રાજકોટમાં બોતેર  કલાકમાં ચાલીશ ઇંચ વરસાદ પડ્યો, તે પાણી ગયું ક્યાં ??… અમેરિકાથી એક રાજકોટીયનનો પત્ર !!

શિકાગો, અમેરિકાથી રાજકોટના એક નિવૃત્ત અધ્યાપક  શ્રી વિનોદ માંગુકિયાનો દીર્ઘ મેસેજ  આવ્યો, તા. 28, ઓગસ્ટ, 2024 ના રોજ..જયારે રાજકોટ ધમધોકાર વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું અને તે ટનબંધ પાણી રસ્તા અને ગટરોમાં વેડફાઈ જઈ  રહ્યું હતું !! એક સંનિષ્ટ અધ્યાપક દંપતી તરીકે રાજકોટમાં સાત્વિક જીવન જીવનાર વિનોદભાઈ અને શ્રીમતી સુદર્શન મંગુકિયા પોતાના  હાર્ટ સર્જન તરીકે માતબર ખ્યાતિ પ્રાપ્ત દીકરાના ઘરે હાલ શિકાગો છે.

આવો, તેમના જ શબ્દો વાંચીએ…

“રાજકોટમાં પાંચ દિવસમાં અધધ–32 ઈંચ વરસાદ ! પાણી ક્યાં ગયું ? ગટરમાં ?

આ તો પાંચ દિવસમાં આટલો વરસાદ પડયો પણ આખી સીઝનનો જો 50 ઈંચ ગણીએ તો 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલાં રાજકોટ સીટી ઉપર પડેલા અધધધ વરસાદનું પાણી આખરે ગયું ક્યાં ? ગટરમાં ? રાજકોટની ગંધારી ગોબરી આજી નદીમાં ગયું ?

આકાશેથી વરસેલું અમૃત આખરે ગટરોમાં વહી ગયું ? આજી નદીમાં ભેગી થયેલી રાજકોટની ગંદી ગટરોની તમામ ગંદકી લઈને નદીને સાફ કરીને એ પાણી ક્યાં ગયું ? એ ગયું આજી ડેમ નંબર 2 માં. પણ આજીડેમ 2 નું પાણી તો પીવા લાયક નથી રહ્યું. તો એ પાણીનું શું થાય છે ? જે પાણી પીવાલાયક નથી તે પાછું ખેતીમાં વપરાય છે ?એ ઝેરી કેમિકલ સાથેનું અનેક પ્રકારનું પ્રદૂષિત પાણી પાછું શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને એ શાકભાજી પાછા રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે ! તે પાણીમાં ઊંધિયું બનાવીને ખાય છે,બોલો !

આટલો બધો વરસાદ થયો પણ પછી ઉનાળામાં પાણીના ટાંકા મગાવવાના ! ઘેર બેઠાં ગંગા જેવું અમૃત સમાન પાણી આપણે ગટરોમાં જવા દીધું અને હવે આજી,ભાદર અને ન્યારી ડેમનાં પાણી ફીલ્ટર કરી કરીને પીવાનાં. આજી,ભાદર અને ન્યારી ડેમમાં ભેગું થતું પાણી શુદ્ધ હોય છે, તેવું જો માનતા હો તો એ એક ભ્રમ છે.ગામેગામના ઉકરડાઓ, ગામેગામની ગટરો, ખેતરોમાં નાખેલાં રાસાયણિક ખાતરો અને પાકમાં છાંટેલી જંતુંનાશક દવાઓ, મરેલાં પ્રાણીઓ, પ્રાણીઓનાં છાણમૂતર અને બીજી અનેક ગંદકીઓ આવાં ડેમોમાં ભેગી થાય છે, તેથી હું આવા ડેમોને એક પ્રકારની કચરો સંગ્રહ કરતી કચરાપેટી કહું છું. કોઈ એમ કહે કે “ડેમનું પાણી એ વરસાદનું પાલર પાણી કહેવાય.તેમાં પ્રદૂષણ ન હોય.” તો તેમની એ માન્યતા ભૂલભરેલી છે. જો પાલિકાઓ ડેમનું પાણી ફીલ્ટર કરીને ન આપતી હોત તો તેવું પાણી આપણે પી શકતા હોત ? તેમ છતાં પાલિકાના નળનું ફીલ્ટર થયેલું પાણી આપણે જે ટાંકામાં ભરીએ છીએ તે ટાંકો છ મહિને એક વાર સાફ કરો ત્યારે તળિયેથી કેવો કદડો નીકળે છે ? કેટલી ધૂળ પાણીમાં મળેલી જોવા મળે છે ? આપણે હવે ઘરેઘરમાં R.O.પ્લાન્ટ  એટલે જ ફીટ કરવા પડે છે. RO ની કેન્ડલ કેટલી ખરાબ થઈ જાય છે ? નહિતર પાલિકા તો ફીલ્ટર કરીને જ આપણને પાણી આપે છે,  છતાં તે 100% શુદ્ધ થતું નથી.

હવે ROની મર્યાદા પણ જાણી લો.પશ્ચિમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે RO નાં પાણીમાંથી શરીરને ઉપયોગી એવા બે તત્વો મેગ્નેશ્યમ અને કેલ્શયમ બંને નીકળી જાય છે,  જેથી ROનું પાણી પણ 100% પીવા લાયક ન ગણી શકાય.તો હવે પીવાનું શુદ્ધ પાણી મેળવવા શું કરવું જોઈએ ? શુદ્ધ પાણી મેળવવાનો રામબાણ ઈલાજ એક માત્ર વરસાદી પાણીનો સંગ્રહ છે.એ જ અમૃત છે અને એ જ ગંગાજળ છે એમ માનજો.

તમારી પાસે તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો તમે  ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી લો.આખું વરસ અમૃત પીઓ અને આર.ઓ.ની  જરૂર જ નહીં રહે ! મારાં જૂનાગઢનાં ઘરે 25000 લીટર અને રાજકોટનાં કરણ પાર્કમાં આવેલાં મકાનમાં 10,000 લીટરના વરસાદી પાણીના ટાંકા અમે બનાવ્યા હતા.

તમારી 10 બાય 10 ની નાની ટેરેસ હોય અને જો તમારા ગામમાં 12 ઈંચ વરસાદ પડે તો તમારી ટેરેસમાં કેટલું પાણી પડે ? તમારી ટેરેસ કુલ 100 ચોરસ ફૂટ થાય છે તો તેમાં એક ચોરસ ફૂટમાં 27 લીટર પાણી મળે અને 100 ચોરસફૂટે 27,00લીટર પાણી મળે જે પાંચ છ વ્યક્તિના એક પરિવારને માટે આખું વરસ પીવા માટે પૂરતું થાય છે. પણ કોઈ પણ મકાન ઉપર ફક્ત 100 ફૂટની ટેરેસ ન હોય. નાનું મકાન હોય તો પણ 500 ફૂટ ટેરેસ હોય તો ફક્ત 12 ઈંચ વરસાદે તમારા ભૂગર્ભ ટાંકામાં 13,500 લીટર પાણી હિલોળા લેતું થઇ જાય. તમે તો આખું વરસ પીવો અને બીજાને પણ પાવ તોય નહીં ખૂટે.

બીમાર માટે અમારા ઘરેથી વરસાદી પાણી  લેવા ઘણા લોકો આવતા ત્યારે અમને પરબ માંડી હોય તેવો આનંદ થતો… હવે જુઓ ! રાજકોટમાં કેટલાં મકાનો હશે ? એ બધાં મકાનો ઉપર 50 ઈંચ લેખે કેટલું પાણી પડયું હશે ? એ પાણી ક્યાં ગયું ? ભારત દેશમાં સેંકડો નાનાં મોટાં નગરો અને લાખો ગામડાઓમાં કુદરત ઘેર બેઠાં  ટેરેસ ઉપર સીધી અમૃતધારા વરસાવે છે,  જેથી એ પાણી પ્રદૂષિત થયા વિના શુદ્ધ સ્વરૂપે જ આપણને મળે, પણ આપણે દેશભરના લોકો વરસાદનું અબજો અબજો લીટર પાણી ગટરોમાં વહેતું જોઈએ છીએ ! અને તાળીઓ પાડીએ છીએ !! મોટાં નગરોમાં ઘરઘરનું પાણી રોડ ઉપર આવી જાય છે અને ગટરો ચોકઅપ થઇ જાય છે. ગાડીઓ અને બાઈક ડૂબી જાય છે અને બસ અંડર બ્રીજમાં સલવાઇ જાય છે !!  જો દેશનાં તમામ મકાનોના ટેરેસનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ઉતારી દેવામાં આવે તો રોડ ઉપર થતા જળભરાવની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ વિનામૂલ્યે થઇ જાય, પણ આવો વિચાર કરવો જ નથી, એટલે  પ્રદૂષિત પાણી પીધાં વિના છૂટકો જ નથી.

આ વખતે તો કચ્છમાં પણ ધોધમાર પડયો છે.ત્યાં પણ વરસાદનું પાણી ઝીલીને ભૂગર્ભ ટાંકીઓમાં ભરી લેવાય તો દૂરદૂર સુધી પાણી ભરવાં બેડાં લઈને જવું ન પડે. બજારમાં 20 રૂપિયાની એક બોટલ મળે છે, જે એક લીટર હોય છે. તમારા ઘરે 10,000 લીટર વરસાદી પાણી ભરી લો  તો તે 2,00,000 (બે લાખ રૂપિયા)નું થાય.એક જ ચોમાસે તમને કુદરત 20 લાખ રૂપિયાનું શુદ્ધ અમૃત જેવું પાણી સાવ મફત આપે છે અને પછી દર વર્ષે તમને 20 લાખનું શુદ્ધ પાણી સાવ મફતમાં મળશે અને તે પણ 50થી લઈને 100 વરસ સુધી ! ત્રણ ત્રણ પેઢી આ અમૃત પીશે,  પણ કમનશીબી કે  આપણે તેવું અમૃત નથી લેવું. વેચાતું લઈને પીવું છે !પૈસા હોય એટલે વેચાતું લઈશું.પણ વેચાતા ટેન્કરનું પાણી ક્યાંથી ભરી લાવે છે તે ક્યારેય તમે જોયું છે?

વરસાદી પાણીને પણ ટાંકા ઉપર કપડું મૂકીને ગાળીને ભરો. ઢાંકણું એરટાઈટ રાખશો તો પાણી બગડશે નહીં.અંદર કોઈ ટીકડીઓ નાખવાની જરૂર નથી,  તેમ છતાં તમને એવું લાગે તો કપડાના એક ટૂકડામાં 50 ગ્રામ ચૂનો બાંધીને પોટલીને ટાંકાના તળિયે મૂકી દો.કોઈ જીવાત નહીં થાય. રાજકોટના મારા વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાનો એક લેખ લોકલ ન્યુઝ પેપરમાં વાંચીને તત્કાલીન મ્યુ.કમિશનર શ્રી વિજયકુમાર નેહરાએ મારા ઘરે મહાનગર પાલિકાના ત્રણ સીવીલ એન્જીનીયર્સને રૂબરૂ સીસ્ટમ જોવા મોકલ્યા હતા. તેઓએ સીસ્ટમના ફોટા પાડયા અને એક લીટર પાણીની બોટલ ભરી ગયા.એક સપ્તાહ પછી મને એક એન્જીયર રૂબરૂ આવીને લેબોરેટરીનો રીપોર્ટ આપી ગયા, જેમાં લખ્યું હતું કે, “100% શુદ્ધ પીવા લાયક પાણી મારી પાસે હજી એ લેટર છે.

આ તો અહીં અમેરિકામાં બેઠા બેઠા હું જોઉં છું કે રાજકોટ અને બીજા નાનાં મોટાં કેટલાં શહેરોનું અધધધ અબજો અબજો લીટર પાણી ગટરોમાં ચાલ્યું જાય છે, પછી ઉનાળામાં એક એક બેડાં માટે આપણે કેવાં હવાતિયાં મારીએ છીએ? અમે તો ઘણાં વરસ વરસાદનું પાણી પીધું છે,  જેનો અમને ખૂબ સારો અનુભવ છે, પણ મારા  જેવા નાના માણસની આ અતિ ઉપયોગી વાત સમજીને લોકો અપનાવે તો તો દેશની પ્રજા સુખી ન થઇ જાય ?

તેનાં બદલે જેમ સાલે (ચાલે ) એમ જ સાલશે (ચાલશે )! માતાજી સૌને સુખી રાખે !!

મારી  આ લઘુલેખ જેવી વિગતો વાંચીને જો ફક્ત એક વ્યક્તિ પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવશે, તો મારી મહેનત લેખે લાગશે…”

કહે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે ત્યારે, આપણી સરકારો અને જળક્રાંતિ માટે જોર પૂર્વક લાગી પડેલા કાર્યકરો વિનોદભાઈની આ વાતને કાને ધરશે તો  ‘મેરા ભારત મહાન’ તે વખતે આપણે કહી શકીને બચી જઈશું.

5478 5471