંગ લાઇક ઑરા હોય ત્યારે એવી પર્સનાલિટીને કહેવાય August Personality! બહુ મોટો થયો ત્યારે ઍપ્રોપ્રિએટ યુસેઝવાળી વાત શીખવી ન પડી કારણ પિતાજીએ નાની વયે બધું ઘોળી ઘોળીને પાયું હતું.’ રમેશભાઈ માંકડ પોતાનાં વનઆદર્શ એવાં મા-બાપ વિષે ભાવવિભોર થઈને બોલતા જ રહે છે.

જન્મ જામનગરમાં પણ શૈશવ ગાંધીભૂમિ પોરબંદરમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ વર્ષ રાજકોટ જેમાં એક વર્ષ દેવકુંવરબા સ્કૂલમાં અને મૅટ્રિક સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલ – આજની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં. શિક્ષકો ઇનોવેટિવ અને સ્ટુડિયસ. એ શિક્ષકો એમ માનતા કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની વાત તો પછી આવે, પહેલાં શિક્ષકોએ હૉમવર્ક કરવાનું હોય! પોતે બરાબર તમારું સજ્જ ન હોય તો તેઓ રજા પર રહેતા. અંગ્રેજના શિક્ષકે સમજાવેલું કે : કોઈપણ ટેન્સ (કાળ) પ૨ તમારે પ્રભુત્વ તો જ આવી શકે જો તમે તેના ઉપર અનેકાનેક વાક્યો લખેલ હોય, શિક્ષક પોતે બોર્ડ પર એટલું લખતા તે સાંજે ઘરે પહોંચે ત્યારે ઘરના સભ્યો તેમનાં મસ્તક ૫૨ જમા થયેલી ચૉકસ્ટીકની ભુક્કી જોઈને કહે કે, “તું કડિયાનો દીકરો છો કે શિક્ષક ?” બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી બી.એ., રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી એમ.એ. અને એ.એમ.પી. લૉ કૉલેજમાંથી કાયદા સ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રમેશભાઈ માંકડના જીવનમાં જબ્બર વળાંક લાવનાર ઘટના બની. ૧૯૫૭નો સમય. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં જુનિયર બી.એ.માં ભણે. સંસ્કારી-સરળ- મહેનત-શાંત-સૌમ્ય યુવાન ઉછેરમાં પરગજુપણું મળેલું. અચાનક જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ બહેનના પતિનું અકાળે અવસાન થયું. પતિ હતા પોસ્ટઑફિસમાં… નાની ઉંમરે વૈધવ્યનો ભોગ બનેલ બહેનને એક દીકરો. ભણે પણ ઠીક ઠીક સૌએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. જૂનાગઢના પોસ્ટમાસ્ટરે કહ્યું કે, બહેનનો દીકરો જો અંગ્રેજીમાં સરનામાં વાંચતાં શીખી જાય તો તેને મૅસેન્જર’ની જ્ગ્યા પર નોકરીએ રાખી દઈએ. બહેનનો આધાર ઊભો થાય. પણ આ ટૂંકા ગાળામાં સિદ્ધ કરવો પડે તેવો પડકાર ઉપાડે કોણ? રમેશ માંકડના કાને આ વાત આવી. તેણે બીડું ઝડપ્યું. કૉલેજ પહેલાં અને પછી, પેલા વિધવા માતાના દીકરા પાસે એમણે પલાંઠી વાળી. મા દીકરીના માથામાં તેલ નાખતી વખતે જેમ વહાલથી પાંથીએ પાંથીએ તેલ પૂરે, એટલા સ્નેહથી યુવાન રમેશ વિધવા માતાના આધારને અંગ્રેજી શીખવવા લાગ્યો. નિષ્કામ કર્મનો ગીતા ઉપદેશ ચિરિતાર્થ થયો. જુનિયર બી.એ.માં ભણતા છોકરાએ એક કુટુંબનો કાયમી આધાર બની રહેવામાં એક દીકરાને સફ્ળતા બક્ષી અને પોતાની જિંદગીના અધ્યાપન માર્ગનો અજાણતાં પાયો નાંખ્યો! આજે પંચોતેર વર્ષ તરફ સરકતા રમેશભાઈ માંકડ આ પ્રસંગ વર્ણવત ગળગળા થઈ જાય છે અને શાળા-કૉલેજની ઔપચારિકતામાં જે ન થઈ શકે તે કરી બતાવ્યાની ચમક આંખમાં છલકાય છે!

બસ, આ ઘટનાથી મનનો કોઈ અર્દશ્ય પ્રદેશમાં એક વાત ઘર કરી ગઈ કે, શાળા-કૉલેજમાં અપાતા ઔપચારિક શિક્ષણમાં જે કચાશ રહી જાય તેને દૂર કરવાનું કામ કરવા જેવું છે. પોતાના બન્ને ભાઈઓને વાત કરી. સારું એ હતું કે સૌથી નાના ભાઈ બિપીન માંકડનો ગણિત પર કાબૂ અને વચલા ભાઈ મધુભાઈ માંકડ સમાજવિજ્ઞાન ભણાવવામાં પ્રભાવક. જૂન ૧૯૫૮માં રાજકોટમાં સૌ પ્રથમ માંકડ ક્લાસીસનો જન્મ થયો. Alternative કે Parallel System of Educationનો પાયો નખાયો ગુજરાતમાં! ક્લાસીસ શરૂ કરતી વખતે માતાપિતાની નિશ્રામાં બેસી ત્રણેય માંકડ બંધુઓએ ક્લાસીસની આચારસંહિતા ઘડી. આજના કહેવાતા ટ્યૂશન ક્લાસીસવાળા માટે તો એ આચારસંહિતા દીવાદાંડી સમાન છે. (૧) ફીનું ધોરણ એટલું વધુ ન હોવું જોઈએ કે આ કાર્ય પાછળનો ઉમદા હેતુ માર્યો જાય. (૨) શિક્ષકનાં સંતાન પાસેથી ફી ન લેવી. (જેણે ભવ પાર ઉતાર્યાં અને ગંગા પાર ઉતારવાના નાણાં લેવાય ?’) (૩) એક શેરી તો એક કુટુંબ ગણાય, એટલે માંકડ કુટુંબની શેરીમાં રહેતાં કોઈ બાળકની ફી નહીં લેવાની. (૪) એક કુટુંબમાંથી એક વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતો હોય તો તેના ભાઈ-બહેનની ફી નહીં લેવાની. (૫) થોડી ફીમાં બધા જ વિષયો ભણાવવાના (૬) લેખિત નોટ નહીં આપવાની પણ વિદ્યાર્થીને લખતા કરવાના. (૭) ટ્રાફિકની ગીચતા નિવારવા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીએ વાહન લઈને નહીં આવવાનું! ૧૯૫૮થી ૧૯૭૦ સુધી માસિક રૂપિયા છમાં સાત વિષયો માંકડ ક્લાસીસમાં શીખવાયા. ગરીબ-નબળાંને મદદ મળે અને આપણને પેટ પૂરતી રોજગારી મળે તેટલા જ ઉદ્દેશથી ૧૬, પંચનાથ પ્લૉટ, રાજકોટ ખાતે ૧૯૫૮થી ૨૦૦૦ સુધી માંકડ ક્લાસીસ ચાલ્યા! ૨૦૦૦ની સાલ પછી નૈતિક મૂલ્યો બદલાયાં, શિક્ષકનું કતૃત્વ બદલાયું, અસ્વસ્થ અને બિનતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ શિક્ષણમાં, એટલે રમેશભાઈ માંકડે ગીતાવચન મુજબ ‘કાચબો જેમ અંગોને સંકોરે સા’ પોતાની જાતને withdraw કરી લીધી!

સળંગ બેતાલીસ વર્ષો નિજાનંદ માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થાના ધૂરંધર શિક્ષક બની રહેના૨ ૨મેશભાઈ માંકડ પાસે જે અંગ્રેજી શીખ્યા તે આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ખેરખાં સામે ટક્કર લે છે. તેઓ પાઠમાળા શીખવે ત્યારે વર્ગમાં શાંત ઝરણું વહેતું હોય એવું લાગે. To beનાં રૂપ શીખવવાની અને તેમાંય ત્રીજા પુરુષ એકવચનમાં થતા બદલાવની રમેશભાઈની લઢણ આજે ય ઘણા હૃદય ધબકારે અકબંધ છે. એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા પહેલાં અને દરમિયાન માંકડ બંધુઓ નબળાં અને ઓછાં આત્મવિશ્વાસવાળાં ગભરુ વિદ્યાર્થીઓનાં ઘરે જઈ બેસે ને જબરો માનસિક ટેકો કરે. રમેશભાઈ માંકડ કહે છે : બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં પ્રિ. ભરૂચાસાહેબ અને પ્રો. પ્રભુ દેસાઈએ જે શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરેલું તેની મારા પર પ્રગાઢ અસર છે. બહાઉદ્દીન કૉલેજનાં Particles of Airમાં જે ભારોભાર વિદ્યા” હતી. તેને મેં મારી કર્મસ્થળે સર્જવા પ્રયત્ન કર્યો છે.’ જો કે, રમેશભાઈ માંકડની વિશિષ્ટ શિક્ષન્નયાત્રામાં એક સમયે ધર્મસંકટ પણ ઊભું થયું હતું. હોંશિયારી તો ગળથૂથીમાં. રમેશભાઈ UDCમાં સફળ થયા, જોડાયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં. ૧૯૫૯થી ૧૯૬૫ કેન્દ્ર સરકારની નોકરી દરમ્યાન ખાતાકીય પરીક્ષામાં પાસ થયા. ડાયરેક્ટ રિફ્રૂટ એક્ઝામમાં પણ સફ્ળ થયા અને પ્રમોશન મળવાના હુકમો થયા. પોતે કુટુંબના મોટા દીકરા, પરિણીત અને એક દીકરાના પિતા. પ્રમોશનથી ઘરમાં ખુશીનો માહોલ. રમેશભાઈનું મન બીજા જ વિચારે ચડ્યું. માંકડ ક્લાસીસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીના શિક્ષણનું નક્કર કામ થતું હતું, ત્યાં ધસારો વધી રહ્યો હતો. આઇ.ટી. ઇન્સ્પેક્ટરનું પ્રમોશન સ્વીકાર્યા પછી ક્લાસનું કામ કરવું નૈતિક રીતે ખૂંચશે તેની ખાતરી હતી. ધર્મસંકટ વખતે અધ્યાપન-લગાવ જીત્યો. જૂનાગઢની બ્રાહ્મણ વિધવા બહેનનો દીકરો નજર સમક્ષ આવ્યો. પ્રમોશન તો ન સ્વીકાર્યું પણ નોકરી જ છોડી દીધી! રમેશભાઈ મૃદુતાથી સાચા શિક્ષકના હૃદયની વાત કરે છે : નોકરી છોડી તે જીવનનું મોટામાં મોટું જોખમ હતું, પણ મને કોઈ Invisible Divine Force જીવનને યુ-ટર્ન આપવા પ્રેરણા આપતો હતો. બેંતાલીસ વર્ષોની પળેપળ વિદ્યાર્થી વચ્ચે જ રહ્યો, અંગ્રેજીમય બન્યો અને બનાવ્યો, હજારો વિદ્યાર્થીઓ સાથે પ્રેમનો નાતો બંધાયો તે મારી અખૂટ મૂડી.’ એક શિક્ષકને બીજું જોઈએ ય શું?

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

આસપાસ ચોપાસ : (૦૪) | અખંડ આનંદ એપ્રિલ – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

           एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…

ઉત્તમ વિચાર ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે તેનો એક સ્વાનુભવ અહીં વહેંચવો છે. 

એક નાની પુસ્તિકા છે, તલગાજરડી આંખ. તેમાં સુવિચારોનો સંગ્રહ છે. વિશ્વમાં શ્રી રામચરિત માનસ ને ખૂણે ખૂણે પહોંચાડનાર શ્રી મોરારિબાપુએ અનેક કથાઓમાં સહજતાથી ઉચ્ચારેલા સુ વિચારો આ પુસ્તિકામાં છે. પોતાની અંત:યાત્રા માટે ‘નોકરી’ કરનાર શ્રી દિનુભાઈ ચુડાસમાએ તેનું સંપાદન કરેલ છે. તેમાં શુદ્ધ અને સાત્ત્વિક વિચારો છે. બાપુની નીજી શૈલીમાં સાવ સાદા સીધા શબ્દો અને સીધી ગળે ઉતરે તેવી જ વાતો… મોટી મોટી કોઈ ફિલસુફી નહીં. 

આ પુસ્તિકા બહુ બધી  શાળાઓ ચલાવનાર યુવાન સંચાલકના હાથમાં આવી અને તેમણે દિલથી વાંચી. સાહિત્ય પ્રીતિ ખરી એટલે તે યુવાન વાંચવાના અને વિચારવાના શોખીન. તેમને વિચાર આવ્યો કે, ચાલોને એક રસઐક્ય ધરાવતા મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવું ને તેમાં રોજ રાત્રે એક વિચાર આ પુસ્તિકામાંથી મુકું. સૌને અવગત કર્યા  કે આ કેવળ એડમીન દ્વારા જ ચાલનારું ગ્રુપ છે અને તેનો ઉદેશ્ય કેવળ આ પુસ્તિકામાંથી સાત્વિક વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો છે. વિચાર શુભ હતો એટલે આ સત્ત્વશીલ કાર્ય સરસ રીતે ચાલવા લાગ્યું .

થોડા દિવસો પછી મને વિચાર આવ્યો કે, અહીં ગ્રુપમાં જે મુકાય છે તેમાંથી  મને જે વિચાર સ્પર્શી જાય તે વિચાર લઈને હું મારા વોટ્સએપના સ્ટેટસ્ માં  મુકું. આમ મારું  સ્ટેટસ જોનાર ઘણા મિત્રો છે, એટલે સરસ વિચાર વ્યાપક રીતે ફેલાય. એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યાં એક સદ્દસ્ફોટ થયો. (જેમ વિસ્ફોટ થાય તેમ આ સદ્દસ્ફોટ એટલે સત નો ફેલાવો થાય તેવો ચમત્કાર) મેં મારા સ્ટેટસમાં એક દિવસ પ્રિય મોરારીબાપુએ કહેલ  જે  સુ વિચાર મુક્યો તે આ પ્રમાણે હતો : 

હું તમને એક સારામાં સારું શુકન કહું ? નવી ગાડી લો અને લઈને આવતા હો અને રસ્તામાં કોઈ ગરીબ ડોશીમા એનું પોટલું માથા પર મૂકીને તાપમાં નીકળી હોય તો એને એના ઘરે પહોંચાડી દો એના જેવું શુકન એકેય નહીં ….ધર્મના રહસ્યને આપણે આ રીતે સમજીએ.” 

હવે આ ઉત્તમ વિચાર યાત્રા કેવી આગળ ધપે છે તે જુઓ. પેલા ગ્રુપના એડમીન મિત્ર રોજ એક વિચાર મૂકીને છૂટી જાય. હું એમાંથી એક વિચાર મારાં સ્ટેટસમાં મૂકીને છૂટી જઉં. પણ  એમાંથી એક વિચાર કોઈકને સ્પર્શી ગયો. આ વિચારને  વાંચનાર હાલ સુરતના એક યુવાનને કેવી અસર થઈ તે જાણીશું તો વિચારનું અમૂલ્ય મૂલ્ય સ્વીકારવું પડશે. સુરતમાં સ્પાર્ક નામથી શિક્ષણ અને સાહિત્ય સેવા કરનાર શ્રી આદિત્ય ઝાલાએ મને (એ વિચારને ટેગ કરી) જે લખી મોકલ્યું તે વાંચીએ :   

શુકન તો ખરાં, એમાંથી તો ઋણાનુબંધ નીકળી આવવાનો મારો જાતઅનુભવ છે ! ભાવનગરમાં ધો. ૧૨માં અભ્યાસ વખતે નવું નવું બજાજ સ્પિરિટ લઈને હું બપોરે ટ્યૂશનથી પાછો ફરતો હતો. કાળુભા રોડ ઉપર એક વડીલ રિક્ષાની રાહ જોતા ઊભા હતા. નજીક જતાં એટલો ખ્યાલ આવ્યો કે આ વડીલ તો નવમા ધોરણની મારી એક વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક હતા. મેં એમને લિફ્ટ આપી અને એમને ઘરે મૂકી આવ્યો. એમણે મને અંદર આવવા કહ્યું પણ ‘ઘરે પહોંચતાં મોડું થવાથી સૌ ચિંતા કરશે’ એમ કહી એમના  દરવાજેથી જ હું પાછો ફર્યો અને એમનું નામ જાણી લીધું.

ઘરે જઈને સૌની ઉપસ્થિતિમાં આ વાત કરી. એ વડીલનું નામ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયા ! પપ્પા તો રાજીપાસભર બોલ્યા: ‘ઓહો,  તખ્તસિંહજી પરમાર?! એ તો અમારા તખુભા સાહેબ..જૂનાગઢમાં અમે એમની પાસે ગુજરાતી ભણ્યા છીએ.’ અને પછી તો પપ્પાએ એમની NSS અને NCCની યાદો પણ વાગોળી. સાંજે ડિરેક્ટરીમાંથી નંબર શોધીને પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને તે પછીના રવિવારે અમે એમની મુલાકાત પણ લીધી. એમને ત્યાં ફળિયામાં જ મારો  ભાઈબંધ કમ સહાધ્યાયી રાજદીપસિંહ મળી ગયો અને ત્યારે મને ખબર પડી કે, એ તો પરમાર સાહેબનો પૌત્ર થાય !  આ મારી શુકન-ઋણાનુબંધની કથા.. તમારી આ પોસ્ટે પણ તે દિવસ જેવું જ કર્યું- एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…”

છે હવે કશું બોલવાની જરૂર ?? છે હવે કાંઈ લખવાની આવશ્યકતા ?? ઉત્તમ વિચાર ક્યાંથી સ્ફુરે ને ક્યાં  ઝીલાય અને ક્યાં એ અનુભવમાં મુકાય અને તેની કેવી અનુભૂતિ હોય…તેની યાત્રા અલૌકિક બની રહે ત્યારે સુંદર વિચાર આવી જાય કે,  સારપને ફેલાય જવાની ટેવ હોય છે.” 

આપણે ઘણીવાર સોશિયલ મીડિયાને વખોડતા હોઈએ છીએ પણ મને તો એવા અનેક અનુભવો થયા છે કે સોશિયલ મીડીયાએ ઘણી સકારાત્મક અસરો કરી હોય. સોશિયલ મીડીયાએ ક્યારેક તો તબીબ ક્ષેત્રોમાં એવી  મદદ પણ કરી છે કે જેથી કોઈનો જીવ બચ્યો હોય!!. અહીં આપણે જે નાના વિચારની વ્યાપક અસરની  નાની અનુભૂતિ અંગે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, હા, એક વિચાર ગજબનાક અસર કરવાની ક્ષમતા ધરાવે છે.   

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.

ભદ્રાયુ વછરાજાની                                                        bhadrayu2@gmail.com

બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક  શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા  વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને  બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.

આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે.જો બાળક…. જીવશે તો બાળકશીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!

મહાત્મા ગાંધીએ  પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya  Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ...

મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.

ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.

એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.

આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’

જય સીયારામ…

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback