તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે, તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો.”..જાબાલ  ઉપનિષદ 

હિન્દૂ અને મુસ્લિમ બંને જેને સાદર ભજે છે તે યોગીની લલ્લેશ્વરી કહે છે…

તમે આમ અંધની જેમ બહાર લટાર શું મારો છો? જો તમે શાણા હો તો અંદરની યાત્રા શરૂ કરો. શિવા ત્યાં છે, બીજે ક્યાંય નથી. સીધા સાદા મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખો.

આજના સમયમાં જે ખાના-ખરાબી, મુશ્કેલીઓ, માનવજાત માટે વધી રહી છે એના સામે ભૂતકાળમાંથી જો આપણી સમક્ષ શ્રદ્ધા, પ્રેમ, અને સૌહાર્દનો  સંદેશો લઈને કોઈ આવ્યું હોય તો એ યોગીની લલ્લેશ્વરી છે.લોકો એને પ્રેમથી  ‘લલ્લા’ કહેતા.

હકીકતમાં એ લાલ દેવી 14 મી સદીમાં કાશ્મીરમાં થયા. એ સમય હતો સંસ્કૃતિ અને માન્યતાઓના સંમિશ્રણનો. લલ્લાને મહાન મધ્યકાળના સુધારાવાદી સંતો પહેલાની પેઢીના ગણવામાં આવે છે. જેમ કે,  રામાનંદ અને કબીરદાસ એ ભક્તિ પરંપરાના પૂર્વ અને પશ્ચિમ ભારતમાંથી 15મી સદીમાં થયા. લલ્લા એ ભગવાન શિવની આરાધક હતી. પરંતુ એ માત્ર પૂજા-અર્ચના કે આરાધનાનો વિષય નહોતો. એ સમયના ધાર્મિક દર્શનોની તેના ઉપર બહુ મોટી અસર હતી.

લલ્લાનું જે કથન છે અથવા લલ્લાના જે સુવિચારો છે તેમાં ભારતીય હિન્દુ ભક્તિ પરંપરા અને સુફીઝમનો   એક સાથે સુમેળ  જોવા મળે છે. આશ્ચર્યની અને આંનદની વાત એ છે કે, એ હિંદુ અને મુસ્લિમ બંનેની અંદર સમાન માન પ્રાપ્ત દેવી હતાં. હિંદુઓ તેને ‘લલ્લેશ્વરી’ અથવા ‘લલ્લાયોગીની’ કહેતા, અને મુસ્લિમો તેને ‘લાલ આરીફા’ કહેતા. એવું કહેવાય છે કે લલ્લાને કોઈ એક વિચારની શાખા સાથે જોડવી એ તેમના આધ્યાત્મિક સ્વભાવથી વિપરીત ગણાય. લલ્લાનો જન્મ શ્રીનગર પાસેના એક નાનકડા ગામમાં કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં થયો. જો કે તેમની જન્મ તારીખ માટે હજુ એકવાકયતા નથી સધાણી. પરંતુ જે અભ્યાસુઓ છે એ એવું માને છે કે,  તે 1317 થી 1320 ની વચ્ચે જન્મ્યા હતા. બાળક તરીકે જ લલ્લાએ પોતે આધ્યાત્મિક અર્થો, શાસ્ત્રો, વગેરેનો સઘન અભ્યાસ કર્યો હતો. પોતાના પિતાના ઘરમાંથી જ તેણે  કેટલાક ધાર્મિક ગ્રંથોમાંથી અધ્યયન કરેલું. એ સમયના જ્ઞાતિના રિવાજ પ્રમાણે 12 વર્ષની ઉંમરે  લલ્લાનું  લગ્ન  સોનાભાટ એ દ્રંગબાલના એક બ્રાહ્મણ છોકરા સાથે થયું હતું. જોકે, આ લગ્ન પરિણય એટલો સુખદ નહોતો કારણ કે, એમના પતિ અને તેમના સાસુ એમને સારી રીતે સાચવતા નહોતા. એમના સાસુ એમની જમવાની થાળીમાં મોટો પથ્થર મૂકીને તેના ઉપર ભાતનું એક થર ચડાવીને જમવા આપતા હતા. લાગતું તો એવું કે, તેઓ ભાવપૂર્વક ભરચક થાળી લલ્લાને આપી રહ્યા છે.

લલ્લાએ એક વખત બરાબર નોંધ કરી કે,  મને મારા પતિ અને કુટુંબ તરફથી જે કંઈ વાનગી આપવામાં આવે છે તેમાં સતત પથ્થર હોય છે. પરંતુ લલ્લાએ કોઈ દિવસ ફરિયાદ ન કરી. એમને બહુ જ હેરાન કરવામાં આવ્યા અને તેને અર્ધ ભૂખ્ય અવસ્થામાં જીવવું પડ્યું, પણ તો પણ તેમણે પ્રાર્થના, ધ્યાન અને એકાંતમાં પોતાની જાતનો ખોરાક પ્રાપ્ત કર્યો. એમનું આ મુશ્કેલી ભરેલું લગ્નજીવન એમને ભૌતિક જગતમાંથી દૂર કરવામાં કારણભૂત બન્યું. અને પરિણામે લલ્લા બહારની યાત્રા બંધ કરીને અંદર ઉતરવા લાગી. એમને  પોતાના કુટુંબના એક ધર્મ પુરુષ દ્વારા અને એ સમયના બહુ જ મોટા સ્કોલર ‘સિદ્ધા શ્રીકાંતા’ દ્વારા કેટલીક આધ્યાત્મિક સાધના પદ્ધતિઓનો પરિચય મળ્યો અને એમાંથી તેની અંદરની  ખોજ શરૂ થઈ. એમની શિખામણે એમનું જીવન બદલી નાખ્યું.

“મારા ગુરુએ એક વખત કહ્યું, ‘અંદર તરફ પાછી વળ… અંદર તરફ પાછી વળ’ અને આ લલ્લાનું કેવળ શિક્ષણ હતું કે, જેમાં એણે પોતાની નજરને પોતાની જાતની અંદર વાળવાની હતી. લલ્લા કહે છે કે,  મેં જૂઠી માન્યતાઓને ફગવી  દીધી અને મેં  મારી અંદરના અવાજને એકલાને અનુસરવાનું નક્કી કર્યું. અંતે હું મારી જાતને મારી અંદર ઊંડાણથી જોતા અનુભવી રહી હતી. અને મને ખ્યાલ આવ્યો કે,  એ તું છો, જે ઈશ્વર સર્વત્ર છે.”  ત્યાર પછી લલ્લાની આખી યાત્રા આધ્યાત્મિક આત્મ સંશોધન માટે થઈ અને તે એકદમ ઝડપથી થઈ. એ પોતે કુટુંબી કુટુંબ તરીકે ન રહી શકી અનેક આધ્યાત્મિક પુરુષો સાથે તેમણે ઘરેલુ જીવનને આધ્યાત્મિક ક્રાંતિ માટેની  સાધનામાં ફેરવી નાખ્યું. કહેવાય છે કે,  જ્યારે તમારો  નાતો બહારની દુનિયા સાથે  કપાય છે ત્યારે તમે વધુ તેજસ્વી બનો છો. અને તેનામાં બહુ મોટો ફેરફાર થયો.

જેમ જાબાલા ઉપનિષદ કહે છે, કોઈએ એક ક્ષણે પોતાનું ઘર છોડી દેવું જોઈએ, જ્યારથી તેની અંદરના ભાગમાં નવો દિવસ ઉગવા લાગે. તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે,  તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો. કોઈ એક નિશ્ચિત તમારું સ્થાનક હોતું  નથી. લલ્લાએ ઘર છોડી દીધું એ ઉંમરે, લગભગ વીસેક વર્ષની હશે. તે એક સૂફી બિંદાસ્તની જેમ પોતાના વસ્ત્રો ત્યાગી દઈને નાચતી-કુદતી ફરવા લાગી, આ એના માટે સ્વાતંત્ર્ય  હતું અને આશીર્વાદ સમાન સાચી ક્રાંતિ હતી. યોગિનીએ બરાબર જાણ્યું, પામ્યું કે,  ભગવાન શિવ અને બીજા કોઈને સામાજિક માન્યતાના કોઈ  રીતિરિવાજમાં પડવાની જરૂર નથી. આવી રીતે તે ભટકવા લાગી. પોતાના શરીરથી પૂર્ણત: અજાણ અને માત્ર ને માત્ર પોતાની અંદર રહેલા આત્મા સાથે જોડાણ સાધીને એણે ઘૂમવાનું શરૂ કર્યું. એમના રખડપટ્ટીના એ દિવસોમાં કવિતાઓ, સૂત્રો ને શ્લોકો એનામાંથી નીકળવા માંડ્યા, જેને લલ્લાના વાખ કહેવામાં આવ્યા. એ બહુ જ ઊંડાણ ભર્યા, વ્યક્તિગત, લગભગ પહેલા પુરુષમાં લખાયેલા અને પરંપરાની રીતે ચાર લીટીઓમાં હોય. આ સ્તોત્રોએ એમનો અનુભવ એકદમ આનંદપ્રદ ને  એકદમ શાંતિપ્રદ બનાવી દીધો.

લલ્લાની જન્મ તારીખની જેમ જ તેમની વિદાયની તારીખ પણ સ્પષ્ટ જાણી શકાયેલ નથી. પરંતુ એમ કહેવાય છે કે, 1387 થી 1390 ની વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં આવેલ બિજબેહરા ગામ તે ગયેલ અને ત્યાં લલાએ સમાધિ લીધી. કહાની એવું કહે છે કે, હિંદુઓ તેના શરીરને અગ્નિદાહ આપવા માટે માંગણી કરી અને મુસ્લિમોએ તેના શરીરને દફનાવવા  માંગણી કરી, પરંતુ  લલ્લાનાં શરીરમાંથી એક જ્યોત પ્રગટી અને કોઈ કશું સમજે તે પહેલા તો એ જ્યોતિ અસ્તિત્વમાં વિલીન થઇ ગઈ !!

લલ્લાએ બહુ જ સઘન સાધના કરીને કાશ્મીરી સૈવીઝમ, તંત્ર, યોગ વગેરેનો  બરાબર સ્વાધ્યાય કર્યો, અને પોતાના વાખની અંદર એને ઉતાર્યા. કહેવાય છે કે, આ વાખ કબીર અને રહીમના દોહાને મળતા આવે છે. તેમના વાખ વાંચીએ ત્યારે લાગે છે કે,  એમને કોઈએ સીધું કંઈ શીખવ્યું હોય અને બહાર આવ્યું હોય એવું કશું નથી. પરંતુ એમની અંદર જાણે દિવ્ય આત્માએ કશુંક પ્રગટાવ્યું છે. “હું જે વાંચું છું તેને અમલમાં મુકું છું, અને શીખું છું જે શીખવાયું નથી. આ આખા જંગલમાંથી હું એક સિંહને નીચે લઈ આવું છું અને એક જંગલના  એક શિયાળ તરીકે મારા મનને નીચે લઈ આવું છું. હું જે અનુભવ છું અને જે સાધું  છું તે જ કહું છું અને એ ઉદ્દેશને પહોંચવા મથું છું.’ લલ્લા છે એ ‘ત્રિકા સ્કૂલ ઓફ કાશ્મીરી સૈવીઝમ’ ની માનવામાં આવતી હતી. આ સ્કૂલની માન્યતા એવું કહે છે કે,  બધા જ સર્જનો એ હકીકતમાં આપણી સભાનતામાંથી એટલે કે શિવમાંથી થયા છે. માણસ માત્ર જો કે, એ સમજી નથી શકતો કે એક ભગવાન જે સ્વરૂપ, નામ, કે ઓળખથી પર છે તેના જુદા-જુદા સ્વરૂપમાં આપણે અટવાણા હોઈએ છીએ.

લલ્લેશ્વરી દેવીના એક વાખથી વિસ્તૃત લેખનું સમાપન કરીએ :

“Let them abuse me with a thousand mouths

In my heart there is no hurt nor pain

If a true devotee of Sankara I am 

My mirror will not be stained by ashes.” 

5478 5471