
વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે.
શ્રીમદ ભગવત ગીતા અંગે આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે
શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી. અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે- સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત “ગીતા દર્શન” ના ત્રણ ગ્રંથો)
