ડોકાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં   અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા નહીં !!શ્રી યુ. એન. ઢેબર.

એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને  આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.

એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી,  પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી.  યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર  કરીને જણાવ્યું કે,  “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન  વિદ્યાશાખાનો જ વિષય છે,  છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”

વધુમાં તેમણે કહ્યું કે,  હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન  વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે,  વિગત આવી છે,  શું કરવું તે વિચારીને મને કહેજો .

અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી,  ‘ડોલરકાકા,  મેં બધી રીતે એ બાબત ચકાસી  જોઈ અને મને લાગે છે કે,  ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે,  જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય.  આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા  75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.

લોકભારતી વિદ્યાપીઠ,  સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી.  એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક  વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે.  આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે,  લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક  પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે,  આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ  થવાની જરૂર ન હોવી જોઈએ,  પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.

આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા  અન્યને તેના માટે સૂચના આપતા.  છાત્રાલય જીવન ઉપર તેમણે  અનેક પ્રયોગો કર્યા.  પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે,  ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે,  જમીને પોતાના વાસણ પોતે સાફ કરે,  કચરા કાઢે,  જાજરૂ અને મુતરડીઓ  સાફ  કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે.  ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું  ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા.  સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ  આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે,  “સંસ્થા શુદ્ધિ  માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)

એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા   રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ  ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે  છે::

“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :

એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો  Prejudice- પૂર્વગ્રહ.

શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.

૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.

ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.

એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એમનું ખાસ લક્ષણ હતું.

સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ  આવશે કે,  આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!

“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ.  પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે,  હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું  પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.

સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ?  બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ?  કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!!  18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ  બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ  કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”

આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.

# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ  ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ)