મૂળ રાજકોટના પણ  ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો તેના સાક્ષી સેવાકર્મી અરુણભાઈ બુચની વિદાય..

એક નાનકડી ઘટના છે.

એક નાની ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્ત્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો  રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા ફરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા.

બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી.’

કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું: ‘ભાઈ! મને ખબર જ હતી કે ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ને? આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારૂ છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?

… આટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ મીઠી નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ચર્ય સાથે આ જોઈ રહ્યો.

અરુણભાઈ બુચ ટેકરી પર સવાર-સાંજ ખભે કાવડ લઈને ચડ ઊત્તર કરનાર આશાવાદી નોકર છે. જેના માલિક શ્રી ભુવનેશ્વરી છે. એમણે જિંદગી કાઢી આ પાણી સીંચવામાં, ભાર ઉલેચવામાં, સેવા અને કરુણાની ખેતી કરવામાં. એમના ખભે એક ઘડો ફૂટેલો હતો અને એની એમને ખબર હતી. અરુણભાઈએ સેવાના એ ઘડાના નાનાં છિદ્રમાંથી કરુણાને ટપકવા દીધી અવિરત, સતત. પરિણામે અરુણભાઈની જીવનયાત્રાના માર્ગ પર સુગંધીદાર અને રૂપકડાં ફૂલો સહજતાથી ઊગી નીકળ્યાં…. એમને તો  ‘માલિક’ને ખુશ કરવાના ઉપક્રમ હતો. ‘માલિક’ની ખુશીમાં ખુશ રહેવા ટેવાયેલા અરૂણભાઈ બુચ ફૂટેલો ઘડો બદલવા તૈયાર ન હતા  અને કાવડ ઊંચકી પાણી ‘માલિક’ સુધી પહોંચાડવા સિવાયનું કોઈ કામ કરવા ઉત્સુક નથી.

ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ એટલે કે ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો ત્યારથી એના પૂર્વજ અને અરુણોદય થાય ત્યારથી સતત સમાજ અને સંસ્કૃતિની સેવામાં પોતાનું જીવન વિતાવનાર  સાચા સેવક શ્રી અરુણભાઈ બુચે  90 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યા ના સમાચારથી જુના સેવાદળ વખતના અને ગાંધીનગરના નગરજનોમાં ગ્લાનિ વ્યાપી છે.

અરુણભાઈ બુચ એટલે ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ. ગાંધીનગરની આ એકમાત્ર એવી સંસ્થા કે જેની સ્થાપના થઈ ત્યારથી પોતાના જીવનના અંત સુધી શ્રી અરૂણભાઇ બુચ તેના પ્રમુખ રહ્યા. તેમણે ગાંધીનગરના નાગરિકોના પ્રશ્નોને અને સમસ્યાઓને પત્રો અને પ્રેસ નોટના માધ્યમથી વાચા આપવાનું કાર્ય કર્યું. ગાંધીનગર વાસીઓની કેટલીય તકલીફોનું ન કેવળ હંગામી નિવારણ પણ  પાછળ પડી જઈને તેનું કાયમી નિરાકરણ લાવવાનું કામ એમણે  કર્યું છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસની ફ્રિકવન્સી વધારવાની વાત હોય કે પછી શાક માર્કેટમાં સ્વચ્છતા ની વાત હોય કે ગાંધીનગરના રેલવે સ્ટેશન ને જીવતું કરવા માટે અને નવી ટ્રેનો ફાળવવા માટેની વાત હોય કે અંતિમધામમાં સુવિધા માટેની વાત હોય ગાંધીનગરનો એક પણ પ્રશ્ન એવો નહોતો કે જેમાં અરુણભાઈનો પત્ર અથવા રજૂઆત પહેલી ન રહી હોય. તેઓએ પોતાના જીવનના બધા જ વર્ષો સચિવાલયમાં જ વિતાવ્યા.  તેઓને લિમ્કા બુક્સ રેકોર્ડ્સમાં  સ્થાન મળ્યું હતું,  કારણ કે તેઓ લગભગ 36 વર્ષ સુધી જુદા જુદા મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા અને તેના ફળ રૂપે ગાંધીનગરને પાયાની સુવિધાઓથી ભરચક કર્યું.

અરૂણભાઇ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઉઘાડા પગ વાળા લોકોને સ્લીપર અને ચપ્પલ પહેરાવતા પણ મળે અને ગરીબ અથવા તવંગરના સ્વજનોના દેહવિલય પછી તેના અસ્થિઓને હરિદ્વાર મોકલી પાવનવિધિ કરાવીને તેનું વિસર્જન કરતા પણ મળે.  એમ કહેવાય કે શ્રી અરુણભાઈ બુચ એ હાલતી ચાલતી એવી વસાહત હતા કે જેને કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ સોંપી શકે.  એક ઐતિહાસિક બાબત એ છે કે,  એમની પાસેથી ગાંધીનગરના વિકાસ માટે એટલે કે 1965 થી જે કંઈ વિકાસ થયો એ બધા જ તબક્કાઓની ફાઈલો ઉપલબ્ધ રહેતી. પોતે એટલી બધી નોંધ કરે, પોતે સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે નોકરીની શરૂઆત કરેલી ત્યારથી  ગાંધીનગર વિશેની ઝીણામાં ઝીણી માહિતી અરુણભાઈના આંગળીના ટેરવા ઉપર હોય. ગાંધીનગર અને પેથાપુર ની વચ્ચે આવેલી જીઈબી કોલોનીના ગેસ્ટ હાઉસની ઈમારત એ ગાંધીનગરની સૌથી પહેલી ઈમારત છે એવું તેમના સાથી હિરેન ભટ્ટ નોંધે છે. તેના પરથી ગાંધીનગરનો  સ્થાપના દિવસ ઉજવવાની વાત ગાંધીનગર સમક્ષ સૌપ્રથમ શ્રી અરુણભાઈએ  મૂકી હતી.

તેઓ વર્ષો સુધી એટલે કે લગભગ લગભગ પોતાના જીવનના ચાલીસેક  વર્ષો સેક્ટર 16 માં રહ્યા,  પરંતુ પોતાના નિવાસ્થાનમાં ખસેડાયા પછી પણ વર્ષો સુધી અરૂણભાઇની રાત્રી બેઠક બરાબર 9:30 વાગે સેક્ટર 16 માં મળે,  મળે અને મળે,  ત્યાં રજૂઆત કરનારા પણ હોય અને હળવાશ કરનારા પણ હાજર હોય. ગાંધીનગરના ઇતિહાસના પાનાઓ પરથી ધૂળ ખંખેરનાર એક ધૂળ ધોયા વ્યક્તિની વિદાયથી ગુજરાતને ભારે  ખોટ પડી છે.  ગાંધીનગર નો ઇતિહાસ ભલે 58 થી 60 વર્ષ જૂનો છે, પણ આજે કંઈ પણ લખવું હોય તોય આવનારી પેઢી માટે અરુણભાઈ પોતાની ફાઇલોમાં લખીને ગયા છે. કોઈપણ રાજ્યપાલશ્રી હોય કે કોઈપણ મુખ્યમંત્રી હોય કે કેબિનેટના જુદા જુદા પ્રધાનો હોય એમની સાથે છેલ્લા લગભગ 60 વર્ષથી એક હૃદયનો નાતો.

આપણે બધા ફૂટેલા ઘડા જ છીએ. જો ભગવાનને આપણી જાતનો એની ઈચ્છા મુજબ ઉપયોગ કરવા દઈએ તો  એ એવો માસ્ટર છે કે, આપણા અસ્તિત્વમાં રહેલી ખામીઓની મદદથી પણ સુંદર ફૂલો ભરેલો બગીચો બનાવી જ દેશે ! અરુણભાઈએ પોતાની જાતનો યથાર્થ ઉપયોગ કરવાની છૂટ  ભગવાનને આપી તેથી તેઓ સહજ આનંદમાં મસ્ત અને વ્યસ્ત એ જીવનભર રહ્યા !! ગાંધીનગરના આ આદિ-વાસી અરુણભાઈ બુચને કર્મ-અંજલિ અર્પણ કરાવી રહે.