નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. એવું હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”

રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી  જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને  આશ્ચર્ય થાય  અને કદાચ વિચિત્ર પણ લાગઈ  કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત  વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.

નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. જીવન જેવું છે, સુંદર છે, એવું રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”

શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”

રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ?  ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટેકેમહોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”

આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.

– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”

– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”

– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.

– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.

રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે  અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.

પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !!  જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે,  એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”

ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે  પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. એવું હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”

“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)