‘ગાંધી ગ્રામજીવન પદયાત્રાએટલે… વિદ્યાપીઠના અધ્યાપકો+સેવકો+છાત્ર છાત્રાઓ:: 1843 પદયાત્રીઓની  151 ટુકડીઓરાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓ !!!

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા તે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ. ખુદ ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદ પર જીવનના અંતિમ દિન સુધી એટલે કે સત્યાવીશ વર્ષ રહ્યા. ત્યારબાદ સરદાર પટેલ પોણા  ત્રણ વર્ષ અને ડો. રાજેન્દ્રપ્રસાદજી પોણા  બાર વર્ષ ચાન્સેલર રહ્યા…એ વિદ્યાપીઠ પોતાની સ્થાપનાના એકસો પાંચમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે ફરી એકવાર વિદ્યાપીઠે સર્વાંગ રૂપે નવા અને રચનાત્મક કલેવર ધારણ કરી રહેલ  છે, તેનો આનંદ સૌએ લેવા જેવો છે.

જેમ માણસને ઉમર લાગે તેમ સંસ્થાને પણ વૃદ્ધાવસ્થા આવતી હોય છે અને સંસ્થા પોતાના ભારથી જ બંધ થવાની અણી  પર હોય છે અથવા મરવા વાંકે જીવતી હોય તેવો સમય આવે છે. વિદ્યાપીઠ આ બાબતમાં બાકાત ન રહી શકી. ગાંધી અને ગાંધીના મૂલ્યોની વારંવાર દુહાઈ દેનારા શાસકો જ પઠાર (stagnation)નો ભોગ બન્યા અને પોતાની કુંઠિત સત્તા માટે ચોટડુક બની રહ્યા ત્યારે ઈશ્વરે વિદ્યાપીઠનો કાયાકલપ કરવાનું નક્કી કર્યું. જેઓ ગાંધીથી દૂર સુદૂર છે તેવો જેના પર આક્ષેપ કરવામાં આવતો હતો તે સરકારી શાસકોના હાથમાં વિદ્યાપીઠનું સુકાન સોંપાયું. દલીલ એવી થઈ  કે, વિદ્યાપીઠ આંચકી લેવામાં આવી, પણ હકીકત તો સદંતર ઉલ્ટી હતી. ગાંધીના લૂગડાં પહેરી ગાંધીજન કહેવડાવતા હતા તેઓ જ ચાંદીના થાળમાં મૂકીને વિદ્યાપીઠનું નાળિયેર હાલના રાજ્યપાલશ્રીને અર્પણ કરતા આવ્યા !!

જે થાય તે સારા માટે કે, વ્યક્તિગત રીતે હાલના રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી, ગામડા, ગાય, ગામ પોશાક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના પ્રખર હિમાયતી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સુકાન સંભાળ્યું . ગાંધીજીને ગમી જાય  તેવા આચાર્યજી ગુરુકુળ સ્થાપના અને સંચાલનમાં માહિર છે. હા, તેઓ ગઈકાલના ગાંધીજનોની જેમ કેવળ ‘ગાંધી ગાંધી’ માળા  જપી પોતાનો રસ્તો સુંવાળો કરનાર નથી, પણ પાયાના કર્યો  કરીને ગાંધીજીના આત્માને શાતા આપનાર છે.

સોનામાં સુગંધ ભળે  તેમ વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે  જેનું લોહી કશુંક દોડતું કરવા થનગને છે તેવા  યુવા શિક્ષક ડો. હર્ષદ પટેલની પસંદગી થઈ. ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ઉપરના લોકોએ સીધો હસ્તક્ષેપ કર્યો હોવાથી આ બધું ‘ગોઠવી શકાયું’. ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’, જેવો સુમેળ સધાયો અને  કેવળ આઠ જ મહિનાના કાર્યકાળમાં ગુજરાત વિદ્યાપીઠે સંપૂર્ણપણે નવાં ને રૂપકડા અને છતાંય પાયાના ગાંધી મૂલ્યોનો માર્ગ પકડ્યો. અગાઉ વિદ્યાપીઠ કાર્યાલયમાંથી વડીલો ચલાવતા  એટલે કોઈના સુઝાવને સ્થાન ન હતું, હવે તો કુલાધીપતિથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી પણ કાર્યરત બનેલ છે અને વિદ્યાપીઠનું કણેકણ ધબકતું બનેલ છે. હૃદય રોગના દર્દીને બાયપાસ કરાવીએ અને પછી જે સ્ફૂર્તિથી એ જીવવાનું શરુ કરે છે, બસ એવું જ વિદ્યાપીઠના કિસ્સામાં બન્યું છે. સંસ્થાની પણ સમય આવે બાયપાસ સર્જરી કરતા રહેવું પડે. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ બાયપાસ પછી પુર્જીવિત થયાના ઉદાહરણો આજે પણ છે. અને જે અંગત રીતે ‘જીવી જવાશે ને હું એકલો સંસ્થાને જીવાડી શકીશ’ એવા ભ્રમમાં જે રહે છે તેની પાસે  તો ભગવાન પણ લાચાર  !!!

ગુજરાત વિદ્યાપીઠના એકસોને પાંચમાં  સ્થાપના દિવસે વિદ્યાપીઠના પ્રાણ સમાન શ્રી પ્રાણજીવન છાત્રાલયના  ધ્વજદંડ પરથી ધ્વજ લહેરાયો અને વિદ્યાપિઠીય પ્રતિજ્ઞા સૌએ ખુલ્લા અવાજે લીધી ત્યારે પિસ્તાળીશ વર્ષ પછી આ કાર્યક્રમ ફરી થઈ  રહ્યાનો આનંદ સૌના ચહેરા ઉપર છલકતો હતો. વિદ્યાપીઠ પરિસરમાં  હકીકતે  હેરિટેજ વોક કરવા જેવું છું, એવો અછડતો ઉલ્લેખ અગાઉ કુલપતિ પાસે થયેલો અને સ્થાપના દિને એક ઈલેકટ્રીક   ઓપન કારમાં  બેસીને વિદ્યાપીઠના ત્રેવીસ પવિત્ર સ્થળોની વોક ગોઠવાઈ ગયાનું જાણ્યું. હા, આ કાર  અને બીજી બે કાર પણ વિદ્યાપીઠમાં જ એસેમ્બલ થશે.!!

વિદ્યાપીઠ જીવનનો એક ઉમદા અનુભવ તે ગાંધી ગ્રામજીવન પદયાત્રા. 2007માં પૂર્વ કુલાધિપતિ અને ગાંધીના ખોળે  મોટા થનાર શ્રી નારાયણભાઈ દેસાઈ દ્વારા આનો આરંભ થયો. છાત્રોનું પાયાનું ઘડતર આ  એક સપ્તાહમાં  થાય છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જયારે એકબીજાને મળે ત્યારે પદયાત્રાને વાગોળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંગત રસ લઈને વિદ્યાપીઠના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામે  ગામ પ્રાકૃતિક ખેતીની  વાતને પહોંચતી કરવાનું આયોજન કર્યું. તા. 21 થી 26 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો  અને છાત્રો મળીને 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓમાં ગ્રામ સંપર્ક કરી પ્રાકૃતિક ખેતી-તેના ફાયદાઓ-તેની યોગ્ય પદ્ધતિઓ અને તેમાં ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ વિષે નિદર્શન કરી સમજાવે, એવું સુંદર આયોજન થયું. વિજ્ઞાનીઓ અને અધ્યાપકોએ સાથે મળી તૈયાર કરેલ ‘અન્નધેનુ કીટ’ નું વિતરણ પણ કરી રહ્યા છે.

કેન્સરના દર્દી હવે દર ત્રણ ઘરે એક છે, તેવું તબીબી જગત કહે છે ત્યારે, કેમિકલયુક્ત કશું પણ આપણા શરીરમાં ન જાય તેની કાળજી તરફ આપણે સૌએ વળવું પડશે અને વિદ્યાપીઠની પદયાત્રા તે માટેની જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે.