મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથે ઓશોનો સ્મરણીય સંવાદ

“ભારતના ધર્મ આકાશમાં એવા કયા બાર વ્યક્તિત્વ છે કે, જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય?”

આપણે ઓશોના જીવનના રોમાંચક વળાંકો અનેક પરિમાણોથી જોયા, જાણ્યા અને આપણે ધન્ય થયા. ઓશોનું જીવન અને ઓશોનું ચિંતન બંને ભરપેટ મમાણવા યોગ્યછે. જીવન તો આપણે જાણ્યું પણ તેમના ચિંતનને તો દીર્ઘ કાલીન સત્રોમાં જ માણી શકાય અને આત્મસાત કરી શકાય. આમ છતાં, કોઈ એકાદ ચમકારો મેળવવો હોય તો…? ઓશોના ચિંતનનું ઉત્તુંગ શિખર સ્પર્શવું હોય તો…? આ પ્રશ્નના ઉત્તરરૂપે મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથેના ઓશોના એક ઉત્કૃષ્ટ સંવાદને અહીં પેશ કરી સંતોષ લઈએ અને આ દીર્ઘ શ્રેણીને વિરામ આપીએ.

“મહાકવિ સુમિત્રાનંદન પંતે મને એકવાર પુછ્યુ કે, ભારતના ધર્મ આકાશમાં એવા કયા કયા બાર વ્યક્તિત્વ છે કે જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય. મેં તેમને એક યાદી આપી:  કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, નાગાર્જુન, શંકર, ગોરખ, કબીર, નાનક, મીરાં, રામકૃષ્ણ, કૃષ્ણમૂર્તિ. સુમિત્રાનંદન પંતે યાદી વાંચીને આંખો બંધ કરી અને વિચાર માં પડી ગયા.

યાદી બનાવવી સરળ કામ ન હતું. કારણ કે ભારતના આકાશમાં બહુ મોટા નક્ષત્રો ભરચક રહેલા છે, કોને છોડીએ અને કોને ગણીએ? બહુ જ વ્હાલા લાગે તેવા વ્યક્તિઓ છે, અતિ કોમળ છે, અતિ માધુર્યપૂર્ણ છે અને સ્ત્રૈણ છે.

વૃદ્ધાવસ્થા સુધી પણ એમના ચહેરા ઉપર તાજગી એવી કાયમ રહી છે, જેવી કાયમ રહેવી જોઈએ.  તેઓ સુંદરથી સુંદરતમ થતાં ગયા છે. હું તેમના ચહેરા ઉપર આવ જા કરી રહેલા ભાવ ને નિરખી રહ્યો હતો. તેમને અડચણ પણ થઈ હતી, કેટલાક નામ જે સ્વભાવત: હોવા જ જોઈએ તે ન હતાં!  નથી રામનું નામ ન હતું! તેઓએ આંખ ખોલી અને મને કહ્યું, રામનું નામ છોડી દીધું છે આપે? મેં કહ્યું મને બાર જ વ્યક્તિઓ પસંદ કરવાની સુવિધા આપે આપેલી એટલે ઘણા બધા નામ છોડી દેવા પડ્યા છે. પછી મેં બાર નામ એવા પસંદ કર્યા કે, જેમની કોઈ મૌલિક દેણ હોય, રામની કોઈ મૌલિક દેણ નથી. કૃષ્ણનું કોઈ મૌલિક પ્રદાન નથી, તેથી હિન્દુઓએ પણ તેમને પૂર્ણાવતાર ગણ્યા નથી.

તેમણે ફરી મને પુછ્યું, તો પછી એવું કરીએ કે મને આમાંથી સાત નામ આપો. હવે વાત થોડી વધુ કઠિન થઇ રહી હતી. થોડા વિચાર પછી મેં તેઓને સાત નામ આપ્યા. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, શંકર, ગોરખ, કબીર. તેઓએ કહ્યું:  આપે જે પાંચ નામ છોડી દીધા એ કયા આધાર ઉપર છોડ્યા છે? મેં કહ્યું:  નાગાર્જુન બુદ્ધ માં સમાય જાય છે. તેઓ બુદ્ધમાં બીજ રૂપ હતા અને તેમાંથી જ નાગાર્જુન પ્રગટ થયા હતા. તેથી નાગાર્જુનને છોડી દઈ શકાય અને જ્યારે બચાવી લેવાની વાત આવે તો વૃક્ષને છોડી દઈ શકીએ, બીજને નહીં છોડી શકાય, કારણકે બીજ માંથી તો ફરી વૃક્ષ બનવાનું છે, નવું વૃક્ષ બનવાનું છે.  જ્યાં બુદ્ધ પેદા થશે ત્યારે અનેક નાગાર્જુન પેદા થઈ જશે, પરંતુ કોઈ નાગાર્જુન બુદ્ધને પેદા નહીં કરી શકે.  બુદ્ધ તો ગંગોત્રી છે, નાગાર્જુન તો આમ પણ ગંગા ના રસ્તા ઉપર આવેલું એક તીર્થસ્થળ છે. તેમ છતાં જો છોડવું હોય તો તીર્થસ્થળ છોડી દઈ શકાય, ગંગોત્રી ને છોડી ન શકાય.

એ જ રીતે કૃષ્ણમૂર્તિ પણ બુદ્ધમાં સમય જાય છે. કૃષ્ણમૂર્તિ બુદ્ધના નવીનતમ સંસ્કરણ જેવા છે, નૂતનતમ; આજની ભાષામાં! પર ભાષાનો જ ભેદ છે. બુદ્ધનું જે પરમસૂત્ર હતું: “અપ્પ દીપો ભવ” કૃષ્ણમૂર્તિ બસ તેની જ વ્યાખ્યા છે.  આ એક સૂત્ર ની વ્યાખ્યા ગહન, ગંભીર, અતિ મહત્વપૂર્ણ! પરંતુ ‘પોતાના દિપક પોતે બનો’ એની તો વ્યાખ્યા છે.  આ બુદ્ધનું અંતિમ વચન હતું. પૃથ્વી પરથી શરીર છોડતાં તે પહેલાં તેઓએ સાર સૂત્ર કહ્યાં હતાં, જાણે કે આખા જીવનની સંપતિ, જાણે કે આખા જીવનના અનુભવ ને એક નાનકડા સૂત્ર માં સમાહિત કરવામાં આવ્યું હોય!!  રામકૃષ્ણ કૃષ્ણમાં સરળતાથી લીન થઈ જાય છે.  મીરા અને નાનક કબીરમાં લિન થઈ જાય છે, જાણે કે કબીરની જ અનેક શાખાઓ ન હોય!  જેવી રીતે કબીર માં જે એકત્ર હતું તેમાંથી અડધું નાનકમાં પ્રગટ થયું છે અને અડધું મીરામાં. નાનકમાં કબીરના પુરુષરૂપનું પ્રગટીકરણ થયું છે, તેથી શીખ ધર્મ જો ક્ષત્રિયનો બની જાય તો આશ્ચર્ય ન કહેવાય.  મીરાંમાં કબીરના સ્ત્રૈણ રૂપને પ્રગટ થતું જોઈ શકાય છે, તેથી પૂર્ણમાધુર્ય, બધી જ સુગંધ, પુલકીત કરતી સુવાસ, સઘળું સંગીત મીરાના પગના ઝાંઝર બનીને ઝણકી રહ્યાં છે.  મીરાના એક તારા પર કબીરની નારી ગાઈ રહી છે અને નાનકમાં કબીર નો પુરૂષ બોલી રહ્યો છે. બંને કબીરમાં સમાહિત થઈ જાય છે. મેં આવી રીતે કહ્યું કે, મેં આ સાત નામની યાદી બનાવી છે.. હવે તેઓની ઉત્સુકતા બહુ જ વધી ગઈ. તેમણે કહ્યું કે, જો હું પાંચ નામની સૂચી બનાવવાનું કહું તો?? મેં કહ્યું, મારું કામ એકદમ કઠીન થઈ જશે.

મેં એ સૂચિ એને બનાવી આપી.  કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર અને ગોરખ.  કારણકે કબીર ને ગોરખ માં લીન થતા જોઈ શકાય છે. ગોરખ મૂળ છે તેથી ગોરખને છોડી શકાય તેમ નથી અને શંકર તો કૃષ્ણમાં સરળતાથી લિન થઇ જઈ શકે છે. કૃષ્ણના જ એક અંગની વ્યાખ્યા છે, કૃષ્ણના જ એક અંગનું દાર્શનિક વિવેચન છે, ત્યારે તેઓ તરત જ બોલ્યા; બસ, એકવાર ફરીવાર માત્ર ચાર જ નામ રાખીએ તો…??

મેં તરત જ નાની સૂચિ આપી દીધી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, ગોરખ, કારણ કે મહાવીર બુદ્ધિથી બહુ જુદા નથી, થોડાક ભિન્ન છે, થોડો નાનો ભેદ છે અને તે પણ અભિવ્યક્તિનો ભેદ છે.  બુદ્ધની મહિમામાં મહાવીર મહિમા થઈ જઈ શકે છે.

તેઓ કહેવા લાગ્યા:  હજુ એક વાર બસ, મને ત્રણ નામ શોધી આપશો? મેં કહ્યું, હવે તે અસંભવ છે. હવે આ ચાર માંથી કોઈને પણ છોડી શકાય એમ નથી. મેં તેઓને કહ્યું, જાણે ચાર દિશા છે એવા આ ચાર વ્યક્તિત્વ છે, જેવી રીતે કાળ અને ક્ષેત્રના ચાર આયામ છે, એવા આ ચાર આયામ છે, જેવી રીતે પરમાત્માની બાજુઓ આપણે ચાર વિચારીએ છીએ એવી રીતે આ ચાર ભુજાઓ છે, આમ તો એક જ છે પરંતુ એ એક ને ચાર ભુજા છે. હવે આમાંથી કંઈ છોડવું હોય તો હાથ કાપવા જેવું લાગશે અને તે હું નહીં કરી શકું.

અત્યાર સુધી હું આપની વાત માનીને ચાલતો હતો અને સંખ્યા ધીમે ધીમે ધીમે ઘટાડતો જતો હતો. કારણ કે અત્યાર સુધી જે અલગ કરવું પડતું હતું તે વસ્ત્ર હતું, હવે તો અંગ તોડવા પડે એમ છે અને એ અંગ ભંગ હું નહીં કરી શકું, એવી હિંસા આપ પણ ન કરાવો તો તેવી પ્રાર્થના છે.”

ઓશો, મરો હે જોગી મરો …………………………

ઓશો,

જેનો ક્યારેય જન્મ નથી થયો અને ક્યારેય મૃત્યુ થયું નથી.

જેમણે.

૧૧ ડિસેમ્બરે, ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી પૃથ્વી નામના 

ગ્રહનો પ્રવાસ કર્યો.

બસ, બધું મળીને આ જ છે ભારતના આ સદીઓ માટેના મનીષી અને નોખા અનોખા ગુરુની વાત.