
નાનીને અગ્નિદાહ દેતી વખતે ઓશોએ કહ્યું કે, “અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે.”
વાતો ઓશોની સાંભળીએ તો આપણને એમ થાય કે, આપણે એમની સતત વાતો કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે.
વધુમાં વધુ એમને સહવાસ થયો નાનીનો. નાનીએ એને બહુ વિશિષ્ટ પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે સૌએ પુસ્તકમાંથી વાંચ્યા હોય કે સાંભળ્યા હોય. એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળનાં ફૂલોથી સભર હોય એમાં પગ ડુબાડીને બેઠા રહેવું, આ એમનું કામ.. બીજું કશું કરવાનું નહિ. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા.
વિદ્રોહ એટલે કેવા પ્રકારનો? વસ્તી ગણતરીવાળો એક ભાઈ આવ્યો. અને એણે પૂછ્યું નાનાબાપુને કે, તમારો ધર્મ શું? એટલે એણે કહ્યું કે, હું જૈન છું. નાનીને પૂછ્યું કે, તમારો ધર્મ શું ? તો એણે કહ્યું કે, હું કોઈ ધર્મમાં માનતી નથી. બધા ધર્મ એક જ છે. માણસ હોવું એ ધર્મ છે. આ સાંભળીને રજનીશને રાત્રે ઊંઘ ના આવી. એક દિવસ નાનીએ પૂછ્યું કે, ‘તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કાંઈ વિચારશ?’ “હા વિચારું છું”.. ‘શું વિચારશ?’ એ કહે, “મને કોઈ પૂછે કે, તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બેયે તો જવાબ આપી દીધો…” તો નાનીએ કીધું, ‘મેં કીધું એમ કહેજે કે, હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસાઈ એ જ મોટો ધર્મ છે.’ અને આ વાક્ય એમણે છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું.
નાની રજનીશ માટે થઈને નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ ઘરે આવ્યા. શાંતિસાગર એનું નામ.. અને એ જૈન ગુરુ નાના માટે બહુ મોટા ગુરુ, એટલે રાજનેશીને કહી રાખ્યું કે, ‘બીજું કાંઈ બોલબોલ કરતો નહિ’, એમ કહી એને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવી વાતની શરૂઆત કરી એટલે રજનીશે વચ્ચે ઠપકાર્યું કે, તમારે આવતા ભવમાં જન્મ લેવો છે? તો કહે ના…કેમ નથી લેવો? તો કહે, હું પુનર્જન્મમાં માનતો નથી. હું મોક્ષમાં માનું છું. તો રજનીશ તરત કહે,… તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને મરવું આપણા હાથમાં જ છે. તરત નાનાબાપુએ કીધું, બહાર નીકળ ભાઈ.. આવું કશું બોલ નહીં .. તો કહે, ના… હું તો પૂછીશ. ત્યારે નાનીએ કીધું, “એને ખબરદાર જો બહાર કાઢ્યો છે તો. એ બાળક છે એને જે મનમાં આવે એ પૂછવા દ્યો.” અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એમણે નાનાને કહ્યું, તમારા ગુરુ કાંઈ બરાબર નથી હો… તમારે બદલી નાખવા જોઈએ. નાની બોલ્યા: આવા તો કાંઈ ગુરુ હોય જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નનાં જવાબ નથી આપી શકતા ? …તમે આને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું, જોયું તેં ચડાવ્યો એને કારણે એમણે કેવું પૂછ્યું ? .. તો નાની કહે, એ જે કહે છે એ સાચું છે. ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે.એનો જવાબ ન દઈ શક્યા?…. આમ એને મોટામાં મોટો ટેકો નાનીનો મળતો રહ્યો. અને નાની નું 1970માં અવસાન થયું. નાની એ 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. આ મોટો ગાળો.. નાનીનો સંગાથ ઓશોને છેક સુધી મળતો રહ્યો. જયારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું, તારે ડોક્ટર નથી થવું ને ? ના.. મેડીકલમાં નથી જવું? ના.. એન્જીનીયર ? ના…તો તારે શું કરવું છે? તો કહે, મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે. તો કહે, “કાંઈ વાંધો નહિ જા. તું પૈસાની ચિંતા ન કરતો. તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ.” અને ઓશો નોંધે છે કે, નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મની ઓર્ડરથી પૈસા મોકલ્યા હતા.!! 1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા અને તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દીધો. નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે, અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઇશ નહિ.’ આ નાની સાથેનો લગાવ.
એના મા-બાપ એમનાથી વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે, એમના મા બાપને પણ સત્ય સમજાવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા. જેના દીકરાનું નામ હતું રાજા.. જેમાંથી થયા રજનીશ, જેમાંથી થયા આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો,અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ સર્જન આ બન્ને વ્યક્તિનું છે. અને ઓશોને બહુ સરસ રીતે ઉછેર્યા એ ગ્રાન્ડમધર નાનીમા છે.
એક વાક્ય એમણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી. ધર્મ જેવું કશું છે નહિ. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે એ તમે કરતા રહો.
કેટલીક ઓશો જીવન યાત્રાની આનુસંગિક વાતો કરીએ. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો કે દુકાને બેસે. એમને દુકાને બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરીને ચાલ્યા જાય. એક દિવસ પિતાએ પૂછ્યું કે, તું કેમ આંખ બંધ કરીને ચાલે છે ? તું કાંઈ વિધિ કરે છે ? તો કહે, ના. તો કહે, તું દુકાન સામું જોતો નથી.એ કહે, આપણે જે માર્ગે જવું જ નથી તેની સામું જોવાય જ નહિ. આ તો એવી સાંસારિક વસ્તુ છે વળગી પડે આપણને, એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે.
સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એમણે નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે, હું એક સંભાવના છું, શક્યતા છું. અને સંભાવના છે કે, હું આસમાન પણ બની શકું, અને વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું એવી મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું કે, તમારામાં પણ આ જ શક્તિ છે. માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરુ કરવું પડશે. તેઓની બહુ રસિક વાત છે કે, તેઓ મોટો ખુલ્લો ઝભ્ભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાખડી પહેરીને યુનિવર્સીટીમાં દાખલ થાય એટલે આખી લોબીની અંદર ખબર પડે કે, રજનીશ આવી રહ્યા છે. કારણ કે, ચાખડીનો અવાજ આવતો હોય. એક વખત એક અધ્યાપકે પૂછ્યું કે, આ શું કરે છે? આપણે જે રોયસાહેબની વાત કરી હતી તેમણે કીધું કે, why this? આવું કેમ કરે છે? બધા disturb થાય છે. તો કહે ના..ના.. ભલે disturb થાય. હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તો રોયસરને એમ થયું કે, આ તો ભણવા આવે છે ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે !
એમના એક સાથીદાર અને એમના સહપાઠી છે સત્યમોહન વર્મા. જે સાગર યુનિવર્સીટીમાં ઓશોની સાથે હતા. એમની 40મિનિટની મુલાકાત યુટ્યુબ ઉપર છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષનાં છે સત્યમોહન વર્મા અને એમણે 1952થી શરુ કરીને 52,53,54માં શું બન્યું… અને મેં જે તમને કહ્યું વાદવિવાદ સ્પર્ધાની એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે, અમારી સાથે MA ફિલોસોફી કરવા માટે પહેલી વખત જયારે રજનીશ આવ્યા ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય સાહેબ સાથે બેઠા હતા. એમણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે, મને એડમિશન જોઈએ છે. અમારા હેડે એવું પૂછ્યું કે, “તમે કાંઈ વાંચ્યું છે?” તો કહે, “હા.. બહુ વાંચ્યું છે.” શું વાંચ્યું છે? એ કહે, “મેં લગભગ બધું વાંચ્યું છે.” એટલે બધું એટલે શું? તો કહે, “હું વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ સુધી બધું જ વાંચી ગયો છું.” તો કહે, તમને ખ્યાલ છે કે, બર્નાડ શો એ એક ‘આર્મ્સ ઈન ધ મેન’ લખ્યું છે એ તમે વાંચ્યું છે ? તો કહે, “હા”…તો કહે એનામાંથી પ્રશ્ન પૂછું? તો કહે, “પૂછવા હોય તે પૂછો” એમના સહપાઠી એમ કહે છે કે, અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે ! અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થિસીસની અંદર તેઓની ભૂલ વગેરે દેખાડી હતી.
સહપાઠી બહુ સરસ વાત કરે છે કે, પરીક્ષા હતી અને અમે બેઠા બેઠા વાંચતા હતા ત્યાં એ એના તોરમાં આવ્યા અને એણે કીધું કે, ‘क्या कर रहे हो?’ અમે કીધું કે ‘हम पढ़ते है.’.. ‘क्यों पढ़ते हो?’ एक्ज़ामिनेशन है… “ज्ञान अमर है… परीक्षा नश्वर है. और पास नापास ईश्वरकी माया है. पढ़ो..पढ़ो…” એ કહી ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે, આપણને શું કહી ગયા આ ભાઈ?… કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. વર્માજી કહે છે કે, અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સીટીમાં, બપોરે જમીએ, જમીએ તો અમને રોટલી વગેરે આવે પણ રોટલી કોરી હોય. એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનું ટોપીયું ભરીને જઈએ. એ ચોપડીને પછી રોટલી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા. આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, ‘बंधू आपको कोई हर्ज़ ना हो तो में यहाँ पे बिराजू?’ પોતાની જાતને બેસવું નહિ.. बिराजू.. એટલે કીધું. ‘हां, जरूर बैठिए…’ એણે મંગાવ્યું તો એને ય કોરી રોટલી આવી, એટલે વર્માજી કહે છે કે, મેં મારું ઘી નું ટોપીયું આમ સરકાવ્યું કે घी खाइए..તરત એમણે કીધું કે, घी खानेकी नहीं घी पीनेकी वस्तु है.. એટલે અમે આશ્ચર્ય અનુભવીએ ત્યાં એમણે કહ્યું કે ‘आप फिलोसोफी के विद्यार्थी हैं चार्वाक का नाम सुना है?’ हां, सुना है. तो चार्वाक ने ही कहा था कि ‘‘यावत जीवेत, सुखं जीवेत, रुणं कृतवा, घृतं पिबेत:” ઋણ કરીને ઘી પીજો, એટલે ઘી ખાવાનું નથી.અમને આશ્ચર્ય થયું કે આ ઘી માંથી નીકળીને છેક ચાર્વાક સુધી પહોંચીને ગયા ! (ક્રમશ:)
